ચાહો કે ન ચાહો પણ પ્રાણવાયુની માફક દેશ-વિદેશમાં બનતી ઘટનાઓના સમાચાર આપણને સવાર પડે ને મફતમાં મળતા રહે છે, રોજેરોજ. તેનાથી ક્યારેક મન મોર બની થનગાટ કરી ઊઠે તો ક્યારેક હતાશાની ઊંડી ગર્તામાં ઉતરી પડે. તેમાંથી બહાર નીકળવા કોઈ રામ, તો કોઈ કૃષ્ણને સંભારે, કોઈ જિસસ તો કોઈ અલ્લાહને મદદે બોલાવે. કોઈ લાભદાયી પરિવર્તનોનો યશ કળશ પોતાને શિરે ધરી પોતાનાં ગુણગાન કરે તો કોઈ વળી અનિચ્છનીય પરિસ્થિતિ માટે જવાબદાર તત્ત્વોને દીવો લઈ શોધવા નીકળે.
યુ.કે.માં પાનખર ઋતુ જામી છે, દિવસો ટૂંકા થયા અને રાત લાંબી થતી ચાલી ત્યારે કેટલાકને દુ:સ્વપ્ન આવે તેમ મને દીવા સ્વપ્ન આવવાં લાગ્યાં છે. મારું મન ભારતીય અને અન્ય સંસ્કૃિતનાં કેટલાક પ્રચલિત સૂત્રો તરફ ગયું અને જો એ બોધક સૂત્રોનો અમલ થાય તો શું થાય એની કલ્પનાઓ આવવા લાગી. તેમાંથી થોડી અહીં પીરસું.
જો વેદકાલીન પુરાતન સૂત્ર ‘સત્યમ વદ, ધર્મમ ચર’નું પાલન વિશ્વના મુખ્ય મુખ્ય રાજ્યકર્તાઓ અને ધાર્મિક-સામાજિક આગેવાનો કરે તો ન પોતે માનવ અધિકારોનું ખંડન કરી શોષણ કરે કે ન તેમ કરનારને પોતાને આંગણે આવકારે. ચીન અને ભારતનો માનવ અધિકાર જાળવવાનો ઇતિહાસ ધૂંધળો છે તો પણ વ્યાપારી સંબંધો વિકસાવવાને લોભે ‘કથરોટ કુંડાને શું હસે’ એ ન્યાયે એ બંને દેશના નેતાઓને લાલ જાજમ બિછાવી સ્વાગત કરવાનું બ્રિટન કદી નહીં વિચારે.
જિસસે કહેલું, “તારા ડાબા ગાલે તમાચો મારે તો જમણો ધર.” “તારા પાડોશીને પ્રેમ કર”. એ આદેશનું પાલન કરીશું ત્યારે એક જ ધર્મના અનુયાયીઓ અંદરોઅંદર અને બીજા ધર્મ, દેશ અને કોમના લોકો સાથેનું વેર શમી જશે. વેરથી વેર શમે ના, શમે જ એ તો ક્ષમાથી એ હકીકતની સાબિતી જમાનાઓથી ઠેર ઠેર જોવા મળે છે. એ સમજીશું ત્યારથી લશ્કરી આક્રમણ અને આતંકવાદી હુમલા બંધ થશે. ત્યારે આપણે અણુ શસ્ત્રો અને બીજા વિનાશક શસ્ત્રો, શસ્ત્ર વાહક જહાજો અને અણુ સબમરીનો નહીં બનાવીએ.
“બીજા તમારી સાથે જેવો વર્તાવ કરે તેમ તમે ઈચ્છો, તેવો વર્તાવ બીજા પ્રત્યે કરો.” તેમ લગભગ બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલ જોવા મળે છે અને અસંખ્ય મહાપુરુષોએ એ વાત દોહરાવી છે. જો એ વાત ગળે ઉતારે તો પારકાં પોતાનાં લાગવા માંડશે અને આ પૃથ્વી પરના એક પણ માનવને કે જીવ માત્રને હાનિ પહોંચાડવાની દિલ ના પાડશે.
બધા ધર્મોના મૂળભૂત સિદ્ધાંતોમાં સામ્ય છે એ હકીકત સ્વીકારીશું ત્યારે કોઈ પોતે ધર્માંતરણ નહીં કરે કે બીજા પાસે કરાવે. મારા ધર્મનો મર્મ સમજી તેનો યોગ્ય અમલ કરવાથી શાંતિ મળશે તેવી જ બીજા ધર્મને અનુસરવાથી મળે એમ સમજીને પોતાના જ ધર્મનો તાગ મેળવી તેના ઉચિત અમલના પ્રયત્નો કરીશું.
“વાવો તેવું લણો” એવું દરેક સંસ્કૃિતમાં પ્રબોધેલું છે. જ્યારે તેનો અર્થ જાણશું ત્યારે પોતાના દેશના રક્ષણથી વધુ સંખ્યામાં શસ્ત્રો બનાવવાનું અને તેનો વેપાર કરવાનું સદંતર બંધ કરીશું. આજે દુનિયાના મોટા ભાગના સંઘર્ષો સતત ચાલુ રાખવા પાછળ મોટે પાયે શસ્ત્રો બનાવતા દેશોની શસ્ત્ર વેપારની નીતિ કારણભૂત છે એ નિર્વિવાદ હકીકત છે.
“બધા મનુષ્યો અને પ્રાણી માત્ર એક જ પરમાત્માના અંશ છે.” એવું આપણે કથાઓમાં કેટલી વખત સાંભળ્યું હશે? ત્યારે સંમતિમાં ડોકું હલાવીએ, પણ જ્યારે તેનો મર્મ સમજીશું ત્યારે દલિતોને મારવા હાથ નહીં ઉપડે. ત્યાં સુધીમાં આપણે ‘મારા’ની વ્યાખ્યા ઊંચી-પહોળી કરી દીધી હશે એટલે ‘મારા ધર્મને અનુસરનાર તમામ માનવો તેમ જ અન્ય ધર્મને અનુસરનારા પણ મારા બાંધવો છે.’ એવું માનતા થયા હશું. કેમ કે બીજા કોઈ મને અન્યાય કરે કે હાનિ પહોંચાડે તે નથી જ સહન થતું, તો હું એ શી રીતે આચરી શકું એવો વિચાર કરતાં થઇ જશું.
‘જ્ઞાનની ખરી કસોટી તેના અમલમાં છે’ એવું તો માનવ જાતની ઉત્પત્તિ થઈ ત્યારથી કહેવાતું આવ્યું છે. જ્યારે તેનો અમલ કરીશું ત્યારે અંધશ્રદ્ધાને તિલાંજલી આપશું અને વરદાયિની માતા પર 6્,00,000 કિલો ઘી ચડાવવા 100 મીલિયન રૂપિયાનો ખર્ચ નહીં કરીએ.
‘અહિંસા પરમો ધર્મ’ એ સૂત્ર હિંદુ સંસ્કૃિતનું પ્રદાન છે એ વાતનું ગૌરવ લઈએ છીએ તો જયારે તે વ્યવહારમાં ઉતારીને બતાવીશું ત્યારે ગાયનું માંસ ભક્ષણ કરનાર માનવીની હત્યા નહીં કરીએ કેમ કે આખર ગૌ હત્યા કરતાં માનવ હત્યાનું પાપ મોટું છે એમ માનનાર પણ એ જ પ્રજા ખરી કે નહીં?
‘લોભને થોભ ન હોય’ એ વાત તો નાનપણથી ડગલે ને પગલે યાદ અપાવાતી હોય છે. જયારે એ મંત્ર યાદ રાખીશું ત્યારે દાળ હોય કે ડુંગળી, દૂધ હોય કે તેલ તેના ભાવ આસમાને ન ચડે તેનો ખ્યાલ દરેક ઉત્પાદક, વેપારી અને દલાલ રાખશે.
ઉમાશંકર જોશીએ કહેલું, “જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોતો થાય તો અર્ધું જગત શાંત થઈ જાય.” જો એમ જ થયું હોત તો ‘અયોધ્યામાં રામ મંદિર હોવાની બાતમી મળી છે, તો આપણે એ જગ્યાએ બાબરી મસ્જીદ ન બનાવવી જોઈએ, એમ કરવાથી રામભક્તોનું દિલ એટલું જ ઘવાય જેટલું અલ્લાહના બંદાઓનું મસ્જીદ તોડવાથી ઘવાય’ એમ વિચારાયું હોત તો વાત એટલેથી પૂરી થઈ હોત. અને જો એ પ્રજાએ શાણપણ ન બતાવ્યું તો રામભક્તોએ ‘અમને જેટલી પીડા રામ મંદિરના ધ્વસ્ત થવાથી થઈ તેવી જ પીડા મસ્જીદ ભાંગવાથી મુસ્લિમ લોકોને થાય, તો એવું શા સારું કરવું?’ એવું વિચાર્યું હોત તો આજની સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ ન થઈ હોત. હજુ સમય છે એક બીજાની દ્રષ્ટિથી જોવાનો, બહુ મોડું નથી થયું.
એક દોહો યાદ આવે છે, “ગો ધન ગજ ધન બાજી ધન, ઔર રતન ધન ખાન; જબ આવત સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન”. જયારે આ દોહાની શીખ સમજીશું ત્યારે મૂડીવાદનું આંધળું અનુકરણ કરીને માનવ વિકાસ અને તેની માનસિક સુખાકારીને હોડમાં મૂકી અતિ ઔદ્યોગિકરણની દિશામાં નહીં દોડીએ. ત્યારે ગામડાં ગાળીને શહેરો નહીં બનાવીએ. ત્યારે માનવ મૂલ્યોને બજારુ વૃત્તિને ત્રાજવે નહીં તોળીએ.
“હું માનવી માનવ થાઉં તો ઘણું” એવી મહેચ્છા રાખનારાઓ ‘તમારે ઘેર પાછા જાઓ’ તેમ નહીં કહે કેમ કે એ વલણ માનવને શોભે તેવું નથી. જો એમ જ કરવું હોય તો દક્ષિણ ભારતમાં રહેતા મોટા ભાગના લોકોના વડવાઓએ 50 હજાર વર્ષ પહેલાં આફ્રિકા ખંડથી આવીને ભારતના દક્ષિણ તટે વસાહત ઊભી કરેલી. તેમણે આફ્રિકા પાછા જવું રહ્યું અને ગુજરાતીઓ મૂળે તો પર્શિયાના, પણ વીસેક હજાર વર્ષ પહેલાં ઈરાન થઈ ગુજરાતના કાંઠે આવી વસ્યા, તો તેમને ઈરાન થઈ પર્શિયા જવાનું કહી શકાય.
“સબ ભૂમિ ગોપાલકી” એવું અનુભવતા થઈશું ત્યારે દરેક માનવી પોતાના રહેણાકના દેશને, તેના લોકને અને સંસ્કૃિતને પોતીકી ગણશે અને તેને સંપૂર્ણપણે વફાદાર રહેશે.
“માનવ સેવા એ જ પ્રભુસેવા” એવું માનવામાં એક પણ ધર્મ બાકાત નહીં હોય. જ્યારે એ કથનને અમલમાં મુકતા થઈશું ત્યારે પોતાના જ દેશમાં રાજકીય કે ધાર્મિક ઉથલપાથલ ન થાય તેની તકેદારી રખાશે અને અન્ય દેશના અસંતુલિત રાજકારણનો ભોગ બનેલ પ્રજા જયારે શરણાર્થી તરીકે હાથ લંબાવશે ત્યારે આપણે તેમની બાંહ્ય પ્રેમથી સહીશું અને એક રોટલો હશે તો તેમાંથી અર્ધો તેમને આપીશું.
“શીરા માટે શ્રાવક ન થવાય” એ બહુ સૂચક વાક્ય છે, જેનો મતલબ સમજીશું ત્યારે અનામત તરીકેના લાભ મેળવવા પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ અંગીકાર કરવાનું વિચારી પણ નહીં શકીએ.
“We are worshipers of ideal, not idols or individuals” એ વાતને પચાવીશું તો કુલ 2989 કરોડ રૂપિયા ખર્ચીને સરદારનું બાવલું બનાવવાનો નિર્ણય ફેરવીશું કેમ કે ભારતની એકતા શું કરવાથી સ્થપાય અને ટકે તેની જાણ સહુને છે તેથી એકતાના પ્રતિક તરીકે બાવલાની નિરર્થકતા સાબિત કરવાની જરૂર નથી રહેતી. વળી તે માટે જરૂરી લોખંડમાંથી કેટકેટલા લોકોપયોગી સાધનો બની શકે તે સહુ જાણતા હશે તેથી એ પ્રકલ્પ અહીં પડતો મુકવામાં આવશે.
આ વાંચનાર કદાચ કહેશે, આવાં દિવાસ્વપ્નો સેવવાથી કંઈ ન વળે. દુનિયા એમ ન બદલે. જરા ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવશે કે તમામ ઉપદેશાત્મક સૂત્રો અને કહેવતો સમજવામાં સાવ સરળ છે, અંતર માત્ર તેનો અમલ કરવામાં અને તેના વિષે વાત કરવામાં છે. માનવ જાતની ઉંમર એટલી થઈ છે કે તેને અહેસાસ થવો રહ્યો કે હવે પોથી માંયલા રીંગણને જાતે રાંધીને ખાધા-ખવડાવવા સિવાય કોઈ ઉધ્ધાર નથી. ધાર્મિક પુસ્તકોનાં અવતરણોને મંદિરમાં મૂકી રાખવાનો, મહાપુરુષોના ઉપદેશને અભેરાઈ પર ચડાવી દેવાનો અને સમાજના આદર્શોને ‘એ તો આદર્શો છે, વ્યવહારમાં શે મુકાય?’ એવા બહાના બનાવવાનો સમય પૂરો થયો છે, હવે તો જે વાંચો, સાંભળો કે જાણો તે અમલમાં કેવી રીતે મૂકી શકાય, તેમાં આવતાં વિઘ્નો દૂર કેમ કરાય તે જ વિચારવાનો અને આચરવાનો સમય આવ્યો છે કેમ કે રેતીમાં મોં સંતાડીને ઉપર ઉલ્લેખી તે એક પણ સ્થિતિનો તોડ નથી કાઢયો, હવે સિદ્ધાંતો અને આદર્શોને પૃથ્વી પર અવતાર આપવા અને રોજીંદા જીવનમાં અમલી બનાવવા ભગીરથ પ્રયત્ન આદરવો એ જ એક વિકલ્પ રહ્યો છે. ઈશ્વર સહુને કર્તવ્ય પ્રતિબદ્ધ થવા શક્તિ આપે.
e.mail : 71abuch@gmail.com