Opinion Magazine
Number of visits: 9694408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંદ સાંસેં ખરીદને કે લિયે, રોજ થોડી સી ઝિંદગી બેચી

તેજસ વૈદ્ય|Opinion - Literature|19 August 2015

રશિયન દાર્શનિક લિયો ટોલ્સ્ટોયે દાયકાઓ અગાઉ કેટલીક એવી માર્મિક વાતો પોતાના પુસ્તકોમાં રજૂ કરી હતી જે હવે વધારે પ્રસ્તુત થવા માંડી છે. ધનવૈભવ અને સાહ્યબીમાં ઉછરેલા ટોલ્સટોય યુવાનીમાં અચાનક મજૂરી કરવા માંડ્યા હતા. મોસ્કોની ગલીઓમાં દારુણ ગરીબી નિહાળ્યા પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું. તેમને થયેલા વલોપાતને તેમણે 'વોટ શેલ વી ડૂ ધેન?' પુસ્તકમાં ઠાલવ્યો હતો. એ પુસ્તક ઉદારીકરણ અને ઉપભોક્તાવાદના આજના દોરમાં વધારે પ્રસ્તુત છે. માળખાગત હિંસાને વ્યવસ્થાનો ભાગ માની બેઠેલા લોકોનો કાન ખેંચીને ટોલ્સ્ટોય તેમની સામે ટોર્ચ ધરે છે.

રશિયન લેખક લિયો ટોલ્સ્ટોય આ સદીના મહાન સાહિત્યકારોમાંના એક છે. તેમની બે નવલકથાઓ 'વોર એન્ડ પીસ' અને 'એન્ના કેરેનીના' જગતની ઉત્કૃષ્ટ નવલકથાઓમાં સ્થાન પામે છે. ટોલ્સટોય ભરજુવાનીમાં દોમદોમ સાહ્યબી છોડીને મજૂરી કરવા માંડયા હતા. એ વખતે તેમના મનમાં વિચારોનું જે વાવાઝોડું સર્જાયું હતું એ તેમણે 'વોટ શેલ વી ડુ ધેન?' પુસ્તકમાં કેન્દ્રિત કર્યું છે.

પુસ્તક એને કહેવાય જે તમારી ઊંઘ બગાડી નાખે. મગજમાં વિચારોના ઝબકારા ઝગવી દે અને ચેતોવિસ્તાર કરે. અલબત્ત, કોઈ એક પુસ્તકથી કોઈની લાઇફ બદલાતી નથી. એટલું ખરું કે વ્યક્તિના વૈચારિક વિકાસમાં કેટલાંક ચોક્કસ પુસ્તક ચાવીરૂપ ભૂમિકા ભજવતાં હોય છે. વ્યક્તિ સુસંસ્કૃત કે સભ્ય થવામાં બે-ચાર ડગલાં આગળ વધે એમાં કેટલાંક પુસ્તકો ભૂમિકા ભજવતાં હોય છે. માનવસભ્યતા પાંગરી છે. એમાં ઘણાં પુસ્તકોનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ઘણાંમાંનું આવું એક નોંધપાત્ર પુસ્તક એટલે 'વોટ શેલ વી ડુ ધેન?'. એમાં ટોલ્સટોયે રશિયાની સામાજિક સ્થિતિ વિશેનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે મોસ્કોમાં રખડીને ત્યાંની ગરીબી જોઈને જે ચિત્કાર અનુભવ્યો હતો તે પુસ્તકમાં ઠાલવ્યો હતો. રશિયા કે મોસ્કો તો એમાં દૃષ્ટાંતરૂપ હતા, પણ તેમાં જે પરિસ્થિતિ ને સવાલો હતા એના કેન્દ્રમાં જગત સમગ્ર હતું.

એક સદી પહેલાં લખાયેલા એ પુસ્તકમાં જે પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે ઊલટાના વધારે પ્રસ્તુત છે. ૧૯૯૨માં દેશમાં આર્થિક ઉદારીકરણ થયું એ પછી તો આપણા દેશમાં એ પુસ્તક સવાયું પ્રસ્તુત બની ગયું છે.

ટોલ્સ્ટોય મૂળે જમીનદાર પરિવારના હતા. પૈસેટકે એકદમ સંપન્ન હતા. જીવનના એક તબક્કે તેઓ પોતાના તમામ વૈભવી ઠાઠ અને એશઆરામને ખંખેરીને મજૂરી કરવા લાગ્યા હતા. તેમણે લાઇફમાં આમૂલ પરિવર્તન શા માટે કર્યું એનાં કારણ તેમણે એ પુસ્તકમાં દર્શાવ્યાં છે. મોસ્કોની ગલીઓમાં દારુણ ગરીબી જોયા પછી તેમને થયું કે આના માટે હું પણ ક્યાંક જવાબદાર છું. તેમને લાગ્યું કે લોકો ગરીબીમાં સબડે છે એનું કારણ અમીરોની વૈભવલાલસા છે. તેઓ લખે છે, "મારી બુદ્ધિથી કે હૃદયથી નહીં પણ મારા પરમાણુથી સમજ્યો કે મોસ્કોમાં આવા હજારો માણસો હોય અને હું મારા જેવા સેંકડોની સાથે માલમસાલા ઉડાવતો રહું, મારા ઘરની ભોંય પર ભરતકામવાળી જાજમો હું બિછાવું ને મારા ઘોડાઓ પર ભભકાદાર સામાન ચડાવું એ ગુનો છે. ભલે જગતના ડાહ્યા માણસો આવી અસમાનતાની આવશ્યકતા વિશે મને મોટાં મોટાં વ્યાખ્યાનો સંભળાવે. આ ગુનો એક જ વાર થઈને અટકતો નથી, પણ નિરંતર થતો જ રહે છે. એ ગુનો હું કેવળ સાંખી લઉં છું એમ નથી, પણ મારા મોજશોખો વડે તેમાં હું સીધો ભાગ ભજવું છું. જ્યાં સુધી મારી પાસે વધારાનું ખાવાનું છે અને બીજા કોઈક પાસે જરાયે નથી, જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે ને બીજા કોઈક પાસે એકેય નથી ત્યાં સુધી નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર છું."

ઉદારીકરણ પછી દેશમાં ઉપભોક્તાવાદ ફૂલ્યોફાલ્યો છે. માણસ બજારમાંથી વસ્તુઓ ખરીદે છે કે બજાર માણસની બોલી લગાવે છે એ ખબર પડતી નથી. આધુનિક ઉપભોક્તા-ભદ્ર સમાજ એટલે એવા લોકો જે પોતાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છે. માનવીય બાબતોનાં ધારાધોરણ જળવાઈ રહે એ માટે સહયોગ તેમ જ પ્રસંગ પડયે સક્રિય વિરોધ એ તેમનો સ્વભાવ નથી. સમાજમાં 'સ્ટેટસ'ની બોલબાલા છે. સોસાયટીમાં ફલાણી રીતે જ રહેવાનું, કોઈની અંગત બાબતમાં માથું નહીં મારવાનું, બાજુના ફ્લેટમાં ઝઘડો ચાલતો હોય તો નહીં જ જવાનું, પછી ભલે પતિ પત્નીને મારતો હોય. લોકો જીવે છે કે એક પ્રકારની ઇમેજ મેઇન્ટેઇન કરે છે એ જ ખબર નથી પડતી. એક પ્રકારનું ચોક્કસ વર્તુળ બની જાય અને લોકો એને જ વફાદાર રહે છે. એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. જેના પર ટોલ્સ્ટોયે આંજી નાખે એવી ટોર્ચ ફેંકી છે.

જેની તમામ સગવડ સચવાતી હોય અને ઘરમાં વૈભવલાલસા પથરાયેલા હોય એવો વર્ગ દરેક ગામ અને શહેરમાં અત્યંત ઓછો જ હોવાનો. નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબોની સંખ્યા પ્રમાણમાં ખાસ્સી હોવાની. એક દાખલો લઈએ. શહેર અને ગામની બહાર ક્યારેક અચાનક ઊભી થયેલી વસ્તી તમને જોવા મળશે. વણઝારા જેવા એ લોકો સપરિવાર ઝૂંપડાં બાંધીને થોડા દિવસો કામચલાઉ ધોરણે રહે છે. એ વસ્તીનાં બહેનો અને ભાઈઓ સવારે ઊઠે ત્યારથી મજૂરીએ લાગી જાય છે. ગધેડાં પર રેતી સારવી. બિલ્ડિંગો બનતી હોય ત્યાં તગારાં ભરીને ચોથે-પાંચમે માળે પહોંચાડવાં, રસ્તાઓ ખોદવા, ડામર પાથરવા જેવાં કામો તેઓ કરે છે. ત્યાં સ્ત્રી-પુરુષ સમાનતા પણ જોવા મળે છે. મહિલાઓ પણ આ મજૂરીમાં જોતરાયેલી હોય છે. તેમનાં બાળકો રઝળપાટમાં મોટાં થાય છે. મજૂરી કરતાં એક વર્ગના લોકોનો આ એક દાખલો થયો.

આ સિવાય ગામ કે શહેરમાં રહેતાં ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગના લોકો મોટા પાયે રહે છે અને રોજ સંઘર્ષમાંથી જ પસાર થાય છે. દેશમાં ૪૦ ટકા કરતાં વધુ લોકો ગરીબી રેખા તળે જીવે છે ત્યારે તમારે સમજી જવાનું કે દેશમાં લોકો કેવી રીતે જીવે છે. સપનાં, મહત્ત્વાકાંક્ષા જેવા શબ્દો તેમના માટે અજાણ્યા ગ્રહના છે. માત્ર 'ટકી રહેવું' એવા દીવા જેવા સ્પષ્ટ ઉદ્દેશ સાથે તેઓ જીવતા હોય છે. જાણીતી ગઝલનો એક શેર છે, 'ચંદ સાંસેં ખરીદને કે લિયે, રોજ થોડી સી ઝિંદગી બેચી'. રોજ કેટલાંક શ્વાસ મળી રહે એ માટે જીવનનો એક મોટો ટુકડો રોજી કમાવા ખાતર પાણીના ભાવે વેચતા લોકોની સંખ્યા કરોડોમાં છે. એ લોકોને શિંગડાં કે પૂંછડાં નથી. એ લોકો માણસો જ છે, પણ તેમને માણસ ગણવામાં આવતા નથી. ઉદારીકરણ-ગ્લોબલાઇઝેશનનો સમાજના અમુક વર્ગને જ લાભ મળ્યો છે. દેશનો મોટો વર્ગ એવો છે કે એનાથી વંચિત છે. એ લોકો અલગ છે એવી એક અદૃશ્ય છતાં સ્પષ્ટ એવી ભેદરેખા સમાજે દોરી છે અને તેમને પણ એ ખબર હોય છે. તેમના પ્રત્યે સમાજને સહાનુભૂતિ હોય છે. દાયકાઓ થયા છતાં સમાજની સહાનુભૂતિ એટલી સક્રિય નથી બની કે તેમને તેમના હકનો રોટલો મળે. તેઓ માત્ર ટકી રહે એવું નહીં, પણ તેમને જીવવા જેવું લાગે એવું જીવન મળે.

દેશનો વંચિત અને ગરીબ વર્ગ એ સમાજે કરેલી પ્રચંડ પ્રગતિ સામે ઊભા થયેલા સવાલો છે. વંચિત માત્ર એ નથી જેને તક મળી નથી, વંચિત એ પણ છે જેનામાં લાયકાત હોવા છતાં તક મળી નથી. તેની તક અન્યને મળી ગઈ છે, જરૂરી નથી કે એ મેળવનારમાં આવડત હોય જ. કોઈ એક વ્યક્તિ નાના સેન્ટરમાં રહે છે અને આવડત હોવા છતાં આગળ આવી શકતી નથી અને કોઈ વ્યક્તિ ઓછી આવડત છતાં એટલા માટે આગળ આવી જાય છે કે તે મોટા સેન્ટરમાં રહે છે, તો એ એક પ્રકારની હિંસા કહેવાય. એક વ્યક્તિ જ્યાં છે અને જ્યાં પહોંચી શકે એમ છે, છતાં ત્યાં નથી પહોંચી શકતી એનું નામ જ માળખાગત હિંસા. દેશની ગરીબી અને વંચિતતાનાં મૂળિયાં આ માળખાગત હિંસામાં છે. માળખાગત રીતે જે પ્રગતિ કહેવાય છે કે ધનિકોના જે મોજમજાના મુકામો છે એમાં ગરીબો-વંચિતોની મૂંગી અકળામણ રોપાયેલી હોય છે, જેના તરફ સમાજના ધનિક તેમ જ ધ ગ્રેટ ઇન્ડિયન મિડલ ક્લાસે હંમેશાં આંખ આડા કાન કર્યા છે. ટોલ્સ્ટોયનું પુસ્તક તેમને દીવો ધરે છે. એ લોકોનો કાન ખેંચીને વંચિત લોકોની અકળામણ તરફ મોં ધરે છે.

ટોલ્સ્ટોય લખે છે, "આપણે એમ ધારીએ છીએ કે આ બધું ગરીબ લોકોને સ્વાભાવિક જણાતું હશે. કેટલાંક એવા ઉસ્તાદો પણ પડેલા છે જેઓ ગંભીરતાપૂર્વક કહે છે કે આપણા મોજશોખમાંથી ગરીબોને રોજી મળે છે અને તેથી ગરીબો આપણો અહેસાન માને છે, પણ ગરીબ (વંચિત) લોકો ગરીબ છે એટલા માટે તેમનામાં સાધારણ અક્કલ પણ નથી તેવું તો નથી જ. તેઓ પણ આપણી માફક વિચારી શકે છે. જેમ કોઈ માણસને જુગારમાં કે બીજી રીતે દસ-વીસ હજાર રૂબલ (રશિયાનું નાણું) ગુમાવ્યાનું સાંભળીને આપણને તત્ક્ષણ જ એમ લાગે છે, "કેવો મૂરખ! આટલી મોટી રકમ નકામી ગુમાવી! મારા જેવા પાસે એટલી રકમ હોય તો હું તેનો કેવો સદુપયોગ કરું? મારું મકાન કેટલાંક વખતથી સમારકામ કરાવવાનું છે તો એ કરાવું. બીજું ઘણું કરું." પોતાની આસપાસ ધનને વગર વિચાર્યે ઉડાવાતું જોઈને ગરીબ લોકોને પણ એ જ પ્રમાણે વિચાર વધારે આવે છે, કારણ કે તેમને ધનની જરૂર પોતાનો કોઈ શોખ પૂરો કરવા માટે નહીં પણ પોતાની તાકીદની જરૂરિયાતો પૂરી કરવા માટે હોય છે. એક વર્ગ કાયમ આરામ જ કરે અને માલમલીદા ઉડાવે અને બીજો વર્ગ રોજ મહેનત કરે તથા ભૂખે મરે એ યોગ્ય છે એવું તે લોકોએ ક્યારે ય સ્વાકાર્યું જ નથી અને કદી સ્વીકારવાના નથી."

ટોલ્સ્ટોય પોતાના જીવનને તપાસવા લાગ્યા હતા તેમ તેમ તેમની ગુનાઇત ભાવના વધુ ને વધુ બળવત્તર થતી હતી અને રસ્તો જડતો ન હતો. તેઓ લખે છે, "પછી અમારું જીવન હું વધારે તપાસવા લાગ્યો તો મને જણાયું કે આ લોકો સાથે ગાઢા સંબંધમાં આવવું એ અમારે માટે મુશ્કેલ હતું. તે કોઈ આકસ્મિક કારણને લીધે નહીં, પણ અમે ઇરાદાપૂર્વક અમારું જીવન જ એવું ગોઠવ્યું હતું કે આવો સંબંધ બંધાઈ જ ન શકે. અમારા શ્રીમંતોના જીવનને એક બીજી જ બાજુથી તપાસતાં મને જણાયું કે, અમારા જીવનમાં જે બધું સારું ગણાય છે તે તમામ ગરીબોથી અમને બને તેટલા અળગા રાખનારું છે. ખરેખર અમારો શ્રીમંતોનો બધો પ્રયાસ, અમારું ખાવું, પહેરવું, ઓઢવું, રહેવું, કેળવણી – બધામાં મુખ્ય હેતુ ગરીબોથી અળગા રહેવાનો હોય છે."     

ટોલ્સ્ટોયને હાલના સંદર્ભમાં વિચારવાની જરૂર છે. ટોલ્સ્ટોયે એ જ વાત કહી છે જે રવિશંકર મહારાજે અને પ્રકાશ બાબા આમ્ટેએ જીવી બતાવી છે. ટોલ્સ્ટોયનાં થોથાંને એક જ વાક્યમાં કહેવું હોય તો રવિશંકર મહારાજના શબ્દોમાં જ કહી શકાય. 'ઘસાઈને ઊજળા થઈએ'.

લિયો ટોલ્સ્ટોયે લખેલું એ પુસ્તક માનવજાત સામે મહત્ત્વપૂર્ણ સવાલો ઉઠાવે છે. ગુજરાતીમાં એ 'ત્યારે કરીશું શું?' નામે અનુદિત થયું છે. નરહરિ દ્વારકાદાસ પરીખે એનો આત્મા પકડીને બેનમૂન અનુવાદ કર્યો છે. અનુવાદ કેવો હોવો જોઈએ એ સમજવા માટે પણ એ વાંચવું જોઈએ. મહેન્દ્ર મેઘાણીએ એનો સંક્ષેપ પણ તૈયાર કર્યો છે. ટોલ્સ્ટોયનું એ પુસ્તક સમજવામાં ભારેખમ છે. ધીરજના ધજાગરા ઉડાવી દે એવું છે, પણ એક વખત તેમાંથી પસાર થાવ એટલે બુદ્ધની ગુફામાંથી જ્ઞાન મેળવીને બહાર આવ્યા હોઈએ એવું લાગે.

એક વખતની આપણી શ્રમપ્રધાન કાર્યસંસ્કૃિત દિવસે ને દિવસે આળસપ્રધાન થતી જાય છે. કોઈ પણ લાભ આપણે ઓછી મહેનતે કેમ મેળવી શકીએ એ જ જીવનનું લક્ષ્ય બનવા માંડયો છે. પૈસા કમાવા એ કોઈ ટીકાપાત્ર બાબત છે જ નહીં, મુદ્દો એ છે કે ગમે તે ભોગે પૈસા કમાવા એ હિંસા છે. બધાની ખેવના માત્ર પૈસા કમાવાની નથી, પણ ઓછી મહેનતે વધુ પૈસા મેળવવાની છે. બધાં પાપની શરૂઆત આ ઓછી મહેનતની વૃત્તિમાંથી શરૂ થાય છે. પૈસા બનાવવા માટે મૂલ્યોનો હ્રાસ થાય તો એને મેનેજમેન્ટ, ટાર્ગેટ, બિઝનેસ સ્ટ્રેટેજી એવાં રૂપકડાં નામ આપવામાં આવે છે. એક માણસ બીજા માણસને ટોપી કેમ પહેરાવી દે એને આવડત ગણવામાં આવે છે! બીજી તરફ એક એવો મોટો વર્ગ છે જેને પોતાના હકનું ય નથી મળતું. માણસ પશુમાંથી માણસ થયો ત્યારે કહેવાયો જ્યારે એની ચેતના અને વિવેકબુદ્ધિએ વિકાસ કર્યો. સમાજ સ્થાપનાનો ઉદ્દેશ જ એ છે કે વ્યક્તિમાં ઉત્તરોત્તર સારપ કેળવાય અને ભેદ મટે, પણ અફસોસ કે જે રીતે ચિત્ર ઊભું થયું છે એ જોતાં કહી શકાય કે માણસ ફરી રિવર્સ ગિયરમાં પશુ જ બની રહ્યો છે. ફરક એટલો છે કે એ સોફેસ્ટિકેટેડ પશુ થઈ રહ્યો છે.       

પૈસો પૈસાને ખેંચે અને માણસને?

એક વર્ગના લોકો બીજા વર્ગના લોકોને ગુલામીમાં જકડી રાખે છે, તેનું કારણ પૈસો જ છે. એક માણસ બીજાના માટે આખો દિવસ વૈતરું કરે, પેટપૂરતું ખાવાનું પણ ના પામે, પોતાના બાળબચ્ચાંને પણ સખત કામમાં જોતરે, પોતાની જમીન ખોઈ બેસે અને આખી જિંદગી કંટાળાભરેલી તથા પોતાને જે વસ્તુની જરૂર ન હોય એવી વસ્તુઓ તૈયાર કરવાની મજૂરી કરવામાં ગાળે, કારણ કે તેને જીવન ટકાવવા માટે સમાજ અને સરકારે નક્કી કરેલા વિનિમયનાં સાધન એટલે કે પૈસાની જરૂર છે. એકંદરે નિર્દોષ લાગતું આ સાધન જાલીમોનું શસ્ત્ર છે, કારણ કે જેમની પાસે પૈસા છે તેઓને પૈસા વગરના લોકોને નિચોવવાનો અને તેમનું તેલ કાઢવાનો હક મળી જતો હોય છે.

– ટોલ્સટોય

દૂધમાં ખારો કાંકરો

કાકા કાલેલકરે એ ટોલ્સ્ટોયના પુસ્તક 'વોટ શેલ વી ડુ ધેન? – ત્યારે કરીશું શું?' કાકા કાલેલકરે એ પુસ્તક વિશે કહ્યું છે કે, "એ ચોપડી નથી પણ એક અત્યંત સમભાવી હૃદયનો વલોપાત છે. જીવનશુદ્ધિની રહસ્યભેદી શોધ છે અને મહાવીરને છાજે એવો આર્યસંકલ્પ છે. ટૂંકમાં કહીએ તો કારુણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને માધુર્યનું એ એક ઓજસ્વી રસાયણ છે. એનો પરિચય ન અપાય, એની ઉપાસના થાય, એનું સેવન થાય."

કાકા કાલેલકર આગળ લખે છે, "એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગૃત કરે છે, અસ્વસ્થ કરે છે, ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમજાના દૂધમાં પશ્ચાત્તાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની સાપ્તાહિકી કોલમ, “સંદેશ”, 19 અૉગસ્ટ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3113145

Loading

What did Colonialism do to India ?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|18 August 2015

A video of Shashi Tharoor speaking at Oxford on a debate related to the colonial period has been ‘viral’ on the social circuit for a while. In this video Tharoor makes a passionate plea to the British that they make reparations for the losses to Indian economy during the British rule. He puts the blame of India’s economic decline on the British and also recounts Jalianwala Bag, Bengal famine as the major highlight of British rule which reflected the attitude of British towards this colony of theirs’. Tharoor points out that resources from India were used by British to build there economic prosperity and to fund their Industrial revolution.

However, Dr. Manmohan Singh (2005), the previous prime minister, had made a very different kind of argument. In this Dr. Singh as a guest of British Government extols the virtue of British rule and gives them the credit for rule of law, constitutional government, and free press as the contributions which India benefitted from.

So where does the truth lie? Not only the context and tone of the speeches by these two Congressmen is totally different, the content is also totally on different tracks. Dr. Singh as the guest of the British Government is soft and behaving as an ideal guest and points out the contributions of the British rule and there is some truth in that. Tharoor as an Indian citizen with memory of the past; is narrating the plunder which this country suffered due to the British rule. He is also on the dot. These are two aspects of the same canvass. What Tharoor is saying is the primary goal of British and what Dr. Sigh is stating is an incidental offshoot.

British (East India Company) did come here looking for markets for their industrial products, gradually went on defeating one after another king, ruling in different areas and brought the whole subcontinent under a single rule, which became one of the ‘Jewel in the Crown’ for British as the whole wealth, raw material, resources from India were pumped out to Britain. In order to achieve this goal they did go on to introduce railways, communication network-postal, telegraph-telephone and modern administrative system and modern education to create the assistants for their officers ruling here.

The lacuna in our systems were primarily because the primary goal of British was to plunder the country and as an incidental thing; as by product; the new institutions, rule of law and later some reforms against ghastly social practices also began (like abolition of Sati). Perceptions do matter while Singh and Tharoor are talking of the same phenomenon from two different angles. The third angle is the one that was articulated by British themselves. British presented their rule as part of “Civilizing mission of the East”! There is very little truth in this, but it can be said that British also did help in the process of social reforms at times.

The major point which is unseen in these perceptions is one which had dangerous consequence on the social-political scenario and that was- British planted the seeds of divisive politics. As such broadly speaking the colonial-imperialist rule sows the seeds of ‘divide and rule’ and in this subcontinent they did it with gay abandon. In the wake of 1857 revolt, when the British East India Company’s rule was shaken, British identified existence of two major religious communities where the wedge could be driven. This is where they introduced communal historiography as a part of ‘divide and rule’ policy. James Mill with his ‘History of British India’ periodized the history on communal lines (Ancient Hindu Period, medieval Muslim period and modern British period). Supplementing this were Elliot and Dawson with ‘History of India as told by her historians’, which reduced the history to the eulogizing account of the courtiers of the kings. These played a major role in deepening the communal understanding of the past.

At social level we see emergence of modern classes, industrialists-workers and modern educated classes while the old classes of feudal lords and kings survive though with some reduced influence. The modern classes came forward to build up anti colonial movement; this movement led by Gandhi with people from all regions, religions, men and women both is what built modern India on the infrastructure of industrialization-modern education. This movement tied the people together in the bond of ‘Indian-ness’ and had imbibed the values of the central pillars of transformations of caste and gender relations. The latter aspects most highlighted by Jotirao Phule, Bhimrao Ambedkar and Periyar Ramasamy Niacker on one side and introduction of girls education with Savitribai Phule opening the girls school on the other. This group underlined that ‘India is a nation in the making’.

On the other hand the declining sections of landlords-kings, both Hindu and Muslim, threatened by the modern changes and seeing the rise of their vassals who were escaping from their grip, shouted that their religion is in danger. They upheld the communal historiography introduced by British. Muslim elite gradually came to form Muslim League. For them the raison d’être of their coming together was Islam being in danger. They held that here the Muslim Nation had been there since the time Muhammad bin Kasim had won over Sindh from Hindu Daher in eighth century and so they have to work for creation of a Muslim nation. That’s how they remained aloof from the freedom movement, which was aiming at the Secular democratic India.

The Hindu landlords Kings in due course came to form Hindu Mahasabha and then RSS. For them this had been a Hindu nation from times immemorial and Muslims and Christians are the alien invaders. They also remained aloof from freedom movement and harped on building Hindu nation in contrast to the goal set by National movement, that of secular democratic India. They constructed their own history of a glorious past of the Hindu rulers and its corruption by the Muslim invaders. Gradually they came to construct the ideology that all the ills of Hindu society are due to the Muslim invaders.

While the national movement brought together the people of all the regions, religions, castes: women and men both, the communal streams nurtured the seeds of divisiveness sown by British, and this is what led to communal violence and later the tragic partition of the country. Here also what is generally analyzed mostly is the fault of leader A or B for partition while overlooking the fact that partition was the part of continuing British policy, to have their interests preserved in the sub continent and that’s how they played their cards well enough to create a situation where partition became an inevitable calamity.

If one has to point the major problem which the British rule introduced; apart from the impact on the socio economic life of the sub continent; it is undeniably letting the feudal classes-kingdoms to continue in the face of changing scenario of industrialization-modern education. So in the sub continent on one side we see the emergence of the values of Liberty, Equality, and Fraternity as an ideology of the emerging classes, while the feudal ideology of ‘caste and gender hierarchy’ persists as the flag-mast of declining sections of society which came to be represented in the communal organizations, Muslim League, Hindu Mahasabha and RSS. These declining groups construct the ideology of ‘Religion based Nation state’ which is a unique synthesis of feudal values with the modern concept of nation state, their communal politics is a modern phenomena but derives its identity from as ancient as time as possible. As neither Hindu nor Muslim nor Christian Kings were ‘religious nationalist’ so to say; as actually they presided over on the empires based on taxation of the toiling peasants in their kingdoms. Their goals of power-wealth were written on their sleeves; sometimes they adorned the masks of Dharmyudh, Jihad or Crusade for their ambitions of expanding power.

So during freedom movement we see those working for anti colonial movement are saying, ‘India as a nation in the making’ the concept which runs parallel to modernization in transport, industrialization, education and administration in particular. Muslim League said we have been a Muslim nation from eight century and Hindu Mahasabha-RSS asserting that we are a Hindu nation from times immemorial Muslim league derives identity from the Kings’ rule while Hindu Mahasbha-RSS project the concept of nation to times when people were having pastoral pattern and later made a transition to settled agriculture.  For the communalists the major transition of industrialization and modern education is of no consequence.

While the declining classes do eulogize the kings of their religions, it is interesting that none of the kings in the history set out to spread his religion, they set out to expand their empires. To make this rule grounded there of course is an exception, Emperor Ashok who did spread his religion.

Today we cannot say what might have been the course of History had India not been colonized, what patterns of Industrialization-modernization would have taken place, but one thing can be hypothesized that this communal politics, abuse of religions’ identity for political goals might not have been here to torment us, to kill and maim the innocents, may not have been ruling our streets and asserting for authoritarian structures right within the democratic institutions which the country has nourished from last six decades.

So while Tharoor and earlier Manmohan Singh are pointing to two supplementary aspects of British rule, we also need to delve deeper and see the result of their policies which gave rise to communal politics, the politics which is tormenting South Asia as a whole and India is witnessing the worst in the form of Hindu Nationalism, Hindutva which is dominating the political ideology.

# Colonialism, Shashi Tharoor, Hindu and Muslim Nationalism, Gandhi, Indian Nationalism

Loading

નારાયણ દેસાઈ

સુદર્શન આયંગાર|Profile|17 August 2015

“ટુમોરો વી વિલ પિક અપ સૉલ્ટ”, નવમી ડિસેમ્બરે વહેલી સવારે આઠેક વાગે તેમના વ્યાખ્યાનના અંતિમ શબ્દો હતા. વિદેશી જિજ્ઞાસુઓ માટે ‘ગાંધીજીની અહિંસા અને પ્રયોગ’ નામક ચાર મહિનાના અભ્યાસક્રમનો પ્રારંભ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૨૦૧૦થી થયો છે. પ્રતિવર્ષ આ અભ્યાસક્રમમાં જોડાયેલું જૂથ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીમાં નારાયણભાઈની નિશ્રામાં બે સપ્તાહના શિબિરમાં જોડાય. રોજના કાર્યક્રમમાં નારાયણભાઈનું એક વ્યાખ્યાન સવારે સાતથી આઠ દરમિયાન અચૂક થાય. શિબિરાર્થીઓ વ્યાખ્યાન સાંભળવા આતુર હોય. ૨૦૧૪ના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું જૂથ પહેલી ડિસેમ્બરેથી વેડછી પહોંચ્યું હતું. નવમી ડિસેમ્બરને સવારે નારાયણભાઈએ કાર્યક્રમ પ્રમાણે સવારનો વર્ગ લીધો. બધું સામાન્ય રીતે ચાલતું હતું. સ્વાસ્થ્ય સ્થિર અને તબીબ દીકરી સંઘમિત્રાની નજરે બરાબર હતું.

દસમી ડિસેમ્બરના રોજ કુટુંબની એક દીકરી, જે મળવા આવેલી, તે અમેરિકા જવા નીકળી. સંઘમિત્રાબહેન તેને મૂકવા મળસ્કે ૩.૩૦ વાગે સુરત સ્ટેશન જવાં નીકળ્યાં અને ૬.૩૦ વાગે પાછાં આવ્યાં. દીકરો નચિકેતા, નાની બહેન સંજુક્તા, ગૂજરાત વિદ્યાપીઠના ગાંધીદર્શન વિભાગના વડા પુષ્પાબહેન મોતિયાની અમદાવાદ જવા નિકળ્યાં. નારાયણભાઈ સામાન્ય રીતે સવારે ૫ અને ૬ની વચ્ચે ઊઠી જાય. વર્ગ-વ્યાખ્યાન દરમિયાન કૉફી પીને તૈયાર રહે. વિદ્યાપીઠમાં ચારેક વર્ષથી અભ્યાસ કરતી જાપાની દીકરી કાઓરી નારાયણભાઈની લાકડી થયેલી. દસમીની સવારે નારાયણભાઈને લેવા ગઈ અને જોયું તો નારાયણભાઈ હજી સૂતા જ હતા. સંઘમિત્રાબહેનને જાણ કરી. સંઘમિત્રાબહેન બહાર જવા નિકળ્યા ત્યારે પિતાજી સારી રીતે ઊંઘતા હતા, શ્વાસ લયબદ્ધ હતો. પરિણામે સંઘમિત્રાબહેને તેમને આરામ કરવા દેવા માટે જણાવ્યું. સવારના નવ વાગ્યા છતાં નારાયણભાઈ ન ઊઠ્યા ત્યારે ઉઠાડવાની કોશિશ કરી પણ તેઓ ન ઊઠ્યા. તરત એમ્બ્યુલન્સ બોલાવી બારડોલીની હોસ્પિટલમાં દાખલ કર્યા, નિદાન થયું કે નારાયણભાઈને ઊંઘમાં સ્ટ્રોક થયો હતો. દસમીની સવારે નારાયણભાઈ ગાંધીજીના મીઠા સત્યાગ્રહ વિશે વ્યાખ્યાન ન આપી શક્યા – ‘દ સાલ્ટ વાઝ નોટ પિક્ડ અપ’. નવમીનું તેમનું વ્યાખ્યાન આખરી હતું. ૧૯૪૬માં સેવાગ્રામથી ગાંધીજીની નિશ્રા છોડી ‘નઈ તાલીમનો શિક્ષક થઈશ’ એવું જણાવીને નીકળેલા અને ૧૯૪૭માં વેડછી આવીને નઈ તાલીમના શિક્ષક તરીકે કામ શરૂ કરનારા નારાયણ દેસાઈનું સ્વસ્થ શરીરે છેલ્લા દિવસનું કામ પણ વર્ગ લેવાનું જ રહ્યું હતું. પદ્ધતિ નઈ તાલીમની જ હતી અને દર્શન ગાંધીજીની અહિંસા અને પ્રયોગ.

છેલ્લા કેટલા ય સમયથી તબીબ દીકરી સંઘમિત્રા પિતાજીની ખૂબ કાળજી લેતી હતી. નારાયણભાઈએ તો ગાંધીકથામાં પોતાના સ્વાસ્થ્યને જોયું હતું. પિતા-પુત્રીમાં કોઈ વાર આ મુદ્દે ગંભીર ચર્ચા થાય, મતભેદ થાય. દીકરી કહે કે જીવવાનો સબબ ભલે ગાંધીકથા હોય પણ શરીરની મર્યાદાઓ પણ એનું કામ કરે અને સરવાળે શરીર ક્ષીણ થાય અને પટકાય. આ ચર્ચાઓમાં મોટા ભાગે નારાયણભાઈની ઇચ્છા નિર્ણયમાં પરિણમે અને બહેન સંઘમિત્રા કચવાતે મને નારાયણભાઈને કાર્યક્રમ કરવા કે કાર્યક્રમમાં ભળવા વેડછીની બહાર જવા દે. આ દોર ઠીક-ઠીક લાંબો ચાલ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૫માં હૈદ્રાબાદમાં ગાંધીકથા કરવાનો નિશ્ચય એમણે કર્યો હતો અને સંઘમિત્રાબહેને પણ તે માટે સ્વીકૃતિ આપી હતી. ૨૪ ડિસેંબરે નારાયણભાઈનો નિકટ અને બહોળો પરિવાર તેમને ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરવા માટે શુભેચ્છા આપવા વેડછી એકત્રિત થવાનો હતો. દસમીની બપોરે જ સુરત મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા. તમામ પરીક્ષણો બાદ તબીબોએ ૪૮ કલાકની અનિશ્ચિતતા બાદ પણ કોમામાંથી બહાર આવવા અંગે કહી શકવામાં અસમર્થતા વ્યક્ત કરી. ઊંઘમાં જ સ્ટ્રોક થયો હોવાને લીધે સારવારમાં થયેલા વિલંબનાં કારણે પણ અસર ગંભીર થઈ હતી.

સંઘમિત્રાબહેન તબીબ ઉપરાંત દીકરી તરીકે પણ મનનાં મક્કમ. તેમને વિશ્વાસ હતો કે નારાયણભાઈ કોમામાંથી બહાર આવશે અને આવ્યા. સાતમે કે આઠમે દિવસે દોહિત્રી ચારૂસ્મિતાને પાણી આપવા કહ્યું. દીકરી અને દીકરાઓને ઓળખવા ઉપરાંત ધીમે-ધીમે અન્યોને પણ ઓળખતા થયા. એમ.આર.આઈ. (મસ્તિષ્કની છબિઓનું પરીક્ષણ અને અંકન)ના રિપોર્ટ જોઈને તો ડૉક્ટરો જરા પણ આશાજનક નહોતા. પણ નારાયણભાઈએ જીવનની અંતિમ લડાઈ ઇચ્છાશક્તિની જોરે લડી અને ભાનમાં આવ્યા. નાના દીકરા અફલાતૂને ગીતો ગાયા અને તેની તાલ પર નારાયણભાઈએ તાલ આપ્યો. બધું સમજે પણ બોલી શકે નહીં. સાંભળતા થયા. અસ્પષ્ટ સાદ પણ નીકળતો, સંઘમિત્રા સૌથી વધુ સમજી શક્યાં. હૃદયરોગના તબીબ અને નારાયણભાઈના ડૉ. રમેશ કાપડિયાને ઓળખ્યા, વાતો કરવાની કોશિશ પણ કરી. ડૉક્ટરે આશીર્વાદ માંગ્યા તો માથે હાથ મૂક્યો. ઑક્સીજન પર રહ્યા. રાઈસ ટ્યુબ દ્વારા જ પાણી અને પોષણ મેળવતા. જીવન-મૃત્યુની આ લડાઈમાં એક વખત તો એવું લાગ્યું કે સારી રીતે જ બહાર આવી જશે, પણ સંઘર્ષ લાંબો ચાલ્યો. ઓક્સીજનની જરૂરિયાત નહોતી રહી પણ રાઈલ્સ ટ્યુબ સાથે ૨૫મી ફેબ્રુઆરીના રોજ વેડછી પાછા આવ્યા. એ વાતનો એમને ઘણો સંતોષ હતો. સંઘમિત્રાબહેને પણ થોડી રાહત અનુભવી. દસ ડિસેંબર ૨૦૧૪ની સવારથી ૨૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી જે એક વ્યક્તિ નારાયણભાઈ સાથે સતત રહી હોય તો તે દીકરી સંઘમિત્રા. ઘરે લાવ્યા પછી હરવા-ફરવા જેટલા સ્વસ્થ થઈ જશે તેમ લાગ્યું. જે મળવા જાય તેને ઓળખે, વાતો સાંભળે અને બોલવાની કોશિશ પણ કરે.

હોસ્પિટલમાં બે ત્રણ વાર રેંટિયો કાંતવાની કોશિશ પણ કરી. ૮૪ વર્ષના મહાવરાને શરીરની મર્યાદા નડતી. એટલે અજંપો પણ થયો હશે. શારીરિક મર્યાદાના લીધે પણ ખૂબ અકળાતા હશે, પણ દીકરી અને બીજા દેખરેખ રાખનારા દુઃખી થશે એમ માનીને અભિવ્યક્ત કરતા ન હતા. વેડછી આવ્યા બાદ એક પ્રકારની શાંતિ અનુભવી હશે અને કદાચ પામી ગયા હતા કે હવે પરમધામ સમીપે છે તેથી લાંબુ ન રહ્યા. જતી વેળાએ પરમ શાંતિમાં ગયા. ૧૪ માર્ચની રાત્રે શાંતિથી ઊંઘ્યા હતા. રાત્રે અઢી વાગે સંઘમિત્રાબહેને નિયમિત ચાલતો શ્વાસ અને શાંત ચિત્તે નિદ્રાધીન નારાયણભાઈને જોયા. સવારે સાડા ચારે દીકરા અફલાતૂને બહેનને બોલાવ્યા, ત્યારે સંઘમિત્રાબહેનને થયું કે કફ કાઢવા બોલાવે છે. પણ ભાઈએ કશુંક અલગ હોવાનું જણાવ્યું. બહેન જોવા ગયાં તો શરીર ગરમ હતું પણ જીવ ન હતો. કોઈ કષ્ટ થયું હોય કે તરફડ્યા હોય એવું કશું ન હતું. ચહેરો શાંત અને શરીર નિદ્રાની મુદ્રામાં સહજ હતા. ૨૪-૧૨-૧૯૨૪ના રોજ જન્મેલો જીવ ૧૫-૦૩-૨૦૧૫ના રોજ દેહમાંથી ચાલ્યો ગયો.

નારાયણભાઈ આપણી વચ્ચેથી વિદાય થયા તે પૂર્વે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી મુક્ત થઈ ગયા હતા. મૂળે પરંપરા તોડનાર. તેથી તો ગાંધીજીને પણ ૨૨ વર્ષની ઉંમરે કહી શક્યા હતા કે સેવાગ્રામમાં કચેરીમાં કામ કરતા તેમનો વિકાસ અટકી ગયો હોવાથી તેમનો વિકાસ થાય તેવું કાર્ય કરવા માગે છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થાય ત્યારે તેમની ઉંમર ૮૩ વર્ષની. અમને કહે કે ‘મને મારવા માટેનું તમારું આ કાવતરું છે. વિદ્યાપીઠના કુલપતિઓ મૃત્યુપર્યંત હોદ્દા પર કાયમ રહે છે. મારે આ પરંપરા તોડવી છે. મને મારી હયાતીમાં જ કુલપતિપદેથી મુક્ત કરજો'. આ વાત એ ભૂલી ન ગયા હતા. બે વર્ષ પહેલાં જ, ‘હું ક્યારે મુક્ત થાઉં, મને ક્યારે મુક્ત કરો છે’ એવું પૂછતા. ૬ઠી ડિસેંબરના રોજ હું એમને મળવા વેડછી ગયો હતો. સંઘમિત્રાબહેન અને મને બોલાવીને કહ્યું કે વિદ્યાપીઠવાળા કઈં કરતા નથી અને તેમણે એવો નિર્ણય કરી લીધો છે કે તેઓ જાતે મુક્ત થાય છે. ૨૪-૧૨-૨૧૦૪ના રોજ તેમના એકાણુમાં જન્મદિવસે તેઓ જાહેર કરી દેશે. હું અમદાવાદ માટે નીકળતો હતો ત્યારે કુલસચિવ માટે એક પરબીડિયું આપ્યું. પરબીડિયું ખુલ્લું જ હતું, પણ ઘણી વાર હું એવો ટપાલી થયેલો. મેં પણ એ અંગે બહુ વિચાર ન કર્યો અને અંદર શું છે તેનું કૌતુક પણ થયું નહી. પાછળથી કુલસચિવ રાજેન્દ્રભાઈએ જાણ કરી હતી કે એ પરબીડિયામાં વિદ્યાપીઠને ઉદ્દેશીને નારાયણભાઈએ કુલપતિપદેથી પોતાની મુક્તિ અંગે જાણ કરી હતી. એવું લાગે છે કે વિધિએ એમની ટેક રખાવવા ૬ ડિસેંબરના જ પત્ર લખાવીને મોકલી અપાવ્યો. ઔપચારિક રીતે તો માર્ચની સાતમીએ મુક્ત થયા. તે દિવસે વિદ્યાપીઠના મંડળે સુશ્રી ઇલાબહેન ભટ્ટને નવા કુલપતિ તરીકે વર્યા. બીજા જ દિવસે એટલે ૮મીએ મેં એમને રૂબરૂ મળીને જાણ કરી કે તેઓ ઔપચારિક રીતે પણ કુલપતિના પદભારથી મુક્ત થઈ ગયા હતા. એમના ભાવ પરથી હું એવું સમજ્યો કે ઔપચારિકતામાં એમને કોઈ રસ ન હતો. તેમના મને તો તેઓ ૬ઠી ડિસેંબરના જ મુક્ત થઈ ગયા હતા. પણ નિયતિએ તેમની ટેક રાખી અને મૃત્યુના આઠ દિવસ પૂર્વે ઔપચારિક રીતે પણ તેઓ કુલપતિ રહ્યા ન હતા. વિદાય લીધેલી સહસ્ત્રાબ્દીના છેલ્લા અર્ધદશક અને નવી સહસ્ત્રાબ્દીના પહેલા દાયકામાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવાની અત્યાતુરતા કઈંક વ્યક્તિઓમાં જોઈ અને થવા માટેના પ્રયાસોનો હું સાક્ષી રહ્યો. થયા બાદની વિહ્વળ ગદ્ગદતા પણ નીરખી ચૂક્યો છું. નારાયણભાઈ પદની શોભા અને ગરિમા રાખવાળાઓ પૈકી વિશેષ હોવા છતાં ઘણી મુશ્કેલીથી પદ સ્વીકારવા તૈયાર થયા હતા અને તે પણ આજીવન તો નહીં જ.

નારાયણ મહાદેવ દેસાઈ સક્ષમ અને સ્વાવલંબી સાક્ષર હતા. મોટા ગજાના માનવી ખરા. પિતાની તરફથી સાક્ષર થવા માટેના ગુણો તો મળ્યા જ હતા. તેથી પણ વિશેષ હતું એ વાતાવરણ કે જેમાં એ ઘડાઈ શક્યા. ગૂજરાત વિદ્યાપીઠના વિનયમંદિરનું ધોરણ પાંચ એમનું સંપૂર્ણ ઔપચારિક શિક્ષણ હતું. ૧૧-૧૨ વર્ષની વયે નિશાળમાં ન ભણવાનો સ્વયં નિર્ણય લેનાર બાળક સામાન્ય ન ગણાય. તેમાં બાળકના વ્યક્તિત્વની મૌલિકતા જેટલી જ એ મૌલિકતાને વિકસવા દેવા માટેની તક સાબરમતી આશ્રમમાં ચિ. બાબલા(હુલામણા નામે ગાંધીજી પણ એમને ઓળખતા)ને મળી હતી. સ્વ-શિક્ષણ અને સ્વાધ્યાય દ્વારા શિક્ષણ અઘરું તો હોય છે, પણ તેમાંથી સફળતાપૂર્વક નીકળનારા વિશિષ્ટ યોગ્યતા ધરાવનારા હોય છે. સ્વશિક્ષણનું એક દૃષ્ટાંત. સેવાગ્રામમાં બાપુના મંત્રાલયમાં ચિ. નારાયણ પિતાજીનો અને પછી પ્યારેલાલનો મદદનીશ. એ સમય દરમિયાન એક ભાઈને ખૂબ આગ્રહ પછી બાપુએ બે મિનિટનો મળવા માટે સમય આપ્યો. ચિ. નારાયણને માત્ર બે મિનિટ માટે બાપુને મળવા આવનાર વ્યક્તિ અંગે જિજ્ઞાસા થઈ. આ જિજ્ઞાસાપૂર્તિ માટે તેણે આ વ્યક્તિ પાસેથી આ અંગે જાણવાનું નક્કી કર્યું. બાપુને મળીને એ વ્યક્તિ બહાર આવી અને ચિ. નારાયણના પ્રશ્ન ઉત્તરમાં તે વ્યક્તિએ કહ્યું કે ‘બાપુએ બે મિનિટ પૂરેપૂરો મારી વાત પર જ ધ્યાન આપ્યો, તે બે મિનિટ માટે તેમનું લક્ષ્ય હું અને મારી વાત જ હતી, મને પૂરેપૂરો સંતોષ થયો છે’. ચિ. નારાયણ શીખ્યો કે આપણે સામેવાળી વ્યક્તિની વિશ્વસ્નીયતા મેળવવા તેમની અને તેમના વાત તરફ અખંડ ધ્યાન આપવું જોઈએ !

પિતાજી સરસ લખતા. ધ્યાન એવું કે ચાર કે પાંચ વ્યક્તિઓની બેઠક ચાલતી હોય તો દરેક વ્યક્તિએ શું કહ્યું તેની નોંધ તેઓ રાખી શકતા. અનુવાદના તો ઉસ્તાદ. અંગ્રેજી ઉત્તમ. વિદેશી ખબરસેવા રોયટરના ખબરપત્રી પણ હતા. પ્યારેલાલ ઇતિહાસના વિદ્વાન અને સારા લેખક. બાપુના આ બે સચિવો વાંચે પણ પુષ્કળ. નારાયણભાઈને વાંચનનું માર્ગદર્શન અતિ ઉત્તમ મળ્યું હશે. આ ઘડતર, સ્વાધ્યાય અને સ્વશિક્ષણ દ્વારા એ સાક્ષર બન્યા. બાપુ જોડે રહી એમનું જ કામ કરવામાં મહાદેવભાઈ મૌલિક સર્જન ઓછું કરી શક્યા પણ નારાયણભાઈએ કસર પૂરી કરી. ૫૦ ઉપર પુસ્તકો લખ્યા. તેમાંના કેટલાક  સાહિત્ય માટે નિર્દિષ્ટ થયેલા ઉચ્ચ પુરસ્કારોથી પુરસ્કૃત થયા. સાક્ષરતાની યાત્રા અવિરત રહી. કેટલાંક પુસ્તકો :

• ‘સંત સેવતા સુકૃત વાધે’ : ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૬૭ ઉપરાંત અંગ્રેજી સહિત દેશની દસ ભાષાઓમાં અનુવાદ.

• ‘સોનાર બાંગલા’ : ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૭૩. હિંદીમાં પણ અનુદિત.

• ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ : દર્શન પ્રતિષ્ઠાન પુરસ્કાર ૧૯૯૨. ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૯૩, અને કાકા કાલેલકર પુરસ્કાર ૧૯૯૪.

• ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે નર્મદ સુવર્ણચન્દ્રક ૧૯૯૫, સ્વામી સચ્ચિદાનંદ સમ્માન ૧૯૯૮, રણજિતરામ સુવર્ણચન્દ્રક ૨૦૦૧, ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર ૨૦૦૩.  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રથમ સવ્યસાચી પુરસ્કાર ૨૦૧૨.

• ‘મારું જીવન એ જ મારી વાણી’ : મૂર્તિદેવી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ૨૦૦૪.

• હિન્દીસર્જન  ‘વિશ્વ કી તરુણાઈ’ અને અંગ્રેજી ‘My Gandhi’ ઉલ્લેખનીય છે.

‘અગ્નિકુંડમા ઊગેલું ગુલાબ’ મહાદેવ દેસાઈની જીવની છે. વિશ્વમાં પુત્રે પિતાની જીવની લખી હોય તેવું બહુ ઓછું એવું બન્યું હશે. ઝવેરચંદ મેઘાણી જેવા અત્યંત સંવેદનશીલ લોકસાહિત્યકારે મહાદેવભાઈ માટે આવી ઉપયુક્ત સંજ્ઞા પરથી આ શીર્ષક આવ્યું. પણ લેખક માટે શીર્ષકને સાર્થક કરવાનો પડકાર હતો. પુસ્તકને મળેલા આવકાર અને પુરસ્કારોએ પૂરવાર કરી આપ્યું કે નારાયણભાઈએ પિતા વિશે એક સિદ્ધહસ્ત જીવનીકાર તરીકે લખ્યું. પરિણામે ગાંધીવિચારના જાણીતા વિદ્વાન અને ‘ગાંધીચરિત’ના રચયિતા ચી.ના. પટેલે જાહેરમાં નારાયણભાઈ પાસેથી ગાંધીજીવનીની આશા જણાવી. નારાયણભાઈએ ઝીલી લીધેલા આ પડકારના કારણે ગુજરાતને અને દેશને ‘મારું જીવન એ જ મારી વાણી’ મળ્યું. નારાયણભાઈનું એ ‘મૅગ્નમ ઓપસ’ ગણાય. અદ્દભુત અનુશાસનના માણસ. સવારે ઊઠે અને રાત્રે ઊંઘે તે દરમિયાનના કલાકો સરસ વહેંચાયેલા. તેમાં કોઈ વિક્ષેપ સહન ન કરે. ૫,૫૦૦ પાનાં લખવાં એ કપરું કામ અને આ જીવની માત્ર શબ્દોનો સંગ્રહ નહીં, પણ  વિશ્લેષ્ણાત્મક છે. લેખકને જીવનીના પાત્ર સાથે ૨૨ વર્ષનો રહેવાનો નિજી અનુભવ તથા ગાંધીજી સાથે રહીને કામ કરી ચૂકેલી વ્યક્તિઓનો પરિચય તથા તેમની પાસેથી મળેલી માહિતીઓ, ઘટનાઓ અને વિશ્લેષણો સાથે મૌલિક સર્જનશક્તિ. પરિણામે આ ‘મૅગ્નમ ઓપસ’ સર્જાયું. મૂર્તિદેવી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એ આ કાર્યની યોગ્ય ઓળખ છે.     

સાક્ષર તો ખરા પણ સાથે સર્જનની વિવિધતા પણ ઘણી. ગીતો લખ્યાં અને તાલબદ્ધ પણ કર્યા. ૮૮ વર્ષની વયે કસ્તૂરબા અને લોકનાયક જયપ્રકાશ નારાયણ પર નાટક લખ્યાં.

વાણી અને વ્યવહારમાં એકરૂપતા લાવવા પ્રયાસો ઘણા કર્યા. ગાંધીજીએ પણ સ્વીકાર્યું હતું કે આ દિશામાં તેમનો પણ નમ્ર પ્રયાસ જ હતો. ગાંધીજી વાણીવ્યવહારની એકરૂપતામાં બહુ ઊંચી કક્ષાએ પહોચ્યા હતા. નારાયણભાઈએ પણ પ્રયાસ તો કર્યા. નારાયણ દેસાઈનું જીવન જે રહ્યું તેના કરતા જુદું થઈ શક્યું હોત. આઝાદી પછી જો તેઓ અન્ય નેતાઓની જેમ કોંગ્રેસમાં જોડાઈને રહ્યા હોત તો મોટા કદના રાષ્ટ્રીય નેતા બન્યા હોત. તે સમયના બધા શીર્ષ નેતાઓ તેમને નજીકથી ઓળખે. પરિણામે રાજનીતિ સિવાયના કોઈ મોટા કામમાં મહત્ત્વના પદે તેઓ બિરાજમાન થઈ શક્યા હોત. એવી કોઈ મહત્ત્વાકાંક્ષા નારાયણભાઈમાં જોવા મળી નથી. આઝાદી વખતે જુગતરામ દવે સાથે વેડછી રહી પ્રાથમિક કક્ષાએ નઈ તાલીમના શિક્ષક રહ્યા અને તે કામ છોડ્યું તો વિનોબા સાથે ભૂદાનમાં જોડાયા. સમાજપરિવર્તન એ જ એમનું લક્ષ્ય અને તે માટે જ મથ્યા. ગાંધીદર્શનાધારિત સમાજરચના કરવા માટે વ્યક્તિની ભૂમિકા શું? તે તો સ્વયંસેવકની જ. આવો સ્વયંસેવક સમાજ પાસેથી શું લઈ શકે? તેની આજીવિકા માટે જરૂરી એટલી સહાય જ. સમગ્ર જીવન સ્વયંસેવકની ટેક રાખી. ખપ પૂરતું જ લીધું. નોંધવા યોગ્ય છે કે પુરસ્કારની કેટલીક રકમ અને અમેરિકાથી તેમને વ્યક્તિગત મળેલાં નાણાં વિદ્યાપીઠમાં કુલપતિ ફંડમાં જમા કરાવ્યાં અને અનુવાદ માટેની સંસ્થા કરવા પાછળ વાપરવા જણાવ્યું.

નારાયણભાઈએ જીવવા માટેની ન્યૂનતમ જરૂરિયાત સિવાય સમાજ પાસેથી ક્યારે પણ વધારે લીધું નહીં. સંઘમિત્રાબહેન કોલકાટાની મેડિકલ કૉલેજમાં ભણ્યાં ત્યારે તેમની પાસે બે જ સારી સાડીઓ. એમના મા ઉત્તરાબહેનને ખૂબ ચીવટ, કાળજી અને કરકસરથી ઘર ચલાવ્યું હતું. ઉત્તરાબહેન પણ એવા સ્વયંસેવી કુટુંબની પુત્રી. પિતા નબકૃષ્ણ ચૌધરી ગાંધીવિચારના અગ્રણી અને આઝાદીની લડાઈના લડવૈયા અને પાછળથી ઓડીસાના મુખ્યપ્રધાન થયા હતા, પણ પોતાને આંગણે સર્વોદય સમ્મેલન રાખ્યું ત્યારે બસમાંથી ઊતરતા સમ્મેલનના ભાગીદારનો સામાન માથે ઊંચકીને ચાલેલા. તેમની પત્ની માલતીદેવી ચૌધરી તો ક્રાંતિકારી મહિલા. જીવનના છેલ્લા શ્વાસ સુધી આદિવાસીઓના હકો અને કલ્યાણ માટે લડ્યાં અને મથ્યાં. આ યુગલની દીકરી ઉત્તરાબહેનના સથવારે સ્વયંસેવક નારાયણ દેસાઈને ફકીરીમાં કોઈ વાંધો જણાયો નહીં. આઝાદીના ૨૫ વર્ષ બાદ દેશની કોઈ એવી યુનિવર્સિટી ભાગ્યે જ હશે જેના કુલપતિ ગામડામાં ઝૂંપડીસમા ઘરમાં રહી મોજથી જીવન ગાળતા હોય. અપવાદ હતા નારાયણ દેસાઈ. એમની કેટલીક પુરસ્કૃત રચનાઓ વેડછીના ઘરે જ રચાઈ. સર્જનની મોજ માણવા આરસપહાણ જડેલો ફર્શ અને વાતાનુકલનની સગવડની જરૂર જરા ય ન પડી. સંદર્ભે નોંધવા જેવું ખરૂં કે અનિવાર્ય સંજોગો અને વિદેશની મુસાફરી સિવાય નારાયણભાઈ રેલવેમાં જ ફર્યા અને ૮૦ વર્ષની વય સુધી વગર આરક્ષણે પણ રેલવેની મુસાફરી કરી. સાબરમતી અને સેવાગ્રામ આશ્રમમાં શરૂઆતનું જીવન અને ખાદી અપનાવવાના લીધે જીવનમાં સાદાઈ આપમેળે પ્રવેશી હશે. આશરે ૬ વર્ષની ઉંમરથી આરંભાયેલી કાંતણયાત્રા છેલ્લી માંદગીના ત્રણ મહિનામાં અટકી. આજીવન કાંતેલું પહેર્યું. વસ્ત્રસ્વાલંબનનો પાઠ બરાબર ભણ્યા અને જીવનમાં પણ ઉતાર્યો. આમ, સ્વદેશી અને જાતમહેનતનાં વ્રત સરળતાથી પળાયાં. સ્વાવલંબી હોવાને લીધે અસ્તેય અને અપરિગ્રહ વ્રતોનું પાલન પણ સહજ થઈ પડ્યું. વિદ્યાપીઠના આજના શિક્ષકોમાંના કેટલાક વેડછીની મૈત્રીશિબિરમાં જોડાયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં રહ્યા. મને કોઈવાર કુતૂહલ થાય છે કે કુલપતિની આવી સાદી રહેણી-કરણી જોઈને શિક્ષકોના મનમાં શું ભાવ થયા હશે?  આઝાદીની વેળાએ ગાંધીજીને દેશના બુદ્ધિજીવીઓની સંવેદનહીનતા સૌથી મોટી સમસ્યા લાગી હતી અને કદાચ આજે પણ તે એટલી જ સાચી હોવા પ્રેરાવું છું.

સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય પૈકી સત્ય અને બ્રહ્મચર્ય એકદમ અંગત મૂલ્યાંકનમાં જ જોઈ શકાય તેવા વ્રતો છે. અહિંસાના વ્રતનું પાલન અન્ય લોકો પણ સારી રીતે જોઈ-અનુભવી શકે. નારાયણભાઈએ એક નવો શબ્દ આપ્યો અહિંસાસમાજ. અહિંસક સમાજ એવી સામાન્ય વિભાવના સામે આ એક નવી વિભાવના થઈ. મારી સમજ અનુસાર અહિંસક સમાજ પ્રકટ હિંસામાં ન માનનારો, યુદ્ધવિરોધી અને નિઃશસ્ત્રીકરણના પ્રયાસ આદરનાર અને તેવા સમાજોનું સન્માન કરનાર હોય. આવી માનસિકતા સમાજોની અને દેશોની ન હોય, પણ ઘણા જૂથોની છે. અહિંસાસમાજમાં સમાજના બધા જ નાગરિકો જીવનના તમામ વ્યવહારમાં અહિંસાના સિદ્ધાંત અને પદ્ધતિમાં શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોય અને નિષ્ઠાપૂર્વક તે માર્ગે ચાલવાનો પ્રયાસ આદરતા હોય. જીવનશૈલી માત્રમાં અહિંસા તે અહિંસાસમાજની અનિવાર્ય શરત છે. સત્યની આરાધનાનો માર્ગ અહિંસાજીવનશૈલી દ્વારા જ પ્રશસ્ત બની શકે તેવી ગાંધીજી મક્કમ માન્યતા ‘મંગળપ્રભાત’માં આ અહિંસા વ્રત દ્વારા પણ વ્યક્ત થાત છે. મન, વાણી અને કર્મમાં અહિંસાનો પ્રયાસ આદર્શ ખરો, પણ એ માટેનો માર્ગ પ્રેમ અને ત્યાગ. મન અને વાચામાં વ્યક્તિની અહિંસા વ્યક્તિગત મૂલ્યાંકનનો વિષય થાય છે. નારાયણ દેસાઈનું કર્મ અહિંસાસમાજના નિર્માણ પરત્વેનું હતો. નારાયણભાઈએ ૧૯૪૭થી ૧૯૫૨ સુધી નઈ તાલીમના શિક્ષક તરીકે કામ કર્યા પછી નીકળ્યા ભૂદાન યાત્રાએ. તેમાં તેમણે અહિંસાસમાજની રચના તરફના નક્કર પગલાં અને કાર્યક્રમ નિહાળ્યા. પોતાની જમીનની માલિકી પ્રત્યે ત્યાગભાવના અને જમીનવિહોણા પ્રત્યે પ્રેમ મળીને અહિંસા દ્વારા સમાજપરિવર્તનની ભૂમિકા બને છે. નારાયણભાઈએ ૧૯૫૨થી ૧૯૬૦ સુધી ગુજરાતમાં પદયાત્રાઓ કરી અને ૩,૦૦૦ એકર જમીન જમીનવિહોણાઓ માટે મેળવીને વિતરિત કરવામાં મદદરૂપ થયા.

વિનોબાએ ત્યાં સુધી તો ‘જય જગત્’નો નારો ગૂંજવી દીધો હતો. જગતની જય કરવા રાહ શાંતિની હતી. તેમણે શાંતિ સેનાની રચનાનો વિચાર અમલમાં મૂક્યો. 'સેના' શબ્દને કેટલાકે યુદ્ધના સંદર્ભે શિસ્તબદ્ધ થયેલા સમૂહ માટે વપરાતા શબ્દ તરીકે ઓળખાવ્યો. વિનોબાના મતે સેના એક નિશ્ચિત ધ્યેય માટે મક્કમ અને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમો ઘડીને અમલી બનાવવા હોઈ શકે, માત્ર હિંસક યુદ્ધના અર્થમાં નહીં. શાંતિ સેનાની તાલીમની જવાબદારી નારાયણભાઈને શિરે આવી. નારાયણભાઈ સર્વ સેવા સંઘના વારાણસી સ્થિત મુખ્યાલય ગયા. ૧૯૬૨માં જયપ્રકાશ નારાયણને શાંતિ સેનાના પ્રમુખ થવાનું સૂચન થયું, તેઓએ નારાયણના મહામંત્રી થવાની શરત સાથે પ્રમુખપદ સ્વીકાર્યું. મહામંત્રી થયા બાદ નારાયણભાઈ બે દાયકા સુધી દેશ અને વિદેશમાં શાંતિના પ્રયાસોમાં જોડાયા. અહિંસાસમાજની રચના માટે આવશ્યક તેવા સંઘર્ષાત્મક અને રચનાત્મક  કાર્યક્રમો કરતા રહ્યા. પંડિત જવાહરલાલ નેહરુએ પૂરો વિશ્વાસ મૂકીને એકલા મોકલેલા યુવા નારાયણે આની યુવાઓને સાથે મળી અરુણાચલ પ્રદેશ જે એન.ઈ.એફ.એ. (નેફા – નોર્થ ઈસ્ટ ફ્ર્રંટીઅર એરિયા) તરીકે ઓળખાતો, ત્યાંના લોકો અહિંસક રીતે દેશ સાથે એક થાય તે માટે ઉમદા પ્રયાસ કર્યો.  જયપ્રકાશ નારાયણે નાગાલૅન્ડમાં શાંતિ માટેના કરેલા ગંભીર પ્રયાસોમાં પણ નારાયણભાઈની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ૧૯૬૯માં અમદાવાદના હિંસક કોમી અશાંતિની વેળાએ શાંતિ સૈનિકો સાથે શાંતિ માટે પ્રંશસનીય કામ કર્યું. એ જ અરસામાં કસ્તૂરભાઈ શેઠે નારાયણભાઈને સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મૃિત ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે આમંત્રણ આપ્યું હતું. સાબરમતી ટ્રસ્ટના તેઓ આજીવન ટ્રસ્ટી રહ્યા. અમદાવાદ ઉપરાંત વડોદરા, ભિવંડી અને સુરતની કોમી અશાંતિમાં શાંતિ સૈનિકો સાથે રહી સુલેહ-શાંતિ માટે કામ કર્યું. હિંસક લોકોના પથ્થરમારા અને પોલીસના ગોળીબાર વચ્ચે જોખમ ખેડીને પણ પ્રયાસો કર્યા. બાબરી મસ્જિદના વિધ્વંસ સમયે ઉપવાસ કર્યા તે સમયે અસામાજિક તત્ત્વો દ્વારા શારીરિક ઈજા પણ સહન કરી.

શાંતિ સેનાનું કામ વૈશ્વિક બન્યું. ૧૯૬૨માં લેબનાનમાં વર્લ્ડ પીસ બ્રિગેડની સ્થાપના થઈ હતી. શાંતિ સેનાને બ્રિગેડના લોકોને આમંત્રણ આપ્યું અને બ્રિગેડે આંતરરાષ્ટ્રીય એવી દિલ્હી-પિકિંગ (આજનું બેઇજિંગ) કૂચનું આયોજન કર્યું. આ કૂચ બર્મા(આજના મ્યાનમાર)ની હદ સુધી જઈ શકી હતી. ત્યાર બાદ પરવાનગીના અભાવે થંભાવી દેવી પડી. સાઇપ્રસ અને ટર્કી(તુર્કિસ્તાન)ના યુદ્ધે મોટી સંખ્યામાં લોકોને નિરાશ્રિત બનાવ્યા. તેમના પુન:વાસ માટે સાઇપ્રસ પુન:વસવાટ પ્રાયોજના બની, જેના સ્થાપકોમાંના એક નારાયણભાઈ હતા. આ પ્રયાસના પરિણામે ટર્કી તરફના સાઇપ્રસવાસીઓ અને સ્થાનિક લોકોએ યુદ્ધના સ્થાને વાટાઘાટોનો માર્ગ લીધો. જયપ્રકાશ નારાયણની સાથે નારાયણભાઈએ શાંતિ સ્થાપના માટે નિઃશસ્ત્ર સેના બનાવવાની દરખાસ્ત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મૂકી હતી. (આપણને વિદિત છે યુ.એન. પીસ કીપીંગ ફોર્સ છે જ, જેમાં જુદા-જુદા દેશોની સૈન્ય ટુકડિયો જતી હોય છે.) શાંતિ સેનાની આ દરખાસ્ત અલબત્ત, સ્વીકારાઈ નહિ, પણ વિશ્વસ્તરે આ પ્રયાસ નોંધપાત્ર હતો. ‘અહિંસા, શાંતિ અને ગાંધી’ના વિષયો પર વ્યાખ્યાનો માટે એશિયા, યુરોપ, અને અમેરિકાના દેશોએ તેમને આમંત્રણ આપ્યા હતા. ૧૯૮૧માં કૅનૅડાના ગ્લૅડ્સ્ટોન આઇલેંડમાં પીસ બ્રિગેડ ઇંટરનૅશનલના પ્રારંભે નારાયણ દેસાઈ પહેલા પાંચ નિયામકો પૈકી એક હતા. ૧૯૮૯માં વૉર રેસિસ્ટર્સ ઇંટરનૅશનલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. તેના ભાગ રૂપે તેમણે લૅટિન અમેરિકાના ૧૨ દેશોની યાત્રા કરી હતી. ૧૯૯૫માં નોન-વાયોલેંસ ઇંટરનૅશનલ દ્વારા વૉશિંગ્ટન ડી.સી.માં ‘આંતરરાષ્ટ્રીય સંઘર્ષની પરિસ્થિતિઓમાં નિઃશસ્ત્ર શાંતિ દળોની કામગીરી’ વિષય પર આયોજિત ચર્ચા-બેઠકમાં નિષ્ણાત તરીકે તેમને આમંત્રવામાં આવ્યા હતા.

શાંતિ સેનાના કાર્યમાં નારાયણભાઈનો અન્ય નોંધપાત્ર ફાળો 'તરુણ શાંતિ સેના'ની સ્થાપનાનો  હતો. ભારત-ચીનની સરહદના વિસ્તારોમાં તરુણ શાંતિ સૈનિકોના સમાજસેવા કેન્દ્ર સ્થપાયેલા. સમગ્ર દેશમાં તરુણો માટે શિબિરો ગોઠવી યુવામાનસને અહિંસાસમાજની રચના માટે સમજ આપી પ્રેરિત કરાતા હતા. તરુણ શાંતિ સેનાએ વર્ષ ૧૯૭૨-૭૩ના દેશવ્યાપી દુષ્કાળના સમયે દેશ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું. રાષ્ટ્રીય આયોજન પંચ સાથે રહી ‘દુષ્કાળ સામે તરુણ’ની યોજનાના તેઓ એક ઘડવૈયા હતા. દેશભરના વિશ્વવિદ્યાલયો અને કૉલેજોના ૬૫,૦૦૦ તરુણો અને યુવાઓ દેશના જુદા જુદા ગામોમાં જઈ દુષ્કાળરાહત અને નિવારણની શિબિરોમાં જોડાયા હતા. આઝાદી બાદ તરુણો અને યુવાઓનું આટલું મોટું સંગઠન ભાગ્યે જ થયું હતું. ઉચ્ચ શિક્ષણના ત્રણ મુખ્ય ધ્યેય પૈકી એક ધ્યેય વિસ્તરણ અને સમાજ સાથેના અનુબંધનો છે. નારાયણભાઈ અને તરુણ શાંતિ સેનાના તરુણ અને યુવા નેતાઓએ વિશ્વવિદ્યાલયો અને કૉલેજના યુવાઓને ગ્રામસમાજ સાથે  જોડવાનું અદ્વિતીય કાર્ય કર્યું હતું.      

અહિંસાસમાજની રચના તરફ જતા બે અન્ય કાર્યો પણ નોંધપાત્ર છે. ચંબલ વિસ્તારના ડાકુઓનું રાજ્યને આત્મસમપર્ણ સ્વતંત્ર ભારતની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભૂદાનનો અનોખો પ્રયોગ જોઈ ડાકુઓએ વિનોબાને હિંસાનો માર્ગ છોડવાની તૈયારી બતાવી હતી. ડાકુઓની સમસ્યાના મૂળમાં પણ જમીનદારોના જમીનવિહોણા અને ખેડનારાઓ પ્રત્યેના અન્યાય અને રાજ્યની તે અન્યાય સામેની આંખમિચામણી હતી. વિનોબાએ તેમને આ મુદ્દે તેજસ્વી નેતા જયપ્રકાશ નારાયણને મળવા જણાવ્યું. કુખ્યાત ડાકૂ માધોસિંઘ ગુપ્ત વેશે બિહાર જઈ જયપ્રકાશ નારાયણને મળ્યા હતા. સુવિદિત છે કે માધોસિંઘ સહિત ડાકુઓએ મોટી સંખ્યામાં આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ પ્રવૃત્તિ અને પ્રક્રિયામાં શાંતિ સેનાના નારાયણભાઈએ સક્રિય ભાગ લીધો હતો.

૧૯૭૧ની ભારત-પાકિસ્તાન યુદ્ધ પૂર્વે અને દરમિયાન હજારોની સંખ્યામાં પૂર્વ પાકિસ્તાનથી (જે વિસ્તાર પાકિસ્તાનથી અલગ પડી બાંગ્લાદેશ તરીકે ઓળખાયો) શરણાર્થીઓ હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા. શાંતિ સેનાએ ૨૩ કૅમ્પમાં વહેંચાયેલા ૮૦,૦૦૦ જેટલા શરણાર્થીઓ સાથે પુનર્વસન માટે કામ કર્યું. આ શરણાર્થીઓને લઈને નારાયણભાઈના નેતૃત્વમાં બાંગ્લાદેશના સીમાડેથી કાનપુર ‘વિશ્વ વિવેક જાગરણ' પદયાત્રા નીકળી હતી. આ યાત્રાથી ઉદ્દભવેલી સંવેદનાના પરિણામસ્વરૂપે ભારતે બાંગ્લાદેશની સ્વતંત્ર દેશ તરીકેની ઓળખને સ્વીકારી.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ પ્રયાસો અને રચનાત્મક કાર્યો માટે નારાયણભાઈને ‘નાગરદાસ જોશી પુરસ્કાર, કોમી એખલાસ માટે ‘હાર્મની એવૉર્ડ’, ‘જમનાલાલ બજાજ પુરસ્કાર’ (૧૯૯૯), યુનેસ્કોનું અહિંસા અને સહનશીલતા માટે ‘મદનજીતસિંઘ પુરસ્કાર’(૧૯૯૮), અને ‘ફ્રેન્ડ્સ ઑફ બાંગ્લાદેશ લિબરેશન વૉર ઑનર’ (૨૦૧૨) પુરસ્કારો અને સન્માન મળ્યાં હતાં.

અહિંસાની રાહે ચાલનારા અને અહિંસાસમાજ માટે સંઘર્ષ કરનારા માટે અભયવ્રતનું પાલન પૂર્વશરત છે. નારાયણભાઈએ અભયવ્રતનું પાલન કર્મશીલ અને સાહિત્યકારની ભૂમિકામાં કર્યું હતું. જીવનના અંતિમ પર્વમાં જ્યારે તેમણે ગાંધીકથા શરૂ કરી ત્યારે અભયવ્રતને લઈને એક સુંદર ગીતની રચના કરી, ‘અમે કોઈથી ડરીએ ના, અમે કોઈને ડરાવીએના’. આ વ્રતનું પાલન સ્વયં નારાયણભાઈએ જાહેરજીવનમાં ઠીક-ઠીક કરેલું જોઈ શકાય છે. 

ત્રણ મૂલ્યો પ્રત્યેની તેમની નિસ્બત મૃત્યુપર્યંત રહી. સમાનતા, બંધુતા અને લોકતંત્ર. આ મૂલ્યો દેશના બંધારણમાં ટંકાયેલાં જ છે. રાજ્યની નાગરિક પરત્વેની આ પાયાની ફરજ છે, પણ રાજ્ય તેના પાલનમાં કાયમ ઊણું ઉતર્યું છે. બજાર આધારિત અર્થતંત્રને પ્રાધાન્ય આપ્યા બાદ તો ઉપરોક્ત ત્રણ મૂલ્યો વધુ ઘવાયાં કરે છે. અસ્પૃશ્યતાનિવારણ અને સર્વધર્મસમભાવ માટે નારાયણભાઈ સંપૂર્ણ કટિબદ્ધ હતા. ૨૦૦૨ના ગુજરાતના હિંસક કોમી રમખાણોથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા. તેઓ વયમાં પરિપક્વ થયા હતા. કર્મશીલ તો ખરા પણ, મૂળે સાક્ષર અને શિક્ષક. અહિંસાસમાજની રચનાની તૈયારી રૂપે વિચારપ્રબોધનને નારાયણભાઈએ વિશિષ્ટ સ્થાન આપ્યું હતું. જીવનના અંતિમ પર્વમાં પોતાના માટે એ જ જવાબદારી યોગ્ય સમજી અને નિભાવી. પણ આ કાર્યમાં પણ એક તાજગીભરી નવીનતા સાથે સમાજ સમક્ષ આવ્યા. ગાંધીવિચારપ્રબોધન માટે તેમણે ગાંધીકથા શરૂ કરી. આપણા દેશની સંસ્કૃિતમાં કથા એ જાણીતું માધ્યમ છે, પણ તે પુરાણોની વાર્તા-કથા સુધી મર્યાદિત રહી છે. હાલના ભારતમાં યુગપુરુષ ગાંધીજી અર્વાચીન પુરાણ માટેના ઉત્કૃષ્ટ પાત્ર છે. દેશની આજની સામાજિક, આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિમાં હજી માત્ર ૧૫૦ વર્ષ પૂર્વે જન્મીને જીવી ગયેલી મહાન આત્માની વાર્તા ખૂબ પ્રસ્તુત અને પ્રેરક થાય એમ છે. આ વાત લઈને નારાયણભાઈ દેશમાં અને વિદેશમાં ફર્યા. સૌથી વધારે કથાઓ ગુજરાતીમાં જ કરી, ઉપરાંત હિંદી અને વિદેશમાં અંગ્રેજીમાં પણ. ગાંધીજીનું સમગ્ર જીવન માનવમાત્ર વચ્ચેની સમાનતા (રાજનૈતિક, આર્થિક અને સામજિક) અને બંધુતા માટે ગયું, તેઓ એના માટે જીવ્યા, લડ્યા અને શહીદ થયા. સમાજમાં લોકને પ્રબોધન કરવું તે લોકશિક્ષણનું કાર્ય થાય. નારાયણભાઈ લોકશિક્ષક થયા. શિક્ષક તો તેઓ નખશિખ હતા. નારાયણભાઈને વર્ગ લેવાનો હોય, કથા કરવી હોય કે જાહેરમાં સંબોધન કરવાનું હોય, તેઓ તૈયારી વગર ક્યારે ય ન હોય. તૈયારીમાં વાંચન અને નોંધ  કરવાનાં હોય જ. વિદ્યાપીઠના શિક્ષકોએ શિક્ષકના આ અતિ આવશ્યક ગુણને અનુસરવું ઇચ્છનીય.  

જીવનના અંતિમ પર્વમાં નારાયણભાઈ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ થયા. લોકશિક્ષકને એક તક મળી. કુલપતિ તરીકે એમની યોગ્યતા નઈ તાલીમના મર્મજ્ઞ તરીકેની હતી. વિદ્યાપીઠને મૂળ તરફ લઈ જવાનો એમનો પ્રયાસ સંનિષ્ઠ હતો. વિદ્યાપીઠના બદલાયેલાં સ્વરૂપ માટે તેઓ ખિન્નતા અનુભવતા હતા. દુનિયા ભલે બીજી દિશા જાય. પણ આ યુનિવર્સિટીની સ્થાપનાનો ગાંધીજીનો ઉદ્દેશ્ય તો અહિંસાસમાજની રચના માટે યોગ્ય અને પ્રતિબદ્ધ કાર્યકર તૈયાર કરવાનો હતો. પણ 'કૂવામાં હોય તે જ હવેડામાં આવે'ના ભાવે સ્વતંત્ર ભારતના બદલાયેલા સમાજના પ્રતિનિધિઓએ ક્રમશ: વિદ્યાપીઠમાં પ્રવેશ કરી વિદ્યાપીઠને જ બદલી. એમાંના કેટલાક તો એમ પણ માને છે કે બદલાયેલા સમય અને સમાજમાં ગાંધીજીના વિચારવાળી યુનિવર્સિટીની જરૂર રહી નથી અને વિદ્યાપીઠે બદલાયેલી સ્થિતિ પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ. નારાયણભાઈ કુલપતિ તરીકે ફરી એક વાર વિદ્યાપીઠને તેનાં મૂળ ધ્યેયો તરફ વાળવા માંગતા હતા, પણ ઘડિયાળના કાંટા પાછા ધકેલીને નહિ. માનવીની ખીલી ઊઠેલી અને નિત નવી રીતે ખીલી રહેલી જ્ઞાનધારાના ક્ષિતિજો પર વિદ્યાપીઠના શિક્ષકો વિહરે તેવી અપેક્ષા આ કુલપતિની હતી. અલબત્ત, પગ તો ધરાતલ પર હોય તેવું તેઓ મક્કમ માને. તેમની મનઃસ્થિતિનો ચિતાર અનાયાસે વિશ્વકક્ષાના એક વિદ્વાનના મુખે પ્રગટ થયો છે. પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ધ ઇકોનોમિસ્ટ’ના ૨૮ માર્ચ ૨૦૧૫ના અંકમાં ‘યુનિવર્સિટિસ’ શીર્ષકથી આપેલા વિશેષ હેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વ બૅન્કના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી અને હાલમાં બેઈજિંગ યુનિવર્સિટીના ‘ચાઇના સેંટર ફૉર ઇકોનોમિક રિસર્ચ'ના નિયામક પ્રો. જસ્ટિન લિનને શંકા છે કે જો ‘વર્લ્ડ-ક્લાસ’ યુનિવર્સિટીની પરિભાષા પશ્ચિમ દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા સંશોધન એજેન્ડાને પ્રકાશિત કરનાર સંશોધન પત્રિકાઓમાં શિક્ષકો દ્વારા પ્રકાશિત સંશોધન પ્રપત્રોની સંખ્યા પર આધારિત હોય, તો  ચીને ‘વર્લ્ડ-ક્લાસ’ યુનિવર્સિટી બનાવવાની હોડમાં રહેવું જોઈએ? લિન પૂછે છે: વર્લ્ડ-કલાસ રિસર્ચની કોણ પરવા કરે, જો એ સંશોધન તમે જે પરિસ્થિતિમાં છો તેને લાગુ ન પડે? વિદ્યાપીઠના કુલપતિ નારાયણ દેસાઈ આવું જ માનતા. જ્ઞાનધારાની ક્ષિતિજો પર ફરવાની સાથે દેશની સંસ્કૃિતધારા અને લોકજ્ઞાનધારાનું સંકલન કરીને બૌદ્ધિક શિક્ષણ ન અપાય, તો એ શિક્ષણ બીજી સભ્યતાઓની નકલ કરનાર સમાજ જ રચશે. ગાંધીજીની વિદ્યાપીઠ સ્થાપવાની નેમ પોતાનામાં શ્રેષ્ઠ યુનિવર્સિટી (ક્લાસ ઇન ઇટ્સેલ્ફ) બનાવવાની હતી. એના માટે ગાંધીજીનું અહિંસાસમાજનું દર્શન અને એમની જીવનશૈલી વિદ્યાપીઠમાં શાળાથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસક્રમોમાં દાખલ કરવાની મથામણમાં નારાયણભાઈ હતા. એમના મને અહિંસાસમાજ રચવા માટેની પ્રયોગશાળા એ વિદ્યાપીઠ. શિક્ષણમાં આ વિભાવનાનું દર્શન અને પદ્ધતિ એટલે જ નઈ તાલીમ. ગૂજરાત વિદ્યાપીઠના આદ્યકુલપતિ ગાંધીજીનો આગ્રહ વિદ્યાપીઠના શિક્ષણ માટે એ જ રહ્યો જે તેમના ‘કુલપતિજીના વ્યાખ્યાનો’માંથી નિષ્પન્ન થાય છે. તેમના બાદ એ જ વિચારધારાના હિમાયતી નારાયણ દેસાઈ હતા. વિદ્યાપીઠને ગાંધીવિચાર અને દર્શનમાં આટલા દૃઢ અને ચુસ્ત કુલપતિ બીજા આવે તે અઘરું જણાય છે.

e.mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “વિદ્યાપીઠ”

Loading

...102030...3,7643,7653,7663,767...3,7703,7803,790...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved