Opinion Magazine
Number of visits: 9552590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુતોમુની સ્ટોરી : રામ રાખે તેને કોણ ચાખે

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|9 August 2015

આજથી બરાબર ૭૦ વર્ષ પહેલાં જાપાનમાં જ્યારે એક પછી એક બે શહેરો પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવ જાતે જે વિનાશ જોયો હતો તે આજે પણ ભુલાયો નથી. આશરે ૨,૫૦,૦૦૦ને એક ક્ષણમાં મોતના મુખમાં ધકેલનારા આ બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી એક વ્યક્તિ બચી ગઈ હતી, જેનું નામ છે – સુતોમુ યામાગુચી.

સુતોમુને જાપાન સરકાર દ્વારા સત્તાવાર રીતે બે બે પરમાણુ હુમલામાંથી બચી જનારા એક માત્ર અસરગ્રસ્ત તરીકે જાહેર કરાયા હતા. ૨૦૧૦ની સાલમાં ૯૩ વર્ષની વયે લાંબું આયુષ્ય ભોગવીને સુતોમુનું નિધન થયું ત્યારે નાગાસાકીના મેયરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહેલું, એક મૂલ્યવાન વાર્તા કહેનાર અમે ગુમાવ્યા છે. દુનિયાના સર્વપ્રથમ પરમાણુ હુમલાને નજરે નિહાળનારા સુતોમુ પરમાણુ શસ્ત્રોની વિનાશકતાને એટલી સચોટ રીતે વર્ણવતા કે પરમાણુ શસ્ત્રો પર રીતસર નફરત થઈ જાય.

સુતોમુની આખી સ્ટોરી જોઈએ તો ૧૬ માર્ચ, ૧૯૧૬ના રોજ નાગાસાકીમાં જ તેમનો જન્મ થયો હતો. સુતોમુ ભણીગણીને એન્જિનિયર બનેલા. તેઓ પરમાણુ હુમલાનો ભોગ બન્યા ત્યારે મિત્સુિબશી હેવી ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે જ નોકરી કરતા હતા. નાગાસાકીના રહેવાસી એવા સુતોમુ કંપનીના કામસર જ હિરોશિમા ગયા હતા. હિરોશિમામાં તેઓ ત્રણ મહિના રોકાયા હતા અને બરાબર છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ તેઓ પોતાના બે સાથી કર્મચારી સાથે નાગાસાકી જવા નીકળ્યા હતા. તેઓ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ સુતોમુને યાદ આવ્યું કે તેઓ ઓળખ કાર્ડ તો કંપનીની ઓફિસમાં ભૂલી આવ્યા છે. સાથીઓને જવા દઈને પોતે પાછા ફર્યા અને બરાબર એ જ વખતે હિરોશિમા પર અમેરિકા દ્વારા ઝીંકાયો લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ અને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં જીવતું જાગતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું.

સુતોમુ નજરે નિહાળેલી પરમાણુ વિસ્ફોટની એ ઘટના વિશે કહેતા કે તેઓ પોતાના મિત્રોને રવાના કરીને ઓફિસ તરફ પાછા ફર્યા ત્યારે તેમણે શહેરના આકાશ પર એક વિમાન ઊડતું જોયું. બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિરોશિમા ઉપર યુદ્ધવિમાનોનું ઊડવું સ્વાભાવિક હતું. સુતોમુએ વિમાનમાંથી પેરાશૂટ નીચે આવતાં જોયાં અને આંખ મટકું મારે ત્યાં સુધીમાં તો તેમણે આંખો આંજી નાખે એવો ધડાકાભેર મોટો ભડકો જોયો અને પછી કાળા ધુમાડાનો મોટો ગોળો ઉછળ્યો. જાણે સળગતો સૂરજ ઉપરથી ધરતી પર પડયો હોય એવું લાગેલું. શહેરની વચ્ચોવચ્ચ ફેંકાયેલા બોમ્બના ત્રણેક કિલોમીટરના ઘેરાવામાં રહેલા સુતોમુનું ઉપરનું અરધું શરીર દાઝી ગયું. માથાના તમામ વાળ બળી ગયા હતા. પરમાણુ બોમ્બની જ્વાળા જોવાને કારણે તેમની આંખે થોડાક કલાકો માટે અંધાપો આવી ગયેલો અને ધડાકાના અવાજને કારણે એક કાનનો પડદો ફાટી ગયો હતો.

એ દિવસે હિરોશિમામાં ૮૦,૦૦૦ લોકો ઓન ધ સ્પોટ મરણને શરણ થયેલા અને રેડિયેશનની અસરને કારણે માત્ર એક મહિનાના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવેલો. ખરા અર્થમાં 'મરદ' એવા સુતોમુ ઘાયલ હોવા છતાં હિંમત નહોતા હાર્યા અને બીજા જ દિવસે પોતાના શહેર નાગાસાકી જવા નીકળી ગયેલા.

નાગાસાકી જઈને તેઓ ૯મી તારીખે તો કંપનીની ઓફિસે પણ પહોંચી ગયેલા. તેઓ ઓફિસમાં પોતાના ઉપરી અધિકારી સાથે હિરોશિમાના પરમાણુ હુમલા અને સર્જાયેલા વિનાશની વાત જ કરતા હતા કે નાગાસાકી પર અમેરિકા દ્વારા ફેટ મેન નામનો બીજો પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો. આ ઘટના અંગે સુતોમુ કહેતા કે મને તો લાગ્યું કે મશરૂમ આકારનો ગોળો હિરોશિમાથી છેક મારી પાછળ પાછળ અહીં પણ આવી પહોંચ્યો. હું જાણે કોઈ નરકમાંથી પસાર થઈ રહ્યો હોય એવો નાગાસાકીનો માહોલ હતો. નાગાસાકીમાં ૭૦,૦૦૦ લોકો માર્યા ગયેલા પણ સુતોમુ બીજી વખત પણ બચી ગયા.

સુતોમુએ પોતાના અનુભવ અંગે પુસ્તક લખેલું છે. પરમાણુ બોમ્બની પીડા અંગે તેમણે અનેક કાવ્યો પણ રચ્યાં હતાં. સુતોમુ આજીવન, પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે, મથતા રહેલા. સુતોમુ કહેતાં કે "બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી મારા ચમત્કારિક બચાવ પછી મારી જવાબદારી બને છે કે દુનિયાના લોકો સુધી સાચી વાત પહોંચાડું."

પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે તેઓ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી." સુતોમુને લકીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ગણવામાં આવે છે, જો કે તેઓ ખુદને જરા ય ભાગ્યશાળી માનતા નહોતા, કારણ કે તેમણે પોતાની નજરે લાખો લોકોને મોતના મુખમાં ધકેલાતા જોયા હતા. બુદ્ધ ધર્મ પાળતા સુતોમુનું સપનું હતું – પરમાણુ શસ્ત્રો-મુક્ત વિશ્વ. સુતોમુનું સપનું સાકાર નહીં થાય અને ફરી પરમાણુ શસ્ત્રો વપરાશે તો સુતોમુ જેવું ભાગ્ય કોની પાસે હશે?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’નામ લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 અૉગસ્ટ 2015

Loading

ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી, એક તુલના : જે કોઈ નિર્ણાયક ફરક છે એ આઇડિયા ઑફ ઇન્ડિયાના સ્વીકાર અને અસ્વીકારનો છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|9 August 2015

અસ્વીકાર – ડિનાયલ એ મોટો પડકાર છે. જનસાધારણમાં સ્વીકૃત બને એવો વિકલ્પ તમારી પાસે ન હોય અથવા તો તમારો વિકલ્પ વ્યાપક સ્વીકાર પામતો ન હોય ત્યારે સ્વીકૃત માર્ગને નકારવો એમાં જોખમ છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આ કરી રહ્યાં છે. મૂળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાજા રામમોહન રૉયથી લઈને વિનોબા ભાવે સુધીના યુગમાં વિકસેલા અને ભારતના બંધારણમાં સ્વીકાર પામેલા આઇડિયા ઑફ ઇન્ડિયા સ્વીકાર્ય નથી

ભારતનો આઝાદીનો દિવસ ૧૫ ઑગસ્ટ નજીક આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી બીજી વાર લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે અને દેશને સંબોધશે. તેમની મન કી બાતની માફક ઑડિયન્સ વિના નહીં, સામે મોટી સંખ્યામાં જનમેદની બેઠી હશે. VIP એન્ક્લેવ્ઝમાં તેમના પોતાના પક્ષના નેતાઓ, સાથી પક્ષોના નેતાઓ અને વિરોધ પક્ષના નેતાઓ બેઠા હશે જેમની સાથે ચર્ચામાં ઊતરવાનું નરેન્દ્ર મોદી ટાળે છે. આ ઉપરાંત અનેક દેશોના રાજપુરુષો હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આખા દેશની નજર તેઓ શું કહે છે એ વાત પર હશે. શું થાય! જવાહરલાલ નેહરુ આવી પરંપરા શરૂ કરીને ગયા છે જે તોડવી મુશ્કેલ છે. આમ પણ નેહરુ પાસે કહેવા માટે ઘણું હતું. ગાંધીજીના સમગ્ર સાહિત્ય(કલેક્ટેડ વર્ક્સ)ના સો ગ્રંથ બહાર પડ્યા છે તો જવાહરલાલ નેહરુના પસંદ કરવામાં આવેલાં લેખો, પત્રો અને ભાષણો(સિલેક્ટેડ વર્ક્સ)ના બે સિરીઝમાં મળીને અત્યાર સુધીમાં ૪૬ ગ્રંથ પ્રકાશિત થયા છે અને હજી બીજા થઈ રહ્યા છે.

ગયા વર્ષમાં અને આ વર્ષમાં ફરક એ છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે પ્રતિષ્ઠાના સંકટનો સામનો કરી રહ્યા છે. આવું સંકટ ગયા વર્ષે તેમની સામે નહોતું, કારણ કે ત્યારે વડા પ્રધાન થયે માંડ ત્રણ મહિના થયા હતા. જૂના ભાડૂતે ખાલી કરેલા અને નરેન્દ્ર મોદીના કહેવા મુજબ ધૂળધાણી કરેલા ઘરને પાછું વસાવવાનું હતું. એમ તો જો કે ધૂળધાણી થયેલા ઘરને પાછું વસાવવાની નવા વડા પ્રધાનની શું યોજના છે એ જાણવા દેશ અને દુનિયા ગયા વર્ષે પણ તત્પર હતાં, પરંતુ એમાં નિરાશા સાંપડી હતી. હશે તૈયારીઓ ચાલતી હશે, કેટલીક યોજનાઓ કાચી હશે એટલે વખત આવ્યે વડા પ્રધાન રૂપરેખા માંડશે એમ સમજીને એ નિરાશાને ખંખેરી નાખવામાં આવી હતી. ગયા વર્ષના વડા પ્રધાનના પ્રવચનને લાલ કૃષ્ણ અડવાણીએ છોટી છોટી બાતેં તરીકે ઓળખાવ્યું હતું.

વડા પ્રધાને એકમાત્ર મહત્ત્વની જાહેરાત આયોજન પંચને વિખેરી નાખવાની કરી હતી. તેમના સમર્થકોને એમ લાગ્યું હતું કે જ્યારે સાત દાયકા જૂની સંસ્થાને વિખેરી નાખવામાં આવી છે તો જરૂર કોઈ અસાધારણ વિકલ્પ વડા પ્રધાનના મનમાં હોવો જોઈએ. વિરોધીઓને એમ લાગતું હતું કે વિકલ્પ વિચાર્યા વિના વ્યવસ્થા સાથે ચેડાં કરવાં એ નાદાની છે. આવડી મોટી સંસ્થાને હાથ લગાડતાં પહેલાં વડા પ્રધાન પાસે વિકલ્પ હોવો જ જોઈએ અને જો છે તો જાહેર થવો જ જોઈએ. એનો કોઈક વિકલ્પ શોધી કાઢીશું એમ સમજીને જો આયોજન પંચને વિખેરી નાખવામાં આવ્યું હોય તો એ દુસ્સાહસ જ કહેવાય. વિકલ્પે નીતિ આયોગની રચના કરવામાં આવી છે જેની નથી પૂરી રચના થઈ કે નથી પગભર થયું.

આજે વડા પ્રધાન પ્રતિષ્ઠાના જેવા સંકટનો સામનો કરી રહ્યા છે એવા સંકટનો સામનો ઇન્દિરા ગાંધીએ તેઓ ૧૯૬૬માં પહેલી વાર વડાં પ્રધાન બન્યાં એ પછી શરૂઆતનાં વર્ષોમાં કર્યો હતો. ડૉ. રામ મનોહર લોહિયાએ ઇન્દિરા ગાંધીને ગૂંગી ગુડિયા તરીકે ઓળખાવ્યાં હતાં. વિરોધ પક્ષો અને કૉન્ગ્રેસમાંના તેમના વિરોધીઓ ઇન્દિરા ગાંધીને જવાહરલાલ નેહરુની દીકરી હોવાની એકમાત્ર લાયકાતના જોરે ના-લાયક પણ ધરાર (અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર) બની બેઠેલાં વડાં પ્રધાન તરીકે ઓળખાવતાં હતાં. પ્રજા ઇન્દિરા ગાંધીની સાથે છે કે નહીં એ તો સામાન્ય ચૂંટણી યોજાય એ પછી નક્કી થવાનું હતું. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં સામાન્ય ચૂંટણી યોજાઈ જેમાં કૉન્ગ્રેસની બેઠકોમાં ખાસ્સો ઘટાડો થયો હતો. બસ! ઇન્દિરા ગાંધી ના-લાયક પણ પરાણે બની બેઠેલાં વડાં પ્રધાન છે એ સિદ્ધ થઈ ગયું. ઇન્દિરા ગાંધીને વધેરી નાખવાની વિરોધ પક્ષોએ અને વિરોધ પક્ષો કરતાં પણ વધુ તો કૉન્ગ્રેસમાંના તેમના વિરોધીઓ તૈયારી શરૂ કરવા લાગ્યા હતા.

ઇન્દિરા ગાંધી સિવાય ભારતના બીજા કોઈ વડા પ્રધાને શરૂઆતનાં વર્ષોમાં પ્રતિષ્ઠાના સંકટનો સામનો કરવો નહોતો પડ્યો. નરેન્દ્ર મોદી આવા બીજા વડા પ્રધાન છે. આનું કારણ એ છે કે ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી બે જ એવા વડા પ્રધાન છે જેમના પર ના-લાયક અને ધરાર (અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર) બની બેઠેલા વડા પ્રધાનનું લેબલ ચોડવામાં આવ્યું હતું. ઇન્દિરા ગાંધી બાપના વારસાના જોરે વડાં પ્રધાન બન્યાં હતાં તો નરેન્દ્ર મોદી માર્કેટિંગના જોરે વડા પ્રધાન બન્યા હતા. બાકીના વડા પ્રધાનો કાં અપેક્ષિત વડા પ્રધાનો હતા અને જો ચરણ સિંહ કે દેવ ગૌડા જેવા અનપેક્ષિત હતા તો તેમની પાસેથી બહુ અપેક્ષા નહોતી. અપેક્ષિત નેતા સામે અને અપેક્ષા વિનાના નેતા સામે પોતાની જાતને સાબિત કરવાનો પડકાર નથી હોતો. વિશ્વદેશોમાંથી તાજેતરના ઇતિહાસનું આવું ઉદાહરણ જોઈતું હોય તો સૌથી બોલકું ઉદાહરણ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગનનું આપી શકાય. તેમને પણ ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીની માફક અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર પ્રમુખ માનવામાં આવતા હતા.

લોકોના આશ્ચર્ય વચ્ચે માત્ર દોઢ વર્ષમાં ઇન્દિરા ગાંધીએ બાજી પલટી નાખી હતી. જે લોકો ઇન્દિરા ગાંધીને વધેરવાની તૈયાર કરતા હતા તેઓ જ વધેરાઈ ગયા હતા. જે ઇન્દિરા ગાંધી કરી શક્યાં એ નરેન્દ્ર મોદી કરી શકશે? ઇન્દિરા ગાંધીની તુલનામાં નરેન્દ્ર મોદી પાસે અનુકૂળતા વધુ છે. કૉન્ગ્રેસની અંદર ઇન્દિરા ગાંધીનો વિરોધ કરનારા જાયન્ટ હતા, જ્યારે નરેન્દ્ર મોદી સામે પક્ષની અંદરથી કોઈ પડકાર જ નથી. ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બન્યાં એ પહેલાં સત્તાકીય રાજકારણનો ખાસ અનુભવ નહોતો, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો બાર વર્ષનો અનુભવ ધરાવે છે. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં ત્યારે ન્યાયતંત્ર અત્યંત શક્તિશાળી હતું, જ્યારે આજે ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ઝાંખી પડેલી છે. ભારતના અર્થતંત્રની સ્થિતિ ૧૯૬૬ની તુલનામાં આજે સારી છે. આમ અનુકૂળતાઓ નરેન્દ્ર મોદીના પક્ષે વધુ છે.

બે વચ્ચે જે મોટો ફરક છે એ અપેક્ષાનો છે. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન પહેલાં બન્યાં હતાં અને એ પછી ૧૯૬૭માં સામાન્ય ચૂંટણીમાં લોકોની વચ્ચે માન્યતા મેળવવા ગયાં હતાં. એ માન્યતા પણ કોઈ શાનદાર નહોતી. માંડ-માંડ કૉન્ગ્રેસને લોકસભામાં બહુમતી મળી હતી અને કેટલાંક રાજ્યોની વિધાનસભાઓમાં પરાજય થયો હતો. ઇન્દિરા ગાંધીથી ઊલટું નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે જઈને, લોકોની માન્યતા મેળવીને શાનદાર વિજય સાથે વડા પ્રધાન બન્યા છે. ઇન્દિરા ગાંધી લોકોની વચ્ચે ગયા વિના વારસાના જોરે વડાં પ્રધાન બની ગયાં એટલે લોકોની કે બુદ્ધિજીવીઓની એમ કોઈની તેમની પાસે અપેક્ષા નહોતી. લગભગ દરેકને એમ લાગતું હતું કે ઇન્દિરા ગાંધી નિષ્ફળ નીવડશે. તેમનાથી ઊલટું નરેન્દ્ર મોદીની બાબતમાં જનતાને ખાતરી હતી કે નરેન્દ્ર મોદી સફળ નીવડશે જ, જ્યારે બુદ્ધિજીવીઓ સાશંક હતા. બુદ્ધિજીવીઓને એમ લાગતું હતું કે તેઓ ગુજરાતના વિકાસનું અતિશયોક્તિભર્યું શોકેસિંગ કરીને પોતાનું માર્કેટિંગ કરીને વડા પ્રધાન બન્યા છે, બાકી તેમની પાસે કોઈ વિઝન નથી. આ મોટો ફરક છે. ઇન્દિરા ગાંધી અનડિઝર્વિંગ ઍન્ડ યુઝર્પર વડાં પ્રધાન ગણાતાં હોવા છતાં પોતાની જાતને સાબિત કરવાનો બોજો તેમના માથા પર નહોતો, જ્યારે નરેન્દ્ર મોદી જનતાના આશાના મોજા પર અને બુદ્ધિજીવીઓની આશંકાઓ છતાં વડા પ્રધાન બન્યા હોવાના કારણે તેમના માથા પર પોતાની જાતને સાબિત કરવાનો બોજો છે. તેમણે જનતાને સાચી ઠેરવવાની હતી અને બુદ્ધિજીવીઓને ખોટા ઠરાવવાના હતા.

જેમની સામે પડકારો મોટા હતા, રાજકીય કદ નાનું હતું, પ્રતિકૂળતાઓ વધુ હતી, લોકોની કોઈ અપેક્ષા જ નહોતી એ ઇન્દિરા ગાંધી બાજી બદલી શક્યાં તો પછી નરેન્દ્ર મોદી દરેક પ્રકારની અનુકૂળતા હોવા છતાં કેમ બાજી બદલવાના સંકેત પણ આપી શકતા નથી? બાજી બદલાતાં વાર લાગે એ આપણે જાણીએ છીએ, પરંતુ સંકેત માટે સવા વર્ષ એ ઘણો લાંબો સમય કહેવાય. બાજી પલટાવાનો એક પણ સંકેત સવા વર્ષમાં મળ્યો નથી. બીજી બાજુ ઇન્દિરા ગાંધી પાસે એવું શું હતું કે તેઓ પોતાની જાતને પુરવાર કરી શક્યાં? દૃઢ મનોબળ, મહત્ત્વાકાંક્ષા, અથાક શક્તિ, રાજકીય મુત્સદ્દીગીરી, રાજકીય નિર્દયતા, એકાધિકારશાહી વલણ બન્નેમાં એકસરખાં છે. આમાં ઇન્દિરા ગાંધી ચડે કે નરેન્દ્ર મોદી એ પ્રશ્નનો જવાબ આપતાં માથું ખંજવાળવું પડે. તો એવું શું છે કે ઇન્દિરા ગાંધી જે કરી શક્યાં એ નરેન્દ્ર મોદી કરી શકશે કે એમ એ વિશે કોઈ પૉઝિટિવ સંકેત મળતા નથી?

જે ફરક છે એ બહુ મોટો ફરક છે અને મારી વાચકોને વિનંતી છે એ ફરકને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરે. ઇન્દિરા ગાંધીએ દેશમાન્ય અને બંધારણમાન્ય આઇડિયા ઑફ ઇન્ડિયાનો અસ્વીકાર નહોતો કર્યો. સર્વસમાવેશક, મધ્યમમાર્ગી, સહિષ્ણુ, લોકતાંત્રિક, સમાનતા આધારિત, ન્યાયી, તટસ્થ, સેક્યુલર ભારતની કલ્પના સામે ઇન્દિરા ગાંધીને કોઈ વાંધો નહોતો. આવી કલ્પનાના ભારતને દેશે સો-સવાસો વર્ષના મનોમંથન પછી સ્વીકૃતિ આપી હતી અને બંધારણસભાએ એને રાજકીય સ્વરૂપ આપ્યું હતું. ઇન્દિરા ગાંધી પાસે નરેન્દ્ર મોદી જેવી જ નેતૃત્વની અપાર શક્તિ હતી જે તેમણે વાપરી હતી અને તેઓ પોતાની જાતને સાબિત કરી શક્યાં હતાં. નરેન્દ્ર મોદીની સમસ્યા આઇડિયા ઑફ ઇન્ડિયાના અસ્વીકારની છે.

અસ્વીકાર-ડિનાયલ એ મોટો પડકાર છે. જનસાધારણમાં સ્વીકૃત બને એવો વિકલ્પ તમારી પાસે ન હોય અથવા તો તમારો વિકલ્પ વ્યાપક સ્વીકાર પામતો ન હોય ત્યારે સ્વીકૃત માર્ગને નકારવો એમાં જોખમ છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આ કરી રહ્યાં છે. મૂળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાજા રામમોહન રૉયથી લઈને વિનોબા ભાવે સુધીના યુગમાં વિકસેલા અને ભારતના બંધારણમાં સ્વીકાર પામેલા આઇડિયા ઑફ ઇન્ડિયા સ્વીકાર્ય નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને હિન્દુ રાષ્ટ્ર જોઈએ છે જે સંઘે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અનેક વખત કહ્યું છે. બંધારણમાં કરવામાં આવેલી ભારતની કલ્પના એક જમાનામાં સામ્યવાદીઓને પણ સ્વીકાર્ય નહોતી. સામ્યવાદીઓએ પોતાની કલ્પનાના ભારતનું ચિત્ર તૈયાર કર્યું હતું જેને ભારતની પ્રજાએ સ્વીકાર્યું નહોતું. હવે નક્સલવાદીઓને છોડીને બાકીના ભારતીય સામ્યવાદીઓએ બંધારણની કલ્પનાના ભારતને સ્વીકારી લીધું છે.

સામ્યવાદીઓની જેમ કે બીજા કોઈ પણ માણસ કે જૂથની જેમ હિન્દુત્વવાદીઓને પણ રાજા રામમોહન રૉયથી વિનોબાના યુગ દરમ્યાન વિકસેલા અને બંધારણમાં સ્વીકાર પામેલા આઇડિયા ઑફ ઇન્ડિયાને નકારવાનો અધિકાર છે. સવાલ એ છે કે કેવળ નકારવાથી ચાલવાનું નથી. જો નકારવું હોય તો વિકલ્પ આપવો જોઈએ અને વિકલ્પનો પ્રજા પાસે સ્વીકાર કરાવવો જોઈએ.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-09082015-11

Loading

સ્વાધ્યાય અને સંઘર્ષનો ગુણાકાર઼ એટલે સનત મહેતા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|8 August 2015

સ્વાધ્યાય અને સંઘર્ષનો ગુણાકાર઼ એટલે સનત મહેતા

સનત મહેતાની ઓળખાણ ‘વિકાસ માટે રાજકારણ’ અને ‘ગરીબો માટે અર્થકારણ’ એવી રીતે પણ આપી શકાય

ભરરાજકારણે પણ મોકો મળે તો હાર્વર્ડ સ્કૂલમાં ભણું, એથી હેઠ કંઈ નહીં એવી જિદ સાથે વિશ્વપ્રવાહોનો તાગ મેળવવો પસંદ કરે એવી એક સ્વતંત્રતા-સૈનિક એટલી જ સમાજવાદી કહેતાં વિકાસકર્મી ગુજરાત પ્રતિભા તો એ કે'દીના હતા જ : વિશ્વ ગુજરાત સમાજ આજે એમને ‘ગુજરાત પ્રતિભા’ લેખે પોંખે છે એ તો નેવું નાબાદ સનત મહેતાના કિસ્સામાં એક ઔપચારિકતા માત્ર છે. અલબત્ત, એક એવી ઔપચારિકતા જેનાથી સન્માન અને સન્માનિત બેઉ સાર્થકપણે શોભી ઊઠે. 

બને કે યોજકોએ કદાચ શનિવારની કે એવી કોઈ સગવડ જોઈ હશે, પણ તારીખનો જે જોગાનુજોગ બની આવ્યો છે એય મજાનો છે : 1956ની એ આઠમી ઓગસ્ટ જ તો હતી, જ્યારે મહાગુજરાત આંદોલનનો સૂત્રપાત થયો હતો અને આંદોલનના અવાજ લેખે જૈફ ઇન્દુલાલની વાંસોવાંસ એક યુવા અવાજ, નામે સનત મહેતા, ગુજરાતના જાહેર જીવનના મંચ પર છવાઈ ગયો હતો. હાર્વર્ડ સ્કૂલ અને મહાગુજરાત આંદોલન, સ્વાધ્યાય અને સંઘર્ષ, બેઉનું સાથે લગું સ્મરણ એક રીતે સનત મહેતાનું આખું વ્યક્તિત્વ સુરેખપણે ઉપસાવી આપે છે. વિદ્યાર્થી કાર્યકર તરીકે સન બયાલીસ બાદ ઉભરેલા સનતભાઈનો બાયોડેટા છે પણ ખાસ્સો મજબૂત. બબ્બે વાર રાજ્યના મંત્રીમંડળ પર હોવું, એકાધિક વિધાનગૃહો ગજાવવાં, લોકસભે ઝળકવું, નર્મદા નિગમનું અધ્યક્ષીય સુકાન સંભાળવું. જો કે કોઈ હોદ્દાકીય ઓળખના ખાનામાં એમને નાખવા સહેલ નથી. અને માત્ર આવી ઓળખે જ ખતવાતું હોય તો સનત મહેતાને નિમિત્ત કરીને કોલમકારી હંકારવાનો ય મતલબ નથી.

કદાચ (અગર, કાશ) એ મુખ્યમંત્રી થઈ શક્યા હોત … હયાતીમાં જ શોકપ્રશસ્તિ જેવી તરજ પર એમને વિશે વાત કરવી પણ હું પસંદ ન કરું. 1975ના જૂનની 25મી સરખી જળથાળ રેખા પછી પણ ‘તમે કોંગ્રેસમાં કેમ હતા’ એવી પૃચ્છા લગભગ ટોણાની ઢબે ક્યારેક કરી હોત – અને એમાં કશું ખોટું પણ નહોતું – પરંતુ આજે આ નેવું નાબાદ શખ્સિયતને જરી જુદેસર જોવા મૂલવવાનો અને એ રીતે એમની સન્માનાર્હતાને સમજવાનો ખયાલ છે. ગાંધીનો સાચો વારસ કોણ એ પ્રશ્નના ઉત્તરમાં સનતભાઈ જયપ્રકાશમાં લાંગરતા રહ્યા છે એમાં એમની પોતાની કાર્યભૂમિકાને સમજવાની એક ચાવી રહેલી છે.

સ્વરાજ પછી સમાજવાદીઓએ વિકલ્પની રાજનીતિના ધોરણે વિચાર્યું, અને હાથમાં હોઈ શકતી સત્તાથી કંઈક પરહેજ કરીને ચાલ્યા. સમાજવાદની એમની સમજમાં જો માર્કસનું યોગદાન હતું તો ગાંધીની સુષમા પણ કમ નહોતી.

સત્તાપ્રતિષ્ઠાન સાથે કામ પાડતી વેળાએ એમનાં વૈચારિક વલણો સ્વાતંત્રતાની લડતે સિંચિત અને ગાંધીમાર્કસે સંમાર્જિત રહ્યાં. હવે જાહેર જીવનના સહેજે સાત દાયકે, ચોક્કસ પક્ષમાળખા બહાર સનત મહેતાની ઓળખાણ એમના પોતાના શબ્દોમાં ‘વિકાસ માટે રાજકારણ’ અને ‘ગરીબો માટે અર્થકારણ’ એવી પણ આપી શકાય. સનતભાઈ જે તે પ્રશ્નોને જે રીતે તપાસતા અને યથાપ્રસંગ ઉપાડતા જણાય છે તેમાં તેમને એની ઝલક મળશે. વિદર્ભમાં એક મહિનામાં 125 ખેડૂતોની આત્મહત્યા એ અ‌વશ્ય હેડિંગહાહાકાર ઘટના છે. પણ આપણા ચરિત્રનાયક મથાળે અગર કેવળ સંવેદનકથાએ નહીં અટકતાં ભીતર અને આરપાર જશે. કિસાનને સારુ ધિરાણના સવાલો, કપાસના ખરીદવેચાણના પ્રશ્નો, દેશની કૃષિનીતિની મર્યાદાઓ – તમને વૈચારિક એટલો જ નીતિવિષયક એક સમગ્ર અભિગમ એમની લેખનચર્યામાંથી મળશે.

ખરું જોતાં કોઈ પણ પ્રકારની જાહેર બહસ અને દિલખુલાસ તપાસ વગર દેશ જે રીતે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના દોરમાં પ્રવેશ્યો છે તે જોતાં આવી સતત ચિંતા અને નિસબતની જરૂરત છે. છેલ્લાં વર્ષોના એમના લેખો કે મહુવા આંદોલનમાં કલસરિયા સાથે સીધી સંડોવણી અને માર્ગદર્શન જેવી સક્રિયતા, આ બધું ધ્યાનથી જોઈએ તો જણાશે કે વૈશ્વિકીકરણની વાસ્તવિકતા પકડીને ગરીબ માણસની ચિંતાયુક્ત આર્થિક વિચારણા અને નીતિઘડતરનું કંઈકે વલણ હાલ ગુજરાતને તખતે એમનું એમ છે. લંડન ઇકોનોમિસ્ટે જેનામાં ‘ધ અધર ગવર્નમેન્ટ ઇન બાંગલાદેશ’નું વિત્ત જોયું તે યુનુસ અને એમની ગ્રામિણ ધિરાણ બેન્કથી ગુજરાતને પરિચિત કરાવવાનો એમનો ઉત્સાહ આ સંદર્ભમાં તરત સાંભરશે.

કોર્પોરેટ માહોલ વચ્ચે પૂર્વ પટ્ટીના આદિવાસીઓને કેન્દ્રમાં મૂકીને વિચારનારા કેટલા ઓછા લોકો હશે? વડોદરાના કવાંટ તાલુકાના આંબાડુંગર પાસેના પહોડામાંથી ફ્લોસ્પાર નામનું ખનિજ નીકળ્યું. ગુજરાત રાજ્ય ખનિજ નિગમ (એ પણ સરકારી કોર્પોરેટ!) ફ્લોસ્પારના કારખાનામાંથી કરોડો કમાયું. એક સનત મહેતાએ પૂછ્યું કે આ વિકાસનો રેલો પેલા કારખાનાની સાવ નજીક આવેલા આંબાડુંગર ગામ સુધી પણ ન પહોંચ્યો એવું કેમ. સહભાગી અને સંપોષિત વિકાસની નવી રાજનીતિ તેમ જ પરંપરાગત રાજકીય અર્થનીતિ વચ્ચે કડીરૂપ હોઈ શકતી એમની સમજ એમને બાકીના ઘણાથી જુદા તારવી આપે છે. એક રીતે, ઔદ્યોગિક ક્રાંતિના બીજા મોજા અને ટેકનોટ્રોનિક ક્રાંતિના ત્રીજા મોજાની સંક્રાન્તિ જાણનારા જૂજ લોકો પૈકી એ છે.

વાત એમ છે કે કોમવાદનો મુદ્દો બાદ રાખો તો રંગઢંગની રીતે કોંગ્રેસ અને ભાજપ એકબીજાનાં રાજકીય અડધિયાં પુરવાર થવાની જીવલગ હોડમાં પડેલાં છે. નવયુગી રાજકારણ માટે એ બંનેની પાત્રતા પ્રશ્નાર્થે ગ્રસ્ત છે. કટોકટી પછીના નવઉઘાડમાં જયપ્રકાશ નામે મેગા માહોલના મેળમાં આપણે ત્યાં ચાલુ રાજકારણની બહારથી ઊભરેલું પરિબળ એનજીઓનું હતું. રજની કોઠારી જેવાઓએ એક તબક્કે એમાંથી નવી રાજકીય પ્રક્રિયાઓ વાટે વિકલ્પ પ્રગટશે એવી આશા પણ સેવી હતી. ફંડિંગ સહિતનાં કારણવશ એનજીઓ પરિબળોએ રાજકીય પ્રક્રિયાઓથી સલામત અંતરનો વ્યૂહ લીધો. પણ એમનું ચોક્કસ અર્પણ હોઈ શકતું હતું તેને આત્મસાત્ કરવાની રગ જેમની કને હોઈ શકે એવા એક રાજકારણી સનતભાઈ છે. 

કેમ કે, એમની ઇનિંગ્ઝ હજુ, પૂરી નથી થઈ, દાવ લેતે લેતે અગર તે લેવાની રીતે જ હૃદયના હક્કથી જાહેર જાસાની પેઠે બે માંગ : જાહેર જીવનના સાત દાયકાના સંસ્મરણોની કથા ઝટ આપો! અને હા, વૈશ્વિકીકરણની દુર્નિવાર પ્રક્રિયા વચ્ચે ‘જોબલેસ ગ્રોથ’ અને હાંસિયામાં મુકાતાં આયખેઆયખાંને અનુલક્ષીને અપેક્ષિત અર્થનીતિ વિશે ગુજરાતને એક હાથપોથી આપો. બંને વાનાં ગુજરાતના હાલના વિમર્શભટકાવમાં કંઈક દુરસ્તીની શક્યતામાં પાથેયરૂપ બની રહેશે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 08 અૉગસ્ટ 2015

Loading

...102030...3,7113,7123,7133,714...3,7203,7303,740...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved