Opinion Magazine
Number of visits: 9692577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વ્યાપમ્’ : ભ્રષ્ટાચારથી પણ ગંભીર પ્રશ્નો, કૌભાંડમાં આશરે 2 હજાર લોકો સળિયા પાછળ

સનત મહેતા|Samantar Gujarat - Samantar|20 August 2015

મધ્યપ્રદેશમાં બનેલા વ્યાપમ્-વ્યાવયસાયિક પરીક્ષામંડળ-ના ગોટાળાએ  સંસદની ચોમાસુ બેઠક કશા કામકાજ વગર ધોઈ નાખી. રાજકારણને લીધે વ્યાપમને ભ્રષ્ટાચારની નજરે જ દેશભરમાં જોવાયું છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં તેની તપાસમાં આશરે બે હજાર વ્યકિતઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. પણ વ્યાપમ સાથે એક યા બીજી રીતે સંડોવાયેલી વ્યકિતઓના મોતનો આંકડો પચાસ પર પહોંચ્યો ત્યારે રાષ્ટ્રે એની ગંભીરતા પીછાણી. પણ, બે મૃત્યુ એવાં થયાં કે ગુનાઇત હત્યા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર તરીકે તેણે બધાંને થથરાવી મૂકયા. કેટલાંક મોત તો ‘ડાયલ એમ ફોર મર્ડર’ની કથા જેવાં હતાં. એટલે કેટલાક કટારલેખકોએ આ બનાવને ‘ડાયલ એમ ફોર મધ્ય’ જેવાં મથાળાં આપ્યાં. સર્વોચ્ચ અદાલતે આ બધાં મોતની તપાસ સી.બી.આઈ.ને સોંપી છે.

વ્યાપમ મધ્યપ્રદેશમાં મેડિકલ કે ઈન્જિનિયરીંગની સરકારી કોલેજોમાં કે ભરતી માટે પરીક્ષા લેતી સંસ્થા છે. આખું પ્રકરણ વ્યાપમ મારફત લેવાતા પ્રિ-મેડિકલ ટેસ્ટના બનાવોમાંથી જન્મ્યું છે. તે ભ્રષ્ટાચાર કે મધ્યપ્રદેશના ભાજપી મુખ્યપ્રધાન શિવરાજસિંહના સ્વચ્છ વહીવટ સંબંધિત પ્રશ્ન પૂરતું મર્યાદિત નથી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને શાસન કબજે કરનાર ભા.જ.પ. માટે તે ગંભીર પદાર્થપાક શીખવે એવો બનાવ છે. ૨૦૧૪ની ચૂંટણી ઝૂંબેશમાં ભારતનાં યુવકોને રોજગારી આપવાની ખાતરી સૌથી વધુ ભા.જ.પે.  આપી છે. નરેન્દ્ર મોદીએ તો આગળ વધીને આ સવાલને સરકાર માટે “ડેમોગ્રાફિક ડિવિડન્ડ” (જનસંખ્યા-જન્ય ફાયદો) ગણાવ્યો હતો. એ કહેતા કે ભારતમાં દર વરસે એકસો વીસ લાખ વ્યકિત નોકરીને લાયક બને છે અને એ બધાને રોજગારી આપવા એ વચનબદ્ધ છે. આવું વચન એ આપતા હતા, ઊંચું મસ્તક કરીને આપતા હતા. કારણ એમને ભરોસો છે કે એકવાર ’મેઈક ઈન ઇન્ડિયા’ અને વિદેશી મૂડીરોકાણ હકીકત બનશે, એટલે થોકબંધ રોજગારી પેદા થશે.

વિશ્વના અર્થશાસ્ત્રીઓ, શાસકોએ અને ખૂદ વિશ્વબેંકે છેલ્લા દસ વરસના વિશ્વના ઔદ્યોગિક વિકાસને રોજગારી વગરનો (જોબલેસ) અને વ્યકિત-વ્યકિતની આવકમાં અસમાનતા વધારનારો ગણાવ્યો છે. ભારતમાં પણ દસ વરસમાં રોજગારી વગરનો અને આર્થિક અસમાનતામાં વધારો કરનાર વિકાસ થયો છે. જાહેર અને ખાનગી ક્ષેત્રે રોજગારીમાં નહીંવત્‌ વધારો થયો. પરિણામે શહેરોમાં શિક્ષિત કે અશિક્ષિત યુવાનોનાં કીડિયારાં ઉભરાયાં હોય એવી સ્થિતિ છે. રેલવેમાં ભરતી થવાની હોય તો સો-બસો પોસ્ટ માટે  હજારો યુવકોની  લાઈન લાગે છે. આ બેરોજગારીની પીડા ઓછી હોય એમ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મરાઠી યુવકોની અગ્રિમતા માંગી ધાંધલ મચાવે છે અને સવાલને વધુ ગૂંચવે છે.

નોકરી વેચાય છે, એટલે કે, અમુક રકમ આપી સંસ્થાનું ફોર્મ ભરો તો રેલવેમાં કે કોઈ કેન્દ્રિય સાહસમાં નોકરી અપાવનારી સંસ્થાઓ અનેક જગાએ ફૂટી નીકળી છે. લાખો રૂપિયા  કમાઈ લીધા પછી સંસ્થા જ ગાયબ થઈ જાય છે. ગુજરાતમાં ખુદ સરકારે હજારો તલાટીની ભરતીનો  પ્રયોગ કર્યો, તો ભરતીમાં કરોડ કમાઈ જનાર વચેટિયો પકડાઈ જતા હજારો તલાટીની ભરતી રદ કરવી પડી છે. ફરી ભરતી કરતાં સરકાર ગભરાય છે. બેરોજગારીની આવી પરિસ્થિતિનો લાભ લેનાર રાજકીય આગેવાનોનો આપણે ત્યાં તોટો નથી. જે શિક્ષણ બજારમાં તરત નોકરી અપાવે તેવું હોય, તેને લગતી શિક્ષણસંસ્થામાં પ્રવેશ મેળવી આપવા આ બધા  દલાલનું કામ કરતા હોય છે. બીજી તરફ શિક્ષણમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશ પછી ઊભી થયેલી. ખાનગી મેડિકલ કે ઈજનેરી સંસ્થાઓની ફી મધ્યમ વર્ગની શકિત બહારની થઈ ગઈ છે. પરિણામે ભારતીય યુવકને માટે નોકરીને લાયક થવાના દરવાજા પણ બંધ થયા છે. 

આવી પરિસ્થિતિનો અંત આર્થિક સુધારામાં વધુને વધુ તેજી લાવવાથી આવશે, એવી ધારણા ધરાવનારા ઘણા લોકો ભૂલી જાય છે કે, જાહેર ક્ષેત્રમાં ૧૯૯૯માં ૧૯૪ લાખને રોજગારી મળતી હતી, તે ૨૦૧૦માં વધવાને બદલે ઘટીને ૧૭૯ લાખ થઈ ગઈ છે. અલબત્ત, એ ગાળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારી ૮૭ લાખમાંથી વધીને ૧૦૮ લાખ થઈ છે. દસ વરસમાં ૨૧ લાખનો વધારો એ તો નહીંવત્‌ છે. ખાનગી અને જાહેર ક્ષેત્રની  રોજગારીની આ પરિસ્થિતિથી સરકાર વાકેફ છે. વધુમાં એ સમજે છે કે ભારતમાં ૯૦ ટકા રોજગારી તો સેવા અને લઘુ—ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળે છે. દર વરસે ૧૨૦ લાખ નવા રોજગારને લાયક બનતા યુવકોનો અસંતોષ અને લાચારી વ્યાપમના મૂળમાં છે, એ જેટલું વહેલું સમજીએ તેટલું સારું. હકીકતમાં મધ્યપ્રદેશમાં વ્યાપમમાં જે બન્યું છે તે ભારતમાં રોજ બને છે. પણ મધ્યપ્રદેશમાં ગુનાઇત બળોએ પણ એમાં ઘૂસણખોરી અને ભાગીદારી કરી. એટલે તે વધારે મોટું અહિત કરનાર પ્રકરણ બન્યું. વળી એક પોસ્ટ ગ્રેજયુએટ બેઠક માટેના પ્રવેશની રકમ અઢી લાખ ડોલરે પહોંચી ત્યારે બધી હદ વટાવાઈ ગઈ હોય એવું લાગ્યું.

વિશાળ બેરોજગારી અને કમ નોકરી એક તરફ અને બીજી તરફ સારી નોકરી મળે એવાં શિક્ષણ માટેની અમર્યાદ ઊંચી ફીએ મધ્યમ વર્ગના યુવકોમાં વ્યાપક નિરાશા જન્માવી છે. આ વિષમ પરિસ્થિતિ વ્યાપમ જેવા અનિષ્ટની જન્મદાત્રી છે, એમ ઉઘાડું સમજાય તેવું છે. છતાં ભારતના મધ્યમ વર્ગની મૂંગા મોઢે સહન કરી લેવાની આદત આગળ જતાં કેવા વિસ્ફોટ જન્માવશે, એનો આપણને ખ્યાલ છે ખરો? જયાં સુધી સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાના ફીના ધોરણમાં સામાન્ય ફરક હતો, ત્યાં સુધી આવી બદી જન્મતી ન હતી. અત્યારે આ ફરક કલ્પના બહારનો છે. પણ હવે કંઈક જૂદું જ બનવાની ભીતિ દેખાઈ રહી છે. કારણ કે આ વરસે ગુજરાત જેવા રાજયમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરીંગની હજારો જગાઓ સેલ્ફ ફાયનાન્સ ક્ષેત્રે ખાલી પડી છે. સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે તીવ્ર હરીફાઈ જન્મી છે. એકથી ત્રણ માર્કથી રહી જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

હવે આ પ્રવેશ માટે પોતાના સંતાનને ટયુશન કલાસમાં વધારાનું ભણતર આપવા મધ્યમ વર્ગનો વાલી દેવું કરીને પાંચ લાખનો બોજ ભોગવે છે. પાંચ લાખનાં ટયુશનનો બોજ ભોગવ્યા અને આઠથી બાર કલાકની મહેનત  પછી એ વિદ્યાર્થી બે માર્ક માટે રહી જાય અને બીજી તરફ વ્યાપમને રસ્તે કે બીજે રસ્તે ઓછા માકર્સે પ્રવેશ મેળવી જવાના કિસ્સા વધે, ત્યારે વ્યાપમ સ્ફોટક બને છે. ટૂંકમાં વ્યાપમકાંડે અત્યારે ભલે રાજકીય ભ્રષ્ટાચારરૂપે દેશવ્યાપી આક્રોશ જન્માવ્યો, પણ, સરકાર, સમાજ અને રાજકીય નેતાઓએ એના મૂળમાં જે બાબાતો છે એનો ઉકેલ શોધવો પડશે. ગુજરાતમાં સુખી ગણાતા સમાજના યુવાવર્ગના વ્યાપક બનતા જતા અનામત આંદોલનમાં આ બાબતે  ભાગ ભજવ્યો હોય તો નવાઈ પામવા જેવું નથી.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 અૉગસ્ટ 2015

Loading

નાતજાત બનામ સરકારી ભીંતડાં

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 August 2015

સાત દાયકાના ઉંબર વરસે, આઝાદીદિનનું ચિત્ર શું છે? આનંદી માર્ગની કૉફી ટેબલબુકમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની સંહિતા શોધી જડતી નથી. સ્વચ્છતા અભિયાન સરખું કાંક કશુંક જોણું લાલ કિલ્લાની રાંગેથી ખાબકી પડવાનું હોય તો પડશે. પણ અત્યારે તો આ અભિયાન સંદર્ભે બહાર આવેલા સર્વેક્ષણને એક અખબારી મથાળે ટૂંકમાં મૂકવ્યું મૂલવ્યું છે તેમ ‘ડર્ટી પિક્ચર’ જોવા મળે છે.

અગ્રલેખનો આ ઉઘાડ, બને કે, કોઈને નાસ્તિક ને નિઃસારવાદી લાગે. ફિલગુડને ચશમે જોઈએ અને પોઝિટિવ ઘેલાં કાઢવાની કોશિશ કરીએ તો પણ તંત્રી મુવા તે વાંકદેખાપણાનું વરદાન અને ઝટ પીછો છોડે શાનું.

આનંદી માર્ગથી લગાર હરીને જોઉં તો ગુજરાતમાં પટેલ અનામત એક મોખરાના મુદ્દા પેઠે છવાયેલ માલૂમ પડે છે. ચરોતરનો પાટીદાર અને સૌરાષ્ટ્રનો પટેલ બે જુદા છે અથવા તો આ આંદોલનના સગડ પક્ષમાં માંહોમાંહેના હિસાબને ચૂકતે કરવા લગી પહોંચે છે. ગઈ સદીમાં, બીજા સ્વરાજ પછીના દસકામાં ઉજળિયાતોએ અનામતવિરોધી ઉત્પાત મચાવ્યો હતો કે એક તબક્કે સત્તા-પ્રતિષ્ઠાનો એને કોમી વળાંક આપી આત્મસંતુષ્ઠિનો ઓડકાર ખાધો હતો એવું કંઈક હશે કે થશે? કદાચ, કોઈ એક સરળ સપાટ સમજૂતી શક્ય નયે હોય.

જ્યાં સુધી અરધી રાતે આઝાદીનાં સંતાનોનો સવાલ છે, સ્વરાજ સાત દાયકાનું થવા આવ્યું અને પ્રજાસત્તાક સાઠી વટી ગયું પણ આઇડેન્ટિટી પોલિટિક્સ થકી વમળાતો અમળાતો એથી અણઓળખાતો નાગરિક એક દુર્દૈવ વાસ્તવ છે. ગાંધીએ તિલકને ખભો દીધો અને આખી જે એક યુગસંક્રાન્તિ થઈ એની સાથે સરેરાશ હિંદવાસી હજુ સમાધાન સાધી શક્યો નથી. જન્મસિદ્ધ અધિકાર તે નાગરિક તરીકેનો, નહીં કે નાતજાતગત, એ વાનું કેમ પકડાતું નથી? દલિત મસીહા નવી સ્મૃિત કહેતાં બંધારણ ઘડે છે ત્યારે સૌની જિકર કરે છે. વર્ણવિશેષની નિશાન તાકે છે. આ તત્ત્વ પકડવાનું ન હોય તો આઇડેન્ટિટી પોલિટિક્સ સામે આઇડેન્ટિટી પોલિટિક્સ લટકા કરશે … અને પ્રજાસત્તાક બ્રહ્મ? ભ્રમ બની રહેશે.

જે વિમર્શ સવા વરસ પર દિલ્હીનશીન થયો એ ઓબીસી ઉદ્દેકી હિંદુવાદ અને કથિત વિકાસની કોકટેલથી વધારે નહોતો. બિહારમાં જે મુકાબલો થવામાં છે એમાં મંડલ-કમંડલ માનસિકતાથી થોડુંકે ઊંચે ઉઠાય તો સારું, પણ ત્યાં પણ એક કે બીજા પ્રકારે આઇડેન્ટિટી પોલિટિક્સ જ ખેલાશે એવું લાગે છે. સોનિયા-રાહુલ કૉંગ્રેસ વખાના માર્યા વિપક્ષનો વેશ ભજવતી હોય તો પણ લાલબાલપાલથી ગાંધીનેહરુપટેલ સંક્રાન્તિના અગ્રચરણની એને રગ છે કે કેમ, દૈવ જાણે.

કુસુમાગ્રજની કવિતાથી વાત પૂરી કરું : રાત પડે ચોપાટી પર મુંબઈ સમસ્તના બાવલાં ભેળાં મળ્યાં ને સુખ દુઃખની વાતે વળ્યાં. તિલકે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્કવાળો’, પણ મારી પાછળ અત્યારે તો ચિત્તપાવન બ્રાહ્મણોનું કોઈ ટોળું હોય તો હોય. આંબેડકરે કહ્યું કે હું બંધારણકાર ખરો, પણ મારી પાછળ દલિતો હોય તો હોય. ફૂલેએ કહ્યું કે મેં સૌ શુદ્રોને ઉપલી પંગતમાં આણ્યા, પણ મારી પાછળ પાંચપંદર ફૂલવાળા કે માળીઓ હોય તો હોય. હવે ગાંધીનો વારો છેક છેલ્લે (પોતે આમેય ‘અનટુ ધ લાસ્ટ’વાળો રહ્યો ને). એણે કહ્યું કે તમારી પાસે તો નાતજાતનું ઘાડિયું પણ છે, મારી પાછળ તો સરકારી ભીંતો સિવાય કશું નથી.

સ્વરાજને સાત દાયકે આટલું પકડાયપમાય તો પણ ઘણું.                             

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 01

Loading

એક નવા આતંકી જૂથને નાથવાની મથામણ

મહેશ દવે|Opinion - Opinion|20 August 2015

જુલીઓ રિબેરોનું નામ અજાણ્યું નથી. જૂની પેઢીના ચુનંદા આઈ.પી.એસ. અધિકારીઓમાં તેમનું નામ મોખરે છે. ઘણાં વર્ષો સુધી એમણે મુંબઈમાં પોલીસ-કમિશનર તરીકે કામ કર્યું. પંજાબ અને ગુજરાતનો કપરો સમય હતો, ત્યારે ત્યાં પણ એમણે થોડો વખત કામ કર્યું છે. ચાર-પાંચ દસકા પહેલાં મુંબઈમાં વિશિષ્ટ પ્રકારની ગુનાખોરી વકરી હતી. ખંડણી (ransom), ગેરકાયદે વસૂલી, કહેવાતા રક્ષણ માટે પૈસા પડાવવા (protection-money), ખર્ચાળ ભવ્ય લગ્ન કે એવા પ્રસંગે લાગો લેવો, ઉત્સવ-ઉજવણી માટે ઉઘરાણી, ટ્રેડ-યુનિયન્સ અને ગૅંગ્સની દાદાગીરી એવી તરાહ-તરાહની માફિયાગીરી ચાલતી હતી. કરિમ લાલા, હાજી મસ્તાન, દાઉદ, રાજન, છોટા શકીલ, સુભાષ ઠાકુર, અરુણ ગવળી, એવા કંઈક ‘ડોન’ કે ‘ભાઈ’ અને તેમની ટીખળીઓની જોહુકમી ચાલતી હતી. એ બધાને જેર કરવામાં રિબેરોનો મહત્ત્વનો ફાળો હતો. એમણે સાબદું પોલીસતંત્ર ઊભું કરેલું. કોર્ટે કાર્યવાહી માટે કાબેલ ટીમ તૈયાર કરી હતી. કુનેહ, બાહોશી, હિંમત અને પ્રામાણિકતાથી તેમણે ફોજદારી કાર્યવાહી સંગીન બનાવેલી.

નિવૃત્તિ પછીના જીવનનાં છેલ્લા વર્ષોમાં રિબેરો આજે ખિન્ન છે. દેશમાં પહેલી જ વાર તેઓ ખ્રિસ્તી લઘુમતીને હેરાન થતી જુએ છે. ખ્રિસ્તીઓને ધર્માંતર કરાવનાર વટાળપ્રવૃત્તિના વેપારી માનવામાં આવે છે. મધર ટેરેસા જેવા પર પણ કાદવ ઉછાળાય છે. ખ્રિસ્તી દેવળો પર હુમલા થયા કરે છે. ખિન્ન હૃદયે એમણે લેખો લખી હૈયાવરાળ કાઢી છે. વડાપ્રધાન સુધ્ધાંને પત્ર લખ્યો છે. આશ્વાસન મળ્યું છે, પણ સ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી.

સામાન્ય રીતે પોલીસતંત્રમાં ઉપરી અધિકારી અપ્રિય હોય છે, પણ રિબેરો એમાં અપવાદ છે. પોલીસતંત્રના તમામને રિબેરો માટે આદર અને પ્રેમ. કંઈ પણ મુશ્કેલી હોય તો અદના દરજ્જાનો પોલીસ કર્મચારી પણ રિબેરો પાસે જઈ શકે. રિબેરો તેને ધીરજથી સાંભળે, સાંત્વન, સાચી સલાહ, માર્ગદર્શન આપે અને હિંમત બઢાવે.

૨૫-૧૧-૨૦૦૮ના દિવસે આઈ.પી.એસ. અધિકારી હેમન્ત કરકરે રિબેરોને મળવા આવ્યા. હેમન્ત માટે રિબેરોને બહુ માન. રિબેરો હેમન્તનાં મોંફાટ વખાણ કરે. રિબેરો કહે છે હેમન્ત જેવા દક્ષ, નિષ્ઠાવાળા, ઈમાનદાર અને ફરજપાલનમાં ચુસ્ત અધિકારીઓ આજકાલ બહુ ઓછા મળે છે. તે દિવસે રિબેરોને હેમન્ત જરા બેચેન અને મૂંઝાયેલો લાગ્યો. હળવી વાતો કરી રિબેરોએ હેમન્તને નિરાંતવો (relax) કર્યો. પછી ખબર-અંતર પૂછ્યા.

હેમન્તે જે વાતો કરી તેનાથી રિબેરો ચોંકી ઊઠ્યા. હેમન્ત તે (૨૦૦૬ના) અરસામાં ઍન્ટિ-ટેરરિઝમ-સ્ક્વૉડ (એ.ટી.એસ.)નો વડો હતો. ૮-૯-૨૦૦૬ના દિવસે માલેગામમાં ચાર બૉંબધડાકા થયા. ૩૧ જણ માર્યા ગયા અને ૩૧૨ ઘાયલ થયા હતા. સ્થાનિક માહિતી મળ્યા પ્રમાણે પોલીસે નવ મુસ્લિમ યુવકોની ધરપકડ કરી તેમને કસ્ટડીમાં લીધા. પાકિસ્તાનના આતંકવાદીઓ અને ‘સીમી’ જેવા કેટલાંક ભારતીય મુસ્લિમ સંગઠનો આવાં કામોમાં સામાન્ય રીતે કાર્યરત હતા. તેથી મુસ્લિમ યુવકોને પકડવાનું પોલીસનું પગલું હેમન્તને વાજબી લાગ્યું.

એની આદત પ્રમાણે હેમન્તે પછી ઝીણવટભરી પૂછપરછ અને નિષ્પક્ષ તપાસ કરી. તેને જણાયું કે પકડેલા નવ મુસ્લિમોને ધડાકાઓ સાથે સ્નાનસૂતકનો સંબંધ નહોતો. પુરાવાઓથી સ્પષ્ટ થયું હતું કે કોઈ હિંદુજૂથનું આ કરતૂત હતું. સાચા આરોપી જણાતા હતા તેવા કેટલાક કટ્ટર હિંદુઓને હેમન્તે પકડ્યા. એમાંના એક અસીમાનંદે નિવેદનમાં કબૂલ્યું, ‘જૂન ૨૦૦૬માં ભરત રાતેશ્વરના ઘરે વલસાડમાં અમારી મિટિંગ મળી હતી. તેમાં મેં કહ્યું કે માલેગામમાં ૮૬ ટકા વસતી મુસલમાનોની છે. તેથી બૉંબ ફેંકવા માલેગામને પસંદ કરીએ. તે મુજબ ૮-૯-૨૦૦૬ના દિવસે માલેગામમાં બૉંબ ફેંક્યા.’ અલબત્ત પાછળથી સાક્ષી તરીકે અસીમાનંદ ફરી ગયો. ‘હૉસ્ટાઇલ’ સાક્ષીઓનું જાણીતું પોપટવાક્ય બોલ્યો, ‘બળજબરીથી મારું નિવેદન લેવાયું છે.’

માલેગામ પછી આ નવા આતંકવાદનો સીલસીલો ચાલુ રહ્યો. ૧૮-૨-૨૦૦૭ના દિવસે સમઝૌતા એક્સપ્રેસના બે કોચમાં બૉંબધડાકા થયા. ૬૮ માણસો માર્યા ગયા. ૨૦૦૭માં મક્કા મસ્જિદમાં અને અજમેર શરીફમાં બૉંબ ફૂટ્યા. ૨૦૦૮માં ફરી માલેગામમાં અને મોડાસામાં બૉંબ- ધડાકા થયા. પકડાપકડી, કબૂલાતો, સાક્ષીઓનું ફરી જવું. અત્યાર સુધીમાં ૧૮ સાક્ષીઓ ‘હૉસ્ટાઇલ’ થઈ ફરી ગયા છે. અને હજી તો મજલ લાંબી છે એ બધું કાયદાની વિધી પ્રમાણે ચાલ્યા કરશે. પણ હેમન્ત કેસ જડબેસલાક કરી રહ્યો હતો, પૂરતા પુરાવા એકઠા થયા હતા. એક આરોપી સુધારક ત્રિવેદીને પકડ્યો. એનું લેપટૉપ જપ્ત કર્યું. ઘણી પ્રિન્ટ્સ, ટેપ્સ મેળવી. લેફ્ટ કર્નલ પ્રસાદની ધરપકડ કરી. રિબેરોનું માથું ચકરાઈ ગયું. ‘He was staggered’.

થોડી વાર પછી હેમન્તે વાત આગળ ચલાવી. પ્રિન્ટ્સ, ટેપ્સ, કાગળિયા બધા પુરાવા લઈ હેમન્ત રોહિણી સેલીઅનને મળવા ગયો. આ નામ આપણે ત્યાં ઘણા માટે અજાણ્યું હશે, પણ મુંબઈના ન્યાયજગતમાં ન્યાયમૂર્તિઓ, વકીલો, પોલીસો, નામીચા ગુનેગારો અને માફિયાવર્લ્ડમાં આ નામ આદર, અહોભાવ … અને ભયથી લેવાય છે. ૬૮ વર્ષનાં રોહિણી છેલ્લાં ૩૫ વર્ષથી ફોજદારી કોર્ટોમાં અગ્રણી વકીલ છે. તેથી જ મુંબઈ જેવા શહેરમાં છેલ્લાં કેટલાં ય વર્ષથી સરકારના ફોજદારી કેસો ચલાવનાર મુખ્ય ધારાશાસ્ત્રી (Chief Public Prosecutor) છે. તેમણે માફિયાઓ સહિત અનેક જાણીતા ગુનાખોરો સામે કેસ ચલાવ્યા છે અને અસંખ્યને જેલભેગા કર્યા છે. હજી હમણાં જ સરકારી વકીલ તરીકે તેમણે રાજીનામું આપી દીધું છે. એ રાજીનામા પાછળ પણ એક કહાણી છે, તે આપણે આગળ જોઈશું.

હેમન્ત કરકરે રોહિણી પાસે એટલા માટે ગયેલો કે તેની ઇચ્છા હતી કે રોહિણી માલેગામ-જૂથના કેસો સરકાર વતી લડે. એ ગુનેગારોને આકરી સજા થાય અને આ નવો આતંકવાદ ઊગતા જ ડામી દેવાય. હેમન્તને મન હિન્દુ અને આતંકવાદ એ બે વિરોધી સંજ્ઞાઓ છે, વ્યદતોવ્યાઘાત (contradiction in terms) છે. સાચો હિંદુ કદી આતંકવાદી ન હોય. પણ રોહિણીએ હેમન્તની ઇચ્છા પર ઠંડું પાણી રેડ્યું. એણે કહ્યું, ‘બોગસ કેસોથી હવે હું ત્રાસી ગઈ છું. મેં રાજીનામું આપી દીધું છે, હવે હું બચાવ પક્ષે લડવાની છું.’

હેમન્ત અવાક્ થઈ ગયો. એણે રોહિણીને સમજાવી. આ સાચા હચમચાવી મૂકે એવા જુદા પ્રકારના કેસો છે. માંડ-માંડ રોહિણી માની. પુરાવા અને કાગળિયા, નિવેદનો વગેરે જોવા તૈયાર થઈ. તેણે કેટલાક પુરાવા, પ્રિન્ટ્સ વગેરે જોયા. એટલાથી જ એ સડક થઈ ગઈ. ઉપર ઉપરથી જ બધાં સાહિત્ય પર નજર ફેરવતા અડધી રાત થઈ ગઈ. બંનેએ ફરી મળવાનો સમય અને તારીખ નક્કી કર્યાં.

બીજે દિવસે સવારે રોહિણી વહેલી ઊઠી અને કાગળો, પુરાવા ઝીણવટથી જોવાનું, વાંચવાનું શરૂ કર્યું. એનું લાગણીતંત્ર હચમચી ઊઠ્યું. એ રડી પડી. પણ રોહિણી સ્વતંત્રમિજાજની, મક્કમ અને બુદ્ધિથી ચાલનારી નારી છે. એ કહે છે કે એ ‘પાક્કી હિન્દુ છે. પાક્કી એટલે સાચી. ગુનેગાર એટલે ગુનેગાર. એનો ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંબંધ નહીં જોવાનો. ગુનેગાર એટલે ગુનેગાર, એટલું સમજી એની પાછળ પડી જવાનું અને તેને જેર કરવાનો’. પણ મન ખુલ્લું રાખવાનું. એ નિર્દોષ જણાય તો એને બચાવવાનો, છોડવાનો.

દરમિયાન સરકારે આ બધા માલેગામજૂથ સાથે સંકળાયેલા કેસો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપ્યા, પોલીસતંત્ર અને રોહિણીનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે પહેલા પકડેલા નવ મુસ્લિમ યુવકોને છોડી દેવા. તેમની સામે કોઈ પુરાવા નહોતા, કોઈ કેસ નહોતો, પણ એન.આઈ.એને. તે સલાહ માન્ય નહોતી. પાછળથી તે નવ જણે જામીન માટે સ્વતંત્ર અરજી કરી. કોર્ટે એ સૌને જામીન પર છોડ્યા. બીજાં કબૂલાતનામાંઓ અને આધારો પર બીજાં ચાર આરોપી પકડાયા – સુનીલ જોષી, રામચંદ્ર કલસાંગરા, રમેશ મહાલકર અને સંદીપ ડાંગેનાં નામ ઉમેરાયાં.

હેમન્ત રિબેરોને મળવા ૨૫-૧૧-૨૦૦૮ના દિવસે ગયો હતો. રોહિણીએ કહેલી તમામ વાત રિબેરોને વિગતવાર કહી. રોહિણીએ સરકાર પક્ષે લડવાની તૈયાર બતાવી હતી. રિબેરોને રોહિણી માટે પણ એટલું જ માન હતું. એ કહેતા કે જેટલો પોલીસના તપાસતંત્રમાં હેમન્ત કાબેલ, બાહોશ અને પ્રામાણિક છે, તેટલી જ રોહિણી ફોજદારી કેસ ચલાવવાની કાર્યવાહીમાં કુનેહવાળી, ચતુર અને ઈમાનદાર છે. આ બંનેની જોડી હોય, તો કોઈ ગુનેગાર છટકી શકે નહીં. રિબેરોએ કહ્યું, ‘હેમન્ત, હવે શી ફિકર છે. જા બેટા, ફતેહ કર.’

હેમન્તે ક્ષુબ્ધ સ્વરે કહ્યું, ‘મુશ્કેલી ઉપરથી છે.’ માલેગામ-જૂથના કેસોની મારી કામગીરીથી કેટલાક ભા.જ.પ.ના નેતાઓ નારાજ છે. ખાસ કરીને એલ.કે. અડવાણીએ કહ્યું કે મેં કેસોને જે રીતે ટર્ન આપ્યો છે, તેનાથી તે બહુ નાખુશ છે. રિબેરોએ હેમન્તની હિંમત બઢાવી. સલાહ આપી કે તારે તારો પોલીસધર્મ બજાવવાનો. રાજકારણ, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે દબાણ કશું વચ્ચે ન લાવતો. તું કહેતો હોય તો હું અડવાણીને વાત કરું …

પણ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. બીજે દિવસે ૨૬-૧૧-૨૦૦૮ની સાંજે-રાતે દરિયા મારફત હોડીમાં પાકિસ્તાની આતંકીઓ આવ્યા. તેમણે બોરીબંદર સ્ટેશન (VT), તાજ હોટેલ, નરિમાન હાઉસ વગેરે જાહેર સ્થળોએ આડેધડ ગોળીબારો કરી ઘણાને મોતને ઘાટ ઉતાર્યા. હાહાકાર મચી ગયો. એ આતંકીઓને જેર કરવાની મુંબઈની પોલીસ ટીમમાં હેમન્ત કરકરે પણ હતા. કસાબ અને આતંકી ટોળકી સામેના ધીંગાણામાં જાંબાઝ પોલીસ-અધિકારી હેમન્ત કરકરે ગોળીનું નિશાન બન્યા, માર્યા ગયા, શહાદતને વર્યા. એક વીર પોલીસ અધિકારી ધૂપ થઈને ઊડી ગયો. રિબેરોએ અડવાણીને હેમન્ત વિશે વાત કરવા જેવું રહ્યું નહીં.

હવે કેસોનું સુકાન એકલાં રોહિણી સેલીઅનના હાથમાં હતું. ગયા વર્ષે મે, ૨૦૧૪માં કેન્દ્રમાં નવી સરકાર આવી. તેની પછી થોડા જ સમયમાં રોહિણી પર એન.આઈ.એ.ના એક અધિકારીનો ફોન આવ્યો. એણે કહ્યું કે એ આવીને રોહિણી સાથે વાત કરવા માગે છે. રોહિણી સમજી ગઈ એ અધિકારી જે કહેવું છે, તે ફોન પર કહેવા માગતા નથી. એ અધિકારી પછી મળવા આવ્યા અને કહ્યું કે તમને આપવાનો એક સંદેશો છે, તમારે આ (માલેગામ જૂથ) કેસોમાં કૂણાં રહેવું. (‘You should go soft’)

એકાદ વર્ષ પછી આ વાત રોહિણીએ બહાર પાડી. જણાવ્યું કે કેસોમાં કૂણા રહેવાની સૂચના એન.આઈ.એ. તરફથી તેને મળી છે. જાણે કે બૉમ્બ ફૂટ્યો. ત્રીસ વર્ષથી સરકારી વકીલાત કરીને. જેણે નામના અને સફળતાની અજબ પ્રતિષ્ઠા મેળવી હતી, તે બાહોશ સ્ત્રીનું આ કથન હતું. બીજે જ દિવસે એન.આઈ.એ. આવો સંદેશ આપ્યાનો ઇન્કાર કર્યો. રોહિણીએ કહ્યું મેં વર્ષો સુધી વકીલાત કરી છે. પુરાવા  વગર ન બોલવું તે હું જાણું છું. વર્ષ પહેલાં સંદેશો મળ્યો. પુરાવા ‘એ પહેલો સંકેત હતો. એ વિશે બોલવાનો સમય પરિપક્વ નહોતો થયો … એમના તરફથી તેમના ઇરાદાના પુરતા પૂરાવા મળે તેની મેં રાહ જોઈ. વર્ષ દરમિયાન એ પુરાવા મળ્યા.’

૧૨-૬-૨૦૧૫ના દિવસે એન.આઈ.એ.ના એ જ સંદેશવાહક અધિકારી રોહિણી સેલીઅનને મળવા આવ્યા એમણે કહ્યું, ઉપરથી સૂચના આવી છે. તમારે બદલે કેસોમાં અન્ય વકીલ સરકાર વતી ઊભા રહેશે. રોહિણીએ કહ્યું, ‘સારું, હું આ સૂચનાની અપેક્ષા જ રાખતી હતી. હું એની જ રાહ જોતી હતી’ અને આમ વર્ષો જૂનો મહારાષ્ટ્ર સરકાર અને રોહિણી સેલીઅનનો સંબંધ પૂરો થયો.

રાજકારણીઓ એ કહેવા માટે જાણીતા છે. – Law will take its due course. કાયદો એની વિધિ પ્રમાણે ચાલશે. રિબેરોની ફિકર એ છે કે ગુનેગારોને યેન-કેન-પ્રકરેણ બચાવવાથી આ પ્રકારની ગુનાખોરી વધશે. ન્યાયતંત્રમાં આજે ય વધી પડેલા ખોટા તપાસ-અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્રમાં ઓર વધારો થશે. આજે આપણે પાકિસ્તાનને આતંકવાદીઓને રક્ષવા, બચાવવા અને નવાજવા નિંદીએ છીએ. આપણી પણ એ જ દશા થશે. કાયદા અને ન્યાયને પ્રછન્ન રીતે ચાતરનારા પોતાની ગરીમા ગુમાવશે. કંઈ નહીં તો હેમન્ત કરકરેની શહાદતને ગૌરવ અને માન બક્ષવા કાયદા અને ન્યાયના શાસનને સ્થાપીએ ને  સ્થિર કરીએ.

e.mail : mdave.swaman@gmail.com

(“ઇન્ડિયન એક્સપ્રેસ”માં પ્રગટ થયેલા જુલીઓ રિબેરો અને સ્મિતા નાયરના લેખો, રોહિણી સેલવાનનો ઇન્ટરવ્યૂ અને માલેગામ જૂથના આંતકી બનાવોના અહેવાલોની સંકલિત કેફિયત.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 07-08

Loading

...102030...3,7633,7643,7653,766...3,7703,7803,790...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved