નિસબત
રામચંદ્ર ગુહાનો તાજેતરમાં પ્રગટ થયેલા લેખ ‘રીપબ્લિક ઑફ અનફ્રિડમ’ (૧૪ નવેમ્બર, ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ’) વાંચ્યા બાદ જે વિચાર લાંબા સમયથી ઊંડે-ઊંડે બેચેની પેદા કરતો હતો, તે વધુ સ્પષ્ટ થયો. બીજ તો ક્યારનું ય રોપાયું હતું, અંકુરિત થયું અનુભા ભોંસલેના પુસ્તક ‘મધર, વ્હેર ઇઝ માય કન્ટ્રીઝ’ના વાચન દરમિયાન. અનુભા સજગ પત્રકાર, માનવઅધિકાર, લૈંગિક ભેદભાવ અને આંતરિક સંઘર્ષનાં ક્ષેત્રોમાં એમનું કામ સુખ્યાત છે. બે હજાર બારમાં રામનાથ ગોયેન્કા ઍવૉર્ડ મેળવી ચૂકેલાં આ સાહસિક મહિલા મણિપુરના છિન્નભિન્ન સમાજને, ઉગ્રવાદીઓ અને આફ્સ્પા વચ્ચે રહેંસતા જનજીવનને પ્રસ્તુત પુસ્તકમાં આલેખે છે. દેશ આપણો, પ્રજા આપણી, શાસન આપણું અને પોલીસતંત્ર પણ આપણું – ત્યાં, અને તો આટલી ભયાનક અવદશા? બંધારણ, ન્યાયતંત્ર, માનવઅધિકાર મંડળ, શાણપણ કે સમજ-કંઈ કરતાં કંઈ ખપ ન લાગ્યું આ બેહાલી અટકાવવામાં?
આ પુસ્તક પછી હાથમાં આવ્યું નંદિની સુંદરનું ‘ધ બર્નિંગ ફૉરેસ્ટ.’ સ્થળ બદલાય છે. આ છત્તીસગઢનો બસ્તર વિસ્તાર છે. દૃશ્યો બિલકુલ અપરિચિત નથી લાગતાં. સર્ચને નામે ધક્કે ચડતું, કચડાતું જીવન, અપમાનિત થતી સ્ત્રીઓ, ગોળીઓ દેવાતા માણસો. પ્રસ્તુત પુસ્તક પૂરું વાંચી ન શકાયું. માનવઅધિકાર અને સામાજિક ન્યાય વિશે આપણી જે કંઈ સમજ કે ભરોસો બચ્યો હોય એનાં અંધારાં ઊડી જાય એવી ઘટનાઓની જાણકારી બેચેની અને લાચારીની પીડાથી વધારે શું આપે?
ઠેઠ ૨૦૦૬માં કેટલાક વિચારશીલ નાગરિકોએ, બસ્તરના આંખે- દેખ્યા હાલ પછી, સ્વતંત્રપણે સુપ્રીમ કોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરેલી. રામચંદ્ર ગુહા અને દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક નંદિની સુંદર આ જૂથમાં સામેલ હતાં. ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટની આ સંદર્ભે કડક આલોચના પ્રાપ્ત થયેલી. રાજ્ય સરકાર દ્વારા છત્તીસગઢમાં બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને માનવ-અધિકારના હનન અંગે વિરોધ કરનારા કે ફરિયાદ કરનારા માઓ ઉગ્રવાદના સમર્થકો નથી. બેજવાબદાર હિંસાનો પ્રત્યુત્તર એવી જ બર્બર હિંસા હોય તો આ દશાનો અંત ક્યારે ય નહીં આવે, ઇત્યાદિ ટિપ્પણી પછીયે બસ્તરની ભડભડતી આગ ઠંડી થઈ નથી. જે ઘટનાઓ બંધારણની અવહેલના અને સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની સરિયામ અવગણના ઉઘાડી પાડે છે, એની ટકોરબંધ અને વિગતપૂર્ણ રજૂઆત સત્તાને પડકારરૂપ જ લાગવાની. લોકતંત્ર માત્ર ચૂંટણીમાં સમાઈ નથી જતું, એણે બીજી અનેક આકરી કસોટીમાંથી પસાર થવાનું હોય છે.
નંદિની સુંદર જેવી પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ વ્યક્તિને જો કનડવી હોય તો કેવી વ્યૂહરચના ખપમાં લેવાય? આરોપ અને એફ.આઈ.આર., આદિવાસી યુવાનની હત્યામાં સંડોવણી, સાક્ષીઓ તો ઊભા થઈ શકે. રામચંદ્ર ગુહાએ લખ્યું છે તેમ આ સઘળું થઈ ગયું, અને ટીવી પર અચાનક આ સમાચાર આવ્યા, નંદિની સુંદર સામે ફરિયાદ, અહીં સમય મહત્ત્વનો છે. વર્ષોથી બસ્તરમાં સંશોધન કરતાં નંદિનીનું પુસ્તક, વાચકોને હચમચાવતી આ સામગ્રી ગયે મહિને જ પ્રગટ થાય છે.
આ સમયગાળામાં જ ન્યૂઝચૅનલ એન.ડી.ટી.વી. પર એકદિવસીય પ્રતિબંધ લાદવામાં આવે છે, જે પાછળથી અમલમાં આવતો નથી. સત્તાકેન્દ્રોની દિશામાંથી આપત્તિ ત્રાટકે, ત્યારે એની સામે શું થઈ શકે, એની નંદિની સુંદર અથવા રામચંદ્ર ગુહા જેવી પ્રબુદ્ધ-પ્રતિષ્ઠિત વ્યક્તિઓને માહિતી હોય. એમનાં કાર્યક્ષેત્રો એવાં હોય કે એમને પીઠબળ મળી રહે. પણ એવા અવાજોયે હોય જે અજાણ્યા હોય, અને એમના પર પ્રહાર કરવાનું સરળ હોય, એ એટલા એકલા અને અલગ હોય કે એમને પરેશાન કરવામાં કોઈ ખાસ વ્યૂહરચનાની જરૂર ન પડે. દેશ અને દુનિયામાં આવા કેટલાયે અવાજોને કાં તો કાયમ માટે ચૂપ કરી દેવામાં આવ્યા છે, કાં તો દાબી દેવામાં આવ્યા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં નિરુપદ્રવી નાગરિકોની બેહાલીથી વ્યથિત, ન્યાય ઝંખતી, કોઈ એકલદોકલ વ્યક્તિ અથવા તો કોઈ જૂથ, બર્બરતા અને સરાસર અન્યાયની કથાઓ કહેવા મથે એમાં આમ તો એમને માથે કોઈ જોખમ તોળાતું ન હોવું જોઈએ. સાચના સિપાહી માથે સાચનું છત્તર. – છતાં બેચેની એ હકીકતની કે પૂરી ચકાસણી પછીયે જે સત્ય રજૂ કરવામાં આવશે, એમાં કોઈ નાખુશ થશે, નારાજ થશે. એ ભય રહેવાનો અને જેમની પાસે સત્તા છે, એમને નારાજ કરવામાં જોખમ ખરું, લોકતંત્ર હોય તો પણ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 16