Opinion Magazine
Number of visits: 9689913
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનઆંદોલન પણ ચલણમાંથી રદ છે?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 December 2016

ભ્રષ્ટાચાર સામેની લડાઈનું વધારે મોટું દીવાસ્વપ્ન બતાવવામાં વડા પ્રધાન મેદાન મારી ગયા છે

નોટબંધી પછીના સંઘર્ષમય દિવસો પૂરા થયા નથી, ત્યારે જાહેર જીવનના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો સવાલ છે: વિના વાંકે આટઆટલી અગવડો વેઠ્યા પછી પણ દેશભરના લોકો કેમ સળવળતા નથી? ખાસ કરીને એવા સમયે, જ્યારે કમ સે કમ ગુજરાતમાં તો નવી યુવા નેતાગીરીની અને જનઆંદોલનની મોસમ બેઠેલી હતી. દેશની વાત કરીએ તો, અણ્ણાનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અને દિલ્હી બળાત્કારની ઘટના પછી થયેલા વ્યાપક દેખાવો તરત યાદ આવી શકે એટલા તાજા છે. ટૂંકમાં, લોકોને સડક પર ઊતારી શકાતા હતા ને આંદોલિત કરી શકાતા હતા, એ ઇતિહાસ બની ચૂકેલી બાબત નથી. તો પછી આવું કેમ? ઉપર ઉલ્લેખેલાં તમામ આંદોલનોમાં સામેલ ઘણાખરા લોકો સીધા અસરગ્રસ્ત ન હતા. છતાં, તેમને ભ્રષ્ટાચાર, મહિલાસુરક્ષા, પોતાના સમાજના હક કે તેની પર થતા અત્યાચાર જેવા મુદ્દે બહાર આવવાનો ધક્કો લાગ્યો. હવે એ સૌ અને એમના સિવાયના બધા દેશવાસીઓ પણ નોટબંધીથી સીધા અસરગ્રસ્ત છે. છતાં, તે આ મુદ્દે કેમ આંદોલિત થયા નથી? ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી બંધારણીય અને લોકશાહીની દૃષ્ટિએ સૌથી ભયંકર ઘટના હતી. વ્યાપ અને કામચલાઉ ખરાબ અસરોની બાબતમાં વર્તમાન નોટબંધી કટોકટીને પણ ટપી ગઈ.

જંગલમાં વસતા આદિવાસીઓથી માંડીને દક્ષિણ મુંબઈમાં રહેતા માલેતુજારો સુધીના સૌ કોઈ નોટબંધીથી હેરાન થયા. રોજેરોજ બૅન્કોમાં દેખાતી લાઇનો જોતાં, સામાન્ય માણસો હજુ પણ હેરાન થઈ રહ્યા છે. પોતાના રૂપિયા બૅન્કમાંથી મળે તો લોકો એવા રાજી થાય છે, જાણે સરકારે તેમને બક્ષિસ આપી હોય. છતાં કોઈના પેટનું પાણી હાલતું કેમ નથી? અને કેમ જનઆંદોલન જાગતું નથી? આ સવાલ રાજકીય જેટલા જ સામાજિક અને નાગરિકી દૃષ્ટિએ પણ અગત્યના છે. તેમનો કોઈ એક ગાણિતિક જવાબ નથી. ઘણાં પરિબળોનો સરવાળો તેમાં થયેલો હોય. તેમાંથી કેટલાંકને ઓળખવાનો પ્રયાસઃ

નોટબંધીના નિર્ણયના સમર્થકો કહેશે કે ‘સીધી વાત છે. આ પગલું લોકોના અને દેશના હિતમાં છે. પછી લોકો શા માટે આંદોલન કરે? લોકો સમજુ છે અને નોટબંધીનો વિરોધ કરનારા વાસ્તવમાં મોદીવિરોધી છે. એટલે કકળાટ કરે છે.’ તેમને ભલે આવું લાગે, પણ આ એવી સીધી વાત નથી. નોટબંધીની અસરો વિશે અભ્યાસીઓ વચ્ચે મતભેદ છે. નોટબંધીનાં આર્થિક પરિણામ કેવાં આવે, એ વિશે સમર્થકો કે ટીકાકારો, કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી, પરંતુ ભારત જેવા દેશની ચલણી નોટોનો 86 ટકા હિસ્સો કશી પૂર્વતૈયારી વિના રદ કરી દેવાથી કેવી અરાજકતા ફેલાઈ, તે સ્વયંસ્પષ્ટ છે અને તેમાં સરકારની-વડાપ્રધાનની સીધી જવાબદારી છે.

નોટબંધીના તરફી લોકો અરાજકતાને ‘કામચલાઉ’ ગણાવીને, ‘લાંબા ગાળાનું ચિત્ર નજર સામે રાખવાનું’ અથવા  વડાપ્રધાનની દાનતને ધ્યાને લેવાનું કહે છે. આશરે છ અઠવાડિયાંથી ત્રાટકેલી મુસીબતોની ગંભીરતાને તે અવગણે છે અથવા બહુ હળવાશથી લે છે. છ અઠવાડિયાંનો સમયગાળો કામચલાઉ ન કહેવાય. છતાં, દલીલ ખાતર એમ માનીએ તો પણ તેની ખરાબ અસરો ગંભીર છે અને તે લાંબા ગાળાની પણ હોઈ શકે છે. ‘સૌ સારાં વાનાં થશે’ એવી આશા હાલ તો ‘વિશફુલ થિંકિંગ’ના ખાનામાં આવે. કારણ કે અર્થશાસ્ત્રીઓ પણ એ વિશે ખાતરીથી કહી શકતા નથી. દરમિયાન, નોટબંધીની અંધાધૂંધીમાં થયેલાં મૃત્યુ, ઠપ થયેલા ધંધાઉદ્યોગ, તેના કારણે ઊભી થયેલી રોજગારીની સમસ્યા, તેમાંથી જન્મેલી કૌટુંબિક-સામાજિક સમસ્યા, સ્થળાંતરો … આ બધી નક્કર સમસ્યાઓ છે.

છેલ્લા સ્તરની મુશ્કેલી ન પડી હોય તેમને થોડી ઓછી ગંભીર તકલીફ વેઠવાની થઈ છે. પણ સરકારપક્ષને અને નોટબંધીના સમર્થકોને તેમાંથી કશું જ સ્પર્શતું નથી. તેમને લાગે છે કે નોટબંધીનાં સંભવિત સુપરિણામો માટે આ બધું વસૂલ છે. આવું માનનારા લોકો પોતે કેટલીક મુશ્કેલી ભોગવી ચૂક્યા છે. છતાં, તે નોટબંધી કે વડાપ્રધાન કે બન્ને પ્રત્યેના સમર્થનને કારણે, સડકો પર ઊતરે તેમ નથી. આ વર્ગ કરતાં થોડો જુદો, પણ તેમની સાથે જોડી શકાય એવો બીજો વર્ગ માને છે કે ‘અમલમાં મુશ્કેલી પડી ને સરકારે થાપ ખાધી, પણ તેનો ઇરાદો સારો હતો. માટે તેને માફ કરી દેવી જોઇએ.’ (વડા પ્રધાનના ઇરાદા હંમેશાં ધ્રુવીકરણ પ્રેરે એવી ચર્ચાનો વિષય રહ્યા છે.)

આર્થિક રીતે સમાજના છેવાડે રહેલા લોકોનો એક વર્ગ અમસ્તો બિચારાપણું અનુભવતો હોય છે. નોટબંધીની લાઇનોએ તેમના બિચારાપણામાં ઉમેરો કર્યો છે અને બિચારાપણાના ભારથી તેમને લગભગ દબાવી જ દીધા છે. બે ટંક રોટલાભેગા થવાનો સવાલ તેમના માટે હતો એના કરતાં પણ મોટો બની ગયો હોય, ત્યાં વિરોધ કરવા જેટલી ત્રેવડ તેમનામાંથી ક્યાંથી રહી હોય?

હજુ એક વર્ગ છે, જે સાવ ગરીબ નથી. જેને બે ટંકના ભોજનની મુશ્કેલી નથી. તે નોટબંધીથી પીડિત છે, સોશ્યલ મીડિયા વાપરે છે અને પ્રમાણમાં બોલકો છે. એ વર્ગમાંથી કેટલાક સોશ્યલ મીડિયા પર નોટબંધીની ટીકા કરે છે, તેની રમૂજો બનાવે છે, ક્યારેક ઉશ્કેરાઈને બૅન્કો પર ધમાલ મચાવે છે. આ વર્ગ નાનો નથી અને તેમનો અસંતોષ ઓછો નથી, પરંતુ નવનિર્માણ હોય, અણ્ણા આંદોલન હોય કે દિલ્હીના બળાત્કારવિરોધી દેખાવો, એ બધામાં એક તબક્કા પછી વિરોધ પક્ષોની છૂપી કે પ્રગટ ભૂમિકા હતી. વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનો લોકોના અસંતોષને વાચા આપવાની સાથોસાથ, તેનો સરવાળો અને ગુણાકાર કરવાનું કામ કરે છે. 

ભૂતકાળનાં ઘણાં આંદોલનમાં ભા.જ.પ. અને તેનાં સાથી સંગઠનોએ પડદા પાછળ રહીને અગત્યની ભૂમિકા ભજવી હતી. ચાલુ સરકારનો ધજાગરો થાય તો પોતાનો ગજ વાગે, એ તેમનું સાદું ગણિત. હવે ભા.જ.પ. સત્તામાં છે અને તેની જગ્યા લઈ શકે, લોકોના અસંતોષને એકજૂથ કરી શકે એવો કોઈ મજબૂત, શેરીયુદ્ધનો અનુભવ ધરાવતો વિપક્ષ મોજૂદ નથી. કૉંગ્રેસને એ આવડતું નથી અથવા શીખવું નથી. અરવિંદ કેજરીવાલ એ જ રસ્તે મુખ્ય મંત્રી બન્યા, પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈનું વધારે મોટું દીવાસ્વપ્ન બતાવવામાં વડાપ્રધાન મેદાન મારી ગયા છે. 

નોટબંધી થકી વડા પ્રધાને કાળાં નાણાં સામેની લડાઈમાં પોતાની નિષ્ફળતાને નાટ્યાત્મક રીતે સફળતામાં ફેરવી દીધી છે. તેમની સફળતા એ નથી કે તે કાળાં નાણાં સામેનું યુદ્ધ જીતી ગયા. પ્રચારપટુતા અને ધ્રુવીકરણની ક્ષમતાના જોરે તેમણે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકેની પોતાની છબી વધારે મોટી બનાવી અને તેની નીચે પોતાની જૂની-નવી નિષ્ફળતાઓને ઢાંકી દીધી. એ તેમની સિદ્ધિ છે – અને વિપક્ષો તથા લોકસંગઠનોની જુદી જુદી નિષ્ફળતા છે. સામાજિક કાર્ય કરતાં સરેરાશ સંગઠનો રાજકીય વિરોધની ક્ષમતા ગુમાવી બેઠાં છે અથવા એ પોતે પોતાના સંસારમાં એવાં મસ્ત છે – પોતે આંકેલી કે ફંડિંગ એજન્સીએ આંકી આપેલી હદને એવી ચુસ્તીથી પાળે છે કે દેશના આટલા વિશાળ જનસમુદાયને પડી રહેલી ભારે અગવડ પણ જનઆંદોલનનો મુદ્દો બનતી નથી.

સૌજન્ય : ‘નિષ્ફળતામાંથી સફળતા’, “દિવ્ય ભાસ્કર”, 27 ડિસેમ્બર 2016

Loading

પર્યાવરણરક્ષાના અનુપમ ક્રાંતિસૈનિક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 December 2016

સંકેલાતા વિનોબાને સ્થાને ઇતિહાસપુરુષ તરીકે જયપ્રકાશ બહાર આવ્યા ત્યારે અનુપમ ખીલ્યા ને ખૂલ્યા

પર્યાવરણવિદ્દ અનુપમ મિશ્ર ગયા, અને એમને નિકટથી નહીં જોનારજાણનાર એક વ્યાપક વર્ગમાં એન.ડી.ટી.વી. પ્રકારનાં માધ્યમો વાટે કંઈક કૌતુકમિશ્ર ભાવો જગવતા ગયા. ખાસ કરીને ‘આજ ભી ભરે હૈ તાલાબ’ની સહૃદય સ્વાધ્યાયપુત, સ્થળમુલાકાતયુકત એટલી જ સરળ સોંસરી રજૂઆત સાથે તે ખાસા ઉચકાયા હશે. લાખો નકલોમાં આપગતિએ પહોંચેલી આ કિતાબની મૂંગી સફળતા, પછીથી, આમીરના ‘સત્યમેવ જયતે’ તરેહના કાર્યક્રમોમાં ઝળક્યાને કારણે પ્રતિષ્ઠાવિષય પણ બની હશે. ગમે તેમ પણ, આજના સમયમાં પર્યાવરણવિદ્દ હોવું અને ફાઇવ સ્ટાર સરકિટમાં સંકલ્પપૂર્વક ન હોવું – રે, મોબાઇલમુક્ત હોવું, કુશાંદે દફ્તર નહીં પણ સાદા કમરામાંથી કાગળની બીજી બાજુનો ઉપયોગ કરી કામ કરતા હોવું, અંગ્રેજીદાં એલિટ દાયરાથી પરહેજ કરવી, આ બધું હમણે હમણે અંજલિવચનો મારફતે બહાર આવતું લાગે ત્યારે કૌતુકમિશ્ર ખેંચાણ સાથે લગરીક ટીસ શો અનુભવ પણ થાય છે.

આ ટીસ જો વ્યક્તિગત હશે તો જાહેર પણ છે. આ ટીસને જાહેર એ અર્થમાં કહું છું કે પ્રશ્ન નકરી જીવનશૈલીનો નથી – એનો મહિમા તો છે જ – પણ આ તરેહનું સમર્પિત જીવન જીવતે જીવતે (અને જીવ્યું તે લખતે લખતે) એમણે જે વૈકલ્પિક વિકાસ દર્શન ઉપસાવ્યું એની સુધબુધ ને કદર મને તમને છે ખરી? ગાંધીમાર્ગી પરિવારની (કવિપિતા ભવાનીપ્રસાદ મિશ્રની) પરંપરામાં અને સમાજવાદી યુવજન સભા સાથેના આરંભિક સંધાનમાં આગળ ચલાતાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાના પર્યાવરણ કક્ષ વાટે એ ઊઘડ્યા. વચગાળાની એમની પહેલી, પર્યાવરણરક્ષા કામગીરી મધ્યપ્રદેશના તવા બંધ વખતના આંદોલનની હતી. એમણે એને મિટ્ટી બચાઅો આંદોલન તરીકે ઓળખાવેલું. એક રીતે, એ નર્મદા બચાવો આંદોલનનું પૂર્વસૂરિ હતું.

અલબત્ત, એનો વ્યાપ સ્વાભાવિક જ ઓછો હતો. પણ પરંપરાગત જલસંગ્રહની, કુદરત સાથે અનુબંધપૂર્વકની જે જૈવિક ને પ્રજાકીય કામગીરી હતી તેની સાથે બળાત્કારી ચેષ્ટા સામેનો એ અવાજ હતો. એ અર્થમાં ‘વિકાસ’ના પ્રસ્થાપિત અને પ્રક્ષેપિત અર્થ સામેનો એ અવાજ હતો. અનુપમે, પછીથી, એકથી વધુ વાર કહ્યું છે કે આગલી પેઢીઓએ આ બધે મુદ્દે ને મોરચે કેવી રીતે કામ પાડ્યું છે તે જાણ્યાસમજ્યા વગર એમને મૂરખ કે પછાત અગર અણઘડના ખાનામાં ખતવી દેવી તે ઠીક નથી. કંઈકેટલાં હજાર વરસથી મરુભૂમિ રાજસ્થાનમાં લોકોએ કેવી રીતે જળપ્રંબધન કર્યું, જીવન ટકાવ્યું ને વિકસાવ્યું તે સમજવાની આપણે કોશિશ જ ન કરીએ એ તે કેવી બૌદ્ધિકતા, કેવી આધુનિકતા ને કેવી વૈજ્ઞાનિકતા, અનુપમ પૂછતા. આ ખોજમાંથી ‘રાજસ્થાન કી રજતબૂંદે’ આવ્યું.

જેમ તવા બંધ સાથે ‘મિટ્ટી બચાઓ’નો મુદ્દો ઊંચકાયો તેમ ચિપકો આંદોલન સાથે એ માટીને ઝાલી ને બાંધી રાખતાં મૂળિયાંની વસાહત એટલે કે વૃક્ષોની ભૂમિકા ચિત્રમાં આવી. ચિપકો આંદોલનનો પણ પહેલો રિપોર્તાજ ‘દિનમાન’ દિવસોમાં અનુપમ મારફતે આવ્યો. પણ વાતમાં હું આગળ ચાલી ગયો. ગાંધીમાર્ગી સમાજવાદી યુવજન અનુપમ જયપ્રકાશ જોડે ચંબલ પંથકમાં ગયેલી એ ટીમ પર હતા જેણે ડાકુઓના આત્મસમપર્ણની આખી પ્રક્રિયા પાર પાડી હતી. આ જ ટીમ, પછીથી, કટોકટી સામેના લોકસંઘર્ષમાં પણ સક્રિય રહી. તો, કુદરત સાથેના અનુબંધપૂર્વક ભૂમિદાન આંદોલન અને ગ્રામસ્વરાજ ઝુંબેશ સાથે પણ તેઓ હતા જ. જ્યારે સંઘર્ષ અનિવાર્ય જણાયો અને સંકેલાતા વિનોબાને સ્થાને ઇતિહાસપુરુષ તરીકે જયપ્રકાશ બહાર આવ્યા ત્યારે અનુપમ સમગ્ર સંદર્ભમાં ખીલ્યા ને ખૂલ્યા – એમનું ક્ષેત્ર પર્યાવરણ રહ્યું, સીધી રાજકીય મૂઠભેડમાં એ નયે હોય, પણ એમનો સંદર્ભ એક સમગ્ર સંદર્ભ હતો. અંગ્રેજી રાજ જવું જોઈતું હતું અને ગયું પણ ખરું. પણ તેટલાથી સ્તો સ્વરાજ સિધ્ધ થતું નથી. સાંસ્થાનિક સામ્રાજ્યશાહી ગાદી જેવી દિલ્હી પર બ્રાઉન સાહેબો બેસે, એમાં તો ઇતિ ક્યાંથી માની લેવાય? માટે લોકસંઘર્ષ – અને સમાજનવરચનાનો નવો નકશો.

આ નવા નકશામાં પરંપરાનું ઉત્તમ કાલવવાની અને મૂડીવાદી સંસ્થાનવાદી વિકાસની તરાહથી ઉફરાટે ચાલવાની દિલી તમન્ના … એટલે સ્તો ‘આજ ભી ખરે હૈ તાલાબ’ જેવું ઘોષવાક્ય કે ઘોષણાપત્ર. જરા ખસીને, બે મોટા કિતાબી પુરુષાર્થો સંભારીને આ મુદ્દો સ્પષ્ટ કરું. પંડિત સુંદરલાલનું ‘ભારત મેં અંગ્રેજી રાજ’એ જુલમ ને સિતમની દસ્તાવેજી દાસ્તાં છે. પણ સ્વરાજ પછીનાં વરસોમાં ધર્મપાલે જે કામ કર્યું છે. તે પરચક્ર દરમ્યાન છેલ્લી સદીઓમાં આપણું સમાજતંત્ર કેવુ ખોરવાયું ને ખોટકાયું અને તે પૂર્વે એક સમાજ તરીકે આપણે સજીવ-સપ્રાણ કેમ ને કેટલા હતા એનો ખ્યાલ આપે છે. સ્વરાજ ને સ્વધર્મ (‘ધર્મ’ના વ્યાપક અર્થમાં) જેમ સંસ્થાનવાદ સામેના સંઘર્ષમાં તેમ પંરપરાના સાતત્યને સમજવામાં પણ છે, એમ પણ તમે કહી શકો. આ સંજોગોમાં જો રાજેન્દ્રસિંહ આરાવરી નદીને નવેસર વહેતી કરે (અને એમાં પણ ક્યાંક ને ક્યાંક અનુપમની સંડોવણી હોય) તો એ ય છે તો સ્વરાજ આંદોલન જ ને.

પણ પરંપરાનો મહિમા કરવામાં જો વિવેક ન રહે, સાતત્ય પેઠે શોધનનો પણ ખ્યાલ ન રહે, તો શું થાય? ભલા ભાઈ, તમે ‘રીનેસાંસ’માં માનો છો કે ‘રિવાઇવલ’માં એ સવાલ તો કાન પકડે જ. ધર્મપાલના સાહિત્યને સંઘ પરિવારે ખાસું ઊચક્યું છે. એ આખું સાહિત્ય ગુજરાતીમાં ઊતર્યું. તે પ્રસંગે તત્કાલીન સરસંઘચાલક સુદર્શન ખાસ આવ્યા પણ હતા તે આ લખું છું ત્યારે સાંભરે છે. પ્રાચીન કાળમાં આપણે કેટલા આગળ હતા એ ગૌરવગાનનો અવસર આવે પ્રસંગે આવી મળતો હોય છે. માત્ર, સાતત્ય ને શોધનને ધોરણે એ પરંપરાઓ આજે જેને મજબૂત રાષ્ટ્રરાજ્યવાદ તરીકે ઓળખાવાય છે એના મેળમાં નથી અને ગૌરવબોધ જુદેસર મેળવવાનો છે એ ખ્યાલ રહેતો નથી.

ગુજરાતમાં આપણે એક તબક્કે પ્રાદેશિક અસ્મિતા અને હિંદુત્વનું કોકટેલ જોયું, પછી એમાં વિકાસનશો ઉમેર્યો, આ વિગતો સામે અનુપમ ને ધર્મપાલનો જૈવિક પરંપરાબોધ કેવી રીતે મૂકીશું? પરંપરા પાસે જવું તે ભૂતકાળવાદી હોવું નથી, અને આધુનિકતા પાસે જવું એ સંસ્થાનવાદી-સામાજ્યવાદી વલણોવાળા રાષ્ટવાદને આરાધવું તે નથી. ગંગાને માતારૂપે ઉપાસતી પ્રજા એને બધો કચરો વહેવડાવતા મોટા નાળા તરીકે વાપરતી માલૂમ પડે અને પછી શુધ્ધીકરણનો બેચ રચે એ પ્રકારનો વદતોવ્યાઘાત કે પછી પ્રાણધારા સરખી નદીને શોષી તેના રિવરફ્રન્ટીકરણમાં વિકાસનાં દર્શન કરવા તે યુગબલિહારી છે.

અનુપમે આ સંદર્ભમાં પાયાના પ્રશ્નો ઊભા કર્યા હતા અને એ રીતે વિકાસની વર્તમાન અવધારણા બાબતે આપણને જાતતપાસને ધોરણે પિંજરામાં ઊભા કરવાપણું જોયું હતું. જેપી આંદોલન હસ્તક થયેલો, આવકાર્ય ને અસરકારક પલટો પણ આ કસોટીએ તો હિમશિલાનું એક દશાંશમું ટોચકું માત્ર! અનુપમ કોઈ વાઇલ્ડ લાઇફ વંડર જેવું પર્યાવરણી પ્રાણી નહોતા, પણ ક્રાન્તિસૈનિક હતા, કોણ સમજશે? અનુપમ મિશ્રે પરંપરાગત પર્યાવરણ પંડિતોથી હટીને નવી અર્થનીતિ, નવી રાજનીતિ પરત્વે પ્રકૃતિ-અને-પ્રજાપરક, પ્રકારાન્તરે કહેતાં ત્રીજા મોજા ભણીની ભોં ભાંગી કૉંગ્રેસ-ભાજપ આદિ પક્ષોને હજુ બીજા મોજાની મૂર્છા વળતી નથી અને પહેલા મોજામાંથી છોડવા ને સાચવવા જેવું શું હોઈ શકે એનો ઇતિહાસબોધ નથી. પ્રશ્ન ત્રીજા મોજા વાસ્તે ત્રેવડ અને તૈયારીનો છે.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘સ્વધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 24 ડિસેમ્બર 2016

Loading

બૅંક

રમેશ કોઠારી|Opinion - Opinion|23 December 2016

સમ-સંવેદના

છેલ્લા કેટલા ય દિવસોથી લાંબી કતારમાં કલાકો સુધી ઊભા રહ્યા બાદ પણ તેનો વારો આવે તે પહેલાં રોકડ રકમ ખલાસ થઈ જવાથી અલી ડોસાને પાછા ફરવું પડતું હતું. આજે તો ઠંડી પણ વિશેષ હતી. બહાર ધુમ્મસને કારણે નજીકની વ્યક્તિ કે વસ્તુને પણ ઓળખવામાં, તેની ક્ષીણ થતી જતી દૃષ્ટિને કારણે તકલીફ પડતી હતી.

મરિયમ પૈસાની રાહ જોતી હશે અને તે પામર પિતા તેને સહાયરૂપ થઈ શકતો નથી, એ વિચાર તેને અકળાવતો હતો. આજે તો કોઈ પણ હિસાબે પૈસા લઈને જ પાછો આવીશ એ દૃઢ નિશ્ચય કરી તે ઝૂંપડી બહાર નીકળ્યો. પ્રાતઃ કર્મ માટે ય સમય બગાડ્યો નહીં.

તેના દ્વારા પૂછાતા બાલિશ પ્રશ્નો, ‘આજે તો કેશ આવશે ને? ફક્ત બે હજાર જ ઉપાડવા મળશે? આજનો ટોકન કાલે રજૂ કરીએ તો આગળ ઊભા રહેવા મળે? આજે પહેલા શનિવારે બૅંક ચાલુ હશે? સિનિયર સિટિઝનનું કાર્ડ રજૂ કરવું પડે?’ વગેરેને કારણે તે ઠીક ઠીક હાસ્યાસ્પદ બનતો હતો. જેના કડપને કારણે લોકો થરથરતા હતા એ અલી ડોસો આજે દયનીય હાલતમાં મહેણાંટોણાં સાંભળી મનમાં સમસમી જતો હતો. પણ ઉપાય પણ શો હતો?

વહેલા નીકળવા છતાં ય, બૅંક દૂર હોવાને કારણે અને ઝડપથી ચાલવા અશક્ત હોવાના કારણે અલી ડોસો પહોંચ્યો ત્યારે લાઇન લાંબી થઈ ગઈ હતી.

લાઇનમાં રાહ જોતાં જાતાં તેનું મન વિચારોમાં ચકરાવે ચડ્યું. ક્યારેક આવી જ કોઈ બૅંકની બહાર સિક્યુરીટી ગાર્ડ તરીકે તેણે ઘણાંને અપમાનિત કર્યા હતા, ધક્કો મારી કાઢી મૂક્યા હતા, વૃદ્ધો કે મહિલાઓની વિનંતીને પણ ગણકારી નહોતી.

ફરજ પર હાજર થતા કોઈ કર્મચારીને જોઈ અલી ડોસો પૂછી બેઠો, ‘સાહેબ, આજે તો કૅશ આવી ગઈ છે ને? મને મારા પૈસા મળશે?’

‘હા, ભાઈ હા, હશે તો મળશે. કોઈ તારા પૈસા ખાઈ નહીં જાય.’ સરકારી કર્મચારી આટલી ઓછી તોછડાઈ અને આથી વધુ કઈ શિષ્ટ ભાષામાં વાત કરી શકે?

અલી ડોસાને મન બૅંક જ તીર્થસ્થાન બની ગઈ હતી. લગભગ દરેક કર્મચારી માટે એ પરિચિત ચહેરો બની ગયો હતો. અંતે બનવાકાળ બનીને જ રહ્યું. ત્રણ કલાક ઊભા રહ્યા બાદ પણ પરિણામ શૂન્ય.

જોરદાર પવનના સૂસવાટા પણ તેના મનમાંથી મરિયમના વિચારો ખંખેરી શક્યા નહીં. રસ્તામાં તેણે કુરાનની આયાતોનું રટણ ચાલુ રાખ્યું. ભૂખ, શ્રમ અને હતાશાને કારણે, ઝૂંપડીમાં પહોંચતા વેંત તેણે લંબાવ્યું. જાગ્યો ત્યારે રસોઈ બનાવવાની હામ હતી નહીં. ભલો પાડોશી, પરિસ્થિતિની જાણ થતાં, સાંજે જમવાનું આપી ગયો.

મરિયમની નાનામાં નાની ઇચ્છાને પણ તે પૂરી કરતો આવ્યો હતો અને આજે ? જૂના સ્વભાવને તેણે અંકુશમાં ન રાખ્યો હોત તો આજે બૅંક સળગાવી નાખી હોત. મરિયમના બાળપણના ફોટા જોતાં જોતાં ક્યારે આંખ મળી ગઈ, તેનો ખ્યાલ પણ ન રહ્યો. ગાઢ નિદ્રામાં નહીં પણ ચિરનિદ્રામાં તે પોઢી ગયો.

બીજા દિવસે તેની ગેરહાજરીની નોંધ લેવાઈ. આજે તેને પાછો નથી કાઢવો, હમણાં આવશે તો છેવટે મારા ખિસ્સામાંથી ય તેને નાણાં આપીશ, બૅંક મેનેજરે વિચાર્યું અને તેના ઇન્તિકાલની જાણ થતાં તેની કબર પર પૈસા મૂકી, પશ્ચાત્તાપ સાથે પાછા ફર્યાં.

માણસ પોતાના ‘બૅલેન્સ’નો વિચાર છોડી અન્યની ‘બૅલેન્સ’નો વિચાર કરે તો અડધી ભીડ ઓછી થઈ જાય.

(સુખ્યાત વાર્તાકાર ‘ધૂમકેતુ’ની ક્ષમાયાચના સાથે)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 20

Loading

...102030...3,5223,5233,5243,525...3,5303,5403,550...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved