Opinion Magazine
Number of visits: 9552231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતોનો પક્ષ લેતાં સરકાર અચકાય છે કેમ?

ડંકેશ ઓઝા|Samantar Gujarat - Samantar|30 August 2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિતોને બાંધીને ખુલ્લેઆમ લાઠીથી ફટકારવામાં આવ્યા. એનો વીડિયો ઉતારવામાં આવ્યો.

આ ઘટના પોલીસચોકીની નજીકના વિસ્તારમાં જ બની. કહેવાતા ગૌરક્ષકોના હાથમાં જે લાકડી હતી, તે પોલીસની હતી. આ બધી દૃશ્યાવલી દર્દનાક છે. જ્યારે પણ જે કોઈ ચૅનલ પર તે દર્શાવાય છે, ત્યારે ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે, જે આ જોઈને હલબલી ન ઊઠે. અગિયારમી જુલાઈની આ ઘટનાના અઠવાડિયા પછી રાજ્યના મુખ્યમંત્રી, જે મહિલા છે અને મહિલાઓને જાહેરજીવનમાં આગળ કરવા પાછળનું એક કારણ તેઓ પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે તેવું અપાય છે, તેઓ સ્થળ પર ગયાં અને ભોગ બનેલ દલિત પરિવારોની મુલાકાત લીધી, ત્યારે એમનું કહેવું એટલું જ હતું કે અમને જે રીતે માર્યા તે રીતે એમને મારવા જોઈએ.

વાત તો કાયદો હાથમાં લેવાની જ છે. પહેલાં કહેવાતાં ગૌરક્ષકોએ કાયદો હાથમાં લીધો. હવે દલિતો બદલામાં કાયદો હાથમાં લેવા માંગે છે. આવું બને તો તે લોકશાહી માટે ખતરાની ઘંટડી છે. આખા સમાજ માટે એ લાંછનરૂપ છે. કાયદો અને વ્યવસ્થાની રીતે સરકાર નબળી પુરવાર થઈ છે. સંસ્કારિતાની રીતે આખો સમાજ નિષ્ફળ પુરવાર થયો છે.

શરૂઆતમાં શિવસૈનિકોનું આ કામ છે, એવી વિગત બહાર આવી. શિવસેનાએ તરત એનો ઇન્કાર કર્યો. પછી કહેવાતા ગૌસેવકોના ફાળે આ અપકીર્તિ ગયાનું અખબારો કહે છે. જે બાબતે કોઈ રદિયો કે સ્પષ્ટતા મળતા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અગાઉ ધર્મ છોડીને ગયેલા દલિતોને પાછા હિન્દુ ધર્મમાં લાવવાના ઘરવાપસીના કાર્યક્રમો ભૂતકાળમાં યોજાયા છે, ત્યારે આવા પ્રસંગે તેમની જવાબદારી ઘણી બને છે.

દલિતો એટલે સમાજના છેવાડાના માણસો, જેમને સદીઓથી અસ્પૃશ્ય ગણ્યા છે, જેમની પાસેથી ગંદકીની સફાઈનું કામ લીધું છે, જેમની સાથે માનવીય વ્યવહાર દાખવ્યો નથી તેવો વર્ગ. આજે પણ ગામડામાં પોતાને ત્યાં લગ્ન હોય, તો ઢોલ વગાડવા ન દેવાય, લગ્નનો વરઘોડો કાઢવો હોય, તો વરરાજાએ હેલમેટ પહેરવી પડે, એવા કિસ્સાઓ હજુ ગઈ કાલના છે. હિન્દુ સમાજના સશક્ત વર્ગો ખાસ કરીને ગામડામાં તેમના પર જે દાદાગીરી કરે છે, તેથી ગામ છોડીને આ વર્ગને હિજરત કરવી પડે છે. આવા કિસ્સા આપણી સ્મૃિતમાંથી વિસરાઈ ગયા હોય, તો હર્ષદ દેસાઈ અને ચંદુ મહેરિયાએ લખેલ પુસ્તક ‘સાંભરડાથી સ્વમાનનગર સુધી’ જોઈ જવું જોઈએ.

રાજકારણીઓએ જે ઝડપથી મુલાકાતો લેવાનું શરૂ કર્યું, તેથી આ ઘટનાને રાજકીય રંગ જરૂર અપાયો છે, પરંતુ પ્રશ્નને રાજકીય રીતે જોવાની જરૂર નથી. કૉંગ્રેસના રાજ્યમાં આવી ઘટનાઓ ઓછી બની નથી. અમદાવાદના પાદરમાં જેતલપુર ગામ આવેલું છે, જે સ્વામિનારાયણ મંદિરને કારણે ખૂબ જાણીતું છે. ત્યાં ચારેક દાયકાપૂર્વે દલિત શકરાને જીવતો સળગાયાની ઘટના બની હતી. આજે દલિતો પોતે આવી ઘટનાના વિરોધમાં બળી મરવાનો પ્રયાસ કરે છે કે ઝેરી દવા પીવાનો પ્રયાસ કરે છે. આ બધું દર્શાવે છે કે સમાજ બહુ બદલાયો નથી પણ પરિસ્થિતિ વધુ વકરતી જાય છે.

ટેક્નોલૉજીની સુવિધાઓ વધી છે, તેથી આવી ઘટનાઓની ત્વરિત વ્યાપક અસર જોવા મળે છે. પરંતુ હજુ શાસનતંત્ર એવું ને એવું જ છે. કલેક્ટરને જાતે જવાનું તો મન ન થયું, પણ ગાંધીનગરથી કહેવામાં આવ્યું છતાં ન ગયા, એવા સમાચાર છેેેેેેેે. હોબાળો મચે ત્યારે ફાયરબ્રિગેડની જેમ તંત્ર દોડવા તૈયાર છે, પણ હોબાળો ન થાય તો તે સંવેદનબધિર રહે છે. એના પુરાવા કાયમ મળતા રહે છે. રાજકીય રીતે ગમે તે પક્ષની સરકાર હોય, પરિસ્થિતિમાં બહુ બદલાવ જણાતો નથી, જે દર્શાવે છે કે આખો સમાજ આવી બાબતોમાં ક્યાં તો સંવેદનાહીન બની ગયો છે, ક્યાં તો આ બધું તેને કોઠે પડી ગયું છે.

હવે વિગતો આવવા માંડી છે કે બજેટમાં સ્પેિશયલ કૉમ્પોન્ટ પ્લાન જુદો છાપીને જે બજેટ જુદું ફાળવાય છે, તેનાં નાણાં પણ જે હેતુ માટે જોગવાઈ કરી છે, ત્યાં વાપરવાને બદલે અન્યત્ર વપરાય છે. એક તરફ અનામત વિરોધી આંદોલનો થયાં છે, તો બીજી તરફ બૅકલોગની જગ્યાઓ ભર્યા વગરની પડી રહી છે. એટ્રોસિટી એક્ટના મુદ્દે સમાજ ઘણી ભીંસ અનુભવે છે. પણ બીજી તરફ એ કેસો કદી ઝડપથી ચાલતા નથી. તેમાં  જામીનની જોગવાઈ ન હોવા છતાં આરોપીઓને જામીન સુધ્ધાં મળી જાય છે, જે બાબતે દલિત કર્મશીલ વાલજીભાઈ પટેલ વેદનાપૂર્વક અવારનવાર વિગતો બહાર પાડે છે.

આપણે ત્યાં પરંપરા એવી ઊભી કરાઈ છે કે દલિતોના કલ્યાણનો વિષય દલિતમંત્રીને સોંપવો અને આદિવાસી કલ્યાણનો વિષય આદિવાસી મંત્રીને સોંપવો અને મહિલા કલ્યાણનો વિષય મહિલામંત્રીને સોંપવો. આમ કરીને આપણે કલ્યાણના નામે કેટલું ઉકાળી શક્યા એ જોઈ શકાય છે. તે માટે કોઈ લાંબા સંશોધનની જરૂર લાગતી નથી.

આ વખતની ઘટના વેળાએ અનામતના લાભાર્થી દલિતો ખુલ્લેઆમ બહાર આવ્યા છે એ સારું છે. પણ અનામત બેઠકો પર ચૂંટાતા દલિત સાંસદો, દલિત ધારાસભ્યો અને અન્ય કક્ષાએ ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓ હજુ પક્ષની શિસ્તના નામે જાગૃતિ દર્શાવતા બોલકા બનીને બહાર પડ્યા હોય તેવું જોવા મળતું નથી. એક માત્ર દલિત ધારાસભ્યે દલિત-સમસ્યા બાબતે ધ્યાન આપવા રાજ્યના મુખ્યમંત્રીને કાગળ લખ્યો હોવાનું બહાર આવ્યું. તે ક્રૅડિટ અસારવાના ધારાસભ્ય નિવૃત્ત આઈ.એ.એેસ. અધિકારી આર.એમ. પટેલને ફાળે જાય છે.

સંખ્યાબંધ દલિત સામયિકો ગુજરાતમાંથી નીકળે છે. સરકારી નહીં તો દલિત સમાજમાંથી દલિતસાહિત્ય અકાદમી પણ રચાઈ છે. મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં દલિતસાહિત્યનું વ્યાપક ખેડાણ થયું છે. આમ છતાં, અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર તરફના એક માત્ર દલિત સાહિત્યકાર ઍવૉર્ડવાપસીના નામે બહાર આવ્યા છે.

ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદ જેવા સંતો અસ્પૃશ્યતાના નામે આ છેલ્લી ટ્રેન છે, એવું દાયકાઓ પૂર્વે ગાઈ-વગાડીને કહી ચૂક્યા છે. અદ્વૈત ફિલસૂફીમાં માનતો સનાતનધર્મ કેવી રીતે દ્વૈતથી લઈને આભડછેટને તળિયે જઈ પહોંચ્યો તે ઝટ સમજાય નહીં તેવી હકીકત છે. ગુજરાતનો સમાજ અતિશય ધાર્મિક મનાતો હોય ત્યારે અધર્મની સરહદને અડી જાય એવો વ્યવહાર કેમ જોવા મળતો હશે એ સવાલ મૂંઝવી નાખનારો છે.

આગળ વધેલા વર્ગે પાછળ રહી ગયેલાનું ધ્યાન રાખવાનું હોય છે. આ બાબત હવે કુટુંબોમાં પણ વિસરાવા લાગી છે. આખા સમુદાયમાંથી તો અદૃશ્ય ન થઈ ગઈ હોય એવું લાગે છે. તેમ છતાં આવી ઘટના બને એ ખરી ચિંતાનો વિષય છે. પ્રજાકલ્યાણને વરેલી સરકારોને જરૂર દોષ દઈ શકાય, પરંતુ તેટલા માત્રથી વાત પતતી નથી. પ્રશ્નનાં મૂળ, દૂષણની જડ કદાચ વધુ ઊંડે ઊતરી ગઈ હોય તેવું આજે વર્તાય છે, તેથી સંવેદનશીલ જાગૃતજનો માટે આ સમસ્યા ઘેરી બને છે. બધા જ વર્ગોએ સમાજના હિતચિંતક બનીને પ્રશ્નને મૂળિયાંથી લઈને ટોચ સુધી તપાસવાની ઘડી આવી પહોંચી છે. હજુ નહીં જાગીએ તો લાંબે ગાળે એકાદ વર્ગ નહીં, આખો સમાજ તેનો ભોગ બનશે એટલું નક્કી.

e.mail : dankest.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; 08 & 05

Loading

જી.એસ.ટી. : એક દેશ – એક બજાર

કૃષ્ણકાંત વખારિયા|Opinion - Opinion|30 August 2016

ભારતે આર્થિક વિકાસની દિશામાં જી.એસ.ટી. પાસ કરીને એક મહત્ત્વનું કદમ ભર્યું છે.

ભારત વિવિધતાથી ભરેલો એક વિશાળ દેશ છે. ભારતની આ વિવિધતાઓને સ્વાયત્તતા મળે અને ખીલી ઊઠે અને ભારતની એકતા ભાતીગળ બને તેવા ઉદ્દેશથી ભારતના બંધારણે સમવાયી તંત્ર (ફેડરલ વહીવટી માળખું) અપનાવેલું છે. ભારતનું સમયવાયી તંત્ર વિશ્વના સમવાયી તંત્ર કરતાં જરા અનોખા પ્રકારનું છે, જેમાં ભારતની એકતાને પ્રાધાન્ય આપીને ભારતની જુદી જુદી વિવિધતાઓ – ભાષાઓ, પ્રાદેશિકતાઓ, વિવિધ ધર્મો, સંસ્કૃિતઓ, રીત-રિવાજો, જીવનશૈલીઓ વગેરેને – જાળવી રાખવાનો અને ખીલવાનો પૂરો અવકાશ રહે તે પ્રકારનું આપણું સમવાયી તંત્ર છે અને તેને જ કારણે ‘વિવિધતામાં એકતા’ જળવાઈ રહી છે.

આઝાદી પછીના છઠ્ઠા દાયકાના અંત ભાગમાં આ દિશામાં ભારતે એક ઓર કદમ આર્થિક એકતાની દિશામાં ભરેલ છે અને સમગ્ર ભારત માટે ‘એક બજારની’ સ્થાપના કરી શકાય તેવો એક મહત્ત્વનો બંધારણીય સુધારો ‘ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ’ ઍક્ટ ત્રીજી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ પસાર કરીને કર્યો છે.

ભારતના બંધારણના ઘડવૈયાઓ દીર્ઘદૃષ્ટા હતા. બંધારણના મૂળભૂત હક્કોમાં ભારતના નાગરિકોને આ વિશાળ દેશમાં કોઈ પણ સ્થળે કોઈ પણ જાતની રોકટોક વગર હરવા-ફરવાનો અને કાયમી વસવાટ કરી ધંધો-વ્યવસાય કરવાનો મૂળભૂત હક્ક આપેલ છે, જેના પરિણામે અન્ય પ્રદેશોના અનેક લોકો પોતાના ન હોય તેવા બીજા પ્રદેશોમાં સ્થાયી થયા છે. દૃષ્ટાંત તરીકે પંજાબમાં સરદારજીઓની ગુજરાત-કચ્છ વિસ્તારમાં પાકિસ્તાનની સરહદે મોટી વસાહત છે. અમદાવાદમાં પણ ભારતના અન્ય પ્રદેશો તામિલનાડુ, કેરળ, આંધ્ર, કર્ણાટક, બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, કાશ્મીર વગેરે અસલ વતનીઓનો વસવાટ છે. આ જ રીતે મુંબઈમાં અસલ મરાઠી લોકો કરતાં અન્ય પ્રદેશોના લોકો – ગુજરાતીઓ, બિહારીઓ, ઉત્તરપ્રદેશના લોકો, પંજાબીઓ, સરદારજીઓ વગેરે -ની મોટી વસ્તી છે. મુંબઈ શહેરની આબાદીમાં આશરે પિસ્તાલીસ-પચ્ચાસ લાખ ગુજરાતીઓ છે. આ જ રીતે બંધારણે આર્ટિકલ ૩૦૧ હેઠળ દેશવ્યાપી મુક્ત વ્યાપારની જોગવાઈ પણ કરેલ છે, પરંતુ સમવાયી માળખાને કારણે અને દેશનાં રાજ્યોના અધિકારોને કારણે આ જોગવાઈના અમલમાં અનેક મર્યાદાઓ રહેલી હતી – હવે બંધારણીય સુધારાઓથી ‘ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ’ પસાર થતા ‘મુક્ત વ્યાપાર’ અમલી બનશે.

વિજ્ઞાનની પ્રગતિ સાથે અને ખાસ કરીને ઝડપી વાહનવ્યવહારના વિજ્ઞાનના વિકાસ તેમ જ માહિતી અને સંચારના વિજ્ઞાનના વિકાસ સાથે વિશ્વ એક global village બની રહ્યું છે, ત્યારે વિશ્વભરમાં મુક્ત – વ્યાપારની શક્યતાઓ ઊભી છે. આ સંઘર્ષમાં WTO અને અનેક પ્રાદેશિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, જેને કારણે વિશ્વમાં અને અનેક રાષ્ટ્રો વચ્ચે વ્યાપારની સરળતા વધી છે. GST અમલી બનતાં ભારતની વિવિધતા વચ્ચે આર્થિક એકતાના ‘એક દેશ એક બજાર’નાં પગરણ થશે.

GST અમલી બનશે ત્યારે દેશવ્યાપી ‘એક બજાર’ બનવાને કારણે જે ફાયદાઓ થશે, તેનું વિહંગાવલોકન કરીએ.

૧. વિવિધ આડકતરા કરો જેવા કે ઍક્સાઈઝ, સર્વિસ ટેક્સ, ઑક્ટ્રોય વગેરેનો અંત આવશે અને અર્થકારણ વધારે કાર્યક્ષમ, પારદર્શક અને એક સત્તાધિકાર હેઠળ મુકાશે.

૨. GSTને કારણે ઓછામાં ઓછા ભારત સરકારના અગિયાર આડકતરા કરવેરાઓ અને રાજ્ય સરકારોના અનેક આડકતરા કરવેરાઓનો અંત આવશે.

૩.  GSTને કારણે કરવેરાનું એકંદર ભારણ ઓછું થશે. ખાસ કરીને વિવિધ ક્રમે લાગતા કરવેરા ઓછા થશે. દૃષ્ટાંત તરીકે કોઈ પણ વસ્ત્ર(garment)ના ઉત્પાદનમાં કાચો માલ કપડાં, દોરા, બટન, સિલાઈ મશીન વગેરેની જરૂર પડે છે. આ કાચા માલ અને સિલાઈ મશીનની ખરીદી પર ટેક્સ ચૂકવાય છે, પરંતુ તે ભરપાઈ કરેલા ટૅક્સનું set off મળતું નથી. જેમ કે, કાચો માલ-કાપડ, દોરા, બટન વગેરે પર સેલ્સટૅક્સ, વેટ, ઑક્ટ્રોય વગેરે લાગે છે, જ્યારે સિલાઈ મશીન પર ઍક્સસાઈઝ અને સેલ્સટૅક્સ વગેરે લાગે છે. આને કારણે જ ગારમેન્ટ – વસ્ત્ર વેચાય છે તેની વેચાણકિંમતમાં ઉપર ચૂકવેલા કરવેરાનો સમાવેશ પણ કરાય છે. હવે રાજ્યના અને કેન્દ્રના આડકતરા કરવેરા સમાપ્ત થતાં અને માત્ર GST અમુક દરે લાગુ થતાં આ વસ્ત્ર પર વિવિધ કરવેરાઓ લાગશે નહિ. GSTનો જે દર લાગુ પડશે તેની જે આવક આવશે તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સરખે હિસ્સે વહેંચાશે.

૪. GSTમાં લાગુ થતાં ભારતમાં ‘એક બજાર’ બનશે જેને કારણે માલ-સામાનની મુક્ત હેરફેર શક્ય બનશે.

૫. વ્યાપાર સરળ બનશે, અને GST અંગેના કરવેરા ભરવામાં અને નિયમોનું પાલન સહેલાઈથી, ઝડપી અને ઓછા ખર્ચે કરી શકાશે.

આર્થિક સુધારા માટેનું આ કદમ દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવશે. સને ૨૦૦૪થી GST અંગેનો બંધારણીય સુધારો સરકારમાં ગુંજતો હતો. મોડે-મોડે પણ આ દિશામાં દેશના વિશાળ હિતમાં રાજકીય એકતા સાધી શકાણી તે આપણા વિવિધ રાજકીય પક્ષો અને તેના નેતાગીરીની શાણપણની નિશાની છે. રાજ્યસભામાં આ સુધારાની વિરુદ્ધમાં એક પણ મત પડ્યો નથી, તેની સંતોષપૂર્વક નોંધ લેવી પડે. તા.૫-૮-૨૦૧૬ના ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખમાં યોગ્ય લખાયું છે :

“The Near unanimity among India’s Political Parties over the introduction of GST is a good news. Parties do occasionally realise that good economics make for good politics… The aim behind this tax is to dismantle fiscal barriers between states and create common market in India. GST will boost economic activity and is the most important economic reform since liberalizatin in 1991 … India Leading National parties, BJP and Congress should take the lead at this stage. They have both been guilty of holding up legislations for reasons of political grandstanding. Having shown that they can seta-side political differences and co-operate to further larger India’s interest…”

આપણે અપેક્ષા રાખીએ કે આપણા રાજકીય પક્ષો અને નેતાઓ ભારતના વિશાળ હિતમાં ભારતને તમામ ક્ષેત્રે ઝળહળતી જ્વલંત સિદ્ધિઓ અપાવવા રાજકીય સ્વાર્થ છોડીને કાર્ય કરે. તાજા સમાચાર છે કે ભારતના તમામ રાજકીય પક્ષો અને રાજનેતાઓએ આવી જ લોખંડી એકતા તા. ૪-૮-૨૦૧૬ની સાર્કદેશોના ગૃહપ્રધાનોની મિટિંગમાં ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહે જે વલણ અખત્યાર કર્યું તે અંગે દર્શાવી છે.                                       

e.mail : kgv169@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; પૃ. 11

Loading

બે વક્તવ્યો

બિનીત મોદી|Samantar Gujarat - Samantar|30 August 2016

ઉપેન્દ્ર બક્ષી

(કાયદાશિક્ષણના નિષ્ણાત, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના પૂર્વવાઇસ ચાન્સેલર) :

જીવિત વ્યક્તિઓની સાથે-સાથે, આ દુનિયામાં જેમની હયાતી નથી તેવા લોકોના માનવ-અધિકારોનું પણ સન્માન થવું જોઈએ તેમ હું માનું છું. સાથે સાથે એમ પણ માનું છું કે માનવ-અધિકારોની કોઈ ચોક્કસ સ્ક્રિપ્ટ ન હોવી જોઈએ. કદાચ આ માન્યતામાં શ્રદ્ધા હોવાના કારણે જ હું દરુને યાદ કરવા અહીં સુધી આવી પહોંચ્યો છું. એકલો પડી ગયેલો મૃતાત્મા ખુદના માટે આંસુ સારે તે પહેલાં યોગ્ય સમયે તેને યાદ કરી લેવો જોઈએ તેમ પણ હું માનું છું. સ્ત્રી-પુરુષ તેવા કોઈ ભેદ ન જોતાં હું આપ સૌને માટે ‘જેન્ટલ પર્સન્સ’નું સંબોધન કરીને મારી વાત હિન્દી-અંગ્રેજી-ગુજરાતીમાં આગળ વધારું છું. સુરત ખાતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર હતો ત્યારે ટીચર્સ યુનિયનમાં સક્રિય એક ભાઈ મારાં લેક્ચર્સના કાયમી શ્રોતા હતા. મેં તેમને પૂછ્યું હતું કે તમે શું કામ મને સાંભળવા આવો છો? તેમનો જવાબ હતો કે ‘તમે બહુ ફની ગુજરાતી બોલો છો એટલે.’

માનવ-અધિકાર વિશે મેં પુસ્તક લખ્યું છે અને તે સંદર્ભે વાંચેલા પુસ્તકનું પહેલું વાક્ય કંઈક આવું હતું – ‘માનવઅધિકારોનું કોઈ ભવિષ્ય નથી.’ તેમાં લોકોના સત્તા સાથેના સંઘર્ષની પણ વાત હતી. યાદશક્તિનો ભૂલી જવાની ટેવ સાથેનો સંઘર્ષ. મારા મતે સત્તા એટલે બીજું કંઈ નહીં; પણ લોકોની યાદશક્તિને ફરીથી ગોઠવી જાણવાની – પોતાની તરફેણમાં ફરી જાણવાની શક્તિ. શું યાદ રાખવાનું છે અને શું ભૂલી જવાનું છે, તે શિખવાડે તેનું નામ સત્તા.

ઘા અને જખમ વચ્ચે ફરક છે. રાજકારણના બે પ્રકાર છે : સત્તાનું અને માનવ અધિકારનું. ચંદ્રકાન્ત દરુ માનવ-અધિકારના લડવૈયા હતા. એવા લડવૈયા, જે સત્તાને સત્ય કહેવાની હિંમત ધરાવતા હતા અને એટલા માટે જ આજે અહીં હું અમદાવાદમાં તેમને યાદ કરવાની સ્મૃિતસભામાં આવ્યો છું. થાક્યા વગર કામ કરવા માટે દરુ જાણીતા હતા.

મનરેગા જેવી સરકારી યોજનાઓથી ભારતના છેવાડાના માનવીનું દળદર ફીટવાનું નથી. હા, સમય જતાં આવી યોજનાઓના લાભાર્થી જ ન રહેગા, ન મરેગા. બંધારણ ઘડાયાના – અમલમાં મુકાયાના સાતમા દાયકે પણ આપણે હજી ક્યાંક-ક્યાંક ‘વીકર સેક્શન ઑફ સોસાયટી’નો ઉલ્લેખ કરવો પડે છે. આ શબ્દ-સમૂહ વાંચી-સાંભળીને જ હું તો હેરાન-પરેશાન થઈ જાઉં છું. બંધારણમાં અનેક સુધારા આવી ગયા તો ય હજી આ શબ્દ વાપરવાનું ચાલુ જ છે. મારે તેમાં એક સુધારો હવે એ લાવવો છે કે તેમના માટે ‘પ્રોગ્રેસીવલી વીકન્ડ’ શબ્દ લખાવો જોઈએ.

મારી વાતને અંત તરફ લઈ જતાં એટલું હું દૃઢપણે કહીશ કે બંધારણ એ શાસકોની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. લોકોનો તેના પર હક્ક છે. ‘લિવિંગ લેજન્ડ’ શબ્દ હાલતાં ને ચાલતાં વાપરવાની હવે ફૅશન થઈ પડી છે. એવો ઉપયોગ કરનારાને માલૂમ થાય કે જરા ચંદ્રકાન્ત દરુના જીવન સામે પણ જુઓ. ખરેખર લિવિંગ લેજન્ડ કોને કહેવાય, તેની ખબર પડશે. દરુએ આપેલા સંદેશાનો શબ્દે-શબ્દ આજે પણ યથાર્થ ઠરે છે. તેમણે કહેલી વાતો અટપટી છે.

મારો આ બકવાસ સાંભળવા માટે આપનો આભાર. આજના ભારતને હવે એક જ આંદોલનની જરૂર છે – ‘બકવાસ મુક્તિ-આંદોલન’. હા, ગુજરાતમાં તમે એ આંદોલન ન કરતા તેવી વિનંતી.

* * *

સોલી સોરાબજી 

(કાયદાશિક્ષણના નિષ્ણાત અને પૂર્વ એટર્ની જનરલ) :

ઉપેન્દ્રની જેમ જ હું પણ તમને અંગ્રેજી-ગુજરાતીમાં જ સંબોધવા ઇચ્છું છું. પરંતુ પછી વિચાર આવ્યો કે મારી પારસી લઢણવાળી ગુજરાતી તમારી સમજમાં નહીં આવે. (શ્રોતાઓએ તો ગુજરાતીમાં જ બોલો તેમ કહ્યું.)

ચંદ્રકાન્ત દરુ કામદારોના હક માટે કાયદાના જાણકાર એવા ચૅમ્પિયન લડવૈયા હતા. મિત્ર હતા તે તો મારું સદ્ભાગ્ય. એક અગ્રણી રેડિકલ હ્યુમેનિસ્ટ, બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ અને લોકશાહી હકોના સાચા લડવૈયા દરુ પાસે હિંમત પણ હતી, જેની આજના જાહેરજીવનમાં ખોટ જોવા મળે છે. નાગરિકસ્વાતંત્ર્યના તે એવા તો હિમાયતી હતા કે તેમણે એ હકો અપાવવા માટે દાણચોરોના અને કોફેપોસાની કલમો તળે બંદીવાન બનાવાયેલા લોકોના કેસ પણ લડ્યા. ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળની કૉંગ્રેસી સરકારે ઠોકી બેસાડેલી કટોકટી સામે દરુએ બંધારણની મર્યાદામાં રહીને જે કાયદાકીય લડત આપી તે તો બેમિસાલ છે. પ્રેસના સ્વાતંત્ર્ય સામે લડત આપતા તેમને ખુદને પણ જેલમાં જવાનો વારો આવ્યો. પણ આ કશાયથી ડરે તો એ દરુ શાના?

અમદાવાદમાં પુરુષોતમ માવળંકરના ઘરે મળતા, ગોષ્ઠિઓ થતી, વિચારોનું આદાનપ્રદાન થતું એ દિવસો યાદ આવે છે. હું જોતો કે દરુ તમામ ચર્ચાઓ ધીરજપૂર્વક સાંભળતા, ક્યારે ય જરા સરખા ગુસ્સે પણ ન થતા. હળવાશમાં રહેતા હતા. પોતાને કાયદાની જાણકારી છે પણ તેનો ભાર લઈને ફરવામાં કે ચર્ચામાં ભાગ લઈને સામેવાળાને બોલીને આંજી દેવામાં તેમને લેશમાત્ર રસ નહોતો. વાણીસ્વાતંત્ર્ય માટે તો જાણે સમર્પિત હતા. કાયદાના જ્ઞાનનો માનવ-અધિકારો માટે ઉપયોગ કરનારા તેઓ તેમના જમાનાના એકમેવ હતા.

તારીખ 16 જુલાઈ 2016ના રોજ ચંદ્રકાન્ત દરુ સ્મૃિતગ્રંથ સમારોહમાં અપાયેલાં વક્તવ્યો પૈકી

e.mail : binitmodi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; પૃ. 19

Loading

...102030...3,5013,5023,5033,504...3,5103,5203,530...

Search by

Opinion

  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved