Opinion Magazine
Number of visits: 9691228
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રણ સામયિકોમાંથી વિશેષ, આવકાર, અને આ પણ…

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|4 April 2016

ત્રણ સામયિકોમાંથી વિશેષ :

સમાજવાદી મરાઠી સાપ્તાહિક વિચારપત્ર ‘સાધના’ એ ડૉ. બાબાસાહેબ આંબેડકરની સવાસો વર્ષની ઊજવણી નિમિત્તે ત્રીસ જાન્યુઆરીના અંકથી ‘સંવિધાન’ નામનો વિભાગ શરૂ કર્યો છે. તેમાં શ્યામ બેનેગલની અજોડ દૂરદર્શન શ્રેણી ‘સંવિધાન’ની પટકથા(સ્ક્રીન પ્લે)નો અનુવાદ આપવામાં આવી રહ્યો છે. શમા જૈદી અને અતુલ તિવારીએ બંધારણ  સભામાં સાડા ત્રણ વર્ષ દરમિયાન  થયેલી ચર્ચાની લાખેક પાનાં ભરાય એટલી સામગ્રીનો અભ્યાસ કરીને દસ કલાકની ધારાવાહિકનો આલેખ રચ્યો છે. તેને ‘સાધના’ના અંકો થકી મરાઠીમાં લઈ જવાનું કામ મહારાષ્ટ્રના સાઠ વર્ષના આઇ.એ.એસ. ઑફિસર લક્ષ્મીકાન્ત દેશમુખે હાથ પર લીધું છે. મહારાષ્ટ્રના ચિત્રપટ, રંગભૂમિ અને સાંસ્કૃિતક વિકાસ મહામંડળના   વ્યવસ્થાપકીય સંચાલક અનેક પુરસ્કાર મેળવનાર નવલકથાકાર અને વાર્તાકાર ઉપરાંત દિવાળી અંકોના સંપાદક છે. દેશમુખની આ સંવિધાન શ્રેણી અનુવાદ ઉપરાંત વિવરણ લેખો સાથે દસ મહિના ચાલશે. 

‘જનચેતના કા પ્રગતિશીલ કથા-માસિક’ તરીકે ઓળખાતા, મુનશી પ્રેમચંદે શરૂ કરેલા, હિંદી સામયિક ‘હંસ’ માં ‘ઘુસપૈઠિયે’ નામનો વિભાગ આવે છે. તેની શરૂઆતમાં આ મુજબની નોંધ મૂકેલી હોય છે : ‘યહ સ્તંભ દિલ્લી ઔર આસપાસ કી કામદાર બસ્તિયોં કે તરુણ-યુવા લેખકોં કી પ્રતિનિધિ રચનાએં આપ તક પહુંચાએગા … સંભવિત લેખકોં કી ઉમ્ર બીસ વર્ષ અંદરકી હી હૈ … સભી કી આર્થિક-સામાજિક પૃષ્ઠભૂમિ લગભગ સમાન હૈ. ઇસસે ભી બડી વિશેષતા યહ હૈ કિ ઇન કે લિએ બચપન કી કિતાબેં કાગજોં સે ઉતની નહીં બનતી હૈ જિતની ઉનકે સંઘર્ષ, મોહલ્લોં, માહૌલ ઔર જગહ સે બનતી હૈં, ઉનકી લિખાઈ મેં વે જગહેં આપકો સુરક્ષિત મિલેંગી. આપ શાયદ મહસૂસ કરેં કિ સાહિત્ય કે ઉત્પાદક ઔર ઉપભોક્તા, અભિલેખન / રેકૉર્ડિંગ ઔર સૃજન, કિસ્સા ઔર તથ્ય કે બીચ કે અંતર યહાં ધુંધલે પડ જાતે હૈં. સાહિત્ય કે સુરક્ષિત-આરક્ષિત ડિબ્બે મેં ઘુસ આયે ઇન ઘુસપૈઠિયોં કો આપ કૈસે બરતેંગે, યહ આપકો તય કરના હૈ.’ 

આ વિભાગના ગયા એકાદ વર્ષના લેખકો નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓ છે. કેટલાકના શિક્ષણનો ઉલ્લેખ નથી. તેમાંથી મોટાભાગના ‘અંકુર કિતાબઘર કે નિયમિત રિયાજકર્તા’ છે. કેટલાકના કિસ્સામાં ‘હંસ’ માં છપાયેલી વાર્તા તેમની પહેલી જ રચના છે. ‘ઘૂસપેઠિયે’ વાંચતા એમ થાય છે કે આપણે ત્યાં જરઠ સાહિત્યને પ્રાધાન્ય મળતું હોય એવું લાગે છે, આપણાં કેટલાંક સામયિકોમાં લેખકોની સરેરાશ ઉંમર સાઠ જેવી નીકળી શકે એમ છે, કેટલાંક સાહિત્યિક સન્માનો માટે વિષણ્ણ વયવૃદ્ધ  દશા પાત્રતા ગણાય છે. આવાં સંજોગોમાં આપણા કેટલાંક સામયિકો ઘૂસણખોરોને સ્થાન આપી શકે  ખરાં?

‘ધ બુક રિવ્યૂ’(ટીબીઆર)ના જાન્યુઆરીના અંકનો તંત્રીલેખ  તેનાં  ચાળીસ વર્ષને સરસ રીતે યાદ કરે છે. ત્રણ સંપાદક સન્નારીઓ ચિત્રા નારાયણન, ઉમા આયંગર અને ચન્દ્રા ચારી,  ત્રૈમાસિક તરીકે શરૂ થયેલ ટીબીઆરના ઉદ્દભવ અને વિકાસનો આલેખ આપે છે. પહેલા વર્ષે  છૂટક અંકની કિંમત હતી ત્રણ રૂપિયા અને લવાજમ હતું દસ રૂપિયા, જે અત્યારે અનુક્રમે સો અને પંદરસો રૂપિયા છે. સંપાદકો  યાદ કરે છે કે વર્ષો પહેલાં એમના એક વાચક મધ્ય પ્રદેશના શાહડોલના ટિકિટ કલેક્ટર હતા જેમને પૂરું લવાજમ ભરવું પોષાતું નહીં, છતાં ટેકને  કારણે તે ભેટ નકલ ન પણ લેતા, એટલે સગવડ હોય ત્યારે પાંચ રૂપિયા મોકલતા. એનાથી સામયિકની આર્થિક સ્થિતિમાં કોઈ ફેર ન પડતો, ઊલટું વહીવટ વધી જતો! પણ ગરીબ વાચકનું ગૌરવ જાળવવા એ રકમ સ્વીકારવામાં આવતી. બીજો કિસ્સો, હૈદરાબાદ જેલમાં સજા ભોગવતા કેટલાક નક્સલવાદી વિદ્યાર્થીઓને તેમની વિનંતીથી ભેટ અંક મોકલવામાં આવતો. વિદ્યાર્થીઓ નવા વર્ષે  સુશોભન કરેલાં  પોસ્ટકાર્ડ થકી  તેમની કદરબૂજ વ્યક્ત કરતા. તેમણે જેલમાંથી જ પરીક્ષા આપીને અનુસ્નાતક પદવી મેળવી ત્યારે પણ ટીબીઆરના આભાર માન્યા હતા ! 

ચાળીસ વર્ષ અવસરના વિશેષાંકના એક વિભાગમાં વીસ આમંત્રિત નિષ્ણાતોએ તેમના ક્ષેત્રોનાં પ્રભાવક પુસ્તકો વિશે લખ્યું છે. જેમ કે, માનવવંશશાસ્ત્રી એ.આર. વાસવીએ પૅટ્રિક વિલ્કેનના ગ્રંથ ‘ક્લૉડ લેવી – સ્ટ્રૉસ : ધ ફાધર ઑફ મૉડર્ન ઍન્થ્રોપોલોજિ’ વિશેનો છે. ગિરીશ કારનાડનો લેખ ટેકોનોલૉજિના પગલે બૅંગલુરુ શહેરમાં આવેલાંઆમૂલાગ્ર પરિવર્તનનો ચિતાર આપતી, યશવંત વિઠોબા ચિત્તલે લખેલી કન્નડ નવલકથા ‘શિકારી’ અંગે છે. વરિષ્ટ સમાજવિજ્ઞાની માલવિકા કાર્લેકર રઘુ રાયની તસવીરોના એક સંચય વિશે લખે છે. અમીય સેનના લેખનું શીર્ષક છે ‘બુક્સ ઑન રિલિજિયન ઍન્ડ અબાઉટ ઇટ : ક્રિટિકલ રિફ્લેક્શન્સ’.

આવકાર

મિલાપની વાચનયાત્રાઃ સંકલિત આવૃત્તિ, ભાગ ૧ , સંપાદક – મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ પ્રકાશન, ભાવનગર, રૂ. ૨૦૦/-

મહેન્દ્ર મેઘાણીએ  ‘મિલાપ’ માસિક ૧૯૭૮ સુધી અઠ્ઠાવીસ વર્ષ ચલાવ્યું હતું. તેમનો આશય લોકોમાં નાગરિક તરીકેના સંસ્કાર અને વાચક તરીકેની અભિરૂચિનું સિંચન કરવાનો હતો. ‘રીડર્સ ડાઇજેસ્ટ’નો નમૂનો નજરસમક્ષ રાખીને સંકલન સામયિક તરીકે ‘મિલાપ’ બહાર પાડવામાં આવતું. એટલે તેમાં ઘણાં સામયિકોમાંથી ઉત્તમોત્તમ લખાણો ચૂંટીને ટૂંકાવીને મૂકવામાં આવતાં.  એવાં લખાણોમાંથી ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ તૈયાર થયા. તે ઉપરાંત પણ  ‘મિલાપ’નાં કેટલાંક ઉત્તમ લખાણો હતાં જે પુસ્તકમાં આવ્યાં ન હતાં. એટલે ૧૯૫૦થી ૧૯૬૧ સુધીનાં ‘મિલાપ’ના અંકોનાં ચૂંટેલાં લખાણો પરથી વરસવાર બાર પુસ્તકો ‘મિલાપની વાચનયાત્રા’ નામે ૨૦૧૩-૧૪ દરમિયાન પ્રકટ થયા. એ બાર પુસ્તકોમાંથી ૧૯૫૦-૫૩ ના સમયગાળાના પહેલા ચારની લેખક-સૂચિ સાથેની સંકલિત પ્રસ્તુત સંગ્રહમાં છે. પુસ્તકનાં પાનાં  અમસ્તાં ફેરવતી વખતે પણ  કેટલાં ય એવાં લખાણો નજરે ચડે કે જે પૂરાં કર્યાં વિના મૂકી ન શકાય. જેમ કે ઈશ્વર પેટલીકરે મહી નદી, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી વચ્ચે કલ્પેલો સંવાદ ‘મહી-સાગર’, આચાર્ય કૃપાલાનીનો નેહરુ પરનો આખાબોલો લેખ ‘મેઘધનુષના રંગો’, ગાયોની દુર્દશા પરનો મેઘાણીભાઈનો લેખ ‘કનૈયાનું કલ્પાંત’. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ યાદી લાંબી થઈ શકે.

વીસ જૂને મહેન્દ્રભાઈ પંચાણુમાં વર્ષમાં પ્રવેશશે. એ વખતે તે એમના દીકરી અંજુબહેનને ત્યાં અમેરિકામાં હશે. 

સાંપ્રત ગુજરાતી કવિતા (૧૮૮૫-૨૦૧૦), સંપાદક : રાજેન્દ્ર પટેલ, સહિત્ય અકાદેમી,નવી દિલ્હી, રૂ. ૧૫૦/-

ત્રેપન સમકાલીન સર્જકોની એંશી જેટલી રચનાઓનો આ સંચય લગભગ બધાં પદ્ય સ્વરૂપોને આવરી લે છે. વીસ પાનાંની પ્રસ્તાવનામાં સંપાદકીયમાં રાજેન્દ્ર સ્પષ્ટતા કરે છે : ‘અહીં રજૂ થયેલી રચનાઓ ઉત્તમ છે એવું નથી, આ માત્ર પ્રતિનિધિ રચનાઓ છે.’ એમણે કાવ્યોને સાત વિભાગમાં વર્ગીકૃત કર્યાં છે (કવિતાના શીર્ષકો સહિતની અનુક્રમણિકા અને મીતાક્ષરી કવિપરિચય અહીં હોવાં જોઈતાં હતાં). તેમાં આધુનિક, અનુઆધુનિક ગાળાની પહેલી અને અત્યારની પેઢીના કવિઓની રચનાઓના વિભાગો છે. ગીત-ગઝલનો એક વિભાગ છે. ત્રણ વસાહતી  કવિઓની ચાર રચનાઓ છે. દલિત અને આદિવાસી ચેતનાની અભિવ્યક્તિ માટેનો અને નારી ચેતનાની રચનાઓના અલગ વિભાગ છે. પ્રસ્તાવનાના ઉઘાડમાં જ સંપાદકે ૧૯૮૫ના અનામત આંદોલનનો સાફ ઉલ્લેખ કર્યો છે (અલબત્ત, ગોધરાકાંડને પગલે ચાલેલા શાસનપ્રેરિત કોમી હિંસાચારનો એવો સ્પષ્ટ ઉલ્લેખ એમણે કર્યો નથી). ત્યાર પછી ‘સમાજને અસમતોલ કરતાં અને વિભાજન તરફ ધકેલતાં પરિબળો’ની પણ તેમણે જિકર કરી છે. આવું બધું જેમને સૂઝી શકે તેવા વિવેચકો-સંપાદકો આપણે ત્યાં જૂજ છે.  સંપાદનમાં ઓછામાં ઓછી અરધો ડઝન રચનાઓ એવી બતાવી શકાય કે જે વત્તા-ઓછા પ્રમાણમાં રાજકીય રંગવાળી હોય. કેટલીય સીધી સામાજિક નિસબતવાળી કવિતાઓ પણ અહીં છે. આપણે ત્યાંની  સાહિત્યસંસ્કૃિત  વધુ ને વધુ સરકારાશ્રિત અને  સરકારભક્ત, સમાજવિમુખ અને શહામૃગી બનતી જતી હોય તેવા માહોલમાં રાજેન્દ્રભાઈની પસંદગીને ધન્યવાદ આપવા જોઈએ. આવી પસંદગીનું ભાગ્ય સરકારે બથાવી પાડેલી ગુજરાત સાહિત્ય અકાદમીએ કોઈ સંચય બહાર પાડ્યો હોત તો તેના સંપાદનમાં રાજેન્દ્રભાઈને ન સાંપડ્યું હોત.

પિંજિકા, નગીનચન્દ્ર ડોડિયા, જાસૂદ પ્રકાશન, મહેસાણા, રૂ. ૨૦૦/-

આ સંચયની નેવું રચનાઓ ગીતો, છંદોબદ્ધ કાવ્યો, ગઝલો, મુક્તકો અને અછાંદસ કાવ્યો  એવા વિભાગોમાં વહેંચાયેલી છે. તેમાં સહુથી વધુ તેંતાળિસ ગીતો છે. મુખપૃષ્ઠ પર ચરખો કાંતતી મહિલાની છબિ છે અને એક ખૂણે હાથશાળ પર કામ કરનાર પુરુષનું લઘુચિત્ર છે. કવિ-વિવેચક ભી.ન. વણકર નોંધે છે : તલપદી આબોહવામાં અનુઆધુનિક સંવેદનશીલતાને કારણે ક્યાંક વસંતના શમણાંની સુગંધ, તો ક્યાંક ‘વંઠેલા વાયરામાં વગડો વીંઝાય’ છે. આ સ્પંદ અને છંદનો લય કવિની રચનાઓમાં અનુભવાય છે. એક તરફ નગરજીવનની વ્યથા છે. બીજી તરફ પ્રકૃતિનું આકર્ષણ છેઃ પ્રેમ અને વિરહનો વ્રેહ છે. સામાજિક સંપ્રજ્ઞતા અને જીવનનો અભાવ કવિને હલબલાવે છે. કવિ કહે છે,’ આયખું મારે તો સૂકું ભઠ્ઠ ઝાડવું.

અને આ પણ …

સારું વાચન ક્યાં અને કેવાં સ્વરૂપે મળે કંઈ કહેવાય નહીં. આ જ જુઓ ને ! ગૂજરાત વિદ્યાપીઠના હીરક જયંતી સભાગૃહમાં હમણાં બે કાર્યક્રમો થયા. બંનેના આયોજકોએ કાર્યક્રમ સ્થળે વેચવા માટે પુસ્તકો મૂક્યાં હતાં, તદુપરાંત શ્રોતાઓને વિષય અંગેની વાચનસામગ્રી પણ પૂરી પાડી હતી. સરૂપ ધ્રુવના ‘ઉમ્મીદ હોગી કોઈ’ પુસ્તકના મોહન દાંડીકરે કરેલા અનુવાદના લોકાર્પણ પ્રસંગે મુખ્ય મહેમાન હતાં હિન્દીના અનોખા લેખક નાસિરા શર્મા. યજ્ઞ પ્રકાશને નાસિરાજી વિશે ડબલ કૉલમનાં મોટા કદના અઠ્ઠ્યાવીસ પાનાંનું, એટલે કે લગભગ એક પરિચય પુસ્તિકા જેટલું ગુજરાતી વાચન શ્રોતાઓને પૂરું આગોતરી ટપાલથી તેમ જ રૂબરૂ પહોંચાડ્યું. તેમાં તેમના વિશેના પાંચ પાનાંના લેખ ઉપરાંત તેમની લાંબી મુલાકાત પણ હતી. આચાર્ય કૃપાલાની વિશેના સેમિનારમાં દરેક આગંતુકને વિદ્યાપીઠમાં જ બનેલી કાગળની થેલીમાં એક નોટપૅડ અને પેન સાથે કૃપાલાની વિશેના બે લેખો આપવામાં આવ્યા હતા. તેમાં કોલકાતાના ‘ધ ટેલિગ્રાફ’ દૈનિકમાં ગોપાલકૃષ્ણે ગાંધીએ અગિયાર નવેમ્બર ૧૯૮૮માં લખેલો અંગ્રેજી લેખ ‘અ કૉમ્રેડ, નૉટ ઍન અકોલાઇટ ઓફ ધ્  મહાત્મા’ હતો. સ્રોતના કોઈ ઉલ્લેખ વિના આપવામાં આવેલાં બીજાં છત્રીસ ગુજરાતી પાનાં તે કૃપાલાની(૧૮૮૮-૧૯૮૨)ની આત્મકથાના નગીનદાસ પારેખે કરેલા ગુજરાતી અનુવાદની પ્રકાશ ન.શાહે લખેલી પ્રસ્તાવના. રસપ્રદ વાત એ છે કે મૂળ અંગ્રેજી આત્મકથા ‘માય ટાઇમ્સ’  રુપા પ્રકાશને લેખકના અવસાન પછી બાવીસ વર્ષે બહાર પાડી, જ્યારે તેનો ઉપર્યુક્ત અનુવાદ ગુર્જર પ્રકાશને ૧૯૯૪માં બહાર પાડ્યો.

વ્યારાની સરકારી કૉલેજના પૂર્વ ગ્રંથપાલ અને દૃષ્ટિસંપન્ન વાચક-અનુવાદક પ્રકાશ સી.શાહને એક મરાઠી લેખ વાંચતા મળેલો આનંદ તેમણે ટપાલમાં લેખની નકલ મોકલીને વહેંચ્યો છે. ‘અંતર્નાદ’ નામના સરસ મસિકના જુલાઈ ૨૦૧૪ના અંકમાં આવેલો આ લેખ ગણેશ મનોહર કુલકર્ણી નામના રેલવે ઍન્જિન ડ્રાઈવરે લખ્યો છે. મુંબઈ પાસેના ડોમ્બિવલીમાં રહેતા ગણેશ મુંબઈ અમદાવાદ વચ્ચેની મેઇલ – એક્સપ્રેસ ગાડીઓ ચલાવે છે. આ નોકરી દરમિયાન, ચાલતી ગાડીમાં ગાડીના પાટે અને આજુબાજુના રસ્તે ગણેશજીને જોવા-અનુભવવા મળેલાં કુદરતનાં અનેકાનેક રૂપોનું – વનસ્પતિ અને પ્રાણી-પક્ષી-કીટકસૃષ્ટિનું – તેમ જ માનવવૃત્તિ-પ્રવૃત્તિઓનું  અદ્દભૂત વર્ણન કરતો છ પાનાનો સાદ્યંત સુંદર લેખ તેમણે લખ્યો છે. તે વાંચતા ગણેશજીનાં વાચન અને નિરીક્ષણ, સંવેદન અને અભિવ્યક્તિની પ્રતીતિ સતત થતી રહે છે. ઉલ્લેખ એ વાતનો પણ કરવો જોઈએ કે મરાઠીમાં સર્જનાત્મક અને સ્વાનુભવાત્મક લેખન સાહિત્યિક-સાંસ્કૃિતક અગ્રવર્ગના થોડાક લોકોનો ઇજારો નથી. ડૉક્ટરો, સ્થપતિઓ, લશ્કરના વડા, પોલીસ અધિકારીઓ, બિલ્ડર, હોટેલિયર જેવાએ તો લેખન કર્યું જ છે. પણ સાથે સફાઈ કામદાર, ખેતમજૂર, ખેડૂત, વાળંદ, હમાલ, મિલકામદાર, ટપાલી જેવા લોકોના લખાણો પણ લેખો અને પુસ્તકો તરીકે મળતાં રહે છે.

આમ તો પ્રકાશભાઈએ એક સંચય થાય તેટલા અનુવાદ મરાઠીમાંથી કર્યા છે. તેમની પ્રસિદ્ધ થયેલી પુસ્તિકા છે ‘સેવાગ્રામથી શોધગ્રામ’ (ટી.આર.કે. સોમૈયા, મુંબઈ સર્વોદય મંડળ, મુંબઈ, ૨૦૦૬)  ડૉકટર દંપતી રાણી અને અભય બંગે મહારાષ્ટ્રના ગડચિરોલી વિસ્તારમાં આદિવાસીઓ અને વંચિતો માટે તબીબી તેમ જ એકંદર સમાજસુધારાના કરેલા સીમાચિહ્ન રૂપ કામનો ડૉ. અભયે સ્વકથન  રૂપે લખેલો વાચનીય અને પ્રેરક આલેખ આ પુસ્તિકામાંથી મળે છે.

૨૬ માર્ચ, ૨૦૧૬ 

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 10-11

Loading

વિશ્વ રંગભૂમિ દિન અને ગ્રંથ-વિમોચન

ભરત દવે|Opinion - Literature|3 April 2016

[૨૭ માર્ચ, વિશ્વ રંગભૂમિ દિનના પૂર્વસપ્તાહે ભરત દવે લિખિત રંગભૂમિ-વિષયક ત્રણ પુસ્તકો આધુનિક ભારતીય રંગભૂમિના સર્જકો (પ્રકાશન : ગુજરાત સાહિત્ય અકાદમી), વાસ્તવવાદી નાટક વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં (વિશ્વકોશ પ્રકાશન) અને રંગવિમર્શ(ગૂર્જર પ્રકાશન)નું વિમોચન કરવા માટે વિશ્વકોશ ભવન ખાતે એક કાર્યક્રમ યોજાયેલો. વિમોચનકર્તા હતા સર્વશ્રી રઘુવીર ચૌધરી, હસમુખ બારાડી અને ચિનુ મોદી. આ પ્રસંગે નાટ્યદિગ્દર્શક અને કલાકાર ભરત દવેએ તમામ નાટ્યકલાકારોને ધ્યાનમાં રાખીને ‘વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે જાતે તૈયાર કરેલ એક જાહેર સંદેશાનું પઠન કરેલું. ત્યારબાદ ‘નટ, નાટક અને નાટ્યકાર’ની સમાજલક્ષી ભૂમિકા વિશે કેટલાક મનનીય વિચારો રજૂ કરેલા.]

‘વિશ્વ રંગભૂમિ દિન’નો ઉલ્લેખ કરતાં જ કાર્યક્રમની આરંભે મને બે સદ્દગત પ્રતિભાઓનાં સ્મરણ થાય છે. એક સદ્દગત ધીરુભાઈ ઠાકર 2012થી 9મી એપ્રિલે આ મંચ ઉપરથી જ તેમણે મારા પ્રથમ પુસ્તક ‘મારી રંગયાત્રા’નું વિચોમન કરેલું. ધીરુભાઈને લોકો ભલે સાહિત્યવિવેચન અને વિશ્વકોશની સ્થાપના માટે યાદ કરે પણ હું તો તેમને નાટ્યકલાના મોટા રસિયા અને એટલા જ મોટા જાણકાર તરીકે યાદ કરું છું. તેમની સાથે નાટકની વાત કરો એટલે તેઓ રંગમાં આવી જાય. બીજા છે માર્કન્ડ ભટ્ટ જેમણે હમણાં જ વિદાય લીધી. ચંદ્રવદન મહેતા અને જશવંત ઠાકર પછી ગુજરાતી નાટ્યજગતની એક બહુ મોટી હસ્તી આપણી વચ્ચેથી જતી રહી. (આ વર્ષ જશવંત ઠાકરની શતાબ્દીનું વર્ષ પણ છે.) ગુજરાતી રંગભૂમિ પર આવા વિદ્વાન કલાકારોની હવે ગંભીર ખોટ અનુભવાય છે. રંગભૂમિની આ તમામ પ્રતિભાઓની સ્મૃિતઓને હું વંદન કરું છું.

1961થી શરૂ કરીને દર વર્ષની 27 માર્ચે ‘International Theater Institute’ (ITI – યુનેસ્કો) તરફથી ‘વિશ્વરંગભૂમિ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. ‘International Theatre Institute’ એક બિનસરકારી સંસ્થા છે. તેની સ્થાપના 1948માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય રંગકર્મી સમુદાય તરફથી કરવામાં આવેલી. વિયેનામાં ITI ની 9th World Theatre Congress મળેલી. તે વખતે ફિનલેન્ડના આઈ.ટી.આઈ. સેન્ટરના વડા અર્વી કિવિમાએ રંગભૂમિ દિનની વાર્ષિક ઉજવણીનો આ પ્રસ્તાવ રજૂ કરેલો જેને તે કાળે તમામ સ્કેિન્ડનેવિયન દેશોએ સમર્થન આપેલું.

આ દિવસની ઉજવણી પેટે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રંગભૂમિને લગતા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. તેમાં નાટ્યમહોત્સવો, નાટક પરના પરિસંવાદો, નાટ્યગોષ્ઠિઓ, નાટ્યશિબિરો, પ્રદર્શનો, નાટકને લગતાં પુસ્તકોનાં પ્રકાશન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉજવણીનો હેતુ દુનિયાના વિવિધ દેશો વચ્ચે શાંતિ, ભાઈચારો અને સૌહાર્દ વિકસાવવાનો છે.

ઉજવણી માટેની તા. 27 માર્ચ નક્કી કરવા પાછળનું નિમિત્ત 1957માં પેરિસમાં ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટીટ્યુટ તરફથી ફ્રેન્ચ સરકારના સહયોગથી “Theatre of Nations Festival”ની પહેલવહેલી ઉજવણી 27 માર્ચે થયેલી અને તેમાં 10 દેશોની 16 કંપનીઓએ ભાગ લીધેલો. બીજા વિશ્વયુદ્ધ બાદ પશ્ચિમી જગતને પ્રથમ વાર ચીનનું પેકિંગ ઓપેરા, જર્મનીનું બર્લિનેર અન્સેમ્બલ, જાપાનના કાબૂકી અને નોહ, રશિયાનું મૅાસ્કો આર્ટ થિયેટર વગેરે જોવાની તક મળેલી. આ પ્રવૃત્તિ લગભગ 15 વર્ષ લગાતાર ચાલી. સમકાલીન રંગભૂમિ પર દુનિયાભરના વૈવિધ્યને plurality and diversityને સેલિબ્રેટ કરવાનો હેતુ હતો.

‘વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે એક પ્રથા એ ચાલી છે કે દર વર્ષે ITI તરફથી કોઈ વિશ્વવિખ્યાત નાટ્યકાર, દિગ્દર્શક, અભિનેતા કે કોઈ પણ સર્જક વ્યક્તિને આ દિવસ માટે એક ખાસ સંદેશ પાઠવવાની વિનંતિ કરવામાં આવે છે. આ સંદેશ દુનિયાની વીસેક ભાષામાં અનુવાદ પામી તેનું પ્રસારણ રેડિયો, ટી.વી, વર્તમાનપત્રો અને સોશ્યલ મીડિયા પરથી કરવામાં આવે છે. 1961નો સૌ પ્રથમ સંદેશ ઝ્યાં કૉકતોએ આપેલો. કૉકતો વિખ્યાત ફ્રેન્ચ લેખક, નાટ્યકાર, ડિઝાઈનર, આર્ટીસ્ટ અને ફિલ્મમેકર હતો. આ પછી આ સંદેશો પાઠવનારાઓમાં સામેલ હતા વિશ્વવિખ્યાત સર્જકો આર્થર મિલર, પિટર બ્રુક, લૉરેન્સ ઑલિવર, હેલિના વાયગલ, પાબ્લો નેરૂદા, રિચાર્ડ બર્ટન, યુજિન આયોનેસ્કો, માર્ટિન એસલિન, ઑગસ્ટો બૉલ, દારિયા ફૉ વેગેરે. ભારતમાંથી આ સન્માન વર્ષ 2005માં એક માત્ર ગિરીશ કર્નાડને મળ્યું છે. 2016ના આ વર્ષે હજુ સુધી કોઈ સંદેશ જાહેર નથી થયો એટલે એક અદના રંગકર્મી તરીકે હું જાતે જ મારો સંદેશ લખીને આપ સૌ સામે વાંચી સંભળાવું છું.

જ્યાં જ્યાં માનવસમાજ છે ત્યાં ત્યાં, જેને દબાવી કે કચડી ન શકાય, એવી આંતરિક અભિવ્યક્તિનો જુસ્સો અકબંધ છે, અને તે પ્રગટ થયા વગર કેમે ય રહી શકતો નથી. રંગમંચ પર આપણે શાની અભિવ્યક્તિ કરીએ છીએ ? જીવનની જટિલતાઓની, માનવસમાજમાં રહેલ બહુલતા કે વિવિધતાની, આપણી નિર્બળતાઓની – નિર્બળતા Velnerablityના અર્થમાં – જેમ કે – આપણે આસાનીથી કશાકનો ભોગ બની શકીએ છીએ. અને આ અભિવ્યક્તિ આપણે રંગમંચ પર જીવંત રીતે આપણા શ્વાચ્છોશ્વાસથી અને આપણા અંતરમાંથી નીકળતા અવાજ વડે કરીએ છીએ જે અવાજમાં આપણી ઇચ્છાઓ, એષણાઓ, આપણી ગમગીની અને મૂંઝવણો ઘૂંટાયેલી છે. આપણે સૌ થિયેટરમાં સાથે મળીને સ્વેચ્છાએ હસવા, રડવા, બોજિલ બનવા અને સાથોસાથ હળવા થવા, ક્યારેક ખિન્ન થવા, વિચલિત થવા, વિચાર કરતા થવા, તો ક્યારેક સુંદરતા અને કલ્પનાશીલતાનો આનંદ માણવા જઈએ છીએ.

ડેરિયો ફૉ નામનો વિખ્યાત નાટ્યદિગ્દર્શક કહે છે કે થિયેટર હોય, સાહિત્ય હોય કે બીજી કોઈ પણ કલાત્મક અભિવ્યક્તિ હોય – જો તેમાં વર્તમાન સંદર્ભ ન હોય, તેમાં આજની પ્રજાને મૂંઝવતા સવાલો ન હોય, નાગરિકોની નિસબત ન હોય તો એ બધાનું હોવું વ્યર્થ છે.

આજનું આપણું જગત પળેપળ યુદ્ધો, અણુશસ્ત્રોના વિનાશક અખતરાઓ અને આતંકવાદી બોમ્બ ધડાકાઓના ભયંકર ઓથાર હેઠળ જીવી રહ્યું છે. આપણી ચોતરફ એક ભયંકર ડરામણી માનસિકતા વિકસી રહી છે જેમાં એક ગર્ભિત સંદેશ, યા કહો, ધમકી રહેલી છે, “અમારી વાત માનો, નહીંતર અમારો ભોગ બનવા તૈયાર રહો”. આજે આપણો કવિ, લેખક, વિચારક, નાટ્યકાર, ફિલ્મકાર, અભિનેતા કે શિક્ષક કે જે કંઈ બોલે કે વિચાર પ્રગટ કરે તેની પ્રતિક્રિયા બળ કે હિંસાથી આપવાની વાતને ચોતરફથી સમર્થન મળી રહ્યું છે. હજુ દોઢ દાયકા પૂર્વે આપણે ઢોલનગારાના હર્ષનાદો વચ્ચે 21મી સદીમાં, આધુનિક ગણાતી સદીમાં પ્રવેશ કરેલો. આજે લાગે છે કે આપણે મધ્યયુગ તરફ સરકી રહ્યા છીએ. હું માત્ર આપણા દેશ પૂરતી વાત નથી કરી રહ્યો. મારી વાત આખી ય દુનિયાના દેશોને આવરી લેતી વાત છે.

સુપ્રસિદ્ધ બ્રિટિશ નાટ્યકાર હેરૉલ્ડ પિન્ટરે ‘Voices’ નામે તેનું છેલ્લું નાટક લખેલું. તેની પ્રસ્તાવનામાં પિન્ટરે લખેલું, “એક કલાકાર કે સર્જક તરીકે મને લાગે છે કે માનવ સ્વભાવનું તેમ જ વર્તમાન રાજકારણનું એક ઘૃણાસ્પદ લક્ષણ આજકાલ પ્રયોજાતી ભાષાના દુરુપયોગમાં, તેમ જ ભાષાના એક હથિયાર તરીકેના ઉપયોગમાં વ્યકત થાય છે. તમે સૌ સમજો છો હું શું કહેવા માંગું છું? આપણે સમાજને માટે અત્યંત ઘાતક એવા પાયાગત દંભ અને ભાષાની ગેરસમજ અંગે, ભાષાની વિકૃતિ અંગે, અથવા ભાષાના દુરુપયોગ અંગે વાત કરી રહ્યા છીએ. કારણ કે જીવનના દરેક કાર્યમાં આ ભાષા જ આપણને દોરે છે. આજકાલ Freedom, Democracy, Human-Rights, Secularism, Nationalism, Disarmament, Non-proliferation, World-Peace જેવા મોટા મોટા શબ્દો ઉચ્ચારીને છૂટથી દંભી ભષાનો પ્રયોગ થઈ રહ્યો છે. મહાન ઉદ્દેશોના મોટા મોટા નામે કરવામાં આવતી દરમ્યાનગીરી વખતે જે પ્રકારની (દંભી) ભાષા પ્રયોજાય છે એ મને સૌથી વધારે ત્રાસદાયી, ભયજનક અને સાચું કહું તો ઘૃણાસ્પદ લાગે છે.

વાસ્તવમાં તો આ જગતના મૂઠીભર બળિયા દેશો અન્યોની સાર્વભૌમ સત્તાને પોતાના કાબૂ હેઠળ રાખવા, તેમની કુદરતી સંપદાને લૂંટવા તેમ જ પરાજિત શાસકોને ખંડિયા બનાવી વિશ્વસત્તાઓના સમીકરણો જાળવી રાખવાના ઇરાદાથી જ આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે. આવી ભાષાના માધ્યમથી તેઓ વિશ્વ આખાયમાં તેમના હઠ અને બળપૂર્વક કરાયેલાં ગુનાહિત કૃત્યોને ન્યાયોચિત ઠેરવવા મથે છે. અને ભાષાના દુરુપયોગનો આ જીવલેણ રોગ દરેક દેશના સ્થાનિક રાજકારણોમાં પણ ફેલાઈ રહ્યો છે

આજે લાખો કરોડો માણસો ફકત જીવવા માટે, ટકી રહેવા માટે રાતદિવસ સંઘર્ષ કરી રહ્યા છે. લાખો લોકો ધર્મ કે વિચારધારાના નામે લડાઈ રહેલાં યુદ્ધમાં રાતદિવસ મરી રહ્યા છે. લાખો લોકો પોતાનાં ઘરબાર છોડી દુનિયાભરમાં નિરાશ્રિત બનીને ભટકી રહ્યા છે,

જ્યાં કહેવાતાં સુખ‌શાંતિ છે ત્યાં ય પ્રશ્નો ઓછા નથી. ભૂખ્યાંડાંસ જેવો આજનો અકરાંતિયો ઉપભોકતાવાદ પોતાનો માનવીય ચહેરો ગુમાવી રહ્યો છે, ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ મોટી ને મોટી થઈ રહી છે. કાયદાની સમાનતા બંધારણના કાગળ પર છે પણ સાક્ષાત ધરતી પર ઊતારવાની હજુ બાકી છે. આપણાં તમામ જાહેર માધ્યમો સ્વસ્થ ચિંતન અને જ્ઞાન આપવાને બદલે કેવળ ઉત્તેજના, કટ્ટરતા, બેહૂદગી અને નફરત ફેલાવવા જાણે પરસ્પર સ્પર્ધામાં ઊતરેલાં જણાય છે. રોજ રાત્રે ટેલિવિઝન પર રજૂ થતા ઉગ્ર વાદવિવાદોમાંથી સો ટચનું સત્ય તારવવા લોકોને રીતસર વલખાં મારવા પડે એવી આજની સ્થિતિ છે.

દુનિયાભરના તમામ કુદરતી સ્રોતોનું શોષણ થઈ રહ્યું છે. આપણાં જંગલો કપાઈ રહ્યાં છે. આપણી નદીઓનાં જળ સૂકાઈ રહ્યાં છે. હવા, પાણી, આકાશ સર્વત્ર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ઑઝોનમાં ગાબડું મોટુંને મોટું થઈ રહ્યું છે. જીવજગતની કેટલી ય જાતિપ્રજાતિઓનું નિકંદન નીકળી રહ્યું છે.

આપણા બાદલ સરકારે એક વાર એલાન કરેલું એમ, દુનિયાભરના કવિઓ, નાટ્યકારો અને કલાકારો સાબદા બનો. રંગમંચ જેવા જીવંત ધબકતાં માધ્યમ પર આપણને પીડતા-મૂંઝવતા પ્રશ્નોને તાત્કાલિક અભિવ્યકિત આપ્યા વગર છુટકો જ નથી.

એક કલાકાર તરીકે આપણી પાસે જે કંઈ તાકાત કે ક્ષમતા છે તેના વડે આપણે સાધારણ લોકોનાં મનહૃદયને સાચી અને સ્વસ્થ દિશા તરફ દોરી જવા તે આપણો આપદ્ ધર્મ છે. આપણે એક એવા આશાસ્પદ જગતનું નિર્માણ કરવાની જરૂર છે જ્યાં આપણે ખુલ્લાં મનથી, મૈત્રી ભાવે પરસ્પર સહયોગ કરીને આપણી વર્તમાન મુસીબતોમાંથી કોઈ માર્ગ શોધવાનું વિચારી શકીએ.

આજે જ્યારે ચોતરફ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો વિકરાળ મોં ફાડીને ઊભા છે ત્યારે ગ્રીક ટ્રેજેડીના સોફોકલીઝને યાદ કરીએ … જેણે કહેલું, “માણસને ઈશ્વરમાં શ્રદ્ધા નહીં હોય તો ચાલશે, ધર્મમાં શ્રદ્ધા નહીં હોય તો ચાલશે, રાજ્યમાં કે સામાજિક નીતિનિયમોમાં શ્રદ્ધા નહીં હોય તો પણ ચાલશે પણ માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈશે. આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે આપણે સૌ પ્રણ લઈએ કે માણસની માણસ પરની આ શ્રદ્ધા કાયમ ટકી રહે એવા સઘળા પ્રયાસો આપણે કરતા રહીશું”.

નટ, નાટક અને નાટ્યકાર

“આ ત્રણ નાટકો વિશે મારે કંઈ કહેવાનું નથી. એ બધું તે પુસ્તકોમાં જ કહેવાઈ ગયું છે. મારે આ નિમિત્તે માત્ર નટ, નાટક અને નાટ્યકારની મહત્તા વિશે એક નાનકડી વાત કરવી છે. મારી દૃષ્ટિએ રંગભૂમિના કેન્દ્રમાં નટ છે. નટ એ નાટ્યકારનો પારોગામી છે. એટલે કે નાટ્યકાર નહોતો ત્યારે પણ નટ હતો. નાટ્યકાર વગર નટ હશે પણ નટ વગર નાટ્યકારની કોઈ જ સાર્થકતા હશે નહીં. હા, એ કબૂલ કે નાટ્યકારના આગમનને કારણે નટની ઊંચાઈ એકદમ વધી ગઈ. નટને એક વિશેષ મૂલ્ય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયાં. હવે પછીનો નટ માત્ર ચેનચાળા કે ટાયલાવેડા કરનારો નટ નહોતો. નટ એક ગંભીર વિચાર કે પ્રેરણાનો વાહક બન્યો.

સર્વસામન્ય કલાકારો કરતાં નટ, નાટક અને નાટ્યકાર બાબતે મારો મત જરા જુદો છે જેની જોડે બહુ ઓછા કલાકારો સંમત થશે. એટલે આને માત્ર મારા વ્યક્તિગત મત તરીકે જે સમજવો!

મને મારા અનુભવે લાગ્યું છે કે નાટકનું કામ પૈસા કમાવાનું નથી. પૈસા જ કમાવા હોય તો નાટક કરતાં વધુ ફાયદેમંદ ક્ષેત્રો ટેલિવિઝન અને ફિલ્મો છે. બીજું એ કે નાટ્યનું કામ લોકોને મનોરંજન અને મોજમજા કરાવવાનું નથી, નાટકનું કામ સોશ્યલાઇઝેશન કે ટાઇમપાસ નથી, નાટક લોકપ્રિયતા કે પ્રસિદ્ધિ માટે નથી. નાટક એ “કલા ખાતર કલા” જેવી  પ્રવૃત્તિ પણ નથી. તો પછી નાટક શાના માટે છે?

નાટકના આરંભે પડદો ઊંચકાય, મંચ પર નટ પ્રવેશે, તેના પર સ્પોટ લાઈટનો ઝળહળતો પ્રકાશ ફેંકાય અને હજાર-દોઢ હજાર માણસોની આંખો એકી સાથે ફકત મંચ પર ઊભેલા એક નટ ઉપર જ મંડાય તે કદાચ મારે મન “one of the most privileged moment in actor’s life”. એ ધારે તો તેના કૌશલ્ય વડે અને તેના પાત્રાલેખન વડે તેને જોનારાઓનાં મન પર કેટલો જબરદસ્ત પ્રભાવ પાડી શકે. અને આ કામ એ તેની છટાઓથી કે ચેનવચાળાઓથી નહીં – પણ  જે કોઈ મજબૂત વિચાર કે ભાવનો વાહક બને છે તેનાથી. દરેક સમર્થ નટ જાણે છે કે તેનામાં કેટલું ‘પોટેન્શિયલ’ રહેલું છે, સવાલ એ તેનો કેવો ઉપયોગ કરવા ધારે છે તે અંગેનો છે.

કોઈ વિચારશે કે આવી જ પરિસ્થિતિ જ્યારે એક રાજનેતા, કથાકાર કે ધર્મગુરુ બોલવા ઊભો થાય ત્યારે પણ એને સાંભળવા હજારો લાખો લોકો ઉત્સુક બની જાય છે.

પણ આ બધાની સરખામણી નટ સાથે થઈ તેમ નથી, કારણ કે રાજનેતા, કથાકાર કે ધર્મગુરુનો પોતાનો ‘ફોકસ્ડ એજંડા’ છે. તેઓ લાખો લોકોને વશીભૂત કરે છે, તેમને બાંધે છે, પરાધીન કરે છે, તેમની સ્વતંત્ર વિચારશક્તિને ક્ષીણ કરે છે, તેઓ બધા તેમની શરણાગતિ સ્વીકારે, સમર્પિત થઈ જાય એવું ઝંખે છે. જ્યારે નટ લોકોને પ્રેરિત કરે છે, આઝાદ કરે છે, પોતાના પગ પર ઊભા કરે છે, તેમને તંદ્રામાંથી જગાડે છે, તેમને સ્વતંત્ર રીતે વિચાર કરતા કરે છે, સંવેદનશીલ બનાવે છે. પેલા રાજનેતાઓ કે ધર્મગુરુઓના ભાષણોમાં ક્યાં ય કોઈ સવાલો નથી. શંકાઓ નથી, જિજ્ઞાસા નથી, આશ્ચર્યો નથી, પડકારો નથી, સાહસ નથી, નવી શોધ કે ઉકેલની મથામણ નથી. તેઓ જીવનની તમામ સમસ્યાઓના ઉકેલરૂપી તૈયાર પડીકાં લાખો લોકોને વહેંચે છે. એ લોકોની સભાઓમાં વ્યક્તિનાં મૂળગામી પરિવર્તનની કોઈ ગુંજાઈશ નથી.

એ બધાની સામે નટનો કોઈ ‘ફિકસ્ડ એજન્ડા’ નથી. તે પોતાની સમગ્ર જાત રેડીને કેવળ એક પાત્ર ભજવે છે. અને આ પાત્રનું સર્જન કોઈ કવિનાટ્યકારે કર્યું છે જે એક દૃષ્ટા છે, વિઝનરી છે, સર્જક છે તેનો સંબંધ માણસ જોડે છે – માણસમાં રહેલી સંભાવનાઓ તેમ જ અધૂરપો જોડે. કોઈ જ સર્જક માણસને દેવતા બનાવવા નથી ઇચ્છતો. તે માત્ર માણસમાં પડેલાં દૈવતને જગાડવા પ્રયાસો કરે છે.

કોઈ સાચો સર્જક પ્રેક્ષકોને બોધ આપવા, શીખવાડવા, સંદેશ આપવા, ઉકેલ આપવા નાટક નથી લખતો તે કેવળ જીવનની સંકુલ વાસ્તવિકતાઓને જ આપણી સમક્ષ ખોલી આપે છે. માનવચિત્તના અંધારિયા ખૂણાઓમાં પડલી જટિલતાઓને બહાર લાવીને આપણને જાણે સફાળા જગાડી દે છે.

આપણે કવિ, લેખક, નાટ્યકાર કે કલાકારને સર્જક કહ્યો છે. કારણ કે તે પણ એક સૃષ્ટિનું સર્જન જ કરે છે. આમ જુઓ તો નાટકની સૃષ્ટિ કાલ્પનિક છે. અને છતાં ય તમને નવાઈ લાગશે કે એનાં જેટલી સચ્ચાઈ કે વાસ્તવિકતા જગતમાં બીજે ક્યાં ય નથી.

નટ કે નાટ્યકાર પોતે એક તટસ્થ, નિષ્પક્ષ હસ્તી છે. આનો અર્થ એ પણ નથી કે તે દહીંદૂધમાં પગ રાખે છે. તેનો અર્થ એટલો જ કે તે કોઈ પક્ષ, પંથ, થિયરી, ફૉર્મ્યુલા કે વિચારધારાનો વાહક નથી. તે એક સાક્ષાત જીવાતું જીવન છે – તેની તમામ સબળાઈ-નબળાઈઓ સાથે.

ઈશ્વર કે પરમાત્માને પણ આપણે સર્જક કહ્યો છે. આ સર્જક કે સર્જનહારને આપણે માનીએ છીએ બહુ, પણ તેના વિશે જાણીએ છીએ નહીંવત. મોટા ભાગનાઓ માટે આ સર્જક દૈવી છે, અંતર્યામી છે, સર્વશક્તિમાન છે. જ્યારે આપણો સર્જક તો તમામ દોષો-અધૂરપોથી ભરેલો છે. તે ઉપર આભે ચડીને બેઠો નથી. તે ધરતી પર છે, મર્ત્ય છે, હાડમાંસનો બનેલો છે. તે જિંદગીની જદ્દોજહદનો પ્રતિપળ સામનો કરે છે. તે કોઈ નિશ્ચિત ધર્મ, પંથ, કે વિચારધારાનું સમર્થન નથી કરતો પણ તેમ છતાં ય તેની કૃતિઓમાં તે એક ચોક્કસ ‘સ્ટેન્ડ’ લે છે.

તે કહે છે કે “મારી નજર સામે મને દેખાતી સરેઆમ ખોટી, અન્યાયી અને ઘાતકી દેખાતી બાબત પ્રત્યે મારે મારી સાફ અસંમતિ કે આક્રોશ જાહેર કરવા જ પડે. પછી ભલે એ ઘાતકી બનાવો કે અંધાધૂંધ હિંસાની પછવાડે ટેકારૂપ કોઈ તાર્કિક, શાસકીય, રાજદ્વારી કે ક્યારેક વ્યૂહાત્મક વાજબીપણાંના જાત જાતના બહાના કે દલીલો રહ્યાં હોય! એક સંવેદનશીલ નાગરિક તરીકે મારે કહેવું જ પડે કે “enough is enough!”

પણ આજકાલ વાદવિવાદના ગાઢ ધુમ્મસમાં ઓગળી ગયેલી કે ખોવાઈ ગયેલી સચ્ચાઈ ક્યાં છે. ઘણું વિચારતાં મને લાગે છે કે આ સચ્ચાઈ કેવળ “માણસના માણસ તરીકેના હોવાપણાં”માં છે.

નાટયકાર થોર્નટન વાઈલ્ડરે કહેલું મારી નજરમાં “theatre is greatest of all art forms, આ એક જ કલા એવી છે જેમાં નાટ્યગૃહમાં બાજુ બાજુની બેઠકમાં અડોઅડ બેઠેલા પ્રેક્ષકો નાટક જોતાં જોતાં “માણસ હોવું એટલે શું” – “what is it to be a human being”ની તીવ્રતમ લાગણી એકબીજા સાથે વહેંચે છે.

નટ જેટલો સ્વતંત્ર અને નિર્ભિક આ દુનિયામાં બીજો કોઈ નથી. એ સૌથી મોટો સત્યવકતા છે – પછી એ સત્ય કઠોર હોય કે અણગમતું હોય. તેને કોઈ દંભ નથી કે તે કોઈનો ઓશિયાળો નથી. તેને કોઈની કૃપાદૃષ્ટિની ઝંખના નથી. તે જાતે રંગમંચ ઉપર પોતાનો ક્રોસ ખભા પર ઊંચકી વર્તમાનમાં જીવવાની પ્રેરણા આપી જાય છે.

આજે જ્યારે નેશનલ અને એન્ટીનેશનલની જોરદાર ચર્ચા ચોતરફ ચાલી રહી છે ત્યારે આઈરિશ એકટર સિરિલ ક્યુઝેકની વાત ધ્યાને ધરવા જેવી છે. તે કહે છે કે “I am a nationalist…but my native soil is the theatre” – “હું રાષ્ટ્રવાદી છું, પણ મારો રંગમંચ એ જ મારું રાષ્ટ્ર છે, મારી માતૃભૂમિ છે”. હકીકતમાં સિરિલ ક્યુઝેક કહેવા માંગે છે કે નાટકનો રંગમંચ કોઈ એક રાષ્ટ્રનું નહીં પણ પૂરા વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ અર્થમાં પ્રત્યેક નટ અને પ્રત્યેક સર્જક વિશ્વનાગરિક છે અથવા ઈન્ટરનેશનાલિસ્ટ છે.

ટાગોરની નવલકથા ‘ઘરેબાહિરે’નું એક પાત્ર બોલે છે તેમ “હું મારા દેશને ખૂબ ચાહું છું પણ સત્ય દેશ કરતાં ઊંચું છે. એટલેકે દેશ અને સત્ય વચ્ચે પસંદગી કરવાની હોય તો વિના હિચકિચાટ હું સત્યને પસંદ કરીશ.” એ અર્થમાં રંગમંચ એ સત્યની આરાધ્યભૂમિ છે. આપણે સૌ કલાકારો એ ભૂમિ પર હરહંમેશ સત્યનું મહિમામંડન કરતા રહીએ એજ અભિલાષા સાથે, આપ સૌનો આભાર.

e.mail : bharatdave50@yahoo.co.in

Loading

ભગતસિંહ કોના? કૉંગ્રેસના, ભાજપના કે સામ્યવાદીઓના?

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 April 2016

માત્ર 24 વર્ષની ઉંમરે બ્રિટિશ કાનૂન હેઠળ ‘આતંકવાદી’ ઠેરવાઈને ફાંસીને માંચડે લટકી જનાર ભગતસિંહની ગયા સપ્તાહે 23મી માર્ચે 109મી પુણ્યતિથિ હતી. એ જ દિવસે કૉંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી શશિ થરુરે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારને આજના જમાનાનો ભગતસિંહ ગણાવ્યો તેમાં વિવાદ શરૂ થયો. ભાજપે આને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું અને માગણી કરી કે કૉંગ્રેસ અને શશિ થરુર દેશની રાષ્ટ્રપ્રેમી જનતાની માફી માગે. ભાજપે કહ્યું કે ભગતસિંહનો રાષ્ટ્રપ્રેમ કનૈયાકુમારથી અલગ હતો.

પ્રો. પ્રીતમસિંહ સાચું કહે છે, ‘ભારતમાં જેટલા પણ પ્રકારની રાજનૈતિક વિચારધારા છે તેને માટે ભગતસિંહ એક ચુનૌતી છે’  

ભગતસિંહે તો ‘ભારત માતા કી જય’ના નારા સાથે ફાંસીનો ફંદો ગળે પહેરી લીધો હતો, જ્યારે કનૈયાએ તો દેશદ્રોહી અફઝલગુરુનો જયજયકાર કર્યો છે, એમ ભાજપે કહ્યું હતું. ભગતસિંહની સરખામણી કનૈયાકુમાર સાથે કરવાની થરુરની ચેષ્ટા બચકાની છે. બંને વચ્ચે ઉંમરના સામ્ય સિવાય, કશી સમાનતા ન હતી. થરુરને કદાચ કનૈયાકુમારની માર્ક્સવાદી વિચારધારાને લઈને ભગતસિંહ યાદ આવ્યા હોય એવું બને. ભગતસિંહ વર્ષોથી ભારતના સામ્યવાદીઓના હીરો રહ્યા છે, કારણ કે ભગતસિંહે એમની નાસ્તિકતાની ઘોષણા ડંકાની ચોટ પર કરી હતી.

બીજી તરફ, ભગતસિંહને બંધૂકમાંથી ગોળીઓ ધણધણાવતા, બૉમ્બ વર્ષાવતા રેમ્બો ટાઇપના આક્રમક રાષ્ટ્રવાદી નેતા તરીકે પેશ કરવાની કોશિશ પણ થતી રહી છે. ભગતસિંહની વિરાસતને લઈને ડાબેરી સામ્યવાદીઓ, જમણેરી હિન્દુવાદીઓ અને ‘લેફ્ટ ઑફ ધ સેન્ટર’ કૉંગ્રેસ વચ્ચે સતત ખેંચતાણ થતી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર પ્રીતમ સિંહે ભગતસિંહનો ખાસ્સો અભ્યાસ કર્યો છે. તે લખે છે, ‘ભારતમાં જેટલા પણ પ્રકારની રાજનૈતિક વિચારધારા છે તેને માટે ભગતસિંહ એક ચુનૌતી છે.’

ગાંધી પ્રભાવિત રાષ્ટ્રપ્રેમીઓ, હિન્દુ રાષ્ટ્રવાદીઓ, શીખ રાષ્ટ્રવાદીઓ, સામ્યવાદીઓ અને સશસ્ત્ર સંઘર્ષના હિમાયતી માર્ક્સવાદીઓ ભગતસિંહમાં પોતપોતાનો હિસ્સો શોધે છે, પરંતુ એમને જ વિરોધિતા નડે છે. ગાંધીવાદીઓને ભગતસિંહની હિંસાથી મુસીબત છે, હિન્દુ અને શીખ રાષ્ટ્રભક્તોને એમની નાસ્તિકતા પચતી નથી, ડાબેરીઓને એમનામાં નક્સલવાદી દેખાય છે, જ્યારે નક્સલવાદીઓને વ્યક્તિગત આતંકી વિચારધારા પ્રત્યેની ભગતસિંહની નફરત ગમતી નથી.’ ભગતસિંહ બે રીતે તત્કાલીન ક્રાંતિકારીઓથી અલગ પડે છે.

એક, ભગતસિંહને એમની નાસ્તિકતા પર ગર્વ હતો, અને ફાંસીના પાંચ મહિના પહેલાં જ તેમણે લાહોરની જેલમાં ‘હું નાસ્તિક કેમ છું’ નામનો લેખ લખ્યો હતો, જે લાલા લજપતરાયના અંગ્રેજી સાપ્તાહિક ‘ધ પીપલ’માં 27 સપ્ટેમ્બર, 1931(જે એમનો જન્મદિવસ છે)ના રોજ પ્રકાશિત થયો હતો. અને બે, એમણે એવા સ્વતંત્ર ભારતની કલ્પના કરી હતી જેમાં ગરીબી ન હોય, પીડા ન હોય, શોષણ ન હોય અને સમાનતા હોય. 24 વર્ષનો એક યુવાન, જે કસમયના મૃત્યુની કગાર પર હોય, એ ઈશ્વરના અસ્તિત્વનો બેબાક ઇન્કાર કરે એ વાત જ એક ક્રાંતિ છે.

પંજાબના સ્વતંત્રતાસેનાની બાબા રણધીર સિંહ 1930-31 વચ્ચે લાહોર જેલમાં બંધ હતા. એમને એ જાણીને કષ્ટ થયેલું કે ભગતસિંહ પોતાને નાસ્તિક ગણે છે. એમણે ભગતસિંહમાં ઈશ્વર પ્રત્યે આસ્થા પેદા થાય તે માટે પ્રયાસ કરેલો, પણ એમાં નિષ્ફળતા મળતાં અકળાઈને કહેલું, ‘તને પ્રસિદ્ધિ મળી છે એટલે તારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તું અહંકારી બની ગયો છે, જે તારી અને ઈશ્વર વચ્ચે પડદો બની ગઈ છે.’ ભગતસિંહે અાના જવાબમાં એ લેખ લખ્યો હતો. ભગતસિંહ લખે છે, ‘શું હું કોઈ અહંકારના કારણે ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ નથી કરતો? મારા અમુક દોસ્ત આવું માને છે.

હું શેખી નથી મારતો કે હું માનવીય કમજોરીઓથી ઉપર ઊઠી ગયો છું. હું એક મનુષ્ય છું અને એથી વિશેષ કશું જ નહીં. આવો દાવો કોઈ ન કરી શકે. આ કમજોરી મારી અંદર પણ છે. અહંકાર મારા સ્વભાવનો ભાગ છે. મને નિશ્ચિતપણે મારા મત પર ગર્વ છે, પરંતુ એ વ્યક્તિગત નથી. મને મારા વિશ્વાસ પ્રત્યે ન્યાયોચિત ગર્વ છે. એને ઘમંડ ન કહી શકાય. ઘમંડ તો સ્વયં પ્રત્યે અનુચિત ગર્વની અધિકતા છે.’ જીવનને ગહેરા અર્થમાં સમજવા કે એનો સંતોષ મેળવવા ભગતસિંહને ઇશ્વરની, સ્વર્ગની કે નર્કની કલ્પનાના સહારાની કે આત્માની અમરતામાં વિશ્વાસની જરૂર લાગી ન હતી.

એનાથી વિપરીત ભગતસિંહ એવું માનતા કે આવી શ્રદ્ધા માણસને કમજોર બનાવે છે અને એના તાર્કિક વિચાર અને વ્યવહારમાં અવરોધ બને છે. ભગતસિંહે હિન્દુ, મુસ્લિમ અને ઈસાઈને સંબોધીને કહેલું કે, ‘તમારો સર્વશક્તિમાન ઇશ્વર હર વ્યક્તિને એ સમયે કેમ નથી રોકતો જ્યારે એ અપરાધ કે પાપ કરતો હોય છે? એણે કેમ આક્રમણખોર રાજાઓની ઉગ્રતાને સમાપ્ત કરીને માનવને પ્રથમ વિશ્વયુદ્ધથી ન બચાવ્યો? એણે અંગ્રેજોના મસ્તિકમાં ભારતને મુક્ત કરવાની ભાવના કેમ ન ભરી? એણે શા માટે મૂડીવાદીઓના હૃદયમાં પરોપકારનો ઉત્સાહ ન ભર્યો?’

ભગતસિંહે ઈશ્વરને સ્વાર્થી નીરો અને આતતાયી ચંગેઝખાન સાથે સરખાવ્યો હતો, જે મનુષ્ય જાતિનાં દુ:ખ-દર્દની મઝા લઈ રહ્યો છે. ભગતસિંહનું રાજકીય અને સામાજિક ચિંતન એમની આ ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધામાંથી આવે છે, જે એમનો બીજો પક્ષ છે, જેની સાથે અનુકૂલન સાધવામાં ભગતસિંહના કહેવાતા વારસદારોને તકલીફ પડે છે. ભગતસિંહે ધર્મમુક્ત અને ગરીબીમુક્ત ભારતની કલ્પના કરી હતી, કારણ કે એમના મતે ધર્મએ તાકાતવર, સંપન્ન લોકોની તરફદારી કરી છે અને હિન્દુસ્તાનને હિન્દુ-મુસ્લિમ વેરઝેરની ગર્તમાં ગુમરાહ કરી દીધું છે.

1919માં જલિયાંવાલા બાગના હત્યાકાંડની અસર હેઠળ 1924માં (હાલ પાકિસ્તાનમાં) ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં ભયાનક રમખાણ થયાં હતાં, એ પછી સાંપ્રદાયિક તોફાનો પર લાંબી બહસ શરૂ થયેલી. ભગતસિંહે આ અંગે સ્પષ્ટ વિચારો રજૂ કરેલા, જે ‘કીર્તિ’ નામની પત્રિકામાં 1928માં પ્રગટ થયા હતા. એમાં ભગતસિંહે લખેલું કે ભારતમાં આજે એક ધર્મનું હોવું જ બીજા ધર્મ માટે કટ્ટર શત્રુ હોવું છે. 100 વર્ષ પહેલાંના ભગતસિંહના વિચારો આજે પણ એટલા જ સાંપ્રત છે. ભગતસિંહની આ સંવેદનશીલતા પણ આપણે એમની જે છબી બતાવી છે તેનાથી વિપરીત જાય છે.

હિન્દુ-મુસ્લિમ વિસંવાદિતા ભારતને વિશ્વમાં બદનામ કરી રહી છે, એવું ભગતસિંહને ત્યારે લાગેલું. એ લખે છે, ‘ખબર નથી આ ધાર્મિક દંગલો ક્યારે ભારતવર્ષનો પીછો છોડશે. આ અંધવિશ્વાસમાં બધા વિવેક ગુમાવી દે છે. કોઈ હિન્દુ, મુસલમાન યા શીખ વીરલો જ હશે જે એનું દિમાગ ઠંડું રાખે છે, બાકી બધા ખાલી નામના જ ધાર્મિક રોબને બતાવવા ડંડા, લાઠી, તલવાર, છૂરી હાથમાં પકડી લે છે અને માથા ફોડીને મરી જાય છે.’ ભારતમાં આજે ધાર્મિક અતિવાદને વોટબેન્ક રાજનીતિના કારણે વૈધતા મળી છે ત્યારે ઈશ્વરને લઈને ભગતસિંહના વ્યક્તિગત વિચારો અને હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિકતાને લઈને એમનો જાહેર અભિગમ એમને સાવ જુદા જ (અને સાચા) પરિપ્રેક્ષ્યમાં મૂકે છે, જે પરિપ્રેક્ષ્ય ‘ભગતસિંહ તો મારો-કાપોવાળા સાચા સપૂત હતા’ એવી એમની છબી હેઠળ દબાઈ ગયો છે.

ભારતમાં ગરમા-ગરમ, આરપારના વિચારોના ચાહકો વધી રહ્યા છે. બધાને એવું લાગે છે કે છાતીઓ પહોળી કર્યા વગર આ દેશનો ઉદ્ધાર થવાનો નથી. એમને ભગતસિંહનું રેમ્બોઇઝમ લલચાવનારું લાગે, પણ આઝાદીને લઈને, રાષ્ટ્રપ્રેમને લઈને ભગતસિંહ શું માનતા હતા એની ભાગ્યે જ કોઈ દરકાર કરે છે. લાહોર જેલમાં 1931માં એમને ફાંસી અપાઈ તેનાં બે વર્ષ પહેલાં લાહોર વિદ્યાર્થી પરિષદમાં ભગતસિંહે કહેલું, ‘ભારતમાં આઝાદીના ઘણા બધા અર્થ કરવામાં આવે છે. મારા મતે આઝાદીનો મતલબ માત્ર રાજકીય ગુલામીથી મુક્ત થવાનો જ નથી.

આઝાદીનો મતલબ ઑલરાઉન્ડ આઝાદીનો છે, જેમાં વ્યક્તિગત આઝાદી હોય, સામાજિક આઝાદી હોય, ધનવાનોની આઝાદી હોય અને ગરીબોની ય આઝાદી હોય, પુરુષો માટે આઝાદી હોય અને સ્ત્રીઓ માટે ય હોય. આઝાદીનો મતલબ સંપત્તિની સમાન વહેંચણી, જાતિ ભેદભાવની નાબૂદી, કોમી વિસંવાદિતા અને ધાર્મિક અસહિષ્ણુતાની ગેરહાજરી એવો થાય છે. તમને કદાચ આ વાત દિવાસ્વપ્ન જેવી લાગે, પણ આ આદર્શ હશે તો જ માણસના આત્માને શાંતિ મળશે.’

ભગતસિંહનો રાષ્ટ્રવાદ બહુસંખ્યકવાદમાંથી નહીં, પણ માનવતાવાદમાંથી આવતો હતો એ એક મહત્ત્વની શીખ એમના જીવનમાંથી મળે છે.

પેલા ‘હું નાસ્તિક કેમ છું’ લેખમાં ભગતસિંહ લખે છે, ‘મને ખબર છે જે ક્ષણે ફાંસીનો ફંદો મારી ગરદન ઉપર લાગશે અને મારા પગ તળેથી પાટિયું ખસશે, એ ક્ષણ અંતિમ હશે. હું કે મારા આત્માનો ત્યાં જ અંત આવી જશે. આગળ કશું જ નહીં હોય. એક નાનકડી જિંદગી, જેની કોઈ ગૌરવશાળી પરિણતિ નથી, ખુદમાં સ્વયં એક પુરસ્કાર હશે. વિના કોઈ સ્વાર્થ કે અહીં અથવા અહીંથી આગળ કોઈ ઈનામની ખેવના વગર મેં અનાસક્ત ભાવથી પોતાના જીવનને સ્વતંત્રતાના ધ્યેય પર સમર્પિત કરી દીધું છે, કારણ કે હું બીજું કશું કરી શકું તેમ નથી. જે દિવસે આપણને આવી માનસિકતાવાળા બહુ બધાં સ્ત્રી-પુરુષ મળશે, જે પોતાના જીવનને મનુષ્યની સેવા અને પીડિત માનવતાના ઉદ્ધાર કરવા સિવાય બીજે ક્યાં ય સમર્પિત કરી જ ન શકે, એ દિવસથી મુક્તિના યુગનો શુભારંભ થશે.’

ભારત માતા કી જય!

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 03 અૅપ્રિલ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-breaking-views-by-raj-goswami-in-sunday-bhaskar-5290199-NOR.html

Loading

...102030...3,6433,6443,6453,646...3,6503,6603,670...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved