Opinion Magazine
Number of visits: 9690960
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસ ભણવા માટેનો અર્થાત્ શીખવા અને સમજવા માટેનો વિષય છે, વેર વાળવા માટેનો નથી

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|8 February 2016

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલી સિસિલ રહોડ્સ મસ્ટ ફૉલ મૂવમેન્ટ અને ઇતિહાસબોધ, આજકાલ જાણે આખી દુનિયા અશાંત અને આંદોલિત છે. ઑક્સફર્ડમાં આફ્રિકન વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું જે કહે છે, રહોડ્સ મસ્ટ ફૉલ. તેમની માગણી એવી છે કે કૅમ્પસમાંથી સિસિલ રહોડ્સનું પૂતળું હટાવવું જોઈએ અને રહોડ્સ સ્કૉલરશિપ મોટા પ્રમાણમાં લૂંટના વળતર તરીકે આફ્રિકન વિદ્યાર્થીઓને આપવી જોઈએ

તમે કદાચ સર સિસિલ રહોડ્સનું નામ નહીં સાંભળ્યું હોય, પણ સાઉથ આફ્રિકાના એક દેશ ર્હોડેશિયાનું નામ સાંભળ્યું હશે જે અત્યારે ઝિમ્બાબ્વે તરીકે ઓળખાય છે. તમે વિશ્વની સૌથી મોટી ડાયમન્ડ કંપની ડી બિયર્સનું નામ પણ સાંભળ્યું હશે અને કેટલાક પથન-પાઠનમાં રસ લેનારા વાચકોએ ઑક્સફર્ડ યુનિવર્સિટીની વિશ્વપ્રસિદ્ધ રહોડ્સ સ્કૉલરશિપ વિશે પણ સાંભળ્યું હશે. સર સિસિલ રહોડ્સ એના જનક હતા. મૂળ બ્રિટિશ સર સિસિલ રહોડ્સ કમાવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં એટલુંબધું કમાયા હતા કે આજે પણ નાણાંના કોથળા ખાલી નથી થયા.

કહેવાની જરૂર નથી કે એ કમાણી શોષણ આધારિત હતી. હીરાની ખાણોમાં ગરીબ કાળા ખાણિયા મજૂરો સાથે જે અત્યાચારો થયા હતા એ કમકમાં આવે એવાં હતાં. સિસિલ રહોડ્સે માત્ર અત્યાચારો નહોતા કર્યા, અત્યાચારોને વાજબી ઠેરવ્યા હતા. તેઓ એમ માનતા હતા કે ઍન્ગ્લો સેક્શન પ્રજા જ વિશ્વની સર્વોચ્ચ પ્રજા છે અને વિશ્વ પર આધિપત્ય ધરાવવાનો તેમનો ઈશ્વરદત્ત અધિકાર છે. તેઓ વંશવાદી અને સંસ્થાનવાદી એમ બન્ને હતા અને ઉપરથી દયાહીન પણ હતા. ૧૯૦૨માં ૪૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણીને આફ્રિકા ગયેલા સિસિલ રહોડ્સે તેમના વિલમાં કરેલા નિર્દેશ મુજબ મોટી રકમ યુનિવર્સિટીને આપીને ૧૯૦૩માં રહોડ્સ સ્કૉલરશિપ શરૂ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સત્તાવાળાઓએ ત્યારે યુનિવર્સિટીના કૅમ્પસમાં ઊંચા ઓટલા પર રહોડ્સનું પૂરા કદનું પૂતળું મૂક્યું હતું જે આજે હવે વિવાદનો વિષય બન્યું છે.

આજકાલ જાણે આખી દુનિયા અશાંત અને આંદોલિત છે. સોશ્યલ મીડિયા આને માટે મુખ્યત્વે જવાબદાર છે. ઑક્સફર્ડમાં આફ્રિકન વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું જે કહે છે : રહોડ્સ મસ્ટ ફૉલ. એ આંદોલનને બીજા માનવતાવાદી વિદ્યાર્થીઓનો, ફૅકલ્ટી-મેમ્બર્સનો અને નોમ ચોમ્સ્કી જેવા વિશ્વપ્રસિદ્ધ પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો ટેકો સાંપડી રહ્યો છે. તેમની માગણી એવી છે કે કૅમ્પસમાંથી સિસિલ રહોડ્સનું પૂતળું હટાવવું જોઈએ અને રહોડ્સ સ્કૉલરશિપ મોટા પ્રમાણમાં લૂંટના વળતર તરીકે આફ્રિકન વિદ્યાર્થીઓને આપવી જોઈએ.

તમને શું લાગે છે, તેમની માગણી ઉચિત છે? આનો ઉત્તર સામાજિક નિસરણી પર તમે કયા પગથિયે ઊભા છો એના પર નિર્ભર છે. જેમણે શોષણ અનુભવ્યું નથી એ શોષણની યાતના ક્યારે ય અનુભવી નહીં શકે. એક જ પરિવારમાં રહેતા હોવા છતાં અને એક સરખી સામાજિક પૃષ્ઠભૂમિ હોવા છતાં સ્ત્રીની પીડા પુરુષ નથી સમજી શકતો. બીજી બાજુ જેમનું શોષણ થયું છે અને જેમણે શોષણ અનુભવ્યું છે તે સમાજ જ્યારે જાગ્રત થાય છે અને ન્યાય અને સમાનતાનાં મૂલ્યો સમજતો થાય છે ત્યારે જૂના ઘા દુઝતા રાખવામાં તેમને એક પ્રકારનું સમાધાન મળતું હોય છે. તમે શોષક સમાજના સભ્ય છો અથવા શોષકોના વારસો છો એ વિશે આંગળી ચીંધવામાં તેમને સમાધાન મળે છે. પોતાને વ્યવસ્થાના શિકાર (વિક્ટિમ) ગણાવવામાં અને બીજાને ગુનેગાર ગણાવવામાં સમાધાન મળે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના કૅમ્પસમાં આ જ બની રહ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉદાસીન છે અને બીજા કેટલાક વિદ્યાર્થીઓ ભૂતકાળનું વેર વાળવા માગે છે. રહોડ્સ મસ્ટ ફૉલની માગણીના ટેકામાં ૨૪૫ મત પડ્યા હતા અને વિરુદ્ધમાં ૨૧૨ મત પડ્યા હતા. શોષિત સમાજના વારસો મતદાનમાં જીતી શકે એટલી હદે જાગ્રત અને સંગઠિત થઈ રહ્યા છે અને તેમને શોષકોના વારસોનો સુધ્ધાં ટેકો મળી રહ્યો છે એ આનંદની વાત છે, પરંતુ આ અભિગમ યોગ્ય છે?

ઇતિહાસ ભણવા માટેનો અર્થાત્ શીખવા-સમજવા માટેનો વિષય છે, વેર વાળવા માટેનો નથી. સંસ્થાનવાદ, વંશવાદ, પુરોહિતવાદ કે મનુવાદ, સામંતવાદ, પુરુષાધિપત્યવાળો લિંગવાદ વગેરે એક જમાનામાં પ્રવર્તતા હતા અને આજે પણ કેટલેક અંશે પ્રવર્તે છે તો એ સ્થળ-કાળની એક પ્રક્રિયા છે અને એ સતત બદલાતી રહે છે. આજે આપણે જેને અન્યાય કે અમાનવીયતા સમજીએ છીએ એ એ જમાનામાં સ્વાભાવિક રીતરસમ હતી. સિસિલ રહોડ્સના વિચારો અને કાર્ય તેમના યુગની વિચારધારા અને રસમોનું પરિણામ હતું. જમશેદજી જીજીભાઈ ચીનમાં અફીણની નિકાસ કરીને પૈસા કમાયા હતા. ભાયખલા અને અગાસી ર્તીથમાં જૈન દેરાસર બંધાવનારા મોતીશા શેઠ પણ અફીણના ધંધામાં કમાયા હતા. ૧૮૬૧માં અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિન્કને જ્યારે ગુલામીના વ્યાપાર પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે અમેરિકન રાજ્યોએ કેન્દ્ર સરકાર સામે બળવો કર્યો હતો. અત્યારે એ જ અમેરિકામાં અશ્વેત બરાક ઓબામા પ્રમુખ છે અને ખૂબ લાડલા પ્રમુખ છે. ટૂંકમાં કહીએ તો, હજી ગઈ કાલ સુધી સમાજમાં જેનું-તેનું આધિપત્ય એ વાસ્તવિકતા હતી અને ન્યાયયુક્ત સમાજ એ આજના અને આવતી કાલના સમાજનું લક્ષ છે.

ન્યાયયુક્ત સમાનતા આધારિત સમાજના નિર્માણ માટેની આજની લડાઈમાં ઇતિહાસની સમજ ઉપયોગી નીવડે છે, પરંતુ બની એવું રહ્યું છે કે આજની લડાઈ માટે ઇતિહાસનો સાધન તરીકે જ નહીં, ઓજાર અને શસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો જમશેદજી જીજીભાઈનું પૂતળું ચીનમાં હોત તો તેમના પૂતળાના પણ એ જ હાલ થયા હોત જે સિસિલ રહોડ્સના પૂતળાના થઈ રહ્યા છે. ઇતિહાસનો અને ઐતિહાસિક પાત્રોનો ઇતિહાસબોધ તરીકે ઉપયોગ કરીને એને ભૂલી જવા જોઈએ. ઑક્સફર્ડ યુનિવર્સિટીના અંદાજે ૮૦૦ વર્ષ જૂના કૅમ્પસમાં ઇતિહાસના અનેક માઇલસ્ટોન્સ અલગ-અલગ સ્વરૂપમાં ઊભા છે એમાં સિસિલ રહોડ્સ એક છે અને તેમના પૂતળાને એ રીતે જોવું જોઈએ. વેર વાળવાથી ઇતિહાસ ભૂંસાઈ જવાનો નથી.

તો પછી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગનું નામ બદલવાનું શું ઔચિત્ય? એ તો આના કરતાં પણ વિકૃત ઘટના છે. ઑક્સફર્ડમાં જે બની રહ્યું છે એ આધિપત્યરહિત સમાજના નિર્માણ માટેની આજની લડાઈમાં સિસિલ રહોડ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, પરંતુ ઔરંગઝેબને ટાર્ગેટ કરવા પાછળનું કારણ હિન્દુઓના આધિપત્યને સ્થાપિત કરવાનું છે. સિસિલ રહોડ્સના પૂતળાને હટાવવાની માગણી કરનારાઓ આધુનિક માનસ અને વલણ ધરાવે છે એટલું તો સ્વીકારવું જોઈએ, જ્યારે ઔરંગઝેબનું નામ હટવાનારાઓ પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માગતા મધ્યકાલીન જુનવાણી માનસ ધરાવનારાઓ છે. વિચારી જુઓ. જો તમે સિસિલ રહોડ્સના પક્ષે હો તો ઔરંગઝેબના પક્ષે પણ ઊભા રહેવું જોઈએ. છે આટલી પ્રામાણિકતા?

સૌજન્ય : ’કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2016

http://www.gujaratimidday.com/features/columns/history-is-to-learn-and-understand-not-for-to-take-revenge-2

Loading

લેતી-દેતીનો ધાર્મિક વ્યવહાર અને આપણું ભ્રષ્ટાચારનું DNA

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 February 2016

આપણી બિરાદરીની ભાવના સાથે રૂપિયાનો વ્યવહાર જોડાયેલો છે એટલે ભ્રષ્ટાચારથી આપણે બહુ વિચલિત થતા નથી

પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી આક્રમણ થયું એમાં પાકિસ્તાનનું ભલું (અને ભારતને નુકસાન) થયું કે નહીં એ તો અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ઊંચા અવાજે બૂમાબૂમ થઈ એમાં નરેન્દ્ર મોદીના દ્વિતીય આત્મા (ઓલ્ટર ઇગો) અરુણભાઇ જેટલીને ફાયદો થઈ ગયો. મોદી સરકાર એના શાસનકાળના સૌથી મોટા દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન કાૈભાંડનો સામનો કરી રહી હતી તે કૌભાંડ પઠાણકોટ હુમલાના શોરબકોરમાં ખોવાઇ ગયું.

અગાઉ સુષ્મા સ્વરાજ, સ્મૃિત ઇરાની, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ સામે ગડબડીના આક્ષેપ થયા ત્યારે ય મોદી સરકાર એમની પડખે ઊભી રહી હતી. નરેન્દ્ર મોદી ‘હું કોંગ્રેસ કરતાં વધુ પવિત્ર છું’ અને ‘હું ભ્રષ્ટાચારમુક્ત સરકાર આપીશ’ એવા વચન સાથે સરકારમાં આવ્યા હતા. એની કોઈ જવાદબારી લેવાને બદલે સરકાર જે રીતે આક્ષેપોને અવગણી રહી છે તેની ખાસ્સી ટીકા થઈ રહી છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મોદીને પત્ર લખીને લોકપાલ આંદોલનના પ્રણેતા અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘મોદી સરકાર અને યુ.પી.એ.ની સરકાર વચ્ચે કોઈ ફર્ક દેખાતો નથી.’ હઝારેએ આ પત્રમાં એમ પણ લખ્યું હતું કે મનમોહનસિંહની સરકાર સામે મેં જ જબરદસ્ત આંદોલન છેડ્યું હતું, પણ મનમોહને મારા પત્રોનો જવાબ આપવાની તમા રાખી હતી જ્યારે તમે તો મન કી બાતમાં ય ભ્રષ્ટાચારની વાત કરતા નથી કે નથી મને જવાબ આપતા.

ભારતમાં સરકારો બદલાય છે અને સરકારોની ખાતરીઓ બદલાય છે, પણ ભ્રષ્ટાચારમાં કશું બદલાતું નથી. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલનો એક તાજો અહેવાલ કહે છે કે ભારતમાં ભ્રષ્ટાચારમાં કોઈ કમી આવી નથી. ભારતના મુકાબલે પાકિસ્તાને એના કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં સુધાર કર્યા છે પણ ભારતની સ્થિતિ 2014 જેવી જ છે. ભારત ત્યારે ય 38 નંબરે હતું અને આજે ય ત્યાં જ છે. આ સંસ્થાના એશિયા પ્રદેશના ડાયરેક્ટરે એક ઇ-મેઈલમાં કહ્યું હતું કે ભારતમાં સામાન્ય ચૂંટણી અને દિલ્હીની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર વિરોધી બહુ ખાતરીઓ આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી.

રિઝર્વ બેંકના ચેરમેન રઘુરામ રાજને એક વક્તવ્યમાં કહેલું કે, ‘ભારતમાં એક વિષચક્ર છે. ગરીબ અને જરૂરતમંદ લોકોને રાજકારણીની મદદની જરૂર હોય છે. ચોર રાજનેતાને વેપારીના ફંડની જરૂર હોય છે. વેપારીને સરકારના કોન્ટ્રાક્ટ અને દયા-નજરની જરૂર હોય છે. રાજકારણીને સત્તામાં આવવા ગરીબ અને જરૂરતમંદોના વોટની જરૂર હોય છે. એકબીજા પરની આ નિર્ભરતા એટલી મજબૂત છે કે એને તોડવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.’ ભારતમાં ભ્રષ્ટાચારનું જીન (વંશાણુ) શોધાય તો એ કેન્સર જેવું નીકળે. ભ્રષ્ટાચાર ભારતીય સમાજના ડીએનએમાં વણાયેલો છે, એવો તર્ક વાહિયાત નથી.

દુનિયાનાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં ભારતમાં ધર્મ ટ્રાન્સેક્શનલ (લેતી-દેતી) છે. આપણે ભગવાનને રૂપિયા-પૈસાની ભેટ ચઢાવીએ છીએ અને ઇચ્છા રાખીએ છીએ કે ભગવાન આપણને આઉટ-ઓફ-ટર્ન મદદ કરે. મંદિરની અંદર આને પ્રસાદ કે ભેટ કહેવાય, મંદિરની બહાર રિશ્વત. જેની જેટલી શક્તિ, ગરીબ માણસ રૂપિયા-દસ રૂપિયાની ભેટ મૂકે, ધનવાન હોય એ સોનાના બિસ્કિટ ચઢાવે. ભારતમાં દરેક ધાર્મિક સેવાના બદલામાં પૈસાનો વ્યવહાર થાય છે. એટલા માટે જ ભારતીય સંસ્કૃિતમાં પૈસાનો વ્યવહાર હંમેશાં શુભ જ મનાયો છે. સ્ત્રી લગ્ન કરીને ઘરમાં આવે ત્યારે સાથે રોકડ રૂપિયા અને કીમતી વસ્તુ લઈને આવે એ માત્ર વિનિમય જ નથી, એ લેતી-દેતી પવિત્ર સંકેત પણ મનાય છે. આપણા દરેક વ્યવહારમાં પૈસાનો વિનિમય છે. સંબંધી મહેમાન ઘરના વડીલને ચરણસ્પર્શ કરે તો બદલામાં રૂપિયા અપાય છે. દિવાળીમાં પરિવારના સભ્યોને રોકડ નોટો અપાય છે. વિવાહ કે લગ્નની વિધિ રૂપિયાની લેવડ-દેવડથી પાકી થાય છે.

આપણી બિરાદરીની આ ભાવના સાથે રૂપિયાનો વ્યવહાર જોડાયેલો છે. એટલે ભ્રષ્ટાચારથી આપણે બહુ વિચલિત થતા નથી. બિરાદરીની આ જ ભાવનાથી ભ્રષ્ટાચારના આરોપો છતાં જયલલિતાને લોકો પુન: સત્તાસ્થાને બેસાડે છે. આપણે જેને ડાકુ, લૂંટારા કે ઠગ કહીએ છીએ એ સૌ પોતે પોતાની બિરાદરી કે સમુદાયમાં હીરો રહ્યા છે. એક્ચુઅલી આપણે ભ્રષ્ટ કે પાપી વ્યક્તિને બરદાસ્ત કરી લઇએ છીએ તેનું બીજું એક કારણ પુનર્જન્મની આપણી ધારણા છે. આપણે માનીએ છીએ કે જીવન સાઇકલની જેમ ચાલતું રહે છે અને એ ચક્રમાં માણસ વિકસિત થતો રહે છે, હાલત બદલાતી રહે છે. આપણી ધારણામાં પ્રત્યેક વ્યક્તિ એનાં આ જન્મનાં કર્મોનાં ફળ બીજા જન્મમાં ભોગવે છે એટલે આ જન્મનો પાપી બીજા જન્મમાં પુણ્યશાળી બને છે અને આજે જે શ્રેષ્ઠ છે તે ભાવિમાં કનિષ્ઠ બને છે.

સાત પેઢી ખાય તેટલી સંપત્તિ ધરાવતા લોકો આપણી તાળીઓ મેળવે છે અને આપણા આદર્શ પણ છે. અતિ લોભ તે પાપનું મૂળ છે એવું કોણ માને છે? પૈસો હાથનો મેલ છે એવું કોણ બોલે છે? અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમણે સ્કૂલો બનાવી હતી. ભારતીયો પશ્ચિમમાં ગયા તો એમણે મંદિરો બાંધ્યાં. મંદિરો એ ઇશ્વર પ્રત્યેની ભક્તિ નથી. (જે ઘરની ચાર દીવાલો વચ્ચે પણ શક્ય છે.) મંદિરો ઇચ્છાપૂર્તિનું સ્થળ છે. જે દેશમાં લેતી-દેતીને ધાર્મિક અને સામાજિક સ્વીકૃતિ મળી હોય તે દેશમાં ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થાય? મળીએ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 ફેબ્રુઆરી 2016

Loading

સત્તા, સ્વતંત્રતા અને સમતાની દીવાદાંડી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 February 2016

નેહરુઆંબેડકર બંનેને સત્તાનો બાધ નહોતો તેમ જ કેવળ સત્તાલક્ષી ન બની રહે તેવા ઉચ્ચાકાંક્ષી પણ એ હતા

ત્રીસ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચેના આ દિવસોમાં, શ્રાધ્ધપર્વમાં, લાહોરમાં ભગતસિંહનો કેસ પૂરાં પંચાસ-છયાંસી વરસે ખૂલી રહ્યાના સમાચાર રૂડા આવ્યા! ભગતસિંહના સમગ્ર દસ્તાવેજ સંચય ભણી ઉત્તરોત્તર અગ્રસર થઈ રહેલા પ્રો. ચમનલાલને હજુ હમણે જ દાંડીમાં મળવાનું થયું ત્યારે એમણે આગોતરી વધામણી પણ આપી હતી કે સોન્ડર્સની હત્યાની એફ.આઇ.આર.માં ભગતસિંહનું નામ જ નથી એ પાયાની વિગત બહાર આવવાને કારણે આ શક્યતા ઊભી થઈ છે. કુલદીપ નાયરના પ્રયાસોએ થોડીક હવા ઊભી કરી હશે, ખાસ કરીને બંને શરીફ ભાઈઓ સાથેના એમના અનૌપચારિક જેવા સંબંધોને કારણે, પણ પાકિસ્તાનના કેટલાંક સક્રિય નાગરિક વર્તુળોની સતત કોશિશથી આ ઉઘાડ શક્ય બન્યો છે. ભગતસિંહની ક્રાંતિકારી પ્રતિભાને તેઓ ભારત-પાક સંયુક્ત વિરાસત તરીકે જુએ છે.

સંયુક્ત વિરાસતની વસ્તુત: વિશ્વમાનવતાની, જિકર કરી એટલે સ્વાભાવિક જ ‘પાકિસ્તાન ટાઇમ્સે’ ગાંધીજીને આપેલી એ યાદગાર અંજલિનું સ્મરણ થઈ આવ્યું કે મિ. ગાંધીની હયાતીમાં અમારે એમની ટીકા કરવાના પ્રસંગો જરૂર આવ્યા હતા, પણ ત્યારે અને અત્યારે બધો વખત અમે એક વાતે આશ્વસ્ત જ આશ્વસ્ત હતા અને છીએ કે આ ઉપખંડ પર કમસે કમ એક માણસ એવો અ‌વશ્ય છે જે સરહદની બંને બાજુના માણસોની ચિંતા કરે છે.

એવોર્ડ વાપસીએ જગવેલ ચર્ચાથી માંડીને દાંડી પહેલ જેવા સ્વયંભૂ શા અવસરો રાષ્ટ્રવાદની ધર્મકોમી સાંકડી વ્યાખ્યામાંથી જ નહીં પણ માનવતાને ઉદ્દધ્વસ્ત કરી શકવાની હદે હાવી થઈ શકતા રાષ્ટ્રવાદ સુધ્ધાંને માઝામાં રાખી જૂના ચિંતનમાંથી બહાર આવવાનો મોકો અને ધક્કો આપે છે. જેને આપણે માનવ્યની પ્રતિષ્ઠાનું, એને વાસ્તે સમતા-અને-સ્વાતંત્ર્ય-મૂલક સમાજરચનાનું મૂળગામી રાજકારણ કહી શકીએ એવો ઉઘાડ અને ઉપાડ છે.

તમે જુઓ કે બંગભંગના વારાથી ‘વંદે માતરમ’ના નારાનો ચોક્કસ મહિમા રહ્યો છે. એ જ 1905-06ના અરસામાં સુદૂર આફ્રિકામાં સત્યાગ્રહની બારાખડી આલેખાય છે. 1909-10માં રશિયા બેઠે  તોલ્સતોય જિંદગીના અંતિમતમ ચરણમાં ગાંધીને લખે છે કે તમે ત્યાં જે કરી રહ્યા છો તે ટ્રાન્સવાલ જેવા એક દેખીતા અંધારા અને છેવાડાના મુલકને આજની (બલકે, નવી) દુનિયાના કેન્દ્રમાં મૂકી આપે છે. ભગતસિંહ હસ્તક ‘વંદે માતરમ’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ લગીની જે સંક્રાન્તિ થાય છે તે રીતભાતે જુદી જણાતે છતે છે તો આ જ તરજ પરની.

તાજેતરનાં વરસોમાં એકથી વધુ વાર ઇતિહાસકાર બિપનચંદ્રનું એ કૌતુકભર્યું અવલોકન નોંધવાનું બન્યું છે કે ભગતસિંહને આયુષ્યનાં વધુ વરસો મળ્યા હોત તો એ ગાંધીવાદી બની કોળ્યા હોત. બિપનચંદ્ર આખરી દોરમાં ભગતસિંહ પર નવેસરથી કામ કરી રહ્યા હતા, અને એમાં તેઓ પોતાની આ નવ્ય પ્રતીતિ ઉપસાવવા ઈચ્છતા હતા. આ દિશામાં એમણે કરેલ કાચુંપાકું કામ બહાર આવે તો જરૂર એક કીમતી સહવિચારસામગ્રી મળી રહે. ગમે તેમ પણ, ભાવુક રાષ્ટ્રવાદમાં નહીં બંધાતા ઈન્કિલાબી ભૂમિકાએ માર્કસવિચારમાં ઠરેલા ભગતસિંહે એ વિચારો છાંડવાની જરૂરત ભલે ન જોઈ હોય, પણ હિંસક ઉદ્રેક કે ઉત્પાતને સ્થાને લોક આંદોલનના શાંતિમય પ્રતિકારમાં ઠરવામાં એમને ગાંધીનો સધિયારો જરૂર ખપ લાગ્યો હોત. સવાલ પરિવર્તન અને પ્રતિકારની (તેમ જ રચનાની) કારગત વ્યૂહરચનાનો છે. બને કે બિપનચંદ્રે ભગતસિંહને આ સંદર્ભમાં ગાંધીવાદી તરીકે ઉત્ક્રાન્ત થતા કલ્પ્યા હોય. તત્ત્વત્: , આમ પણ, ભગતસિંહ હિંસા ખાતર હિંસાના કોઈ રુમાની આશક તો નહોતા.

અસાધારણ, અશ્રુતપૂર્વ દાંડી કૂચ પછી ગાંધી-ઈરવિન સમજૂતી અને ભગતસિંહની ફાંસી તેમ જ યરવડા અનશન અને કરાચી કૉંન્ગ્રેસ, બે ત્રણ વરસના આ ગાળામાં સ્વાતંત્ર્યસંગ્રામના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જે એજન્ડા ઉઘડ્યો, આંબેડકર એકસો પચીસી સાથે તે ફરી એક વાર સાફ રીતે સામે આવી રહ્યો છે. જો 2014માં જે કથિત વૈકલ્પિક વિમર્શ સત્તારૂઢ થયો તેની સામે આ એજન્ડાનો ઉઘાડ એક સાથે પડકાર એટલો જ દીવાદાંડી રૂપ છે. કૉંગ્રેસના સંખ્યાબંધ સાથીઓને બને કે, પુના કરારની તાત્કાલિકતા-અને સવિશેષ તો હરિજનયાત્રાને અગ્રતાનો ગાંધીનિર્ણય સોરવાયો ન હોય. વસ્તુત: આંબેડકરે પોતે નોંધ્યું છે તેમ ગાંધીના અનશને જો એમના પર દબાણ ઊભું કર્યું હોત તો ઉજળિયાત હિંદુ નેતૃત્વને પણ તાણમાં મૂક્યું હતું. સ્વતંત્રતા અને સમતાની ઇન્કિલાબી લડાઈ ભારતને માટે માત્ર વર્ગીય નહીં પરંતુ વર્ણગત વાસ્તવ સાથે પણ કામ પાડવાનું અનિવાર્ય બનાવે છે. આ લાંબી લડાઈમાં સત્તાની ભૂમિકા ખસૂસ છે, પણ તે કેવળ સત્તાના વશની વાત નથી.

બિહારના રાજ્યપાલ કોવિંદ ગાંધીનગર આવી પ્રબોધન કરી ગયા કે ગાંધીનેહરુ સત્તા માટે લડ્યા જ્યારે આંબેડકર સમાજસુધારા માટે. કોવિંદ મશાયે આવા છબછબ છમકલાથી શું કહેવા તાક્યું હશે? ભાઈ, દેશ જ્યારે ‘ક્વિટ ઇન્ડિયા’મય હતો અને કૉંગ્રેસ કારોબારીના વરિષ્ઠ સભ્યો – નેહરુ મૌલાના પટેલ કૃપલાની અહમદનગર જેલમાં હતા એ વર્ષોમાં આંબેડકર વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સક્રિય હતા. એ ગાળામાં એમની મારફતે થયેલી પ્રગતિશીલ પહેલ, પાછળથી આઝાદ હિંદમાં ખપ પણ આવી હશે. કોવિંદ આંબેડકરની એક્ઝિક્યુટિવ કાઉન્સિલને કેવી રીતે ઘટાવશે? અથવા, ગાંધીના સૂચનથી નેહરુપટેલ નિમંત્ર્યા આંબેડકરે સત્તાસ્થાને બેસવું પસંદ કર્યું? એને કેવી રીતે જોશે? નેહરુઆંબેડકર બંનેને સત્તાનો બાધ નહોતો તેમ જ કેવળ સત્તાલક્ષી ન બની રહે તેવા ઉચ્ચાકાંક્ષી પણ એ હતા.

શાસકીય ને સામાજિક હિલચાલ બેઉનો ખપ છે. જે દિવસે આ કોલમ પ્રકાશિત થશે તે જોગાનુજોગ ગાંધીજીના 1916ના એ બિગબેંગ ભાષણની તારીખ છે જ્યારે એમણે ગોખલેદીધા મૌનને છેડે બનારસ હિંદુ કોલેજ(યુનિવર્સિટી)ના આરંભે રાંકડી રૈયતને ભોગે ઘરેણે શોભતા (ગુલામ હોવાનું નહીં સમજતા) રાજવીઓનો ઊધડો લીધો હતો – સભાના પ્રમુખ સહિત સૌ મંચસ્થ મહાનુભાવો સભાગૃહ છોડી ગયા હતા. 1915-16થી 1932-33નાં વર્ષોમાં હિંદુ-મુસ્લિમ એકતા, આર્થિક-સામાજિક ન્યાય (અસ્પૃશ્યતા નિવારણ) મૂળભૂત અધિકારો સહિતનું એક સમગ્ર ચિત્ર (મુકમ્મલ આઝાદી) દેશજનતા સમક્ષ આવે છે. 1929ની લાહોર કૉંગ્રેસ અને તે પછી થોડે વરસે કરાંચી કૉંગ્રેસ : આ બેમાં એ બધી સામગ્રી પડેલી છે જેણે બંધારણ સભામાં ખાસું કામ આપ્યું છે.

આ બે ઐતિહાસિક અધિવેશન-નગરો આજે જો પાકિસ્તાનની ઓળખ પામ્યાં હોય તો એનું એક કારણ ગાંધી-ભગતસિંહ-આંબેડકર સહિતનાઓએ જે વિમર્શકોશિશ કીધી તેની સામે વિખરાવ અને ભટકાવની કોશિશો અંશત: કામયાબ રહી તે છે.

ઉતાવળે, થોડા શબ્દોમાં, આ દાંડી પણ, દીવાદાંડી પણ!                                                 

સૌજન્ય : ‘ઇન્કિલાબી ભૂમિકા’, “દિવ્ય ભાસ્કર”, 06 ફેબ્રુઆરી 2016

Loading

...102030...3,6693,6703,6713,672...3,6803,6903,700...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved