Opinion Magazine
Number of visits: 9692023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Ek Varshnum NDA Shasan : Saamajik Avanitini Disha

રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

એક વર્ષનું એન.ડી.એ. શાસન : સામાજિક અવનતિની દિશા

——————————————————————————

નવી સરકારે ઉત્સાહપૂર્વક રાજ્યારોહણ કર્યું તેને એક વરસ થયું. કોઈકની દૃષ્ટિએ આ એક વર્ષ કાંઈ બહુ મોટો ગાળો ન ગણાય અને કોઈક એમ પણ કહે કે ચૂંટણી દરમિયાન જે ઉત્સાહ દાખવીને વચનો ઉચ્ચારેલાં તેની દિશામાં પગલાં મંડાયાં છે કે કેમ તે વિચારવા માટે આ યોગ્ય અવસર ગણાય. તે જ રીતે અને ખાસ તો સમાજના ક્ષેત્રના બનાવોના સંદર્ભે થોડાક અનુભવો અને વિચારો નોંધીએ.

ભા.જ.પ. એક કેડર બેઝ્‌ડ પક્ષ છે. તેની પાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત અનેકવિધ ભગિની સંસ્થાઓ પણ છે. કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓ દ્વારા સમાજનાં વિવિધ ક્ષેત્રો ઉપર તેનો પ્રભાવ તેમ જ કાબૂ પણ છે. આ ઉપરાંત કેટલાક સમાચાર પત્રો પણ તેના જ વિચારોને પુરસ્કૃત કરે છે. વિકીપિડિયાના જણાવ્યા અનુસાર સંઘ સાથે જોડાયેલી કુલ ૩૮ સંસ્થાઓ છે. તેમાં વકીલો, અધ્યાપકો, કામદારો, વિદ્યાર્થીઓ વગેરે સહિતના ક્ષેત્રોના સંગઠનો છે. તાજેતરના એક અહેવાલ મુજબ છેલ્લા પાંચેક વર્ષમાં આર.એસ.એસ.ની શાખાઓની સંખ્યામાં ૬૧ ટકાનો વધારો થયો છે. હવે ક્યાંક ક્યાંક બાલમંદિરથી પણ શાખાઓ શરૂ થઈ જાય છે.

બીજું, ભાજપની એક મોટી અપીલ ‘હિંદુત્વ’ની છે. છેલ્લાં લગભગ સાડા છ દાયકામાં આ દેશમાં એક પ્રભાવક અને વિશાળ એવો શહેરી મધ્યમ વર્ગ વિકસ્યો છે. દેશની કુલ વસતીનો લગભગ ત્રીજો ભાગ આવા લોકોનો બનેલો છે. આ વર્ગને સલમાનખાનને તેર વર્ષે પણ (હીટ એન્ડ રન કેસ) સજા સંભળાવવામાં આવે તો ઝેર ખાવાનું મન થઈ આવે છે. ટી.વી.ની બધી જ ચેનલો આખો દિવસ આ જ સમાચારની વિગતો પ્રસારિત કરે છે કારણ કે ટી.વી. જોનારા વર્ગની આ જ માંગ છે. આ વર્ગને સમગ્ર દુનિયાના કોઈ પણ વિસ્તારમાં અચાનક જ શ્રી ગણેશની મૂર્તિ દૂધ પીતી હોય તેમ જણાય છે.

આ વર્ગના ઘણા બધા યુવાનોને નોકરી નથી. તેમને શાળાઓ કે કૉલેજો / યુનિવર્સિટીઓમાં ઊંચી ફી ભરવા છતાં અને ટ્યુશન ક્લાસોમાં ખાનગી કોચિંગ લીધું હોવા છતાં ગુણવત્તાવાળું શિક્ષણ મળ્યું નથી. આ વર્ગને રાજ્યની કામગીરી અને હિસાબોની નિષ્પક્ષ તપાસ રાખનારી સંસ્થા કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલ(કેગ)ના વાર્ષિક હેવાલોની ખબર નથી. ગુજરાત સરકાર તો વર્ષોથી આ અહેવાલો ઉપર વિધાનસભામાં ચર્ચા જ ચલાવતી નથી તેની પણ આ વર્ગને ક્યાં તો ખબર નથી; અથવા તેની ખાસ દરકાર પણ નથી. સમગ્ર દેશમાં અક્ષરજ્ઞાનનો દર હવે લગભગ સિત્તેર ટકાએ પહોંચ્યો છે પણ સ્ત્રીઓ, ગામડાં અને પછાત વિસ્તાર અને દલિતો તથા આદિવાસીઓ શિક્ષણ પામતા નથી. બધા જ જો ભણશે તો સમાજમાં મજૂરી કોણ કરશે ?

આ દેશને ‘अच्छे दिन’ આવશે તે આશા આપીને આ રાજ્યારોહણ થયું. બાકી આ દેશને કોઈક ‘મહાસત્તા’ બનાવી દેવાનો છે તેવો ખ્યાલ પણ પેલા શહેરી મધ્યમવર્ગના મનમાં ખરો જ. આ વર્ગના લોકો પૈકી ઘણા બધાને વિદેશો સાથે સારો ઘરોબો પણ ખરો જ. એટલે ‘અમે અહીં રહીને પણ તમારી જેમ મહાસત્તા બન્યા’ એવું સ્વપ્ન પણ માફકસરનું ગણાય. એન.આર.આઈ.ઓને પોતાના વતનના વિસ્તારો આ નવા વસવાટના મુલકની સમાંતરે આવીને ઊભતા લાગે તો ‘મેડિસન સ્કેવેર’માં ડોકિયું કરી આવવામાં વાંધો શું હોય ?

વર્ષાન્તના આ લેખાંજોખાંમાં આ જ હિન્દુત્વ, મુખ્ય શાસક પક્ષ તથા તેની ભગિની સંસ્થાઓ અને પેલા વિશેષ વર્ગની માનસિકતાનો મેળ ‘મહાસતા’ના સમાજ સાથે બેસતો નથી. આ શાસનકાળના પ્રારંભની ‘શ્રી જણસે પુરાંત’નો તાળો મહાસત્તાના સમાજ સાથે બેસતો નથી. હવે ગણેશોત્સવો કે રથયાત્રાઓની સંખ્યા તેમ જ તેમાં સંકળાતા લોકોની સંખ્યા વધતી જ જાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પગે ચાલીને અંબાજી અને ડાકોર જનારા અને રસ્તામાં ઠેર ઠેર તેમની ‘સેવા’ કરનારાની પણ સંખ્યા મોટી છે. બાબા બરફાની, વૈષ્ણોદેવી કે છેક કૈલાસ-માન સરોવરના યાત્રિકોની સંખ્યામાં એક્સ્પોનન્સિયલ વધારો થતો જાય છે. રાધે મા, આસારામ ઉપરાંત અનેક પ્રકારના ‘સાક્ષાત્કારી સંતોની’ ચરણરજથી ભારતવર્ષ ધન્ય બનતું જાય છે !

આ મહાસત્તાનો સમાજ કેવો હોય ?

પહેલ પરથમ વાત તો એ કે તેમાં માત્ર કાયદાનું શાસન પ્રવર્તતું હોય, તેટલું જ નહીં, કાયદા માટે સૌને સન્માન હોય. આપણા વડા પ્રધાનશ્રી પોતે જ ઊઠીને ન્યાયાધીશોની સભાને વી.આઈ.પી. એન.જી.ઓ. બાબતે અણછાજતો કટાક્ષ ન જ કરે. આ દેશમાં કાયદો કે ન્યાયતંત્રની ગરીમા ઘણા રાજકારણીઓએ ઘટાડવાનો પ્રયાસ કર્યે રાખ્યો છે.

બીજું, એક મહાસત્તાવાળા સમાજમાં વંશ, પ્રદેશ કે ધર્મ અને જાતિગત ઊંચનીચના ભેદભાવ હોવા ન જોઈએ. આવી મહાસત્તાના લોકોના હૃદય જ એવા હોય છે કે તેમને આવા ભેદભાવ અડતા નથી. ધાર્મિક સહિષ્ણુતા તેમ જ ઉદારતા પણ ઘણા વ્યાપક હોય છે. વળી પોતાનાથી સાવ જ વિરોધી વિચાર ધરાવનારાને પણ અભિવ્યક્તિની છૂટ હોય છે. હવે થોડીક આપણી વાત :

(૧) ફેબ્રુઆરી, ૨૦૧૫માં પશ્ચિમ બંગાળના એક ચર્ચમાં ૭૦ વર્ષની એક (ખ્રિસ્તી) સાધ્વી ઉપર સામૂહિક બળાત્કાર થયો. પોલીસના કહેવા મુજબ આ લોકો ‘બહારથી આવેલા’ હતા. રાત્રે અઢી વાગ્યે, પહેરેદારને મારીને તે ઘૂસી આવ્યા. બળાત્કાર કર્યા બાદ, ત્યાંના વિદ્યાર્થીઓ માટેની ચોકલેટ, કેક, પ્રેસ્ટ્રી વગેરે પણ તેમણે આરોગ્યા.

(૨) ગયા વર્ષના મે મહિનાથી આ વર્ષના માર્ચ સુધીમાં ધાર્મિક અસહિષ્ણુતાના ૬૦૦થી વધુ કિસ્સા નોંધાયા છે. તે પૈકી લગભગ ૧૫૦ કિસ્સા ખ્રિસ્તીઓ સામે તથા ૪૫૦ કિસ્સા મુસલમાનો સામે થયા છે. તેમાં ૪૯ નિર્દોષોનો જીવ ગયા છે.

(૩) ભાજપના સાંસદ હોય તેવા લોકો હિંદુત્વને ઉશ્કેરવા વાસ્તે પાંચથી દસ બાળકો પેદા કરવાનો મત, પોતાની ભરી સભાઓમાં વ્યક્ત કરે છે. આ માટે કારણ એમ અપાય છે કે મુસલમાનો ચાર પત્નીઓ કરે છે અને દરેકના ચાર-ચાર પાંચ-પાંચ બાળકો હોય છે. જો આમ જ ચાલતું રહે તો ભારતમાં જ હિંદુઓ લઘુમતીમાં મુકાઈ જશે. ખરેખર તો આ બાબત સાવ નિરાધાર છે. આમ છતાં, ૨૦૦૨નાં રમખાણો વખતે પણ અસરગ્રસ્ત મુસ્લિમ વિસ્તારોને મુસલમાનો પેદા કરવાની ફેક્ટરી, ગણાવવામાં આવ્યા હતા. આવા વિચારો, સમજ કે અભિવ્યક્તિઓ ‘મહાસત્તા’વાળા સમાજમાં હોય ખરી ?

(૪) આ સરકારના વડા પ્રધાનશ્રીએ લાલ કિલ્લા ઉપરથી પંદરમી ઑગસ્ટ(૨૦૧૪)ના દિવસે કરેલા પ્રવચનમાં એ મતલબનું વિધાન કર્યું હતું કે દેશમાં દસ વર્ષ માટે સાંપ્રદાયિક ઝઘડા બંધ રાખવામાં આવે. વડા પ્રધાનશ્રી આવા ગંભીર પ્રસંગે અને આવા ઉચ્ચસ્થાનેથી વ્યક્ત કરેલી ઇચ્છાનો પડઘો આ સમાજમાં કેમ પડતો નથી તે વિચારવું રહ્યું. આ દિશામાં વિચારવામાં મદદ મળે તે માટે કેટલાક બનાવો નોંધીએ :

(ક) ગયા વર્ષની સામાન્ય ચૂંટણીઓ પછી જ્યાં પણ પેટાચૂંટણી કે અન્ય ચૂંટણીઓ આવી ત્યાં ધાર્મિક અથડામણો ઊભી થઈ છે. ઈકોનોમિક ઍન્ડ પોલિટિકલ વીકલી (ઈ.પી.ડબલ્યુ.) નોંધે છે તેમ આ માટે સંઘ પરિવારે હિંદુત્વની ભાવનાને ઝકઝોરીને ગ્રામક્ષેત્રો સુધી વિસ્તારી દીધી છે. આ માટે ભારત-પાક. સંબંધોના તનાવને ભારતમાં આંતરિક રીતે હિન્દુ-મુસ્લિમ સંઘર્ષના પ્રતીકરૂપ જોવામાં આવે છે. ‘ક્યાં તો ભારત રાષ્ટ્રને વફાદાર બનો અને નહીં તો પાકિસ્તાન ચાલ્યા જાવ !’ આવી વાતો ૨૦૧૪ની ચૂંટણી પ્રચારમાં પણ કહેવાતી હતી.

(ખ) ફલી નરીમાનનું નામ દેશના એક પ્રખર ન્યાયવિદ્દ તરીકે જાણીતું છે. તે રાજ્યસભાના સભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છે. દેશમાં કોમી સૌહાર્દ જાળવવા મથતી એક સંસ્થા – નેશનલ ઇન્ટીગ્રેશન કાઉન્સિલ-ના પણ તે સભ્ય છે. આ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે વડા પ્રધાનશ્રી હોય છે. આ ફલી નરીમાન કહે છે, હિંદુ ધર્મ તો તેની સહિષ્ણુતા વાસ્તે જાણીતો છે પરંતુ હમણાંથી સાંભળવા મળતી ધિક્કારની ભાષા ઘણા ઉચ્ચ સ્થાનોએથી અને વારંવાર બોલાય છે. આના જ અનુસંધાને, ગુજરાતના કોમી રમખાણો વખતે પોતાની કાર્યદક્ષતા અને નિષ્પક્ષતાના કારણે ‘સુપર કોપ’નું લોકબિરુદ પામેલા જુલીયસ રીબેરોને પણ યાદ કરીએ. તેમણે ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણો વખતે રાજ્યની મુલાકાત લીધી હતી. પોતાના ખેદને વ્યક્ત કરતા તેમણે કહેલું  ‘અહીં મને કોઈ કલિંગ અસર’ જોવા મળી નથી. આવા મોટા સંહાર પછી શાસકોને આત્મગ્લાનિ થઈ ન હતી. પણ આ તો ૨૦૦૨ની વાત થઈ; આપણે તો ગત એક વર્ષની વાત કરતા હતા. હા, તેમાં જ, ફલી નરીમાનના વિચાર સાથે મેળ બેસાડતો વિચાર આ સુપર કોપનો પણ છે. રીબેરોને દેશની આ માનસિકતા ભયજનક જણાઈ છે.

(ગ) લવ-જેહાદ, ઘર-વાપસી અને આક્રમકતા આ વર્ષ દરમિયાનના ઊડીને આંખે વળગે તેવા બનાવો છે. આ બનાવો અચાનક કે આપોઆપ નથી બનતા. બે વ્યક્તિ વચ્ચે પ્રેમ, અકસ્માતે કે અચાનક જન્મી શકે અને તેમાં ધર્મ, પ્રદેશ કે જાતિ તરફ ખાસ ધ્યાન ન જાય તેમ બને. પુખ્ત ઉંમરના છોકરા-છોકરીને પ્રેમ નામની કોઈક લાગણી થાય ખરી પણ તેની ‘જેહાદ’ હોય ? પણ હિન્દુત્વવાદની સંસ્થાઓ તથા વ્યક્તિઓની દલીલ એમ હોય છે કે આવી ‘જેહાદ’ મુસલમાન છોકરાઓ ચલાવે છે અને તેને રોકવા કે પાઠ ભણાવવા વાસ્તે સામે પણ એવા જ પગલાં જરૂરી છે. આ લેખના પ્રારંભે નોંધ્યું છે તેમ, હિન્દુત્વવાદી શહેરી-મધ્યમવર્ગીય માનસિકતા આ ‘પ્રતિશોધ’ના વિચારને સ્વીકારે છે અને તેમાં જ પોતાની કાલ્પનિક સલામતી પણ અનુભવે છે. આવી ‘જેહાદ’ ચલાવનારાઓનું સૂત્ર છે : ‘બહુ લાઓ ઔર બેટી બચાવો.’ હિન્દુ છોકરાઓએ ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મની છોકરીઓને પરણી લાવી તેમનું હિંદુ ધર્મમાં પુનરાગમન કરાવવું અને હિંદુ છોકરીઓને ખ્રિસ્તી કે મુસલમાનને પરણતા રોકવી તે ખ્યાલ છે. આ રીતના લગ્ન બે આત્માઓનું મિલન હશે કે ?

(ઘ) લવ જેહાદની જેમ જ ઘર વાપસીરના પણ અનેક કિસ્સા બન્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ વગેરેના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખ્રિસ્તી-મુસ્લિમ પરિવારોને પાછા હિંદુ બનાવવાનો આ પ્રયાસ છેલ્લા એક વર્ષમાં વધુ વેગવાન તેમ જ અસરકારક બન્યો છે. ઘણા કિસ્સાઓમાં, આ કારણે ઊભા કરાતાં દબાણો, ધાકધમકી કે મારામારી સામે પોલીસનું રક્ષણ માંગવા છતાં મળ્યું નથી. વહીવટીતંત્ર સમક્ષ કરાતી ફરિયાદો પણ ભાગ્યે જ પરિણામ લાવી શકે છે.

તો એક વર્ષની જણસે પુરાંત અને હિસાબ-કિતાબ જોતા જણાય છે કે દેશ ખરેખર તો મહાસત્તા બની શકે તેવા સમાજનાં નિર્માણની દિશામાં કદમ માંડી શક્યો નથી. ‘અચ્છે – બૂરે દિન’ તો ઠીક છે હંમેશા કોઈકના બુરા દિનના આધારે જ અન્યના અચ્છે દિન આવતા હોય છે, પણ બધાના અચ્છે દિન માટે તો જાતપાત, ધર્મ, ભાષા, પ્રદેશ કે અન્ય કોઈ પણ પ્રકારના ઉચ્ચાવચ્ચતાની ભ્રામક માન્યતાઓમાંથી સમાજે સૌ પ્રથમ તો બહાર નીકળવું પડે.

આ પહેલું ડગલું માંડવાના પ્રયાસો પણ પૂરતા નિષ્ઠાવાન જણાતા નથી. જમા પક્ષે, સરકારના મોવડી તરત જ કહેશે : કેમ પેલા અફઘાનિસ્તાનમાં ફસાયેલા ખ્રિસ્તીને અમે ઉગાર્યો કે નહીં ! અને અમારી યમનની કામગીરી તો જુઓ. આ બાબતો જમાપક્ષે ખરી જ. પણ સોનિયા ગાંધીના ચામડીના રંગ વિશે લોકસભામાં જ શાસક પક્ષના એક મંત્રી જે રીતે બોલે છે તે કઈ માનસિકતા ગણાશે ?

વળી, ઘરવાપસી, લવ જેહાદ, નાનાં ગામો અને કસબાઓ સુધી વિસ્તરતું કોમી માનસ, પોલીસ અને વહીવટીતંત્રની નિંભરતા – આ બધી એન્ટ્રીઓને ઉધાર ખાતે ખતવવી તો પડશે જ ને !

સરવાળે શું પામીશું ?

ધીમે ધીમે ધર્મ સહિષ્ણુ બનતો જતો સમાજ હવે વેર અને તિરસ્કારથી ભર્યો ભર્યો બનતો જાય છે. અહીં હવે ‘ગોડસે મંદિર’ બનાવવાનું પણ વિચારી શકાય છે. હિન્દુ ધર્મ અને હિન્દુવાદની એવી જબરદસ્ત ભેળસેળ થઈ ગઈ છે કે જો તમે સામાજિક ન્યાય, બંધારણીય જોગવાઈઓ કે માનવ અધિકારોના રક્ષણના સંદર્ભે, આ વકરતા જતા ‘હિન્દુત્વ’નો વિરોધ કરો તો આપોઆપ જ હિંદુ ધર્મ વિરોધી પણ બની જાવ છો. આ હિન્દુત્વમાં ‘સાંઈબાબા’ને સ્થાન નથી. જરાક જેટલી સંવેદનશીલતા દાખવીને પણ જો ‘સર્વસમાવેશી વિકાસ’ની વાત કરો તો તમે વિકાસના જ વિરોધી બની જઈ શકો છો.

આ એક વર્ષમાં શાસનના સામાજિક ક્ષેત્રના આ સામાન્ય અનુભવના કેટલાક ફતિલાર્થો સ્પષ્ટ થાય છે.

એક તરફ કેટલાક સાંસદો તથા ભા.જ.પ.ની ભગિની સંસ્થાઓના નેતાઓ આર્થિક, ધાર્મિક, અસહિષ્ણુતા, ધિક્કાર અને ઝેર ભરેલો પ્રચાર કરે જાય છે; તો બીજી તરફ કેટલાક અન્ય નેતાઓ પોતાનું શાસન બંધારણ અનુસાર ધાર્મિક સહિષ્ણુતા સાથે જ ચાલી રહ્યું હોવાનો દાવો કરે છે. જ્યારે પોલીસ કે વહીવટીતંત્ર દ્વારા પેલા વિઘાતક પગલાં કે વિદ્યાનો સામે અસરકારક કામગીરીની વાત આવે છે ત્યારે ભા.જ.પ.નું ભગિની સંસ્થાઓ સાથેનું ગઠબંધન છતું થાય છે.

હિન્દુ ધર્મની મહાનતા અને આદર્શો સાથે જરાય મેળ ન બેસે તેવાં કાર્યોને ‘હિન્દુત્વ’ના નામે આગળ ધપાવવામાં આવે છે. બાજપાઈજીના સમયમાં ‘મુખૌટા’ કે ‘હીડન એજન્ડા’ જેવી થોડીક પણ આમન્યા અને વિવેક હતા. હવે તે શોધવા મુશ્કેલ બનતા જાય છે.

આ આખો કાર્યક્રમ જે રીતે ચાલે છે અને ચલાવાય છે તે જોતા ભારતના સમાજને સમતળ અને સૌહાર્દપૂર્ણ તથા ખુલ્લો અને ઉદારમતિ બનાવવાને બદલે સંકુચિત અને આત્મશ્લાધી – પોતે જ પોતાના વખાણ કરે તેવો -બનાવાઈ રહ્યો છે.

જગતના કોઈ પણ દેશે ધર્મ કે જાતિની સામે ધિક્કાર ફેલાવીને વિકાસ કર્યો હોય તેવું ઇતિહાસ ક્યાં ય કહેતો નથી. હિટલર, મુસોલીની, ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન વગેરે તેનાં ઉદાહરણો છે.

એક શાણા અને સમજુ સમાજ તરીકે ભારતે પણ આ એક ઇતિહાસ ફરીથી યાદ કરી લેવો પડશે, ઇતિહાસનું ઝનૂન નહીં પણ તેના બોધપાઠની સમજ વધારે ખપના ગણાય.

‘નયા માર્ગ’, ૧૬-૫-૨૦૧૫

Loading

Aadhunik Moodivaad : Saidhantik Dhaaranao ane Vaastav

રોહિત શુક્લ|Samantar Gujarat - Samantar|25 August 2015

આધુનિક મૂડીવાદ : સૈદ્ધાંતિક ધારણાઓ અને વાસ્તવ

——————————————————————————

અર્થશાસ્ત્ર મૂડીવાદ અને બજાર બાબતે કેટલીક ધારણાઓ ધરાવે છે. આ ધારણાઓ પરસ્પર ગુંથાયેલી છે અને તેથી એક ‘મોડલ’નું સ્વરૂપ ધારણ કરે છે. ટૂંકમાં આ મોડલ આ પ્રમાણે છે :

તમામ વ્યક્તિ સ્વાર્થ પ્રેરિત હોય છે. આથી કોઈ કોઈને છેતરી શકતું નથી. ગ્રાહક વધુ ભાવ આપશે નહીં અને વેચનાર ખોટ ખાશે નહીં. વેચનાર અસામાન્ય નફો મેળવવાનો પ્રયાસ કરશે તો ગ્રાહકો તેને છોડીને અન્ય પાસે જતા રહેશે.

આ પ્રક્રિયા બરાબર ચાલે તે વાસ્તે વેચનારા વચ્ચે હરીફાઈ હોવી જોઈએ અને વેચનારા ઓછામાં ઓછી કિંમતે વેચાણ કરી શકે એ વાસ્તે તેમણે અત્યંત કાર્યક્ષમ બની રહેવું પડશે. મૂડીને ઓછામાં ઓછું વ્યાજ, શ્રમને ઓછામાં ઓછું વેતન તથા જમીનને ઓછામાં ઓછું ભાડું આપે ત્યારે જ ઉત્પાદક પણ – ઓછામાં ઓછો -નફો રળી શકશે.

આ બંને બાબતો; બજારમાં ગ્રાહક અને વેચનારનું મિલન તથા ઉત્પાદનમાં સાધન સંયોજન ઇષ્ટતમ રહે, તે વાસ્તે લોકશાહી વ્યવસ્થા જોઈશે. સરકારે આર્થિક ક્ષેત્રે દખલબાજી કરવાની નથી. જો બધાં જ પરિબળો યોગ્ય રીતે કામ કરે તો બધાને આપોઆપ જ; જાણે કે કોઈક ‘અદૃશ્ય હાથ’ વડે, સુખ મળી રહેશે.

અર્થશાસ્ત્રે છેલ્લાં અઢીસો વર્ષથી આ રટ લગાવે રાખી છે. પણ તે પછી વોલ્ગાથી ગંગા અને મિસિસિપીથી સાબરમતીમાંથી પાર વગરનાં પાણી વહી ગયાં છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઝડપી આર્થિક વૃદ્ધિ, ગરીબી નિવારણ કે માનવ વિકાસ અને લોકશાહી જેવી તમામ રચનાઓ વાસ્તે પોતે જ સક્ષમ છે એમ કહેનારો મૂડીવાદ ખરેખર તો નાયક નહીં પણ ખલનાયક છે.

મૂડીવાદી રચનાઓના ઉપર કથિત મોડલમાં વાસ્તવિક જગતનો સહેજ જ અર્ક ઉમેરીએ તો ખબર પડશે કે ખરેખર તો આ વૈશ્વિક મૂડીવાદ માત્ર બે-ચાર દેશોને જ નહીં પણ સમગ્ર વિશ્વને તબાહ કરવાના કાવત્રાંબાજીના પેંતરા ભરી રહ્યો છે. આથી જ નવા મૂડીવાદને ‘ક્રોની કેપીટાલીઝમ’ – ‘ગઠિયો મૂડીવાદ’ કહેવામાં આવે છે. આ ગઠિયો મૂડીવાદ રાજસત્તા, ધર્મસત્તા અને ન્યાયસત્તા સાથે જાતભાતના ખેલ રચે છે. તેનો ઇરાદો માત્ર નફો મેળવવાનો હોય છે અને આ માટે તે કોઈ પણ હદે જઈ શકે છે.

આ વિચારણાને સમજવાનું પ્રારંભબિંદુ એ છે કે આ ગઠિયા મૂડીવાદમાં નફો, સંબંધો, લાગવગ, ભ્રષ્ટાચાર વગેરેનાં પરિણામે અને નહીં કે બજારના મુક્ત હોવાના કારણે નીપજે છે. પેલા સૈદ્ધાંતિક અને પુસ્તકિયા અર્થશાસ્ત્રમાં નફો ‘જોખમ ખેડવાનો’ બદલો ગણાય છે. પણ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં નફો મેળવવા માટે જોખમ ઉઠાવવાનું પરવડે તેમ હોતું નથી.

અમેરિકામાં વીસમી સદીમાં થયેલા ઉદ્યોગીકરણની તરાહનો ઉલ્લેખ પણ અહીં પ્રાસંગિક બને છે. અમેરિકન ઉદ્યોગોએ પરસ્પર હરીફાઈ કરવાને બદલે ઈજારો સ્થાપવાના અનેક પ્રકારના પેંતરા ચલાવ્યા. આ પ્રક્રિયા સામે ઝૂકી જવાને બદલે અમેરિકન સરકારે લોકહિતનું રક્ષણ કરવા સંખ્યાબંધ કાનૂનો ઘડ્યાં. આ કાયદાઓ એન્ટી ટ્રસ્ટ એક્ટ્રસ તરીકે ઓળખાયા.

આ બાબત સ્પષ્ટ થાય તે વાસ્તે વાસ્તવિક જગતની એક ‘કેસ સ્ટડી’નો સહારો લઈએ. આ કેસ સ્ટડી પોલેન્ડમાં સ્થપાયેલી દાએવુ નામની કોરિયાની મોટરકાર કંપનીનો છે. આ કંપનીએ પોલેન્ડમાં પોતાની ફેક્ટરી નાંખી અને લગભગ બે અબજ ડૉલર(લગભગ સવાસો અબજ રૂપિયા)નું રોકાણ કર્યું. જોખમના વાતાવરણમાં આવી વિશાળકાય કંપની પ્રવેશી જ ન શકે. જો અન્ય કંપનીઓ સાથે તીવ્ર હરીફાઈ થાય તો આટલું બધું મૂડીરોકાણ ધોવાઈ જાય. તેને કરજ આપનારી બૅંકો કે શૅર ખરીદનારા રોકાણકારોએ રોવાનો વારો આવે. કંપનીની શાખ ડૂબે અને ભવિષ્યમાં પણ તેને મુશ્કેલી પડે.

આ લેખના પ્રારંભે ગ્રાહકની જે ‘સ્વાર્થબુદ્ધિ’(રેશનલ બિહેવિયર)ની વાત કરી તે ઉત્પાદક કંપની કે વેચાણકાર પેઢીને પણ લાગુ પડે છે. આ દાએવુ કંપની પણ રેશનલ બિહેવિયર ધરાવે છે અને તેથી નફો કમાવા વાસ્તે જોખમ ઉઠાવવાને બદલે રાજકારણીઓ અને સત્તાધીશોને રાજી રાખવામાં તેમને સહેલો, સારો અને ભરોસાપાત્ર માર્ગ મળી આવે છે.

આથી આ દાએવુ કંપનીએ જાતજાતના કીમિયા અજમાવ્યા. આપણે ત્યાં પણ એક શબ્દપ્રયોગ ઘણો ફેશનેબલ છે, અને તે છે ‘લાએઝાં’. આને સહેજ બદલીને પી.આર. (પ્યાર ?) કહેવાય છે. લગભગ દરેક મોટા કોર્પોરેટ હાઉસમાં આ પી.આર. અને લાઍઝાં ચાલતા હોય છે. (રાજદ્વારી ક્ષેત્રમાં લાએઝાં વધુ પ્રચલિત છે) આપણે ત્યાં તાતા નેનોના પ્રારંભકાળમાં એક નામ-નીરા રાડીઅા-ખાસ્સું જાણીતું બનેલું.)

દાએવુ કંપનીના આવા લાએઝાં વિભાગના માણસો સરકારી તંત્ર સાથે ખાસ્સો ઘરોબો ધરાવતા હતા. આ માટે કંપની પોલેન્ડના અધિકારીઓ તથા રાજકારણીઓ સાથે એટલી નિકટ સરકી આવી હતી કે સરકારી નિર્ણયો ઉપર પણ તેમનો પ્રભાવ હતો. દા.ત. મોટરકારમાં વપરાતી સામગ્રી પૈકી એકેયની ઉપર જો બજેટ દ્વારા કરબોજ વધારાય તો કંપનીની નફાકારકતા ઉપર અસર પડે. આથી લાએઝાં, દ્વારા સરકારી બજેટ જાતિ ઉપર માફકસરનો પ્રભાવ પડતો રહેતો.

વળી, આ કંપનીએ પૉલેન્ડને ‘હબ’ બનાવી યુરોપના અન્ય દેશોમાં પણ પોતાનો નિકાસ વેપાર વધારવાનો હતો. સવાસો અબજ રૂપિયા ખર્ચીને જે જથ્થાબંધ ઉત્પાદન થાય તે વેચાઈ તો જવું જોઈએ ને ! આથી આ કંપની સરકારના નીતિનિયમોમાં થતા ફેરફારોની કોઈ અવળી અસર પોતાની ઉપર ન પડે તે વાસ્તે સાવધ હતી.

ઉત્પાદનનો પ્લાન્ટ નાંખવો (જમીન સંપાદન !) ઉપરાંત પાણી, વીજળી, રસ્તા વગેરે જેવી આંતર માળખાકીય સુવિધા તો રાજ્ય પેલા મેળાપીપણાના કારણે ગોઠવી આપે. આ પ્રકારના સંબંધોને કારણે ઉત્પાદન ખર્ચ નીચું રહે. ઉપરાંત, સરકારી નીતિઓને કારણે ઉદ્દભવવાપાત્ર જોખમોની સામે આ કંપનીને રક્ષણ પણ મળે. જો કંપની, સરકાર અને તેના તંત્રની વધુ નજીક હોય તો અન્ય કંપનીઓનો પ્રવેશને પણ તે અવરોધી શકે. જરૂર પડે ત્યારે હરીફ કંપનીઓને નુકસાન થાય તેવી નીતિઓ ઘડવાનું સરકારને ‘સમજાવી’ શકાય.

આ બધું કરવા છતાં બીજા બે પાસાં એવાં છે કે જેને વિશે કંપનીએ અલગ પ્રકારના પ્રયાસો કરવાના રહે છે. પહેલું તો એ કે નૂતન ટેક્‌નોલૉજીમાં શ્રમનો ઉપયોગ ગમે તેટલો ઘટે પણ તેને સાવ બંધ કરી શકાતો નથી. વળી પૉલેન્ડ તો અગાઉનો સામ્યવાદી દેશ હતો. આથી ત્યાં મજૂર મંડળોનું ‘જોર’ હોય તે સ્વાભાવિક જ ગણાય. આપણે ત્યાં પણ પાનેસરમાં કામદાર મંડળોની માંગણીઓથી ભાગી છૂટીને મારુતિ-સુઝુકીએ પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં બહેચરાજી નજીક ખસેડ્યો છે. આ બાબતે આપણા દેશબંધુઓ એવા કામદારોના હિતને લક્ષમાં લઈને તેની તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે સરકાર જુદી જ વાત કરે છે. આ બાબતને રાજ્યના ‘ગૌરવ’માં ખપાવી દેવાય છે; આપણે કોઈ મહાન સિદ્ધિ હાંસલ કરી છે અને આપણા ધનભાગ્ય કે મારુતિ જેવા મહેમાન આપણા જેવાના આંગણે પધાર્યા; હવે આપણે વિકાસની હરણફાળ ભરી છે અને હવે રાજ્ય ઓટો હબ બન્યું છે તેવી વાતોને આગળ કરવામાં આવે છે. આમાં મલ્ટીનેશનલ કોર્પોરેશનની ગઠિયાગીરી છે તે આપણી નજરે પણ ચઢતું નથી.

પણ દાએવુ કંપનીએ આ મુશ્કેલીનો એક આગવો રસ્તો શોધી કાઢ્યો છે. કંપની પોતાના કર્મચારીઓની ગતિવિધિ, પ્રભાવકતા વગેરેનો ખ્યાલ રાખે છે. ખાસ પ્રકારના કર્મચારીઓને પસંદ કરીને કોરીઅામાં ‘વધુ તાલીમ અર્થે’ મોકલીને ખુશ રખાય છે. કામદારોને પૂરતા વેતન આપવા કે તેમનો ગુસ્સો વહોરી લેવો તેના કરતાં આ ચાલાકી સસ્તી અને વધુ કારગત નીવડે છે.

પોતાના સંપૂર્ણ કાબૂમાં ન હોય તેવો બીજો મુદ્દો ગ્રાહકો દ્વારા થતી માંગનો છે. કંપની એક ઉત્પાદક તરીકે પોતાની પ્રોડક્ટ રજૂ કરે અને ઉત્પાદન સાથે સંકળાયેલાં જોખમોને મેનેજ કરી લે તે સમગ્ર વ્યવહારનું એક પાસું થયું. સામે છેડે, બીજું પાસું ગ્રાહકોના હાથમાં રહે છે. યાદ રાખવાનું છે કે એક અતિ વિશાળ કંપની દર વર્ષે પુષ્કળ ઉત્પાદન કરે તો જ ટકી શકે તેમ હોય છે. આથી તેનું માર્કેટિંગ પણ જબરદસ્ત રહેવું જોઈએ.

આપણે ત્યાં જેમ થાય છે તેમ પોલેન્ડમાં પણ કાર લોન, સરળ હપતા વગેરેના પેંતરા તો રચાય જ છે. પણ આ કંપની તો તેથી પણ સવિશેષ સક્રિય છે.

પોલૅન્ડમાં ખ્રિસ્તી ધર્મ પળાય છે. આથી ત્યાં દેવળોમાં લગ્ન થાય છે. આ લગ્ન વાસ્તે વર-વધૂ પોતપોતાના નિવાસસ્થાનેથી નીકળીને ચર્ચ સુધી કોઈ પગપાળા જવાના નથી. તેમને મોટરગાડીઓ તો જોઈશે જ ને ! કંપનીના ડીલરો પોતપોતાના વિસ્તારોમાં થનારા લગ્નોની માહિતી મેળવી વર-વધૂનો સંપર્ક કરી તેમને ગાડીની સગવડ ઓફર કરે છે. આ માટે પહેલાં તેમને પોતાના શો-રૂમમાં બોલાવી ગાડીઓની ખૂબીઓ અને વિશેષતાઓ સમજાવે છે. આમ કરીને નવાં પરણેલાંના મગજમાં એટલાં સ્વપ્નાં ભરી દેવાય છે કે તે પૈકી ઘણાં, નવા લગ્નના નશામાં, ગાડી ખરીદી જ લે છે. તેમાં પેલા કાર લોનવાળા પણ એટલા જ ઉત્કટ રીતે ભળેલા હોય છે તે ઉમેરવાની જરૂર પણ નથી.

હવે આપણી વાત :

આ કિસ્સો બતાવે છે કે વિશાળ કોર્પોરેટ હસ્તીઓ ઉત્પાદન કે વેચાણ અંગેના નિર્ણયો કરે ત્યારે શિષ્ટ અર્થશાસ્ત્રીની પોથી ખોલીને બેસતા હોતા નથી. ઉત્પાદન શરૂ કરવામાં કે તે પછી સરકારી નીતિઓ, અન્ય ઉત્પાદકોની હરીફાઈ, મજૂરોનાં આંદોલનો કે ગ્રાહકોની પસંદ કે નાપસંદ જેવા કાબૂ બહારના બનાવો તેમને નડે તેમ હોતા નથી.

આપણા વડા પ્રધાન વિદેશોમાં ‘મેક ઈન ઇન્ડિયા’ વિશે પ્રચાર કરે છે પરંતુ વિદેશી રોકાણકારો જોખમો ઉઠાવીને રોકાણ કરવા તૈયાર ન જ થાય. આથી ક્રોની કેપિટાલિઝમ, મેળાપીપણાવાળો – ગઠિયાગીરીનો મૂડીવાદ અનિવાર્ય બને છે.

વિકાસના નવા મોડલની તથા ગઠિયાગીરીવાળા મૂડીવાદની ચાવી આ બાબતમાં છુપાયેલી છે :

• સરકાર જો મફતના ભાવે જમીન ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

• સરકાર જો મફતના ભાવે પાણી ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

• સરકાર જો તેમને માટેના કરવેરા નીચા (કે શૂન્ય ?) ન રાખે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

જંગલ, શ્રમ, વ્યાજના દર વગેરે અનેક મુદ્દાઓની બાબતે પણ આ જ પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. જો આટલી બાબતોની તાર્કિકતા સમજી લઈએ તો સાથોસાથ એ પણ સ્પષ્ટ થશે કે :

સામંતશાહીના જમાનાના દરબારો ભરવાથી મૂડીરોકાણ સંભવી ન શકે.

ઠાઠમાઠ કે દબદબા ઊભા કરવાથી અબજો રૂપિયા લઈને કોઈ દોડી ન આવે.

આ અર્થમાં (ક્યારેક ભારતમાં પણ રહેતા !) આપણા વડાપ્રધાનશ્રીના વિદેશ પ્રવાસોના કારણે કશું વિશેષ નીપજી ન શકે.

છતાં, જો વિદેશ પ્રવાસ દરમિયામ, કોર્પોરેટ હાઉસિઝને જોખમ સામે રક્ષણ પૂરું પડાય અને કુદરતી સંસાધનો તેમ જ માનવશ્રમ સસ્તા ભાવે પૂરો પાડવાની, પ્રત્યક્ષ કે પરોક્ષ આશા / ખાતરી અપાય તો આ મૂડીરોરાણ આવી શકે. અલબત્ત, આવી ખાતરી અન્ય દેશોની સગવડો કરતાં વિશિષ્ટ હોવી ઘટે.

આ સમગ્ર તર્કનો એક નવો ફાંટો પણ ફૂટવા માંડ્યો છે અને તે છે જાસૂસીનો. કોર્પોરેટ જગત એકબીજા ઉપર તેમ જ સરકારી તંત્ર અને વજનદાર વ્યક્તિઓની જાસૂસી કરે છે. તેના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જુલિયન અસાંજેનું ‘વિકીલિક્સ’, એડવર્ડ સ્નૉડનનો પર્દાફાસ તથા અનેક પ્રકારના સ્ટિંગ ઓપરેશનો આનાં ઉદાહરણો છે. એડવર્ડ સ્નોડને જે પર્દાફાસ કર્યો તેનાથી અમેરિકન સરકારનો પણ ગઠિયાગીરીનો ચહેરો ખુલ્લો થયો. અમેરિકન સરકાર, જર્મનીના ચાન્સેલરના મોબાઇલ ફોનની વાતચીત ઉપર જાસૂસી કરતી હતી. તથ્ય એવું બહાર આવ્યું કે અમેરિકન સરકારે, જર્મની દ્વારા થનારા વિદેશી મૂડીરોકાણની માહિતી મેળવી પોતાના ઉદ્યોગપતિઓ માટે જે તે દેશમાં મૂડીરોકાણની તકો ખોલી આપી હતી. જર્મન ઉદ્યોગપતિના સોદાની વિગતો જાણી અમેરિકન ઉદ્યોપગતિને અપાય તો પેલાને સોદા કરવામાં અનુકૂળતા ઊભી થાય. એડવર્ડ સ્નોડનના આ પર્દાફાસમાં દક્ષિણ અમેરિકાના એક દેશના પ્રમુખ એવા એક બહેનના પણ મોબાઈલ ફોનની જાસૂસી અમેરિકા કરતું એવું બહાર આવ્યું. તે અરસામાં તે બહેન અમેરિકા રાષ્ટ્રપતિ સાથે ડીનર લેવાના હતાં. આ પ્રોગ્રામ તે બહેને તાત્કાલિક રદ કર્યો.

આધુનિક મૂડીવાદ, લોકશાહી, હરીફાઈ, કાર્યક્ષમતા, બજાર, ગ્રાહક વગેરે અંગે અલગ પ્રકારનાં સમીકરણો ધરાવે છે. આથી, આર્થિક વૃદ્ધિ થવાથી વિકાસ થશે કે અદૃશ્ય હાથ બધું બરાબર કરી દેશે તેવી ભ્રમણામાંથી સવેળા બહાર આવવું રહ્યું.

લેખમાં ઉલ્લેખિત કેસસ્ટડીની વિગત : “The Socio-Political Behaviour of Multi-National Corporations in the Context of Business Networks – The case study of the Korean MNC in a European country”. Amjad Hadjikhani Pervez Ghauri and Joongwoo Lee. Department of Business Studies, Upsala University, School of Business Administration, Manchester University and Inje University, Korea.

‘નયા માર્ગ’, ૧૬-૬-૨૦૧૫

Loading

Greeceni Behaali : Aarthik-Rajkiya SammishranonuM Du:swapna

રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

ગ્રીસની બેહાલી : આર્થિક-રાજકીય સંમિશ્રણોનું દુઃસ્વપ્ન

——————————————————————————

પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, સિકંદર વગેરે જેવાં કેટકેટલાં ભવ્ય નામો, વિચારો અને કર્મો ગ્રીસ સાથે સંકળાયેલા છે! ઈ.સ. પૂર્વે ચારેક હજાર વર્ષના કાળથી એથેન્સ, જગતના પ્રવાહોને ઓળખી અને નાણી રહ્યું છે. આ દેશના પાટનગર એથેન્સમાં ઈ.સ. પૂર્વે પાંચમા સૈકાનાં સ્થાપત્યો આજે પણ ઊભાં છે. ભારતની જેમ ગ્રીસમાં પણ અનેક દેવી-દેવતાને પૂજવામાં આવતા અને તેમનાં ચમત્કારોથી ભરપૂર અનેક કહાનીઓ છે. પરંતુ આ ગ્રીસ અકલ્પ્ય એવી આર્થિક તાણમાંથી ગુજરી રહ્યું છે. જ્યાં આર્થિક તાણ હોય ત્યાં રાજકીય અને સામાજિક પ્રતિભાવો જન્મે એ સાવ સ્વાભાવિક જ ગણાય.

૧૯૭૪માં ગ્રીસ લશ્કરી શાસનમાંથી મુક્ત બન્યું તે પછી તેનો આર્થિક વૃદ્ધિનો દર સારો એવો ઊંચો રહ્યો. ૧૯૯૯માં તે યુરોપિય સંઘનું સભ્ય બન્યું. તે પછી લગભગ એક દાયકા સુધી તેનો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો જ રહ્યો.  છેક ૨૦૦૯ સુધી તે લગભગ ૪.૨ ટકાના દરે વધતું રહ્યું. યુરોઝોનના અન્ય સાથી દેશોની વૃદ્ધિ આટલી ઊંચી ન હતી.

આવા ગ્રીસમાં આજે અકલ્પ્ય હાલાકી પ્રવર્તે છે. તેના યુવાધનના લગભગ ૬૦ ટકા લોકો બેકાર છે. એથેન્સ જેવા ભવ્ય અને પૌરાણિક શહેરમાં દર અગિયારે એક વ્યક્તિ સદાવ્રત ઉપર નભે છે. બે લાખ લોકોના માથે છાપરું નથી. ૨૦૦૯થી ૨૦૧૫ સુધીમાં એઈડ્‌ઝના દરદીઓની સંખ્યામાં બસો ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ લગભગ ભાંગી પડી છે. ગ્રીસ જેવા યુરોપના એક વિકસિત દેશની આવી હાલત કેમ થઈ ? ૨૦૦૯ સુધી ઝડપથી વધતું અર્થતંત્ર આટલું બધું અને આટલી ઝડપથી કેમ કથળી ગયું તે પ્રશ્ન વિચારવાનો થાય છે.

છેક ૧૯૮૯માં મિલ્ટન ફ્રીડમેન અને પોલ ક્રુગમાન જેવા અર્થશાસ્ત્રીઓએ યુરોઝોનની રચના સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિવિધતા ધરાવતા યુરોપીય દેશોને યુરો જેવા એક જ ચલણમાં, સાંકળવાની નીતિ ભૂલભરેલી છે. મિલ્ટન ફ્રિડમેન તો તેમની શિકાગો સ્કૂલ દ્વારા નવ્ય મૂડીવાદના મુખ્ય મઠાધીશ તરીકે જાણીતા હતા. આમ છતાં, યુરોપમાં ઉભરેલા નવ્ય મૂડીવાદમાં પણ એક જ ચલણના વિચારનો તેમણે વિરોધ કર્યો હતો.

તાજેતરનાં કેટલાક બનાવો અંગે ઉપર ટપકે વિચાર કરવા જઈએ તો ગ્રીસની આ કમનસીબી નવ્યમૂડીવાદ – ખાસ કરીને વૈશ્વિકીકરણ સંદર્ભમાં એક જ ચલણ લાગુ કરવાના સંમિશ્રણનો એક બનાવ જણાય છે. આ બનાવને કારણે મૂડીવાદની ભવ્યતા ઝાંખી પડતી નથી એમ દલીલ થઈ શકે. પરંતુ આ તાત્ત્વિક ચર્ચા ઉપર આવતા પહેલા ગ્રીસમાં કટોકટી ઊભી કરનારા કેટલાક બનાવો ભણી નજર નાંખીએ :

ગોલ્ડનમેન સાખ્સ અમેરિકાના નાણાં વર્તુળોનું એક પ્રચંડ નામ છે. ૨૦૦૮ની અમેરિકન મંદીમાં આ કંપની તો ડૂબી જ પણ તેણે અન્ય અનેકને ડૂબાડ્યા પણ ખરા. પણ ગ્રીસ અને યુરોપના અન્ય કેટલાક દેશો જેવા કે સ્પેન, ઈટાલી, લેટીવિયા વગેરેમાં આ નામ એક જુદા જ કારણસર કુખ્યાત બન્યું છે. ગ્રીસને તેણે ખોટા હિસાબો કેવી રીતે રજૂ કરાય તે શીખવ્યું. (અન્ય કેટલા દેશોને આવું શીખવ્યું છે તે હજુ બહાર આવ્યું નથી.) આવા ખોટા હિસાબોને કારણે નાણાવર્તુળોમાં શરૂઆતમાં ગ્રીસની શાખ જળવાયેલી રહી. આ શાખને કારણે તે ઓછા વ્યાજે ધિરાણ પણ મેળવતું રહ્યું. યુરોપના અન્ય દેશોની તુલનાએ ગ્રીસમાં વ્યાજ વધારે હોવાથી યુરોપની અનેક નાણાં સંસ્થાઓએ ગ્રીસમાં પૈસા રોક્યા.

બીજી તરફ ગ્રીસમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક છે, જેને કારણે સરકારને કરવેરા દ્વારા જે આવક થવી જોઈતી હતી તે થતી નથી. ગ્રીસના ધનવાનોના સ્વીસ બૅંકોના ખાતાઓમાં કદાચ ૮૦ અબજ યુરો કે તેથી વધુ રકમ ધરબાયેલી પડી છે. (જો આ રકમ પાછી આવે તો દરેકના ખાતામાં પંદર લાખ યુરો જમા થાય કે નહીં તેની કોઈ ચર્ચા ત્યાં, ચૂંટણીઓમાં પણ થતી નથી. ગ્રીસની ‘બ્લેક ઇકોનામી’ – કાળાંનાણાંનું સમાંતર અર્થકારણ તેની જી.ડી.પી.ના ૨૪.૩ ટકા હોવાનો અંદાજ છે.) સરકારને કરવેરા દ્વારા પૂરતી આવક થતી ન હોવાથી બજેટમાં ખાધ રહે છે. આ ખાધનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. ૧૯૯૯માં ગ્રીસની બજેટ ખાધ તેની જી.ડી.પી.ના પાંચ ટકા હતી તે ૨૦૦૮-૦૯માં વધીને પંદર ટકા થઈ.

ત્રીજી બાબત એ બની કે યુરો જર્મની કે ફ્રાંસ જેવા દેશો માટે કદાચ ઉચિત આંતરરાષ્ટ્રીય મૂલ્ય ધરાવનારું ચલણ હશે પણ ગ્રીસ માટે તે અધિમૂલ્યિત છે. અર્થશાસ્ત્રના નિયમાનુસાર જ્યારે ચલણનું અવમૂલ્યન થાય ત્યારે નિકાસો વધતી હોય છે અને આયાતો ઘટતી હોય છે. ચીન જાણી જોઈને પોતાના ચલણનું મૂલ્ય નીચું રાખે છે જેથી તે વિદેશોમાં સસ્તા ભાવે વધુ નિકાસ કરી શકે. પણ ગ્રીસ માટે યુરો અધિમૂલ્યિત હોવાથી તેની નિકાસો ઓછી અને આયાતો વધુ રહેતી. આ વેપાર ખાધને પહોંચી વળવા વાસ્તે પણ ગ્રીસે દેવું કરવું પડ્યું. વિદેશી બૅંકોએ શરૂમાં આ નાણાં ધીર્યા.

ચોથું, ૨૦૦૭-૦૯ દરમિયાન અમેરિકામાં અને તેને પગલે યુરોપમાં પણ મંદી પ્રસરી. આ સંજોગોમાં ગ્રીસની નિકાસો વધે નહીં અને વેપારના ચાલુ ખાતાની ખાધ વધે તેવી સ્થિતિ સર્જાઈ. જો ગ્રીસ યુરો ચલણ સાથે સંકળાયેલું ન હોત તો તેની પાસે પોતાના ચલણના અવમૂલ્યનનો રસ્તો હતો. ગ્રીસે અવમૂલ્યન કર્યું હોય તો તેની નિકાસો વધી હોત અને એટલા પ્રમાણમાં દેવું ઘટ્યું હોત.

૨૦૦૯માં ગ્રીસના હિસાબોના ગોટાળા બહાર પડ્યા તેની સાથે જ તેની શાખ ઘટી ગઈ. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ગ્રીસના બોન્ડના રેટીંગનું ‘જન્ક’ – કચરો નામ પાડ્યું. આની સાથે જ લોકો બોન્ડ વેચવા દોડ્યા. ૨૦૦૭માં બોન્ડ ઉપરનું વ્યાજ ૪.૫૩ ટકા હતું તે ૨૦૦૯ સુધીમાં ૧.૭૮ ટકા થયું હતું. પરંતુ તે પછી શાખ ગુમાવવાને કારણે જાન્યુઆરી ૨૦૧૨માં ૧૨૯.૯૭ ટકા અને જુલાઈ, ૨૦૧૨માં ૧૭૭.૩૭ ટકાએ પહોંચ્યું. બોન્ડની કિંમત જેમ ઘટે તેમ વ્યાજનો દર વધારે થતો જાય છે. બોન્ડ એક કાગળ છે. દા.ત. ભારતમાં સો રૂપિયાનો બોન્ડ વર્ષે છ રૂપિયા વ્યાજ આપે તો તે છ ટકા વ્યાજ થયું. હવે જો આ જ કાગળિયું રૂ. ૧૦૦ને બદલે માત્ર રૂ. ૧૦માં મળતું થાય તો હવે દસ રૂપિયા ઉપર છ રૂપિયા એટલે કે સાઠ ટકા વ્યાજ બેસશે.

યુરોઝોનના આર્થિક ક્ષેમકુશળની ચિંતા કરનારી ત્રણ ત્રણ સંસ્થાઓ છે. તે છે યુરોપિયન સહિયારી બૅંક (ઈ.સી.બી.), યુરોપિયન કમિશન (ઈ.સી.) અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈ.એમ.એફ.). આ ત્રણે – ટ્રોઈકા કે ત્રેખડ – ગ્રીસની વહારે દોડી આવ્યા. તેમણે બેઈલ આઉટ પેકેજ જાહેર કર્યા. મે, ૨૦૧૦માં આ ત્રેખડે ૧૧૦ અબજ યુરોની લોન આપી. જો કે આ માટેનો વ્યાજનો દર, યુરોપના પ્રવર્તમાન દરોના પ્રમાણમાં ઘણો ઊંચો-સાડા પાંચ ટકા-રખાયો. આ ધિરાણની સાથે આ ત્રેખડે શરત મૂકી કે ગ્રીસે હવે કસર કરવી. આ કસરનો અર્થ પેન્શનમાં કાપ, વેતનમાં કાપ, સરકારી ખર્ચામાં કાપ ઉપરાંત જાહેર સંપત્તિનું ખાનગીકરણ કરવું એવો થતો હતો. આ તમામ પગલાં લોકવિરોધ હતા અને તેની સામે સમગ્ર દેશમાં વ્યાપક અને સજ્જડ હડતાળો પડી.

આ કરકસરના સખત પગલાંને લીધે વેતનોમાં ૨૦ ટકા સુધીનો કાપ આવ્યો. બજેટ ખાધ, જે ૨૦૦૯માં જી.ડી.પી.ના ૧૧ ટકાએ પહોંચી હતી તે ૨૦૧૧માં ઘટીને માત્ર ૨.૪ ટકાએ આવી ગઈ. પણ આટલી ઝડપથી આટલાં કડક પગલાં ભરાયાં તેથી મંદી ફરી વળી. ૨૦૧૧માં જી.ડી.પી. ૭.૧ ટકા ઘટી ગઈ. બે લાખ કારખાના બંધ થઈ ગયા. ૨૦૦૫ની તુલનાએ ઔદ્યોગિક ઉત્પાદન ૨૮.૪ ટકા ઘટી ગયું. ૧,૧૧,૦૦૦ કંપનીઓ નાદાર થઈ ગઈ. જે ૨૦૧૦ની તુલનાએ ૨૭ ટકા વધુ હતી.

આ મંદીમાં બેકારી પણ વધે જ. ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં બેકારીનો દર ૭.૫ ટકા હતો; તે મે, ૨૦૧૨માં ૨૩.૧ ટકા થયો. યુવા બેકારીનો દર ૫૪.૯ ટકા થયો. ૨૦૧૫માં એકંદર બેકારીનો દર ૨૫ ટકાથી વધુ છે. અમેરિકામાં ૧૯૨૯માં શરૂ થયેલી વિશ્વમંદી વખતે પણ આવી જ બેકારી હતી. આજે એથેન્સ જેવાં શહેરોમાં ૨૦ ટકા દુકાનો ખાલી છે. બૅંકો બંધ છે અને એ.ટી.એમ.માંથી પણ માત્ર પેન્શનધારકોને દૈનિક ૬૦ યુરો જેટલી જ રકમ ઉપાડવાની છૂટ છે.

આ સ્થિતિમાં લોકજુવાળ ફાટી ન નીકળે તો જ નવાઈ કહેવાય. પરિણામે ૨૦૧૪ની આખરે ફરીથી ચૂંટણીઓ થઈ. ૨૦૧૫ના જાન્યુઆરીમાં ત્યાં સીરીઝા નામનો સામ્યવાદી પક્ષ સારી એવી બેઠકો મેળવી ગયો. તેના નેજા હેઠળની સંવિદ સરકાર હાલ ત્યાં સત્તા ઉપર છે.

આ ગાળા દરમિયાન પેલા ત્રેખડે ગ્રીસને બીજી ત્રણ વાર મોટી મોટી રકમોની લોનો આપી. આનું પરિણામ એ આવ્યું કે ગ્રીસની કથળતી હાલત જોઈ ચૂકેલી યુરોપિયન બૅંકોએ પોતાનાં ધિરાણો પાછાં મેળવી લીધાં. આમ ત્રેખડની લોન જાણે કે આ બૅંકો તથા અન્ય માલેતુજારોને બચાવી લેવા વાસ્તે અપાઈ હોય તેવું બન્યું. ત્યાંના સામાન્ય માણસના ભાગે તો બેકારી, વેતનકાપ, ભૂખમરો અને એઈડ્‌ઝ જ આવ્યા. બે લાખ લોકો ઘરવિહોણાં બન્યા અને માત્ર એથેન્સ શહેરમાં જ દસ ટકા વસતી અન્નક્ષેત્રો ઉપર ગુજારો કરનારી બની. આર્થિક નીતિની અસરો કોઈક યુદ્ધ કરતાં ઓછી ભયાનક નથી. આ પગલાંને લીધે ગ્રીસની જી.ડી.પી. ૨૫ ટકા ઘટી ગઈ છે.

૨૫મી જૂને જે હપતો પાકતો હતો તે ગ્રીસ ભરી શક્યું નહીં. પણ સામે તેણે એક રાજકીય પગલું ભર્યું. તેણે લોકો સમક્ષ આ મુદ્દો એક જનમત – રેફરન્ડમ – તરીકે રજૂ કર્યો. ગ્રીસની ૨૦૧૪ની આખરની ચૂંટણી પછી વડા પ્રધાન બનેલા સામ્યવાદી પક્ષના સિપ્રાઝ કહે છે કે યુરોપીય સંઘ અમને વારેવારે હલકા પાડે છે અને બ્લેકમેલ કરે છે. તે અમને વારેવારે ‘હજુ કસર કરો – હજુ કસર કરો’ એમ કહ્યા કરે છે. અમે જાણે કે યુરોપનું કોઈ ગુલામ રાજ્ય હોઈએ તેવો વર્તાવ કરે છે. આ યુરોપિય સંઘ કહે છે, હજુ વધુ કસર કરો તો વધુ ધિરાણ આપીએ. જનમત સંગ્રહમાં ૬૧ ટકા લોકોએ યુરોપિયન સંઘની આ માંગણીઓ વિરુદ્ધ મત આપ્યો. આટલા મોટા પ્રમાણમાં જનમત વિરુદ્ધમાં જશે તેવું  યુરોપે ધાર્યું ન હતું.

સવાલ એ છે કે હવે શું ? ૩૦મી જૂન ૨૦૧૫ સુધીમાં ગ્રીસનું દેવું ૩૨૩ અબજ યુરોએ પહોંચ્યું છે. ૨૦૦૮માં દેવા : જી.ડી.પી. ગુણોત્તર ૧૦૯ હતો તે ૨૦૧૦માં ૧૪૬ થયો છે. અત્યાર સુધી લીધેલા ધિરાણના વ્યાજ સહિતના હપતા પણ નજીકના ભવિષ્યમાં ભરતા જવાનું છે.

સમસ્યા એ પણ છે કે ગ્રીસના ભારે જનમતે વધુ કરકસરને જાકારો તો આપ્યો પણ હવે બધો વ્યવહાર ચાલશે કઈ રીતે? ભારત સહિતના અનેક દેશો નવું દેવું કરીને જૂનું ચૂકવતા હોય છે. પણ ગ્રીસ માટે આ માર્ગ હવે બંધ થાય છે. હપતા ભરી ન શકવાને કારણે તે નાદાર પણ જાહેર થશે. સંભવ છે કે તેને યુરોપીય સંઘમાંથી હાંકી પણ કઢાય. આમે ય તે નવ્ય મૂડીવાદના ગઢ સમાન યુરોપમાં ઉગ્ર ડાબેરી એવા સીરીઝા પક્ષનો ઉદય વેઠાતો નથી. આમ છતાં ગ્રીસે ત્રેખડની શરતો સ્વીકારી હજુ વધુ કરકસર કરવાનું કબુલ્યું છે. સિપ્રાઝને પોતાના સામ્યવાદી સાંસદોનો પણ પૂરતો ટેકો ન મળતા વિપક્ષોનો ટેકો મેળવ્યો. ગ્રીસને લગભગ ૯૮ અબજ ડોલરની સહાય ત્રણ હપ્તામાં આપવાનું નક્કી થયું. આ રકમનો પ્રથમ હપ્તો ૧૩ બિલિયન યુરોનો આપવામાં આવ્યો છે. તેમાંથી ૩.૨ અબજ યુરો તો ઈ.સી.બી.એ દેવા પેટે મેળવી લીધા છે. બાકીની રકમો પણ લેણદારો લઈ જશે અને નવા રોકાણ વાસ્તે કશું જ બચશે નહીં!

સિપ્રોઝે નવેસરથી ચૂંટણીની માગ કરી છે. એક મૂડીવાદી રચનાએ દેશના આમ આદમીનું જીવન તોફાનોથી ભરી દીધું છે.

• ગ્રીસની આ ટ્રેજડીમાંથી જગત માટે કોઈ બોધપાઠ ખરા ?

• ગ્રીસના જ્યારે ‘અચ્છે દિન’ હતા ત્યારે આ જ ફ્રાંસે તેને લલચાવીને શસ્ત્રો વેચ્યાં. (ભારતના વડાપ્રધાનશ્રીએ પણ તાજેતરના ફ્રાંસ પ્રવાસ દરમિયાન લડાકુ વિમાનોની ફોજ ખરીદીને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો છે.) જર્મનીએ બિનજરૂરી સબમરિનો પધરાવી ગ્રીસ પાસેથી નાણાં ખંખેરી લીધા.

• નવ્ય મૂડીવાદને દેશોની અંદરના ‘નાના’ ભ્રષ્ટાચાર નહીં પણ ગોલ્ડમેન શાખ્સ જેવા દેશાંતરી ભ્રષ્ટાચારો ચાલે તેની ખબર રહેતી નથી.

• ગ્રીસને જો પોતાનું અલગ ચલણ મળે તો તે અવમૂલ્યન કરીને નિકાસો વધારવા પ્રયાસ કરશે.

• ગ્રીસની યુરોપીય સંઘમાંથી હાંકી કઢાયા બાદ અન્ય નબળાં અને દેવાદાર દેશો, જેવા કે ઇટલી, આયર્લૅન્ડ, પોર્તુગાલ, લેતવિયા વગેરે પણ ભાગ્યે જ ટકી શકે.

• ગ્રીસ આખરે અસ્થિર બનશે અને તેનું ભાવિ ધૂંધળું છે તેવો મત ઈકોનોમિસ્ટે વ્યક્ત કર્યો છે.

ભારતે આ ટ્રેજડીમાંથી ઘણું શીખવાનું છે. ફ્રાંસ, જર્મની વગેરે દેશો શસ્ત્ર સરંજામ, વિમાનો વગેરેની નિકાસ કરીને આપણા જેવા ગરીબ દેશોમાંથી અબજો ડૉલર પડાવી જવા આતુર છે. ફ્રાંસ પાસેથી લેવાયેલા વિમાનો તેનું તાજું ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે ભારતના એન્જિનિયરિંગ સામાન અને સોફ્ટવેરની નિકાસો ઉપર અસર પડશે. અલબત્ત ગ્રીસનું પતન અન્યત્ર કેટલું ફેલાય છે તેની ઉપર તેનો આધાર છે.

નવ્ય મૂડીવાદના વિમર્શમાં ઊતરીએ તો જણાય છે કે આ વિચાર કોઈક સૈદ્ધાંતિક અને પાઠ્યપુસ્તકો પ્રમાણે ચાલનારો નથી. મુક્ત વેપાર અને બજારવાદ કે હરીફાઈ અને કાર્યક્ષમતા જેવા શબ્દોને પૂરી શંકા સાથે એને ગ્રીસ જેવા દેશોના અનુભવોના સંદર્ભે જોવા જોઈએ. નવ્ય મૂડીવાદના પાઠ્ય પુસ્તકોમાં વર્ણવાએલી આ સ્પર્ધાત્મકતામાં તમામ દેશો એક સમાન શક્તિથી ભાગ ન લઈ શકે. રમતના બધા ખેલાડીઓને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ મળતું નથી. આથી દરેક દેશે પોતાના હિત સમજીને મેદાનમાં ઉતરવું રહ્યું. આ મુદ્દો જ બતાવે છે કે ‘બજાર’ની કામગીરી નિર્દોષ હોતી નથી. તેની અસરો કેવી વિઘાતક હોઈ શકે તેનો એક નમૂનો ગ્રીસે રજૂ કર્યો છે.

ગ્રીસના આ અનુભવથી વૈચારિક જગતમાં ખાસ કરીને નવ્ય મૂડીવાદની આગેકૂચ ઉપર કેવી અસરો પડશે તે વિચારવું રહ્યું :

• યુરોપિયન સંઘ વિવિધ દેશોમાં વડા પ્રધાનો અને ચૂંટાયેલી સરકારોના મતોને લક્ષમાં લીધા વગર સૈદ્ધાંતિક મૂડીવાદમાં શ્રદ્ધા ધરાવતા બાબુઓ દ્વારા ચાલે છે તે સાબિત થયું છે. મૂડીવાદ લોકશાહીથી વિખૂટો પડી ચૂક્યો છે.

• ગ્રીસના બનાવમાં જગતના માલેતુજારો, જેમ કે ગોલ્ડમેન સાખ્સ, લેહમાન બ્રધર્સ વગેરેના પણ મોટા કારસા ચાલ્યા છે. આ ગઠિયા મૂડીવાદને કારણે અતિ ધનિકો તથા ભ્રષ્ટાચારીઓ સિવાયનો સમગ્ર સમાજ ભારે હાલાકીમાં મુકાઈ ગયો છે.

• વૈશ્વિકીકરણને બદલે દેશના આંતરિક અર્થકારણનું અને તેમાં ય નાના અને લઘુ ઉદ્યોગો તથા ખેતીનું મહત્ત્વ વિશેષ છે. નિકાસો પાછળ દોડનારા દેશો પાયમાલી નોંતરી રહ્યાં છે.

નયા માર્ગ’, ૧૬-૭-૨૦૧૫

Loading

...102030...3,7593,7603,7613,762...3,7703,7803,790...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved