Opinion Magazine
Number of visits: 9691583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં સહિષ્ણુતા અને અસહિષ્ણુતા

રમેશ બી. શાહ|Opinion - Opinion|4 January 2016

ઍવૉર્ડવાપસીના પગલે દેશમાં ‘સહિષ્ણુતા’ શબ્દ લોકજીભે ચડી ગયો છે. વ્યાપક ચર્ચાનો મુદ્દો બનતા ખ્યાલો તેમના અર્થની એકવાક્યતા ગુમાવીને ચોકસાઈ ગુમાવેછે, તેથી જે હાલ સમાજવાદ અને બિનસંપ્રદાયિકતાના ખ્યાલોમાં થયા છે એ જ હાલ સહિષ્ણુતાના અને અસહિષ્ણુતાના ખ્યાલના થયા છે. દેશમાં સેક્યુલર શબ્દને જે રીતે મોટે ભાગે મુસ્લિમોના સંદર્ભમાં જ જોવામાં આવે છે તે જ રીતે સહિષ્ણુતાના પ્રશ્નને પણ મુખ્યત્વે મુસ્લિમોના સંદર્ભમાં જ જોવામાં આવે છે તે જ રીતે સહિષ્ણુતાના પ્રશ્નને પણ મુખ્યત્વે મુસ્લિમોના સંદર્ભમાં જ જોવામાં આવ્યો છે પણ સહિષ્ણુતાનો પ્રશ્ન કેવળ હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચેનો નથી, એ હિંદુઓ-હિંદુઓ વચ્ચેનો પણ છે. એ ઉપરાંત તેનું એક પાસું વૈચારિક સહિષ્ણુતાનું પણ છે, જે એટલું જ મહત્ત્વનું છે. સહિષ્ણુતાના આ વિસ્તૃત અર્થમાં આપણી હિંદુઓની એક પ્રજા તરીકેની સહિષ્ણુતા-અસહિષ્ણુતાનું સરવૈયું કાઢવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યો છે. આ ચર્ચામાં જે અર્થમાં સહિષ્ણુતા અને અસહિષ્ણુતાની ચર્ચા કરવામાં આવી છે, તે પ્રથમ સ્પષ્ટ કરીએ.

સહિષ્ણુતાના પાયામાં સમાનતાનું મૂલ્ય રહેલું છે. ભાષા, ધર્મ, પ્રદેશ, લિંગ અને ભારતમાં જ્ઞાતિ ઇત્યાદિના તફાવતો બાજુ પર રાખીને નાગરિકોનો સમાન ભાવે વિચાર કરીને તેમના અધિકારો સમાજના વિભિન્ન વર્ગો સ્વીકારે, તો તેઓ સહિષ્ણુ છે. એ વિભિન્નતાઓના આધાર પર તેમના પરત્વે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે તે અસહિષ્ણુતા છે. આમ, અસહિષ્ણુતા અને ભેદભાવભર્યું વર્તન એ એક સિક્કાની બે બાજુઓ છે. આ સંદર્ભમાં સહિષ્ણુતાનો આ અર્થ થશે : મને મારા વિચારો ધરાવવાનો અને વ્યક્ત કરવાનો તથા બીજાને હાનિ ન પહોંચે એ રીતે મારી પસંદગી અને વિચારણા પ્રમાણે જીવવાનો જેટલો અધિકાર છે, તેટલો જ બીજાઓને પણ છે; એ જો હું આચરણ દ્વારા સ્વીકારતો હોઉં તો હું સહિષ્ણુ છું. જો હું અન્યોનો આ અધિકાર ન સ્વીકારું તો હું અસહિષ્ણુ છું. સહિષ્ણુતાનો આ જ અર્થ વિવિધ સમુદાયો અને સંગઠનોને પણ લાગુ પડે છે.

પ્રજાકીય સહિષ્ણુતાની બાબતમાં બે અવલોકનો નોંધવાં જરૂરી છે. એક, વ્યક્તિઓ સમાજ બનાવીને જીવી શકે એ માટે સમાજના સભ્યોની વિશાળ બહુમતી સહિષ્ણુ હોય એ એક પૂર્વશરત છે, તેથી દુનિયાના લગભગ બધા જ દેશોમાં પ્રજાની વિશાળ બહુમતી સહિષ્ણુ જ હોય છે. મોટા ભાગના લોકોને પોતાના જીવનમાં રસ હોય છે. બીજાઓ જો તેમાં વિક્ષેપ ન કરતા હોય તો તેઓ બીજાના જીવનમાં દખલ કરવા જતા નથી. વૈવિધ્યની બાબતમાં ભારતમાં સમકક્ષ ગણાય એવા અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં અનેક દેશોના વિભિન્ન ધર્મો પાળતા અને જીવનશૈલી ધરાવતા લોકો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ધરાવે છે, તે એ દેશોના નાગરિકોની સહિષ્ણુતાનું સૂચક છે. આ દેશોમાં વિવિધ દેશોમાંથી આવેલા લોકો તેમનાં અર્થતંત્ર, શિક્ષણ અને રાજકારણમાં ગોઠવાઈ ગયા છે.

બીજું, મોટા ભાગના સમાજોમાં એક ખૂબ નાની લઘુમતી જ અસહિષ્ણુતા દાખવીને ઉપદ્રવ કરતી હોય છે. એના આત્યંતિક દાખલાઓમાં મુસ્લિમોનાં કેટલાંક કટ્ટરવાદી આતંકી જૂથો અને ભારતમાં નક્સલવાદીઓ છે. તેઓ પોતાની માન્યતાઓ બીજાઓ પર લાદવા માંગે છે અથવા બીજાઓના વિચારો અને જીવનશૈલી સહી શકતા નથી. આમ અસહિષ્ણુતા દાખવતા કિસ્સાઓ છૂટાછવાયા હોય છે. એના આધારે એમ ન કહી શકાય કે વિશાળ જનસમાજ સહિષ્ણુ હોઈ દેશમાં અસહિષ્ણુતાની કોઈ સમસ્યા જ નથી. આ તર્ક પ્રમાણે વિચારીએ તો દુનિયામાં આતંકવાદની કોઈ સમસ્યા નથી, કેમ કે દુનિયાના બહુ ઓછા દેશોમાં આતંકવાદી ઘટનાઓ ક્યારેક-ક્યારેક જ બને છે!

ઉપર્યુક્ત ચર્ચાના સંદર્ભમાં હિંદુઓમાં પ્રવર્તતી સહિષ્ણુતા અને અસહિષ્ણુતાનું વર્ણન હવે આપણે કરીશું. (આ વર્ણન છેલ્લાં દોઢ-બે વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓને બાજુ પર રાખીને કર્યું છે.) પ્રથમ, દેશની સહિષ્ણુતાનાં ઉદાહરણો લઈએ. ભારતમાં હિંદુઓની સાથે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જૈનો વગેરે અનેક ધર્મોના લોકો વસે છે અને પોતપોતાની રીતે જીવે છે. તેઓ તેમના ધાર્મિક અને સામાજિક પ્રસંગો ઊજવે છે. આ બધા સમુદાયો ઓછાવત્તા પ્રમાણમાં દેશની રાજકીય તેમ જ આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. સહિષ્ણુતાને દેશમાં મુસ્લિમોના સંદર્ભમાં તપાસવામાં આવતો હોવાથી આપણે મુસ્લિમોનાં ઉદાહરણ લઈશું. સિનેમાઉદ્યોગ અને ક્રિકેટમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોઈ ભેદભાવ જોવા મળતા નથી. ખાનત્રિપુટી પર આ દેશના લોકોએ તેમનો ધર્મ જોયા વિના પ્રેમ વરસાવ્યો છે. પ્રજાના રોજબરોજના જીવનમાં, ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં મુસ્લિમો પ્રત્યે કોઈ અસહિષ્ણુતા દાખવવામાં આવતી નથી. મુસ્લિમ વેપારીઓ પાસેથી હિંદુઓ માલ ખરીદે છે, મુસ્લિમોની રેસ્ટોરાંમાં હિંદુઓ છૂટથી જાય છે અને રિક્ષાચાલક મુસ્લિમ હોય તો પણ તેમાં બેસે છે. મોટી સંખ્યામાં હિંદુઓ કેટલીક દરગાહોમાં જાય છે અને મુસ્લિમો શક્ય હોય, ત્યાં નવરાત્રિના ગરબામાં સામેલ થતા હોય છે. મુસ્લિમો પણ હિંદુ વેપારીઓ, ડૉક્ટરો, વકીલો વગેરે પાસે જવામાં તેમના સંપ્રદાયનો વિચાર કરતા નથી. અંગત સંબંધો હોય ત્યાં એકબીજાના ત્યાં લગ્ન જેવા પ્રસંગોમાં હાજરી પણ આપતા હોય છે.

આની સામે હિંદુ-મુસ્લિમ વચ્ચે અસહિષ્ણુતાના દાખલાઓ પણ છે. હિંદુઓની સોસાયટીઓમાં મુસ્લિમને મકાન ભાડે કે વેચાતું મળવું અતિ મુશ્કેલ છે. ખાનગી ક્ષેત્રે હિંદુઓના ધંધા-ઉદ્યોગોમાં ઉજળિયાત નોકરીઓમાં મુસ્લિમોને અપવાદ રૂપે જ પસંદ કરવામાં આવે છે. હિંદુ છોકરી મુસ્લિમ યુવકને પરણે તે સહી લેવામાં આવતું નથી; પણ હિંદુ છોકરો મુસ્લિમ છોકરીને પરણે તે મોટે ભાગે અસ્વીકાર્ય બનતું નથી. આમ, એકંદરે હિંદુઓ અને મુસ્લિમોની મોટી બહુમતી વચ્ચે સહિષ્ણુતા પ્રવર્તે છે. પ્રસંગોપાત્ત બે કોમો વચ્ચે કોમી રમખાણોના સ્વરૂપે જે અસહિષ્ણુતા ઊપસી આવે છે તે એક નાની લઘુમતીને આભારી હોય છે. બંને કોમોમાં એકબીજાને ધિક્કારતી હોય એવી વ્યક્તિઓ અને એવાં સંગઠનો છે, જે અસહિષ્ણુતાની સમસ્યા સર્જે છે. આ બધાંનો ઉપયોગ રાજકીય હેતુઓ હાંસલ કરવા માટે રાજકારણીઓ દ્વારા નિષ્ઠુર રીતે થતો હોય છે.

હિંદુ-મુસ્લિમો વચ્ચે અસહિષ્ણુતાનો જે પ્રશ્ન છે, તેનાથી સહેજ ઓછો નહીં બલકે વધારે એવો પ્રશ્ન હિંદુઓમાં દલિતો અને અન્ય જ્ઞાતિઓ વચ્ચે છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી હજી અસ્પૃશ્યતા ગઈ નથી. ગામડાંઓમાં દલિતો મંદિરોમાં પ્રવેશી શકતા નથી; ગામડાંમાં હોટલોમાં ચાના કપ દલિતો માટે જુદા રાખવામાં આવે છે; દલિતોને મારઝૂડ કરવાનું અને તેમને મારી નાખવાનું સામાન્ય છે, દલિત છોકરો સવર્ણ જ્ઞાતિની છોકરીને પરણે તો તેણે તેની હત્યા માટે તૈયાર રહેવું પડે. દેશના ઘણા ગ્રામવિસ્તારોમાં દલિતો વરઘોડા કાઢી શકતા નથી.

નગર વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં અસ્પૃશ્યતા ગણનાપાત્ર રીતે ઘટવા પામી છે, પણ નામશેષ થઈ નથી. ખાનગી ક્ષેત્રે ઉજળિયાત નોકરીઓમાં દલિતો શોધવા પડે તેમ છે. એ જ રીતે ડૉક્ટર થતા દલિતો અપવાદ રૂપે જ ખાનગી પ્રૅક્ટિસ કરી શકે છે. કેમ કે તેઓને સવર્ણ દર્દીઓ મળવાની આશા નથી હોતી. સવર્ણોની સોસાયટીઓમાં દલિતો ભાગ્યે મકાન (ભાડે કે માલિકીનું) મેળવી શકે છે. સવર્ણોના દલિત મિત્રો હોય અને એકમેકના ઘરે જવાઆવવાનો સંબંધ હોય એવા દાખલા મળવા મુશ્કેલ છે. ટૂંકમાં, દલિતો પરત્વે સવર્ણ હિંદુ સમાજ વ્યાપક રીતે અસહિષ્ણુ છે.

જ્ઞાતિની ઉચ્ચાવચતા ગ્રામવિસ્તારો, ખાસ કરીને ઉત્તર ભારતના ગ્રામવિસ્તારોમાં હજી ઠીક-ઠીક પ્રમાણમાં પ્રવર્તે છે. ઉત્તરનાં જે રાજ્યોમાં ખાપ પંચાયતો સક્રિય છે, ત્યાં સવર્ણ જ્ઞાતિઓ વચ્ચે પણ ઉચ્ચનીચના ભેદ પાડીને છોકરાછોકરીનાં લગ્ન અટકાવવામાં આવે છે, અને ‘ઑનર કિલિંગ’ના બનાવો અવારનવાર બનતા રહે છે. અસહિષ્ણુતાની આ પરાકાષ્ટા છે.

સ્ત્રીઓની બાબતમાં ભેદભાવો એક વૈશ્વિક ઘટના છે, પરંતુ હિંદુ સમાજમાં ભ્રૂણહત્યાના સ્વરૂપે સ્ત્રીઓ સામે જે અસહિષ્ણુતા પ્રવર્તે છે, તે સ્વરૂપે અન્ય સમાજોમાં જોવા મળતી નથી. દેશમાં ભ્રૂણહત્યા દ્વારા મોટી સંખ્યામાં છોકરીઓને જન્મતી જ અટકાવવામાં આવે છે, એ ખૂબ જાણીતી બાબત છે. પોતાને અહિંસક માનતા હિંદુઓને ભ્રૂણહત્યામાં કોઈ હિંસા દેખાતી નથી.

દેશમાં વૈચારિક અને ધાર્મિક સહિષ્ણુતાનું ચિત્ર મિશ્ર છે. અમર્ત્ય સેને ભારતને વિવાદપ્રિય (argumentative) દેશ તરીકે ઓળખાવ્યો છે. દેશમાં મોટા પ્રમાણમાં વાણીસ્વાતંત્ર્ય પ્રવર્તે છે. જો કે આપણે ત્યાં વિવાદો બહુ ઓછા પ્રમાણમાં વિચારો અંગે અને ઘણા વધારે પ્રમાણમાં વ્યક્તિઓ વિશે થાય છે. પણ આમાં કેટલાક અપવાદો જોઈ શકાય છે. કેટલાંક પુસ્તકો અસહિષ્ણુતાનો ભોગ બન્યાં છે. એક વિદેશી વિદ્વાન દ્વારા શિવાજી પર એક સંશોધનગ્રંથ પ્રગટ થયેલો, તેની સામે પૂણેમાં કેટલાકોએ ભારે ધાંધલ મચાવી હતી. એ વિદ્વાન તો દેશમાં હાજર નહોતા પણ ટોળાએ તેમના પરનો રોષ તેમણે પૂણેની જે પ્રસિદ્ધ સંસ્થાના ગ્રંથાલયનો ઉપયોગ કરેલો તેના પર કાઢેલો. સંસ્થામાં જઈને ટોળાએ ભાંગફોડ કરી અને કેટલાંક દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોનો નાશ કરેલો.

ધાર્મિક મુદ્દાઓને સ્પર્શતાં પુસ્તકો/લેખોની બાબતમાં ઘણા પ્રમાણમાં અસહિષ્ણુતા જોવા મળે છે. હિંદુધર્મ વિશે ટીકાત્મક લખાણ આવતું હોય તો કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ તે સહી શકતાં નથી. હિંદુ ધર્મનાં એક અભ્યાસી અમેરિકન વિદુષીના પુસ્તક ‘હિંદુઇઝમ’ (Hinduism) સામે હિંદુઓના એક સંગઠનનો આક્રમક વિરોધ જોઈને તેના પ્રકાશકે એ પુસ્તકને ભારતમાંથી પાછું ખેંચી લઈને તેની પ્રતોમાં વપરાયેલા કાગળનો માવો કરી નાખેલો. જો કે એ પુસ્તક વિદેશોમાં તો વેચાય જ છે. સાવ તાજેતરમાં જયપુરમાં યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગ દ્વારા યોજાયેલા એક સેમિનારમાં દિલ્હીના એક અધ્યાપકે વિદેશી અભ્યાસીઓએ કરેલાં હિંદુ દેવદેવીઓના અર્થઘટનો પર એક પેપર રજૂ કરેલું. એ એકૅડેમિક લેખને રાજસ્થાનના શિક્ષણપ્રધાન ન સહી શક્યા. તેમણે અધ્યાપક સામે પોલીસ કેસ કરવાનો આદેશ આપ્યો. રાજીવ ગાંધીની સરકારે સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર લાદેલો પ્રતિબંધ મુસ્લિમોની અસહિષ્ણુતાને આભારી હતો. (અલબત્ત, એ મુસ્લિમોની ‘વૉટબૅંક’ સાચવવા માટેની રાજકીય ગણતરીથી લદાયેલો પ્રતિબંધ હતો કે કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે લદાયો હતો, એ વિશે મતભેદ ઊભો થયો છે.) પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ભાગલા પરના જશવંતસિંહના પુસ્તક પર લાગલો જ પ્રતિબંધ ફરમાવ્યો હતો, એની પાછળ કેવળ રાજકીય ગણતરી હતી. મુદ્દો એ છે કે રાજકીય ગણતરીથી આપણા શાસકો પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની બાબતને સહેજે ગંભીર ગણતા નથી.

લોકો દ્વારા પાળવામાં આવતા ધર્મોની બાબતમાં આપણે હિંદુઓ અત્યંત સહિષ્ણુ છીએ. આપણા દેશમાં મોટા સંપ્રદાયો અને તેમના વિવિધ ફોટાઓ સાથે બીજા અસંખ્ય પંથો પ્રવર્તે છે અને તેમાં ઉમેરો થતો રહે છે. સ્વાધ્યાય પરિવાર પ્રજાપિતા બ્રહ્મકુમારી વગેરે તેનાં ઉદાહરણો છે. માનવસ્વરૂપે આવેલા અસંખ્ય ભગવાનોને લોકોએ સ્વીકાર્યા છે અને પૂજ્યા છે. પ્રસ્થાપિત મોટા સંપ્રદાયના લોકો આ નવા-નવા પંથો અને ભગવાનોનો વિરોધ કરતા નથી. પણ આની સાથે ધાર્મિક અસહિષ્ણુતા પણ પ્રવર્તે છે. કોઈ એક ચોક્કસ પંથ કે સંપ્રદાયની કોઈક મુદ્દા પર ટીકા કરવામાં આવે તે એ પંથના અનુયાયીઓ સહી શકતા નથી. એવા દાખલાઓમાં તેઓ ક્યારેક શાબ્દિક હુમલાથી જ અટકતા નથી, તેઓ ભાંગફોડ અને ક્યારેક હત્યા સુધી પણ જાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો અશ્પૃશ્યતાના પ્રશ્ને ગાંધીજીને અમદાવાદમાં સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડેલો અને દેશમાં અન્યત્ર તેમના પર સનાતનીઓ દ્વારા હુમલા પણ થયેલા કેમ કે અસ્પૃશ્યતા એક ધાર્મિક બાબત ગણાતી નથી.

એકંદરે આપણી સહિષ્ણુતા વિશે આપણે શું કહીશું? એનો ઉત્તર આત્મલક્ષી રહેવાનો. એ પ્રશ્નને વસ્તુલક્ષી રીતે વિચારવા માટે આપણે ઇંગ્લૅન્ડનું ઉદાહરણ ટાંકીશું. નીચેનો ફકરો અદમ ટંકારવીના પુસ્તક ‘બ્રિટન આદમકદ અરીસા’માંથી લીધો છે :

“… રૂઢિચુસ્ત પક્ષના એક ધારાસભ્ય અને રોડો કેબિનેટના સભ્યે એ સભામાં મજાક કરતાં કહ્યું, પાકીઓ મારા દેશમાં પેનીના દસ મળે છે. (પાકી દક્ષિણ એશિયાના દેશોમાંથી આવેલા લોકો માટે વપરાતો તુચ્છકારવાચક શબ્દ છે.) આ વંશદ્વેષી મજાક સામે તરત જ હોબાળો થયો. વક્તાએ માફી માગી, પણ બનાવ બન્યાના અઢાર કલાકમાં જ રૂઢિચુસ્ત પક્ષના નેતાએ મજાક કરનારા ધારાસભ્યને રોડો કૅબિનેટમાંથી તગેડી મૂક્યા અને જાહેર કર્યું કે મારે બ્રિટનની પ્રજાને મારા પક્ષ વિશે ખાતરી આપવી છે કે અમે અસહિષ્ણુતા પ્રત્યે અસહિષ્ણુ છીએ. આવા સ્ટુપિડ જોક માટે કેવળ ક્ષમાયાચના ન ચાલે.”

આપણે ઇચ્છીએ કે આપણા રાજકારણીઓ, વિશેષ કરીને શાસકો સમાજમાં ઉદ્ભવતી અસહિષ્ણુતાની ઘટનાઓ પરત્વે મીંઢું મૌન સેવવાને બદલે કે એવી ઘટનાઓના કરવામાં આવતા વિરોધને ઉતારી પાડવાને બદલે એવી ઘટનાઓ પરત્વે અસરકારક અસહિષ્ણુતા દાખવીને નાગરિકોને એક દાખલો પૂરો પાડશે. નાગરિકો તરીકે આપણે સહિષ્ણુ સમાજ બનવા માટે લાંબી મજલ કાપવાની છે. અસ્પૃશ્યતાને સાચા અર્થમાં નાબૂદ કરવાની છે અને ભ્રૂણહત્યા બંધ કરીને પુત્ર અને પુત્રીના જન્મ વચ્ચે પૂરી તટસ્થતા કેળવવાની છે. વિવિધ પ્રદેશો, જ્ઞાતિઓ અને સંપ્રદાયોના લોકોને ઉતારી પાડતી કે તેમની હાંસી ઉડાવતી જે લોકોક્તિઓ છે તેને જાહેર ચર્ચાઓમાં દેશવટો આપવાનો છે.                                       

૨૦૨, ઘનશ્યામ એવન્યૂ, જૂના શારદામંદિર નજીક, પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 03-04

Loading

૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીઓ : કૉર્પોરેશન એટલે કૉર્પોરેટ અને ગામડાં એટલે દેશી

સુદર્શન આયંગાર|Samantar Gujarat - Samantar|4 January 2016

૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીઓએ ગુજરાતના રાજનૈતિક વાતાવરણમાં એક નવી તાજગીનો સંચાર કર્યો છે. છેલ્લાં પંદર વરસમાં કોઈ નોંધપાત્ર પડકાર વગર ભાજપને સત્તામાં રહી એવો આભાસ થવા લાગેલો કે ગુજરાતની બહુમતી પ્રજા હવે એમના પક્ષ સાથે જ રહેશે, કારણ કે એકમાત્ર વિરોધ પક્ષ કૉંગ્રેસની લોકો  પરની પકડ શૂન્યપ્રાયઃ થઈ ગઈ છે, પરંતુ લાંબા સમય સુધી એક જ પક્ષ રાજ્ય કરે તેવી યથાવત્ સ્થિતિની સાક્ષી ઇતિહાસ પૂરતો નથી. દેશ હોય કે રાજ્ય, ભારતમાં આઝાદી પછીના લોકતંત્રમા કંઈક વખત એવું લાગ્યું છે કે સત્તારૂઢ પક્ષને સત્તા પરથી ખસેડી શકાશે નહીં, પરંતુ પ્રજાએ ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ’, ના ભાવે સત્તાનસિન પક્ષને ઝાટકાભેર ખસેડ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીઓમાં એક એવો જ ઝાટકો ભાજપને લાગ્યો છે. સાથે જ કૉંગ્રેસપક્ષને પ્રજાસમર્થન મળવાથી નવું બળ મળ્યું છે. કૉંગ્રેસના ખેમામાં પ્રસન્નતાની લહેર તો ફેલાઈ જ ગઈ હશે અને કેટલાક વળી આ ચમત્કાર કેમ કરીને થયો એવો સવાલ પણ જાતને કરતા હશે. રાજનીતિશાસ્ત્રની ભાષામાં સત્તાનસિન પક્ષ હારે, ત્યારે ઍન્ટિઇન્કંબેંસી કહેવામાં આવે છે, જેનો સાદો અર્થ એવો થાય કે સત્તાધારી પક્ષની કામગીરીથી પ્રજાને સંતોષ નથી તેથી તે તેને દૂર કરી બીજા પક્ષને તક આપે છે. આમ, કૉંગ્રેસ પક્ષના મોભીઓ અને વિચારકોએ સત્તારૂઢ થયા બાદ કઈ દિશામાં જવાનું છે, લોકોની અપેક્ષા શું છે અને તેને કઈ રીતે પાર પાડી શકાય તે જોવાનું છે. થયેલી જીત માટે તેમની યોગ્યતા પુરવાર કરવાની થાય છે. આ બધું નવું લાધેલું બ્રહ્મજ્ઞાન નથી પણ બેઉ પક્ષોને ઈવીએમ વાટે પ્રજા દ્વારા પાઠવવામાં આવેલો સ્મૃિતપત્ર છે.

લોકતંત્રની બહુમતીની રાજનીતિની મર્યાદાઓ પણ ઘણી છે. મનુષ્યસમાજના સ્વસ્થ વિકાસ માટે યોગ્ય શાસનતંત્ર એટલે લોકશાહી એવું નિર્વિવાદ સ્વીકારાયેલું હોવા છતાં બહુમતી પાસે હંમેશાં દર્શન અને દિશા સાચાં જ હશે, એવું માનવું ભૂલભરેલું છે. પરિણામે રાજનીતિ સાથે લોકનીતિની આગેકૂચ પણ ચાલુ જ રહેવી જોઈએ. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓના સંદર્ભે અને તેનાં પરિણામોનાં પરિપ્રેક્ષ્યમાં કેટલાક મુદ્દાઓ વિચારણીય છે. બહુમત કે અલ્પમત-પણ મતદાર કેટલા એ જોઈએ. આજે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ચાર કરોડની નજીક પહોંચી છે, જેમાં ૧૦ લાખ જેટલા ૧૮થી ૧૯ વર્ષનાં તરુણ-તરુણીઓ છે. કુલ વસ્તીના આશરે ૬૦થી ૬૫ ટકા વસ્તી મતદારો છે. ૪૫ ટકાનું સરેરાશ મતદાન ગણીએ, તો એક કરોડ એંસી લાખ મતદાતાઓના નિર્ણયને આપણે જોઈએ છીએ, જે કુલ વસ્તીના આશરે ૨૮ ટકા થાય છે. પરિણામોની કેટલીક અગત્યની વિગતો જોઈએ.

૨૦૧૫ની નગરપાલિકાઓની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાઓમાં વૉર્ડની સંખ્યામાં કરવામાં આવેલા ફેરફારની વિગતો પણ મળે છે. નવા સીમાંકનો અને વૉર્ડની સંખ્યામાં ફેરફાર કરવા પાછળ જ્ઞાતિ, ધર્મ અને મતની રાજનીતિ છે અને આ માટે સત્તા ભોગવતા પક્ષને વધુ લાભ કરાવવાની ચર્ચા છે. અહીં માત્ર તેની નોંધ લેવામાં આવે છે, વિવાદમાં ઊતરતા નથી. દરેક શહેરમાં વૉર્ડની સંખ્યા ઘટાડવામાં આવી છે, અલબત્ત, કાઉન્સિલર માટેની બેઠકોની સંખ્યામાં બહુ મોટો ફેરફાર નથી. ગુજરાતની બધી જ મહાનગરપાલિકાઓમાં ભાજપે સત્તા ટકાવી રાખી છે. અલબત્ત, તેમના કાઉન્સિલરોની કુલ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ૨૦૧૦માં કુલ ૫૫૮ બેઠકો પૈકી ભાજપને ૪૪૩ (૮૦ ટકા) અને કૉંગ્રેસને ૧૦૦ બેઠકો (૧૮ ટકા) મળી હતી. ૨૦૧૫માં કુલ ૫૭૨ બેઠકો પૈકી ભાજપને ૩૯૦ (૭૦ ટકા) અને કૉંગ્રેસને ૧૭૫ (૨૯ ટકા) બેઠકો મળી. સુરત, રાજકોટ અને જામનગરમાં કૉંગ્રેસની બેઠકો પ્રમાણમાં વધુ આવી, તેમાં પટેલ-બળવાનું કારણ સ્પષ્ટ થાય છે, પરંતુ પટેલો ગામડાના પ્રેમને લીધે દોરાઈને આમ કરી રહ્યા છે, તેવું માનવું ભૂલભરેલું થશે. તેઓ તો સત્તામાં બરાબરના હિસ્સેદાર નથી થઈ શક્યા, તે અંગેનો અસંતોષ હોઈ શકે અથવા ગુજરાતનું નેતૃત્વ ઇચ્છિત હાથોમાં નથી, એવું પણ હોય.

શહેરી વિસ્તારોને આવરી લેતી ૫૬ નગરપાલિકાઓનાં પરિણામ પણ ભાજપને પક્ષે ગયાં છે. નગરપાલિકાઓની કુલ ૨૦૮૮ બેઠકો પૈકી ભાજપે ૧૧૯૬ (૫૭ ટકા) અને કૉંગ્રેસે ૬૭૧ (૩૨ ટકા)  બેઠકો પર વિજય મેળવ્યો. ૪૨ નગરપાલિકાઓમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. આમ, મહાનગરપાલિકાઓની સરખામણીમાં નગરપાલિકાઓમાં ભાજપનું જોર પ્રમાણમાં આછું રહ્યું. વર્ષ ૨૦૦૯-૧૦માં નગરપાલિકાઓની કુલ ૧૮૯૦ બેઠકો પૈકી ભાજપને ૧૨૪૨ (૬૬ ટકા) અને કૉંગ્રેસને ૪૦૧ (૨૧ ટકા) બેઠકો મળી હતી. નગરપાલિકાઓમાં પણ ૨૦૦૯-૧૦ની સરખામણીમાં ૨૦૧૫માં ભાજપનું જોર ઘટવા પામ્યું અને કૉંગ્રેસની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જણાયો.

જિલ્લા અને તાલુકાપંચાયતોમાં સત્તાપલટો જોવા મળે છે. ૨૦૧૫માં કૉંગ્રેસે ૩૧ જિલ્લાઓમાંથી ૨૩ જિલ્લાઓ ૫૯૪ (૬૦ ટકા) બેઠકો સાથે કબ્જે કર્યા. ૨૦૦૯-૧૦ની સાલમાં ભાજપ ૨૪ જિલ્લા પૈકી ૨૩ જિલ્લાઓમાં ૫૪૭ (૬૮ ટકા) બેઠકો સાથે સત્તા પર આવ્યો હતો. તાલુકાપંચાયતોની સ્થિતિ જોઈએ, તો ૨૦૧૫માં કૉંગ્રેસે ૨૩૦ તાલુકાઓમાંથી ૧૩૨ ઉપર ૨૫૪૩ (૫૩ ટકા) બેઠકો સાથે કબજો મેળવ્યો. ૨૦૧૦માં ભાજપ પાસે કુલ ૨૪૬૦ (૬૧ ટકા) બેઠકો હતી. કુલ કેટલા તાલુકાઓમાં સત્તા મળી હતી, તેનો આંકડો હાલ તુરત જાણી શકાયો નથી. ૨૦૧૫ની ચૂંટણીની એકંદર સ્થિતિ જોતાં એવું જણાય છે કે કૉંગ્રેસે પોતાની શક્તિ વધારી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ગુજરાતમાં કૉંગ્રેસ ફરી બેઠી થઈ શકશે કે કેમ તેવી શંકા થાય એમ હતું, પરંતુ ગુજરાત દેશનાં એવાં રાજ્યોમાંનું છે, જ્યાં કોઈ ક્ષેત્રીય રાજકીય પક્ષબળ બની શક્યું નથી, તેથી પ્રજા પાસે વિકલ્પો બે જ રહે છે. ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન બનીને દેશની રાજધાની અને સાથેસાથે વિદેશની ધરતી પર જે પ્રવાસો કરી રહ્યા છે, ત્યારે જે રીતે દેશ ચાલી રહ્યો છે અને રાજ્યમાં પાછળ રહી ગયેલા બીજી હરોળના નેતાઓ જે રીતે કામગીરી કરી રહ્યા છે, તેમાં લોકોને શંકા પડી હોય તેવું જણાય છે.

પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓનાં પરિણામો સ્પષ્ટ સૂચવે છે કે ગામડાં અને શહેરોની વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ રહી છે. ગુજરાતમૉડેલની વિકાસનીતિ એટલે ગામડાં ભાંગવાં અને શહેરોમાં વસતા ‘ફાવી ગયેલાઓ’ની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરવી. આ ‘ફાવી ગયેલા’ વર્ગનું હિત જડબેસલાક સ્થાપિત થઈ ગયું છે. ભાંગતા જતાં ગામડાંમાંથી ધકેલી દેવાયેલા અભાવગ્રસ્ત લોકો શહેરોમાં જઈ ગમે તે રીતે જીવી એક દિવસ પોતે પણ સમૃદ્ધ થઈ શકશે, તેવાં સપનાંઓમાં રાચી ગામડામાં પાછળ રહી ગયેલા પોતાનાં બંધુ ભગિનીઓને નોતરે છે. શહેરમાં ઓળખ સહેલાઈથી છુપાવીને, અનીતિ-નીતિ અંગેની સભાનતા ન રાખી ગમે તે પાણીએ મગ ચઢાવી દેવામાં માહિર થતાં લોકો ગમે તેટલી ખરાબ સ્થિતિમાં રહેતા હોય, પણ ક્યારેક-ક્યારેક શૉપિંગમૉલ અને મલ્ટીપ્લેક્સમાં મજા માણી અને રસ્તાની લારીઓથી માંડી રેસ્ટૉરાંમાં, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ આરોગી ધન્યતા અનુભવતા હોય છે. માલે-તુજાર તવંગરોને શહેર અને ગામડાં બેઉ સ્થળે ઘીકેળાં છે. શહેરમાં ધંધો, ઑફિસ અને બંગલો; તો ગામડામાં ‘ફાર્મહાઉસ’. આમ, શહેરમાં રહેતી બહુમતી વસ્તી ‘ફાવી ગયેલા’ઓની અને ‘કોઠે પડી ગયેલા’ઓની છે. એમને સ્થિતિને યથાવત્ રાખવામાં રસ છે. આ છે કૉર્પોરેટ કલ્ચર.

૨૦૧૫ની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપની જીત ઉપર્યુક્ત માનસિકતા અને સ્થિતિને આભારી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો અને નેતા એમ ન માની બેસે કે અખંડ ભારતની પહેલી સહસ્રાબ્દીના સમયની અદ્ભુત સંસ્કૃિતની પુનઃપ્રતિષ્ઠા અને પુનઃસ્થાપનાનો કાળ આરંભાઈ ચૂક્યો છે. પશ્ચિમી સમાજની ભૌતિક સંસ્કૃિતને ઉત્તેજન આપતી ભોગવાદી વિચારધારાથી પ્રભાવિત વ્યક્તિ અને પરિવારના નર્યા સ્વાર્થથી પીડાતી સામાન્ય પ્રજા સમાનતા, બંધુતા અને ન્યાયનાં હાર્દિક માનવીય મૂલ્યોને કોરાણે મૂકી ઇહલોક અને પરલોક બેઉ ગુમાવવા તત્પર છે. દિગ્ભ્રમિત અને નેતૃત્વહીન કૉંગ્રેસે જે રસ્તે ચાલવાનું શરૂ કર્યું, તે જ રસ્તે આપણા વડાપ્રધાનની રાહબરી હેઠળ તેમના પક્ષે દોટ મૂકી છે. પણ જેમ પ્રજામાં ડાહ્યા લોકો હોય તેમ બિહાર બાદ ગુજરાતમાં ‘રહી ગયેલા’ ગામવાસીઓએ જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીમાં નાખેલા મતો દ્વારા એક સંદેશ આપ્યો છે. ગામડાંની આ દેશી રીત છે.

ગામના લોકો જોઈ શકે છે કે ભાજપે તેમના ભોગે શહેરીકરણ અને શહેરી લોકોને વધુ મદદ કરી આપી છે અને તેની નીતિઓ હજી આગળ પણ એ જ દિશામાં લઈ જશે. ભાજપે બોધપાઠ લેવો હોય, તો એ કે તેના વિકાસ અને સુશાસનની નીતિઓને ગ્રામાભિમુખ કરવાની જરૂર છે. કૉંગ્રેસને પણ આ એક તક એટલા માટે મળે છે કે જો ભાજપ પાસે તાલુકા અને જિલ્લાનાં ગામોના વિકાસની ગંભીર અને વિશ્વાસુ યોજનાઓ ન હોય, તો પ્રજા કૉંગ્રેસ પાસે તે અંગેની અપેક્ષા રાખી રહી છે. વિચાર-વિવેક વગરના ઔદ્યોગિકરણ અને શહેરીકરણની શરૂઆત અલબત્ત કૉંગ્રેસે જ કરેલી. એનો નશો ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી બાદ વધવા પામેલો. એ પ્રક્રિયામાં પક્ષે છેવાડાના એટલે ગામડાના સ્તર સુધીના રાજકીય સંગઠનની અવહેલના કરી હતી. કૉંગ્રેસની શક્તિ તેના લોકો અને વિશેષ કરી ગામડાંના લોકોની શક્તિ હતી. આઝાદી પહેલાં અને ત્યાર પછી આ શક્તિએ જ એને સત્તામાં રાખી હતી. ‘રહી ગયેલા’ઓ એવો વિશ્વાસ ધરાવતા કે કૉંગ્રેસ એમના માટે કામ કરશે. સર્વોદય તો કરશે, પણ પ્રારંભ અંત્યોદયથી થશે. પણ આર્થિક ઉદારતા અને બજારીકરણના દોરમાં રાજ્યે ગામડાં અને ગરીબો પાસેની નૈસર્ગિક સંપદાઓ, તેના ઉપયોગ-હકોને ઝૂંટવી-પડાવીને ‘ફાવવા માગતા’ અને ‘ફાવી ગયેલાઓ’ના ખોળામાં નાખવા માંડ્યું. એમ કરવામાં મલાઈનો એક ભાગ નાનાથી મોટા-સૌ નેતાઓ પોતાના વાટકાઓમાં ભરવા લાગ્યા. અનાચાર અને ભ્રષ્ટાચારે માઝા મૂકી અને લોકો કંટાળ્યા. ચૂંટણીમાં કૉંગ્રેસને નકારી.

ગુજરાતમાં ભાજપને લાગલગાટ ત્રણ વખત મોકો મળ્યો અને તેમના વાચળ અને સભાચાતુર્યથી અતિ લોકપ્રિય બનેલા નેતાએ ચોખ્ખી રીતે ‘ફાવી ગયેલા’ઓનો જ સાથ આપવાનો નિર્ધાર કર્યો અને ‘રહી ગયેલા’ઓ માટે દિવાસ્વપ્નો અને આશ્વાસનોની ભેટ ધરી. થોડાંક વર્ષો પહેલાં પ્રો. વાય. કે. અલઘે કેટલાક અભ્યાસીઓ સાથે (જેમાં આ લેખક સામેલ હતા) ગુજરાતના ભાવિ વિશે એક પુસ્તક તૈયાર કર્યું હતું અને તેના લોકાર્પણ માટે લોકલાડીલા મુખ્યમંત્રીને બોલાવ્યા હતા. તેમણે પુસ્તક વિશે કેટલી માહિતી મેળવી હશે, તે તો એમને ખબર; પણ સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-શિક્ષકો અને અન્ય શ્રોતાઓને સંબોધતાં ગુજરાતના ભાવિ માટેના સ્વપ્નદૃષ્ટા તરીકે એમણે જે વક્તવ્ય આપ્યું હતું, તેમાંથી પુસ્તક વિશે અને તેના લેખકો પ્રત્યે ભારોભાર નિકૃષ્ટ અને હેય ભાવના જ નીતરતી હતી. પુસ્તક વિશે વાત કરતા પ્રો. અલઘ એવા મતલબનું કંઈક બોલ્યા હતા કે આ પુસ્તકમાં તેમના સહિત લેખકવૃંદે ગુજરાત માટે થોડાં સપનાં જોયાં છે. તેનો દાખલો લઈ મુખ્ય પ્રધાન એવું બોલ્યા હતા કે તમે શું સપનાં જોયાં? જો સપનાં જ જોવાં હોય તો ભવ્ય સપનાં જોવાં જોઈએ. ‘એક વખત હું ટ્રેનમાં બેઠો હતો. સ્ટેશનના પ્લેટફૉર્મ પર એક ભિખારી એક હથેળીમાં કંઈક વસ્તુ રાખી બીજા હાથથી તેના પર કશુંક ભભરાવતો હોય તેવો અભિનય કરતો હતો. મેં તેને પાસે બોલાવીને પૂછ્યું કે તે શું કરી રહ્યો છે. તેણે દીન સ્વરમાં જણાવ્યું કે તે એની ભૂખ કાલ્પનિક રીતે મટાડવા એક સૂકી બ્રેડની સ્લાઇસની અને તેના પર મીઠું ભભરાવીને ખાવાની કલ્પના કરી રહ્યો હતો. મેં એણે કહ્યું કે તું ભિખારી જ રહીશ, કારણ કે તું મીઠાંની જ કલ્પના કરી શકે છે. અને હું હોઉં તો માખણની કલ્પના કરું.’ આ સાંભળીને વિદ્યાર્થીઓએ જોરદાર કરતલ ધ્વનિ કર્યો હતો. આગળ તેમણે ભાવિ ગુજરાત માટે પોતાનું સ્વપ્ન મૂક્યું. તેમણે એમ જણાવેલું હતું કે ગુજરાતના ખેડૂતો માટે તેમની પાસે એક અદ્ભુત યોજના છે. ખેડૂતો આજ સુધી પાણી માટે કૂવા-બોર કરે છે. એક દિવસ એવો આવશે, જ્યારે તેલ માટે કૂવા કરાવી શકાશે. દરેક ખેડૂત પોતાની જમીનના પેટાળમાંથી ક્રૂડતેલ કાઢશે, રોજ એક બૅરલ ભરશે અને તેને ભેગું કરવા અમુલની તરાહ પર કલેક્શન રૂટ શરૂ કરાશે. પાંચ વર્ષમાં તો રાજ્યનો એક-એક ખેડૂત માલેતુજાર થઈ જશે. ‘અલઘસાહેબ આને સપનું કહેવાય’! કરતલ ધ્વનિનો ઘોર નાદ…

ગુજરાતનો ખેડૂત તો તેલના કૂવા ખોદાવાની રાહમાં કંટાળ્યો અને આપણા લોકલાડીલા નેતા વિશ્વના દરેક ખેડૂતને આ સ્વપ્ન દેખાડવા દિલ્હી ઊપડી ગયા! આ ભ્રમણ હજુ ચાલુ જ છે. આમ, કંટાળીને, નાસીપાસ થઈને ગામડાંની પ્રજાએ ભાજપને ૨૦૧૫માં જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીમાં જાકારો આપ્યો છે. ભાજપ માટે પણ આ એક બોધપાઠ તો છે જ.   

કૉંગ્રેસ માટે આંતરખોજની એક તક છે, જો તે જાગે તો. ગુજરાતની પ્રજા સ્વભાવે ધંધા-વેપારમાં દક્ષ છે. પ્રાકૃતિક સંસાધનોની ખાનગી અને સામુદાયિક માલિકીને અંકે કરી સંપોષિત ઉપયોગ અને વિકાસ (સસ્ટેલેબલ ડેવલપમેન્ટ) એ સાચો ધ્યેય બની શકે. ગામમાં જ ખેતી, ઉદ્યોગ અને સેવાઓના ક્ષેત્રે આજીવિકાની તકો ઊભી કરવાથી ટકાઉ બનાશે. સામાજિક વિષમતાઓને લક્ષ્યમાં લઈ યોગ્ય સંસ્થાકીય વ્યવસ્થાઓ નવેસરથી સ્થાપવાની જરૂર છે. સૌથી અગત્યની બાબત એ છે હવે ગુજરાતમાં રોટલે દુઃખી લોકો બહુ ઓછા પ્રમાણમાં રહ્યા છે, પણ ઓટલે દુઃખી હજી ઘણાં છે. તકે દુઃખી અને સારી આજીવિકાનું દુઃખ તો મોટા ભાગનાને છે. તેવા દુખિયારા આજે અંતિમજન છે. તેની શક્તિ વધારવાની છે. કૉંગ્રેસ પાસે ગાંધીજીના સમયની એક અન્ય જવાબદારી પણ છે. લોકોને અધિકારબાહોશ બનાવવાની જરૂર છે તે કરતાં કર્તવ્યસભાન બનાવવાની વધુ જરૂર છે. ગુજરાત અને ભારતના વિકાસની પરિભાષા અને દરેક નાગરિકની ભૂમિકામાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે.

e.mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016, પૃ. 05-07

Loading

‘રિપબ્લિક ઑફ રિઝન’માં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|4 January 2016

નવા વર્ષમાં નવાં પુસ્તકોને આભાર સાથે આવકાર. યજ્ઞ પ્રકાશન પાસેથી બહુ મહત્ત્વનું પુસ્તક મળે છે ‘નોખો રાજા શિવાજી’. રેશનાલિસ્ટ ગોવિંદ પાનસરેના ‘શિવાજી કોણ હોતા’ (૧૯૮૮) નામના મરાઠી પુસ્તકના આ અનુવાદ માટે, શ્રમજીવીઓની સલામતી માટે મથનારા કર્મશીલ જગદીશ પટેલને ધન્યવાદ. કટ્ટરતાવાદી શિવસેના, કોમવાદી ભારતીય જનતાપક્ષ અને અન્ય સાંપ્રદાયિક સંગઠનોએ રાજા શિવાજીની માત્ર હિંદુત્વવાદી રાજા તરીકેની જે છબી વર્ષોથી ઠસાવી છે. તે છબીને કૉમરેડ પાનસરેએ દૃષ્ટિપૂર્વક, આધાર સહિત અને પ્રતીતિજનક રીતે વિવેકપૂર્ણ ભાષામાં બદલી છે. તેમણે બતાવ્યું છે કે શિવાજી ખેડૂતો-દલિતો-સ્ત્રીઓના સમતાવાદી સર્વધર્મસમભાવી રાજા હતા. મરાઠીમાં આ પુસ્તકની આડત્રીસ આવૃત્તિઓ થકી દોઢ લાખ નકલો વાચકો સુધી પહોંચી છે. કન્નડ, ઉર્દૂ અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. પુસ્તકમાં જગદીશભાઈએ બિરાદર પાનસરે વિશે લખેલો લેખ પણ મહત્ત્વનો  છે. પાનસરેની જ વાત નીકળી છે, ત્યારે બીજા એક મહત્ત્વના અંગ્રેજી પુસ્તકની માહિતી પણ આપવી જોઈએ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ.એમ. કલબુર્ગીનાં ચૂંટેલા લખાણોનો એકસો વીસ  પાનાં અને એટલા જ રૂપિયાની કિંમતનો એક સંચય દિલ્હીની ‘સહમત’ સંસ્થાએ બહાર પાડ્યો છે. તેનું સરસ નામ છે : રિપબ્લિક ઑફ રિઝન : વર્ડ્સ ધે કુડ નોટ કિલ્.

‘જનપથ’ સંસ્થાના ‘માહિતી-અધિકાર પહેલ’ ઉપક્રમના નિષ્ઠાવાન યુવા કાર્યકર્તા પંક્તિ જોગની ‘સત્યાગ્રહનું ઓજાર… માહિતીનો અધિકાર’ પુસ્તિકા પણ યજ્ઞ આપે છે. તદુપરાંત નવા વર્ષ માટેનું પ્લાનર (વાર્ષિક આયોજિની કહીશું ?) ‘વિનોબાનું ચિંતન – આપણું આયોજન’ પણ યજ્ઞએ શુભેચ્છકને ‘કસ્ટમાઇઝ’ કરીને ભેટ તરીકે મોકલ્યું છે.

રજનીકુમાર પંડ્યા માણસોમાં રહેલાં કેટલાં ય શુભ તત્ત્વોનો ઝબકાર તેમના હજારો વાચકોને ચારેક દાયકાથી કરાવતા રહ્યા છે. તેમણે લખેલી ચરિત્રનવલ ‘પરભવના પિતરાઈ’ (આર.આર. શેઠ પ્રકાશન)ની ત્રીજી આવૃત્તિ તાજેતરમાં થઈ છે. આ પુસ્તક સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ, ડુંગરાળ અને જંગલઘેરા વિસ્તારના વનવાસીઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને સુધારાને પહોંચાડનારા ભેખધારી નરસિંહભાઈ ભાવસાર (૧૯૧૬-૧૯૯૪) વિશે છે. તે પુસ્તક વાંચતાં, અત્યાર સુધી એમના વિશે કશું નહીં જાણતા હોવાનો રંજ થાય છે. દિલીપ રાણપુરાને અર્પણ કરેલું આ પુસ્તક પણ રજનીકુમારે – પોતાનાં કેટલાં ય પુસ્તકોની જેમ – ઘણી રખડપટ્ટી પછી લખ્યું છે. તેને આધારે નિમેષ દેસાઈએ ટેલિફિલ્મ પણ બનાવી છે. લોકશિક્ષણનું કામ અમરેલી પાસેના બાબાપુરમાં સત્તાણું વર્ષની વયે પણ ચાલુ રાખનારા ‘એક આક્રમક ગાંધીવાદી’ ગુણવંત પુરોહિત વિશે ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના દિવાળી અંકમાં જ્વલંત છાયાએ લખ્યું છે. કેતન ત્રિવેદીએ પહેલા મહાયુદ્ધમાં અંગ્રેજોના સૈનિકો બનીને લડેલા ‘ભાવનગર, જામનગર અને વાંકાનેરના નરબંકાઓ’ વિશે લખેલા લેખનું મથાળું છે ‘જોરુભા જરમન જીતીને વેલેરા આવજો’ ! ‘શબ્દસૃષ્ટિ’ના હર્ષદ ત્રિવેદી વિનાના  દિવાળી અંકમાં વધારે પાનાંથી વધુ કશું નથી. હર્ષદભાઈએ બહુ સૂઝ અને મહેનતથી ઊભી કરેલી દિવાળી અંકોની શ્રેણી તૂટી છે.  

‘સકલ તીરથ જેના મનમાં રે!’ એવા કાવ્યાત્મક નામ સાથે ડંકેશ ઓઝા વતનનાં સંભારણાં આલેખે છે. ડિવાઇન પ્રકાશનના આ પુસ્તકનો બીજો ભાગ નર્મદા પરકમ્મા વર્ણવે છે. સામાજિક-સાહિત્યિક બાબતોના અભ્યાસી ડંકેશભાઈએ, જુદાં-જુદાં ક્ષેત્રોની વ્યક્તિઓ વિશે કરેલાં લખાણોનો સંગ્રહ ‘બહોત યાદ આયે’ પણ ‘ગ્રંથવિહાર’ પુસ્તકભંડારમાં જોવા મળ્યો. પુસ્તકો અને વાચન વિશેના તેમના લેખોનો સંચય ‘સાહિત્ય-સંદર્ભ’ પણ અહીં યાદ આવે.  કિશોરસિંહ સોલંકીના ‘અંગારો’ કાવ્યસંગ્રહમાં મોટા ભાગની ‘અંગારા’ને મુખ્ય શબ્દ તરીકે લઈને કે સંબોધીને કરવામાં આવી છે. લતા જગદીશ હિરાણી ‘ઝળહળિયાં’ સંગ્રહમાં લાગણીભીનાં કાવ્યો આપે છે. લતાબહેને લખેલું ‘ઉજાસનું પહેલું કિરણ’ ગુજરાતમાં મહિલાઓનાં પરિચય-પુસ્તકો લખાણોમાંનું એક નોંધપાત્ર પુસ્તક છે. તેનું પેટાશીર્ષક છે ‘વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી ભારતીય સ્ત્રીઓ’. બેલા ઠાકર, યશવંત મહેતાએ પણ આ પ્રકારનાં પુસ્તકો આપ્યાં છે.

‘વસાહતીનું જનગણમન’ ગણાયેલા દેશાવરના વિચારપત્ર ‘ઓપિનિયન’ની ડીવીડીનું સ્વાગત છે. તેમાં ઓપિનિયનની ૨૩ એપ્રિલ ૧૯૯૫થી ૨૬ માર્ચ ૨૦૧૩ સુધીની ‘અક્ષર-અને-વિચાર યાત્રા’માંથી લેખક અને શીર્ષક બતાવતી ડિજિટલ સોઈની મદદથી પસાર થઈ શકાશે. અભિનંદન વિપુલ કલ્યાણી, આભાર મૈત્રીબહેન સહિતના ગુજરાતીલેક્સિકોનના સાથીઓ.

જ્ઞાનપીઠ સન્માનિત રઘુવીર ચૌધરી, જે ગોવર્ધનરામને પોતાના હરીફ ગણે છે તેમની સરસ્વતીચંદ્રનો હિન્દી અનુવાદ તાજેતરમાં કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે. અધ્યાપક અનુવાદકો રઘુવીરના જ પૂર્વ વિદ્યાર્થીઓ છે – વીરેન્દ્રનારાયણસિંહ અને આલોક ગુપ્તા.

પ્રમુખ સમકાલીન મરાઠી નવલકથાકાર વિશ્વાસ પાટીલની ૮૦૪ પાનાંની તદ્દન નવી નવલકથા ‘લસ્ટ ફોર લાલબાગ’નું વાચન ચાલુ છે. પુસ્તકના નામમાં વાન ગૉગના જીવન પર ઇરવિંગ સ્ટોને લખેલી ‘લસ્ટ ફોર લાઇફ’(‘સળગતાં સૂરજમુખી’ નામે ગુજરાતી અનુવાદ વિનોદ મેઘાણી)નો રણકો છે. મુંબઈના દાદર પાસેનાં લાલબાગ-પરળ ગામો સહિતનાં દસેક ગામોમાં વિસ્તરેલા કાપડમિલોના ‘ગિરણગાવ’ તરીકે ઓળખાતા વિસ્તાર વિશેની આ મહાનવલ છે. કાપડમિલોની પડતીના ૧૯૮૨ના વર્ષથી ૨૦૦૮ સુધીના ગાળાના લાલબાગના જીવનને અને તેના ઇતિહાસને તેની સમગ્રતામાં આવરી લેવાનો લેખકનો બહુ પ્રભાવક પ્રયત્ન તેમાં છે. ઉદારીકરણ-વૈશ્વિકીકરણના ભરડામાં નાશ પામેલા મિલ કામદારવર્ગનાં વીતકની સાથે એક તરબતર પ્રેમકથા વણી લેવામાં આવી છે. આ નવલકથાની હસ્તપ્રત પ્રકાશક દ્વારા સ્વીકાર પામ્યા બાદ વિષયની કેટલીક વધુ મહત્ત્વની માહિતી હાથ લાગતાં લેખકે તેનાં ચારસો પાનાં ફરીથી લખ્યાં. નવેમ્બરના વીસ દિવસમાં આઠસો રૂપિયાના આ પુસ્તકની બે આવૃત્તિઓ વાચકોએ વસાવી છે. ગુજરાતના કાપડઉદ્યોગ વિશે ચંદ્રાભાઈ ભટ્ટની અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત ‘ભઠ્ઠી’ (૧૯૩૨) અને રઘુવીર ચૌધરીની ‘કાચા સૂતરને તાંતણે’ (૧૯૯૫) નવલકથાઓ ઉપરાંત સાહિત્યકૃતિ રૂપે કંઈ લખાયું હોય, તો તે જાણવું રસપ્રદ બને. વિશ્વાસ પાટીલની ત્રણ મોટી નવલકથાઓનાં ઓગણીસો, રિપીટ ઓગણીસો પાનાં, ગુજરાતીમાં ઉતારવાનું જંગમ કામ, પ્રતિભા રાયની ‘યાજ્ઞસેની’ નવલકથાના ‘દ્રૌપદી’ નામે કરેલા અનુવાદ માટે જાણીતાં મુંબઈસ્થિત પ્રતિભા મ. દવેએ પાર પાડ્યું છે. એ ત્રણ અનુવાદ છે : સુભાષચંદ્રની જીવનકથા ‘મહાનાયક’ (૨૦૦૦), મોટા બંધના વિસ્થાપિતોની કથા ‘લોહીનાં આંસુ’ (૨૦૦૩) અને ઐતિહાસિક ‘પાનિપત’ (૨૦૦૫).

રાજસ્થાનનાં ઊંટ પર ૧૯૯૧થી સંશોધન કરનાર અને તેમને ટકાવી રાખવા મથનારાં કર્મશીલ જર્મન મહિલા પશુતબીબ ‘Ise Kohler-Rollefsonના ‘ધ કૅમલ કર્મા : ટ્વેન્ટી યર્સ અમન્ગ ઇન્ડિયાઝ કૅમલ નૉમાડ્સ’ પુસ્તકનો ઉલ્લેખ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨૨/૧૧)ના એક લેખમાં વાંચવા મળ્યો. આ લેખ ઊંટોની રાજસ્થાનમાં ઘટતી જતી વસ્તી વિશેનો છે. આ જ અખબાર ‘વિશ્વ હિંદુ પરિષદના કડક જાપ્તા’ને કારણે પુષ્કરના પશુધનમેળામાં વેચાણ ૯૪% ઘટ્યું છે, એવા સમાચાર પણ આપે છે (૩૦/૧૧). ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ એ ૧૭/૧૧થી સળંગ ત્રણ દિવસ એ સાબિત કર્યું કે ગૌરક્ષણ દળોની બેલગામ દાદાગીરીને કારણે કાયદેસરના માંસ ઉદ્યોગ, તેની સાથે સંકળાયેલા વ્યવસાયો અને ગરીબો માટેના સસ્તા પોષણયુક્ત આહારને કેટલો મોટો ફટકો પડ્યો છે. ટાઇમ્સે શબ્દરમતના તેના શોખ મુજબ ‘gai pe charcha’ અને  governance to gaivernance જેવા શબ્દપ્રયોગો કર્યા છે.

ગોવામાં યોજયેલા છેતાળીસમા આંતરરાષ્ટ્રીય સિનેમા-ઉત્સવમાં શાસકપક્ષના સત્તાવાદના છાંટા ઊડ્યા. પૂનાની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા(એફટીઆઇઆઇ)ના વિદ્યાર્થીઓએ બનાવેલી ફિલ્મો માટે તેમાં દર વર્ષે રાખવામાં આવતો વિભાગ કાઢી નાખવામાં આવ્યો. અનેક વિદ્યાર્થીઓને પ્રવેશપાસ આપવામાં ન આવ્યા. ઉદ્ઘાટન-સમારોહમાં પાટિયાં બતાવીને વિરોધ કરનારા બે વિદ્યાર્થીઓની સામે પોલીસપગલાં લેવામાં આવ્યાં.  સંસ્થાનું ટી-શર્ટ પહેરીને આવેલા વિદ્યાર્થી આશુતોષ વંદનાને પોલીસે ફિલ્મસ્થળેથી કાઢી મૂકીને તેની અપમાનજનક રીતે પૂછપરછ કરી. આ અત્યાચાર વિશે તેણે ૩૦/૧૧ના  ‘એક્સપ્રેસ’માં લખ્યું અને  એ જ દિવસે દૈનિકે ચોટદાર તંત્રીલેખ લખ્યો ‘અનલાઇક અ ફૅસ્ટિવલ’.

એક્સપ્રેસે ૨૫/૧૧થી ચાર દિવસ એક સમાચારશ્રેણી ચલાવી – ‘ઇનસાઇડ ધ કોટા કોચિંગ ફૅક્ટરી’. આઈઆઇટી અને અન્ય અભ્યાસક્રમોની પ્રવેશપરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે રાજસ્થાનના કોટામાં ચાલતી ખાનગી તાલીમ સંસ્થાઓની કાળી બાજુ આ શ્રેણીમાં રજૂ થઈ છે. સ્પર્ધાના દબાણ હેઠળ બાળકોની થતી દુર્દશાને પત્રકાર અંકિતા દ્વિવેદી જોહરીએ તમામ નામઠામ સાથે ખુલ્લી પાડી છે. ગયાં ત્રણ વર્ષ દરમિયાન આ સંસ્થાઓના દર વર્ષે સરાસરી સોળ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે!  

વીતેલાં વર્ષના છેલ્લા દિવસે હિટલરના આત્મકથાત્મક જાહેરનામા ‘મેઇન કામ્ફ’નો કૉપીરાઇટ પૂરો થાય છે. તે અત્યાર સુધી બેવેરિયા પ્રાંતની સરકાર પાસે હતો અને એણે પુસ્તક ન છાપવાનું નક્કી કર્યું હતું. પણ હવે મ્યુિનકની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી હિસ્ટ્રીએ હિટલરની આત્મકથાની નોંધો સાથેની સટીક આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું છે. ‘એક્સપ્રેસ’ લખે છે કે આ આવૃત્તિ એવી હશે કે હિટલરના પુસ્તકને જ એની સામેનું હથિયાર બનાવશે!

ખાસ કરીને તત્ત્વજ્ઞાન વિષય પરના કચ્છના જાણીતા લેખક માવજી કે.સાવલાનું નવેમ્બરના મધ્યમાં પંચ્યાશી વર્ષની વયે અવસાન થયું. ‘સૉક્રેટીસથી સાર્ત્ર’ અને ‘કિતાબી દુનિયા’ સહિત નાનાં-મોટાં અનેક પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. આ લખનારને ઍટ્ટીની ‘રોજનીશી’ મહત્ત્વનો અનુવાદ લાગે છે. વિચારવલોણું પરિવારે શરૂઆતના ગાળામાં બહાર પાડેલી આ પુસ્તિકાનું પેટાશીર્ષક ‘આસ્થાની આંતરખોજ’ છે. જર્મનીની ઍન  ફ્રૅન્કની જેમ ઍટ્ટી પણ હોલોકૉસ્ટ કહેતા હિટલરના માનવસંહારનો ભોગ બનેલી તરુણી છે. અલબત્ત, તેની ડાયરી ઍનની ડાયરી કરતાં જુદી એ અર્થમાં છે કે ઍટ્ટીનો ઝુકાવ લૌકિક કરતાં અલૌકિક, પાર્થિવ કરતાં આધ્યાત્મિક તરફ વધારે છે એવી મારી છાપ છે. આ હોલોકૉસ્ટ લિટરેચરમાંના એક પુસ્તકની વાત સત્વરે પ્રસ્તુત છે.

૨૨/૨૯ ડિસેમ્બર, ૨૦૧૫

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 08-09

Loading

...102030...3,6913,6923,6933,694...3,7003,7103,720...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved