Opinion Magazine
Number of visits: 9689603
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્ગત દિલીપ પડગાંવકર

પ્રકાશ ન. શાહ|Profile|16 December 2016

પત્રકાર દિલીપ પડગાંવકર ગયા. બોંતેર વરસનું, હવેના જમાનામાં ભાગ્યે જ પૂર્ણાયુષ કહી શકાય એવું જીવીને ગયા. જો કે એમણે જે તીવ્રતાથી, સઘનતાથી આ વરસોનો હિસાબ આપ્યો તે જોતાં ભરપૂર જીવીને ગયા.

મળવાનું તો મોડેથી, ખાસે મોડેથી થયું, ને તે પણ ગણીને ત્રણચાર વાર. પણ ઘણાબધા રસિક વાચકોની જેમ એમને વણમળ્યે વાંચ્યાચાહ્યાનો તો એક લાંઆઆબો સિલસિલો રહ્યો. હવે તરતમાં પાંચ દાયકા થશે એ વાતને જ્યારે યુવા દિલીપે (હજુ તો સ્નાતકવર્ષોમાં હશે) પૅરિસથી યુવજનોના અજંપાના સુરેખ રિપોર્તાજ વાટે ‘ટાઇમ્સ’ના વાચકોને મોહી લીધા હતા. એ વર્ષોમાં મારા પ્રિય વિદેશવૃત્તાંત લેખકો બે હતા – પ્રાહા વસંત (પ્રાગ સ્પ્રિંગ) સબબ નિર્મલ વર્મા અને યુવજન આંધીઅજંપા સબબ દિલીપ પડગાંવકર.

આગળ ચાલતાં બૅંગકોક-પૅરિસ ખાતેની યુનેસ્કો કામગીરી પછી દેશમાં એ ‘ટાઇમ્સ’ના તંત્રીપદે પહોંચ્યાં અને ગિરિલાલ જૈન પછી, ખાસ કરીને ૧૯૯૨ના દોરમાં એમનું એ પદે કાર્યરત હોવું – કોમવાદની પૂરા કદની રાજકીય વિચારધારાની રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વચ્ચે-નિરક્ષીરવિવેકની દૃષ્ટિએ આશ્વસ્તકારી હતું. (તે દિવસોમાં હું ભવન્સમાં પત્રકારત્વના વર્ગો લેતો. મને યાદ છે, કંઈક ચર્ચા નીકળી ત્યારે નોંધપાત્ર તંત્રીલેખ લેખે વર્ગમાં શિલ્પા ભટ્ટે ‘રિપબ્લિક બિર્સ્મ્ચડ’ એ મતલબના મથાળે પડગાંવકરે લખેલું એની જિકર કરી હતી.)

ગિરિલાલને યાદ કર્યા તે સાથે ઉમેરવું જોઈએ કે દિલીપમાં બે સમર્થ પુરોગામી – અદિબ કહેતાં શામલાલ અને ગિરિલાલ-નું અજબ જેવું રસાયણ હતું. શામલાલનો અક્ષરસૃષ્ટિ ને વિચારલોક વિશેનો જે ચાવ અને લગાવ તેમ જ ગિરિલાલની રાજકીય પ્રવાહો વિશેની જે ઝીણી નજર, બેઉ દિલીપ કને હતાં. શામલાલના સહૃદય સંસ્કારનો મારે મતે દિલીપને લાભ એ થયો કે એ ગિરિલાલની પેઠે ગોથું ખાતા બચી ગયા. ફિરોજશાહ મહેતાએ જેની બોરીબંદરનાં ડાહી ફોઈ (ઑલ્ડ લેડી ઑફ વિક્ટોરિયા ટર્મિનસ) તરીકે કલાસિક ઓળખાણ આપી હતી ને ‘ટાઈમ્સ’ની તંત્રી પરંપરા (અલબત્ત, માલિકી ઝોક સાથે) રાજ્યસંસ્થા પરના ભારની રહી છે. એમાં જેમ સાંસ્થાનિક દબાણો તેમ સ્વાતંત્ર્યોત્તર સરકારસંધાનનો હિસ્સો હશે તેમ મજબૂત રાજ્ય વગર લોકશાહી વેરણછેરણ થઈ જાય એવી ધોરણસરની નાગરિક ચિંતાનો પણ હશે. કટોકટી વખતે ગિરિલાલ મ્યાન જેેેેેેેેવા થઈ ગયા અને જેવી તે હળવી થઈ કે ‘નાઉ ઇટ કેન બી ટોલ્ડ’ કહેતાંકને પડમાં પધાર્યા એ અનુભવ પછી ૧૯૯૦-૯૨માં નવા ઓથારદોરમાં તંત્રીપદે દિલીપનું હોવું એક અચ્છો અનુભવ હતો. ક્યારેક રોયવિચારમાં રમેલા મનાતા ગિરિલાલ મજબૂત રાજ્યસંસ્થાની બાલાશ જાણે એમાં કશું ખોટું નહોતું. માત્ર, આ ચિંતા એમને સંઘ પરિવારના રાષ્ટ્રરાજ્યવાદની અનુમોદના સુધી ખેંચી જાય તેને કંઈ નહીં તો પણ ગરબડગોથું તો કહેવું જ જોઈએ. પડગાંવકરે  આવું ગોથું ન ખાધું એ એમનો વિશેષ.

ગિરિલાલ-દિલીપ સંક્રાન્તિ વર્ષોમાં મારે એમને મળવાનું થયું તે ‘ટાઈમ્સ’ના ગુજરાતી આવિષ્કાર સંદર્ભે, ૧૯૯૦માં. તે પૂર્વે, આગલે વરસે અશોકકુમાર જૈન સાથે (એમના નિમંત્રણથી) મુલાકાતને અંતે મેં વિધાયક પ્રતિસાદ નહોતો આપ્યો. દરમ્યાન, સહજ ક્રમે ‘જનસત્તા’ છૂટ્યું અને હું છડો હતો ત્યારે વળી) નિમંત્રણ તાજું થયું (હવે સમીર જૈનનો દોર હતો) અને વાત આગળ વધતાં પડગાંવકરને મળવાનું પણ થયું. હરીશ ખેર અને તુષાર ભટ્ટ બંને ઇચ્છતા હતા કે હું ‘ટાઇમ્સ’માં જોડાઉં. એમને અને દિલીપને મારે વિશે જે પણ વાત થઈ હશે, ભોંય તૈયાર હતી. પણ તે સવારે દિલ્હી દફતરમાં જે વાતો થઈ, અદૂકડા લન્ચ લગી લંબાઈ, એમનાં સ્નાતક (મારાં અસ્નાતક) વર્ષોથી માંડીને જેપી આંદોલન, દલિત સાહિત્ય, નવ્ય સિનેમા … થયું કે ઠીક જામશે, પણ –

મેં લગભગ તરત જ ‘ટાઇમ્સ’ છોડ્યું ત્યારે પડગાંવકરે કોઈને કહેલું કે શાહ મને મળવા રોકાયા હોત તો મેં એમને સમજાવી લીધા હોત. મેં કહ્યું કે બચાડા જીવ દેશમાં બીજે નંબરે હશે, પણ ‘ટાઇમ્સ’માં નવમા નંબરે છે, એમને કાં પજવું. વસ્તુતઃ રામનાથ ગોયન્કા, જ્યોર્જ વર્ઘીઝ અને પ્રભાષ જોશીથી સેવાયેલ એક્સપ્રેસ સંસ્કાર સામે મને સમજાવું જોઈતું હતું કે ટાઇમ્સ ઉત્તરોત્તર વધુ માલિક છાપ બજારવસ્તુ બની રહ્યું છે અને હવે એને તંત્રીઓની નહીં પણ ‘બ્રાન્ડ મૅનેજર’ની જરૂર હોવાની છે. દેખીતા સમીરાના અંદાજમાં પૂરા કદના તંત્રીની કોઈ ભૂમિકા રહેવાની નહોતી, બાગે બહાર બ્રાન્ડ મૅનેજર તરેહનો નવો અવતાર થવાનો હતો જે! (સુરેન્દ્ર પ્રતાપ સિંહ ‘ટાઇમ્સ’માંથી નીકળી ગયા અને ‘આજ તક’ એ આરંભિક સમાચારબુલેટિનનો જે ચમત્કાર થયો એ માટે આપણે બાળ સમીરના ઋણી રહીશું.)

દિલીપનું ‘ટાઇમ્સ’થી છૂટા થવું, છેટા અને છડા રહેવું (છેવટે વળી ટાઇમ્સ સાથે ‘કન્સલ્ટિંગ એડિટર’ તરીકે હોવું) આ ઘટનાક્રમ દરમ્યાન એક વાર એક-બે મિનિટ માટે મળવાનું થયું તે પછીથી અભયઘાટ તરીકે ઓળખાવાયેલ પરિસરમાં – મોરારજી દેસાઈની અંતિમ યાત્રામાં એ અંગ્રેજી કોમેન્ટેટરો પૈકી હતા, હું ગુજરાતી પૈકી. અમે સહેજસાજ સ્મિતની આપલે કરી ન કરી, ને એમણે કહ્યું – સો વી આર ઓન ધ સેઈમ પ્લેનેટ, નો? (પછીના દસકામાં કદાચ ‘ઑન ધ સેઈમ પેજ’ કહ્યું હોત – ખબર નથી). પણ ૨૦૦૨માં એ જ્યારે એડિટર્સ ગિલ્ડ તરફે આવ્યા ત્યારે સાઇડલાઇન્સમાં થોડી મિનિટ ઠીક આપલે થયાનું સાંભરે છે. એમણે દેશની બંધારણીય સમજૂત પર ભાર મૂક્યો અને કહ્યું કે બંધારણમાં કેટલુંક અર્ધસ્ફુટ લાગે છે તે સાભિપ્રાય છે કેમ કે એમાં રાજકારભારીઓ અને નાગરિક સમાજના વહેવારિયાઓને એક વિધાયક મોકળાશ મળી રહે છે. એમની સાથે થયેલી વાત સંભારું છું ત્યારે સમજાય છે કે રાષ્ટ્રવાદની પ્રજાસૂય વ્યાખ્યા તરફનો મારો (મારા જેવાઓનો) ઝોક ૧૯૯૨/૨૦૦૨ પછી શી વાતે સ્પષ્ટ થવા લાગ્યો હશે. હકીકતમાં મારી સ્મૃિતમાં આ પ્રજાસૂય સંસ્કારના સગડ જવાહરલાલ નેહરુના આઠેક દાયકા પરના એ યાદગાર ભાષણ લગી જાય છે જેમાં એમણે ગ્રામીણ શ્રોતા સમૂહને તમારી આંખના આંસુ તે ભારતમાતાની આંખનાં આંસુ ને તમારા ચહેરા પરનું સ્મિત તે ભારતમાતાનું સ્મિત, એવી પ્રજાપરક વ્યાખ્યાને ધોરણે રાષ્ટ્રવાદની નિરૂપણા કીધી હતી. બેનેડિકટ એન્ડરસન અને માર્થા નૂસબોમ તો પછીથી, હમણે હમણે, વાંચવાનાં બન્યા હશે.

પડગાંવકર અને રાધા કુમારે કાશ્મીર પ્રશ્ને ઇન્ટરલૉક્યુટર તરીકે સેવા આપી, એનુંયે આ ક્ષણે સ્મરણ થાય છે. છેવટનાં વરસો, દોમ દોમ દિલ્લી છાંડી એમણે પુણેનો વિદ્યાવિલાસ-વાસ પસંદ કર્યો તેમાં એમના જીવનનાં વલણોનો પરિચય મળી રહે છે. ચીફ એડિટરથી કન્સલ્ટિંગ એડિટર તરીકેની એમની સંક્રાન્તિ પ્રકારાન્તરે બજારનાં બળો મુક્ત પત્રકારત્વને કઈ હદે ગ્રસી શકે છે એનું એક ચિત્ર આપી રહે છે. એક રીતે, આવું આવું પોસ્ટ ટ્રુથ સોસાઈટીની એ નાંદી ઘટના હતી. દેશમાં ભલે બીજા ક્રમે હોય, ટાઇમ્સમાં તો એ નવમા ક્રમે છે, એવું મેં ક્યારેક કરેલું સ્માર્ટિંગ આ ક્ષણે મ્યાન કરું છું, અને તંત્રી હોવું તે ક્યારેક અધિપતિ હોવું હોઈ શકતું હતું એ યુટોપિયાઈ લાગતા અતીત વાસ્તે બે આંસુ પાડી પડગાંવકરને સફરની સલામ પાઠવું છું.

નવેમ્બર ૨૭, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 15 અને 02

Loading

બે પુસ્તકો નિમિત્તે

હિમાંશી શેલત|Opinion - Opinion|16 December 2016

નિસબત

રામચંદ્ર ગુહાનો તાજેતરમાં પ્રગટ થયેલા લેખ ‘રીપબ્લિક ઑફ અનફ્રિડમ’ (૧૪ નવેમ્બર, ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ’) વાંચ્યા બાદ જે વિચાર લાંબા સમયથી ઊંડે-ઊંડે બેચેની પેદા કરતો હતો, તે વધુ સ્પષ્ટ થયો. બીજ તો ક્યારનું ય રોપાયું હતું, અંકુરિત થયું અનુભા ભોંસલેના પુસ્તક ‘મધર, વ્હેર ઇઝ માય કન્ટ્રીઝ’ના વાચન દરમિયાન. અનુભા સજગ પત્રકાર, માનવઅધિકાર, લૈંગિક ભેદભાવ અને આંતરિક સંઘર્ષનાં ક્ષેત્રોમાં એમનું કામ સુખ્યાત છે. બે હજાર બારમાં રામનાથ ગોયેન્કા ઍવૉર્ડ મેળવી ચૂકેલાં આ સાહસિક મહિલા મણિપુરના છિન્નભિન્ન સમાજને, ઉગ્રવાદીઓ અને આફ્સ્પા વચ્ચે રહેંસતા જનજીવનને પ્રસ્તુત પુસ્તકમાં આલેખે છે. દેશ આપણો, પ્રજા આપણી, શાસન આપણું અને પોલીસતંત્ર પણ આપણું – ત્યાં, અને તો આટલી ભયાનક અવદશા? બંધારણ, ન્યાયતંત્ર, માનવઅધિકાર મંડળ, શાણપણ કે સમજ-કંઈ કરતાં કંઈ ખપ ન લાગ્યું આ બેહાલી અટકાવવામાં?

આ પુસ્તક પછી હાથમાં આવ્યું નંદિની સુંદરનું ‘ધ બર્નિંગ ફૉરેસ્ટ.’ સ્થળ બદલાય છે. આ છત્તીસગઢનો બસ્તર વિસ્તાર છે. દૃશ્યો બિલકુલ અપરિચિત નથી લાગતાં. સર્ચને નામે ધક્કે ચડતું, કચડાતું જીવન, અપમાનિત થતી સ્ત્રીઓ, ગોળીઓ દેવાતા માણસો. પ્રસ્તુત પુસ્તક પૂરું વાંચી ન શકાયું. માનવઅધિકાર અને સામાજિક ન્યાય વિશે આપણી જે કંઈ સમજ કે ભરોસો બચ્યો હોય એનાં અંધારાં ઊડી જાય એવી ઘટનાઓની જાણકારી બેચેની અને લાચારીની પીડાથી વધારે શું આપે?

ઠેઠ ૨૦૦૬માં કેટલાક વિચારશીલ નાગરિકોએ, બસ્તરના આંખે- દેખ્યા હાલ પછી, સ્વતંત્રપણે સુપ્રીમ કોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરેલી. રામચંદ્ર ગુહા અને દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક નંદિની સુંદર આ જૂથમાં સામેલ હતાં. ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટની આ સંદર્ભે કડક આલોચના પ્રાપ્ત થયેલી. રાજ્ય સરકાર દ્વારા છત્તીસગઢમાં બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને માનવ-અધિકારના હનન અંગે વિરોધ કરનારા કે ફરિયાદ કરનારા માઓ ઉગ્રવાદના સમર્થકો નથી. બેજવાબદાર હિંસાનો પ્રત્યુત્તર એવી જ બર્બર હિંસા હોય તો આ દશાનો અંત ક્યારે ય નહીં આવે, ઇત્યાદિ ટિપ્પણી પછીયે બસ્તરની ભડભડતી આગ ઠંડી થઈ નથી. જે ઘટનાઓ બંધારણની અવહેલના અને સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની સરિયામ અવગણના ઉઘાડી પાડે છે, એની ટકોરબંધ અને વિગતપૂર્ણ રજૂઆત સત્તાને પડકારરૂપ જ લાગવાની. લોકતંત્ર માત્ર ચૂંટણીમાં સમાઈ નથી જતું, એણે બીજી અનેક આકરી કસોટીમાંથી પસાર થવાનું હોય છે.

નંદિની સુંદર જેવી પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ વ્યક્તિને જો કનડવી હોય તો કેવી વ્યૂહરચના ખપમાં લેવાય? આરોપ અને એફ.આઈ.આર., આદિવાસી યુવાનની હત્યામાં સંડોવણી, સાક્ષીઓ તો ઊભા થઈ શકે. રામચંદ્ર ગુહાએ લખ્યું છે તેમ આ સઘળું થઈ ગયું, અને ટીવી પર અચાનક આ સમાચાર આવ્યા, નંદિની સુંદર સામે ફરિયાદ, અહીં સમય મહત્ત્વનો છે. વર્ષોથી બસ્તરમાં સંશોધન કરતાં નંદિનીનું પુસ્તક, વાચકોને હચમચાવતી આ સામગ્રી ગયે મહિને જ પ્રગટ થાય છે.

આ સમયગાળામાં જ ન્યૂઝચૅનલ એન.ડી.ટી.વી. પર એકદિવસીય પ્રતિબંધ લાદવામાં આવે છે, જે પાછળથી અમલમાં આવતો નથી. સત્તાકેન્દ્રોની દિશામાંથી આપત્તિ ત્રાટકે, ત્યારે એની સામે શું થઈ શકે, એની નંદિની સુંદર અથવા રામચંદ્ર ગુહા જેવી પ્રબુદ્ધ-પ્રતિષ્ઠિત વ્યક્તિઓને માહિતી હોય. એમનાં કાર્યક્ષેત્રો એવાં હોય કે એમને પીઠબળ મળી રહે. પણ એવા અવાજોયે હોય જે અજાણ્યા હોય, અને એમના પર પ્રહાર કરવાનું સરળ હોય, એ એટલા એકલા અને અલગ હોય કે એમને પરેશાન કરવામાં કોઈ ખાસ વ્યૂહરચનાની જરૂર ન પડે. દેશ અને દુનિયામાં આવા કેટલાયે અવાજોને કાં તો કાયમ માટે ચૂપ કરી દેવામાં આવ્યા છે, કાં તો દાબી દેવામાં આવ્યા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં નિરુપદ્રવી નાગરિકોની બેહાલીથી વ્યથિત, ન્યાય ઝંખતી, કોઈ એકલદોકલ વ્યક્તિ અથવા તો કોઈ જૂથ, બર્બરતા અને સરાસર અન્યાયની કથાઓ કહેવા મથે એમાં આમ તો એમને માથે કોઈ જોખમ તોળાતું ન હોવું જોઈએ. સાચના સિપાહી માથે સાચનું છત્તર. – છતાં બેચેની એ હકીકતની કે પૂરી ચકાસણી પછીયે જે સત્ય રજૂ કરવામાં આવશે, એમાં કોઈ નાખુશ થશે, નારાજ થશે. એ ભય રહેવાનો અને જેમની પાસે સત્તા છે, એમને નારાજ કરવામાં જોખમ ખરું, લોકતંત્ર હોય તો પણ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 16

Loading

પ્રશ્ન એનએચઆરસીની વિશ્વસનિયતાનો

ગૌતમ ઠાકર|Opinion - Opinion|15 December 2016

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ભા.જ.પ.ના નેતા અવિનાશરાય ખન્નાની સંભવિત નિમણૂક સામે દેશની મુખ્ય સ્વૈચ્છિક તથા માનવ અધિકાર સંસ્થાઓએ ભારે વિરોધ નોંધાવીને એકી અવાજે રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરી છે. તેઓએ ભારે વિરોધ કરીને કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ જે કોઈ રાજકીય પક્ષનો (તેમાં પણ સત્તાપક્ષનો) સભ્ય હોય તો તે એન.એચ.આર.સી.નો સભ્ય ન બનવો જોઈએ. કેમ કે, આ પંચનું કામ જ સરકારના તંત્ર દ્વારા અધિકારોના ભંગ બદલ કરાયેલી ફરિયાદોને તપાસવાનું હોય છે.

બી.જે.પી.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અવિનાશ ખન્નાને એન.એચ.આર.સી.ના સભ્ય તરીકે નીમવાની દરખાસ્તથી માનવ અધિકાર સંગઠનો અને જાગૃત નાગરિકો ગંભીરપણે ચિંતિત બન્યા છે. તેમનો વાંધો તેમની સામે અંગત ધોરણે નહીં પરંતુ એ સિદ્ધાંત ઉપર આધારિત છે કે એન.એચ.આર.સી. જેવી અતિ મહત્ત્વની અને ઉચ્ચસ્તરીય સંસ્થા કે જે ભારતના લોકોના માનવહકના રક્ષણ અને સંવર્ધન માટે રચાયેલ છે તે કામગીરી માત્ર એવા લોકો કે જેઓ બિનપક્ષપાતી અને ભાવિ વ્યક્તિગત પદોન્નતિ તથા આશા-અપેક્ષાની લાલસાથી વિમુખ છે તે જ બજાવી શકે. ત્યારે તેમને બદલે, તેવા સ્થાન ઉપર રાજકારણીની વરણી હરગીઝ ન થવી જોઈએ. આ ઉપરાંત રાજકીય પક્ષના સદસ્ય પાસે પોતના પક્ષના હિતના સંવર્ધન માટેની અપેક્ષા હોય છે અને તેથી તેઓ પંચના સદસ્ય તરીકે તટસ્થતા અને ન્યાયસંગતપણે વર્તી શકશે ખરાં? શું તે શક્ય બનવાનું છે કે પોતાની સરકાર દ્વારા માનવ હકોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં તેઓ પ્રજાની પડખે ઊભા રહે?

જે સંસ્થાઓની જવાબદારીઓમાં સરકારી કામગીરી સંબંધેની ફરિયાદોની આલોચના સમીક્ષા નિગરાની, દેખરેખ તથા જાંચ-પડતાલનો સમાવેશ થતો હોય અને જેઓ વ્યાવસાયિક પાત્રતા અને યોગ્યતાની દૃષ્ટિએ ગેરલાયક ઠરતા હોય અને હોદ્દા માટે અયોગ્ય હોય તેવાની વરણી એન.એચ.આર.સી.ના સભ્ય તરીકે થાય તે એક અનિષ્ટકારી પ્રયાસ છે. આને કારણે એન.એચ.આર.સી.ની વિશ્વસનીયતા, નિષ્પક્ષતા અને અસરકારકતાને હાનિ પહોંચશે. માનવહક રક્ષણ અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩(૨) કે જેના અંતર્ગત એન.એચ.આર.સી.ની રચના અથવા ગઠન થયું છે તેમાં જણાવ્યા મુજબ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધિશ ઉપરાંત અન્ય બે સદસ્યોને જેમને માનવ અધિકારને લગતી બાબતોનું જ્ઞાન તથા વ્યવહારુ અનુભવ હોય તે પૈકીનાને નીમવામાં આવશે. આ કેસમાં એ સ્પષ્ટ છે કે શ્રી ખન્ના પાસે માનવ અધિકાર ક્ષેત્ર સંબંધે કોઈ જ વ્યવહારુ અનુભવ નથી. તેઓ તેમના વિદ્યાર્થી કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સક્રિય સદસ્ય રહેલા. એટલે તેમની નિમણૂક પ્રથમ દૃષ્ટિએ જ યોગ્ય જણાતી નથી.

તમામ જાગૃત નાગરિકો અને માનવઅધિકાર માટે લડતાં સંગઠનોએ  સતતપણે સતર્ક રહી અને વર્તમાન સરકારના લોકશાહી વિરોધી તથા માનવ હકો વિરોધી નિર્ણયો અને કાર્યરીતિનો વિરોધ કરવો જોઈએ. જેથી કરીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – એન.એચ.આર.સી. પોતાની સ્વતંત્રતા, વિશ્વસનિયતા અને અસરકારકતા જાળવી શકે. જેને કારણે સરકારને માનવહક ઉલ્લંઘન માટે જવાબદેહી બનાવી શકાય. રાજકારણીઓની નિમણૂક કરીને સ્વાભાવિકપણે તે વ્યક્તિ પોતાના પક્ષ પ્રત્યે વફાદાર રહે છે અને પક્ષનું હિત સાધવાને લીધે પ્રજાને સાચો ન્યાય આપવામાં અન્યાય કરી શકે છે. રાજકીય પક્ષનો વ્યક્તિ, ખરેખર પ્રજાના માનવ અધિકારનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ રહેશે ખરા? એન.એચ.આર.સી.ના સભ્યોની તો નાગરિકોના માનવઅધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી છે. રાજકારણીની નિમણૂકથી પંચની વિશ્વસનીયતા, એકતા અને આધારભૂતતા સામે પ્રશ્નો ઊભા થશે તેવું લાગી રહ્યું છે. આ નિમણૂકથી ભારતની પ્રજામાં ખોટો સંદેશ જશે અને પંચની સ્વતંત્રતા સામે પડકારો ઊભા થશે.

E-mail : gthaker1946@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 08

Loading

...102030...3,5283,5293,5303,531...3,5403,5503,560...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved