સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી કોંગ્રેસ-ભા.જ.પ.ની જેમ ગરિમા નેવે મૂકીને બાખડી રહ્યાં છે
ધારો કે હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સ અત્યારે જીવતો હોત તો? એણે કહ્યું હોત કે બીજા વિશ્વયુદ્ધ પછી હિટલર સૌથી વધારે પ્રમાણમાં અસહિષ્ણુતાનો – અપપ્રચારનો ભોગ બન્યો. એ તો કલ્પના થઈ, પણ વડાપ્રધાનની છબીના રક્ષામંત્રીની બિનસત્તાવાર ભૂમિકા ભજવતા દેશના નાણાંમંત્રી અરુણ જેટલીએ ખરેખર કહ્યું કે ૨૦૦૨ પછી નરેન્દ્ર મોદી સૌથી વધુ પ્રમાણમાં બૌદ્ધિકોની અસહિષ્ણુતાનો ભોગ બન્યા છે. જેટલીની ગોબેલ્સ સાથે ને મોદીની હિટલર સાથે સરખામણી અપ્રસ્તુત છે અને એવો આશય પણ નથી. જે મુદ્દો છે તે આટલો : ખંજર ભી ઉનકે જખ્મરસીદોંમેં મિલ ગયા / વો ભી લહુ લગાકે શહીદોંમે મિલ ગયા. (ઘા કરનાર ખંજર પણ લોહી લગાડીને શહીદમાં ખપવા ચાલ્યું) મતલબ, અસહિષ્ણુતાના રાજકારણના પ્રવર્તકો અને ચીઅરલીડરો પોતે અસહિષ્ણુતાનો સૌથી વધુ પ્રમાણમાં ભોગ બન્યાની ફરિયાદ કરે ત્યારે કરુણ -રમૂજી સ્થિતિ સર્જાય છે.
જેમની રાષ્ટ્રવાદની વ્યાખ્યા જ અસહિષ્ણુતાનો પર્યાય છે, જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વને સ્યુડો-સેક્યુલારિઝમ તરીકે ખપાવવામાં રચ્યાપચ્યા રહે છે, તેમના માટે અસહિષ્ણુતા તલવાર પણ છે ને ઢાલ પણ. પોતાનું જૂથ સાતત્યપૂર્વકની – વિચારધારાપ્રેરિત અસહિષ્ણુતાની ઉઘાડી તલવારો લઇને આતંક મચાવતું હોય ત્યારે તેમને કશું કહેવાનું નથી, પરંતુ એ જ અસહિષ્ણુતાની આકરી ટીકા થાય ત્યારે અચાનક તેમને યાદ આવે છે કે ‘ઓહો, આવી ટીકા તો બૌદ્ધિક અસહિષ્ણુતા કહેવાય. તે (આપણી સામે થતી હોવાથી) કેમ સહન થાય?’ લોકપ્રિય ઇતિહાસોમાં ઓછી જાણીતી હકીકત છે કે ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સમક્ષ અરજી અને વિનવણીઓ સહિતના બધા વિકલ્પ અજમાવી જોયા હતાં. તેમ છતાં, અંગ્રેજોએ તેમના દત્તક પુત્રને વારસ તરીકે મંજૂર ન જ રાખ્યો.
બીજો કોઈ વિકલ્પ ન રહેતાં અને અંગ્રેજો સામે લડવાની ફરજ પડતાં લક્ષ્મીબાઈ લડ્યાં, સુભદ્રાકુમારીની જાણીતી પંક્તિ પ્રમાણે, ‘ખૂબ’ લડ્યાં અને યોગ્ય રીતે જ ઇતિહાસમાં અમર થયાં. તેમના એકંદર મૂલ્યાંકનમાં આ બધું આવે, પણ ‘૧૮૫૭નો સંગ્રામ થયો ત્યાર પહેલાં અંગ્રેજોના અત્યાચાર તો ચાલુ જ હતા. એ વખતે તમે ક્યાં ગયાં હતાં ?’ એવું પૂછીને તેમની લડાઈનું મૂલ્ય ઘટાડી શકાય? સંગ્રામ પહેલાં નાનાસાહેબ પેશ્વા અંગ્રેજો સાથે ઘણું હળતાભળતા હતા. તેમને પાર્ટીઓ આપતા હતા. તેમને સંગ્રામમાં જોડાવાપણું લાગ્યું કે તેની ફરજ પડી, ત્યાર પછી નાનાસાહેબને એવું પૂછી શકાય કે ‘અત્યાર સુધી અંગ્રેજોએ આટલા અત્યાચારો કર્યા, ત્યારે તમે ક્યાં ગયા હતા? અને હવે અચાનક કેમ જાગી ઉઠ્યા?’ અગાઉ લખ્યું હતું તેમ, ભાજપનું એકેય પાપ મૌલિક નથી અને કોંગ્રેસના લાંબા શાસનમાં એ બધાં પાપ સ્વરૂપાંતરે – પ્રકારાંતરે થઈ ચૂક્યાં છે.
એ વખતે બૌદ્ધિકોએ આટલો અસરકારક વિરોધ ન કર્યો હોય, તો સાવ ચૂપ પણ રહ્યા ન હતા. હવે જુદા જુદા ક્ષેત્રના લોકોને અસહિષ્ણુતાના વાતાવરણ અંગે બોલવાપણું લાગ્યું છે. અગાઉની યાદીમાં ગુલઝાર, એડમિરલ રામદાસ પછી નારાયણમૂર્તિ, કિરણ મઝુમદાર – શો, ઝુબિન મહેતા અને રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન જેવાં નામ ઉમેરાયાં છે. આ બધાને પડેલો — અને સરકારને આકરો લાગેલો — વાંધો અસહિષ્ણુતાના છૂટાછવાયા બનાવો પ્રત્યે નહીં, પણ એ અંગે સરકારના મોળા અને મેળાપીપણાની છાપ આપે એવા મૌન વલણ સામે હોય એમ લાગે છે. સરકાર અને તેમના સત્તાવાર, ભાડૂતી કે માનદ્દ પ્રતિનિધિઓ કેટકેટલા લોકોની દેશભક્તિનાં પ્રમાણપત્રો ફાડ્યા કરશે? અને આવાં પ્રમાણપત્રો ફાડવાની તેમની પોતાની લાયકાતનું પ્રમાણપત્ર કોણ આપશે? કોંગ્રેસના દંભી સેક્યુલરિઝમની વાજબી ટીકા કરનારા ભાજપ એન્ડ પરિવારના દંભી, કોમવાદી રાષ્ટ્રવાદના ખોળામાં જઈને બેસી જાય અને એનો તેમને અહેસાસ પણ ન રહે, એ સ્થિતિ કરુણ-રમૂજી નથી?
બિહારની ચૂંટણીમાં નીતિશકુમારના કોઈ તાંત્રિક સાથેના મેળાપનો વીડિયો ફરતો થયો. તેની ટીકા વડાપ્રધાને ચૂંટણીપ્રચાર દરમિયાન કરી — કેમ જાણે, પોતે રેશનાલિસ્ટનું ખોળિયું હોય. ગુજરાતમાં તેમના મુખ્ય મંત્રીપદ દરમિયાન આસારામ જેવા લોકો કેવા ફૂલ્યાફાલ્યા અને આશ્રમમાં બાળકોની હત્યાના મામલે પ્રબળ લોકવિરોધ પછી પણ મુખ્ય મંત્રી તરીકે મોદીનું વલણ કેવું હતું એ જાણીતું છે. ગયા વર્ષે અમદાવાદમાં યોજાયેલા પુસ્તકમેળામાં આસારામના સ્ટોલમાં મુકાયેલા સ્ક્રીન પર, મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આસારામની સભામાં કરેલાં ઉચ્ચારણ વાગતાં હતાં. તેના થકી આસારામના ટેકેદારો દ્વારા અપાતો સંદેશો હતો : ‘જુઓ, નરેન્દ્ર મોદી પણ આસારામને માને છે.’ એ જ મોદી હવે તાંત્રિકના મુદ્દે નીતિશકુમારની ટીકા કરે ત્યારે દયા તો બિહારની જનતાની ખાવાની થાય કે તેની પાસે આવા જ બે વિકલ્પ છે.
દેશમાં ચોતરફ અસહિષ્ણુતાના વ્યાપક મુદ્દાને લઈને બૌદ્ધિકો સરેઆમ, અભૂતપૂર્વ રીતે કચવાટની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી વચ્ચે કંઈક ભળતો કકળાટ ચાલી રહ્યો છે. મૂળ અને ન્યાયી સવાલ સરકારે સ્થાપેલી, ઉમાશંકર-‘દર્શક’ના પ્રયાસથી સ્વાયત્ત બનેલી અને વર્ષોથી સ્વાયત્તતા ગુમાવી બેઠેલી સાહિત્ય અકાદમીનો હતો. લોકશાહી સંસ્થા માટે સ્વાયત્તતા આવશ્યક-અનિવાર્ય ગણાય, પણ એ પૂરતી છે? લોકશાહી એટલે ફક્ત ચૂંટણીશાહી? અને સ્વાયત્તતા – ચૂંટણી જેવી બાબતો આખરી સાધ્ય છે કે પછી સાહિત્યના કામને વધુ વેગ આપવાનું-સાહિત્યને વધુ પ્રમાણમાં લોકો સુધી પહોંચાડવાનું સાધન? — આવા, સ્વાયત્તતા જેટલું જ મહત્ત્વ ધરાવતા સવાલ ઘણે અંશે ગૌણ બન્યા.
રાજ્યની અકાદમીના સરકારનિયુક્ત વડાએ સાહિત્યજગતનાં મોટાં નામોને અકાદમીની માર્ગદર્શક સમિતિમાં નીમીને બુંદથી બિગડી હોજથી સુધારવાનો પ્રયાસ કર્યો. ટ્રસ્ટ સંચાલિત અને ચૂંટણીથી હોદ્દેદારો નીમતી સાહિત્ય પરિષદ થોડાં વર્ષ પહેલાં અકાદમીની સ્વાયત્તતાના ટેકામાં ઠરાવ પસાર કરી ચૂકી હતી, પરંતુ આ વખતે પરિષદે એવું આત્યંતિક વલણ લીધું કે અકાદમીની માર્ગદર્શક સમિતિમાં હોય એવા લોકો પરિષદના હોદ્દે રહી શકે નહીં. આ નિર્ણયમાં સિદ્ધાંતની ઓછી અને વ્યક્તિગત હિસાબકિતાબની ગંધ વધારે આવે છે. (પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ પ્રકારના સત્તાવાર ઠરાવ માટે જરૂરી ઔપચારિક વિધિઓ પણ પૂરી કરવામાં આવી નથી.)
પરિષદ અને અકાદમી બન્ને સાહિત્યસંસ્થાઓ ગુજરાતી સાહિત્યના પ્રચારપ્રસારને લગતાં કામની અને તેની ગુણવત્તાની ચિંતા કરવાને બદલે, કોંગ્રેસ-ભા.જ.પ.ના અંદાજમાં, ગરિમા નેવે મૂકીને બાખડી રહી છે. બે ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ વચ્ચેના સંઘર્ષમાં સાહિત્ય પરિષદ, અકાદમી અને લોકો ગૌણ બની ગયાં હોય તથા સન્માન્ય નામો તેમનાં હાથા બન્યાં હોય, એવી પણ છાપ પડે છે.
દેશભરમાં અસહિષ્ણુતા વિરુદ્ધ અવાજ વ્યક્ત થઈ રહ્યો હોય, ત્યારે ગુજરાતની બે પ્રમુખ સાહિત્યસંસ્થાઓ અને સાહિત્યકારો અંદરોઅંદર અસહિષ્ણુતાપૂર્વક લડતા હોય એ જોણું કરુણ રમૂજીથી વિશેષ લાગતું નથી.
સૌજન્ય : ‘સ્વાયત્તતા અને સહિષ્ણુતા’, “દિવ્ય ભાસ્કર”, 03 નવેમ્બર 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-tragic-and-funny-event-sequence-streak-in-gujarat-and-india-by-urvish-kothari-5158569-NOR.html
![]()


જે નવલકથા ગાંધીજીએ ધ્યાનથી વાંચીને છાતી ગજ ગજ ફૂલી જાય એવી નોંધ કરી હોય, જે નવલકથા વિશે 'દર્શક' મનુભાઈ પંચોળીએ કહ્યું હોય કે, ''ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક મહાત્મા ગાંધી અને બીજી આ નવલકથા'', જે નવલકથાને ધુરંધર કવિ ન્હાનાલાલે વિશ્વ સાહિત્યની સર્વકાલીન મહાન વિભૂતીઓ જ્હોન વુલ્ફગાંગ વોન ગોથે (જર્મન કવિ) અને વિક્ટર હ્યુગો(ફ્રેંચ નવલકથાકાર, નાટયકાર અને કવિ)ની સાહિત્ય કૃતિઓ સાથે સરખાવી હોય, જે નવલકથા ૧૯મી સદીના ગુજરાતનો ઐતિહાસિક દસ્તાવેજ ગણાતી હોય, જે નવલકથા ગુજરાતના સર્વકાલીન એકથી દસ મહાન પુસ્તકોની યાદીમાં અચૂક સ્થાન પામતી હોય, જે નવલકથા ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા ગણાતી હોય, જે ગુજરાતી નવલકથાની ગણના ૧૯મી સદીના ભારતના કોઈ પણ ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકમાં થતી હોય – એવી મહાન નવલકથા 'સરસ્વતીચંદ્ર'નો પહેલો 'સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ' કરીને વિશ્વ સમક્ષ વહેંચવામાં 'ગુજરાતે' ૧૨૮ વર્ષ લાંબો સમય લઈ લીધો છે.
‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ 'બુદ્ધિધનનો કારભાર' ઈસ. ૧૮૮૭માં પ્રગટ થયો ત્યારે ગોવર્ધનરામની ઉંમર હતી, ફક્ત ૩૨ વર્ષ. એ પછી ઈ.સ. ૧૮૯૩માં 'ગુણસુંદરીનું કુટુંબજાળ' (હા, ગુણસુંદરીનું-'ની' નહીં.), ૧૮૯૭માં 'રત્નનગરીનું રાજ્યતંત્ર' અને ૧૯૦૧માં 'સરસ્વતીનું મનોરાજ્ય' એમ દોઢ દાયકાના કાળખંડમાં ગોવર્ધનરામે એક ક્લાસિક ગુજરાતી નવલકથા પૂરી કરી. આ નવલકથા વિશે ખુદ ગોવર્ધનરામે એક રસપ્રદ વાત કરતા કહ્યું છે કે, હું તો ફક્ત નિબંધ લખવા માગતો હતો … જો ગોવર્ધનરામ ફક્ત એક નિબંધ લખવા માગતા હતા તો આટલું બધું શું લખી નાંખ્યું? પહેલા ભાગની વાર્તા ઈ.સ. ૧૮૮૭ની આસપાસના કાળખંડમાં શરૂ થાય છે. એટલે કે, એ ગુજરાતી સમાજ ઈ.સ. ૧૮૫૭નું આઝાદીનું આંદોલન જોઈ ચૂક્યો હોય છે. રાજા-રજાવાડા ખતમ થઈ રહ્યા હોય છે અને યુનિવર્સિટી શિક્ષણની શરૂઆત થઈ ગઈ હોય છે. આ બધી જ વાત એક બ્રાહ્મણ પરિવારની આસપાસ ગૂંથાયેલી છે. આ ભાગમાં સત્તાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે મૂલ્યોનું સંપૂર્ણપણે ધોવાણ કેવી રીતે થાય છે એ વાત કહેવાઈ છે. બીજા ભાગની વાર્તા આધુનિક-શિક્ષિત ગુજરાતી પરિવારની આસપાસ ફરે છે, જેમાં શિક્ષિત દંપતીના વિચારો શિક્ષણના કારણે કેવી રીતે બદલાય છે એ વાત છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વ્યક્તિની અંગત આઝાદી છીનવાઈ જાય છે કે પછી વ્યક્તિને સુરક્ષા મળે છે? – એ મુદ્દો પણ છેડાયો છે. આ ભાગમાં ગોવર્ધનરામ આવી વાતો કરતા કરતા મોડર્ન-સ્ટાઈલિશ લાઈફ સ્ટાઈલ વિશે પણ ઘણું બધું કહેતા જાય છે.
'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજીમાં અનુવાદ કરનારા ત્રિદિપ સુહૃદે આ પુસ્તક ફક્ત દસ વર્ષની ઉંમરે વાંચ્યું હતું. આ પુસ્તકનો અને ગુજરાતી સાહિત્યનો પરિચય તેમને તેમની માતાએ કરાવ્યો હતો. આ અનુવાદ કરતા પહેલાં પણ ત્રિદિપ સુહૃદ આ કૃતિ અનેકવાર વાંચી ચૂક્યા છે. આટલી મહાન કૃતિનો અત્યાર સુધી અનુવાદ કેમ ના થયો એ અંગે તેઓ કહે છે કે, ૧૨૮ વર્ષમાં 'સરસ્વતીચંદ્ર'ના પાંચેક વાર અનુવાદ થઈ જવા જોઈતા હતા. ગાંધી સાહિત્યનો અંગ્રેજીમાં ભરપૂર અનુવાદ થયો છે કારણ કે, ગાંધીની આસપાસ એવા પ્રતિબદ્ધ લોકો હતા, જેમને ગાંધીની વાત વિશ્વને પહોંચાડવી હતી. વળી, એ વખતના સાક્ષરો એકથી વધારે ભાષામાં ઊંડો રસ લેતા હતા. આજે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, મલયાલમ અને તમિલ જેવી ભાષાઓનું સાહિત્ય અંગ્રેજીમાં અનુવાદિત થઈને વિશ્વ સમક્ષ મૂકાય જ છે પણ ગુજરાતીમાં એવું થતું નથી. એ પ્રક્રિયા અટકી ગઈ છે એમાં કોઈ શંકા નથી. આપણી પાસે અખો, નરસિંહ મહેતા, મેઘાણી અને મુનશીનું ક્લાસિક સાહિત્ય છે પણ એનો ય અનુવાદ નથી થયો. મેઘાણીના ૮૮ સુંદર પુસ્તકો છે, જેમાંથી માંડ ત્રણેકનો અંગ્રેજી અનુવાદ થયો છે. ‘ભદ્રંભદ્ર’ જેવી સુંદર હાસ્ય નવલકથા પણ ગુજરાતીઓ પાસે છે પણ એનો ય અનુવાદ નથી થયો.
જેમ જેમ વરસો વીતતાં જાય છે, કેમ જાણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ ઉત્તરોતર ઉત્કટ થતું જાય છે! એક સ્વરાજ નિર્માતા તરીકે એમનું અસાધારાણ યોગદાન જોતાં આ ઉત્કટતા અસ્વાભાવિક નથી એ સાચું, પણ એને જરી વળ અને આમળો ચડતા હોય તો પાછલાં વરસોમાં દેશની કેટલીક નાજુક પળો જાળવી જાણે એવા નેતૃત્વની મનોવૈજ્ઞાનિક ખોટ અનુભવાતી રહી છે એ ય સાચું અને એક ખાસંખાસ મુદ્દો આ સાથે અંબોળી દેવો જોઇએ કે મે 2014થી પાટનગરીમાં જે નવસંવતનો થનગનાટ છે, એમાં કથિત નેહરુ વિમર્શને સ્થાને પટેલ વિમર્શની પ્રતિષ્ઠાનો મહિમા છે. જો કે, કથિત પટેલ વિમર્શનાં ધોરણો પણ તપાસલાયક છે. હવે તો સહેજે પંદરેક વરસ થયાં એ વાતને, પણ બિહારમાં કુર્મીઓએ સરઘસ કાઢ્યું ત્યારે મોખરે વલ્લભભાઈની તસવીર રાખ્યાના હેવાલો વાંચી હસવું કે રોવું એ નક્કી કરી શકાયું નહોતું. એવી જ એક મન:સ્થિતિ તાજેતરનાં અઠવાડિયાઓમાં, કદાચ વધુ તીવ્રતાથી અનુભવાઈ હતી જ્યારે સરદાર સરખી પુરુષાર્થી પ્રતિભાનો હવાલો આપીને પાટીદાર અનામતનું સમર્થન કરવાની ચેષ્ટા થઈ હતી.