Opinion Magazine
Number of visits: 9552431
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફૂલ ખીલેંગે બાગો મેં જબ તક ગુલાબ કા પ્યારા, તબ તક ઝીંદા હૈ ધરતી પર નેહરુ નામ તુમ્હારા

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|18 May 2015

“ફૂલ ખીલેંગે બાગો મેં જબ તક ગુલાબ કા પ્યારા
તબ તક ઝીંદા હૈ ધરતી પર નેહરુ નામ તુમ્હારા”

મારી શિશુ વયથી પૂર્વ આફ્રિકાના દેશોમાં, હિન્દવી જમાતના ઘરોમાં, મહદ્દ અંશે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ તેમ જ નેતાજી બોઝની છવિઓ જોવા મળતી. ક્યારેક સરદાર પટેલની તથા ભારતમાતાની પણ છબી તે હારમાળામાં સામેલ દેખાતી. પરદેશ કમાવાધમાવા ગયેલી જમાતના રાષ્ટૃપ્રેમની આ સાહેદી છે. આ બાકી હોય તેમ, આફ્રિકા ખંડના મોટા ભાગના દેશોની સ્વાતંત્ર્ય લડતમાં જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી પણ અગ્રેસર લેખાતા. મોટા ભાગના નેતાઓ, વળી, આ બન્નેથી પૂરા ભાવવિભોર વર્તાતા. દક્ષિણ આફ્રિકાની રાષ્ટૃીય હિન્દી કાઁગ્રેસની વિવિધ શાખાઓ તેમ જ પૂર્વ તથા કેન્યાની રાષ્ટૃીય હિન્દી કાઁગ્રેસ પરે ય આ મહાનુભાવો છવાયા રહેતા.

આવી આ આદર્શ પ્રતિમાઓ (રૉલ મૉડેલ્સ) તે સમયથી જ મારા પરાક્રમી પુરુષો તરીકે સ્થપાઈ ચુક્યા છે. તે દિવસોમાં આફ્રિકામાંથી પ્રગટ થતાં ગુજરાતી, અંગ્રેજી અખબારોમાં તેમ જ ભારતથી આવતાં સમસામયિકોમાં આ આગેવાનોની વાતો, એમના સમાચારો દેખતો અને મને જોમજોસ્સો ચડતા. મારું, મારા વિચારોનું, મારી સમજણનું ઘડતર કરવામાં આ ત્રિપુટીનો ઝાઝેરો ફાળો રહ્યો છે.

સન 1936માં લખનઉ ખાતે મળેલી કાઁગ્રેસમાં જવાહરલાલ નેહરુએ આપેલા ભાષણ બાદ, વિદેશ અંગેની બાબતોને અગત્ય મળવા લાગ્યું. જગતના સ્તરે જે ગતિવિધિ હતી તેની જાણકારી મેળવાતી ગઈ. સંસ્થાનવાદ, સામ્યવાદની માહિતીવિગતો પણ મેળવાતી ગઈ. બ્રિટનના અન્ય સંસ્થાનો અને તેમાં રહેતા હિન્દીઓની બાબતો પણ તેમાં અગ્રતા મેળવતી રહી. આમ આફ્રિકામાં વસતા હિન્દીઓના પ્રશ્નોની છણાવટ થતી રહી. સરોજિની નાયડુ, મૈથિલીશરણ ગુપ્ત, દીવાન ચમનલાલ, અપ્પા પંત, કાકા કાલેલકર સરીખાં આગેવાનોની સમયસમયની આફ્રિકા-યાત્રાએ, તેમ જ એમનાં સક્રિય માર્ગદર્શનથી પણ નેહરુ – ગાંધીની આગેવાનીવાળા આંદોલનથી હિન્દવી વસાહતને સાંકળાવાનું સહેલું બનતું હતું. વળી, અપ્પા પંતની સક્રિયતાને કારણે આફ્રિકી રાજકારણીઓ તેમ જ નેહરુના વડપણવાળી સરકાર વચ્ચે ઘનિષ્ટતા મજબૂત બનતી થયેલી.  

હમણાં હમણાં અપ્પા બી. પંત લિખિત ‘અનડિપ્લોમેટિક ઇન્સિડન્ટ્સ’માંથી પણ પસાર થવાનું બન્યું. એમણે જવાહરલાલ નેહરુ માટેનાં સ્થાન અને માનની અનેક સાહેદી આપી છે. ગઈ સદીના પાંચમા દાયકા વેળા અપ્પા સાહેબ પૂર્વ આફ્રિકા ખાતે ભારતના રાજદૂત હતા અને એમણે જે તે મુલકોની નેતાગીરી સાથે જે ઘનિષ્ઠતા સેવી હતી અને ઊભી કરી હતી તેની આ ચોપડીમાં વિગતે નોંધ લેવાઈ છે. આફ્રિકાના આ સઘળા મુલકમાં જવાહરલાલજી માટે ભારે અગત્યનું સ્થાન રહેતું. દરેક આગેવાન એમનાં માર્ગદર્શન માટે આતુર રહેતા. અને આની સહજ ઝાંખી મારા એ દિવસોમાં મેં ઉપરછલ્લી તો ઉપરછલ્લી જાણી છે, જોઈ છે.

દરમિયાન, ગઈ સદીના પાંચમા દાયકામાં માવતરે મને ગુજરાતમાં ભણવા મુક્યો. સત્તાવનના અરસામાં સાર્વત્રિક ચૂંટણીઓ આવી અને જવાહરલાલજીની કાઁગ્રેસનો દબદબો જોઈને રાજીના રેડ બનતો. એ દિવસોમાં જામનગરમાં દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહની સખાવતથી મેડિકલ કૉલેજ શરૂ થવામાં હતી. જવાહરલાલજી અવસરે જામનગર પધારેલા. બહુ નજીકથી એમને સાંભળવાનો લ્હાવો મળેલો. કેટલીક પરિસ્થિતિઓને લીધે, દરમિયાન, ઘેર પરત થવાનું બન્યું અને એકસઠમાં, મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે જવાનું થયું. રહેવાનું ગામદેવીમાં હતું. ચૌપાટી નજીકનું મથક. કાઁગ્રેસ હાઉસ પણ ખૂબ નજીક. જાણે કે પગડે ઘા ! વળી તે જ અરસે, બાંસઠની ચૂંટણીઓના પડઘમ વાગવા શરૂ થયા, તેથી તેવાકમાં આવા સ્થળોએ નેહરુજી સહિતની અનેક જંગી સભાઓ યોજાતી અને તે દરેકને રૂબરૂ માણતો થઈ ગયેલો. એની વચ્ચે આપણા એક આદરમાન કવિ, રમેશ ગુપ્તાની જોમભરી કવિતાઓ, આવી આવી સભાઓમાં, એમને કંઠે ય ગુંજતી સાંભળતો. એમને મળતો, એમની સાથે વાતો કરતો અને મને શેર શેર લોહી ચડી આવતું.

1962માં ચીને આદરેલા યુદ્ધ વેળા, કવિ ‘પ્રદીપે’ (રામચન્દ્ર નારાયણજી દ્વિવેદી) લખેલું ગીત અને સી. રામચન્દ્રના સંગીત નિર્દેશન હેઠળ લતા મંગેશકરને કંઠે ઝૂમી ઊઠેલું એ ગીત : ‘એ મેરે વતન કે લોગોં …’ સૌ પહેલાં સાંભળવાનો ય મોકો મળેલો. ઓપેરા હાઉસ વિસ્તારના કેનેડી પૂલ પડખે આવેલી ક્વિન મેરી સ્કૂલના પ્રાગંણમાં, એક ખીચોખીચ પણ જંગી સભા મળેલી. જવાહરલાલજી તેમાં હાજર. લતાજીનાં ગાનથી દડદડ આંસુએ રડતા પંડિતજીને બહુ જ નજીકથી જોયાનું પણ સાંભરણ છે.

સન 1964ની 27 મેએ પારિવારિક પ્રસંગે જામખંભાળિયા હતો. પિતરાઈ બહેનનું લગ્ન હતું. વિધિ પતવામાં હતી, ત્યાં જવાહરલાલજીના અવસાનના સમાચાર મળ્યા. તાકીદે જામનગર જવા નીકળી ગયો અને શોકમગ્ન રહી. તે સંબંધક રોજિંદા સમાચારોમાં ખૂંપ્યો રહ્યો. … ખેર !

રફિક ઝકરિયાની સંપાદિત એક ચોપડી છે : ‘અૅ સ્ટડી અૉવ્ નેહરુ’. જવાહરલાલજીની સિત્તરેમી વર્ષગાંઠ નિમિત્ત, જીવનવૃત્તાન્ત સંબંધક નિબંધોની આ ચોપડીમાં કહેવાયું છે :

‘એમણે એમને વ્યામોહિત કર્યા છે; એમણે એમનો પરમ આદર કર્યો છે. દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં જ્યાં પહોંચવું જ અઘરું છે, ત્યાં પણ એમનું નામ ઘરેઘરે પ્રચલિત છે; અભણ ગ્રામ્યવાસીઓમાં તો એમનું સ્થાન દેવ સરીખું બની ગયું છે. મોટા ભાગના ભારતીયોમાં એ સમગ્ર જીવનના રૂડા, ખાનદાન તેમ જ સુન્દર પ્રતીક છે. એમની ભૂલો માટે ય એ પ્રશસ્ય રહ્યા છે; એમની નબળાઈઓ માટે ય ચાહના છે. વીરપુરુષોની પૂજાઅર્ચના કરવાવાળા આ મુલકમાં એ વીરપુરુષોના ય પરાક્રમી પુરુષ રહ્યા છે. એમની ટીકાટિપ્પણ કરવી અયોગ્ય લેખાય છે; એમને વખોડવું એ અનાદર-સૂચક છે. … એમના પક્ષથી એ સૌ નારાજ હશે, એમના શાસન હેઠળ એ સૌ દુ:ખી હશે, એમ છતાં એ સૌને એમના પ્રતિ એટલો બધો અનન્યભાવ છે કે એમને કશા ય સારુ જવાબદાર લેખવામાં આવતા નથી.’

વારુ, એક જ કૉલેજમાં ભણતા સહાધ્યાયી ધીરેન મરચન્ટ અને હું, યુવાવસ્થાએ, જવાહરલાલ નેહરુની કોઈ જાતની આલોચના સહી જ શકતા નહીં. ટીકાખોરનો સામનો કરતા કરતા અમે બાખડી ય પડતા ! …  વરસો જતાં, આ પ્રકૃતિમાં ફેર પડ્યો છે અને વિચાર, વાણી અને વર્તન હવે વિશેષ વિધેયક તેમ જ ઉદ્દિષ્ટ લક્ષ્ય બન્યાં છે. … ખેર !

વારુ, અબ્રાહમ કાઉલીને ટાંકીને આરંભાયેલી ‘મારી જીવનકથા’ ખૂબ જ અસરકારક લાગી છે. ‘પોતે પોતાના વિષે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે; કારણ, પોતાને વિષે કશું ખરાબ લખતાં પોતાને ખટકે અને સારુ કહેતાં સાંભળનાર કે વાંચનારને ખટકે.’ અને નહેરુએ લખ્યાં બીજાં પુસ્તકો, ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’, ‘મારું હિંદનું દર્શન’ તેમ જ ‘કેટલાક જૂના પત્રો’માંથી પણ પસાર થવાનું બન્યું છે ત્યારે જવાહરલાલ નેહરુએ આ લખાણોમાં ‘હું’ને વામન કરી નાંખ્યાનું ચોખ્ખું દેખાતું રહ્યું.

આપણી જબાનના એક ઉત્તમ તંત્રી એટલે દિવંગત યશવંત દોશી. “ગ્રંથ”નામે એક બહુ સરસ સામયિક એ ચલાવતા હતા. ‘પરિચય ટૃસ્ટ’ હેઠળ નીકળતા આ સામયિકના જૂન 1964ના અંકમાં ‘સંસ્કૃિતઓનો સેતુ’ નામે દિવંગત વાડીલાલ ડગલીનો મજેદાર લેખ પણ સામેલ છે. એમાંથી આ બે ફકરા જોઈએ :

‘1936માં નહેરુએ એમની આત્મકથા પ્રસિદ્ધ કરી અને ઇંગ્લેન્ડમાં ખળભળાટ મચી ગયો. એમની આત્મકથામાં ક્યાં ય વંધ્ય રાષ્ટૃવાદનાં દર્શન નહોતાં થતાં. પશ્ચિમની પ્રજાને એક સંવેદનશીલ આંતરરાષ્ટૃીયવાદી વિચારકના એમાં દર્શન થયાં. આત્મકથાએ એકીસાથે અનેક કામ કર્યાં. અંગ્રેજોને થયું કે આ તો આપણા જેવો જ એક માણસ સામ્રાજ્યવાદની નિરર્થકતા વિશે લખી રહ્યો છે. અંગ્રેજો સમજી શકે એવી વાણી(ઈડિયમ)માં નહેરુએ ભારતના સ્વાતંત્ર્યની અનિવાર્યતા સમજાવી. સમાજવાદ, લોકશાહી, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને ઉદ્યોગીકરણ વિના ભારતની દશા નહિ બદલી શકાય એ પણ એમણે આત્મકથામાં કહ્યું. ગાંધીજીની કલ્પનાનો સમાજ એમને કેમ પૂરેપૂરો ગળે ઊતરતો નથી એ પણ એમણે પોતાના દેશવાસીઓને કહ્યું. પંડિતજીએ પોતે આત્મકથા લખીને આંતરરાષ્ટૃીય ક્ષેત્રે અસાધારણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આઝાદી આવી અને નહેરુ વડા પ્રધાન થયા ત્યારે દુનિયાને નવાઈ એટલા માટે ન થઈ કે પેલી મહાન આત્મકથાના લેખક જ સત્તા પર આવ્યા હતા.

‘આમ તો, એમના પ્રકાશકે પંડિતજીને ભારતની રાષ્ટૃીય ચળવળનો ઇતિહાસ લખવાનું કહ્યું હતું પણ એમણે એક કળાકારની ખુમારીથી એમની આગવી શૈલીમાં જ આ ઇતિહાસ લખ્યો. એમનું જીવન અને રાષ્ટૃનું જીવન એકબીજા સાથે એટલાં બધાં ઓતપ્રોત થઈ ગયાં હતાં કે એકને મૂકીને બીજા વિશે લખવા જાય તો તે કથા અધૂરી જ રહી જાય. આત્મકથા દ્વારા, ખરી રીતે તો, જવાહરલાલજીએ ભારતના મુક્તિસંગ્રામનું એક મહાકાવ્ય લખ્યું છે.’

“ગ્રંથ”ના અૉગસ્ટ 1964ના નેહરુ વિશેષાંકમાં, રવિશંકર સં. ભટ્ટનો સરસ લેખ છે. એ આરંભે લખે છે : ‘પંડિત જવાહરલાલ નેહરુની ‘આત્મકથા’ના પ્રકાશન પ્રસંગે તેમને અભિનંદન આપવા મુંબઈમાં એક સભા મળી હતી, તેમાં સુપ્રસિદ્ધ અમેરિકન લેખક જૉન ગન્થરે એ ગ્રન્થની ‘સાંપ્રતકાળની − બલકે સદાકાળની – સૌથી વિશેષ હૃદયંગમ આત્મકથા’ તરીકે પ્રશંસા કરી હતી. એ સર્વાંશે યથાર્થ હતી કારણ કે આત્મકથાએ લાખો હિંદીજનોના તેમ જ જુદા જુદા દેશોના યુવાન અને પ્રગતિશીલ જનોના મનને ગાઢ અને પ્રેરણાદાયી અસર કરી છે. તેનાં ભાષાંતરો જગતની આશરે 29 ભાષાઓમાં થયાં છે અને તેને પરિણામે પંડિતજીને એક અગ્રગણ્ય લેખક અને વિચારક તરીકે આંતરરાષ્ટૃીય ખ્યાતિ મળી છે. ‘આત્મકથા’નાં ભાષાંતરો હિંદની પ્રદેશિક ભાષાઓમાં થયાં છે અને ગુજરાતીમાં સ્વ. મહાદેવભાઈ દેસાઈનો અનુવાદ સુંદર છે.’

ગગનવિહારી મહેતા આ અંગે જણાવે છે તેમ, ‘મહાદેવભાઈએ કેવી રીતે એનો અનુવાદ કર્યો હતો એનો ઉલ્લેખ અહીં અપ્રસ્તુત નથી; એમણે પોતે એની વાત કહી હતી. પોતે રેંટિયો કાંતતા જાય, સામે ‘Autobiography’નું પુસ્તક ટેકવીને રાખે અને અનુવાદ કરતા જાય જે એમના પુત્ર નારાયણ લખી લે ! અતિશય સરસ આ અનુવાદ છે એ કહેવાની જરૂર નથી.’

આ અનુવાદના આરંભે, મહાદેવભાઈએ ચૌદ પાનમાં પથરાયો અભ્યાસુ ઉપોદ્દઘાત આપ્યો છે. કોઈ પણ અનુવાદક માટે, કોઈ પણ અભ્યાસુ માટે આ પાનાંઓ દીવાદાંડીની ગરજ સારે છે. આરંભમાં જ અનુવાદક ફોડ પાડીને કહે છે : ‘પંડિત જવાહરલાલનું પુસ્તક નથી ગાંધીજીની વિરુદ્ધ પ્રચાર, કે નથી ‘ગાંધીવાદ’ની સામે પડકાર. પ્રસંગે પ્રસંગે ગાંધીજીના જીવન અને વિચારનું પૃથક્કરણ કરતાં જવાહરલાલે ગાંધીજીને ઊભરાતા પ્રેમથી ભરેલી અને શુદ્ધ ભક્તિથી જે અંજલિ આપી છે, તેની બરોબરી પણ કરવાની કોઈ ગાંધીજીના અનુયાયી કે ભક્તની મગદૂર નથી, એમ મારું  હૃદય સાક્ષી પૂરે છે.’

વાડીલાલ ડગલી કહે છે તેમ, આત્મકથામાં એ સ્પષ્ટ થયું કે નહેરુ પશ્ચિમના પ્રશંસક હતા પણ પશ્ચિમના આંધળા ભક્ત ન હતા. પશ્ચિમની આંખે જ બધું જોવાય અને મૂલવાય એમાં એમનું સ્વમાન ઘવાતું હતું. આત્મકથા લખી એ પહેલાં એમણે 1934માં ‘ગ્લિમ્પસિઝ અૉફ વર્લ્ડ હિસ્ટરી’ (જગતના ઇતિહાસનું રેખાદર્શન) પ્રગટ કર્યું હતું. તેની પાછળ પણ પ્રધાન ઉદ્દેશ એ હતો કે માનવસંસ્કૃિતના વિકાસની કથા એશિયાના દૃષ્ટિકોણથી પણ નિહાળવી જોઈએ. પશ્ચિમની ક્રિયાશીલ સંસ્કૃિતનું પાસું જવાહરલાલે ભારતની પ્રજા સમક્ષ છતું કર્યું પણ ભારતની સંસ્કૃિત શું છે એ પ્રશ્ન એમને મૂંઝવતો હતો. આપણો  અધ્યાત્મ વારસો શું છે એ સમજવાનો પંડિતજીએ પ્રયત્ન કર્યો ‘ધ ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા’(મારું હિન્દનું દર્શન)માં. 1946માં પ્રસિદ્ધ થયેલા આ ગ્રંથમાં આપણને પંડિતજી અને ભારતની સંસ્કૃિત એમ બંનેના પ્રાણતત્ત્વનાં દર્શન થાય છે. ‘ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા’માં કમળા નહેરુના છેલ્લા દિવસોનું જે વર્ણન છે તે વર્ણનનાં થોડાં પાનાં વિશ્વસાહિત્યના ઉત્તમ પ્રતિનિધિ સાથે બેસી શકે તેમ છે.

એક અતિશય કાર્યરત, બહુશ્રુત અને સંસ્કારવાંછુ પિતાએ પોતાની ઉંમરલાયક થતી જતી પુત્રીના માનસઘડતર માટે જગતના મહાનુભાવો અને પ્રશ્નોનો તેને પરિચય કરાવવા માટે જગતનો ઇતિહાસ અંગત અને અનૌપચારિક પત્રો દ્વારા રજૂ કર્યો. પ્રાધ્યાપક નગીનદાસ સંઘવીએ વધુમાં નોંધ્યું છે તેમ, ‘ઊંચે આસને બેસીને વિદ્યાર્થીને પઢાવીને પોપટ બનાવી મૂકવા ઇચ્છતા પંડિતનું આમાં ક્યાં ય દર્શન થતું નથી. વાત્સલ્યથી માથે હાથ ફેરવતાં ફેરવતાં ઇતિહાસના રસનું સિંચન પોતાના સંતાનમાં કરતા વડીલનું ચિત્ર અહીં દેખાય છે. અહીં વિદ્વતા છે પણ તેનું ભારેખમ ગાંભીર્ય નથી. સંસકારની ઝંખના છે પણ અમુક જ સંસ્કારનો આગ્રહ નથી.’

‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’, વળી, ઇતિહાસનું પાઠ્યપુસ્તક નથી અને ઇતિહાસની તમામ હકીકતોનું વિગતવાર જ્ઞાન આપવું એ તેનો હેતુ પણ નથી.

જવાહરલાલ નેહરુનું ‘મારું હિન્દનું દર્શન’ પુસ્તક અત્યન્ત મહત્ત્વનું અને નોંધપાત્ર છે, એમ કા.ના. સુબ્રમણ્યમ્ નોંધે છે. એમના મતાનુસાર, જવાહરલાલની સાથે ઊછરેલી આખી પેઢીના હિન્દ દર્શન કરતાં એ ભિન્ન હતું.

પુસ્તક તરીકે જોઇએ તો નેહરુનું આ છેલ્લું પુસ્તક છે. આ પુસ્તકમાં જવાહરલાલની ઊંડી સૂઝ અને આંતરદર્શનની વાચકને પ્રતીતિ થાય છે. ‘ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા‘ લખ્યા પછી નેહરુ બીજું કોઈ પુસ્તક લખી ન શક્યા તે રંજની વાત છે. … જ્ઞાનેશ્વર કુલકર્ણી કહે છે તેમ, પણ આવું કોઈ પુસ્તક ન લખાયાના આશ્વાસનરૂપે ‘અૅ બન્ચ અૉફ અૉલ્ડ લેટર્સ‘ (કેટલાક જૂના પત્રો) પુસ્તકમાં નેહરુનો જીવન – ઘડતરકાળ આલેખવામાં આવ્યો છે અને તે આલેખનારાં છે તેમનું જીવન ઘડનારાં સ્ત્રી-પુરુષો.   

‘મહાદેવભાઈની ડાયરી’માં નોંધાયું છે : ‘એમના પુસ્તકના પાને પાને એક વસ્તુ રહી છે : “જ્યાં આદર્શો જ્વલંત રહે અને હૈયાં અડગ હોય ત્યાં નિષ્ફળતા હોય જ નહિ. ખરી નિષ્ફળતા તો સિદ્ધાંતના ત્યાગમાં, પોતાનો હક જતો કરવામાં, અને અન્યાયને ભૂંડી રીતે વશ થવામાં છે.”’ બીજી તરફ, સર્વપલ્લી રાધાકૃષ્ણન્ લખતા હતા : ‘નેહરુ એક ઉચ્ચ કોટિના લેખક હતા. તેમની આત્મકથા આપણા જમાનાની એક અત્યન્ત નોંધપાત્ર કૃતિ છે. કાંઈ પણ રોદણાં રોયા વિના કે આપવડાઈ વિના તેમણે એમાં તેમના જીવનની અને આઝાદીજંગની કથા આલેખી છે.’

‘સંસ્કૃિતઓનો સેતુ’ નામક પોતાના નિબંધમાં વાડીલાલ ડગલી આ ફકરા સાથે નિબંધને આટોપે છે :

‘વિજ્ઞાને અંતરને નાથ્યું છે. દૂરદૂરના ખંડો હવે પાડોશી બની ગયા છે. ગઈ કાલની ભૌગોલિક સરહદો નકામી બની ગઈ છે. અંતર ઘટ્યું છે પણ ભય વધ્યો છે. આવા ભયની આબોહવામાં માનવસંસ્કૃિત કરમાઈ રહી છે એમ કહી જવાહરલાલજીએ દુનિયાની મહાસત્તાઓના અંતરાત્માને જગાડવા પ્રયત્ન કર્યો. ક્યારેક ભારતનું કામ એક બાજુ હડસેલીને પણ પંડિતજીએ માનવજાતની આ મહાત્ત્વાકાંક્ષી સેવા કર્યે રાખી. આ કારણે જ આવા વિધાયક વિચારકના જવાથી ખંડેખંડેમાં વિષાદ ફેલાયો હતો. જવાહરલાલજીના અવસાનને દિવસે ભારત અને દુનિયા વચ્ચેનું અંતર નામશેષ થયું હતું.’

શશી થરૂરે આપી અનેક ચોપડીઓમાં એક ગમતી ચોપડી છે : ‘નેહરુ ધ ઇન્વેન્શન અૉફ ઇન્ડિયા’. આ પુસ્તકનો આખરી ફકરો, અનુવાદે, અહીં લેતા લેતા વિરામીએ :

‘એમના મેજ પર, જવાહરલાલ બે ગણચિહ્ન રાખતા — મહાત્મા ગાંધીની સોનેરી નાની મૂર્તિ અને અબ્રાહમ લિંકનના હાથની કાંસ્ય પ્રતિમા. સમય સમય પર એમને સ્પર્શતાં સ્પર્શતાં એ ઉષ્માહૂંફ મેળવી લેતા. એમને સારુ પ્રેરણાનો પટ ક્યાં લગી લંબાતો તેની ઝાંખી આપણને એમાંથી મળી જાય છે : મહાત્માના અંતર સુધીની પહોંચ મેળવીને તેમ જ લિંકનના હાથ સમ શક્તિ પ્રાપ્ત કરી કોયડાઓના ઉકેલ સારુ એ મથતા રહે, તેમ એમણે વારંવાર કહ્યું જ છે. નેહરુનો સમય, અલબત્ત, ક્યારનો પસાર થઈ ગયો છે; પરંતુ દેશની બૌદ્ધિક વિરાસત કેટકેટલી ટૂંકાઈ છે તેની સાહેદી આપણે આમાંથી જડે છે − આ બન્ને ચીજને હવે સંગ્રહાલયમાં મૂકી દેવાઈ છે અને એમના વારસદારોએ ફક્ત મેજનો વપરાશ રાખ્યો છે.’  

પાનબીડું :

સરોજિની નાયડુનો પત્ર

હૈદરાબાદ (દક્ષિણ),
દિવાળી,  1939

પ્રિય જવાહર,

તમારી પહેલી અર્ધી સદીનું જીવન ક્યારનુંયે ઇતિહાસ, લોકગીતો તથા લોક કથાનો વિષય બની ચૂક્યું છે. હવે પછીની અર્ધી સદીનાં આરંભનાં વરસો તમારાં સ્વપ્નો તથા તમારી કલ્પનાઓને ફળીભૂત કરનારાં નીવડો તથા માનવપ્રગતિના ઇતિહાસમાં તમને એક સર્વોત્કૃષ્ટ મુક્તિદાતા તરીકે અમરત્વ આપનારાં થાઓ …

હું તમને રૂઢિગત ‘સારી ભેટો’થી નથી નવાજી શકતી. અંગત સુખ, સગવડો, આરામ, સંપત્તિ તથા સામાન્ય માનવીની પૂંજીરૂપ એવી બીજી વસ્તુઓને તમારા જીવનમાં ઝાઝું સ્થાન છે, એમ મને નથી લાગતું. … દુ:ખ, યાતનાઓ, બલિદાન, ગમગીની, ઘર્ષણ … હા, આ બધી તમારે માટે વિધિનિર્મિત ભેટો છે. પરંતુ તમે કોઈ ને કોઈ રીતે તેમને રોમહર્ષણ આનંદ, વિજય − સ્વતંત્રતામાં પલટી નાખશો … તમે વિધિના સંતાન છો − જનસમુદાયની વચ્ચે એકાકી રહેવાને, તેમના અખૂટ પ્રેમપાત્ર થવાને, પરંતુ તેમને માટે કોયડારૂપ રહેવાને સરજાયા છો …

તમારો ખોજની યાત્રાએ નીકળેલો આત્મા તેના લક્ષ્યને પામો તથા સચ્ચિદાનંદનો સાક્ષાત્કાર કરો.

તમારી કવિ બહેન તથા ખોજની સહયાત્રી બહેનના આ આશીર્વાદ છે.

સરોજિની નાયડુ

(‘કેટલાક જૂના પત્રો’, અનુવાદક : મણિભાઈ ભ. દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર, જૂન 1962, પૃ. 458)

હૅરો, ફેબ્રુઆરી – 20 માર્ચ 2015

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

રિવર ફ્રન્ટ અને નદીને જીવંત કરવા વચ્ચે ફરક છે

સનત મહેતા|Samantar Gujarat - Samantar|14 May 2015

લોકમાતાનું કોર્પોરેટકરણ : રિવર ફ્રન્ટ એટલે માત્ર કોર્પોરેટનો વિકાસ. નદીને જીવંત કરાય તો આખા વિસ્તારનો વિકાસ થાય

14ની ચૂંટણી અને વચનોની વણઝારને એક વરસ પૂરું થઈ ગયું છે. ભા.જ.પે. મેળવેલી એકલે હાથે બહુમતીનું અભિમાન રાજ્યસભાની વાસ્તવિકતા સામે મિથ્થાભિમાન સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને એના સાથીદારોને ‘ભાંગ્યુ તો ય ભરૂચ’ જેવા પરિણામમાં પણ નિષ્ફળતા મળી છે. ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ જે મનોરાજ્ય ઊભું કર્યું હતું – ‘બુલેટ ટ્રેન’ અને ‘એરપોર્ટ’ જેવી સગવડવાળા રેલવે સ્ટેશનોવાળી રેલવે; સો જેટલા ‘સ્માર્ટ નગરો’ જે જોઈને ગામડાંના યુવકો સ્માર્ટ નગરો તરફ ધસી જશે; પરિણામે ચીનની જેમ સસ્તા મજૂરો ઉદ્યોગોને મળી જશે; જમીન સરકાર આપી શકે. એવો જમીન સંપાદન કાયદો; વિદેશમાં પડેલા ‘કાળા નાણાં’ પરત લાવી દરેક સ્વચ્છ ગંગાને કાંઠે અયોધ્યામાં ‘ગંગા રિવર ફ્રન્ટ’ વગેરે … વગેરે – હવે બધું ‘વર્લ્ડ કલાસ’ – કશું ભારતીય નહીં. કેવું છે એ મનોરાજ્ય! પરિણામ એ આવ્યું કે, ગુજરાતમાં જ્યાં નદી ત્યાં ‘રિવર ફ્રન્ટ’ બનાવવાની હોડ શરૂ થઈ છે. વડોદરામાં રૂ. 1,400 કરોડના ખર્ચે ‘વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ’ બનાવવા કોર્પોરેશન સપના બતાવી રહ્યું છે.

પણ, આવા જન્મેલા આવેશ અને હવામાં પગલાં ભરાઈ રહ્યાં છે ત્યારે ગયા અઠવાડિયે ‘મેગ્સેસે એવોર્ડ’ વિજેતા અને ‘વોટરમેન’ તરીકે દેશભરમાં જાણીતા બનેલા રાજેન્દ્રસિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા અને ‘સાબરમતી રિવર ફ્રન્ટ’ જોઈને અને ‘વિશ્વમિત્રી રિવર ફ્રન્ટ’ની યોજનાની જાણ થયા પછી કહી નાંખ્યું – ‘રિવર ફ્રન્ટ પ્રોજેક્ટથી નદીઓનું નહીં પણ કોર્પોરેટસનું ડેવલપમેન્ટ થશે’. વધુમાં કહ્યું કે, સરકારે કામ કરવું જ હોય તો વિશ્વામિત્રી જેવી રાજ્યની મૃત:પ્રાય નદીઓને પુન:જીવિત કરવાની કામગીરી કરવી જોઈએ. તેને માટે કરોડોના ખર્ચની નહીં પણ, રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગૃતિની જરૂર છે.

રાજેન્દ્રસિંહ કંઈ રાતોરાત ભારતના ‘વોટરમેન’ બની ગયા નથી. મૂળે, આયુર્વેદિક ડોક્ટર, એવા રાજેન્દ્રસિંહ પ્રેક્ટિસ છોડી, 30 વરસની મહેનત અને લાખો લોકોના શ્રમદાનના પરિણામે અલ્વર વિસ્તારની અરવરી અને સાવી જેવી સાત નદીઓ જીવિત કરી અને વિશ્વમાં ધ્યાન ખેંચાયું. આ સાત નદીઓને જીવિત કરવા રાજેન્દ્રસિંહે 11 હજાર ચેકડેમ બનાવ્યા. કમાલ એ છે કે, રાજેન્દ્રસિંહે આ કામ માત્ર રૂ. 27 કરોડમાં કર્યું. ભારતમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ‘રાજનેતાઓ મતદારોને વિશાળ આધુનિક ટેકનોલોજી આધારિત મનોરાજ્યમાં લઈ જાય છે.’ રાજેન્દ્રસિંહ પહેલા 2014ના પ્રારંભમાં, વિનિત દિવાડકર નામના, લેન્ડસ્કેપ, આર્કિટેકચર અને અરબન ડેવલપમેન્ટના હાર્વર્ડ યુનિવર્સિટીના માસ્ટર ડિગ્રીના અભ્યાસીએ પણ સાબરમતી રિવર ફ્રન્ટનો અભ્યાસ કરી એને આવું જ નામ આપ્યું હતું.

દિવાડકરે અને ‘નર્મદા સ્વિમિંગ પુલ અને અમદાવાદ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ કહ્યો હતો. કેવો અકસ્માત? હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધક અને સામાજિક કર્મશીલ જેણે સાત સૂકી નદીઓને જીવિત કરી છે. એવા જમીની કાર્ય કાર્યકરનું સાબરમતી રિવર ફ્રન્ટ માટે સરખું જ તારણ ! પણ આપણી કમનસીબી એ છે કે, હવે શાસકોને સત્ય વાત કહેવાની આપણી શક્તિ ક્ષીણ થઈ રહી છે. દિવાડકરને અભ્યાસ પછી સૌથી વધુ દુ:ખ એ વાતનું છે કે, સાબરમતી નદીમાં નદીનું પોતાનું પાણી વહેતું નથી. પણ 200 કિલોમીટર દૂર આવેલા બંધનું નર્મદા નદીનું પાણી વહે છે. દિવાડકર મૂળ તો, 1986-88 વચ્ચે પ્રસિદ્ધ સ્થપિત રિચાર્ડ કોહનના સાબરમતી ઈકોવેલીના અભ્યાસ પર સંશોધન કરી રહ્યા હતા. રિચાર્ડ કોહને આ પ્રોજેક્ટ તત્કાલિન વિત્તમંત્રી મોરારજીભાઈને સુપ્રત કર્યો હતો. પણ રિયલ એસ્ટેટના હિતના કારણે એ આકાર પામ્યો નહીં. કોહનના મૂળ પ્રોજેક્ટમાં તો બધા જ સંબંધિત ભાગીદારો જેવા કે, નદીના કાંઠે વસતા લોકો, ફેરિયાઓ અને નદીપાર ભરાતી ગુજરી પર નભતા હજારો કુટુંબોને એના વિકાસના સમાન ભાગીદાર બનાવવાની વાત હતી.

‘આજના રિવર ફ્રન્ટની યોજના એનાથી સાવ ઊલટી છે. આમાં તો રિવર ફ્રન્ટના કારણે વિસ્થાપિત બનેલા કુટુંબોને સુધ્ધાં પીવાના પાણીની તકલીફ વેઠવી પડે છે.’ એમ અભ્યાસના અંતે નોંધાયું છે. સાબરમતી નદી ધરોઈથી ખંભાતના અખાત સુધી 371 કિલોમીટરમાં વહે છે. આમાંથી માત્ર 10.4 કિલોમીટરના આર.સી.સી. દીવાલવાળા ભાગમાં નર્મદાના પાણીથી જીવતો રહે છે. એનો વિસ્તાર પણ એના ખર્ચનું વળતર મેળવવા કેટલી જમીન વિકસાવાશે એના પર આધારિત છે. કદાચ એનો દેખાવ, પેરિસ, લંડન કે સિંગાપોરના દેખાવ પરથી લેવાયો હશે. જેમ ચીનના પ્રમુખ જીપિંગ એમની પત્ની સાથે અહીં આવ્યા ત્યારે ઝૂલે ઝૂલ્યા હતા. એના છેડે આવેલા નદી પરના વાસણા બંધ પછી તો સૂકી, ગંદા પાણીવાળી સાબરમતી જ વહે છે.

વિનિત દિવાડકર કે ભારતના વોટરમેન નદીને જીવિત કરવા જે કરી રહ્યા છે એને રિવર ફ્રન્ટને નાવા નીચવોનો ય સંબંધ નથી ન એને કાકા કાલેલકરે નદીને ‘લોકમાતા’ કહીએ ભાવના સાથે સંબંધ છે.

http://www.divyabhaskar.co.in/news/ABH-difference-between-the-riverfront-and-the-river-is-to-be-alive-by-sanat-mehta-4992427-NOR.html

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14 મે 2015

Loading

કૈફી આઝમી : ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 May 2015

કૈફી મજદૂર અને કમજોર વર્ગના શાયર હતા. 12 વર્ષની ઉંમરે એમણે લખેલ ગઝલ ‘ઈતના તો જિંદગી મેં કિસી કી ખલલ પડે હસાને સે હો સુકન ન રોને સે કલ પડે,’ બેગમ અખ્તરે ગાઈને અમર બનાવી દીધી હતી.

જન્નત એક ઔર હૈ જો મર્દ કે પહેલું મેં નહીં,
ઉસકી આઝાદ રવિશ પર હી ચલના હૈ તુજે,
ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે.

આઇ એમ શ્યોર, કૈફી આઝમીએ 40ના દાયકામાં લખેલા આ શબ્દો અમદાવાદીઓએ ગઈ કાલે સાંભળ્યા હશે ત્યારે એટલી જ તાળીઓ પડી હશે જેટલી તાળીઓ છેલ્લાં 70 વર્ષમાં દેશના મુશાયરા અને મહેફિલોમાં પડી હતી. આ શેર જેમાં છે તે નજમ ‘ઔરત’ કૈફીએ સ્ત્રીઓની સમાનતા માટે 1940માં (રિપીટ) લખી હતી. કૈફી જ્યારે એ લલકારતા ત્યારે છોકરીઓ (તેમાંથી એક, પ્રેયસી અને પછી પત્ની, શૌકત આઝમી પણ) ચિચિયારીઓ કરી મૂકતી.

વિચાર કરો, 40ના દાયકાના હિન્દુસ્તાનમાં જ્યારે ફૂવડતા અને પછાતપણું સમાજના હાડોહાડમાં હતું, ત્યારે એક શાયર સ્ત્રીને મર્દની બગલમાંથી બહાર નીકળીને ખભેખભા મિલાવી આઝાદ ચાલે ચાલવાનો લલકાર કરે, એ કેટલી ગજબની વાત કહેવાય. ‘કૈફી ઔર મૈં,’ જેમાં કૈફી આઝમીના શૌકત આઝમી સાથેના અજબ રોમાંસથી લઈને ગજબ ખયાલોની કહાની છે. ગઈ કાલે પહેલીવાર અમદાવાદમાં ભજવાઈ ગયું. તમે દૂસરા આદમી અને બસેરા નામની શાનદાર ફિલ્મો જોઈ હશે. એના નિર્માતા-નિર્દેશક રમેશ તલવારે શૌકત આઝમીની આત્મકથાત્મક કિતાબ ‘યાદ કે રહગુજર’ (યાદોની મંજિલ) પરથી ‘કૈફી ઔર મૈં’ નાટક લખ્યું છે જે 2006થી નિયમિત ભજવાઈ રહ્યું છે. રમેશ તલવારે શાયર ફૈઝ અહેમદ ફૈઝ પર ‘શીશોં કા મસીહા’ નામનું શાનદાર નાટક પણ લખ્યું છે. ‘કૈફી ઔર મૈં’માં શબાના આઝમી અને જાવેદ અખ્તર નાટ્ય પઠન કરે છે જે પોતાની રીતે પોતાના વ્યવસાયમાં અવ્વલ છે.

સન 35-36માં લખનઉમાંથી તરક્કી પસંદ લેખકોનું એક આંદોલન શરૂ થયેલું. માર્ક્સવાદી ક્રાંતિકારી ઉર્દૂ લેખક સૈયદ સજ્જાદ ઝહરી અને અંગ્રેજી લેખક મુલ્કરાજ આનંદે આ ચળવળનો ઝંડો ઉપાડેલો. એમાં આપણા ઉમાશંકર જોશી પણ ખરા. આ ચળવળમાંથી સઆદત સહન મંટો, ફૈઝ અહેમદ ફૈઝ, અહેમદ ફરાઝ, સરદાર જાફરી, મજાજ લખનવી, ક્રિશન ચંદર, ઇસ્મત ચુઘતાઈ અને ભીમસેન સાહની જેવા શાયરો-લેખકોની નવી પેઢી આવેલી. કૈફી એની બીજી પેઢીના શાયર. સાહિર લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી, અમૃતા પ્રીતમ અને જાં નિસાર અખ્તર (જાવેદ અખ્તરના પિતા) કૈફીના સમકાલીન.

સાહિર, સરદાર જાફરી અને રાહી માસૂમ રઝાની જેમ કૈફીનો જન્મ પણ એક જમીનદાર પરિવાર(આઝમગઢના ગામ મિઝવાં)માં થયેલો, પણ એ આખી જિંદગી જમીનદારીના કુસંસ્કાર સામે લડતા રહ્યા. એમના ઘરનો માહોલ એ વખતના કોઈ પણ મુસ્લિમ પરિવારની જેમ ચુસ્ત ધાર્મિક હતો. એમને મિઝવાંથી લખનઉ પણ એટલે જ મોકલવામાં આવેલ જેથી એ મૌલવી બને. જેમ દરેક છોકરો શહેરમાં જઈ ‘બગડી’ જાય, એમ કૈફી લખનઉ આવીને સામ્યવાદી રંગમાં કોમરેડ બની ગયા. આ એમની પહેલી વૈચારિક તબદીલી. એ પછી કૈફીની સોચમાં બીજો મોડ ન આવ્યો. મૌલવી બનીને તસ્બીના મણિકા ફેરવવા માટે જે છોકરો લખનઉ આવ્યો હતો, એ જ્યારે 10 મે, 2002માં મરી ગયો ત્યારે એના કુર્તાના ખિસ્સામાં સી.પી.આઈ.નું કાર્ડ હતું.

કૈફી મહેનતકશ, મજદૂર અને કમજોર વર્ગના શાયર હતા. અને શાયર પણ મોટા ગજાના. 12 વર્ષની ઉંમરે એમણે લખેલ ગઝલ ‘ઈતના તો જિંદગી મેં કિસી કી ખલલ પડે હસાને સે હો સુકન ન રોને સે કલ પડે,’ બેગમ અખ્તરે ગાઈને અમર બનાવી દીધી હતી. શૌકત કૈફી, જે મૂળ હૈદરાબાદની હતી, તે કૈફીના પ્રેમમાં પણ એના શાયરના અને ઈન્કલાબી તેવરને લઈને જ પડેલી. કૈફીનું મૂળ નામ સૈયદ અખ્તર હુસેન રિઝવી. આઝમી એમનું તખલ્લુસ. શૌકત કૈફી સાથે ઈશ્ક અને શાદી પછી ‘કૈફી’ને નામ બનાવી દીધું. આજે સ્ત્રીઓમાં પરણ્યાં પછી ડબલ સરનેમની ફેશન છે. કૈફીએ એ જમાનામાં પત્નીની સરનેમ અખત્યાર કરેલી.

શૌકત પણ રૂઢિચુસ્ત પરિવારની પણ એના તેવર કૈફી જેવાં જ. ઘરમાં બધાએ બુરખો પહેરવાનો. શૌકતે એને ફગાવી દીધો. 13 વર્ષની ઉંમરે શૌકતે ઘોષણા કરેલી કે પરણીશ તો ‘મનના માણીગર’ને જ. એમાં, ઇપ્ટાએ હૈદરાબાદમાં મુંબઈના શાયરોનો મુશાયરો યોજ્યો. મજરુહ સુલતાનપુરીએ એમાં એમનો મશહૂર શેર ફટકાર્યો: 

મુઝે સહેલ હો ગઈ મંઝિલે,
વો હવા કે રુખ ભી બદલ ગયે
તેરા હાથ હાથ મેં આ ગયા
વો ચરાગ રાહ મેં જલ ગયે

આ પૂરો શેર ટિપિકલ રોમેન્ટિક અને એક પક્ષીય હતો. એક પક્ષીય એ અર્થમાં કે ‘તું મને મળે તો મારો રસ્તો સુધરી જાય, મારું જીવન ઝગમગાઈ ઊઠે, મારી આબોહવા ખુશનુમા થઈ જાય.’ ફોકસ ‘મારો રસ્તો, મારું જીવન, મારી આબોહવા’ પર. એમાં ‘પેલી’ની કોઈ વાત જ નહીં. મજરુહનું પત્યું એટલે 20 વર્ષના હેન્ડસમ કૈફી ઊભા થયા. ઓડિયન્સમાં બેઠેલી 13 વર્ષીય શૌકત પર સરાસર નજર કરી અને નઝમ લલકારી :
 
જન્નત એક ઔર હૈ જો મર્દ કે પહેલું મેં નહીં,
ઉસકી આઝાદ રવિશ પર હી ચલના હૈ તુજે
ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે

ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય તેમ મુશાયરાનો હોલ તાળીઓ અને ચિચિયારીઓથી ભરાઈ ગયો. શૌકતનું મોં ખુલ્લું જ રહી ગયું. કેવો બદતમીજ શાયર છે? ઔરતને ‘ઊઠ’ કહે છે, ‘ઊઠીએ’ નહીં. અદબ-આદામની તો તમીજ નથી, કોણ ઊઠીને સાથે જવા તૈયાર થાય? શૌકત લખે છે, ‘મેં મશ્કરી કરવા વ્યંગમાં જ પંક્તિ દોહરાવી. ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે.’ મુશાયરો ખતમ થયો ત્યાં સુધીમાં તો શૌકતનું દિલ ઊઠીને સ્ટેજ પર કૈફીના કદમમાં ફેંકાઈ ગયું હતું. ‘યાદ કે રહગુજર’માં શૌકત લખે છે, ‘મારી નજર કૈફી પર ખોડાઈ ગઈ. મને થતું હતું કે આ નજમ (ઔરત) એણે મારા માટે જ લખી છે અને એની સાથે ચાલવાનો અધિકાર માત્ર મારો જ છે. હું માથા ફરેલી હતી, જીદ્દી હતી અને અન્યાય સામે અવાજ ઉઠાવનારી હતી. મને થયું આઝાદ ખયાલોવાળો મર્દ જ મારો ખાવિંદ બની શકે.’

શબાના શૌકત અને કૈફીના આ સંસ્કારો વચ્ચે મોટી થઈ હતી. શબાનાનું બચપણ મુંબઈના રેડ ફ્લેગ હોલમાં ગુજર્યું હતું. એ કોમ્યુિનસ્ટ કાર્યકરોનું નિવાસ સ્થળ હતું. આઠ કમરા અને એક બાથરૂમવાળા એ મકાનમાં આઝમી મિયાં-બીબી બીજા સાત પરિવાર સાથે રહેતાં હતાં. હિન્દુસ્તાનમાં જે કેટલીક ક્રાંતિઓ થઈ છે, તેનાં ઘણાં નામ આ મકાનમાં હતાં. શૌકત લખે છે, ‘રેડ ફ્લેગના ગુલદસ્તામાં ગુજરાતથી આવેલા મણિબહેન અને અંબુભાઈ, મરાઠાવાડાથી સાવંત અને શશી, યુપીથી કૈફી, સુલ્તાના, સરદાર જાફરી અને સુલતાના, મધ્યપ્રદેશથી સુધીર જોશી, શોભા ભાભી અને હૈદરાબાદથી હું. બધાનો એક એક રૂમ. બાલ્કનીમાં નહાવાનું. એક જ બાથરૂમ હતો પણ એના માટે કોઈને ઝઘડતાં જોયાં ન હતાં.’

બચ્ચી શબાનાને શ્યામ રંગને લઈને હીણપત ના થાય તે માટે, બીજી છોકરીઓથી વિપરીત, કૈફીએ એને કાળા રંગની ઢીંગલીથી રમવા ‘ફરજ’ પાડી હતી. કૈફીએ શબાનાને કહેલું, ‘કાળા હોવું એ ખૂબસૂરતી છે.’ કૈફી સમાનતાના સમર્થક હતા. એ દરેક પ્રકારની અસમાનતાની ખિલાફ હતા. એ, બીજા શાયરોથી વિપરીત, પ્રેમના બંધનના ય વિરોધી હતા. એ કહેતા કે સ્ત્રીએ સમાન થવું હોય તો મહોબ્બતનાં ફૂલ કચડવાં પડશે, પ્યારની બંદિશમાંથી મુક્ત થવું પડશે. બાબરી મસ્જિદની ઘટના પછી એમણે ‘રામ કા દૂસરા બનવાસ’ લખી હતી જેમાં વનવાસથી પાછા ફરેલા રામ રક્તરંજિત અયોધ્યા જોઈને પાછા વનવાસમાં જતા રહે છે.

પાછલી ઉંમરમાં કૈફીનું ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારે એમને શ્વાસોશ્વાસની ભયાનક તકલીફ થયેલી. ડોક્ટરો ત્યારે એમને મોં બંધ રાખીને નાકથી શ્વાસ લેવાની કસરત કરાવતા. એકવાર આવી જ કસરત વેળા કૈફીએ ડોક્ટરોને કહેલું, ‘મેરા મૂંહ ક્યું બંધ કરવા રહે હો? મૂંહ બંધ કરવાના હો તો બાલ ઠાકરે કા કરવાઓ.’ બાય ધ વે, આજે 10મી મે છે. 2002માં આજના દિવસે જ કૈફી આઝમીએ આખરી શ્વાસ લીધો હતો. એમને એમના અંતિમ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું : તમારી ઉંમર કેટલી? એમનો જવાબ હતો : મારી જન્મતારીખ કોઈએ નોંધી નથી પણ એવું કહી શકાય કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પેદા થયો, આઝાદ. હિન્દુસ્તાનમાં જીવું છું અને સોશ્યાલિસ્ટ હિન્દુસ્તાનમાં મરી જઇશ.

બીજો સવાલ : દિલ્હીમાં જઈને ગાલીબનો કોઈ શેર તબદીલ કરીને બોલવાનો હોય તો?

હજાર કુર્સીયાં ઐસી કે હર કુર્સી પે દમ નિકલે,
જો ઈસ પે બૈઠ કર ખુદ ઊઠે, ઐસે કમ નિકલે.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 10 મે 2015

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-raj-goswami-4988258-NOR.html

Loading

...102030...3,7603,7613,7623,763...3,7703,7803,790...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved