Opinion Magazine
Number of visits: 9554622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યશવંતભાઈ ત્રિવેદીને સ્મરણાંજલિ

રતિભાઈ પંડ્યા|Opinion - Opinion|18 July 2015

લોકભારતી – સણોસરા, ભાવનગરના પૂર્વઅધ્યાપક – કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની એવા યશવંતભાઈ ત્રિવેદીનું ૯૨ વર્ષની જૈફ ઉંમરે તાજેતરમાં અવસાન થયું. તેઓ નોંધ લેવા જેવા માણસ હતા, તેવું તેમની સાથેના મારા પંચાવન વર્ષના નિકટના સહવાસથી બેધડક કહી શકાય તેમ છે.

અમેરિકન પૂર્વ પ્રમુખ કૅનેડીનું એક વાક્ય યાદ આવે છે : ‘કોઈ પણ દેશ કે પ્રદેશમાં મોટા કે મહાન કહી શકાય એવા માણસો કેટલી સંખ્યામાં અને કેવા થઈ ગયા તે મહત્ત્વનું નથી, પરંતુ આવા માણસોની ગેરહાજરીમાં, તેમને પરિચિતો કે અપરિચિત લોકો કેટલા અને કેવી રીતે યાદ કરે છે અને માન આપે છે, તે મહત્ત્વનું છે.’ આને માટે તેમણે અંગ્રેજીમાં ‘remember’ અને ‘respect’ એવા બે શબ્દો વાપરેલા છે. યશવંતભાઈ મારા માટે અને તેમના ચાહકો-સ્નેહીઓ અને વિદ્યાર્થીઓ માટે યાદ રાખવા જેવા અને માન આપવા જેવા માણસ હતા, તેમ ખાતરીપૂર્વક કહી શકાય છે.

મનુભાઈ પંચોળી(દર્શક)ના તેઓ પ્રીતિપાત્ર હતા. એટલું જ નહીં, પરંતુ ‘દર્શક’સેનાના તેઓ આગલી હરોળના સૈનિક પણ હતા. મનુભાઈએ પાછલાં વર્ષોમાં પાલિતાણા પાસેના ઊંડાણના ગામ માયધારમાં અવિધિસરના શિક્ષણની સંસ્થા શરૂ કરી, તેમાં મોટી ઉંમરે પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં યશવંતભાઈ મનુભાઈ સાથે જોડાયા અને ત્યાં સહકુટુંબ રહેવા પણ ગયા. ત્યારે મેં તેમને પૂછેલું કે ‘લોકભારતી’ છોડી તમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં માયધાર કેમ જવા વિચારેલ છે, ત્યારે તેમણે આપેલો જવાબ આ હતો : ‘જીવનમાં કેટલાક માણસો સાથે સ્વર્ગમાં રહેવા જવાને બદલે, મને પસંદ માણસો સાથે નરકમાં પણ રહેવા જવાનું કરું. મનુભાઈ મારા મનપસંદ માણસ છે. તેમની ઇચ્છાને હું આજ્ઞાસમાન ગણું છું આમ છતાં, સ્પષ્ટ વક્તા યશવંતભાઈ મનુભાઈની વાત સાથે અસંમત હોય, તો પણ મુક્ત મને વ્યક્ત કરતા મેં જોયા છે.

મનુભાઈની ઇચ્છાને માન આપી તેઓ મહુવા પાસેની કળસાર સંસ્થાના નિયામક તરીકે પણ ગયેલા. મૂળે તેઓ હિન્દી વિષયના અધ્યાપક, પરંતુ મુખ્ય ગૃહપતિ ઉપરાંત તેઓએ ‘લોકભારતી’ના ઉપ-નિયામક તરીકે ફરજ બજાવેલી. મૂળશંકરભાઈ ભટ્ટ ‘લોકભારતી’ છોડી, ભાવનગર રહેવા જતા રહ્યા, ત્યારે યશવંતભાઈ, તે ભાઈવાળા મકાનમાં રહેવા ગયેલા અને નિવૃત્તિ સુધી તે મકાનમાં રહ્યા. ભાઈના વિચારોને તેઓ વ્યવહાર તેમ જ વહીવટમાં યથાશક્તિ અમલમાં મૂકતા રહ્યા. સંસ્થા-વહીવટમાં મહત્ત્વના પ્રશ્નોમાં પોતાનો અભિપ્રાય કે નિર્ણય લેતાં પહેલાં મૂળશંકરભાઈને યાદ કરી તે મુજબ નિર્ણય લેતા.

૧૯૭૧માં હું અને યશવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં સેનેટ સભ્ય તરીકે સાથે જતા, ત્યારે રાષ્ટ્રીય શાળામાં વજુભાઈ શાહ અને જયાબહેનને અવશ્ય મળવા જતા અને દોઢ-બે કલાક દેશ-દુનિયાના સાંપ્રત પ્રશ્નોની બુદ્ધિગમ્ય ચર્ચાઓ થતી, તેમાં યશવંતભાઈનાં વાચન અને વિચારોનાં ઊંડાણના દર્શન થતાં. એક વખતે રાજકોટમાં મારા સસરાને ઘરે રાત્રિરોકાણ કરવાનું થયું. મારા વૃદ્ધ સસરાએ યશવંતભાઈની પથારી પાસે પીવાનું પાણી અને સવાર માટે દાતણ મૂક્યાં, ત્યારે યશવંતભાઈએ પ્રતિભાવ આપેલ કે એક અજાણ્યા અતિથિ માટે આટલી ઝીણવટભરી કાળજી અને ચિંતા કરનાર માણસો હવેની પેઢીમાં જોવા મળશે કે કેમ ?

૧૯૭૮માં હું મુંબઈ કાંદિવલી ગૌશાળામાં લોનસર્વિસ પર ગયેલો, તે વખતે યશવંતભાઈએ દસેક વિદ્યાર્થીઓ સાથે શ્રીલંકાના પ્રવાસે જવાનું ગોઠવેલું. તે બધાના વિઝા તેમ જ દરિયાઈ સફરની ટિકિટ વગેરેની બધી જ જવાબદારી હક્કપૂર્વક મને સોંપી, તેનો મને ખૂબ આનંદ થયો અને સાત-આઠ ધક્કા પછી એ જવાબદારી પાર પાડ્યાનો આનંદ થયો. યશવંતભાઈએ આભાર સાથે અભિનંદન તો આપ્યા, પરંતુ ત્યાર પછી પણ કહેતા રહ્યા કે ‘જો પંડ્યાભાઈ મુંબઈ ન હોત, તો અમે સિલોન – પ્રવાસ કરી ન શકત સિલોનમાં તેઓ આર્યરત્ન આર્યનાટયકમ્’ની ગાંધીવિચારની સંસ્થામાં અઠવાડિયું રોકાયા હતા અને તે સંસ્થાના ત્રણ યુવાન કાર્યકરોને પશુપાલનની વૈજ્ઞાનિક તાલીમ લેવા સણોસરા આવવાનું આમંત્રણ આપી આવેલા. તે મુજબ ત્રણ યુવાનો એક વર્ષ માટે સણોસરા ગૌશાળામાં પ્રત્યક્ષ તાલીમ માટે આવેલા. તેના બૌદ્ધિક વર્ગોમાં રોજ બે કલાક અંગ્રેજી ભાષામાં ભણાવવાની જવાબદારી મને યશવંતભાઈએ સોંપેલી અને તે મેં સહર્ષ પૂરી કર્યાનો આનંદ છે. મને એ તક મળી, તે યશના ભાગીદાર યશવંતભાઈ જ હતા.

યશવંતભાઈના અવસાનના સમાચાર સાંભળી તેમને યાદ કરતાં તેમના પુત્ર નિખિલને કહ્યું,’Oh, Yeshvantbhai ! This world would be a better place to live in, if there were few more persons like you.’. ‘અરે ! યશવંતભાઈ ! તમારા જેવા થોડાક વધુ માણસો જો આ દુનિયામાં હોત, તો આ દુનિયા રહેવા માટે વધુ સારું સ્થળ બની શકે.’

વસ્ત્રાપુર, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 17

Loading

વર્ષારંભે અનુત્તરે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|17 July 2015

વર્ષા સત્રના ચોઘડિયા બજતા સંભળાય છે ત્યારે જ તાકડે રાહુલ ગાંધી દિલ્હીમાં ‘ફોટો ઑપ’ની લાયમાં ફેરિયાઓ અને પાથરણાં બજારની જાહેર ભાળસંભાળ સારુ નીસરી પડ્યા છે એવું કેમ, એવી એક ટિપ્પણી ભા.જ.પ. પ્રવક્તાએ કરી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ. બેઉ એકબીજા બાબતે આમ કૌતુક કરવાને હકદાર હોઈ શકે છે, પણ નાગરિક છેડેથી આપણે જેમ કૉંગ્રેસના એક આખા દસકા વિશે પૂછવાપણું છે તેમ ભા.જ.પ.ને પણ કહેવું રહે છે કે દિલ્હીમાં એટલે કે કેન્દ્રીય સ્તરે તમે હવે પૂરા એક વરસથી આરૂઢ છો એટલે ફેરિયાઓને લગતા કાયદાની અમલબજાવણી બાબતે તમે જવાબ-દાર તો છો જ.

વર્ષા સત્રમાં તેમ આવતે મહિને પંદરમી ઑગસ્ટના લાલ કિલ્લા સંબોધનમાં સરકારે, ખાસ તો વડાપ્રધાન મોદીએ હવેનાં સપનાં વેચવે માત્ર નહીં અટકતાં વરસનો ધોરણસરનો હિસાબ પણ આપવો રહેશે. લોકસભાની ચૂંટણી આગમચ કેટલાક મહિનાઓમાં નમોએ ડેમેગોગી અને સોફિસ્ટ્રીનો અજબ જેવો મેળ પાડીને વક્તૃત્વકૌશલપૂર્વક ધડબડાટી બેલાશક બોલાવી દીધી હતી. સામે પક્ષે, એમને મૌનમોહનસિંહનો મુદ્દો પણ હંમેશની શબ્દરમત સાથે મળી રહ્યો હતો. આ પૃષ્ઠભૂમાં વિચારીએ ત્યારે પોતાના શાસનકાળના વાસ્તવિક પ્રશ્નો બાબત મોદીનું મૌન એમને એક સવાલિયા દાયરામાં મૂકી આપે છે. સ્વચ્છતા અભિયાનથી માંડીને વિશ્વ યોગ દિવસ તરેહની તંતોતંત ‘ઈવેન્ટ મેનેજમેન્ટ’, પ્રશ્નો ચાતરી ઉફરાટે ચાલતી ‘મન કી બાત’, પ્રચારદિવસો પછી પ્રત્યક્ષ શાસનકાળની તક ને તકાજા સામે ઊણાં એટલે કે બેહદ ઊણાં ઉતરે છે. પ્રચારમાં પરફોર્મન્સથી નભી ગયું પણ શાસનમાં તો કંઠકૌવતથી હેઠે કેડે કાંકરે મેલી ખરેખાત પરફોર્મ કરવું રહે.

આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે લખવી મુદ્દે પાક ઠાગાઠૈયાના હેવાલો સાથે રશિયામાં ભારત-પાક. વડાપ્રધાનોની બેઠકમાં દેખાયેલી ઉઘાડ સંભાવના પાછી પડતી જણાય છે. આમ પણ, મે ૨૦૧૪ પછીનાં મોદી વચનોમાં એવાં પણ ઇંગિતો મળતાં રહ્યાં છે જે કૉંગ્રેસ કે અન્ય સ્રોતથી આવ્યાં હોત તો ભા.જ.પ .શ્રેષ્ઠીઓના વૃંદવાદને એને ઝૂડવામાં કશી કસર રાખી ન હોત. પાકિસ્તાન સાથે અગાઉની સરકારની હર વિનયઅનુનય ચેષ્ટા વખતના એકંદર ભાજપી પ્રતિભાવો આ સંદર્ભમાં સંભારવા જોગ છે. પાકિસ્તાનની આઘાપાછી બાબતે દો ટૂક વલણ બેલાશક અપેક્ષિત છે. પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અને પડોશીઓ સાથેની નીતિમાં ખાસ તરેહના રાષ્ટ્રવાદ કરતાં વધુ તો રાજકીય પ્રૌઢિ અને રાજનયિક (ડિપ્લોમેટિક) સૂઝબૂઝની જરૂરત હોય છે એ દૃષ્ટિએ પક્ષે વિચારધારાકીય શોધન અને સંસ્કરણનો અહેસાસ કરાવવો રહે છે. ૨૦૧૪ પહેલાં ભા.જ.પ.ની રાષ્ટ્રવાદી રણનીતિમાં આજના એના પી.ડી.પી. સંધાનની કોઈ સંભાવના નહોતી, એ પણ આવું જ એક બુનિયાદી વાનું છે.

૨૦૦૮માં અગમના એંધાણ બોલી જાણનાર રઘુરામ રાજનને હવેનાં વરસોમાં મંદી આવતી વંચાય છે એનો ઉકેલ કંઈ કોર્પોરેટતરફી ઘાંઘાઈમાં કે ડેમેગોગી અને સોફિસ્ટ્રીની તરાહમાં તો હોવાનો નથી. ખબર નથી, પાર્ટી ઑફ ગવર્નન્સ તરીકે ભા.જ.પ. શ્રેષ્ઠીઓ એકંદરે વિચારધારાકીય અભિગમ વિશે આમૂલ પુનર્વિચારને ધોરણે કોઈ ચિંતન બેઠકના મિજાજમાં છે કે નહીં. ૧૯૯૧ની નરસિંહ રાવ – મનમોહન ટીમે જે અર્થનીતિ વિષયક ફેરફારો શરૂ કર્યા તે યુ.પી.એ.-એન.ડી.એ.ના વારામાં કોઈ જ દિલખુલાસ બહસ વગર બરકરાર રહ્યા છે.

સુષમા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ (પક્ષના ત્રણે મોદીસ્પર્ધીઓ, જોગાનુજોગ?) વિવાદના દાયરામાં છે. ત્યારે એની એ જીરણ ગંધારી ક્રિકેટ રાજનીતિ અને બેભથ્થુ, નાણાસ્રોતનો છે કોઈ ઉત્તર મોદી કને, વર્ષારંભે ?                                                 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 01

Loading

અધિકાર ફરજિયાત હોઈ શકે ?

મીરાં ભટ્ટ|Samantar Gujarat - Samantar|17 July 2015

‘અધિકાર’ ફરજિયાત હોઈ શકે ?

રાષ્ટ્રીય બંધારણ આપણને કાયદાકાનૂન પણ આપે છે અને અધિકારો પણ આપે છે. લોકશાહીવાળા દેશોમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય એ પ્રત્યેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે અને દેશના વહીવટ-વ્યવસ્થા માટે પ્રતિનિધિઓને ચૂંટાવાનો પ્રત્યેક વયસ્ક નાગરિકને અધિકાર પણ આપે છે. અધિકાર કે હક્ક એ સ્વૈચ્છિક બાબત છે. અધિકાર કદી ફરજિયાત ન હોઈ શકે. અધિકારને ફરજિયાત કરવા પાછળની મનોવૃત્તિમાં સત્તાખોરીના ભણકારા સંભળાય છે. પરંતુ આજકાલ ગુજરાતમાં મતદાનના અધિકારને ફરજિયાત બનાવવાની અને એનો ભંગ કરનારાને સજાની વાત થઈ રહી છે, ત્યારે આ વદતોવ્યાઘાત માટે ભારે આશ્ચર્ય અને વિદ્રોહની લાગણી પેદા થાય છે. દાન અને અધિકાર બંને સદાસર્વદા સ્વૈચ્છિક જ હોઈ શકે અને એવું હોય તો જ એની ગરિમા છે. બાકી એક બાજુ, વ્યક્તિના સ્વાતંત્ર્યનું ગૌરવ કરી એના અભિગમને પણ આદરમાન આપો છો અને બીજી બાજુ એને ફરજિયાત કરી મતદાનનું ગૌરવ હણી લો છો.

કાયદો નાગરિકને લગ્ન  કરવાનો અધિકાર આપે, એનો અર્થ એ નથી કે પ્રત્યેક માણસે લગ્ન કરવાં જ જોઈએ. આવી ફરજ કદાપિ લાદી ન શકાય. બાળકે શાળાએ ભણવા જવું જોઈએ, પરંતુ નારાયણ દેસાઈ જેવો કોઈ બાળક શાળાએ જવાનો ઇન્કાર કરે, તો એને ફરજિયાત શાળામાં દાખલ ન કરી શકાય. શાળાનું શિક્ષણ ફરજિયાત થઈ જાય, તો કેટલીય પ્રતિભાવો ઊગતી કચડાઈ જાય તેવું બને, એટલે પ્રત્યેક બાળકે નિશાળે જવું ફરજિયાત ન કરી શકાય.

દરેક કાયદાને અપવાદ તો હોય જ. એમ આ મતાધિકારને ફરજિયાત કરતા કાનૂનને પણ કેટલાક અપવાદ મળ્યા છે. બીમાર, અશક્ત કે કોઈ ફરજિયાત સેવામાં કાર્યરત હોય કે કદાચ સાધુસંન્યાસીને માટે મતદાન ન કરવા બદલ સજામાંથી માફી મળી શકે, એવી જોગવાઈ રખાય છે. પરંતુ સમાજમાં કેટલાક સ્વપ્નસેવી લોકો એવા પણ હોઈ શકે, જેમને રાજ્યનું આ સ્પર્ધા અને દંડશક્તિવાળું પ્રતિનિધિક માળખું જ માન્ય ન હોય અને જેવો વિકેન્દ્રિત-શાસનમુક્ત, લોકશક્તિના પાયા પર ઊભેલી રાષ્ટ્રીય વ્યવસ્થા માંગતા હોય અને તે માટેના પ્રયાસોમાં લાગેલા હોય, તેવા લોકો માટે મતદાન ફરજિયાત હરગિજ ન હોઈ શકે.

વિનોબાને કોઈકે પૂછ્યું હતું કે ચૂંટણીમાં ભલે તમારી દૃષ્ટિએ કોઈ સર્વોત્તમ પ્રતિનિધિ ન હોય, પરંતુ કોઈ બીજા કરતાં ઓછો ખરાબ હોય, તો તેને મત આપો કે નહીં? ત્યારે વિનોબાએ કહેલું કે મને કકડીને ભૂલ લાગી હોય અને કોઈ મારી થાળીમાં ઈંટ અને પથ્થર બેઉ મૂકી એકને પસંદ કરવાનું કહે તો તું કોને પસંદ કરીશ ? પથ્થર કરતાં ઈંટ વધારે નરમ છે એ વાત સાચી છે ખરી, પણ ખાવા માટે બંને મારા માટે નકામાં છે.

આ જ રીતે પ્રચલિત રાજ્યશાસનના પ્રતિનિધિ રૂપે ઘણા ય સજ્જન માણસો હોય, પણ એમની સજ્જનતામાં મારું સપનું સિદ્ધ ન કરી શકે તેમ હોય, તો મારે એ શું કામની ? આવી પરિસ્થિતિમાં તો રાષ્ટ્રીય સરકારે ગૌરવ અનુભવવું જોઈએ કે એમના દેશમાં નવી ગરવી આવતી કાલ ઉગાડવાનું સપનું જોનારો અને તે માટે તનતોડ મહેનત કરનારો એક સમર્પિત વર્ગ સમાજમાં છે.

એક બાજુ તો મત-દાન કહો અને એને ફરજિયાત કરો તો દાન અને કરની ઉઘરાણીમાં ફરક શું રહ્યો? કર તમે કશાકના બદલામાં ઉઘરાવો છો, જ્યારે મત તો સર્વતંત્ર સ્વતંત્ર છે. મારો મત એ નિર્બંધપણે મારો જ મત છે. એ મતને જન્મ આપનારું થાનક મારું અંતઃજગત છે. આકાશમાં વાદળ હળવે-હળવે બંધાય, એમ મારો નિજી મત બંધાતા પણ કેટલાંક અનુભવો, દ્વિધાઓ, તારણોમાંથી પસાર થવું પડ્યું છે. મતને કીમતી ગણાયો છે, તે મતદારોને પીવા માટે વહેંચાતી દારૂની બાટલીઓ માટે નહીં, મારો મત મારા માટે એટલા માટે કીમતી છે કે એ મારા વજૂદને માન્યતા આપે છે, મારી અસ્મિતાને ગરવાઈ આપે છે. મારો મત મારા હોવાપણાની શાખ છે! ધરતીમાંથી માથું ઊંચું કરીને હવામાં ઝૂલતા તરણાની જેમ મારો મત પણ ઉન્નત મસ્તક છે. એને કોઈ કશી ફરજ ન પાડી શકે. મત માત્રને અભિવ્યક્ત થવાનો જેટલો અધિકાર છે, તેટલો જ અધિકાર અપ્રગટ રહેવાનો પણ છે.

સંભવ છે કે આવતી કાલે પરિસ્થિતિ બદલાય અને દેશમાં ઠેઠ નીચેના ગામડાથી ઉપર સુધી પહોંચતી શાસનમુક્ત, વિકેન્દ્રિત રાજ્યવ્યવસ્થા માટે દેશ તૈયાર થઈ જાય તો પણ એમાં ‘વરણી’ની પ્રક્રિયા ચાલશે, ‘ચૂંટણી’ની નહીં ‘વરણી’માં કોઈની ઉમેદવારી નહીં હોય, જ્યારે ચૂંટણીમાં તો પક્ષાપક્ષી ઉપરાંત માખીઓની જેમ ઉમેદવારોનો બણબણાટ હોય! દૂધમાંથી મલાઈ મેળવવા દૂધનાં ટીપાંની વીણીવીણીને ચૂંટણી નથી કરવી પડતી, દૂધને ગરમ કરો, મલાઈ આપોઆપ ઉપર તરી આવશે.

આપણે જો લોકો માટે, લોકો દ્વારા, લોકોની સત્તા સ્થાપિત કરવી હોય તો ‘લોકમત’-‘જનમત’નું ગૌરવ ન ઝંખવાય તે માટે જાગૃત રહેવું જરૂરી છે. મુઠ્ઠીભર પ્રતિનિધિઓ સરકારમાં પહોંચી સત્તાનો દુરુપયોગ કરી મતનું અવમૂલ્યન કરવા લાગે, ત્યારે મતદારે પોતાની અસ્મિતાને  સંકોરતા શીખી લેવું જોઈએ. લોકશાહીમાં દર પાંચ વર્ષે થતું મતદાન એ કાંઈ નામનો વિધિ-વ્યવહાર નથી કે એને જેમતેમ પતાવી દેવાનો હોય !

મતદાન પવિત્ર ગણાયું છે. શાસ્ત્રોની આજ્ઞા છે કે અપાત્ર-દાન ન કરવું. દાન લેનારની પાત્રતા મનમાં વસવી જોઈએ. વિનોબા કહેતા કે કોઈ મને એમ કહે છે કે ‘હું લશ્કરને વિખેરી દેશને નિઃશસ્ત્રીકરણની દિશામાં લઈ જઈશ તો એને મત આપવા હું વિચારી શકું. પરંતુ ચીલાચાલુ, એકબીજાના ટાંટિયા ખેંચતા રહી સત્તાની ખુરશીના ખેલ ખેલતા રહેવા માટે કોઈ મારા મતને ફરજિયાત કરે તો હું ન સાંખી શકું. હું તો ‘બુધ’ને ‘ભૂત’ કહું છું અને હજુ સુધી એ ભૂતના મેં દર્શન કર્યા નથી.’

ગાંધી-વિનોબાએ જેમની આંખોમાં ગ્રામસ્વરાજ, લોકસ્વરાજનું સપનું આંજ્યું છે, તેવા લોકો પવિત્ર મતની આવી અવહેલના સાંખી ન શકે. મતદારનો મત ન આપવાનો અધિકાર પણ સુરક્ષિત રહેવો જોઈએ, આ લોકતંત્રની આચારસંહિતા છે. ભારતના લોકકારણમાં ‘પંચોના મત’નું માહાત્મ્ય ગવાયું છે. પંચપ્રથા એ ભારતની આગવી ન્યાયપદ્ધતિ છે, જેમાં માત્ર મતનું નહીં, ‘સર્વ-મત’નું સંસ્થાપન છે. સર્વસંમતિ અથવા સર્વાનુમતિ. આ બહુમતી-લઘુમતીનું રાજકારણ દેશને તોડનારું રાજકારણ છે, એના વિકલ્પ રૂપે ગાંધીજીએ નીચેથી ઉપર જતી રાજ્યવ્યવસ્થા ‘ગ્રામસ્વરાજ’રૂપે નિર્દેશી છે. જેમનો મત આવી રાજ્યવ્યવસ્થાને અપાઈ ચૂક્યો હોય તે વર્તમાન વ્યવસ્થા નીચે પોતાની સંમતિની રેખા શી રીતે દોરી શકે?

ઘણાંને એવું લાગે છે કે મતદાન ન કરવાથી લોકશાહીનું કર્તવ્ય ચુકાય છે, કારણકે મતદાન એ નાગરિકનો પવિત્ર ધર્મ મનાયો છે. આ બાબતમાં વિનોબાએ કહેલું કે આપણે જો વર્તમાન સત્તાના રાજકારણને તોડવું હશે તો એને માન્ય કરવાથી એ નહીં તૂટે. વૃક્ષને કાપવું હોય તો વૃક્ષ પર ચઢીને તોડી ન શકાય. વૃક્ષને કાપવા તમારે વૃક્ષથી દૂર રહેવું પડે. પછી ભલેને તમે વૃક્ષને કાપવાની કુહાડીનો હાથો વૃક્ષના લાકડામાંથી જ બનાવો. પક્ષાતીતતા અને લોકનિષ્ઠા કાયમ રાખી રાજકારણને તોડવા માટે મતદાનથી દૂર રહેવું જરૂરી છે.

આવા વિચાર સાથે મતદાનથી દૂર રહેનારા લોકો માટે આ કે તે પક્ષ વિષે કોઈ પસંદગી-નાપસંદગી નથી હોતી. એને તો પ્રચલિત રાજપદ્ધતિ જ મંજૂર નથી, એટલે એના માટે વર્તમાન રાજકારણથી દૂર રહેવું જરૂરી થઈ પડે છે અને એટલા જ માટે એને ફરજિયાત મતદાન માન્ય નથી.

વિચારપૂર્વક મત ન આપવો અને આળસ, અજ્ઞાનતા કે બેપરવાઈને કારણે મત ન આપવો – આ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. પરંતુ આપણને તો કાંકરા સાથે દાણા કે ટબ સાથે બેબીને પણ ફેંકી દેવાની આદત છે. દારૂનો નશો અને કશુંક ભાળી ગયાના નશાને એક જ ત્રાજવે તોળવાની ટેવ પડી ગઈ છે. પરંતુ જે રીતે મતદાન કરવા પાછળ એક વિચારતંત્ર ઊભેલું છે, એ જ રીતે મત ન આપવા પાછળ પણ એક વિશાળ વિચારજગત છુપાયેલું છે, જે ‘સર્વોદય’ નામે જાણીતું છે.

જેમને ‘સર્વ’ની ઉપાસનાને પોતાનું જીવનકાર્ય માન્યું છે, તે આથી ભાગલા પાડતી પક્ષાપક્ષીના રાજકારણને અનુમોદન ન આપી શકે. ભલે એનો વિરોધ ન કરે, પરંતુ એ વિશાળકાય યંત્રનો એક સ્ક્રૂ તો ન જ બને. આ મતદાન ન કરવું એ કોઈ બહિષ્કાર નથી, પરંતુ જે ગામ જવું નહીં, તેનું નામ શું લેવું? – આવી ઉપેક્ષાવૃત્તિ છે. આમની પાસે પોતાનું એક દર્શન છે, કાર્ય છે, પદ્ધતિ છે અને કાર્યક્રમો છે. અત્યારે ભલે એની પ્રક્રિયાઓ ભૂગર્ભી હોય, પણ આવતી કાલે એ સક્રિય  થઈને સાકાર થવા જેટલી સક્ષમ બનશે, તો પ્રચલિત રાજનીતિનો વિકલ્પ પણ રજૂ કરી શકશે.

ટૂંકમાં, મતદાનને ફરજિયાત કરવાની આ દિશા તદ્દન વાહિયાત અને સાવ ખોટી, નુકસાનકારી છે. એમાં ‘મત’ અને ‘મતદાતા’ બંનેનું ગૌરવ હણાય છે. નાગરિકનો સ્વતંત્ર મત એ તો લોકશાહીનો પાયો છે. સત્તામાં બેઠેલા રાજ્યકર્તાઓ લોકતંત્રની પાયાની ગરિમા સમજવામાં નિષ્ફળ નીવડશે, તો ‘આઉટ-ઑફ-ડેટ’ કાળબાહ્ય ગણાઈ એ કાળનો કોળિયો બની જશે. આમાં ‘આ’ કે ‘તે’ પક્ષનો કોઈ સવાલ જ નથી. આ વિચાર જ ભયંકર છે. એને ઊગતો જ ડામી દેવો, એ વર્તમાન પળનો તકાદો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 05-06

Loading

...102030...3,7263,7273,7283,729...3,7403,7503,760...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved