Opinion Magazine
Number of visits: 9456729
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વરસાદ

નંદિતા મુનિ|Poetry|24 October 2024

પ્રિય કવિ જૅક ગિલ્બર્ટ ના એક કાવ્ય ‘Rain’નો અનુવાદ આજે મૂકું છું. 

વરસાદ

અચાનક આ પરાભવ.

આ વર્ષા.

નીલા રંગોનું પલટાઈ જવું ભૂખરામાં

અને પીળાનું

ભયાનક ઘેરા પીળામાં.

ઠંડીગાર શેરીઓમાં

તારો હૂંફાળો દેહ.

કોઈ પણ ઓરડામાં

તારો હૂંફાળો દેહ.

આટલા લોકોની વચ્ચે 

તારું ન હોવું.

આટલા બધા, લોકો જે ક્યારેય 

‘તું’ નથી.

ઘણો સમય 

હું નિશ્ચિંત થઈ વૃક્ષો સાથે જીવ્યો છું.

પર્વતો સાથે બહુ ઘરોબો રાખ્યો છે મેં.

આદત પડી ગઈ છે ખુશીની.

ને હવે 

અચાનક આ વરસાદ.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શીર્ષાસન કર્યું હોય તો પછી મૂંગા રહેવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 October 2024

રમેશ ઓઝા

ન્યાય આપવામાં જો શીર્ષાસન કર્યું હોય તો એ વિષે ઓછું બોલવું જોઈએ અથવા ન જ બોલવું જોઈએ. મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે પોતાનાં વતનનાં ગામમાં કૂળદેવીની પૂજા કર્યા પછી કહ્યું હતું કે તેમણે અયોધ્યાના બાબરી મસ્જીદ-રામજન્મભૂમિના વિવાદ વખતે દેવીમાંનું માર્ગદર્શન માગ્યું હતું અને દેવીમાં પાસેથી મળ્યું પણ હતું. ઘણીવાર જીવનમાં ધર્મસંકટ પેદા થતું હોય છે અને માર્ગ જડતો નથી હોતો ત્યારે ઈશ્વર માર્ગ બતાવતો હોય છે. અયોધ્યાવિવાદનો માર્ગ દેવીમાંએ બતાવ્યો હતો.

હવે થોડી રોકડી વાત.

અયોધ્યાવિવાદ શેનો હતો? ટાઈટલ(માલિકી હક)નો હતો કે શ્રદ્ધાનો હતો? હિન્દુત્વવાદીઓનો દાવો હતો કે જે જગ્યાએ બાબરી મસ્જીદ ઊભી હતી ત્યાં પહેલાં રામમંદિર હતું જે બાબરના સેનાપતિ મીર બાકીએ ૧૫૨૮ની સાલમાં તોડી નાખ્યું હતું અને ત્યાં મસ્જીદ બંધાવી હતી. હવે છસો વરસ પહેલાં શું બન્યું એ સાબિત કેવી રીતે કરવું? ન્યાયતંત્ર પાસે બે સમસ્યા હતી. પહેલી એ કે ન્યાયતંત્રનું કામ કાયદા અને બંધારણનાં પ્રકાશમાં ન્યાય તોળવાનું છે કે પછી પુરાતત્ત્વનાં આધારે ઇતિહાસમાં ઘટેલી ઘટનાઓની ઐતિહાસિકતા નક્કી કરવાનું છે? જજો કોઈ પુરાતત્ત્વવિદો નથી અને અદાલત જો પુરાતત્ત્વવિદોની મદદ માગે તો પણ એ અંતિમ અભિપ્રાય ન ગણાય. સમાજશાસ્ત્ર હેઠળ આવતા દરેક વિષય અર્થઘટન અને અભિપ્રાયના વિષયો હોય છે, એ કોઈ ગણિત નથી કે જેમાં જવાબ અફર હોય. અને બીજું જેમ નવા પુરાવાઓ મળતા જાય, નવા અભ્યાસ થતા રહે એમ અભિપ્રાય બદલાતા રહે. સો વરસમાં સીંધુખીણની સભ્યતા વિષે કેટલા બધા અભિપ્રાય બદલાયા છે અને હજુ બદલાતા રહેશે. સંશોધન અને અધ્યયન સતત ચાલતું રહે છે અને તેને આધારે અભિપ્રાય બદલાતા રહે છે. સમાજશાસ્ત્રના અધ્યનમાં અંતિમ કશું હોતું નથી.

૧૯૯૨માં બાબરી મસ્જીદ તોડવામાં આવી એ પછી પી.વી. નરસિંહ રાવની સરકારે સર્વોચ્ચ અદાલત પાસે આ શ્રદ્ધાના મામલામાં શું કરવું એ વિષે માર્ગદર્શન માગ્યું હતું જેને કાનૂની ભાષામાં પ્રેસિડેન્શિયલ રેફરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે ત્યારે કહ્યું હતું કે જે તે પક્ષની શ્રદ્ધા અને માન્યતા સાચી છે કે ખોટી એ ઇતિહાસ, પુરાતત્ત્વ, શાસ્ત્રો, પુરાણો, કાવ્યો, કિંવદંતીઓ વગેરેને આધારે નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું નથી. અદાલતનું કામ બંધારણ અને કાયદાનું અર્થઘટ કરવાનું છે અને તેનું પાલન થયું છે કે નહીં એ જોવાનું છે. કેન્દ્ર સરકાર વિકટ સમસ્યા અદાલતનાં આંગણામાં ધકેલવા માગતી હતી, પણ તેમાં તેને સફળતા મળી નહોતી.

બીજી સમસ્યા એ હતી કે કેટલાં વરસ જૂનાં વિવાદો અને ઝઘડાઓ અદાલતે સાંભળવાનાં? બાબરી મસ્જીદનો વિવાદ છસો વરસ જૂનો છે, કાલે કોઈ ઈસ્વીસન પૂર્વેનો વિવાદ લઈ આવે તો? આ દેશમાં વિવાદો અને ઝઘડાઓનો કોઈ પાર નથી. આનો સીધો જવાબ એ છે કે ૧૯૪૭ પહેલાંના જેટલાં કેસ અદાલતમાં પડ્યા હોય એ સાંભળવાનાં અને એ પછી જે આવે એ તો સ્વાભાવિક ક્રમે સાંભળવાનાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અમારા દાદા અમીચંદ સાથે કરેલો વાયદો પાળ્યો નહોતો એવો કોઈ દાવો અમીચંદના વારસદારો કરે તો એવો કેસ અદાલતમાં દાખલ ન કરી શકાય. બાબરી-મસ્જીદ રામજન્મભૂમિનો કેસ ૧૮૮૫ની સાલથી અદાલતમાં પડ્યો હતો અને ભારતને આઝાદી મળી ત્યાં સુધી તેનો નિકાલ નહોતો થયો એટેલે એ કેસ સાંભળવો પડે એમ હતો. પણ એ કેસ શેનો હતો? એ કેસ ટાઈટલનો હતો, શ્રદ્ધાનો નહોતો. નિર્મોહી અખાડા અને વક્ફ બોર્ડ વચ્ચે માલિકી હકનો એ કેસ હતો.

તો બસ, જવાબ સ્પષ્ટ હતો. અદાલતનું કામ ટાઈટલ નક્કી કરવાનું હતું. પણ એમાં એક સમસ્યા હતી અને એ હતી એડવર્સ પઝેશનની. એડવર્સ પઝેશનનો અર્થ એ કે માલિકી ગમે તેની હોય જો કોઈ મિલકત વર્ષોથી કોઈના કબજામાં હોય અને એ અને તેનાં વારસો તેનો ભોગવટો કરતા આવ્યા હોય અને સમયસર મૂળ માલિકે માલિકીનો દાવો ન કર્યો હોય તો મૂળ માલિક તેના પર માલિકીનો દાવો ન કરી શકે. મુંબઈમાં કે અમેરિકામાં વસતો પાટણનો વતની અદાલતમાં જઇને એવો દાવો ન કરી શકે કે બસો વરસ જૂની ફલાણી હવેલી અમારાં બાપદાદાઓની છે અને અમાંરા બાપદાદાઓએ તેને વેચી નહોતી એટલે કબજેદારો પાસેથી અમને તે પાછી મળવી જોઈએ. ન્યાયતંત્ર જો અતીતના દરવાજા ખોલે તો દેશમાં એક લાખ અદાલત પણ ઓછી પડે.

હવે બાબરી મસ્જીદ-રામજન્મભૂમિ જેવો જ એક કેસ, જેમાં એક તરફ ધાર્મિક શ્રદ્ધા અને બીજી તરફ એડવર્સ પઝેશનનો એક કેસ લાહોરની અદાલતમાં આવ્યો હતો અને એમાં અદાલતે એડવર્સ પઝેશનના હકને માન્ય રાખ્યો હતો.

લાહોરમાં નવલખા બજારમાં શહીદગંજ ગુરુદ્વારા છે જ્યાં ઈ. સ. ૧૭૯૯ની સાલ સુધી મસ્જીદ હતી. લાહોર સીખોના કબજામાં આવ્યું અને સીખોએ મસ્જીદ તોડીને ત્યાં ગુરુદ્વારા બાંધ્યું હતું. ૧૮૪૯માં અંગ્રેજોએ સીખ શાસનને ખાલસા કર્યું અને લાહોર અંગ્રેજોના કબજામાં આવ્યું. લાહોરના મુસલમાનોએ નવી સ્થિતિમાં ગુરુદ્વારાનો કબજો મેળવવા અદાલતમાં અરજી કરી. અદાલતે કહ્યું કે દાયકાઓ પછી મિલકતની માલિકી અને ભોગવટાને ઉલટાવી ન શકાય. મુસલમાનો ઉપલી અદાલતમાં ગયા, છેક પ્રીવી કાઉન્સિલ (સર્વોચ્ચ અદાલત) સુધી ગયા અને પ્રીવી કાઉન્સીલે બીજી મે ૧૯૪૦ના રોજ મુસલમાનોની એટલે કે વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી અને સીખોનાં એડવર્સ પઝેશનને માન્ય રાખ્યું. અહીં એક વાત નોંધવી જોઈએ કે ૧૭૯૯ની સાલમાં સીખોએ મસ્જીદ તોડી હતી એ હકીકત હતી, માન્યતા નહોતી અને છતાં ય ચુકાદો સીખોની તરફેણમાં આવ્યો હતો.

તો પછી ભારતના ન્યાયતંત્ર પાસે કયા વિકલ્પ હતા? શ્રદ્ધા અને માન્યતાઓના આધારે, શાસ્ત્રો અને પુરાણોના આધારે, ઇતિહાસ અને પુરાતત્ત્વીય પુરાવા તેમ જ અર્થઘટનોનાં આધારે અદાલત મિલકતની માલિકી નક્કી ન કરી શકે. ન્યાયતંત્ર માત્ર ટાઈટલ નક્કી કરી શકે અને એમાં વક્ફ બોર્ડ પાસે છસો વરસથી મિલકતનો કબજો હતો. વાસ્તવમાં અન્યની માલિકી હોવા છતાં એડવર્સ પઝેશનના આધારે કબજેદારનો માલિકીહક અદાલતે મંજૂર રાખ્યો હોય એવા એક નહીં સેંકડો ચુકાદાઓ અદાલતોએ ભારતમાં અને દુનિયાભરમાં આપ્યા છે.

ટૂંકમાં કાનૂની સ્થિતિ સાફ હતી. કોઈ સંદિગ્ધતા નહોતી, પણ નીચેથી લઈને ઉપર સુધી અદાલતો ચુકાદાઓ ટાળતી હતી. એટલે તો ૧૮૮૫થી કેસ અદાલતોમાં કેસ રખડતો હતો. ઓછામાં પૂરું હિન્દુત્વવાદીઓએ ૧૯૪૯ના ડિસેમ્બર મહિનામાં બાબરી મસ્જીદમાં મધરાતે ઘૂસીને રામલ્લાની તસ્વીર મૂકી દીધી અને બીજા દિવસથી પ્રચાર શરૂ કર્યો કે રામલલ્લા સ્વયંભુ પ્રગટ થયા છે. એ રીતે તેમણે મસ્જીદ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ એડવર્સ પઝેશનનો લાભ હિંદુઓને મળી શકે એમ નહોતો, કારણ કે વક્ફ બોર્ડે તરત એ કૃત્યને પડકાર્યું હતું અને સરકારે મસ્જીદને તાળાં મારી દીધાં હતાં.

તો વાત એમ છે કે બંધારણ અને કાયદાને અનુસરવામાં આવે તો અદાલત હિન્દુત્વવાદીઓની તરફેણમાં ચુકાદો આપી શકે એમ નહોતી. બીજી બાજુ હિંદુ બહુમતી દેશમાં, હિન્દુત્વવાદીઓની સરકાર હોય અને રામજન્મભૂમિને આટલો પ્રચંડ સંવેદનશીલ મુદ્દો બનાવાયો હોય ત્યાં મુસલમાનોની તરફેણમાં ચુકાદો આપવામાં પણ જોખમ હતું. ચુકાદાનો અમલ જ ન થાય અને ન્યાયતંત્ર અને કાયદાનું રાજ નિર્વીર્ય સાબિત થાય. માટે તો ૨૦૧૭ની સાલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરે બન્ને પક્ષને સલાહ આપી હતી કે આ મામલાનો ઉકેલ અદાલતની બહાર લાવવો જોઈએ. જો કે હિન્દુત્વવાદીઓ અદાલત સમાધાન કરવા માગતા નહોતા. એમાં બાંધછોડ કરવી પડે અને તેઓ બાંધછોડ કરવા માગતા નહોતા.

૨૦૧૯માં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યા પછી કેન્દ્ર સરકારનું સર્વોચ્ચ અદાલત પર દબાણ હતું કે તાત્કાલિક ચુકાદો આપવામાં આવે કે જેથી મંદિરનું નિર્માણ શરૂ કરી શકાય અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય. સરકાર અને હિન્દુત્વવાદીઓ એમ બતાવવા માગતા હતા કે છીનવી લીધેલી જમીન પર મંદિર બાંધવામાં આવ્યું નથી, પણ કાનૂની રીતે મેળવેલી જમીન પર મંદિર બાંધવામાં આવ્યું છે.

પાંચ ન્યાયમૂર્તિઓએ અલગ અલગ ત્રણ ચુકાદા આપ્યા હતા તેની બારીક વિગતોમાં જવાની જરૂર નથી. પાંચેય જજોએ જમીન હિંદુઓને ફાળવી હતી. પાંચમાંથી ત્રણ જજો વતી બહુમતી  ચુકાદો આપવામાં આવ્યો તે ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યો હતો. શું કહેવામાં આવ્યું હતું એમાં? ૧. મુસલમાનોએ મંદિર તોડીને ત્યાં મસ્જીદ બાંધી હતી એવો કોઈ પુરાવો હિંદુઓ રજૂ કરી શક્યા નથી. ૨. મસ્જીદ સાડા ચારસો વરસથી મુસલમાનોના કબજામાં હતી અને તેમને છેલ્લાં વરસોમાં તેનાથી વંચિત રાખવામાં આવ્યા હતા. ૩. બાબરી મસ્જીદ અવાવરુ હતી અને ત્યાં મુસલમાનો નમાજ નહોતા પઢતા એ દલીલ ખોટી છે. ૧૯૪૯ના ડિસેમ્બર મહિનામાં રામલલ્લાની તસવીર ઘૂસાડવામાં આવી તેના આગલા દિવસ સુધી બાબરી મસ્જીદમાં મુસલમાનો નમાજ પઢતા હતા. ૪. ૧૯૯૨માં મસ્જીદ તોડી નાખી એ ઘટનાને પણ અદાલતે નિંદનીય ઠરાવી છે. ટૂંકમાં ન્યાય મુસલમાનોના પક્ષે છે એવી મુસલમાનોની દરેક દલીલ સ્વીકારી છે, પણ જમીન હિંદુઓને આપી અને મુસલમાનોને દૂર મસ્જીદ બાંધવા પાંચ એકર જમીન આપી.

આ ન્યાય કહેવાય? બંધારણ અને કાયદાની દૃષ્ટિએ આ ન્યાય કર્યો કહેવાય? રહી વાત દેવીમાંની સલાહની તો શું દેવીમાંએ આવી સલાહ આપી હશે કે ન્યાય મુસલમાનોના પક્ષે હોવા છતાં જમીન સામેવાળા પક્ષને આપ? ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે બંધારણ, કાયદાનું રાજ અને ઈશ્વર એમ ત્રણેયનું અપમાન કર્યું છે. માટે જ પ્રારંભમાં કહ્યું એમ શીર્ષાસન કર્યું હોય તો પછી મૂંગા રહેવું જોઈએ. દેશમાં એક પણ બંધારણવિદ એવો છે જેણે સર્વોચ્ચ અદાલતના એ ચુકાદાની સરાહના કરી હોય? એક પણ નહીં.

ખેર, હિન્દુત્વવાદીઓની તરફેણમાં ચુકાદાઓ આપનારા ન્યાયમૂર્તિમાંથી ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ રાજ્યસભામાં ગોઠવાઈ ગયા છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણને નિવૃત્તિ પછી નેશનલ કંપની લો અપેલેટ ટ્રીબ્યુનલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના ગવર્નરપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. ન્યાયમૂર્તિ શરદ બોબડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કામ કરે છે અને ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ નિવૃત્તિ પછી ક્યાં સ્થાન પામે છે એ સમય કહેશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2024

Loading

બોક્સ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|23 October 2024

ધોમ ધખતો બપોરનો વૈશાખી તાપ ! અમદાવાદના બસ સ્ટેશને મહેસાણાની બસમાં ચડવા માટેની લાંબી લાઈન ! ત્યાં મંછીબા હાથમાંનું બોક્સ સાચવતાં સાચવતાં ધીરે ધીરે આગળ વધ્યાં. સહુ કોઈ પોતાનામાં વ્યસ્ત ને ગરમી અને ગિર્દીને કારણે ત્રસ્ત ! મંછીબાએ બસમાં પાછલાં બારણેથી પ્રવેશ કર્યો ! પોતાના હાથમાંનું બોક્સ છેલ્લી સીટની નીચે થોડું અંદર, થોડુંક બહાર દેખાય એવી રીતે સાચવીને મૂક્યું ને તેઓ આગળની હરોળમાંની સીટ ઉપર જઈ બેસી ગયાં! કંડકટર, ટિકિટ ટિકિટ કહેતો નજીક આવ્યો, મંછીબાએ એક મહેસાણાની ટિકિટ માગી, ત્યાં બીજા પેસેન્જરે કલોલની માંગી, કંડકટર પાછો વળીને બોલ્યો, ‘આ બસ સીધી મહેસાણા જ જશે. ક્યાં ય ઊભી નહીં રહે. એક્સપ્રેસ બસ છે, મહેસાણા સિવાયના બીજા પેસેંજરો ઉતરી જાવ.’

થોડી જ વારમાં બસ ઉપડી અને હજી માંડ મહેસાણા જવાના હાઈવે પર આવી, ત્યાં જ કન્ડક્ટરની નજર મંછીબાએ  મૂકેલાં બોક્સ પર પડી ! પેકેટને ચારે બાજુથી સફેદ અને કાળી ટેપથી ચુસ્તતાથી સીલ કર્યુ હતું ! એ જોતા જ કંડક્ટરે બસ ઊભી રખાવી. બસના પેસેન્જરો ગરમીને કારણે અકળાતા હતા. બસમાં બસની કેપિસીટી કરતાં વધુ પેસેંજરો હતા. પણ કન્ડક્ટર એ વાતની પરવા કર્યા વગર બસમાં સહુને પૂછવા લાગ્યો, “અરે, આ બોક્સ કોનું છે ? “કોઈએ પણ બોક્સ પોતાનું હોવાનો દાવો ન કર્યો. કંડકટર સહુની નજીક જઈને પૂછતો હતો કે આ નામ ઠામ વગરનું બોક્સ કોનું છે ? એ ગુસ્સે થઈને બોલ્યો, “અરે કોઈ ભસતું કેમ નથી? આ તો  કોઈએ જાણે બોંમ્બ મૂક્યો હોય એવું  દેખાય છે.”

કંડક્ટર બોક્સની બાજુમાં બેઠેલા લઘરવઘર દેખાતા વીસ બાવીસ વર્ષના યુવાનની ગળચી પકડી અને એ છોકરાને બે ચાર થપ્પડ મારી દેતા બોલ્યો, “સાલા, બોક્સની બાજુમાં બેઠો છે અને કહે છે, કે બોક્સ મારું નથી ! ક્યાંની ટિકિટ લીધી છે, બોલ ?” “સાહેબ, મેં તો મહેસાણાની ટિકિટ લીધી છે. હું સાચું કહું છું. આ બોક્સ મારું નથી.”

“કંડક્ટર બોલ્યો, “ચાલો બધા નીચે ઉતરો. જીવ વહાલો હોય તો ઉતરો નીચે. બસ ખાલી કરો. હું પોલીસને ફોન કરું છું. પોલીસને જાણ કરીને કહું કે બસમાં નધણિયાતું બોક્સ પડ્યું છે. શંકાસ્પદ લાગે છે.” કેટલાક પેસેંજરો ધક્કામૂક્કી કરતા નીચે ઉતરવા લાગ્યા. તેઓ ઉતરતાં પહેલાં રહસ્યમય લાગતા બોક્સ પર અચૂક નજર નાંખતા !

કંડક્ટર પોતે બસમાંથી ઉતરતા બોલ્યો, “ઉતાવળ કરો. મુંબઈની બસમાં ધડાકો થયો હતો તે શું તમે ભૂલી ગયા ?” મંછીબાને બેઠેલાં જોઈ તેણે કહ્યું, “માજી, હેઠા ઉતરો. આ હમણાં ધડાકો થશે !”

મંછીબા બોલ્યાં, “શું કહ્યું ભઈ ? મેં તો  મેહાણાની ટિકિટ લીધી સે.”

પાછળથી કોઈ બોલ્યું, “હવે, ભઇ, ભઇ કર્યા વગર હેઠા ઉતરો ! બસના પેસેન્જરોમાં નીચે ઉતરવા માટે પડાપડી થવા માંડી ! એ પેસેન્જરમાં મનીષ નામે એક પત્રકાર પણ હતો. એ આતંકવાદ ઉપર પેપર તૈયાર કરી રહ્યો હતો. તે લખવામાં મશગુલ હતો. તેણે લખ્યું હતું, યુદ્ધ શા માટે ? આતંકવાદ અને જાતિવાદ દ્વારા થતી વેરની વસૂલાત કોના માટે? કોણ ક્યારે કઈ રીતે આતંકવાદ ફેલાવશે તે કહી શકાતું નથી. જુઓ ને હું જે બસમાં બેઠો છું ત્યાં એક નધણિયાતું બોક્સ પડ્યું છે, અને બધા જ ગભરાઈ ગયા છે. દરેક સ્થળે, દરેક જણ ભયના ઓથાર હેઠળ જીવે છે ! સ્માર્ટ ફોનમાં એનું આ વાક્ય પૂરું થાય તે પહેલા કોઈ બોલ્યું, “હવે  ફોન ખીસ્સામાં મૂકો ને હેઠા ઉતરો, બસ ભેગા ઉડી જાશો!” મનીષ તરત જ પોતાના સામાન સાથે ઉતરી પડ્યો .. મંછીબા બધાને ઉતરતાં જોઈને બોલ્યાં, “આ બધા ચ્યમ હેઠા ઉતરે સે ?” કોઈ સમજુ પેસેન્જરને થયું, આ માજીનું ક્યાંક ચસકી ગયું ! કાં તો એ સાંભળતાં નહીં હોય. એમણે ઊંચા અવાજે કહ્યું , “માજી, હેઠા ઉતરો.”

મંછીબાએ કહ્યું, “હોવ્વ ભઈ, મેહાણા જવું  સે !” એ ભાઈ નજીક જઈને બોલ્યા, “માજી, નીચે ઉતરો. મહેસાણા ભેગા થતાં થશો. આ હમણાં ધડાકો થયો જ સમજો.” અને ભાઈ ઉતરી ગયા ! મંછીબા પેસેન્જરને ઉતરેલા જોઈ સમજી ગયાં કે બસ હવે નથી ઉપડવાની. તેઓ ઊભા થયાં. એમણે બસની સીટ નીચે સંભાળીને મુકેલું બોક્સ સાચવીને બહાર કાઢ્યું, ને તેઓ નીચે ઉતર્યાં. સૌ આશ્ચર્યથી  જોઈ જ રહ્યા ! મંછીબાએ બોક્સ સંભાળીને  પકડ્યું હતું ! તેઓ બીજા હાથે બસનો દાંડો પકડીને બસમાંથી ઉતરવા માંડ્યાં ! એમને આમ બોક્સ સાથે ઉતરતાં જોઈ, એક પેસેંજરે મંછાબાની નજીક જઈ પૂછ્યું, “માજી, આ બોક્સ તમારું છે ?” એમણે કહ્યું , “હોવ્વ  ભઇ.”

“માજી તમે  તો બધાંને ભડકાવી માર્યાં, એમાં શું છે?”

 મંછીબા, પ્રસન્ન વદને બોલ્યાં, “બંગડીઓ સે !”

બોસ્ટન, અમેરિકા
e.mail : mdinamdar@hotmail.com

Loading

...102030...378379380381...390400410...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved