રાષ્ટ્રીય સ્તરની કે રાજ્ય સ્તરની સાહિત્ય અકાદમીઓ સાહિત્યના પ્રસાર માટે શુદ્ધ હેતુથી કામ કરી રહી છે એમ માની લઈએ. દેશભરમાં પરિસંવાદો યોજાય છે એનાં પરિણામોની તપાસ કદાચ વ્યક્તિગત સ્તરે કોઈ કરતું હશે, કેટલીક વખત આપણા પરિસંવાદો મેળાવડા જેવા બની જતા હોય છે. શબ્દે-શબ્દે મેળાવડા થતા હોય, તો તો કોઈ પ્રશ્ન ન હતો.
થોડાં અઠવાડિયાં પર સિક્કિમના ગંગટોકમાં અખિલ ભારતીય વાર્તાકારોનું એક મિલન ગોઠવાયું હતું પરંતુ વાર્તાકારને કે વાર્તાવિવેચકને માત્ર પંદરથી વીસ મિનિટ ફાળવવામાં આવી હતી. વાર્તાકાર સ્વરચિત વાર્તા વાંચે અને વિવેચક પોતાની ભાષામાં લખાતી વાર્તા વિશે વક્તવ્ય આપે. આ પ્રકારનાં મિલન પાછળ આશય બહુ સારા હોય છે, પણ અનુભવ તો એમ કહે છે કે દર વખતે સમયની તાણ પડતી હોય છે, એટલે ચા-પાણી કે ભોજન સિવાય પરસ્પરને મળવાનો જાણે સમય જ રહેતો નથી. અંગત રીતે માનું છું કે આના કરતાં હિંદી-અંગ્રેજીમાં પ્રગટ થતાં અકાદમીનાં સામયિકોમાં વિશેષાંક રૂપે આ બધી સામગ્રી આવે, તો સૌ કોઈને વધારે કામ લાગે. જેટલાં નાણાં આવાં મિલનો પાછળ ખર્ચાય છે, તેના કરતાં ઓછા પૈસે વિશેષાંકો પ્રગટ થઈ શકે. આનો અર્થ એવો નથી થતો કે પરિસંવાદો કે એવાં કોઈ વિશિષ્ટ આયોજનો થવાં જ ન જોઈએ. રાજેન્દ્ર શાહ કે પ્રેમાનંદની ઊજવણી વખતે સિતાંશુ યશશ્ચંદ્રની રાહબરી હેઠળ થયેલાં આયોજનો ચિરસ્મરણીય અને અનુકરણીય પ્રકારનાં હતાં જ ને!
અત્યારે એક ભયસ્થાન ક્ષિતિજે ડોકિયાં કરી રહ્યું છે. સાહિત્ય-કળા-તત્ત્વજ્ઞાન-ઇતિહાસ વગેરેથી નવી પેઢી દૂર-દૂર જઈ રહી છે, અને એનાથી ખરાબ હકીકત તો એ છે કે આ પેઢી જીવનથી પણ દૂર દૂર સરી રહી છે. એક પ્રકારની ઘેરી ઉદાસીનતા જાણે ઘર કરવા માંડી છે. પોતાની નિરક્ષરતાનું ગૌરવ જાણે-અજાણે તે અનુભવે છે. આમે ય શાસન તો ઇચ્છે જ કે પ્રજા નિરક્ષર રહે. કદાચ શાસકો કોઈ સરમુખત્યારની જેમ બધી જ સાહિત્યસંસ્થાઓનો, શૈક્ષણિક સંસ્થાઓનો ગ્રાસ કરી જાય તો નવાઈ નહીં. જે દેશમાં રાજકીય પક્ષ અને સરકાર વચ્ચેનું અંતર સાવ ભૂંસાઈ જતું હોય તે દેશમાં કશું પણ બનવાની શક્યતા હોય છે. આપણું લોકતંત્ર આભાસી લોકતંત્ર થઈ રહ્યું છે અને એનાં ચિહ્નો ઉઘાડેછોગ દેખાવાં માંડ્યાં છે. એનો સૌથી પહેલો ભોગ શિક્ષણક્ષેત્ર બની રહ્યું છે. વાણીસ્વાતંત્ર્ય હોવા છતાં તેનો અનુભવ થતો નથી. પ્રજાજનોને શાસકોની કઠ પૂતળીઓ બનીને જીવવાની જાણે ફરજ પડી રહી છે. અને એ બનવામાં પ્રજા પોતાના જીવનની સાર્થકતા અનુભવતી હોય એમ પણ લાગે છે. આવા વાતાવરણમાં આલ્બેર કૅમ્યૂની કૃતિ ‘કાલીગુલા’ કે યુજિન આયોનેસ્કોની કૃતિ ‘રાઇનોસરોસ’ યાદ આવ્યા વિના ન રહે.
જો એકહથ્થુ શાસનવાળા દેશમાં વિદ્રોહ થઈ શકતો હોય, તો લોકતંત્રવાળા દેશમાં તો વિદ્રોહ, વિરોધને કેટલો બધો અવકાશ છે! પોતાને જે તક મળે તેનો ઉપયોગ કરતાં આવડવું જ જોઈએ.
દેશભરમાં કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટક સંલગ્ન અનેક અકાદમીઓ છે. એમની વચ્ચે કશીક સંવાદિતાનો અભાવ છે. એક સર્વસામાન્ય નિયમ એ પ્રવર્તવો જોઈએ કે આવી સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાને પ્રથમ પંક્તિમાં સર્જકો હોવા જોઈએ. દિલ્હીની સાહિત્ય અકાદમીનો આરંભ થયો ત્યારે, જો હું ભૂલતો ન હોઉં તો, તેના અધ્યક્ષપદે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા. અહીં યાદ રહેવું જોઈએ કે તેઓ પૂર્વકાળમાં ઇતિહાસકાર અને ઉત્તમ ગદ્યકાર હતા, વડાપ્રધાન પછીથી થયા. રશિયન શાસક નિકિતા ખ્રુશ્ચેવ ભારત આવ્યાં ત્યારે નેહરુએ ઉમાશંકર જોશીની ઓળખાણ તેમની સાથે કરાવી હતી. આ શાલીનતા અને કદરદાની આજે તો દુર્લભ થઈ ગયાં છે.
અત્યારે પણ કેન્દ્રીય અકાદમીના અધ્યક્ષ તેમની ભાષાના ઉત્તમ સર્જક છે. પરંતુ જો વર્તમાન સિલસિલો ચાલુ રહ્યો, તો એવો ડર લાગે છે કે આવી સાહિત્યસંસ્થાઓમાં પ્રમુખ તરીકે સરકારી અધિકારીઓ, રાજકીય પક્ષના હોદ્દેદારો આવશે અને આ સજ્જનોને મોટે ભાગે કળા, સાહિત્ય, સંસ્કૃિત સાથે ખાસ કશો સંબંધ નથી હોતો. તેઓ શિક્ષણ-સાહિત્યની સંસ્થાઓમાં પોતાના વફાદાર માણસોને ગોઠવી દેશે. ઉત્તમ સર્જકો દેશના પ્રતિનિધિઓ, રાજદૂતો બની શકે છે. દા.ત., ઓક્તાવિયો પાઝ (મેક્સિકો) કે ગગનવિહારી મહેતા.
દેશને, દેશની સંસ્કૃિતને જો ખરેખર ઊંચે લાવવાની દાઝ હોય, તો નર્મદાશંકર દવે પાસે જવું જોઈએ. તે વેળા શિક્ષણનો સ્તર હતો, તેના કરતાં અનેક-ગણો નીચે ઊતરી ગયો છે. અનેક રીતે પછાત અને છતાં સુધારકયુગ અનેક રીતે સમૃદ્ધ હતો, જ્યારે આજે વિજ્ઞાન-ટેક્નોલૉજીની રીતે ઘણો પ્રગતિશીલ આપણો સમય અને છતાં બેહાલ. આવી પરિસ્થિતિની સામે વિરોધ કરવો જ પડે. ગુલામમોહમ્મદ શેખ અને મિત્રો સાથે મળીને જે ‘વૃશ્ચિક’નું પ્રકાશન કરતા હતા, તેના દ્વારા લલિતકળા અકાદમી સામે વિદ્રોહ કર્યો જ હતો ને! પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે વિદ્રોહ કરનારા પણ પારદર્શી, પ્રામાણિક, નિષ્ઠાવાન હોવા જોઈએ. સૌથી પહેલાં શિક્ષણનું જગત સુધારવાની જરૂર છે. હવે શાસનતંત્ર પર ભરોસો રાખવાને બદલે કેટલાક સમદુખિયાઓએ આગળ આવવાની જરૂર છે અને આજની તારીખે આવા માણસોની ખોટ નથી, આ બધાંની પોતપોતાની અંગત મહત્ત્વાકાંક્ષાઓને બાજુ પર મૂકીને ખભેખભા મિલાવીને વર્તમાન તંત્રને ફરી એક વાર સરખું કરી આપવાની જરૂર છે.
તો આવો, આપણે સૌ શક્ય તેટલો ફાળો આપીને વાતાવરણમાં નવો પ્રાણસંચાર કરીને તેને ધબકતું કરી દઈએ.
(‘સમીપે’ના સદ્દભાવથી)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 08