Opinion Magazine
Number of visits: 9692538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Garva Karva Jevi Vaat : An DeshmaM Ek Vedmitra ChaudharinuM HovuM ….

હિમાંશી શેલત|Opinion - Opinion|28 August 2015

ગર્વ કરવા જેવી વાત : આ દેશમાં એક વેદમિત્ર ચૌધરીનું હોવું …

સ્ત્રીઓ અને બાળકીઓની નિર્મમ હત્યાઓ સમાજને કોઠે પડી ગઈ છે એ વાસ્તવિક્તાથી કેટલુંક ભાગીશું ? 

ખબર છે કે આ ઘટના નથી પહેલી, કે નથી છેલ્લી. આવું પહેલાં બન્યું છે, આજે બને છે, અને આગળ ઉપર કદાચ બનશે. છતાં અહીં સલામી આપવી છે આ દેશના એક નરબંકાને, જેનું નામ છે વેદમિત્ર ચૌધરી. દુષ્કૃત્યોમાં સંડોવાયેલાં અનેક વ્યક્તિત્વો આપણાં સમૂહ માધ્યમોની મોટી જગ્યા હડપ કરી જાય છે. એમનાં કુકર્મોના પથારા એટલા લાંબા-પહોળા હોય છે કે સામાન્ય માનવીઓનાં અસાધારણ સત્કૃત્યોને બિરદાવવા માટે ક્યારેક સમૂહ માધ્યમોનો પનો ટૂંકો પડે છે. પણ આજે, આ સ્થળે, જો વેદમિત્રને યાદ ન કરીએ તો શરમ અનુભવવાનો વારો આપણો.

 વિલાપમાં ગરકાવ 31 વર્ષીય લાન્સ નાયક વેદમિત્ર ચૌધરીનું શેષ પરિવાર

ઘટના સ્થળ છે મેરઠનું શામલી ગામ. તારીખ તેર ઓગસ્ટ, ગુરુવાર (બે દિવસ પછી) દેશ સ્વતંત્રતા-દિવસ ઉજવવાનો). બાવીસ વર્ષની યુવતી હરકેશનગર વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી એને મવાલીઓની એક ટોળકી સતાવી રહી છે. તે આ યુવતીને આંતરે છે. એક બે નથી, છે તો પૂરા પાંચ છ. મદદ માટે બૂમો પાડ્યા વિના બીજો રસ્તો નથી. બૂમાબૂમથી યુવતીનો સત્તરેક વર્ષનો ભાઈ (જે આ ઘટનાનો સાક્ષી છે) અને અન્ય દોડી આવે છે. ભૂંરાટી ટોળકીને સમજાવવા મથે છે, પેલાઓ અટકતા નથી. વેદમિત્ર ચૌધરી – લશ્કરી જવાન વેદમિત્ર ચૌધરી – ખરીદી માટે આ વિસ્તારમાં આવ્યો છે. ઘટનાને પારખી જઈ એ તત્ક્ષણ વચ્ચે પડે છે. વાત હવે સામસામા પ્રહાર પર આવી જાય છે. વેદમિત્ર પૂરી તાકાતથી બનાવમાં સંડોવાય છે. જોનારા ઘણા છે, પણ વચ્ચે પડવાની તૈયારી કોઈની નથી. કદાચ કોઈ પડ્યું હોય તો યે છેવટ લગી ઝઝૂમી શકે એવું નથી. આડેધડ થતા પ્રહારોથી વેદમિત્ર ઘાયલ થાય છે અને અંતે મૃત્યુ પામે છે.

અહીં ‘જો અને તો’ની કથા કહેવી નથી. એકઠા થયેલા લોકોમાંથી કોઈ પાંચ-દસ વેદમિત્ર સાથે થયા હોત તો કદાચ એ બચી ગયા હોત એમ કહેવાનો હવે અર્થ નથી. યુવતીને સહાયભૂત થવાનું કોઈને સૂઝ્યું નહીં કે પછી વેદમિત્રને મદદ કરવાનું કોઈને આવડ્યું નહીં – જે હોય એ, એક બહાદુરે જીવ ગુમાવ્યો એટલું નક્કી. એના પરિવારે લાખેણો યુવાન ખોયો એ પછી શહીદીની કરોડો ફૂલપત્તીઓ ચડે તો યે શું! એ આખા પરિવારને અને પેલી યુવતીના કુટુંબને જીવનભર એક શૂળ ભોંકાયા કરવાની. 

એ શૂળ તે પેલા નિષ્ક્રિય ઊભેલા ટોળાની આંખો, લાપરવાહ અને બેશરમ. માનો કે જાતને સુરક્ષિત રાખવાની માનવ સહજ વૃત્તિ એટલી પ્રબળ બની ગઈ હોય કે આવી જીવ સટોસટની મારામારીમાં કૂદી પડવાનું સાહસ કોઈ ન કરી શક્યું હોય. વેદમિત્રની વાત જુદી, કારણ કે એને તો આ પ્રકારની તાલીમ મળી છે, લશ્કરી જવાન તો હિંમતવાન હોય જ. પરંતુ ટોળું બીજુંયે ઘણું કરી શકે, પોલીસને બોલાવવાથી માંડીને રાહદારીઓને એકઠા કરવા જેવું. જ્યાં જીવનમરણના સોદા હોય ત્યારે પૂતળાંની પેઠે ઊભાં ન રહેવાય એવા સાદા પાઠો આપણે ક્યારે શીખી શકીશું એની ખબર નથી. કટોકટીની ક્ષણોમાં જાતને કાચની બરણી પેઠે સાચવ્યા કરવાની ડરપોક મનોદશા પર જેમણે વિજય મેળવ્યો છે એમની રગોમાં લોહી વધુ વેગથી દોડે છે એ તો સો ટકા સાચું જ, પણ એ લોહી જ છે, અને પાણી નથી, એની સાબિતીયે એ જ ઘડીએ મળી જવાની. 

પડકાર બનેલી ઊભેલી ક્ષણે પોતાની ઉપર આધાર રાખતું કુટુંબ, અને એ કુટુંબનું સ્નેહબંધન, ગુંડાઓની ટોળકી સાથે સંઘર્ષમાં પડવાનું જોખમ, અને જીવ ગુમાવવાની શક્યતા, વેદમિત્રના ધ્યાનમાં હશે જ. જાતને સાચવી-બચાવીને દૂર ખસી જવાની સ્વાભાવિક વૃત્તિને દૂર હડસેલી ઝડપભેર બળતામાં ઝંપલાવવા માટે જે હૃદયસંપત્તિ જોઈએ તે વેદમિત્રમાં હતી, અને આજે એ હૃદયસંપત્તિની પ્રશસ્તિમાં આ શબ્દો અર્ધ્ય રૂપે.

આ હૃદયદ્રવ્ય જો આઠ ઓગસ્ટને દિવસે, ઝારખંડમાં બનેલી એક ભયાનક ઘટના વખતે, ત્યાં હાજર જો કોઈનામાં હોત તો પાંચ આદિવાસી સ્ત્રીઓને પથ્થર અને લાકડીઓના મારથી જીવ ગુમાવવાનો વખત ન આવત. એકવીસમી સદી, અને ડિજિટલ ઇન્ડિયા, અને એવું બીજું જે હોય તે, હજી તો દેશના કેટલાયે ભાગોમાં અંધારયુગ જ ચાલે છે. કોઈ એક ભૂવો ઈતવારિયા નામની એક મહિલાને ગામમાં થતાં પશુમોત કે માનવમોત માટે કસૂરવાર ઠેરવે તો થોડા લોકો એ સ્ત્રીને ‘ડાકણ’ ગણીને પતાવી દેવાના. પાંચ પાંચ સ્ત્રીઓને લાકડીના ફટકા અને મોટા પથ્થરોના પ્રહારોથી પતાવી દેવામાં આ ગામના કોલેજમાં ભણવા જતા યુવાનો પણ હતા. જેની ખબર ફરિયાદ નોંધાઈ ત્યારે પડી!

માહિતી મળે છે કે માત્ર ઝારખંડમાં જ મેલીવિદ્યા સાથે કોઈક રીતે સંકળાયેલી ઓગણપચાસ વ્યક્તિઓને આ રીતે મારી નાખવામાં આવી છે. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આમાં મોટા ભાગની સ્ત્રીઓ છે. આશ્ચર્યની બાબત એ ગણાય કે મરનાર સ્ત્રીઓનાં પાછા પરિવારોયે છે. ચીસો પાડી પાડીને મરણને શરણ થતી આ સ્ત્રીઓના ઘરમાં ભરાઈ બેઠેલાં અને એમને બચાવવામાં સદંતર નિષ્ફળ નીવડેલાં કુટુંબોને હવે વચગાળાની રાહત લેખે વીસ હજાર મળશે, છે ને બલિહારી! સંબંધ દાવે જે સ્ત્રીઓ અનેક વ્યક્તિઓ સાથે જોડાયેલી છે એમને કટોકટીની ક્ષણોમાં એકેય આધાર મળતો નથી. 

તેથી જ વેદમિત્રને બે હાથે સલામ. એ પેલી યુવતીને કે એના કુટુંબને જાણતો નથી, એને પેલા ગુંડાઓ સામે કશું વેર નથી છતાં ઊંચી માનવતા અને કર્તવ્યનિષ્ઠાથી પ્રેરાઈને એ સંઘર્ષમાં ખાબકે છે અને વીરગતિ પામે છે. મૂલ્યો માટે મરી ફીટવાનું અઘરું છે, અને વિરલ પણ-માત્ર પોતાની કે સ્વજનોની ચિંતામાં ડૂબેલા, ભયત્રસ્ત અને સતત સલામતી ખોળતા કંગાળ સમૂહમાં, એક વેદમિત્રનું હોવું કેટલું અદ્દભુત હોઈ શકે, પોતાનાં સુખસગવડને અગ્રક્રમે રાખી પ્રવર્તતા આત્મરત, ઊંઘરેટા સમુદાયમાં એક વેદમિત્રનું હોવું કેટલું શાતાદાયક હોઈ શકે, એ તો આપત્તિજનક પરિસ્થિતિની ભીંસમાં જ સમજાય. વેદમિત્રને મરતો જોનારું પેલું નિર્માલ્ય ટોળુંયે આપણા સમાજ માટે નવું નથી. થોડાંકને આ હકીકતથી અકળામણ થાય એ ખરું, પરંતુ એ અજંપો ત્યાં આવીને અટકી જવાનો. આ લખાય છે ત્યારે બીજી બે ભયંકર ઘટનાઓ ઉત્તર પ્રદેશમાં બની ચૂકી છે. બંનેમાં સ્ત્રીઓ પર અત્યાચાર થયો છે, અને એમાં પ્રતિષ્ઠા-હત્યા-ઓનર કિલિંગની એક ઘટનામાં તો સગા ભાઈઓએ બેનનું ડોકું વાઢી નાખ્યું છે. સ્ત્રીઓ અને બાળકીઓની નિર્મમ હત્યાઓ સમાજને કોઠે પડી ગઈ છે એ વાસ્તવિકતાથી કેટલુંક ભાગીશું? આંખો આવા સમાચાર પર સાવ અમસ્તો આંટો મારીને બીજી દિશા ભણી પહોંચી જાય છે. દેશ અને કાળ – જે છે, તે આ છે, અને એને પલટી નાખવાના પ્રચંડ પ્રયાસો ક્યાંયે દેખાતા નથી. એમાં વેદમિત્ર ચૌધરીનું હોવું, અથવા એના જેવી કોઈ પણ વ્યક્તિનું હોવું, ચમત્કારથી ઓછું નથી. 

આપણી પાસે ઉત્તમ સૂત્રો છે, ‘બેટી બચાવો’ અને ‘બેટી પઢાવો’ની વચ્ચે પેલી પાંચ સ્ત્રીઓ ડાકણની ઓળખ સાથે મરી જાય, કે ભાઈઓ સગી બહેનનું ડોકું કાપે, કાયદો મંથર ગતિએ એનું જે કામ કરશે, તે અને ત્યારે, વેદમિત્ર ચૌધરીએ તો જે ક્ષણે કરવા જેવું જે હતું, એ કરી બતાવ્યું. સ્ત્રીઓ પરના અત્યાચાર સંદર્ભે આપણે ‘ઝીરો ટોલરન્સ’ જેવું કશુંક સાંભળેલું, યાદ છે?

સૌજન્ય : ‘છે કોઈ જવાબ ?’,  “દિવ્ય ભાસ્કર”, 28 અૉગસ્ટ 2015

Loading

Narendra Modi maate Patidaaroni Magani Andhaaryo Tamaacho Chhe

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|28 August 2015

નરેન્દ્ર મોદી માટે પાટીદારોની માગણી અણધાર્યો તમાચો છે

જોકે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી : વિકાસ વાતોનાં વડાં છે અને મંડલ એક વાસ્તવિકતા છે

૧૯૮૦ અને ૧૯૮૫ એમ ઉપરાઉપરી બે વખત અનામતની પ્રથાનો સમૂળગો વિરોધ કરીને આંદોલન કરનારાઓ હવે અનામતની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે. ૧૯૮૦ અને ૧૯૮૫માં તેઓ એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે દલિતો અને આદિવાસીઓ પછાત છે અને તેમનો હાથ પકડવો જોઈએ, પરંતુ આજે પટેલોને લાગે છે કે તેઓ પોતે પછાત રહી ગયા છે અને સરકારે તેમનો હાથ પકડવો જોઈએ. આ સ્વાર્થનું તર્કશાસ્ત્ર છે અને સ્વાર્થનું આંદોલન છે. જો પટેલો પાછળ છે તો ભારતમાં આગળ કોણ છે એવો સવાલ પેદા થાય છે. જે માગતાં શરમ આવવી જોઈએ એની રસ્તા પર ઊતરી આવીને ધરાર માગણી કરવામાં આવી રહી છે અને એને માટે હિંસા પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૯ જણનાં મૃત્યુ થયાં છે અને અમદાવાદમાં લશ્કરને બોલાવવું પડ્યું છે.

પટેલોની માફક જ હરિયાણામાં અને પંજાબમાં જાટ કોમ સંપન્ન અને વગદાર છે, રાજસ્થાનમાં મીણાઓ અને ગુર્જરો સંપન્ન અને વગદાર છે અને મહારાષ્ટ્રમાં મરાઠાઓ સંપન્ન અને વગદાર છે છતાં આ કોમ (સંપન્ન અને વગદાર કોમ) પછાત હોવાનો દાવો કરી રહી છે અને અનામતની વિશેષ જોગવાઈ માગી રહી છે. આ બીમારી હજી અન્ય રાજ્યોમાં પણ વિસ્તરવાની છે. બેશરમ બનીને માગવાની હિંમત ભારતમાં એક પછી એક વગદાર કોમ કેળવી રહી છે. પાટીદારોએ તો આમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેમની ગુજરાતમાં કુલ ૧૪ ટકા વસ્તી છે અને વસ્તીના પ્રમાણમાં બેવડાં સ્થાનો અને વગ તેઓ ધરાવે છે. ગુજરાતમાં એક જમાનામાં ખામ (KHAM)નું ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું હતું. ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. આ ગઠબંધન પટેલોના પ્રભાવને ખાળવા માટેનું હતું જે બતાવે છે કે ગુજરાતમાં પાટીદારો કેટલા શક્તિશાળી છે.

કોણ જવાબદાર છે આને માટે? તમે જો એમ વિચારતા હો કે હાર્દિક પટેલ કે કિરોરી સિંહ બૈસલા (ગુર્જર નેતા) જેવા જ્ઞાતિઓના નેતાઓ આને માટે જવાબદાર છે તો તમે ભૂલ કરો છો. આને માટે પછાતપણાનું રાજકારણ જવાબદાર છે. ૧૯૯૦-’૯૧માં ભારતીય રાજકારણમાં ત્રણ નવા ચહેરા વિકસ્યા હતા અથવા જો જૂના હતા તો વધારે ખીલ્યા હતા. એક ચહેરો હિન્દુ કોમવાદી રાજકારણનો હતો. બીજો વિકાસના રાજકારણનો હતો અને ત્રીજો પછાતપણાના રાજકારણનો હતો. ૧૯૯૦ પહેલાં પણ ભારતના સંસદીય રાજકારણમાં તુક્ટીકરણ(અપીઝમેન્ટ)નું રાજકારણ થતું હતું જેનું સ્વરૂપ ૧૯૯૦ પછી ભારતીય રાજકારણનો ચહેરો બદલાતાં બદલાયું હતું.

૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ લાગુ કરી એ પછીથી સામાજિક પછાતપણાના રાજકારણે નવો મંડલચહેરો ધારણ કર્યો છે. એ પહેલાં દલિતો અને આદિવાસીઓ સિવાયની અન્ય પછાત કોમ માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી એટલે અનામતનું રાજકારણ મર્યાદિત હતું. ૧૯૯૦ પછીથી ભારતની સેંકડો જ્ઞાતિઓ સંભવિત લાભાર્થીની લાઇનમાં ઊભી રહી ગઈ. આમાં ઉત્તર પ્રદેશના પટેલો(જે ખરેખર દલિતોની સમકક્ષ પછાત જ્ઞાતિ છે)થી લઈને ગુજરાતના પટેલો (જે દેશમાં સૌથી વધુ સંપન્ન પ્રજા છે) સુધીનો સમાવેશ હતો.

બને ત્યાં સુધી વિકાસના નામે મતદાતાના મત માગવા, કારણ કે વિકાસની અપીલ સાર્વત્રિક છે; પરંતુ જો વિકાસના નામે મંઝિલે પહોંચવામાં મુશ્કેલી દેખાય તો હિન્દુ કોમવાદનું અને પછાતપણાનું એમ જે કાર્ડ માફક આવે એ ઊતરવું. સાધારણપણે જે પક્ષ સત્તામાં હોય એ વિકાસની વાત કરે છે અને વિરોધ પક્ષ પછાતપણાની વાત કરે છે, પરંતુ આમાં ક્યારેક ઊલટું પણ બને છે. વિરોધ પક્ષને જ્યારે નક્કર આશા હોય કે આ વખતે એ સત્તામાં આવે એમ છે અને શાસક પક્ષને જ્યારે ભય હોય કે આ વખતે એ ચૂંટણી હારે એમ છે ત્યારે સત્તાનો દાવેદાર વિકાસનું રાજકારણ કરે છે અને શાસક પક્ષ પછાતપણાનું રાજકારણ કરે છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વખતે B.J.P.એ વિકાસનું રાજકારણ કર્યું હતું અને કૉન્ગ્રેસે ૧૦ વર્ષથી સત્તામાં હોવા છતાં પછાતપણાનું રાજકારણ કર્યું હતું. આ એ જ કૉન્ગ્રેસ હતી જેણે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વિકાસનું રાજકારણ કર્યું હતું.

ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસે મરાઠાઓને અન્ય પછાત કોમ અંતર્ગત અનામતની જોગવાઈ આપી હતી. મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ રાજ કર્યા પછી અને પ્રજાને વિકાસનાં સપનાં બતાવ્યા પછી કૉન્ગ્રેસ-N.C.P.ની સરકારે અનામતના પછાતપણાના રાજકારણનો આશરો લેવો પડ્યો હતો. એ પહેલાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસ અને B.J.P.એ મીણાઓ અને ગુર્જરોને અનામતનું ગાજર બતાવ્યું હતું. ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીએ લોકસભાની ચૂંટણી જીતવા જાટોને અન્ય પછાત કોમની પંક્તિમાં મૂક્યા હતા અને રાજસ્થાનના કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ ઉપરાંત પંજાબની અને હરિયાણાની સરકારે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ જુદી વાત છે કે ગયા જુલાઈ મહિનામાં સર્વોચ્ચ અદાલતે મરાઠાઓ અને જાટોના પછાતપણાના દાવાને નકારી કાઢ્યો હતો.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ હિન્દુત્વનું અને વિકાસનું એવું એક મિશ્ર રસાયણ વિકસાવ્યું હતું. એ રસાયણ સફળ નીવડ્યું હતું અને એ જ રસાયણના આધારે તેઓ વડા પ્રધાન બનવા સુધી પહોંચી શક્યા છે. તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનું ગુજરાત અને એમાં પણ પાટીદારો મંડલનો આશરો લેશે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મોરલીએ ડોલનારા પાટીદારો, લોકસભાની ચૂંટણી માટે નાણાં આપનારા પાટીદારો, સાત સમુદ્રીય રાષ્ટ્રવાદ વિકસાવનારા પાટીદારો, પોતાનો આઇડિયા ઑફ ઇન્ડિયા ભારતમાં નિકાસ કરનારા પાટીદારો, અબજો રૂપિયા ખર્ચીને સ્વામિનારાયણનાં મંદિરો બંધાવનારા પાટીદારો, ગુજરાતમાં રાજ કરનારા પાટીદારો; ગુજરાતમાં અને એ પણ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં બીજા કોઈને નહીં ને મંડલને લઈ આવશે.

નરેન્દ્ર મોદી માટે આ અણધાર્યો તમાચો છે, પરંતુ એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. વિકાસ વાતોનાં વડાં છે જ્યારે મંડલ એક વાસ્તવિકતા છે. અમને વિકાસની વાતો ચટાડવામાં આવે અને અન્યત્ર જાટો, મરાઠાઓ, મીણાઓ, ગુર્જરો જેવી સામાજિક રીતે વિકસિત પ્રજાને પછાત ગણીને લાભ કરાવવામાં આવે તો અમે શું ગુનો કર્યો છે? નરેન્દ્ર મોદીની વિકાસની જાનમાં જાનૈયા બન્યા હતા એટલે શું અમારે આખી જિંદગી જાનૈયાનો સાફો બાંધી રાખવાનો? તમે જો હાર્દિક પટેલનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું હશે તો એમાં આવો સૂર પ્રગટ થતો હતો.

તો આનો ઉપાય શું? જો આ રીતે બધા મંડલના મંડપમાં ઘૂસવા માંડશે તો અરાજકતા પેદા થશે. સમાજવિગ્રહ થઈ શકે છે. ખોટા માણસો લાભ ખાટી જશે અને જરૂરિયાતમંદ રહી જશે. આ રીતે તો અનામત આપવાનો ઉદ્દેશ જ માર્યો જશે.

તો પછી આનો ઉપાય શું? હા, એક ઉપાય છે, જેની વાત આવતી કાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2015

Loading

Anaamat Åapi Chhe Teno Åa Rosh Shaano ?

કનુ સૂચક|Opinion - Opinion|28 August 2015

અનામત આપી છે તેનો આ રોષ શાનો ?

હાજરી આપી વાહ વાહ થતી જોવા અને તાળીઓના અવાજમાં અમારી તાળીનો અવાજ ઉમેરવા, રવિવારની વહેલી સવારે, મિત્રો સાથે બસમાં નીકળી પડ્યા. મિત્ર વિનોદભાઈ શાહ અત્યંત સરળ માણસ. તેમણે મહારાષ્ટ્રના એક પછાત વિભાગમાં આવેલા પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નાનકડા ખોબા જેવા  પરળી ગામમાં આવેલી ‘પ્રાથમિક અને માધ્યમિક આશ્રમશાળા’માં બહુઉદ્દેશીય સભાગૃહ બાંધવા અનુદાન અને સાથે શ્રમદાન પણ કર્યું છે. રહેઠાણ, સંડાસ અને અન્ય અનેક અભાવો માટે આ આશ્રમશાળા ઉદાહરણ છે. કોઈ સદ્દગૃહસ્થે આંગળી ચિંધી અને ૧૧લાખના વચનથી શરૂ થયેલ કાર્ય ૩૭ લાખના ખર્ચ પછી બહુઉદ્દેશીય સભાગૃહ સુધી પહોંચ્યું. વિનોદભાઈના અનેક સખાવતી સગાં અને સંબંધીઓના અનુદાનથી આ પૂરું થયું ! ના રે ના, આ તો પાશેરાની પહેલી પૂણી. મારે જે વાત કરવી છે તે હવે શરૂ થાય છે. પહેલા ફોટાથી જુઓ આ ‘આશ્રમશાળા’.

આ આશ્રમશાળામાં ૬૦૦ ઉપરાંત આદિવાસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણે છે. આવા આશરે અઢાર ઓરડાઓ છે જેમાં હેડમાસ્તરની ઓફીસ, સ્ટાફરૂમ, રસોડું વગેરેનો સમાવેશ થાય છે. આ ઓરડાઓનો ઉપયોગ દિવસે ક્લાસરૂમ તરીકે તથા ભોજન માટે તેમ જ રાત્રે એ જ રૂમોમાં વિદ્યાર્થીઓને સૂવા માટે સગવડ કરવામાં આવે છે. જયારે ક્લાસ ચાલતા હોય ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓની એક પતરાની પેટી, તેની ઉપર તેમનું પાગરણ અને ત્રણ બાજુની ભીંત ઉપર બાંધેલી દોરી ઉપર તેમણે રોજે રોજ ધોયેલાં કપડાં સૂકાય છે. આગળ દરવાજો અને તેની સામેની ભીંત ઉપર ત્રણ બારી એ વાતાયનની વ્યવસ્થા છે, બે દિવાલો બીજા ઓરડાઓ સાથે જોડાયેલી હોવાથી ત્યાં બારીઓ નથી. ૬૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે  ત્યાં કુલ ૧૨ શિક્ષકો છે. રાત્રે એક ઓરડામાં ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓ એકબીજાને લગભગ અડી અડીને સૂઈ રહે છે. એસ્બેસ્ટોસ છાપરાઓને માટે બનાવેલી લોખંડની વચ્ચેની કૈંચી ઉપર દાનમાં મળેલા ત્રણ પંખાઓ લટકે છે. ફરસ સિમેન્ટની બનેલી છે. હમણાં હમણાં બનેલા સુંદર શૌચાલયો અને સ્નાનગૃહો આ સુવિધાઓ સાથે મેળ ખાતા નથી. એનાથી પણ વિશેષ જેના ઉદ્દઘાટન સમારંભમાં અમે ગયા હતા એ તો સવિશેષ જુદો પડી જાય છે. આ સભાગૃહમાં સાંસ્કૃિતક કાર્યક્રમો થઈ શકશે, રાજકારણીઓને ભાષણ આપવા અને એકબીજાની પીઠ થાબડવાની સુવિધા મળશે, કહેવાણું તેમ ચારસો વિદ્યાર્થીઓ એક સાથે ભોજન લઈ શકશે અને રાત્રે સૂઈ પણ શકશે. વ્યંગ કરવા નહીં પરંતુ ત્યાં સાંભળ્યા તે ભાષણોમાં આ આદિવાસી અને પછાત ગણાતા વિસ્તારમાં રાજકારણીઓએ કરેલા પોતાના વખાણોમાં ક્યાંયે પણ આ ઘેટાબકરાંની માફક અનેક અસુવિધા સાથે જીવતા બાળકો અંગે એક પણ ઉલ્લેખ સાંભળવા મળ્યો નહીં. પદ્મશ્રી સ્વ. અન્ના સાહેબ જાધવનો ઉલ્લેખ થતો રહ્યો અને તેમણે શરૂ કરેલ આ શિક્ષણ અભિયાનની પ્રસંશા જરૂર કરવી જોઈએ. શહેરોમાં રહેતા આપણે જીવનની અનેકવિધ વિટંબણાઓ વચ્ચે જીવતાં દૂરસુદૂર વસતાં અનેક ભારતવાસીઓ અંગે કશુ જાણતા જ નથી. વિનોદભાઈ જેવાઓ પોતાની પાસે છે તેમાંથી થોડું આપી શકાય તે આપવા તૈયાર કેટલાં ? પણ મારે એ અંગે પણ કઈ વિશેષ કહેવું નથી. આ સમારંભમાં છોકરાઓ અને છોકરીઓએ ઉપસ્થિત લોકોના મનોરંજન માટે શિક્ષક-શિક્ષિકાઓના સહકારથી થોડાં કાર્યક્રમોનું આયોજન કર્યું. તેમાં તેઓનાં જીવન, વ્યવસાય અને આજીવિકા રળવા અંગેની વાત અત્યંત સુંદર રીતે પ્રતીકાત્મક સાધનો દ્વારા રજૂ કરી. તે દર્શનીય અને રોચક રહી. થોડાં સાધનો આ ફોટામાં દેખાશે.

આ ઉપરાંત હળ, બળદની જગ્યાએ માનવ – (વાસ્તવિકતા પણ ખરી), રંગોળી, ઘંટી, ખાંડણિયો, ઘાસનો પૂળો, સૂપડી, ગામનો ભૂવો, કર્મકાંડી, પશુ, પક્ષીઓ, ઉત્સવ અને ઉત્સવમાં થતાં નૃત્યો, તેમાં વપરાતા તરોપા, ઢોલ જેવાં વાદ્યો સાથે જે છે તેમાં પણ આનંદથી જીવતાં આ આદિવાસીઓને અહીં બાળકોએ જીવંત કરી આપ્યા.

આપણે આજે અનામતના આંદોલનો કરીએ છીએ. વર્ષોથી દલિત દશામાં જીવતાં લોકોને ભણવામાં અને નોકરીઓમાં મળતી રાહત સામે ફરિયાદો કરીએ છીએ. તે લોકો જે રીતે જીવ્યા છે અને જીવે છે તે આપણે જાણવું નથી. લાખો રૂપિયા આપી આપણે આપણાં બાળકોને શિક્ષણ આપીએ છીએ. શાળા-કોલેજમાં એડમિશન લઈ શકે તે માટે ટ્યુશનના પણ ખર્ચ કરીએ છીએ. દલિત અને કચડાયેલા લોકોનાં બાળકો આજે પણ કેવી રીતે શિક્ષણ મેળવે છે, કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે તેનું એક ઝાંખું પણ સત્યદર્શન કરાવવા આ લેખ લખું છું. તે લોકોને કદાચ ઓછા ગુણ મળતા હશે, જેમને ઉત્તમ શિક્ષણનો અંશ પણ મળતો નથી. આપણે ભારતવાસીઓ કુટુંબીઓ છીએ તેવી વાતો માત્ર કહેવા ખાતર કરીએ છીએ. જેને પછાત કહીએ છીએ તેવા કરોડો દેશબંધુઓ આપણા માટે ખેતી કરે છે, મજૂરી કરે છે. આપણી સુવિધાના મૂળમાં આ ધરબાયેલા આ પાયાના પથ્થરો છે. અમે જોયેલી આ સ્થિતિથી પણ બદતર સ્થિતિ અને અસુવિધામાં જીવન વ્યતિત કરતા લોકોને આપણે જો કંઈ આપીએ છીએ તે તેમના પર ઉપકાર નથી. આપણે ઋણ ચૂકવવીએ છીએ. એ ક્યારેક સજારૂપે આવશે તે પરિસ્થિતિ પહેલાં આપણે આપણી દૃષ્ટિનો વ્યાપ વધારવો પડશે. આપણા આર્ષદ્રષ્ટા મૂર્ધન્ય કવિ સ્વ. ઉમાશંકર જોશીએ લખ્યું છે તે યાદ કરીએ :

“ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.” 

આ અહીં જે વાત કરી છે તે ઉદાહરણ પૂરતી છે અન્નાસાહેબ જાધવના પુત્ર હજુ પણ આ ક્ષેત્રમાં અન્ય ૬૫ આવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમાં આથી પણ વધુ ખરાબ સ્થિતિ છે. થાણા પાલઘર જેવા અગણિત ક્ષેત્રો વિકાસની રાહ જુએ છે.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

...102030...3,7573,7583,7593,760...3,7703,7803,790...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved