ઝીણું પણ ઝડપાઈ જવાનું, ઝીણવટ આવે ત્યારે સાચું,
આચાર અને ઉપચારના ચીલે ચીવટ આવે ત્યારે સાચું.
હાથ હથેવાળો કરવાથી જામોકામી ક્યાં જોડાતું?
ઉછરંગ ભર્યા આ ઉર-મોઝારે ઊલટ આવે ત્યારે સાચું.
અક્ષત, કપૂર, અબીલના રંગે, પંચામૃતે કે રૂ-વાટે,
ખુલ્લા આ આકાશો જેવી ચોખટ આવે ત્યારે સાચું .
ગેરીલા-છાપાઓ જેવું ફાસફૂસિયું કવરાવે છે,
લાગ જોઈને છો આવે પણ લાગટ આવે ત્યારે સાચું.
ઝલક, ક્લ્પના, ગેબીવાણી, રોમહર્ષ સૌ અપરસ જેવાં,
અંતરપટ અવશેષ કરીને પરગટ આવે ત્યારે સાચું.
5/8/2015
હથેવાળોઃ પાણિગ્રહણ, વરકન્યાના જમણા હાથની હથેળી એકબીજાની હથેળીમાં મૂકી ઉપર વસ્ત્ર વીંટવાની ક્રિયા
જામોકામીઃ ચિરંજીવી, અમર, યાવચ્ચંદ્રદિવાકરૌ, કાયમી પ્રકારનું
ઉછરંગઃ ઉમંગ, ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ
મોઝારે : અંદરના ભાગમાં, મધ્યે
ઊલટઃ હેત, હોંશ, હરખ, આતુરતા, ઉત્સુકપણું
ચોખટઃ ચોખ્ખાઈ, પવિત્રતા, સ્પષ્ટતા
કવરાવવુંઃ હેરાન કરવું, સતાવવું, થકવી દેવું, કવિતા કરાવવી, વર્ણન કરાવવું
લાગટઃ સતત, અવિરત, એકસામટી રીતે, લગાતાર
અંતરપટ: આડું રાખેલું કપડું, પડદો, કનાત , ભેદ, જુદાઈ
અપરસ : કોઈને અડાય નહિ એવી સ્થિતિમાં હોવું તે, પૂજામાં બેસવા માટે નાહી ધોઈને સ્વચ્છ થયેલ, યથાસ્થાન જે રસ આવવો જોઇયે તે ન આવતાં એને સ્થાને ખોટી રીતે નિરૂપાયેલો રસ
![]()


અશ્લીલતા પર પ્રતિબંધ મૂકવાથી સમાજ શીલવાન બને છે, ફાંસી જેવી આકરી સજા કરવાથી સમાજ અપરાધમુક્ત બને છે, વ્યસનો પર પ્રતિબંધ મૂકવાથી સમાજ વ્યસનમુક્ત બને છે અને શસ્ત્રો દ્વારા સવાયા બનવાથી જગતમાં શાંતિ સ્થપાય છે એ ચાર માન્યતાઓ મિથ છે. આમાં સત્ય તો બાજુએ રહ્યું, સત્યાંશ પણ નથી. આમ છતાં જગતના શાસકો આવી ચેષ્ટા કરતા રહે છે, કારણ કે એ માનવસભ્યતાની ચિંતાનો વિષય છે અને એની જરૂરિયાત પણ છે. શીલવાન અને વ્યસનમુક્ત સમાજ તેમ જ શાંતિની વિશ્વને જરૂર છે.
અણુબૉમ્બની તાકાત એટલી પ્રચંડ હતી અને એણે એટલી ગરમી પેદા કરી હતી કે હિરોશિમા સ્ટેશન પરનો લોખંડનો ફુટઓવર બ્રિજ ઓગળી ગયો હતો અને તળાવનું પાણી ઊકળવા લાગ્યું હતું. જે લોકો ગરમીથી બચવા તળાવમાં કૂદી પડ્યા હતા તેઓ ઊકળતા પાણીમાં બફાઈને મરી ગયા હતા. આ તો એ સમયે થોડા કલાકો દરમ્યાન લોકોએ અનુભવેલી યાતના છે. એનાથી મોટી યાતના એ છે કે બીજા લાખો માણસો કાયમ માટે રેડિયેશનનો ભોગ બની ગયા હતા અને તેમણે રિબાઈ-રિબાઈને જીવન પૂરું કર્યું હતું. હજી આનાથી મોટી યાતના એ છે કે હિરોશિમા અને નાગાસાકીની ત્રીજી પેઢી રેડિયેશનની અસર સાથે જન્મે છે અને રિબાય છે. માણસજાત આને પ્રગતિ કહે છે અને જગતઆખામાં અણુકાર્યક્રમનો મહિમા કરવામાં આવે છે. અણુકાર્યક્રમ ધરાવતા દેશો વિકસિત કહેવાય છે. વિડંબના એ છે કે બે વિશ્વયુદ્ધ અને હિરોશિમા અને નાગાસાકીની ઘટના માનવીયતાને નવી ઊંચાઈ આપનારા શાંતિના ફરિસ્તા મહાત્મા ગાંધીની હયાતીમાં બની હતી.