Opinion Magazine
Number of visits: 9692019
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

RSSno Agenda Hindu Rashtrano Chhe to e MaatenI Saamagri Kyan Chhe ?

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|15 September 2015

RSSનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે તો એ માટેની સામગ્રી ક્યાં છે?

જે લોકો સો વર્ષ પછીનો એજન્ડા સેટ કરી શકતા હોય, નવ દાયકા સુધી એજન્ડા છુપાવી શકતા હોય અને જે લોકો વિશ્વનું કદાચ સૌથી મોટું સંગઠનનું અપારદર્શક જાળું રચી શકતા હોય એ કેટલા જિનિયસ હોવા જોઈએ. આવા જિનિયસ માણસોને હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવામાં, એને માટેની સામગ્રી શોધવામાં, એનો વિનિયોગ કરવામાં, એને લોકો સુધી પહોંચાડવામાં અને એને લોકોની સ્વીકૃતિ અપાવવામાં સફળતા ન મળે એવું કેમ?

૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની સ્થાપના જ ગાંધી અને કૉન્ગ્રેસની કલ્પનાના ભારત (આઇડિયા ઑફ ઇન્ડિયા)ને નકારવા માટે કરવામાં આવી હતી. ગાંધીની કલ્પનાનું ભારત કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને સમાન દરજ્જા સાથે લઈને ચાલનારું સર્વસમાવેશક હતું. RSSને એ સ્વીકાર્ય નહોતું. ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે એટલે ભારતીય રાષ્ટ્ર હિન્દુઓના વર્ચસને માન્ય રાખનારું હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ. ગાંધીજી કૉન્ગ્રેસમાં સર્વેસર્વા છે અને ગાંધીજી ઉદારમતવાદી છે એટલે કૉન્ગ્રેસ હિન્દુિહત માટે કામ કરવાની નથી એ સ્થિતિમાં હિન્દુઓ માટે અલાયદા સંગઠનની જરૂર છે એમ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને લાગ્યું હતું. તેમણે ૧૯૨૫ના દશેરાના દિવસે RSSની સ્થાપના કરી હતી.

ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાને નકારવાનો દરેક ભારતીયને અધિકાર છે. ખુદ જવાહરલાલ નેહરુએ ગાંધીજીની કલ્પનાના ભારતના કેટલાક અંશો નકારી કાઢ્યા છે. RSSને ગાંધીજીની કલ્પનાનું ભારત સ્વીકાર્ય ન હોય તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આશ્ચર્ય એ વાતનું છે કે આજ સુધી સંઘે પોતાની કલ્પનાના ભારતની કોઈ રૂપરેખા નથી રાખી. ૯૦ વર્ષ એ કોઈ ટૂંકો સમય નથી. નવ-નવ દાયકા સુધી સંઘ સંગઠન બાંધ્યે જાય છે, પરંતુ એ સંગઠન કયા હેતુ માટે બાંધવામાં આવી રહ્યું છે અને કેવા ભારતનું નિર્માણ સ્વયંસેવકોએ કરવાનું છે એ કોઈ જાણતું નથી.

RSSની આ ગોપનીયતાનો સરવસાધારણ અર્થ એવો કરવામાં આવે છે કે સંઘનો કોઈ છૂપો (હિડન) એજન્ડા છે જે સમય આવ્યે પ્રગટ થશે. આવો અભિપ્રાય ધરાવતા લોકોના મતે સંઘ ફાસીવાદી સંગઠન છે. આમ માનવા પાછળનાં કારણો એ છે કે સંઘનું બંધારણ નથી, સ્વયંસેવકોની યાદી નથી, વિધિવત્ સભ્ય બનાવવામાં આવતા નથી, અધિવેશનો થતાં નથી, ચૂંટણી થતી નથી, ચર્ચાઓ થતી નથી, સંઘના પ્લૅટફૉર્મ પર કોઈ સ્વયંસેવકને બોલવાનો મોકો આપવામાં આવતો નથી, ઠરાવો કરવામાં આવતા નથી, શા માટે RSSનો કોઈ વિધિવત્ દસ્તાવેજ પ્રકાશિત કરવામાં આવતો નથી અને સંઘના સંઘપરિવારનો સાથીસંગઠનો સાથેનો સંબંધ કેવો છે એની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. સંઘના નવ દાયકાનો ઇતિહાસ સંઘના જ કોઈ નેતાને લખવાનું કહેવામાં આવે તો એ સાધાર (પ્રમાણો ટાંકીને) ન લખી શકે એની ગૅરન્ટી. બીજાની ક્યાં વાત કરો, ખુદ સરસંઘચાલક મોહન ભાગવત ન લખી શકે. સંઘના નેતાઓનો આપસી પત્રવ્યવહાર પણ કોઈએ નહીં જોયો હોય. ગાંધીજી, નેહરુ, સરદાર, રાજેન્દ્રબાબુ, રાજાજી, કૃપલાની વચ્ચેના એક લાખ કરતાં વધુ પત્રો ઉપલબ્ધ છે; પરંતુ હેડગેવાર અને ગોલવલકર વચ્ચે થયેલા પત્રવ્યવહારનો એક પત્ર આજ સુધી જોવામાં નથી આવ્યો.

દિલ્હીમાં નૅશનલ આર્કાઇવ છે. આર્કાઇવમાં ૧૭૪૮થી લઈને આજ સુધીના પત્રો અને દસ્તાવેજો સંગ્રહાયેલા છે. આર્કાઇવ પાસે સરકારી દસ્તાવેજો ઉપરાંત ભારતના સેંકડો નેતાઓના ખાનગી પેપર્સ પણ છે જે તેઓ પોતે કે તેમના વારસો ભવિષ્યમાં કોઈ બાબતનો સાચો ઇતિહાસ લખી શકાય એ માટે પ્રમાણ તરીકે આપતા ગયા છે. આમાં તમને હિન્દુિહતનું રાજકારણ કરનારા લાલા લજપતરાય, મદન મોહન માલવીય કે શ્યામ પ્રસાદ મુખરજીના પત્રો અને દસ્તાવેજો મળશે; પરંતુ સંઘપરિવારના કોઈ નેતાના કે સંગઠનના કોઈ પેપર્સ નહીં મળે. ગૃહખાતાએ કે ગુપ્તચર ખાતાએ તેમના વિશે તૈયાર કરેલી ફાઇલો મળી આવશે, પરંતુ તેમણે પોતે કોઈ દસ્તાવેજ કે પત્રવ્યવહાર રાષ્ટ્રીય સંગ્રહાલયને સુપરત નથી કર્યા. કાં તો તેઓ દસ્તાવેજો તૈયાર કરતા જ નથી અથવા એને છુપાવી રાખે છે. પહેલી શક્યતા વધુ છે. સંઘનો વહેવાર લેખિત કરતાં મૌખિક વધુ છે.

આ ગોપનીયતા પાછળ જરૂર કોઈ એજન્ડા છે એવો ભારતમાં અને વિદેશમાં સંઘ વિશેનો સર્વસાધારણ અભિપ્રાય છે. આટલી ગોપનીયતા આયોજન વિના અકસ્માતે ન હોઈ શકે. સંઘપરિવારનાં સંગઠનોનું મોટું જાળું છે અને એ આખેઆખું અપારદર્શી છે. જેમ કે ગાંધીજીનો હત્યારો નાથુરામ ગોડસે સંઘનો સભ્ય હતો પણ અને નહોતો પણ. નાથુરામના સંઘના સભ્યપદના કોઈ પુરાવાઓ મળતા નથી, કારણ કે વિધિવત્ સભ્યપદ આપવામાં આવતું જ નથી. નાથુરામે કહ્યું હતું કે તે સંઘનો સભ્ય હતો એટલે સંઘે ખુલાસો કરવો પડે છે કે તે પહેલાં સભ્ય હતો, પરંતુ ગાંધીજીની હત્યા પહેલાં નાથુરામે સભ્યપદ છોડી દીધું હતું. જ્યારે કોઈને ય વિધિવત્ સભ્ય બનાવવામાં જ નથી આવતો ત્યાં છોડવાનો સવાલ જ ક્યાં આવ્યો. આ તો ગાંધીજીની હત્યા પછી સંઘ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવવા માટેની તરકીબ હતી. નાથુરામ ગોડસેનો ભાઈ ગોપાલ ગોડસે આજીવન કહેતો રહ્યો છે કે સંઘના નેતાઓએ નાથુરામને મળીને સંઘને બચાવવા માટે આવું નિવેદન કરવાની વિનંતી કરી હતી અને નાથુરામે એ માન્ય રાખી હતી. કેન્દ્રના ગૃહપ્રધાન સરદાર પટેલે સભ્યપદ વિનાના સભ્યના સભ્યપદેથી આપેલા રાજીનામાની વાત સ્વીકારી લીધી હતી એ પરમ આશ્ચર્ય છે.

તો આટલી અપારદર્શકતા અકસ્માતે ન જ હોઈ શકે. એ ગણતરીપૂર્વકની આયોજનબદ્ધ જ હોય અને માટે સંઘનો જરૂર કોઈ છૂપો એજન્ડા છે એમ સંઘથી સાવધાન રહેવાની હિમાયત કરનારા લોકો કહે છે. મોટા ભાગના લોકો આમ માને છે અને તેમની વાત ગળે ઊતરે એવી પણ છે. આમ છતાં કેટલીક શંકાઓ છે.

સમાજ પ્રવાહી હોય છે. કાળના પ્રવાહમાં વ્યક્તિ સમાજને અને સમાજ વ્યક્તિને સતત પ્રભાવિત કરતાં રહે છે. સરવાળે માણસનો વ્યક્તિગત અને સમાજનો સામૂહિક એમ બન્ને ચહેરા બદલાતા રહે છે. કોઈ માણસ સો-બસો વર્ષ પછી સમાજ કેવો ચહેરો ધારણ કરશે અને ક્યારે યોગ્ય તક મળશે એ વિશે એટલું લાંબું વિચારી શકે ખરું? ડૉ. હેડગેવાર સો વર્ષ પછી લાગુ કરવા માટેનો એજન્ડા સેટ કરીને ગયા હોય અને યોગ્ય સમયે લાગુ કરવાનું કહેતા ગયા હોય એ કોઈ ગળે ઊતરે એવી વાત નથી. ૧૮મી સદીમાં ક્યાં કોઈએ કલ્પના કરી હતી કે માર્ક્સ્‍વાદનો પ્રાદુર્ભાવ થશે અને ૧૯મી ક્યાં કોઈએ કલ્પના કરી હતી કે વીસમી સદીમાં માર્ક્સવાદ નિષ્ફળ સાબિત થશે. બીજું, નેવું વર્ષની યાત્રા દરમ્યાન એક માણસ એકલા હાથે તો આવી ચુસ્ત યોજના ન જ બનાવી શકે. સો-બસો અત્યંત તેજસ્વી માણસો આ યોજનાની પાછળ હોવા જોઈએ અને જ્યારે આટલા બધા માણસો છૂપા એજન્ડા વિશે જાણતા હોય ત્યારે એ છૂપો રહી શકે ખરો? ત્રીજું, આવું અપારદર્શક જાળું રચનારાઓની બૌદ્ધિક ક્ષમતા કેવી હશે! પણ આ બાજુ નક્કર અનુભવ તો સંઘના નવ દાયકાની બુદ્ધિદરિદ્રતાનો છે.

ભારત અત્યારે સર્વસમાવેશક સેક્યુલર રાષ્ટ્ર છે તો એ કોઈ કોરી રાજકીય વ્યવસ્થા નથી, પણ એની પાછળ વિચાર અને સંસ્કૃિત છે. વેદોની વસુધૈવ કુટુમ્બકમની ભાવના છે, બુદ્ધનું સમાનતા-આધારિત દર્શન છે, કબીર છે, અન્ય સૂફી-સંતો છે, હિન્દુસ્તાની ખયાલ સંગીત છે, સ્થાપત્ય છે, ગંગા-જમના સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, પશ્ચિમનો પ્રગતિનો અનુભવ છે એમ કેટલી બધી સામગ્રી છે. આ સવર્‍સમાવેશક સેક્યુલર રાષ્ટ્ર માટેનાં સાધનો છે. આના આધારે ભારતના નાગરિકોને વિવિધતામાં એકતા માટે અને સહિષ્ણુતા માટે તૈયાર કરવામાં આવે છે.

રાજા રામમોહન રૉયથી લઈને વિનોબા ભાવે સુધીના ઉદારમતવાદી ચિંતકોએ ભારતની પરંપરામાંથી ઉદારમતવાદનું દોહન કર્યું હતું અને ભારતની પ્રજાને નવયુગ માટે તૈયાર કરી હતી. વિવેકાનંદ અને વિનોબા ભાવે જેવાઓએ ભારતીય દર્શનનું આધુનિક ઉદારમતવાદી ભાષ્ય કર્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરે કે મહર્ષિ કર્વેએ શિક્ષણના ક્ષેત્રમાં ઉદારમતવાદી પ્રયોગો કર્યા હતા. બાબા આમટે જેવા સેવકોએ છેવાડાના માણસ સુધી પહોંચવાની કોશિશ કરી હતી. કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને બીજી સ્ત્રીઓએ નારીને પરંપરાની નાગચૂડમાંથી મુક્ત કરવા માટે કામ કર્યું હતું. કોઈની સામગ્રી ચિંતનની હતી, કોઈની કેળવણીની હતી, કોઈની સેવાની હતી, કોઈની સંઘર્ષની હતી, ઉદયશંકર કે રુક્મિણીદેવી અરુંડલે જેવાની સામગ્રી કલામાધ્યમોની હતી. ટૂંકમાં, આવા એકથી એક તેજસ્વી માણસોએ પોતપોતાનાં માધ્યમો દ્વારા આઇડિયા ઑફ ઇન્ડિયાને લોકો સુધી પહોંચાડ્યો હતો જેના પરિણામે એને બંધારણીય સ્વીકૃતિ મળી હતી. આધુનિક સેક્યુલર રાષ્ટ્ર એ પશ્ચિમમાંથી ઉછીનું લાવવામાં આવેલું મૉડલ નથી; પરંતુ ભારતીયોએ, ભારતીય સામગ્રી દ્વારા ભારતમાં વિકસાવેલું મૉડલ છે જેને બંધારણે માન્ય રાખ્યું છે.

RSSનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે તો એના માટેની સામગ્રી ક્યાં છે? એવી સામગ્રી શોધનારા ચિંતકો ક્યાં છે? એનો પોતપોતાના માધ્યમ દ્વારા વિનિયોગ કરીને લોકો સુધી પહોંચાડનારાઓ ક્યાં છે? ક્યાં છે વિનોબા જેવો ચિંતક? ક્યાં છે રવીન્દ્રનાથ જેવો કેળવણીકાર? ક્યાં છે બાબા આમટે જેવો સેવક? ક્યાં છે ઉદયશંકર જેવો કલાકાર? અહીં જે નામ આપ્યાં એની કક્ષાના છોડો, એના દસમા ભાગનું કૌવત ધરાવનારા માણસો પણ સંઘ પાસે નથી. જે લોકો સો વર્ષ પછીનો એજન્ડા સેટ કરી શકતા હોય, નવ દાયકા સુધી એજન્ડા છુપાવી શકતા હોય, જે લોકો વિશ્વનું કદાચ સૌથી મોટું અપારદર્શક જાળું રચી શકતા હોય એ કેટલા જિનીયસ હોવા જોઈએ. જિનીયસ સિવાય બીજો કોઈ શબ્દ જ ન હોઈ શકે. આવા જિનીયસ માણસોને હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવામાં, એને માટેની સામગ્રી શોધવામાં, એનો વિનિયોગ કરવામાં, એને લોકો સુધી પહોંચાડવામાં અને એને લોકોની સ્વીકૃતિ અપાવવામાં સફળતા ન મળે એવું બને?

તો પછી RSSની તાકાતનું રહસ્ય શું છે? તેમણે ગૂંથેલા અપારદર્શક જાળાનું રહસ્ય શું છે? એક વાત તો નક્કી કે સંઘ ચોક્કસ વૈકલ્પિક દર્શન ધરાવતા વીર્યવાન માણસોનું સંગઠન નથી. વીર્યવાન માણસનું વીર્ય પ્રગટે નહીં એવું બને નહીં. તો પછી સંઘે આટલી તાકાત પ્રાપ્ત કેવી રીતે કરી? 

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-13092015-11

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 13 સપ્ટેમ્બર 2015

Loading

Gaanthe Baandhavaani Haqiqat : Joieye Chee, Saachun Kahenaaraa – Saambhadnaaraa

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|15 September 2015

ગાંઠે બાંધવાની હકીકત : જોઈએ છે, સાચું કહેનારા-સાંભળનારા

સચ્ચાઈ ‘બજાર’ની ચીજ નથી એ સાચું, પણ તેને માગ અને પૂરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે.

પાટીદારોના અનામત આંદોલન મુદ્દે પાટીદાર ધારાસભ્યો – મંત્રીઓની હાલત કફોડી થઈ છે. એક તરફ પક્ષની શિસ્ત, બીજી તરફ સમાજના મોટા સમૂહનું દબાણ. જાયે તો જાયે કહાં? આવી બાબતમાં અને ખરેખર તો મોટા ભાગની બાબતોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશા ભેદ હોતા નથી. (જેમને એ હજુ ન સમજાયું હોય, તેમને ક્યારે સમજાશે?) પાટીદાર અનામતના મુદ્દે કોંગ્રેસનું શું વલણ છે? કોંગ્રેસના કોઈ મોટા નેતાએ પાટીદારોને અનામત કેમ મળવી અથવા ન મળવી જોઈએ, એ વિશે ખોંખારીને કશું કહ્યું? કે કાયદો – વ્યવસ્થાનો કકળાટ કરીને, સરકારનું રાજીનામું માગવાની ઠાલી ઔપચારિકતા નિભાવીને શટર પાડી દીધું?

વાત ફક્ત પટેલ અનામતની નથી. દલિત સહિતના બીજા સમુદાયોના નેતાઓનું ઉદાહરણ લઈએ. એ પોતપોતાના સમાજના બાહ્ય તેમ જ આંતરિક પ્રશ્નો વિશે કેટલું બોલે છે? કેટલા સવાલ કરે છે? પૂછવાના પ્રશ્નો બન્ને પ્રકારના હોય : સમાજ માટે અને સમાજ સામે. સમાજ માટે પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે, પરંતુ વ્યાપક દેશહિત માટે હાનિકારક એવી પોતાના સમાજની રીતરસમો સામે સવાલ ઊભા કરવાનું એટલું જ — કે જરા વધારે — જરૂરી નથી? પોતાના સમાજને બે કડવી વાત કહી શકાતી ન હોય, તો ‘સમાજના’ હોવાનો અર્થ જ્ઞાતિવાદી હોવાથી વિશેષ શો રહ્યો? પરંતુ સાચું સમજવાની અને સમજ પડે તો પણ એ કહેવાની હિંમત રાજકીય કે આધ્યાત્મિક આગેવાનોમાં છે? અને જો નથી, તો તેમને આગેવાન – નેતા શી રીતે કહેવાય? આવા વખતે બે-પાંચ હજાર વર્ષ પહેલાં થયા હોય એવા લાગતા એક નેતા યાદ આવે છે : ગાંધી. તેમણે લોકપ્રિયતાની પરવા કર્યા વિના દેશહિત – સમાજહિતમાં જે સાચું લાગે તે કહેવાની પરંપરા ઊભી કરી — પછી ‘લોક ભલે નિંદો કે વંદો.’ (ગાંધીજી) 

ગાંધીજીએ ૧૯૨૧માં અસહકાર આંદોલન પાછું ખેંચ્યું, ત્યારે તેમનાં પગલાંની આકરી ટીકા થઈ હતી. પરંતુ ગાંધીજીને સમજાઈ ગયું હતું કે પ્રજા આઝાદી માટે તૈયાર નથી. ચૌરીચૌરાનો બનાવ મુખ્ય કારણ નહીં, ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું હતો. અન્ના હજારેની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ કે પાટીદારોના અનામતમાગણી આંદોલન કરતાં સો ગણી વધારે પ્રભાવશાળી રાષ્ટૃીય ચળવળ ચરમસીમાએ પહોંચી હોય અને આઝાદી હાથવેંતમાં લાગતી હોય, ત્યારે એ ચળવળ પાછી ખેંચવાની નૈતિક હિંમત જેનામાં હોય, તેને નેતા કહેવાય. એવો નેતા, જે પ્રજાને રીઝવવા હવાતિયાં મારતો ન હોય ને તેમની પૂંઠે ઘસડાતો ન હોય, પણ લોકોને કહેવા જેવી વાત કહેતો હોય, કડવી દવા પાતો હોય અને ‘મારી નેતાગીરીનું શું થશે’ એની પરવા કરતો ન હોય. 

સતત દુષ્પ્રચારને કારણે ઘણા લોકો ગાંધીજીને મુસ્લિમતરફી તરીકે કાઢી નાખે છે. એ ગાંધીજીએ એક વાર કોઈ આરબ દેશમાં થતી ‘સંગસારી’ની (પથ્થરો મારીને ગુનેગારનું મોત નીપજાવવાની) પ્રથાને અન્યાયી ગણાવતો લેખ લખ્યો. તેમણે લખ્યું કે આવી સજાને કુરાનનું સમર્થન ન જ હોય અને ધારો કે કુરાનનું સમર્થન હોય તો પણ એ વાજબી ન કહેવાય. એ વાંચીને એક મુસ્લિમ વાચકે ગાંધીજીને ઠપકો આપતાં લખ્યું કે આવું કહેતાં પહેલાં (‘કુરાનનો વિરોધ’ કરતાં પહેલાં) ઇસ્લામી જગતમાં તમારા મોભા વિશે તમારે વિચારવું જોઈતું હતું … ગાંધીજીએ તેમને જવાબ લખ્યો કે ઇસ્લામી જગતમાં તમે કહો છો એવો મારો મોભો સાચું કહેવાથી જતો રહેવાનો હોય, તો એવો મોભો હું કાણી કોડીની કિંમતે પણ ન ખરીદું. 

કયો રાજનેતા ને કયો આધ્યાત્મિક નેતા પોતાના અનુયાયીગણને કે સમર્થકોને આવું કહેવા જેટલી નૈતિક તાકાત ધરાવે છે? ગાંધીજીને દલિતોના મત લેવાના ન હતા. છતાં, અમદાવાદના રૂઢિચુસ્તોની ખફામરજી વહોરીને તેમણે દલિત પરિવારને આશ્રમમાં વસાવ્યું. તેના કારણે આર્થિક મદદ મળતી બંધ થઈ અને આશ્રમ સંકેલી લેવો પડે એવી સ્થિતિ આવી, પણ તે અડગ રહ્યા. (અણીના સમયે અંબાલાલ સારાભાઈએ તેમને ગુપ્ત અને મોટી આર્થિક મદદ કરતાં આશ્રમ ચાલુ રહ્યો.) અસ્પૃશ્યતા સામેની ઝુંબેશ બદલ છેક ૧૯૩૪માં સનાતની હિંદુઓએ પૂનામાં ગાંધીજીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં, ગાંધીજી કદી ટોળાંથી દોરવાયા નહીં કે પોતાને જે સાચું લાગે તે કહેતાં અચકાયા નહીં. પીડાતા વાછરડાને મૃત્યુદાન આપતાં તેમને ‘હિંદુઓની લાગણી દુભાશે’ એવો ખચકાટ ન થયો. કેમ કે, તેમના માટે નેતાગીરી એટલે લોકલાગણીના મોજા પર તરી જવાનું નહીં, લોકોનું ઘડતર કરવાનું કામ હતું. આચાર્ય કૃપાલાણી, (ઘણે અંશે) સરદાર પટેલ જેવા ગાંધીજીના સાથીદારો પણ લોકપ્રિયતાની પરવા કર્યા વિના સાચું કહેનારા તરીકે જાણીતા થયા. 

સરદારના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનો રાજકીય અભિગમ ગાંધીજી – સરદાર કરતાં અલગ. પરંતુ સાચું લાગે તે કહેવાની બાબતમાં એ જરા ય જુદા ન હતા. અંગ્રેજી રાજમાં (લોકસભા સમકક્ષ) કેન્દ્રિય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ વિઠ્ઠલભાઈ ૧૯૨૭માં લંડન ગયા, ત્યારે ત્યાંના ‘પટેલ વિદ્યાર્થી મંડળ’ તરફથી તેમના માનમાં હોટેલ સેસિલમાં સ્વાગત સમારંભ યોજાયો. એ સમારંભમાં,આગળ જતાં સરદાર પટેલના વિશ્વાસપાત્ર અધિકારી બનેલા – જનતા સરકારમાં નાણાંમંત્રીનો હોદ્દો શોભાવનાર એચ.એમ. પટેલ વિદ્યાર્થી તરીકે હાજર હતા. તેમની નોંધ પ્રમાણે, વિઠ્ઠલભાઈએ પટેલ મંડળના વિદ્યાર્થીઓને ઠપકો આપતાં કહ્યું હતું, ‘માદરેવતનથી છ હજાર માઈલ દૂર લંડન શહેરમાં પણ તમે જ્ઞાતિની ગણતરી કે મર્યાદા છોડી શકતા નથી, એ મારે મન આશ્ચર્યનો વિષય છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે માથું ઊંચું રાખીને જીવવું હશે તો જુવાન ભારતીયોએ (જ્ઞાતિની) મર્યાદાઓથી પર થવું પડશે.’

સાચું બોલનારા અને સાચું સાંભળનારા બન્ને દુર્લભ છે, એવી કહેણી જૂની છે. ગુજરાતની વાત કરીએ તો, તેના દેખીતા વિકાસ પાછળ રહેલા અંધારાની વાતો અનેક વાર, અનેક રીતે થઈ ચૂકી છે. ઉદાહરણ તરીકે, તાતાને ‘નેનો’ પ્લાન્ટ માટે કેવી અસાધારણ ઉદાર શરતોએ જમીન આપવામાં આવી તેની સાચી વિગતો જાહેર થઈ હતી. છતાં, તત્કાલીન મુખ્ય મંત્રીએ ‘એક એસ.એમ.એસ. કર્યો ને તાતા આવી ગયા’ એવું જૂઠાણું ચલાવ્યું, ને લોકોએ હોંશેહોંશે પી લીધું. આવી ઘણી બાબતોમાં સચ્ચાઈ બતાવનારાને ‘ગુજરાતવિરોધી’ની ગાળો ખાવાની થઈ. કોમી હિંસાની ન્યાયપ્રક્રિયામાં સત્યશોધનના નામે કેવા ગોટાળા થયા, તેની સિલસિલાબંધ વિગતો અંગ્રેજી પત્રકાર મનોજ મિત્તાએ ‘ધ ફિક્શન ઓફ ફેક્ટ ફાઇન્ડિંગ : મોદી એન્ડ ગોધરા’ પુસ્તકમાં આપી.

છતાં, બહુમતીએ જાણે સાચું સાંભળવા માટે આંખ-કાન બંધ કરી દીધાં હતાં. અક્ષરધામ કેસમાં ખોટેખોટા સંડોવી દેવાયેલા મુફ્‌તીએ સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટ્યા પછી ગુજરાત પોલીસ અને તેમના સાહેબોનાં કરતૂતો વિશે સ્પષ્ટ ભાષામાં લખ્યું. છતાં, એન્કાઉન્ટરબાજોને ‘જાંબાઝ’ અને ‘હીરો’ ગણાવનારા ધરાર સચ્ચાઈ સ્વીકારવા માગતા નથી. સચ્ચાઈ ‘બજાર’ની ચીજ નથી એ સાચું, પણ તેને માગ અને પૂરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે. એ હકીકત નાગરિકોનું ઘડતર કરતા આગેવાનો અને આગેવાનો પેદા કરતા નાગરિક સમાજો ભૂલી જાય, તો એ જ થાય જે અત્યારે થઈ રહ્યું છે.

http://www.divyabhaskar.co.in/news/ABH-knot-bind-fact-should-be-true-nowhere-listeners-5113659-NOR.html

સૌજન્ય : ‘ગાંઠે બાંધવાની હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 15 સપ્ટેમ્બર 2015

Loading

Paatidaar Saamayikna Tantri, Kraantikaari Deshbhakta Narsinhbhai Patel

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|15 September 2015

‘પાટીદાર’ સામયિકના તંત્રી, ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ

ફક્ત પાટીદારોના જ નહીં, આખા ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર-ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને ‘પાટીદાર’ માસિકના તંત્રીનું સ્મરણ

(LtoR) Mahadev Desai (standing), Sardar Patel, Narsinhbhai Patel / મહાદેવ દેસાઇ, સરદાર પટેલ, નરસિંહભાઇ પટેલ

ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ‘ક્રાંતિ’ જેવા શબ્દોનું જે હદે અવમૂલ્યન થયું છે, એ જોતાં નરસિંહભાઈ પટેલનું નામ ભૂલાઈ ગયાથી રાહત થાય. બાકી, તેમના જેવું વ્યક્તિત્વ સમાજ પોતાના હિસાબે ને જોખમે જ વિસરી શકે.

કોણ હતા નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ? અને શા માટે તેમને મૃત્યુનાં સિત્તેર વર્ષ પછી પણ યાદ કરવા પડે? આણંદમાં પોતાના ઘરને ‘પાટીદાર મંદિર’ જેવું નામ આપનાર નરસિંહભાઈએ એકવીસ વર્ષ સુધી ‘પાટીદાર’ માસિક ચલાવ્યું. જ્ઞાતિનું માસિક કેવું હોવું જોઈએ, એનું તે આદર્શ ઉદાહરણ છે. જમાનાથી આગળ હોવું એ નરસિંહભાઈની ખાસિયત હતી. એટલે જ, દીકરીઓ ‘સાપનો ભારો’ ગણાતી એવા વખતે નરસિંહભાઈની દીકરીઓ શાંતાબહેન અને વિમળાબહેન તેમની સાથીદાર બની. આઝાદીની ચળવળમાં નરસિંહભાઈ જેલમાં જાય ત્યારે ‘પાટીદાર’નું કામકાજ દીકરીઓ સંભાળતી.

સરદાર પટેલ કરતાં એક વર્ષ મોટા (જન્મઃ ૧૮૭૪) અને સ્કૂલમાં સરદારની સાથે ભણેલા નરસિંહભાઈ શરૂઆતમાં બોમ્બ દ્વારા ક્રાંતિના સમર્થક હતા. ‘વનસ્પતિની દવાઓ’ જેવા છદ્મનામે તેમણે બોમ્બ બનાવવાની રીતોના બંગાળી પુસ્તકનો અનુવાદ કર્યો. અંગ્રેજ સરકારના ગુપ્તચર વિભાગે તેમને ‘ધ મોસ્ટ ડેન્જરસ મેન ઇન બોમ્બે પ્રેસિડેન્સી’ (બોમ્બે પ્રાંતના સૌથી ખતરનાક માણસ) ગણાવ્યા હતા. કાળા પાણીની સજાની સંભાવના પારખીને તે થોડો સમય આફ્રિકા જતા રહ્યા અને ત્યાં ફ્રેન્ચ અને જર્મન શાસન ધરાવતા પ્રદેશોમાં રહ્યા. એવા વિપરીત સંજોગોમાં તે જર્મન ભાષા શીખ્યા અને વિલિયમ ટેલના જીવનચરિત્રનો જર્મનીમાંથી અનુવાદ કર્યો. ત્યાર પહેલાં ભારતમાં તેમણે ગેરિબાલ્ડી, મેઝિની જેવા રાષ્ટ્રનાયકોનાં ચરિત્રો લખ્યાં હતા. તોલસ્તોયનાં લખાણનો પહેલો પરિચય તેમને કવિ ‘કાન્ત’ (મણિશંકર ભટ્ટ) દ્વારા થયો. પણ બંગાળાના ભાગલા વખતે તે હિંસાના પંથ તરફ વળી ગયા. આફ્રિકા ગયા પછી ‘એ મર્ડરર્સ રીમોર્સ’ જેવા તોલસ્તોયના પુસ્તકની જૂની અસર તાજી થઈ અને અહિંસાના સંસ્કાર દૃઢ બન્યા.

આફ્રિકામાં તે ગાંધીજીના મિત્ર ચાર્લી, ‘દીનબંધુ’ એન્ડ્રુઝના સંપર્કમાં આવ્યા. એન્ડ્રુઝ સાથે જ તે ‘શાંતિનિકેતન’ આવ્યા અને જર્મન ભાષાના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ વર્ષ રહ્યા પછી દમના રોગને કારણે તે આણંદમાં વસ્યા અને આઝાદીની લડતમાં ગાંધી-સરદારના સાથી બન્યા. ગાંધીજી પ્રત્યે તેમને અહોભાવ વગરનો આદરભાવ હતો. ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારે નરસિંહભાઈએ આણંદથી બોરિયાવી સામા જઈને ગાંધીજીનું સામૈયું કર્યું હતું અને તેમની સાથે કૂચમાં જોડાઇને આણંદ આવ્યા હતા.

પરંતુ પણ દલિતોને પ્રવેશ ન આપતા જગન્નાથ પુરીના મંદિરમાં કસ્તૂરબા ગયાં અને ગાંધીજીએ નારાજ થઈને તેમને નોટિસ-અંદાજમાં પૂછ્‌યું કે ‘મારે તમારાથી છૂટાછેડા કેમ ન લેવા?’ ત્યારે નરસિંહભાઈએ ‘પાટીદાર’ માસિકમાં લખ્યું હતું, ‘કસ્તૂરબાએ મંદિરમાં જવું કે નહીં, એ તેમનો સ્વતંત્ર પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી … પરંતુ પુરુષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણું મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરું લુપ્ત થયું નથી.’ નરસિંહભાઈનું પુસ્તક ‘લગ્નપ્રપંચ’  સ્ત્રીઓના શોષણનો ઉગ્ર વિરોધ અને તેમની સમાનતાની જુસ્સાદાર હિમાયત કરનારું હતું. પશ્ચિમી દેશોમાં ‘ફેમિનિઝમ’ની ઝુંબેશ શરૂ થઈ તે પહેલાં લખાયેલા એ પુસ્તકને કારણે કિશોરલાલ મશરૂવાળા જેવા ગાંધીવાદી ચિંતકે નરસિંહભાઈને ‘સ્ત્રીજાતિના એક મોટા વકીલ’ તરીકે ઓળખાવ્યા.

નરસિંહભાઈનું બીજું ક્રાંતિકારી પુસ્તક હતું ‘ઈશ્વરનો ઈન્કાર’. નાસ્તિકતા વિશેના વિચાર આટલા તર્કબદ્ધ રીતે અને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવાનું આજે પણ સહેલું નથી, ત્યારે ૧૯૩૩માં આવું પુસ્તક લખનાર નરસિંહભાઈની વૈચારિક સ્પષ્ટતા અને નૈતિક હિંમત વિશે કલ્પના કરવી રહી. ત્યાર પછી એક પ્રસંગે નડિયાદની અદાલતમાં જુબાની પહેલાં સોગંદ લેવાના થયા ત્યારે નરસિંહભાઈએ કહ્યું હતું, ‘હું ઈશ્વરને માનતો નથી અને માનતો હોઉં તો ય સોગંદ લેવા એ મારા ધર્મવિરુદ્ધ માનું છું.’ ન્યાયાધીશે આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ છેવટે સાચું બોલવાની પ્રતિજ્ઞા લઈને નરસિંહભાઈને સાક્ષી આપવાની રજા મળી. જુબાની પૂરી થયા પછી એક વકીલે કહ્યું, ‘એટ લાસ્ટ, નરસિંહભાઈ એન્ડ ટ્રુથ ઓલ આર વન એન્ડ ધ સેમ.’ (આખરે, નરસિંહભાઈ અને સત્ય એક જ છે.’) એ સાંભળીને ન્યાયાધીશે કહ્યું, ‘યસ.’ નરસિંહભાઈનાં લખેલાં કેટલાંક પુસ્તકો ગાંધીજીએ જેલવાસ દરમિયાન વાંચ્યાં હોવાની નોંધ મળે છે. તેમાં પણ ‘આફ્રિકાના પત્રો’ વાંચ્યા પછી ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું હતું કે ‘એમનું (નરસિંહભાઈનું) નિખાલસપણું બહુ વખાણવા જેવું છે.’

સરદાર પટેલની જેમ પાટીદારના કુરિવાજો વિશે ચીડ ધરાવતા નરસિંહભાઈ સુધારાની શરૂઆત ઘરથી કરવામાં માનનારા હતા. ભાઈના લગ્ન પ્રસંગે પિતાએ કન્યાપક્ષ પાસે દહેજ માગ્યું. નરસિંહભાઈ ત્યારે કોલેજમાં ભણે. તેમણે દહેજનો વિરોધ કર્યો, એટલે પિતાજીએ તેમને કહ્યું, ‘દહેજ ન લઉં તો તારી કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે?’ એ સાંભળીને નરસિંહભાઈએ નિર્ણય કર્યો, ‘મારો અભ્યાસ દહેજના રૂપિયાથી આગળ વધવાનો હોય તો મારે વધારે ભણવું નથી.’ અને એમણે અભ્યાસ છોડીને શિક્ષકની નોકરી લઈ લીધી.

આફ્રિકા – શાંતિનિકેતન થઈને આણંદ આવ્યા પછી ૧૯૨૪માં તેમણે ‘પાટીદાર’ માસિક શરૂ કર્યું. સામાન્ય રીતે જ્ઞાતિનાં માસિકો ‘જ્ઞાતિગૌરવ’ની લાગણીમાં અને જ્ઞાતિવાદની સંકુચિતતામાં હિલોળા લેનારાં હોય છે, પરંતુ નરસિંહભાઈનું ‘પાટીદાર’ એમાંનું ન હતું. ‘પાટીદાર’ના જેઠ, સંવત ૧૯૮૮ના અંકમાં પ્રગટ થયેલા એક પત્રમાં નરસિંહભાઈએ લખ્યું હતું, ‘બેશક ‘પાટીદાર’ મારું અંતિમ ધ્યેય નથી. ‘પાટીદાર’, ‘હિંદુ’ એ નામનો તો નાશ જ થવો જોઈએ. ‘માનવી’ એ જ સ્વાભાવિક નામ હોઈ શકે. ‘પાટીદાર’ પાટીદાર મટી માણસ થાય એ જ ‘પાટીદાર’ ચલાવવાનો મારો હેતુ છે. અંતિમ ધ્યેય છે. એ હેતુ, એ ધ્યેય સિદ્ધ ન પણ થાય. પણ તો ય એમાં મારે શું? મારે તો મારું કરવું રહ્યું. તે કર્યા કરીશ. એમાં ય અંતરાયો ક્યાં નથી?’

‘પાટીદાર’ના કારતક, સંવત ૨૦૦૧ના અંકમાં નરસિંહભાઈએ વિદાયનોંધ લખી. ‘સ્થાપક અને નિવૃત્ત તંત્રી : શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઇ પટેલ’ એવી ક્રેડિટ ધરાવતા એ અંકમાં તેમણે પત્નીના અવસાનથી આવેલી માનસિક અપંગતા અને લકવાના પરિણામે ડાબા હાથે આવેલી અપંગતાની વાત કરીને લખ્યું હતું, ‘પાટીદાર શરૂ કર્યું ત્યારથી જમણો હાથ થાક્યાના પરિણામે ડાબે હાથે બઘું લખવાનું કામ કરું છું. પણ તે જ હાથે લકવો થયાથી હવે લખવાની કંઈ પ્રવૃત્તિ થઈ શકે એમ નથી. તેથી ‘પાટીદાર’ ચલાવવું મુશ્કેલ જણાય છે. તેથી એકવીસ વર્ષ સુધી ‘પાટીદાર’ને પાળીપોષીને મોટું કર્યા પછી ચાલુ અંકથી તેને ચલાવવાનું તંત્રી ભાઈ ઈશ્વર પેટલીકરને સોંપી દઈને હું તમારી સૌની વિદાય લઉં છું …’

છેલ્લી અવસ્થામાં શારીરિક રીતે અપંગ બન્યા પછી પણ નરસિંહભાઈની વૈચારિક સ્પષ્ટતા અડીખમ રહી. આઝાદી મળ્યાનાં બે વર્ષ પહેલાં ૨૭ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ તેમનું અવસાન થયું. પછીનાં વર્ષોમાં દેશભક્તોને તેમના કર્મના આધારે નહીં, પણ તેમના જન્મની જ્ઞાતિના આધારે વટાવી ખાવાનો રાજકીય અને સામાજિક ધંધો શરૂ થયો, ત્યાં સુધીમાં નરસિંહભાઈની વિસ્મૃિત સંપૂર્ણ બની ચૂકી હતી.

Sunday, September 06, 2015

સૌજન્ય : http://www.urvishkothari-gujarati.blogspot.co.uk/2015/09/blog-post_6.html

Loading

...102030...3,7493,7503,7513,752...3,7603,7703,780...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved