Opinion Magazine
Number of visits: 9552354
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઢંગધડા વગરનું ઇતિહાસ શિક્ષણ: ‘સામાજિક વિજ્ઞાન’નાં પાઠ્યપુસ્તકોમાં કૉંગ્રેસયુગ

હરિ દેસાઈ|Samantar Gujarat - Samantar|15 July 2016

‘સામાજિક વિજ્ઞાન’નાં પુસ્તકોએ વંચિતોના ઇતિહાસ અને સ્થાનિક ઇતિહાસને ભણાવવાની ખાસ્સી આભડછેટ રાખી છે.

ગુજરાતની હજારો શાળાઓનાં લાખો બાળકોને કેવો અભ્યાસક્રમ ભણાવાય છે એ બાબતમાં વાલીઓની નરી ઉદાસીનતા અને સરકારી તંત્રની ‘આગે સે ચલી આઈ’ની નીતિના પ્રતાપે, ઢંગધડા વગરનો રાજા-મહારાજાઓ-સુલતાનો-બાદશાહોનો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. ધોરણ ૬થી ૧૦ લગીના ‘સામાજિક વિજ્ઞાન’નાં પાઠ્યપુસ્તકોના અભ્યાસને આધારે આ તારણ મળે છે. ગુજરાત સરકારનાં ર૬ જેટલાં ખાતાંમાં રપમા ક્રમે સત્તાવાર રીતે મૂકવામાં આવેલા શિક્ષણવિભાગમાં ત્રણ-ત્રણ શિક્ષણમંત્રી અગાઉ પ્રાથમિક શાળાના શિક્ષકથી લઈને કૉલેજના અધ્યાપક સુધી અધ્યાપનનો અનુભવ ધરાવે છે. પાઠ્યપુસ્તકો તૈયાર થયા પછી અંતિમ મંજૂરીનો શેરો પણ તેઓ મારે છે, છતાં પાઠ્યપુસ્તકોમાં બ્રિટિશ શાસનકાળના પ્રભાવતળે લખાયેલા ઇતિહાસમાં ભાગ્યે જ  ઝાઝો ફેરફાર થયો છે.

ગુજરાતમાં તો છેલ્લા બે દાયકાથી સંઘ પરિવારની ભારતીય જનતા પાર્ટીનું લગભગ અખંડ શાસન રહ્યા છતાં ‘સામાજિક વિજ્ઞાન’નાં પાઠ્યપુસ્તકોમાં કૉંગ્રેસયુગ હજુ અખંડ ચાલી રહ્યો છે. બાળક છઠ્ઠા ધોરણથી દસમા ધોરણ લગી રાજા-રજવાડાં અને બાદશાહ-નવાબો, અંગ્રેજ શાસકો અને ૧૮પ૭ના સ્વાતંત્ર્યસંગ્રામમાં છેવટે થોડા ઘણા ક્રાંતિકારીઓનાં ઉમેરણ અથવા અતિરેક ભણે છે. આઠમા ધોરણમાં ક્રાંતિકારીઓને ભણીને નવમા ધોરણમાં જનાર બાળક ફરી પાછું એ જ ક્રાંતિકારીઓને ભણે છે, એ પણ ઇતિહાસના સમયગાળા મુજબ નહીં, આડેધડ અને આગળ પાછળ.

રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીને ભણાવાય છે જરૂર, પણ એ ક્રાંતિકારીઓ અને બીજા જહાલવાદી નેતાઓ પછીના ક્રમે આવે છે! ગુજરાત સરકાર અગાઉ ખાનગી પ્રકાશકોનાં પાઠ્યપુસ્તકોને મંજૂરી આપવાની મકતેદારી ધરાવતી હતી. ૧૯૬૯ પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પાસે એની જવાબદારી સુપરત કરાઈ. રાજ્ય શિક્ષણ ભવન(રાયખડ)ના નવઅવતાર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) અને માધ્યમિક શિક્ષણ બૉર્ડ જેવી સ્વાયત્ત ગણાતી છતાં સરકારી વિભાગની જેમ જ ચાલતી સંસ્થાઓના માધ્યમથી પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની પરંપરા અમલમાં મૂકાઈ. એ પછી પણ અંતિમ મંજૂરી તો રાજ્યની સરકાર  આપે છે.

ઇતિહાસમાં વંચિતોના ઇતિહાસ (સબલ્ટર્ન હિસ્ટ્રી) અને સ્થાનિક ઇતિહાસ ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યા છતાં ગુજરાતનાં ‘સામાજિક વિજ્ઞાન’નાં પુસ્તકોએ વંચિતોના ઇતિહાસ અને સ્થાનિક ઇતિહાસને ભણાવવાની ખાસ્સી આભડછેટ રાખી છે. પંડિત જવાહરલાલ નેહરુને ‘કટ ટુ સાઇઝ’ કરવાના સંકેત અપાયા હોય એ સમજી શકાય છે, પણ ‘પોતીકા’ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કે વીર વિઠ્ઠલભાઈ પટેલને પણ ઝાઝું મહત્ત્વ અપાયું નથી. પાઠ્યપુસ્તકોમાં ભારતના વિભાજન અને આઝાદી પછી ઢંગધડા વિનાનાં પાકિસ્તાનની માગણીનાં વિવરણ રજૂ કરાયાનું થોકબંધ લેખકો અને સંપાદકો તથા ઢગલાબંધ સમીક્ષકો જ નહીં, વિષય સલાહકાર અને કન્વીનર – સહકન્વીનર એવા નિષ્ણાતોની પેનલની નજરમાંથી પણ બહાર ગયું છે.

સાતમા ધોરણના પ્રથમ સત્રના ‘સામાજિક વિજ્ઞાન’માં ચૌહાણ વંશના પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચેના જંગની વાત અધકચરી આપી છે. પૃથ્વીરાજની ત્રણ રાણીઓમાંની એક કનોજના રાજા જયચંદની કુંવરી સંયુક્તાના અપહરણની ઘટના અને કનોજના રાજા જયચંદનો ઉલ્લેખ ત્રણમાંથી એકેય પ્રકરણમાં કરાયો નથી. કનોજ પર જયચંદનું રાજ ઇ.સ. ૧૧૭૩થી ૧૧૯૩ વચ્ચે હતું. એમની કુંવરી સંયુક્તાનું પૃથ્વીરાજે હરણ કર્યું એ સહિતની ઘણી બાબતોથી  ઉશ્કેરાઈને જયચંદે મહંમદ ઘોરીને તેડાવ્યો અને એનો પક્ષ લીધો હતો. જયચંદ અને મીરઝાફર એ બે નામ ગદ્દારી માટે નામચીન છે. “પૃથ્વીરાજ પૂર્વ તૈયારી વગર હિંમતથી એકલા લડ્યા. સાથી રાજપૂત શાસકોનો સાથ ના મળ્યો. પૃથ્વીરાજ ચૌહાણ હાર્યો. દિલ્લી ઉપરથી રાજપૂત શાસનનો અંત આવ્યો.

શાહબુદ્દીન ઘોરીએ દિલ્લી પર સલ્તનત સ્થાપી.” આવી નોંધ નિશ્ચિત હાસ્યાસ્પદ લાગ્યા વિના રહેતી નથી. એનાથી વધુ હાસ્યાસ્પદ નોંધ તો મહંમદ ગઝની વિશેની છે. એણે “અનેકવાર ચડાઈઓ કરી હતી.” “આંધી સ્વરૂપે સોમનાથ ઉપર ચડી આવ્યો. તે સમયે ગુજરાતમાં ભીમદેવ સોલંકીનું શાસન હતું. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા લોકો સોમનાથને બચાવવા ભીમદેવ સોલંકી સાથે જોડાયા પણ સફળતા ન મળી.” પાઠ્યપુસ્તકમાં આવું નર્યું જૂઠ્ઠાણું ભણાવીને ઇતિહાસને વિકૃત કરાય છે. ગઝની ચડી આવ્યો ત્યારે ગુજરાતનો રાજા ભીમદેવ નાસી છૂટ્યો હતો.

સાતમા ધોરણના ‘સામાજિક વિજ્ઞાન’ના દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકમાં મહારાણા પ્રતાપ હલ્દીઘાટીના યુદ્ધમાં હાર્યાની વાત કહેવાનું ટાળવામાં આવ્યા છતાં “જ્યાં સુધી ચિત્તોડ મળશે નહીં, ત્યાં સુધી પલંગ ઉપર સૂઇશ નહીં” એવી પ્રતિજ્ઞા રાણા પ્રતાપે જીવનના અંત સુધી નિભાવ્યાની વાત અહીં કરાઈ છે. ‘મુઘલ સામ્રાજ્યના સુવર્ણયુગ અને અસ્ત’માં બાદશાહ જહાંગીરની ન્યાયપ્રિયતા, ખેતીને પ્રાધાન્ય આપનાર બાદશાહ શાહજહાંએ બંધાવેલા તાજમહાલ સહિતનાં સ્થાપત્યો અને બાદશાહ ઔરંગઝેબની ગજબની યાદશક્તિ તથા શિવાજી સાથેની લડાઈઓ તેમ જ જાટ અને શીખોના બળવાની વાત સવિશેષ કરાઈ છે. ઈ.સ. ૧૬૭૪માં રાજ્યાભિષેક પછી માંડ છ વર્ષ રાજ કરનાર છત્રપતિ શિવાજીના અષ્ટપ્રધાનમંડળનો ઉલ્લેખ છે, પણ ‘હિંદવી સ્વરાજ’ કે અફઝલ ખાન સાથેના પ્રસંગનો ઉલ્લેખ ક્યાં ય જોવા મળતો નથી.

છઠ્ઠા ધોરણના પ્રથમ સત્રમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીને ‘શાંતિ અને અહિંસાનો સંગમ’ લેખાવવામાં આવે છે, પણ બેઉ વૈદિક ધર્મ કે હિંદુ ધર્મમાં સુધારા માટે પ્રયત્નશીલ હોવાની વાત કહેવાને બદલે ‘એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ-બલિથી લોકો દૂર થયા’ એવો બંને ઉપદેશકોએ શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યાનું નોંધવામાં આવ્યું છે. સમ્રાટ અશોકને જૂનાગઢના શિલાલેખના ઉલ્લેખ સાથે ‘ઇતિહાસના મહાન રાજાઓમાંનો એક’ ગણાવવાનો પ્રયાસ કરીને કલિંગ(હવેના ઓડિશા)ના યુદ્ધમાં એણે એકાદ લાખ લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને દોઢેક લાખને કેદ કર્યા પછી પશ્ચાતાપ રૂપે તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કરતો દર્શાવાયો છે.

અશોક ભણી અહોભાવ દર્શાવનાર ઇતિહાસકાર ચાર્લ્સ ઍલન સહિતનાએ નોંધ્યું છે કે સમ્રાટ અશોકે ઇ.સ. પૂર્વે ર૬રમાં કલિંગ પર આક્રમણ કર્યું એનાં બે વર્ષ કે અગાઉ એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. સમ્રાટ અશોકના અત્યાચારી રાજવી તરીકેના વ્યક્તિત્વના ઇતિહાસનાં નવાં પૃષ્ઠો ખૂલતાં ગયાં હોય ત્યારે ઇતિહાસને નવેસરથી લખવાના આગ્રહી શાસકોના યુગમાં બ્રિટિશ પરંપરાનો જ ઇતિહાસ ભણાવાય ત્યારે અચરજ થવું સ્વાભાવિક છે.

ધોરણ 1 થી 8નાં પાઠ્યપુસ્તકો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) તૈયાર કરીને પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપે છે. એમાં જરૂરી સુધારા કરીને પાઠ્યપુસ્તકમંડળ પુસ્તકો પ્રકાશિત કરે છે. બન્ને સંસ્થાઓના તત્કાલીન નિયામકોએ નોંધ મૂકી છે : ‘એક વર્ષની અજમાયશ પછી સમગ્ર રાજ્ય માટે તૈયાર થયેલાં ધોરણ ૬થી ૮નાં આ પાઠ્યપુસ્તકોને ક્ષતિરહિત બનાવવા પ્રયત્ન કર્યો છે. છતાં ક્ષતિ રહી ગઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી છે.’ એમની અપેક્ષા મુજબ જ ‘સામાજિક વિજ્ઞાન’નાં પાઠ્યપુસ્તકોની યથાશક્તિ સમીક્ષાનું કામ હાથ ધરાયું છે.

સૌજન્ય : ‘કાચો પાઠ’, “દિવ્ય ભાસ્કર”, 13 જુલાઈ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-tat-history-teaching-socially-disadvantaged-vignan-history-books-5371354-NOR.html

Loading

Cartoonspace

'Surendra'|Opinion - Cartoon|15 July 2016

courtesy : "The Hindu", 14 July 2016

Loading

લોકશાહી અધિકારોમાં માનવીય ગૌરવની ખોજ કરનાર કાયદાવિદ્દ ચન્દ્રકાન્ત દરુસાહેબ

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|15 July 2016

કટોકટીમાં પ્રિસેન્સરશીપ વિરુદ્ધ તર્કબદ્ધ અને ધારદાર દલીલો સાથે સરકારને તેમણે આપેલી ટક્કર હંમેશાં યાદ રહેશે

લોકશાહી અધિકારોના પ્રહરી ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરુ(1916-1979)ના શતાબ્દી સ્મૃિતગ્રંથનો લોકાર્પણ કાર્યક્રમ આવતી કાલ [16 જુલાઈ 2016] શનિવારે સવારે સાડા નવ વાગ્યે અમદાવાદના મહેંદી નવાઝ જંગ સભાગૃહમાં યોજવામાં આવ્યો છે. મજૂર અદાલતમાં કામદારોને ન્યાય અપાવનારા વકીલ દરુ 1960 ના દાયકામાં ગુજરાતની વડી અદાલતમાં બંધારણપટુ તરીકે જાણીતા થયા. દરુનું નામ દેશ આખામાં જાણીતું બન્યું એ  આંતરિક  રાજકીય કટોકટી દરમિયાન આવેલ સેન્સરશીપની સામે તેમણે આપેલી સફળ કાનૂની લડતને કારણે.

ઇન્દિરા ગાંધીએ 26 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને અખબારોને લખાણો પ્રિસેન્સર કરાવીને એટલે કે સરકારને બતાવીને મંજૂરી મેળવ્યા પછી જ છાપવાનો હુકમ કર્યો. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની સીધી તરાપ સમા આ આદેશનો દરુ અને દેશના વિખ્યાત ન્યાયમૂર્તિ વી.એમ. તારકુંડેએ પૂરો અભ્યાસ કર્યો અને પછી અખબારી આલમને તેને અવગણવાની હાકલ કરી. એ જ અરસામાં દરુએ અમદાવાદમાં ‘બંધારણ બચાઓ’ સંમેલન યોજ્યું. તેનો દિનેશ શુક્લે લખેલો અહેવાલ ચુનીભાઈ વૈદ્યના તંત્રીપદે ચાલતા ‘ભૂમિપુત્ર’ પખવાડિકમાં, અલબત્ત સરકારની મંજૂરી વિના જ છપાયો. સામયિકના છાપખાના પરા દરોડો પાડીને, અંકો જપ્ત કરીને તેને સીલ મારી દેવામાં આવ્યું.

સરકારને નામંજૂર એવાં લખાણો માટે વિષ્ણુ પંડ્યાના તંત્રીપદે ચાલતાં ‘સાધના’ સામયિક પર પણ તવાઈ આવી. સરકારી દમનને ગુજરાતની વડી અદાલતમાં પડકારવામાં આવ્યું. દરુસાહેબે પ્રિસેન્સરશીપ વિરુદ્ધ તર્કબદ્ધ અને ધારદાર દલીલો કરી. એટલે અદાલતે પ્રિસેન્સરશીપના આદેશની કેટલીક જોગવાઈઓને ગેરબંધારણીય અને વ્યર્થ જાહેર કરી. આ જ અરસામાં દરુની પહેલથી અમદાવાદમાં નાગરિક સ્વાતંત્ર્ય અને રૅડિકલ હ્યુમૅનિઝમ વિચારધારા પરનાં રાષ્ટ્રીય સંમેલનો યોજાયાં. જયપ્રકાશ નારાયણે સ્થાપેલાં સિટીઝન્સ ફૉર ડેમૉક્રસી મંચના નેજા હેઠળ સેન્સરશીપના પ્રતિકારમાં સાયક્લોસ્ટાઈલ સમાચારપત્ર બહાર પાડવાના ગુના હેઠળ સરકારે  કુખ્યાત ‘મીસા’ (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી ઍક્ટ) કાયદા હેઠળ દરુને જૂન 1976થી જાન્યુઆરી 1978 સુધી જેલમાં પૂર્યા.

કારાવાસ દરમિયાન તેમણે લોકશિક્ષણની પુસ્તિકા ‘ડેમૉક્રસી ઍન્ડ ઇન્ડિયન કન્સ્ટિટ્યૂશન’ તૈયાર કરી જેનો ચુનીભાઈએ ગુજરાતી અનુવાદ આપ્યો. ચુનીકાકા અને દરુસાહેબની ધરપકડ અને મુક્તિ એક જ દિવસે થઈ (વિષ્ણુભાઈએ પણ જેલવાસ વેઠ્યો હતો). પોતાનાં ઘરનું એર કંડિશન મશીન બગડી ગયું હોય તો કામા હૉટલની રૂમમાં જઈને સુનારા, ખાણીપીણીના રસિયા અને સિગરેટનાં બંધાણી વિખ્યાત વકીલે જેલના આઠ મહિના ઠીક સમભાવથી વીતાવ્યા. જો કે જેલવાસ કદાચ તેમની ફેફસાંના કૅન્સરની વ્યાધિનો  નિમિત્ત બન્યો. લૉસ એન્જેલસમાં કૅન્સરની સારવાર દરમિયાન તેમણે પંદરમી મે 1979ના રોજ ત્રેસઠ વર્ષની વયે દેહ છોડ્યો. તેમના પછી ત્રણ જ દિવસે તેમનાથી પાંચ વર્ષ મોટા તેમના જીગરજાન દોસ્ત અને જાહેરજીવનના ત્રણેક દાયકાના અભિન્ન સાથી દશરથલાલ ઠાકરનું અવસાન થયું.

દરુના આ મિત્રના કર્મશીલ પુત્ર અને પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના સંન્નિષ્ઠ મહામંત્રી ગૌતમ ઠાકરે દરુ શતાબ્દી સ્મૃિતગ્રંથનું સંકલન-સંપાદન કર્યું છે. અહીં કેટલીક વિશિષ્ટ માહિતી છે. જેમ કે, કૅન્સરથી કોરાતાં શરીરે પર દરુએ એક કામ પૂરું કર્યું . જયપ્રકાશ નારાયણે દાઉદી વહોરા સમૂહના કેટલાક ધર્મગુરુઓની આપખુદી સામે પ્રજાકીય ધોરણે તપાસપંચ નીમ્યું હતું અને તેના મંત્રી દરુને બનાવ્યા હતા. આ પંચનો કોમે ખૂબ વિરોધ કર્યો. જુબાનીઓ લેવાની હોય કે તપાસ પંચની બેઠકો રાખવાની હોય ત્યારે લોકો હજારોની સંખ્યામાં દેખાવો કરતા. પણ નીડર અને અડગ દરુસાહેબે તેમનું કામ ચાલુ રાખ્યું. અમેરિકાની હૉસ્પિટલમાં પણ તે તપાસપંચના અહેવાલને આખરી ઓપ આપતા રહ્યા. દરુ જે કેટલાક નિર્ણાયક મુકદ્દમા લડ્યા તેમાંનો એક અંગ્રેજી ભાષા શિક્ષણને લગતો છે. મોરારજી દેસાઈએ શાળાઓમાં આઠમા ધોરણથી અંગ્રેજી ભાષા શીખવવાનો અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી માધ્યમ કાઢી નાખવાનો નિર્ણય લીધો. રાજ્ય સર્વોચ્ચ અદાલતની અપીલમાં પણ હારી ગયું. ચૂકાદો એ આવ્યો કે કોઈ રાજ્ય કે યુનિવર્સિટી શિક્ષણના એક માધ્યમ તરીકે અંગ્રેજી દૂર ન કરી શકે.

તે પહેલાં દરુ કામદારો માટેના કેસો પણ સફળતાપૂર્વક લડતા રહ્યા હતા. બ્લીચ ફોલ્ડરનું કામ જે લેબર એટલે કે માત્ર મજૂરીનું કામ ગણાતું તેને  સેમિ-ક્લાર્ક તરીકેનો દરજ્જો અને વેતન અપાવવા માટે તે સુપ્રીમ કોર્ટ સુધી ગયા. સોમા ટેક્સ્ટાઇલ મિલના વાઈન્ડર ઇચ્છાબહેન લક્ષ્મીશંકરે વાઈન્ડિન્ગનું કામ મિલ કામદાર કક્ષાનું ગણાવી તે મુજબના પગાર માટે માગણી કરી. કેસ દરુસાહેબ જીત્યા. બંને ચૂકાદાથી આખા કામદાર વર્ગને મોટો લાભ થયો. ઇલેટ્રિસિટી કંપનીના એક કેસમાં સામાવાળાને દરુની બાહોશીનો  અંદાજ આવતા તેમણે મજૂરોના પ્રશ્નો  કોર્ટ દ્વારા નહીં પણ સીધી વાટાઘાટોથી ઉકેલાવાનું નક્કી કર્યું. ઔદ્યોગિક ધારાના વિકાસમાં દરુસાહેબનો ફાળો મહત્ત્વનો હતો એમ વિખ્યાત કાનૂનવિદ  ગિરીશ પટેલ નોંધે છે.

તેમનું એક સાંભરણ બહુ રસપ્રદ છે. દરુની કાયદાકીય સમજણ, દલીલોની તીવ્રતા, ફિલસૂફીનો ઉપયોગ જેવાં કૌશલ્યો જોતાં પ્રૅક્ટિસના બેએક વર્ષમાં તેમને હાઇકોર્ટમાં જજશીપ માટે બોલાવ્યા ત્યારે ખબર પડી કે તેમની સનદ તો નીચલી કોર્ટના વકીલની છે ! અસાધારણ વ્યવસાયકુશળતા છતાં એ  ધરતી પર રહ્યા. છોટા ઉદેપુર અને ત્યાર પછી અમદાવાદમાં વિજ્ઞાન શિક્ષકની નોકરી સાથે કાયદાનો અભ્યાસ કર્યો અને કામદારોને ન્યાય અપાવવા માટે વકીલાત શરૂ કરી. ચણા ફાકીને જેમણે દિવસો પસાર કર્યા હતા એ દરુ વર્ષો સુધી બાંધેલી રિક્ષાનો ઉપયોગ કરતા અને શ્રમજીવીઓના કેસની નજીવી ફી લેતા. દાણચોર સુકર નારાયણ બખિયાને તેમણે વ્યક્તિસ્વાતંત્ર્યના મુદ્દે અટકાયતી ધારા હેઠળની સજામાંથી બચાવ્યો હતો. ઑફર થયેલી ભારે ફી  તેમણે લીધી ન હતી. એક મિત્રએ તેમને આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ‘તેના નાગરિક તરીકેના અધિકાર માટે લડત આપી હતી. તેના માટે હું વધુ ફી લઉં તો હું એના અન્ય કૃત્યોમાં પણ ભાગીદાર કહેવાઉં !’ દારુબંધીના કાયદાના વિરોધમાં પણ દરુનું વલણ ચર્ચાસ્પદ હતું. એ અંગેના એક કેસમાં તેમણે સામા પક્ષના વકીલને કહ્યું હતું, ‘દરેક વ્યક્તિના લોહીમાં અમુક ટકા આલ્કોહોલ હોય છે અને તે આરોગ્ય માટે જરૂરી છે. તેને દૂર કરીએ તો આરોગ્ય જોખમાય !’ આવી વકીલી ચાતુરી અલબત્ત દરુના વર્તનમાં ન હતી. તે  ભોળપણની હદે સરળ હતા.

ભારતના એક પ્રખર સમાજચિંતક માનવેન્દ્રનાથ એમ.એન. રૉય (1887-1954) પ્રેરિત રૅડિકલ હ્યુમૅનિઝમ એટલે કે મૂલગામી માનવવાદની ચળવળના ગુજરાતના અગ્રદૂત હતા. આ વિચારધારામાં રૅશનાલિઝમ, વૈશ્વિક દૃષ્ટિકોણ, અનિશ્વરવાદ, ઇહલોકવાદ, ધર્મનકાર અને સર્વોચ્ચ સંપૂર્ણ વ્યક્તિકેન્દ્રિતા તેમ જ વ્યક્તિસ્વાતંત્ર્યનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પાંચમા અને છઠ્ઠા દાયકામાં દરુ અને રાવજી પટેલના રેનેસાંસ ગ્રુપના નેજા હેઠળ રૅડિકલ હ્યુમૅનિસ્ટ ચળવળ નોંધપાત્ર બની હતી. દરુના રૉયવાદી વિચારો તેમણે ત્રીસેક વર્ષ દરમિયાન સંભાળેલી ‘સ્વતંત્ર ભારત’, ‘ચેતન’ અને ‘માનવસમાજ’ પત્રિકાઓમાં વ્યક્ત થયા છે. તેમના લેખોનો સંચય ‘માનવીય ગૌરવની ખોજ’ નામે બહાર પડ્યો છે. તેમાં તે લખે છે : ‘સ્વાતંત્ર્ય માટેની ઝંખના અને સત્યની શોધ એ માનવ પ્રગતિના મુખ્ય પ્રેરક બળો છે.’

14 જુલાઈ 2016

+++++

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 15 જુલાઈ 2016  

Loading

...102030...3,5283,5293,5303,531...3,5403,5503,560...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved