Opinion Magazine
Number of visits: 9692340
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Navi Sarkaar : Navaa Raajkiya-Aarthik Pravaaho


રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

નવી સરકાર : નવા રાજકીય-આર્થિક પ્રવાહો

——————————————————————————

૨૬મી મે ૨૦૧૪ના દિવસે નવી સરકારે એક વર્ષ પૂરું કર્યું. દરેક બાબતને પોતાની ‘સિદ્ધિ’ ગણાવવા આતુર એવી આ સરકારે પોતાની દૃષ્ટિએ પોતે જે મહાન કાર્યો કર્યાં છે તેને વર્ણવતી અગિયાર કરોડ પુસ્તિકાઓ છપાવી છે. વળી ૨૬-૩૧ મે દરમિયાન સંખ્યાબંધ પ્રધાનો તથા અન્ય નેતાઓની ફોજ ઠેર ઠેર મોકલી પોતાની સિદ્ધિઓના વારંવાર વખાણ કરવા માટે ઘણી પત્રકાર પરિષદો પણ યોજી. પોતાના જ સમર્થકો એવા મીડિયા અને પ્રચારતંત્રના ભૂંગળ અને બુંગિયા વચ્ચે નાનકડા પણ મહત્ત્વના સત્યને પણ બહાર લાવવું એક કપરું અને પડકારરૂપ કામ છે. આ અંગે ૨૮-૨૯ મેનો, આઈ.આઈ.ટી. મદ્રાસનો બનાવ દાખલારૂપ છે.

દેશની આઈ.આઈ.ટી.માં પ્રવેશતા વિદ્યાર્થીઓ અત્યંત તેજસ્વી હોય છે. આ વિદ્યાર્થીઓ પૈકી દલિત વિદ્યાર્થીઓ એક મંડળ ચલાવે છે, જેનું નામ ‘આંબેડકર પેરીઆર સ્ટુડન્ટ્‌સ સર્કલ’ (એ.પી.એસ.સી.) છે. આ વિદ્યાર્થીઓ ચર્ચાઓ અને ગોષ્ઠિઓ દ્વારા દેશના પ્રવાહો વિશે જરૂરી ચિંતન કરતા રહે છે. તાજેતરની આવી એક ચર્ચામાં ગૌમાંસ બાબતની તથા દક્ષિણ ભારતમાં પણ હિંદી ભાષા ઉપર વધુ ભાર મૂકવાની નીતિઓની ટીકા કરાઈ. આ વિગતોનો આધાર લઈને કોઈકે એક નનામો પત્ર કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ વિભાગને લખ્યો. કહેવામાં આવ્યું કે આ મંડળ તિરસ્કાર ફેલાવી રહ્યું છે. પરિણામે આઈ.આઈ.ટી.ના ડીને આ પ્રવૃત્તિ જ બંધ કરાવી દીધી. દેખીતી રીતે વાણી સ્વાતંત્ર્યની આ ઘટનામાં સરકારને કાંઈક અજુગતું જણાયું હોય તો સામે તે મંડળનો ખુલાસો માંગી શકાયો હોત. આ સરકાર, વિરોધી મતને સહન કરી શકતી નથી તેનું આ એક ઑર ઉદાહરણ એ છે તેણે જાણીતા નાટ્યકાર ગિરીશ કર્નાર્ડનાં નાટકોનું મંચન પણ રોક્યું છે.

સરકાર ગૌમાંસના મુદ્દે ઘણી સંવેદનશીલ હોય તેમ જણાય છે. એક બાજુ ૨૦૧૪ની ચૂંટણીની પ્રચારવેળાએ યુ.પી.એ. સરકારના ‘પીન્ક ટ્રેડ’(ગૌમાંસના વેપાર)ની વાતો ચલાવીને હિન્દુત્વને આગળ કરાતું રહ્યું. હવે વર્ષાન્તે પણ આ વેપાર બંધ થયો નથી. સરકારની કામગીરીની વિચિત્રતા જુઓ : મુખ્તાર અબ્બાસ નકવીએ એટલે સુધી કહી નાંખ્યું કે જે ગૌમાંસ ખાય તે પાકિસ્તાન ચાલ્યા જાય ! અને વિદેશ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાને કહ્યું, ‘હા, હું ગૌમાંસ ખાઉં છું, મને કોણ રોકવા માગે છે ?’

ગૌમાંસનો મુદ્દો ભા.જ.પ. સાથેના હિંદુત્વવાદીઓ માટે મહત્ત્વનો ખરો પણ બંધારણ, માનવ અધિકારો, જીવન જીવવાની વિવિધતા વગેરે મુદ્દાઓ પણ છે જ. પેલા વિદ્યાર્થીઓની વિચાર અભિવ્યક્તિની, નકવીનું વિધાન અને સરકારી ઔપચારિક કક્ષાએ ચૂપકીદી – આ બધું આ સરકારની કાર્યશૈલી અને શાસનની તરેહ વિશે ઘણું કહી જાય છે. ઘર વાપસી, વધુ બાળકો પેદા કરવા, બહુ લાવો – બેટી બચાવો વગેરે પ્રકારનાં ઉચ્ચારણો ભા.જ.પ.ના નેતાઓ કે ભગિની સંસ્થાઓના નેતાઓ કરે જાય છે અને સરકાર તે પૈકી કોઈનીય સામે નમૂનારૂપ પગલાં ભરતી નથી.

સરકારના સરવૈયાનો હિસાબ વિદેશી પત્રોએ પણ મૂક્યો છે. ૨૩મી મેના (લંડન) ઇકોનોમિસ્ટના જેકેટ ઉપર વડા પ્રધાનનું એક કાર્ટૂન ચિતરવામાં આવ્યું છે. તેનું મથાળું છે ‘વન મેન બેન્ડ.’ એક જ માણસ – સીતાર, બેન્ગો, ડ્ર્‌મ, તબલાં, ફલ્યૂટ વગેરે તમામ વાજીંત્રો વગાડે છે. ઇકોનોમિસ્ટે બે લેખ દ્વારા આ ઢબની પણ ખાસી વિગતવાર ચર્ચા કરી છે. (પરદેશી સામયિકો જો વખાણ કરે તો પોરસાઈ જતા ભા.જ.પ.ના નેતાઓના કોઈ પ્રત્યાઘાત આ અંકના લેખો બાબતે સાંપડ્યા નથી.) તેના કેટલાક મુખ્ય મુદ્દા નોંધીએ :

(૧) ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના પ્રયાસોમાં મુખ્યત્વે ઇવેન્ટ મેનેજમેન્ટ હતું. આવા પ્રયાસો, નીતિઓ કે અભિગમ વડે આવડા મોટા દેશનું ટ્રાન્સફર્મેશન રૂપાંતરણ થઈ જ ન શકે. (સરકારે આયોજન પંચ બંધ કરીને ‘નીતિ આયોગ’ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ભારતના રૂપાંતરણનો છે તે નોંધીએ.)

(૨) સરકારે સત્તા લેતાની સાથે જ ગૃહ, નાણાં વગેરે જેવા મહત્ત્વના વિભાગોના અનુભવી અધિકારીઓને તાત્કાલિક બદલી કાઢ્યા. આ અધિકારીઓના હાથમાં દેશના અત્યંત મહત્ત્વના ખાતા હતા. તેમના કારણે દેશનો વહીવટા સારી રીતે ચાલતો હતો. આવી જ રીતે યુ.પી.એ. સરકાર દ્વારા નિયુક્ત સંખ્યાબંધ ગવર્નરોને પણ હટાવાયા. આ દાખલામાં કમલા બેનીવાલ જેવાને પાઠ ભણાવવાનો અને અન્યોને કાઢીને પોતાના માણસોને ગોઠવવાનો ઉપક્રમ હતો.

વિરોધી તો ઠીક પણ સાવચેતીના સુરને પણ કાને નહીં ધરવાની આ ઢબને કારણે ગુજરાતમાં ‘ગુજટીકોક’ જેવો ધારો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયો છે.

(૩) લંડન ઇકોનોમિસ્ટના આ લેખોમાં તટસ્થભાવે કહેવાયું છે કે ભારતના વિકાસની ક્ષમતા છે પરંતુ તે માટે યોગ્ય વાતાવરણ અને ભૂમિકા ઊભા કરવા પડે. હાલની સરકારના આ એક વર્ષમાં આવા કોઈ પ્રયાસો થયા નથી.

શાસનની આ ઢબ અંગે તાજેતરમાં ઇકોનોમિક ટાઇમ્સે એક આગવી ઢબે લેખ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ તા. ૨૬-૫-૧૫ના દિવસે મથુરાના ભાષણમાં જે કહ્યું તેમાંથી તથ્યો તારવવાનું કામ તેણે કર્યું છે. આ અંગેની વિગતો ટૂંકમાં આ પ્રકારે છે.

વિધાન (૧) : આ એક વર્ષના શાસનમાં મોટા ભ્રષ્ટાચારી કૌભાંડનો એક પણ બનાવ બન્યો નથી.

પ્રતિભાવ : સાચું. આમ છતાં એન.ડી.એ.ના કેટલાક પ્રધાનો સામે આપેક્ષો તો થયા જ છે. તાજેતરમાં નીતિન ગડકરીના ‘પૂર્તિ ગોટાળા’ બાબતે કેગે ટીકા કરી જ છે. વળી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને અચાનક કેમ હટાવાયા તે બાબતે પણ પૂરતી વિગતો બહાર આવી નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના ખર્ચા, ટોળા ભેગાં કરવા, તેમને જમાડવા, હેલિકોપ્ટરો અને વિમાનોનો ઉપયોગ કરવો વગેરે જેવી અનેક બાબતો વિષે હજુ દેશ પૂરતી સફાઈની રાહ જોઈ રહ્યો છે.

વિધાન (૨) : મનરેગાના મહેનતાણાનું ડાયરેક્ટ પેમેન્ટ અમે શરૂ કર્યું.

પ્રતિભાવ : આ વિધાન સાચું નથી. મનમોહનસિંગે તા. ૨૧મી ઑક્ટોબર, ૨૦૧૨ના દિવસે રાજસ્થાનના ડુડુ (DUDU)થી આ રીતના ચુકવણાનો પ્રારંભ કરેલો. મનરેગા ઉપરાંત પેન્શન અને સ્વાસ્થ્ય વીમા યોજનાના ચૂકવણાં પણ આ રીતે શરૂ કરાયેલા.

વિધાન (૩) : યુરિયા ખાતરમાં થતી કાળાબજારી રોકવા વાસ્તે તેની ઉપર લીમડાનો પુટ ચઢાવવાનું અમે શરૂ કર્યું.

પ્રતિભાવ : આ બાબત સાચી નથી. આગલી સરકારે ૨૦૧૧-૧૨થી આ કામ આરંભેલું અને ૩૬.૩૩ લાખ ટન ખાતર વેચેલું. તે પછીના વર્ષ ૨૦૧૩-૧૪માં ૬૩.૪૧ લાખ ટન ખાતર આ રીતે વેચેલું.

વિધાન ૪ : આગલી સરકારના ગેરવહીવટના કારણે લોકોના રૂ. ૨૭,૦૦૦ કરોડ પી.એફ.ના ખાતાઓમાં પડી રહ્યા હતા, જેને અમે બહાર લાવ્યા.

પ્રતિભાવ : આ સાચું નથી. આગલી સરકારે યુનિક આઇડેન્ટરી નંબરની યોજના દાખલ કરી ત્યારથી આ વ્યવસ્થા સુધરવા લાગી હતી.

એક અલગ દૃષ્ટિકોણથી ઇન્ડિયન એક્સપ્રેસના તવલીન સિંઘ, ‘ફીફ્થ કોલમ’માં જણાવે છે કે આ સરકારની મોટામાં મોટી નિષ્ફળતા શિક્ષણ અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રોની છે. આપણે ગુજરાતના અનુભવ દ્વારા પણ જાણીએ છીએ કે શિક્ષણની એટલી બધી અવનતિ થઈ છે કે રાજ્યની એક આખી યુવા પેઢી નાસીપાસ થઈ ગઈ છે. શિક્ષક-અધ્યાપકોની ભરતી કરાતી નથી, તેમને પૂરતા પગાર અપાતાં નથી, ખાનગી નફાખોરો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી અને આ બધાને હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મોડલના નામે પહોંચાડાશે !

તવલીન સિંઘ જણાવે છે કે સરકાર હજુ નોકરશાહી ઉપર કાબૂ મેળવી શકી નથી અને તેથી વિદેશી રોકાણકારો અહીં આવતા ખચકાય છે. આ બાબતનો એક આધાર એ છે કે ડૉલર સામે ૫૮ રૂપિયાથી ગગડતો ગગડતો રૂપિયો હવે ૬૩ રૂપિયે પહોંચ્યો છે. યાદ કરીએ : ૨૦૧૪ની ચૂંટણીની ગરમીમાં વડા પ્રધાનપદના દાવેદાર તરફથી એક વિધાન થયેલું. ‘મનમોહનસિંઘ ડૉક્ટર છે પણ રૂપિયો બીમાર થઈ ગયો છે’. ઠીક, હવે ડૉક્ટરની ગેરહાજરીમાં પણ રૂપિયો બીમાર છે!

તવલીન સિંઘ તો સરકારના કાળા નાણાં અંગેના પગલાંની પણ ટીકા કરે છે. તે કહે છે આ કાયદાથી કરવેરાનું ખાતું, જે સૌથી ભ્રષ્ટ છે તેની પાસે વધારે સત્તાઓ પહોંચશે.

સરકારે આ વર્ષને ‘ઉજવવાનું’ ઠરાવ્યું તો છે પણ તેને ‘સંવાદ’ એવું નામ આપ્યું છે. આ સંવાદનો ખાસ અર્થ છે, તે કેટલાક અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરોમાંથી નીપજે છે. ‘સેલ્ફ એસેસમેન્ટ ઓફ મોદી ગવર્નમેન્ટ ઓન વેરિયસ ડિલિવરેબલ્સ’ – SAMVAD – દ્વારા આ શબ્દ રચાયો છે. પણ સરકાર ખરેખર પોતાનું સ્વ-મૂલ્યાંકન કરવા જેટલી અગ્રતા અને ખુલ્લાપણું ધરાવે છે ખરી ? કેટલાક લોકો એટલા ‘સ્વાશ્રયી’ સ્વભાવના હોય છે કે પોતાના વખાણ જાતે જ કરી લેવાનું રાખતા હોય છે!

પેલી અગિયાર કરોડ પુસ્તિકાઓના વજન હેઠળ પિલાઈ જતી બાબતો ઘણી છે. જમીન સંપાદન, ખેડૂતોની આત્મહત્યા, વ્યાપક બેકારી, ક્રૂડ ઓઈલના ભાવઘટાડાનો પૂરતો લાભ ઉઠાવવાની અસમર્થતા વગેરેની એક ખૂબ લાંબી યાદી છે. હવે તેમાં આઈ.આઈ.ટી. મદ્રાસના કિસ્સામાં બન્યું તેમ અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ, ગુજટીકોકમાં સૂચવાયું છે તેમ વ્યક્તિસ્વાતંત્ર્ય સામે જોખમ, લંડન ઇકોનોમિસ્ટ સૂચવે છે તેમ સત્તાનું કેન્દ્રીકરણ, જુદા જુદા નેતાઓના હિન્દુત્વવાદી વિધાનો અને કામગીરીઓ વગેરે જેવી અનેક બાબતો દેશ માટે એક વિમાસણ પેદા કરે છે.

એક વર્ષ દરમિયાન સાચી દિશાનું ખાસ કશું થયું નહીં અને ઉપરથી સમાજના વિવિધ ધર્મો-સંપ્રદાયો વચ્ચેના સૌહાર્દને હાનિ પણ પહોંચી.

આર્થિક ક્ષેત્રે પણ ૧લી જૂનથી અમલમાં આવેલા વેટના નવા દરોથી ‘अच्छे दिन’ તો ઠીક, ગઈકાલને આજ કરતાં વધુ સારી ગણવી પડશે. મોબાઈલ ફોનનો વપરાશ, રેસ્ટોરાનું જમણ, મુસાફરી સહિતની અનેક સેવાઓ મોંઘી થઈ છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે સરકારે ધનવાનો ઉપરના સંપત્તિવેરાને નાબૂદ કરી ગરીબ અને મધ્યમ વર્ગ ઉપરના વેરા વધાર્યા છે.

ચૂંટણી સમયના કાશ્મીર, ચીન, પાકિસ્તાન વગેરે અંગેનાં વિધાનો અને વલણોને, સત્તા પામ્યા પછીની કામગીરી સાથે પણ સરખાવવાં જોઈએ.

આમ એક વર્ષ તો સરકારની કામગીરીના મૂલ્યાંકન માટે ખૂબ નાનો ગાળો જ ગણાય પણ જ્યારે સરકાર પોતાની પીઠ જાતે જ થાબડવાનો સ્વાશ્રય કરવા માંગતી હોય ત્યારે તેને ધ્યાનથી નીરખવાનો મોકો પણ આપોઆપ જ ઊભો થાય છે.

“નયા માર્ગ” ૧-૭-૨૦૧૫

Loading

Patidaro, Jato, Gurjaro, Meenao ane Maratthaonum Samajshartra ane Manasshashtra

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|23 August 2015

પાટીદારો, જાટો, ગુર્જરો, મીણાઓ અને મરાઠાઓનું સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર

જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે અને જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. આ નર્યો સ્વાર્થ છે ને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નલીન કોટડિયાએ કહ્યું છે કે ગુજરાતમાં પાટીદારોને અનામતની જોગવાઈ મળવી જોઈએ અને એ જો સ્વીકાર્ય ન હોય તો કોઈ પણ કોમ માટે અનામતની જોગવાઈ ન હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપો તો અમને પણ આપો અને કાં કોઈને ન આપો. મુખ્ય મુદ્દો આ છે. આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ પામી જાય અને અમે રહી જઈએ એ ન ચાલે. એટલે તો ગુજરાતના પાટીદારો અનામતની જોગવાઈ મેળવવા રણે ચડ્યા છે. ભારતનો દેશપ્રેમ આવો છે. જ્ઞાતિ, ભાષા, ધર્મ, પ્રાદેશિક અસ્મિતા વગેરે સંકુચિત ઓળખો રાષ્ટ્રવાદનો છેદ ઉડાડે છે. મહારાષ્ટ્રમાં એક કહેવત છે કે કુણબી માઝલા કિ મરાઠા ઝાલા. એટલે કે કણબી જ્યારે બે પાંદડે થાય ત્યારે તે જાણે કે મરાઠા હોય એ રીતે વર્તવા માંડે છે. આનો ગર્ભિત અર્થ એ છે કે કણબીને એની જગ્યા બતાવતાં રહેવું જોઈએ. જ્ઞાતિ હિન્દુ-એકતાનો છેદ ઉડાડે છે એ જોઈને તો ૧૯૮૯માં ભારતીય જનતા પાર્ટીના હિન્દુ રાષ્ટ્રવાદી આંદોલનનો છેદ ઉડાડવા એ સમયના વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમને અનામત આપનારું મંડલનું કાર્ડ ઊતાર્યું હતું.

નલીન કોટડિયાના કથનથી જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. ભારતમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં પાંચ વર્ષના અંતરમાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી હિંસક આંદોલનો થયાં હતાં. પહેલું આંદોલન ૧૯૮૦માં થયું હતું અને બીજું ૧૯૮૫માં થયું હતું. પહેલા આંદોલન કરતાં બીજું આંદોલન વધારે વ્યાપક અને હિંસક હતું. ગુજરાતમાં આટલા ટૂંકા ગાળામાં બે વખત આંદોલનો થયાં એટલે પહેલાં ઇન્દિરા ગાંધીની અને પછી રાજીવ ગાંધીની સરકારે અન્ય પછાત કોમને અનામતની જોગવાઈ આપવાની ભલામણ લાગુ કરી નહોતી. ત્યારની કેન્દ્ર સરકારોને એમ લાગ્યું હતું કે ગુજરાત જેવી જ સ્થિતિ અન્ય રાજ્યોમાં પેદા થઈ શકે છે. આમ વીંછીનો દાબડો ખોલવાની સરકાર હિંમત કરતી નહોતી.

વાસ્તવિકતા એ છે કે ગુજરાતને અને ગુજરાતનાં ૧૯૮૦ના દસકાનાં બે અનામતવિરોધી આંદોલનોને સમજવામાં કેન્દ્ર સરકાર અને ભારતના કેટલાક સામાજિક-રાજકીય સમીક્ષકો ભૂલ કરી બેઠાં હતાં. એ આંદોલન અસ્સલમાં અનામતવિરોધી ઓછું હતું, પરંતુ દલિતો અને આદિવાસીઓવિરોધી વધુ હતું. મુખ્યત્વે દલિતવિરોધી હતું. બીજું, એના કર્ણધારો બ્રાહ્મણો, નાગરો, વણિકો કે રૂઢ અર્થમાં સવર્ણો નહોતા પરંતુ વચલી જ્ઞાતિઓના ઉચ્ચવર્ણીય સંપન્ન લોકો હતા. આજે જે લોકો પોતે પછાત હોવાની દલીલ કરી રહ્યા છે એ પાટીદારો એમાં મોખરે હતા. જી હા, ૧૯૮૦ અને ૧૯૮૫માં આ જ પાટીદારો અનામતની પ્રથાનો વિરોધ કરતા હતા અને વિરોધ કરવામાં મોખરે હતા. આની પાછળની માનસિકતા નલીન કોટડિયાના શબ્દોમાં વ્યક્ત થાય છે : આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ આગળ નીકળી ન જવું જોઈએ.

એ સમયે ગુજરાતનાં અખબારોએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. આગમાં તેલ રેડવાનું કામ ગુજરાતનાં અખબારોએ કર્યું હતું. આનું લૉજિક પણ સમજવા જેવું છે. ગુજરાતી અખબારોના વાચકો તરીકે ઉચ્ચ શિક્ષિત સવર્ણોની સંખ્યામાં ઘટાડો નહોતો થતો તો વધારો પણ નહોતો થતો. વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો શિક્ષિત થતા જતા હતા અને નવશિક્ષિત વાચકો તરીકે ઉમેરાતા હતા. ૧૯૮૫ સુધીમાં ગુજરાતી અખબારોમાં ૮૦ ટકા વાચકો વચલી જ્ઞાતિઓના ઉપલા થરના નવશિક્ષિતો હતા. ગુજરાતી અખબારો હવે તેમના પર નિર્ભર હતાં. અનામતવિરોધી આંદોલનને અખબારોનો ટેકો હોવાથી આંદોલન વકર્યું હતું. દલિતો બિચારા લાચાર અવસ્થામાં હતા.

બીજું, ભારતના અન્ય કોઈ પણ પ્રાંત કરતાં ગુજરાતમાં વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ બહુ મોટા પ્રમાણમાં અને ઝડપથી અસ્તિત્વમાં આવ્યો હતો. એ મધ્યમ વર્ગમાં પાટીદારો અને કણબીઓ અગ્રસ્થાને હતા અને આજે તો બહોળા પ્રમાણમાં છે. ખેતીવાડી, વેપારધંધા, ઉદ્યોગો અને રાજકારણ એમ દરેક ક્ષેત્રમાં આ પાટીદારોએ બ્રાહ્મણો અને વણિકોને પાછળ ધકેલી દીધા હતા. પાટીદારો અને કણબીઓ, એમાં પણ ખાસ કરીને પાટીદારો આજે ગુજરાતની શાસક પ્રજા છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહીં ગણાય. વેપાર કરનારી ગુજરાતી પ્રજા વ્યવહારુ છે માટે શાંત અને સહિષ્ણુ છે એ એક ભ્રમ છે. ભારતમાં સૌથી વધુ કોમવાદી હુલ્લડો ગુજરાતમાં થયાં છે અને ભારતમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી જ્ઞાતિવાદી આંદોલનો થયાં છે. ગુજરાત જેવાં અનામતવિરોધી આંદોલનો બીજા કોઈ રાજ્યમાં નથી થયાં. ગુજરાતના મધ્યમ વર્ગના આવા બેવડા ચહેરાને ઓળખવામાં સમાજશાસ્ત્રીઓ થાપ ખાઈ ગયા હતા. ગુજરાતનો મધ્યમ વર્ગ એક જ સમયે કોમવાદી પણ છે અને જ્ઞાતિવાદી પણ છે. બન્ને ચહેરા પ્રસંગોપાત્ત પ્રગટ થતા રહે છે.

ત્રીજું, જાણીતા સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસની થિયરી મુજબ ભારતમાં વચલી જ્ઞાતિઓમાં બહુ મોટા પ્રમાણમાં સંસ્કૃિતકરણ (સંસ્ક્રીટાઇઝેશન) થઈ રહ્યું છે. એમ. એન. શ્રીનિવાસની થિયરી એવી છે કે આઝાદી પછી વચલી જ્ઞાતિઓની પ્રજા જેમ-જેમ શિક્ષિત અને સુખી થતી ગઈ એમ-એમ એણે પોતાની જાતે જ પોતાનું જ્ઞાતિકીય સામાજિક સ્તર ઉપરનું હોવાનું એકપક્ષીય રીતે ઠરાવવાનું શરૂ કર્યું હતું. આવા એકલદોકલ પ્રસંગો ૧૯મી સદીમાં પણ જોવા મળતા હતા, પરંતુ આઝાદી પછી આ એક ફૅશન બની ગઈ છે. ૧૯મી સદીમાં જગન્નાથ શંકરશેટ મુંબઈમાં મોટા શ્રીમંતોમાંના એક હતા. તેઓ સોનાર (સોની) જ્ઞાતિના હતા અને તેમણે પોતાની જ્ઞાતિને દેવજ્ઞ બ્રાહ્મણ સોનાર જ્ઞાતિ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. તેમની વગ એટલી મોટી હતી અને સોનાર જ્ઞાતિ પ્રમાણમાં સંપન્ન હતી એટલે કોઈએ એકપક્ષીય રીતે જ્ઞાતિકીય સ્તર ઉપર ઉઠાવવાના જગન્નાથ શંકરશેટના પ્રયાસનો વિરોધ કર્યો નહોતો.

આઝાદી પછી વચલી જ્ઞાતિઓએ એકપક્ષીય રીતે પોતાને ઉપર ઉઠાવવાનું શરૂ કર્યું હતું. મહારાષ્ટ્રમાં અનેક જ્ઞાતિઓ પોતાને મરાઠા તરીકે ઓળખાવે છે તો ગુજરાતમાં તેઓ પાટીદાર કે કણબી તરીકે ઓળખાવે છે. ગુજરાતની વ્યાવસાયિક કોમ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. ગુજરાતના અસ્સલ, મધ્યકાલીન યુગમાં રિયાસતોને કારણે ક્ષત્રિય બનેલા કે પછી આજના યુગમાં શ્રીનિવાસની થિયરી મુજબ પોતાની જાતે પોતાને ક્ષત્રિય ગણાવતા નવક્ષત્રિયો પોતાને કાં સૂર્યવંશી ગણાવે છે કાં ચન્દ્રવંશી. પોતાની જાતે જ પોતાની જ્ઞાતિનું સ્તર ઉપરનું હોવાનું જાહેર કરવાની અને એને સિદ્ધ કરવાની પ્રવૃત્તિ દેશભરમાં ચાલી રહી છે.

અહીં એક હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે આ પ્રવૃત્તિ માત્ર વચલી જ્ઞાતિઓમાં જ ચાલે છે. જ્ઞાતિની નિસરણી પર સૌથી ઉપલા પગથિયે રહેલા બ્રાહ્મણોને હજી ઉપર ચડવા માટે જગ્યા નથી અને સાવ નીચે છેલ્લે પગથિયે રહેલા દલિતોને એની છૂટ નથી. આદિવાસીઓ નિસરણીની બહાર છે. ભારતની જ્ઞાતિઓમાં પહેલાનો અને છેલ્લાનો ક્રમ નિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ નિશ્ચિત છે, જ્યારે બીજી વચલી જ્ઞાતિઓનો ક્રમ અનિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ અનિશ્ચિત છે.

ચોથું, ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષમાં બ્રાહ્મણોનું હવે કોઈ સ્થાપિત હિત રહ્યું નહોતું. મોટા ભાગના બ્રાહ્મણો અને વણિકો ગામડાં છોડીને શહેરમાં જતા રહ્યા છે. ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષ વચલી જ્ઞાતિઓમાં આપસમાં અને દલિતો સાથેનો સંયુક્ત રીતે છે. પાટીદારને કણબીનું મોઢું જોવું ગમે નહીં અને બન્નેને મળીને દલિતનું મોઢું જોવું તો જરા ય ગમે નહીં. મુખ્યત્વે આર્થિક સ્વાર્થો જ્ઞાતિકીય પૂર્વગ્રહોનો ચહેરો ધારણ કરીને પ્રગટ થતા રહે છે. ૧૯૮૦માં અને ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલનો થયાં ત્યારે અનામતની જોગવાઈ માત્ર દલિતો અને આદિવાસીઓ માટેની હતી એટલે વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ અનામતની વિરુદ્ધ હતો અને તેમણે સંયુક્તપણે એ લડાઈ લડી હતી.

૧૯૮૦ના પહેલા આંદોલન વખતે હજી મંડલ પંચની ભલામણો આવી નહોતી એટલે અન્ય પછાત કોમ કહેતાં વચલી જ્ઞાતિઓને અનામતની જોગવાઈ મળશે એવી કોઈ સંભાવના દેખાતી નહોતી. બીજી વખત ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલન થયું ત્યારે મંડલ પંચનો અહેવાલ આવી તો ગયો હતો, પરંતુ સરકારે લાગુ કર્યો નહોતો. સર્વસાધારણ ધારણા ત્યારે એવી હતી કે વધારાની અનામતની જોગવાઈ સાવ પછાત જ્ઞાતિ માટેની હોવી જોઈએ અને એમાં આપણી જ્ઞાતિનો સમાવેશ થાય એવી સંભાવના દેખાતી નહોતી. એમાં વળી દરેકે પોતાની જ્ઞાતિનું સ્તર પોતાની મેળે જ ઉપર ઉઠાવ્યું હતું અને તેઓ પોતાની જાતે પોતાને ઉજળિયાત સમજવા લાગ્યા હતા એ સ્થિતિમાં આપણે અનામતને લાયક હોઈ શકીએ એવી કોઈ સંભાવના તેમને સપનામાં પણ નજરે પડતી નહોતી.

આપણે તો ઉજળિયાત છીએ અને વધારાની અનામતની જોગવાઈ જે લોકો ઉજળિયાત નથી એવા પછાત લોકો માટે હશે એમ સમજીને વચલી જ્ઞાતિઓના ઉપલા થરના મધ્યમ વર્ગના લોકોએ મેરિટના નામે અનામતનો સમૂળગો વિરોધ કર્યો હતો. ત્યારે તેઓ કહેવાતી સમાનતામાં અને ગુણવત્તામાં માનનારા મેરિટોક્રેટ હતા. અનામત હોવી જ ન જોઈએ, અનામતના કારણે ગુણવત્તાનું ધોરણ કથળે છે, વીતેલા યુગના લોકોએ કરેલી ભૂલની સજા આજના યુગમાં અમારાં બાળકોને કરવામાં આવે એ અન્યાય છે જેવી બ્રાહ્મણો જે દલીલ કરતા આવ્યા છે એવી દલીલ પાટીદારો કરતા હતા.

૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈનો અમલ કર્યો અને દલીલો બદલાઈ ગઈ. અવદીચોની નાતના જમણવારમાં અમે બી ડીચ કહીને બીજી કોમના લોકો ઘૂસી જતા એમ હવે વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો પોતાને પછાત ગણાવીને ઘૂસવા માગે છે. પછાત કોને ગણવા એના માપદંડો કાચા અને અધૂરા છે એનો તેઓ લાભ લેવા માગે છે. શ્રીનિવાસ કહેતા એમ જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે. જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ, ઉત્તર ભારતમાં જાટો અને મીણાઓ અને ગુજરાતમાં પાટીદારોનું તર્કશાસ્ત્ર બદલાઈ ગયું છે. આ નર્યો સ્વાર્થ છે અને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 23 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-23082015-14

Loading

રાજપથ-જનપથ ભૂલેલા રોકસ્ટાર

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|22 August 2015

રાજપથ-જનપથ ભૂલેલા ‘રોકસ્ટાર’

એમને એ ઠીક કોઠે પડી ગયું છે. બલકે, સદી ગયું છે એમ જ કહોને … એ ય એક આંટો ઓર મારી આવ્યા! ધ્વજ ફરકાવ્યો ન ફરકાવ્યો, તકરીર ફટકારી ન ફટકારી, અને સંયુક્ત અરબ અમીરાતે સંચર્યા. વળી પાછી એક મેડીસન (કે મોદી‘સન’) મોમેન્ટ અંકે કર્યાનો બિલ્લો ટિંગાડી આવ્યા. અને હવે, સપ્ટેમ્બર ઊતરતે સાન હોઝે (કેલિફોર્નિયા), નવેમ્બરમાં વહેલું આવજો લંડન. ઈવેન્ટ મેનેજમેન્ટ તો કોઈ એમની કને શીખે. હશે ભાઈ, પ્રવાસી ભારતીયો સાથે દેશદેશનાં રમણીહૃદયો જીતતા ફરતા કોઈ પ્રાચીનકાળના વીર જેવો નમોનો એક વિશેષ નાતો છે તો છે. કદી કદી ભારતની મુલાકાતે આવતા રહો તો હાઉં, એ મતલબની કોઈ એક પંક્તિકા રાહુલ ગાંધીની તરજ પર ફટકારીએ તો પણ ઠીક, ન ફટકારીએ તો પણ ઠીક.

રહો, હમણાં મેં કહ્યું કે તકરીર ફટકારી, પણ 15 ઓગસ્ટ 2014 અને 15 ઓગસ્ટ 2015 વચ્ચે ફરક ખસૂસ હતો : ત્યારે માથે લાલચટક પાઘ હતી. આ વખતે એને ઠેકાણે પાઘના રંગમાં નારંગી નરમાશ વરતાતી હતી. ત્યારે કોરી પાટ હતી અને વૈખરીવશ એને મેજિક સ્લેટમાં ફેરવી શકાઈ હતી. એક આખું આભ હાથવગું (અને મોંવગું) હતું. ચાહે તે ચાંદતારા ટિંગાડવાની સહજ સોઈ હતી. વરસ વીત્યે? છતી વૈખરીએ અસ્ખલિત ધારાપ્રવાહે પણ કશીક હાંફ હતી, કેમ કે પેલા આકાશે અને ચાંદતારાએ હવે વર્ચ્યુઅલ અને રિયલ વચ્ચેનું અંતર અંશત: પણ કાપવાનું હતું. વક્તૃત્વકળા વાસ્તવનો અવેજ તો નથી હોઈ શકતી. પરિણામે, સાધારણપણે નમોનાં ભાષણો જેને માટે જાણીતાં નથી એવાં ટીકાવચનો આ વખતે ક્યાંક ક્યાંક સાંભળવા મળ્યા -ડિસઅપોઈન્ટિંગ, લાંબુલચક, ઘોર બોરિંગ.

નહીં કે એ નેવું મિનિટમાં મુદ્દા કે વિગતો ન હતી. હતું, ભાઈ હતું. બિહાર વાસ્તે ખાસંખાસ પેકેજ પણ હતું, કેમ કે સપ્ટેમ્બરમાં અમેરિકા અને નવેમ્બરમાં ઇંગ્લંડ બેઉ વચ્ચે ઓક્ટોબરમાં પટણાક્ષેત્રે કુરુક્ષેત્રે ઓ.બી.સી. ઓળખ અને વિકાસવેશનો કોઠો જે ભેદવાનો છે. એક વાત સોજ્જી કીધી નીતીશકુમારે કે તમે ચાલુ ફાળવણીઓનો ઘટાટોપ કરી એક-બે નવી (ખરું જોતાં નવા જેવી) જાહેરાતોથી એને ફુગાવીને ‘પેકેજ’, ‘પેકેજ’નો ચીપિયો ખખડાવો મા. જો કે નીતીશને પક્ષે માર્કાની વાત તો એ હતી કે અમને ‘બિમારુ’ ચીતરો મા. (સુજ્ઞ વાચકને ખયાલ હોવો કે ગુજરાતની પોતાની લાંબી પરંપરા સામે એવા કોઈ પરંપરાદાવા વિના નીતીશે વિકાસનો રસ્તો પકડી બતાવ્યો. તેને પરિણામે આજથી ત્રણ-ચાર વરસ પર એન.ડી.એ.ના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદી સિવાય એક નામ તરીકે એમનો ય સિક્કો પડવા માંડ્યો હતો.)

અલબત્ત, વચનેષુ કિં દરિદ્રતા. તમે જુઓ કે બિહાર પેકેજમાં ગ્રામીણ રસ્તાઓ માટે ખાસા 13,820 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરાઈ છે. દેશ આખાના ગ્રામીણ રસ્તાઓ માટેની બજેટ જોગવાઈ રૂપિયા 14,291 કરોડ છે. એન.ડી.ટીવી. હિંદી ખ્યાત રવીશકુમાર તો બચાડા પ્રમાણિક જીવ રહ્યા. એટલે પોતાને આ બે આંકડાનો (અને એવા જ બીજા આંકડાઓનો) મેળ પડતો નથી એવું એમણે બોલીયે બતાવ્યું. પણ લોકો તો વીરનાયકને સાંભળીને મોહમૂર્છાને વર્યા જ ને.  પણ અમીરાતમાં પણ જુઓ. 2013માં અક્ષરધામ, અબુધાબી માટે જમીન ફાળવાયેલી હશે તો હશે, પણ ‘ચમત્કાર’ કે ‘લબ્ધિ’, એ તો નવે નામે જ જમે થાય ને. ભલા ભાઈ, ત્યાં શ્રીનાથજીની હવેલી, શિવાલય અને ગુરુદ્વારા પણ કે’દીના છે. ત્યાંના પ્રવાસી ભારતીયોનું દુબાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં એકત્ર થવું અને ‘મોદી’ ‘મોદી’એ ગામ ગજવવું, એ મારા વડાપ્રધાન માટે એક ભારતીય તરીકે મને કેમ ન ગમે? જરૂર ગમે. પણ એક ભારતીય તરીકે હું એમની રાજકીય મૃગયાની આરપાર જોવાની કોશિશ કરું ત્યારે મને એમ પણ થાય કે પ્રવાસી ભારતીયો આ સહજ ગૌરવક્ષણને ગૌરવમૂર્છામાં ન ફેરવવા દે અને ભારતની વાસ્તવિકતાને પણ સમજવાની કોશિશ કરે. વસ્તુત: આ વૈખરીચર્ચાને એક અલગ છેડેથી જોવાની જરૂર છે. વીતેલા ગાળામાં મોદી મૌનમોહનસિંહને ટપી જતા ‘ચૂપેન્દ્ર’નો ઉપાલંભ રળી ચૂક્યા છે. ચૂંટણીમાં ‘હા’, ‘ના’ એમ શ્રોતાઓ પાસેથી બોલાવવાનો નહીં જેવો અપવાદ બાદ કરો તો મોદીની વક્તૃત્વમોહિની એકમાર્ગી અને એ અર્થમાં બિનલોકશાહી છે. એ છવાઈ જઈ શકે ભૂરકી છાંટી શકે, રંગ રંગ અફીણિયાં ઘોળી શકે, પણ સાર્થક સંવાદ? એ ક્યાંથી પ્રેરી શકે. 

આ સંદર્ભમાં એક ચર્ચા તરફ આપણે ત્યાં ખાસ ધ્યાન કદાચ નથી ગયું. આ ચર્ચા, જયપુર લિટરરી ફેસ્ટિવલની શૃંખલામાં ત્રણેક મહિના પર લંડનમાં યોજાયેલ સંગોષ્ઠીમાં લેન્સ પ્રાઈસે કરી હતી. પ્રાઇસ, એ મોદીની ચહેતી પસંદગી છે. એક કાળના બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરના આ સલાહકારને મોદીએ ખાસ બરકી એમની પાસે પોતાની ચૂંટણીઝુંબેશ પરની કિતાબ લખાવી છે – ‘મોદી ઈફ્કેટ : ઈનસાઇડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટૂ ટ્રાન્સફોર્મ ઈન્ડિયા.’ અલબત્ત વાત આપણે મોદીની વાગ્મિતા સબબ કરીએ છીએ. લંડન સંગોષ્ઠીમાં ‘ઈન્ડિપેન્ડન્ટ’ના જોન એલિયટે લેન્સ પ્રાઈસને પૂછ્યું હતું કે ધારો કે 2019ના સંસદીય જંગ માટે મોદી તમારી સલાહ લે તો તમે શું કહો. પ્રાઈસે એ મતલબનો પ્રતિભાવ આપ્યો હતો કે અત્યારની એકમાર્ગી પદ્ધતિએ મોદીનું ભાવિ 2014 જેવું ઊજળું નયે હોય. આ ગાળામાં એમણે એક પણ ધોરણસરની, પૂરા કદની પ્રેસ કોન્ફરન્સ કરી નથી, જે ખરેખર તો વખતો વખત કરવી જોઈએ. ‘હું માનું છું કે લોકશાહીનો એ એક મૂળભૂત સિદ્ધાંત છે કે તમે ચુંટાયેલ વડા પ્રધાનને મીડિયા થકી પહોંચી શકો, મળી શકો.

બીજા શબ્દોમાં, પત્રકારો તરફથી મુક્તપણે પૂછાતા વાજબી પ્રશ્નોના ઉત્તર મળતા રહે એવી એક નિયમિત પ્રણાલિ સ્થપાવી જોઈએ.’ ‘મોદી ઇફેક્ટ’ના અભ્યાસી પ્રાઈસે તો માનો કે પ્રેસ કોન્ફરન્સ રૂપે એક ઇંગિત આપ્યું. મુદ્દાની વાત એ છે કે દેશ બહાર રોકસ્ટાર તરીકે ઓળખાવું કે એવી સરખામણીના ધણી થવું અગર સ્ટાર પરફોર્મર તરીકે મંચ પર છવાઈ જવું એની એક ભૂમિકા હોઈ શકે છે. એક હદ સુધી લોકોને તમે ખેંચી રાખી શકો છો. પણ લોકશાહી નેતૃત્વ આમ એકમાર્ગી રાહે યશસ્વી ન થઈ શકે. (‘મનકી બાત’ પણ, એમ તો, નિતાન્ત એકમાર્ગી જેવો જ ઉપક્રમ છે ને?) આરંભે 2014 અને 2015ની 15મી ઓગસ્ટો વચ્ચે આંશિક સરખામણી કરી 2015માં કંઈક ઊતરતી કળા માલૂમ પડી હોય તો એનો અર્થ એ નથી કે હવેનાં બાકી વરસોમાં એમ જ થશે. સરખો દાવ લઈ પણ શકે. પણ એકમાર્ગી વાકવિહાર એ લોકશાહીમાં ન તો રાજપથ છે, ન તો જનપથ છે.

સૌજન્ય :”દિવ્ય ભાસ્કર”, 22 અૉગસ્ટ 2015

કાર્ટૂન સૌજન્ય : "ધ હિન્દુ", 15 અૉગસ્ટ 2015

Loading

...102030...3,7603,7613,7623,763...3,7703,7803,790...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved