Opinion Magazine
Number of visits: 9552321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસનું પુનરાવર્તન : અરુણ જેટલી હવે મોહન કુમારમંગલમની ભાષા બોલી રહ્યા છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2015

ઇન્દિરા ગાંધીના વારાના પહેલા અનુભવનો નિચોડ એ છે કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એટલે બંધારણથી ઉપરવટ નથી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણીય સંસ્થાઓ એકસરખું મહત્ત્વ ધરાવે છે, પછી એ સંસદ હોય કે અદાલત. શાસકો ચૂંટાયેલા છે એટલે તેઓ સર્વોપરી નથી બની જતા

સર્વોચ્ચ અદાલતે નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ્સ કમિશન ધારાને ગેરબંધારણીય ઠરાવીને ફગાવી દીધો એ પછી કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ન્યાયતંત્ર પર સીધો હુમલો કર્યો છે. તેમણે લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે લોકશાહીમાં જે શાસનસંસ્થાઓ લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી એમની દાદાગીરી ચલાવી ન લેવાય. લોકશાહીમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ જ સાચો બંધારણીય લોકતાંત્રિક અધિકાર ધરાવે છે. અરુણ જેટલીના શબ્દો આ મુજબ હતા: Democracy could not be a tyranny of unelected. Decmocracy would be in danger if the elected are undermined. અરુણ જેટલીએ પોતાનો આ અભિપ્રાય તેમની ફેસબુકની વૉલ પર મૂક્યો હતો. આ રીતે કદાચ તેઓ એમ કહેવા માગે છે કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને સરકાર વતી તેઓ કંઈ નથી કહી રહ્યા. કેન્દ્રના કાયદાપ્રધાન ડી. વી. સદાનંદ ગૌડાએ સભ્ય ભાષામાં કહ્યું હતું કે સરકાર હવે પછી શું કરવું જોઈએ એ ચુકાદાનો અભ્યાસ કરીને ઠરાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિરોધ પક્ષો સાથે આ વિશે વાત કરવામાં આવશે.

લોકતંત્રમાં લોકોના પ્રતિનિધિઓ જ લોકોનું સાચું પ્રતિનિધિત્વ કરે છે એવી જેટલીસાહેબની દલીલ છે. તેઓ ચૂંટણી લડે છે, લોકોની વચ્ચે પોતાનો શાસનનો એજન્ડા લઈને જાય છે, લોકોનું અનુમોદન (મૅન્ડેટ) મેળવે છે અને એ એજન્ડાને લાગુ કરવાની જવાબદારી પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની છે. જો નહીં ચૂંટાયેલા (પણ બંધારણીય અધિકારો ધરાવનારા) લોકો તેમના માર્ગમાં અવરોધ પેદા કરે તો ન લોકતંત્ર ચાલી શકે કે ન શાસન થઈ શકે. લોકપ્રતિનિધિઓ લોકોને જવાબ આપવા બંધાયેલા છે, બંધારણીય સત્તા ધરાવતા લોકો નિવૃત્તિ પછી પેન્શન ખાય છે. એટલે અરુણ જેટલીના બે શબ્દપ્રયોગ બોલકા છે :

Tyranny of unelected  અને elected are undermined. આ દલીલ છે આકર્ષક, પણ એટલી જ ખતરનાક છે. ઇન્દિરા ગાંધીના યુગમાં આનો અનુભવ થઈ ચૂક્યો છે. અરુણ જેટલીને પોતાને આનો અનુભવ થઈ ચૂક્યો છે. ઇમર્જન્સીમાં તેઓ જેલમાં રહી આવ્યા છે.

કૉન્ગ્રેસના જમણેરી વડીલો સામે પોતાની જગ્યા બનાવવા ઇન્દિરા ગાંધીએ સમાજવાદી ચહેરો ધારણ કર્યો હતો. પ્રાઇવેટ બૅન્કો અને કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ, રાજાઓનાં સાલિયાણાંની નાબૂદી, જમીનદારીનો અંત, સંપત્તિ પર ટોચમર્યાદા, ઇજારાશાહી પર અંકુશ જેવા કેટલાક પ્રશ્નો ઇન્દિરા ગાંધીએ સરકારના એજન્ડા તરીકે પ્રસ્તુત કર્યા હતા અને કેટલાક ઉપસ્થિત થયા હતા. હવે સવાલ એ પેદા થયો કે સંપત્તિ મૂળભૂત અધિકાર કહેવાય કે ન કહેવાય? જો કહેવાય તો સરકાર બંધારણ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલા મૂળભૂત અધિકારોને હાથ ન લગાડી શકે અને એ સંજોગોમાં સરકારી કાયદાઓ દ્વારા સમાજવાદ લાવી ન શકાય. સંપત્તિ ધરાવવાના અધિકારને મૂળભૂત અધિકાર કહેવાય કે ન કહેવાય એનો ખુલાસો માગવા એક પછી એક ખટલાઓ સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા જેમાં સર્વોચ્ચ અદાલત સરકારની વિરુદ્ધ ચુકાદાઓ આપતી હતી.

એ સમયે ઇન્દિરા ગાંધીએ અને વકીલોની તેમની બ્રિગેડે ચૂંટાયેલા શાસકોની સર્વોપરિતાની દલીલનો આશરો લીધો હતો. એ બ્રિગેડમાં એ સમયના પ્રસિદ્ધ વકીલ મોહન કુમારમંગલમ, સિદ્ધાર્થ શંકર રાય, રજની પટેલ, એચ. આર. ગોખલે વગેરેનો સમાવેશ હતો. આ દલીલની બીજી બાજુનો હજી દેશને અનુભવ થયો નહોતો એટલે લોકતંત્રનાં ઓવારણાં લઈને ડાબેરી સમાજવાદી વિચારો ધરાવનારા વિરોધ પક્ષોએ પણ સરકારને ટેકો આપ્યો હતો. બૅરિસ્ટર નાથ પાઈ તો ચૂંટાયેલા શાસકોની સર્વોપરિતા સિદ્ધ કરવામાં અગ્રેસર હતા. જો ઇમર્જન્સી આવતાં પહેલાં તેમનું અવસાન ન થયું હોત તો તેઓ પણ પોતે જ કંડારેલા માર્ગે જેલમાં ગયા હોત.

અમે ચોક્કસ એજન્ડા સાથે જનતાની વચ્ચે ગયા હતા અને જનતાએ અમને અનુમોદન (મૅન્ડેટ) આપ્યું છે એટલે એ લાગુ કરવાની અમારી ફરજ પણ છે અને અધિકાર પણ છે. અદાલત કહેતી હતી કે તમારો એજન્ડા અને જનતાનો મૅન્ડેટ બંધારણીય જોગવાઈઓ તેમ જ મર્યાદાઓને અતિક્રમી ન શકે. આ મડાગાંઠનો એક જ ઉપાય હતો – અદાલતોને નબળી પાડવી. અદાલતોને નબળી પાડવી હોય તો જજોની નિયુક્તિમાં ચેડાં કરવાં જોઈએ. વીણી-વીણીને માફક આવે એવા જજોની નિયુક્તિ કરો અને માફક ન આવે એવા જજોને ઉપલી અદાલતોથી દૂર રાખો. નિયુક્ત કરવામાં આવેલા જજોને પણ ઊભા પગે રાખવાના એટલે ડરેલા રહે. જજોની ટ્રાન્સફરનો અધિકાર કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લઈ લીધો હતો. આ બધું કમિટેડ જુડિશ્યરીના નામે થતું હતું. કહેવા માટે કમિટમેન્ટ આર્થિક સમાનતા માટેનું, પરંતુ વાસ્તવમાં કમિટમેન્ટ ઇન્દિરા ગાંધી માટેનું. વિરોધ પક્ષોની જ્યારે આંખ ખૂલી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સર્વોચ્ચ અદાલતની કમર તોડી નાખવામાં આવી હતી અને હવે વિરોધ પક્ષના નેતાઓએ જેલમાં જવાની તૈયારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

હવે એમ લાગે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં નરેન્દ્ર મોદી છે અને મોહન કુમારમંગલમની ભૂમિકામાં અરુણ જેટલી છે. એ જ લક્ષણ અને એ જ ભાષા. ડિટ્ટો. કોઈ ફરક નહીં. એકાધિકારશાહી માણસનું કદાચ આ સ્થાયી લક્ષણ હશે.

ઇન્દિરા ગાંધીના વારાના પહેલા અનુભવનો નિચોડ એ છે કે ના, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એટલે બંધારણથી ઉપરવટ નથી. બંધારણ સર્વોચ્ચ છે અને બંધારણીય સંસ્થાઓ એકસરખું મહત્ત્વ ધરાવે છે, પછી એ સંસદ હોય કે અદાલત. પાંચ વર્ષે પ્રજા સમક્ષ જવું પડતું હોવાથી શાસકો આપોઆપ અંકુશમાં રહેશે અને નહીં રહે તો પ્રજા તેમને દંડશે એવા ભરોસે જો બંધારણકર્તાઓ બેસી રહ્યા હોત તો કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ, નાણાપંચ, માનવઅધિકાર પંચ, નાણાકીય વ્યય પંચ (એક્સપેન્ડિચર કમિશન), ચૂંટણીપંચ, વહીવટી સુધારાપંચ, કેન્દ્રીય માહિતીપંચ જેવી કેન્દ્ર માટે ૨૭ અને રાજ્યો માટે ૪૬ બંધારણીય સ્વાયત્ત સંસ્થાઓની રચના જ ન કરી હોત. આ સંસ્થાઓમાં બેઠેલા લોકો નિવૃત્તિ પછી ભલે પેન્શન ખાતા હોય, પરંતુ તેમનું કામ શાસકો પર નજર રાખવાનું છે અને એ કામ બંધારણે સોંપેલું છે.

શાસકો ચૂંટાયેલા છે એટલે તેઓ સર્વોપરી નથી બની જતા. અને બાય ધ વે, અરુણ જેટલી તો લોકો દ્વારા ચૂંટાયેલા પણ નથી. લોકસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જો જનતાના અવાજની આટલી બધી કદર ધરાવતા હોત તો તેમણે પ્રધાન નહોતું બનવું જોઈતું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/history-revisited-arun-jaitley-is-now-speaking-language-mohan-kumaramangalamani-arun-jaitley-is-now-speaking-language-of-mohan-kumarmangalam

Loading

આવો આવો આમ, હે નાગરિકો તમામ !

હિમાંશી શેલત|Opinion - Opinion|19 October 2015

તિર્યકી

એક નવીન અને ઉત્તેજક સ્પર્ધાનું રાષ્ટ્રીય કક્ષાએ ભવ્ય આયોજન થઈ રહ્યું છે, અને એ અંગેની જાહેરાતો પણ એટલી જ ધામધૂમથી થઈ રહી છે, ત્યારે આ સ્પર્ધાઓની વિગતો આપની જાણ માટે રજૂ કરતાં અતિશય આનંદ અને ગર્વની લાગણીનો અનુભવ થાય છે, કારણ કે સારે જહાં સે અચ્છા …

સ્પર્ધાના નિયમો હજી ઘડાઈ રહ્યા છે, છતાં એટલી માહિતી મળી છે કે સ્પર્ધકોની પાત્રતા વિશે કોઈ પણ માપદંડનો આગ્રહ રાખવામાં નહીં આવે. જેને એમાં ભાગ લેવાની ઇચ્છા છે તે વેલકમ. ધર્મી-વિધર્મી, આ સંપ્રદાય તે સંપ્રદાય, આ જાતિ-પેલી જાતિ, ગરીબ-તવંગર, આપણા ભાષી-પરભાષી, સહુ એમાં સામેલ થઈ શકશે. વયનો પણ બાધ નથી. આટલી ઉદારતા અને વિશાળતા પ્રસ્તુત સ્પર્ધામાં ભાગ લેનારાં ઇચ્છુકો માટે દેખાડવામાં આવી છે, એનું ખાસ કારણ સ્વયં સ્પર્ધા છે, અર્થાત્ સ્પર્ધાનું લક્ષણ છે.

આ સ્પર્ધાનું નામ છે સંકહ. અલબત્ત, ટૂંકા રૂપોની ફૅશનને પગલે આવું નામ પસંદ થયું છે. જો આનાથી યોગ્ય નામ મળશે, તો આ રદ કરવામાં આવશે. તો સંકહ એટલે સંકુચિતતા-કટ્ટરતા-હરીફાઈ. સ્પર્ધકે એમાં પોતાની વિચારશૈલી, હૃદય અને બુદ્ધિ કેટલી હદે નાનાં છે એ સાબિત કરવાનું રહેશે. જેમની પાસે અત્યંત Nano-નેનો-હૃદય, મન અને દૃષ્ટિ, બુદ્ધિ કે વિચાર હશે (આ સઘળું જુદું ન પડે તો નહીં પાડવાનું, અમારે તો વિશદ થવાનું છે, એટલે જુદાં જુદાં નામ પાડ્યાં) તે સ્પર્ધામાં વિજેતા નીવડશે. દેશની માનવસંખ્યાને આધારે સ્પર્ધાનાં દસ લાખ પારિતોષિકો રખાયાં છે.

સ્પર્ધાનો પડકાર હવે આવે છે. એમાં ભિન્ન-ભિન્ન સ્તર રહેશે. પ્રથમ સ્તર માન્યતાઓનું. સ્પર્ધક પોતાની માન્યતાઓમાં કેટલો લઘુ છે, તે એણે દેખાડવું પડશે. જો એ પોતે જે સ્વીકારે છે, તેનાથી અલગ કંઈ પણ જુએ / અનુભવે તો કેટલો ઉશ્કેરાય છે, તે એણે બતાવવાનું છે. આ સ્તરમાં હત્યા કરવા સુધી જે જઈ શકે તે શ્રેષ્ઠ ગણાશે. (હત્યા કરવા દેવામાં નહીં આવે, એ માટે રક્ષાકર્મીઓને હાજર રાખવામાં આવશે.)

બીજા સ્તરે સ્પર્ધકો અન્યોનાં વર્તનને કેટલું ખમી શકે છે એની કસોટી થશે. વર્તનમાં ખાનપાન ને વસ્ત્ર ઇત્યાદિ આવરી લેવામાં આવશે. સ્ત્રીપુરુષ મૈત્રી અને જાતપાતના ભેદ સ્વીકારવામાં સ્પર્ધક કઈ હદે અસહિષ્ણુ છે, તે આ તબક્કે સ્પષ્ટ કરવું પડશે. જો સ્પર્ધક વસ્ત્રની છૂટછાટ કે વર્તાવની સ્વતંત્રતા પરત્વે ઉગ્ર બની, મત્ત અવસ્થામાં ફરી વળે, તોડફોડ આચરે, કાપે, બાળે અને સ્થાવર-જંગમ સંપત્તિને ભસ્મીભૂત કરવાની ક્ષમતા દેખાડે, તો એને આ સ્તરે ઉત્તમ ગણવામાં આવશે. કેટલા સમયમાં તે કેટલો વિનાશ કરવા સમર્થ છે એની ખાસ નોંધ લેવાશે.

ત્રીજા સ્તરે ભાષાની-વાણી કહેતાં વૈખરીની તીવ્રતા અને કટુતાની સ્પર્ધા થશે. આ તબક્કે સર્વ પ્રકારનાં ભાષણો-સંભાષણો, નિવેદનો-ફતવાઓ, આક્ષેપો-પ્રતિ-આક્ષેપો (છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલાં) ધ્યાન પર લેવામાં આવશે. નિષ્ણાતોની ખાસ સમિતિ બારીક નજરે, અને સચેત કાને, શબ્દેશબ્દ સાંભળશે અને બોલનારની દેહભાષા નીરખશે. (વીડિયોની મદદથી) જેમના બોલમાંથી સંકુચિતતા અને કટ્ટરતા પ્રબળ વેગમાં બહાર પડતાં હશે, જેમના શબ્દોથી દાહનો અનુભવ થતો હશે, જેમના હાથમાં-ભાષણનાં કાગળિયાં હોય તો – તત્કાલ સળગીને ધુમાડો થઈ જતાં હશે, અને જેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી તણખા અથવા તાતાં તીર નીકળતાં હશે, તેમને આ સ્પર્ધામાં સંકર અર્થાત્ સંકુચિતતા-કટ્ટરતા-રત્નનો ઇલકાબ મળશે. આ સન્માન પ્રાપ્ત કરનાર પરમ ભાગ્યશાળીને મળનારાં અન્ય, પારિતોષિકો, ધનલાભ અને ભૌતિક સુખસગવડનાં સાધનોની યાદી લાંબી છે. એટલી લાંબી યાદી અત્રે પ્રગટ નહીં થાય, સ્થળસંકોચ નડશે.

– તો આ નવીન, તાજગીસભર, ઉત્તેજક અને રોમહર્ષક સ્પર્ધા આ દેશનાં સ્પર્ધકોની પ્રતીક્ષા કરે છે!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 19

Loading

મૅન્યુફૅક્ચર્ડ પ્રોટેસ્ટ : જો વિદ્રોહ ઉત્પાદિત કરી શકાતો હોત તો કૉન્ગ્રેસને ઉથલાવતાં સંઘપરિવારને નવ દાયકા ન લાગ્યા હોત

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|19 October 2015

વધતી અસહિષ્ણુતાના વિરોધમાં સાહિત્યકારો અને સર્જકો સરકારી માન-સન્માન પાછાં કરી રહ્યા છે એ જોઈને સરકાર હેબતાઈ ગઈ છે. એણે ધાર્યું નહોતું કે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ ચારેકોરથી એવા લોકો બહાર નીકળશે જે રૂઢ અર્થમાં સેક્યુલરિઝમના ઝંડાધારી નથી કે ઝોળાવાળા કર્મશીલો નથી. એમાંના કેટલાક એવા લોકો છે જેમનાં અત્યાર સુધી નામ પણ અજાણ્યાં હતાં. એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની છે જેણે રાજ્ય સરકારનો પુરસ્કાર પાછો કર્યો છે અને બીજા એક વિદ્યાર્થીએ શિક્ષણપ્રધાન સ્મૃિત ઈરાનીના હાથે પુરસ્કાર લેવાની ના પાડી દીધી છે.

ક્યાંથી આ અવાજ ઊઠ્યો? જવાહરલાલ નેહરુનાં ભાણી નયનતારા સેહગલ અવાજ ઉઠાવનારાં પહેલાં સાહિત્યકાર હતાં એ તો એક નિમિત્ત માત્ર છે. અવાજ ક્યાંક ઊંડે-ઊંડે ઘૂંટાતો હતો અને અભિવ્યક્તિનો મોકો શોધતો હતો. ગૂંગળામણની પણ એક ભાષા હોય છે જે યોગ્ય સમયે અને સામૂહિકપણે અવાજ ધારણ કરતી હોય છે. માનવીય મૂલ્યોના પક્ષધરો સતત ઊહાપોહ કરતા રહે છે જેને રોજના કકળાટ તરીકે નજરઅંદાજ કરી શકાય છે, પરંતુ એને જ્યારે હોંકારો મળવા લાગે ત્યારે ભલભલા શાસકો થથરી જાય છે. અચાનક માનવતાના સાદને હોંકારા મળી રહ્યા છે જેની સરકારે અપેક્ષા નહોતી રાખી.

અકળાવનારો અવાજ કાને પડવા લાગે ત્યારે શરૂઆતમાં તો એની ઠઠ્ઠા કરવામાં આવે છે. એ પછી પણ જ્યારે એ અવાજ બળકટ બનવા લાગે ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવે છે અને એ એની રીતે શાંત પડી જાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. જો અવાજ એ છતાં પણ શાંત ન પડે ત્યારે એમાં કાવતરું જોવામાં આવે છે અને એ પછી પણ જ્યારે અવાજ શાંત નથી પડતો ત્યારે શાસકોએ અવાજના પક્ષે રસ્તો કરી આપવો પડતો હોય છે. દાદરી ઘટના પછી નયનતારા સેહગલ અને હિન્દી સાહિત્યકાર અશોક વાજપેયીએ સાહિત્ય અકાદમીના પુરસ્કાર પાછા કર્યા ત્યારે તેમની ઠઠ્ઠા કરવામાં આવી હતી. કેરી ખાઈ લીધી, હવે ગોટલા પાછા આપવામાં આવી રહ્યા છે અથવા પુરસ્કારની રકમ તો આપી, વ્યાજ કોણ આપશે વગેરે. એ પછી પણ જ્યારે પુરકાર પાછા કરવાની ઘટના વણથંભી ચાલુ રહી ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવી હતી અને હવે સરકારને એમાં કાવતરું અને એ પણ આંતરરાષ્ટ્રીય કાવતરું નજરે પડી રહ્યું છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ પુરસ્કાર પાછા કરવાની ઘટનાઓને મૅન્યુફૅક્ચર્ડ પ્રોટેસ્ટ તરીકે ઓળખાવ્યો છે. કોઈ એક જગ્યાએ બેસીને કાવતરાના ભાગરૂપે ઉત્પાદિત કરવામાં આવેલો પ્રતિકાર. જેટલીસાહેબનો આ ફ્રેઝ વિશ્વપ્રસિદ્ધ ભાષાવિદ અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ નોમ ચોમ્સ્કી દ્વારા પ્રેરિત છે. મૅન્યુફૅક્ચરિંગ કન્સેન્ટ એ ચોમ્સ્કીનો ફ્રેઝ છે. મૂડીવાદી સમાજ માર્કેટિંગ દ્વારા પોતાને માફક આવે એવું વિકાસનું પ્રિસ્ક્રિપ્શન જગત આખામાં વેચે છે. વિકાસનો પશ્ચિમનો ઢાંચો અપનાવવામાં જ તમારું કલ્યાણ છે એવો એકસરખો સૂર કાઢવામાં આવે છે. વર્લ્ડ બૅન્ક, ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ, હેરિટેજ ફાઉન્ડેશન જેવી અમેરિકન સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલી સવર્‍સંમતિને વૉશિંગ્ટન કન્સેસસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માર્કેટિંગ દ્વારા કન્સેન્ટ (સંમતિ) તો પેદા થઈ શકે, પરંતુ પ્રોટેસ્ટ પણ પેદા થઈ શકે એ પહેલી વાર સાંભળવા મળ્યું. જો કાવતરાં કરીને વિદ્રોહ થતાં હોત તો અંગ્રેજો ભારતમાં બે સદી રાજ ન કરી શક્યા હોત, ગોરાઓ આફ્રિકામાં શોષણ ન કરી શક્યા હોત અને આઝાદી પછી ભારતમાં કૉન્ગ્રેસ પાંચ દાયકા રાજ ન કરી શકી હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો નવ દાયકાથી ગાંધી અને નેહરુની કલ્પનાના ભારતને નકારવા મથી રહ્યો છે. નાગપુરમાં બેસીને તેઓ વિદ્રોહનું ઉત્પાદન કરી શક્યા હોત. જો પ્રોટેસ્ટનું મૅન્યુફૅક્ચરિંગ થતું હોત તો આ જગતમાં અરાજકતા હોત. આજકાલ સોશ્યલ મીડિયાના યુગમાં આવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેમાં લોકો વિચારે છે ઓછું અને બોલે છે વધુ. અરુણ જેટલીને એટલી જાણ હોવી જોઈએ કે વિદ્રોહનાં પોતાનાં પરિમાણો (ડાયનૅમિક્સ) હોય છે અને એને પેદા નથી કરી શકાતાં. હા, એને નિવારી શકાય છે, પરંતુ એ માટે રસ્તો બદલવો પડે. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ બીજી વાર વિદ્રોહ ન થાય એ માટે ભારતનો વહીવટ કંપની સરકાર પાસેથી પોતાના હાથમાં લઈ લીધો હતો અને રાજ્યને પરવડે એટલું જવાબદાર બનાવ્યું હતું.

કેન્દ્ર સરકાર પાસે બે વિકલ્પ છે. કાં તો એણે અંગ્રેજોએ જેમ શાસનની ગુણવત્તા સુધારી હતી અને ભારતની પ્રજાને પ્રમાણમાં જવાબદાર રાજ્ય આપ્યું હતું એમ ભારતનું અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોનું શાસન બંધારણીય મૂલ્યો આધારિત અને એની મર્યાદામાં રહીને કરવું જોઈએ. લોકતંત્ર, સહિષ્ણુતા, સેક્યુલરિઝમ ભારતનાં બંધારણીય મૂલ્યો છે અને શાસકનો ધર્મ છે જેને ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયીએ રાજધર્મ ગણાવ્યો હતો. વાજપેયીને એ અમૂલ્ય સલાહ પાછી નરેન્દ્ર મોદીને જ આપી હતી જે અત્યારે વધારે જવાબદારીનો હોદ્દો ધરાવે છે. જો એ સ્વીકાર્ય ન હોય તો તેમણે એટલે કે સકળ સંઘપરિવારે મુક્તપણે પોતાના અસલી એજન્ડા સાથે બહાદુરીપૂર્વક બહાર આવવું જોઈએ. મુસોલિની, તાલિબાન, ઇસ્લામિક બ્રધરહુડના નેતાઓ વગેરેએ કોઈ પણ પ્રકારનો ઢોંગ કર્યા વિના સહઅસ્તિત્વના સેક્યુલર રાજ્યને નકાર્યું હતું અને નકારી રહ્યા છે. તેમની હિંમતને અને પ્રામાણિકતાને તો દાદ આપવી જ જોઈએ. એક માણસ ઊંબાડિયાં કરે, બીજો દાદ આપે, ત્રીજો બચાવ કરે, ચોથો વારે, પાંચમો હિન્દુ સભ્યતાની દુહાઈ આપે, છઠ્ઠો કાવતરાંની વાતો કરે અને સાતમો સેક્યુલરિઝમ તેમ જ વિકાસની વાતો કરે એવું નાટક શા માટે કરો છો? આવી જાઓ મેદાનમાં તમારા અસલી ચહેરા સાથે. હિંમત અને પ્રામાણિકતા ન હોય એને સાચો હિન્દુ કઈ રીતે કહી શકાય.

પાંચ દિવસ પછી દશેરા આવે છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સંઘના સરસંઘચાલક દશેરાના દિવસે સ્વયંસેવકોનું માર્ગદર્શન કરે છે. નવ દાયકા જૂની આ પરંપરા છે. આ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે હિંમતપૂર્વક સંઘનો અસલી એજન્ડા અને સાચો ચહેરો પ્રગટ કરી દેવા જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/is-rashtriya-swayamsevak-sangh-manufacturing-product-2

Loading

...102030...3,6703,6713,6723,673...3,6803,6903,700...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved