Opinion Magazine
Number of visits: 9552586
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસહકાર

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|31 October 2015

ઘણી વખત વિચાર આવે, જ્યારે ભારત ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું, ત્યારે આ ‘અસહકાર’નું આંદોલન જન્મ પામ્યું. અંગ્રજોને ભારતમાંથી તગડી મૂકવા તેઓ જે પણ નવા કાયદા કરે, તેનો આપણે વિરોધ કરતા. અસહકારનું આંદોલન કરી તેમની નવી નીતિનો બહિષ્કાર કરતા. તેમની યોજનાઓ નિષ્ફળ બનાવવામાં આપણે મચી પડતા અને જ્યારે તે નિષ્ફળ નિવડે તો આનંદપૂર્વક ઉજવણી કરતા. યાદ આવે છે, ‘દાંડીકૂચ, મીઠાનો સત્યાગ્રહ’. ‘પરદેશી માલની હોળી’ ! આ બધા પ્રસંગો વખતે હું પોતે પણ હાજર ન હતી. આ લેખ વાંચનાર બુઝર્ગો સિવાય અન્ય જુવાન વર્ગ પણ ગેરહાજર હતો, આ બધું આપણે ભારતનો ઇતિહાસ ભણ્યા ત્યારે વાંચ્યું હતું. અમુક પ્રસંગો તે સમયની ફિલ્મો દ્વારા કચકડામાં મઢી લેવા આવી હતી.

૨૧મી સદીમાં અસહકાર રગરગમાં સમાયો છે. નાના બાળકને પણ કહીશું કે ‘ આ કપડાં પહેર, ના હું પેલા પહેરીશ’! જો કે અસહકાર શબ્દ નાનાં બાળક માટે ઉગ્ર છે. પણ શુભ શરૂઆત ત્યાંથી જ થાય છે. મોટા થાય એટલે પોતાનું મનમાન્યું કરવાના. તેમાં વળી લગ્ન થાય પછી ? કશું કહેવામાં માલ નથી. આ તો સામાન્ય સ્તર ઉપર ઘર ઘરની વાત થઈ. જાહેરમાં, સમાજમાં અને આગળ જ્તા દેશની ભક્તિ આ રીતે પ્રગટ કરીએ છીએ.

ભૂતકાળ ભૂલવાનો, ભવિષ્યની ખબર નથી. વર્તમાનમાં જીવનારા સામે આજે આ લેખ લખવાનો શો હેતૂ હશે? આપણે નહીં તો, આપણા માતા, પિતા યા સગાં સંબંધી એ સમયે જેલ ભેગા પણ થયાં હશે ! મતલબ સીધો છે. આપણામાં અસહકારનાં બીજ છે. જેને આપણે આજની ભાષામાં કહી શકીએ, આપણા ‘જીન્સ’માં છે. લાગે છે ને ભૂમિતિની કોઈ રાઈડર સૉલ્વ કરી હોય. જો કે રાઈડર સૉલ્વ કરવાનું તો શાળાકાળ દરમ્યાન પણ અઘરું લાગતું હતું! આજે ક્યાંથી આવડી ગયું ?

હવે મુદ્દા પર આવું. આપણે યા આપણાં ભાઈબહેનો અથવા આપણા દેશવાસીઓ સરકારે કાયદો કર્યો. ’આવકવેરો’ ભરવાનો. હવે જ્યારે આપણા જન્મજાત સંસ્કાર જ હોય કે સરકાર માઈ બાપ કાંઈ પણ કહે તેનો વિરોધ કરો. આપણે શા માટે આવકવેરો ભરીએ ? જેને કારણે કરચોરી એ આપણો જન્મ સિદ્ધ હક બને છે. ઉપરથી ફરિયાદ કરવાની, ‘ભરેલાં પૈસાથી આપણને શું ફાયદો થયો’ ?

સરકાર માઈ બાપે ભારતમાં બધે ટ્રાફિકનાં સિગ્નલ મૂક્યાં છે. અસહકાર કરો. કાયદાનો ભંગ કરો. સિગ્નલ તોડીને ગાડી પૂરપાટ ભગાવો. જો પાંડુ હવાલદાર પકડે ત્યારે ૧૦૦ કે ૨૦૦ રૂપિયા તેના ખિસામાં સેરવી દો. ગરીબ બિચારો પાંડુ હવાલદાર ‘બાર સાંધતા તેર ટૂટે’ એવી હાલત હોય. બે કડકડતી નોટો જોઈને તમને જવા દે. આપો તાળી !

આવકવેરો ભરવો નહીં અને પછી જ્યારે ઇનકમ ટેક્સવાળાની ધાડ પડે ત્યારે પસીનો છૂટી જાય. જો ઈમાનદાર ઓફિસર હોય તો આવી બન્યું. તેમની ધાડ ઘર, ઓફિસ, ફેક્ટરી, બેંકના ખાતાં અને લૉકર બધાં પર એકી સાથે પડે. કોઈને ગંધ પણ ન આવે. ક્યાં ય એક પૈસો ખસાડવાની જગ્યા ન રાખે. એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે. શેઠ આ આઘાત સહન ન કરી શક્યા અને ‘ રામ બોલો ભાઈ રામ’ થઈ ગયા.  જો વ્યવહાર અને હિસાબ કિતાબ ચોખ્‍ખા રાખ્યા હોય, તો આ દિવસ જોવાનું નસીબમાં ન આવે ! કરોડપતિને, રોડ પતિ થતાં વાર ન લાગી ! આ  થઈ પૈસાની વાત !

આખા શહેરમાં કચરા નાખવાના ડબ્બા રાખ્યા છે. પણ આપણે તો, ભાઈ, અસહકારના હિમાયતી. આ પડીકામાંથી ખાધું નથી ને ડૂચો ફેંક્યો રસ્તા પર. પછી ગરમી ખાવાની, સરકાર રસ્તા સાફ નથી રાખતી. શું સરકારને બીજો કોઈ ધંધો ખરો? જો આપણે સરકારને સાથ અને સહકાર આપીશું તો મને લાગે છે આપણા દેશમાંથી ગરીબીને પગ આવશે. જરા આપણી પ્રગતિ પર નજર નાખી વિચાર કરી જુઓ. ક્યાંથી ક્યાં આવી પહોંચ્યા છીએ. આપણા દેશનું યુવા ધન કેટલું હોશિયાર છે. તેમને જરા સાથ અને સહકાર આપી જુઓ. તેમનામાં આકાશને આંબવાની તમન્ના છે. આધુનિકતાના રંગે રગાયેલા યુવાનો ખૂબ ઊંચા વિચાર અને કામ કરવાની શક્તિ ધરાવે છે.

બે મહિના પહેલાં સૂરતથી મુંબઈ જઈ રહી હતી. ફ્લાઈંગ રાણીને આવવાની વાર હતી. મારી નજર સામે અદ્દભુત દૃશ્ય જોયું. પાણીની પઈપો વડે પ્લેટફૉર્મ ધોવાતું હતું. નીચે પાટા પરથી કચરો બધો સાફ થયો. ગાલે ચૂંટી ખણી, ખરેખર આ બની રહ્યું છે! ત્યાં સામેના પાટા પર લોકલ ગાડી આવી અને ઉપડી ગઈ. તમે નહીં માનો, ગાડી ગયા પછી, પાટા પર બેસૂમાર કચરો ખડકાયો હતો. બોલો આને શું કહું. અમે સહકાર આપવાના નથી. ‘ગંદકી કરવી અમારો જન્મ સિદ્ધ હક છે’ !

ઘણી વખત ભણેલાં કે અભણ બેમાં કોઈ ફરક જણાતો નથી. ખૂબ દુઃખ થાય એવી વાત છે. ગરીબ કે તવંગર કોઈ ફરક નહીં. જ્યાં એક જાતનું માનસિક વલણ ઘર કરી ગયું હોય ત્યાં બદલાવ કઈ રીતે લાવવો ? એક ઉપાય છે. જો આપણે બધા આચરણમાં મૂકીએ તો વાત સીધા પાટા પર આવે ખરી ! આજકાલ બધા એમ.બી.એ. છે. ‘મને બધું આવડે છે’. જેને કારણે અસહકાર દર્શાવવો એ એક રિવાજ થઈ ગયો છે. અરે ભાઈ, સહકાર આપવો એ ગુલામીની દશા નથી. એ તો છે ખુલ્લા દિલે અને મને નવિનતાને અપનાવવાની ઉત્કંઠા. સહકાર મળે તો આખું દૃશ્ય સુહાનું લાગે.

અમેરિકામાં બાળપણથી બાળકોને આ પ્રકારનું શિક્ષણ આપવાની આંખે ઊડીને વળગે એવી રીત છે. માતા અને પિતા બન્ને નોકરી કરતાં હોય. નાનું બાળક ‘ડે કેર’ અથવા ‘પ્લે સ્કૂલ’માં જતું હોય. જ્યારે બધાં બાળકોને ઘરે જવાનો સમય થાય એ પહેલાં ટીચર ગાવાનું શરૂ કરે.

”ક્લીન અપ. ક્લીન અપ એવરી બડી ક્લીન અપ”. શરૂઆત ટીચર કરે. નાની નાની વસ્તુઓ, રમકડાં ઊંચકીને તેની જગ્યા પર મૂકે. બાળકો ટીચર જે કરતાં હોય તે કરે, આવો સુંદર દાખલો બેસાડે. માતા અને પિતા ઘરે આ રીતે તેમને રમકડાં ઉપાડી ટોય બૉક્સમાં મૂકાવે. ધોવાનાં કપડાં લૉન્ડ્રી બાસ્કેટમાં મૂકતાં શિખવે. કેટલો સુંદર અભિગમ. આ બાળક મોટું થાય ત્યારે આવું વર્તન જ કરે ! ‘જે ગંદકી કરે તે સાફ કરે. (હુ એવેર મેક્સ મેસ, ક્લિન્સ ઈટ”) આ બીજો અકસિર ઈલાજ. અજમાવવા જેવો ! પરિણામ સારું આવશે એમાં બે મત નથી .. આ ગુણ જો બાળકમાં સંસ્કાર સાથે સિંચિત થયો હોય તો એ બાળક ખૂબ પ્રગતિ સાધે એમાં બે મત નથી !

ખબર નહીં કેમ જીવનના દરેક તબક્કામાં અસહકાર દર્શાવવાની આદત પડી ગઈ છે! ‘ઝાઝા હાથ રળિયામણા’, જો સહકાર આપીને કોઈ કાર્ય કરીશું તો તેનું પરિણામ સુંદર આવશે તેમાં બે મત નથી. કોઈ પણ વ્યક્તિને યા કુટુંબીજનને નવા પ્રયોગમાં સહકાર અને સાથ આપીએ તો તે સહુના લાભમાં છે. પૂરી જો મમ્મી યા સાસુ એકલાં બનાવતાં હોય તે સમયે સહકાર આપીએ તો બધી પૂરી ફૂલે, ગોળ વણાય અને જમનાર તેનો સ્વાદ માણી શકે ! ખોટી ‘હામાં  હા’ નહીં ભણવાની.’ કિંતુ જે યોગ્ય હોય તો અસહકાર બતાવી પોતાનું મહત્ત્વ સ્થાપવાની ખોટી રીત શોભાસ્પદ નથી.

અસહકાર ક્યાં દર્શાવવો એ અગત્યનું છે. અસત્યનું આચરણ થતું હોય. ખોટા સમાજના રિવાજો પ્રત્યે અણગમો હોય. બાળકોનું વર્તન અસભ્ય હોય ! ત્યાં અસહકાર વ્યાજબી છે. ઘણીવાર અસહકારને  બદલે ,”મૌનં પરં ભૂષણમ” યોગ્ય લાગે. જેનો મતલબ સંમતિ નથી. માત્ર તેના દ્વારા ઊભા થતા ઘર્ષણોથી છૂટકારો છે. બાકી સમજુ કો ઈશારા કાફી. વિવેકબુ્દ્ધિનો  ઉપયોગ એ તેનો સરળ ઉપાય છે.

e.mail : pravina_avinash@yahoo.com

Loading

‘Issues’

Kashav|Opinion - Cartoon|28 October 2015

courtesy : "The Hindu", 28-10-2015

Loading

સાર્થક સંવાદ વિના બેમતલબ લોકતંત્ર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 October 2015

જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને …

સરકાર અને જન-પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ જરૂરી છે : સરસંઘચાલક મોહન ભાગવતના વિજયાદશમી સંદેશના આ અંશને કેવી રીતે જોગવશું, વારુ. બે વરસ પર નહોતો એવો એક વિશ્વાસ દેશ આજે અનુભવી રહ્યો છે, એવી ભાગવતની ધ્રુવપ્રતીતિ છે. જો કે આ વિશ્વાસ કોઈ સ્થાયી બાબત નયે હોય, અને સ્વાભાવિક જ તે પુન:પુન: સાધ્ય કરતા રહેવાપણું છે એવી પણ એમને ખબર છે. કદાચ, એથી જ એ સંવાદ પર ભાર મૂકે છે.

જોગાનુજોગ જુઓ, આ સંવાદગાન ત્યારે છેડાઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાનના દફ્તરમાંથી ઉર્દૂ સાહિત્યસેવી મુનવ્વર રાણા જોગ અરસપરસ વાતચીત માટેનું કહેણ પહોંચ્યું છે. રાણા એ ખરા ઇલમી અને ખરા શૂરા પૈકી છે જેમણે અકાદેમીનાં માનઅકરામને પાછા વાળવામાં સાર્થકતા જોઈ છે. નહીં કે વડાપ્રધાનનું નિમંત્રણ એમને નહીં ગમ્યું હોય, પણ છે તો પાછા જાગૃતવિવેક જણ એટલે એમણે વળતી એવી લાગણી પ્રગટ કરી છે અમે સૌ સાથે મળીએ.

જો કે, સંવાદ જેનું નામ એ ચોક્કસ જ એક દોહ્યલો પદારથ છે-ખાસ કરીને વડાપ્રધાન મોદીના કિસ્સામાં, કેમ કે એમનો વિશ્વાસ અને એમનો એકંદર દારોમદાર જાહેર સભામાં સંબોધનના સંમોહન પર છે. એમની શૈલી, એમનો મિજાજ, ‘ટૉકિંગ ટુ’ના નહીં એવાં અને એટલાં ‘ટૉકિંગ ઍટ’નાં છે. ભાગવત તો જનપ્રતિનિધિઓ સાથેેના સંવાદની વાત કરે છે. ચુંટાયેલાઓ વચ્ચે આવો વહેવાર બેલાશક જરૂરી છે. પણ તે સ્તરેય જો ટાંચુ પડતું હોય તો બાકીનું તો કાચું ને કાચું જ છે. ‘મનકી બાત’નો એકતરફી તખતો આપણા જણને ખાસો ગોઠી ગયેલ છે. પણ આ સંવાદમુદ્દો સામે છેડેથીયે જરી તપાસ અને ઊહાપોહ માગી લે છે. કલબુર્ગીની નિર્ઘૃણ હત્યા સબબ અકાદેમીના છેડેથી, સર્વોચ્ચ સ્તરેથી શોકસંવેદનાપૂર્વકની કોઈક સાર્થક પહેલ થવી જોઈતી હતી. અકાદેમી સ્તરે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી એ માટેની રજૂઆત અનવરત જારી હતી. પણ અધ્યક્ષ તિવારી એને કાન આપતા નહોતા. કેમ કે એમણે ‘આંખ આડા કાન’માં નિજનું મોચન શોધી લીધું હતું. જો ત્યારે સંવાદનો દોર શરૂ થયો હોત તો, બને કે, આમ રાજીનામાંના દોરની નોબત ન આવી હોત.

સવાલ આ છે, સરકાર માત્રની પ્રકૃતિમાં-અને હાલ સત્તારૂઢ વિચારધારાકીય માનસિકતામાં-સાર્થક સંવાદનો અવકાશ વાસ્તવમાં કેવોક છે. મહેશ શર્મા એમના જાહેર ઉદ્દગારોમાં અને અરુણ જેટલી એમની બ્લોગકારીમાં લેખકોના મુદ્દે શું કહીશું – ‘ચાલુ પડી ગયા હતા’ અને બાકી હતું તે સેનાખાસખેલ વી.કે.સિંહ જે રીતે પડમાં પધાર્યા હતા, તે પછી મોદીની મોળી અને મોડી બુંદ પહેલ કોઈ હોજનો અવેજ બની શકે એવો આશાવાદ જરી સાહસ માગી લે છે. અહીં લોકશાહીમાં અનિવાર્યપણે અપેક્ષિત બહુસ્તરીય અને બહુપરિમાણી સંવાદનો સવાલ પ્રસ્તુત બને છે. આ સંવાદ માત્ર સરકાર અને જનપ્રતિનિધિઓ એમ પાંચસાતદસ હજાર ચુંટાયેલી મંડળી વચ્ચે જ હોવાપણું નથી. ઠામોઠામ, જગોજગ દ્વિમાર્ગી વાતચીતને સતત અવકાશ ન હોય તો પાંચ વરસે આવતી ચૂંટણી બેમતલબ બની રહે છે. સંવાદની બહુસ્તરીય ને બહુપરિમાણી જરૂરત જોતાં જેમ શાસકીય સ્તરે તેમ અન્ય સ્તરે પણ સ્વાયત્ત સંસ્થાઓની જરૂરત લોકતંત્રમાં પ્રમાણવામાં આવે છે.

પણ સ્વાયત્ત સંસ્થાઓને મામલે આજની તારીખે દેશનું ચિત્ર કેવુંક છે? બે દાખલા બસ થઈ પડશે. ગુજરાત સરકારની ચૂંટણીચાંઉ પેરવી વિશે હમણાં જ ગુજરાત હાઇકોર્ટે પૂરતું કહ્યું છે એટલે જીવદયાને ધોરણે એમાં નહીં જઈએ. પણ આ ચુકાદામાં સ્વાયત્ત, રિપીટ, સ્વાયત્ત ચૂંટણી પંચની કેવી છવિ ઉપસે છે. આ સ્વાયત્ત પંચ રાજ્ય સરકારનું પઢાવ્યું આજે એમ કહે છે કે અબઘડી ચૂંટણી માટે તખતો તૈયાર છે, અને એ જ હજુ આગલે દહાડે એમ પણ કહી શકે છે કે રાજ્યમાં ચૂંટણીના સંજોગો નથી.

2002માં રક્તિમ રોકડી વાસ્તે લાલાયિત ગુજરાત સરકાર અબઘડી ચૂંટણી ઈચ્છતી હતી ત્યારે લિંગ્દોહના નેતૃત્વમાં પંચે પોતાની સ્વાયત્ત મુદ્રા, તત્કાળ ચૂંટણીસંજોગો નથી એવા સ્પષ્ટ મત સાથે, અંકિત કરી જાણી હતી. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારો એક જ છાવણીની હતી તે છતાં લિંગ્દોહે પંચની સ્વાયત્તતા બરકરાર રાખી હતી. અને આજે? જવા દો, બોલવા જેવું રહ્યું છે પણ શું.

છતાં, પંચમાં તો માનો કે ઉપરનું માળખું બાદ કરતાં નીચેનું તંત્ર ચાલુ સરકારી નોકરિયાતોએ ભરેલું હોય છે. પણ સ્વાયત્ત અકાદેમીને તો એવાં કોઈ બંધન નથી. તે કેમ પોતાને ઍસર્ટ ન કરી શકે? સમજાતું નથી. કદાચ સ્વાયત્તિનાં જે રસકસ, એનું જે રૂધિરાભિસરણ અને એનાં જે ચયઅપચય તે કેવળ બંધારણજીવી કે નકરા કાનૂનવશ હોઈ શકતાં નથી. જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને … બાકી તો આપણ સહુ કલમઘસીટુ, સદેહે અક્ષરવાસી!

નાગરિકને નાતે સરકારની ચિંતા કરીએ, જરૂર કરીએ-પણ અક્ષરકર્મીને નાતે આપણી જાતતપાસ પણ જારી રાખીએ, જરૂર જારી રાખીએ. ગુજરાત છેડેથી તમે જુઓ ગણેશ દેવી અને અનિલ જોશી જેવા અવાજો ઊઠ્યા. એક સહીઝુંબેશ પણ થઈ. જરૂર રૂડું થયું. પણ સહસા ઉઠેલી આ રાષ્ટ્રીય હિલચાલે ગુજરાતમાં ઘોર સરકારીકરણનો જે દોર હજુ થોડા મહિના પર જ શરૂ થયો હતો એને વિશે સક્રિય પ્રતિકારમાં સામેલ થવાપણું જોયું નહોતું. ભાઈ, ગામમાં આપણે સૌ ‘ક્યારેકટર’ હોઈએ છીએ અને એકબીજા અંગે ‘ઊંચા અભિપ્રાય’ ધરાવતા આસામી હોઈ શકીએ છીએ … પણ બાઈ સ્વાયત્તતા, તે સાહિત્યની સધવા, એની દાઝ જરીક તો સાથે મળીને જાણીએ.

સરકારી પ્રાણીઓ કહે છે કે લેખકોની આવીતેવી હિલચાલો પાછલે બારણે કે ભળતે રસ્તે રાજકારણ રૂપ (પોલિટિક્સ બાય અધર મીન્સ) છે. સામે છેડેથી, કોઈક અભિપ્રાય આપવાનો કે સ્ટેન્ડ લેવાનો પ્રસંગ આવે ત્યારે ‘મારે અને રાજકારણને શું’ એવી શુદ્ધસાહિત્યમુદ્રા સવાર થઈ જાય છે. એક અક્ષરસેવીને બધી બાબતોમાંથી બધી વખત અભિપ્રાયથી કે અન્યથા સંડોવાવાનું જરૂર ન કહીએ. પણ જે ઈલાકો સુવાંગ એનો જ છે એમાંયે તે ભલાભાઈ ભોળાભાઈ લૂગડાં સંકોરભાઈ બની રહે એ દશા કાં તો પ્રામાણિક પણ વ્યામોહની છે, કે પછી કેવળ પલાયનની. કલબુર્ગીની હત્યા હો કે દાદરીની કથિત ગો ઘટના અગર ગુજરાતની સરકારી અકાદમી પેરવી : આપણે એના ઓશિંગણ રહીશું કે એમણે અક્ષરકર્મીઓની આગઆગવી ઓળખ પ્રગટ કરી, અને વ્યાપક નાગરિકતાને ઝંઝેડી.

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘સ્વાયત્તતાનો સંઘર્ષ’, “દિવ્ય ભાસ્કર”, 24 અૉક્ટોબર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-useless-democracy-without-meaningful-dialogue-5149503-NOR.html

Loading

...102030...3,6673,6683,6693,670...3,6803,6903,700...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved