Opinion Magazine
Number of visits: 9768653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણનું તાંડવનૃત્ય જોઈ લીધા પછી થોડું રાજ્યચિંતન

રમેશ ઓઝા|Opinion - Opinion|14 March 2017

આધુનિક રાજ્ય (જેને આપણે બંધારણનિર્દિષ્ટ કાયદાનું રાજ કહીએ છીએ) એ નવા વિચાર પર આધારિત સંસ્થા છે, પણ રાજકારણીઓને રાજકારણ કરવા માટે જૂની સંસ્થાઓ તેમ જ એ સંસ્થાઓજન્ય સંસ્કાર માફક આવે છે અને પ્રજાને એમાં કેફનો અનુભવ થાય છે. પાંચ રાજ્યોમાં રાજકારણનું તાંડવનૃત્ય જોયા પછી આ વાતની ખાતરી થઈ ગઈ હશે

પાંચ રાજ્યોમાં પક્ષીય વિજય ઊજવાઈ રહ્યો છે ત્યારે રાજ્યના સતત થઈ રહેલા પરાજય વિશે ઊહાપોહ કરવો વધારે જરૂરી છે. આવા પ્રસંગે તો ખાસ કરવો જોઈએ કારણ કે રાજ્ય શાશ્વત છે, પક્ષ નથી. પક્ષો તો આવે અને જાય, રાજ્ય કાયમ રહેવાનું છે અને માત્ર અને માત્ર જવાબદેહ રાજ્ય જ પ્રજાને સુખ આપી શકે. જો કાયદાનું રાજ હોય અને કાયદાના ઉપયોગ કે દુરુપયોગ પર નજર રાખનારું ન્યાયતંત્ર હોય તો શાસકો પ્રજાના સુખમાં વધારો કરી શકે કે ન કરી શકે, પ્રજાને દુખથી તો એ બચાવી શકે. એટલે તો ન્યાયતંત્ર જવાબદાર રાજ્યની ગુરુચાવી છે. મૂલ્ય પક્ષનું અને શાસકોનું નથી, જવાબદાર રાજ્યનું અને એના પર નજર રાખનારા ન્યાયતંત્રનું છે. બની એવું રહ્યું છે કે આપણે જેટલો રસ પક્ષીય રાજકારણમાં લઈએ છીએ એટલો રાજ્યતંત્રમાં નથી લેતા. આમાં પણ ન્યાયતંત્ર રાજ્યતંત્રની કરોડરજ્જુ છે.

ઘણા વાચકોને લાગતું હશે કે મને ન્યાયતંત્રનું વળગણ છે. અવારનવાર હું ન્યાયતંત્રની અવસ્થા વિશે લખતો રહું છું. શાળામાં ભણતો હતો ત્યારે નાગરિકશાસ્ત્રમાં રસ નહોતો પડતો. નાગરિક બન્યા પછી સમજાયું કે બેવકૂફ બન્યા વિના અને બીજાને બેવકૂફ બનાવ્યા વિના માનવીય જવાબદારી સાથે જિંદગી જીવવી હોય તો નાગરિકશાસ્ત્ર સમજવું જરૂરી છે. માણસ સમાજની વચ્ચે જીવે છે અને એ તેની નિયતિ છે. માણસ જ્યારે સમાજની વચ્ચે જીવે છે તો સમાજે સહઅસ્તિત્વની કેટલીક સંહિતા ઘડી છે જેને આધુનિક પરિભાષામાં આપણે રાજ્ય કહીએ છીએ. આધુનિક રાજ્યસંસ્થાએ જૂની સામાજિક સંસ્થાઓને ખતમ તો નથી કરી, પરંતુ એને રાજ્યે માન્ય કરેલા કાયદાની એરણ હેઠળ મૂકી દીધી છે. સદીઓ જૂની, પરિચિત અને પોતીકી સંસ્થા હજી તો તાજી ઊગેલી રાજ્યસંસ્થાની એરણ હેઠળ આવી જાય એ કેટલાક લોકોને ગમતું નથી. આને કારણે બને છે એવું કે આપણે જૂની સંસ્થાઓને ટકાવી રાખવામાં જેટલો રસ લઈએ છીએ એટલો નવી રાજ્યસંસ્થાને મજબૂત કરવામાં નથી લેતા.

એક વાત સમજી લેવી જોઈએ કે જૂની કુટુંબસંસ્થા, જ્ઞાતિસંસ્થા, ધર્મસંસ્થા ટકાવી રાખવાનો પ્રચાર કરનારાઓ અને એના પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે એમ કહીને ભાવનાત્મક રાજકારણ કરનારાઓનો એમાં નર્યો સ્વાર્થ હોય છે. બાકી રાજ્યસંસ્થાએ એને ખતમ કરી જ નથી, બલકે કાયદાકીય માન્યતા પણ આપી છે. હા, એને કાયદાની એરણ હેઠળ મૂકી દીધી છે કે જેથી કોઈ એનો બીજા સાથે અન્યાય કરવા માટે દુરુપયોગ ન કરી શકે. જેઓ દુરુપયોગ કરવા માગે છે એવા લોકો પ્રાચીનતાના નામે અને પોતીકાપણાના નામે એને ટકાવી રાખવાનું ભાવનાત્મક રાજકારણ કરે છે. એટલે તો ઇસ્લામ, હિન્દુ ધર્મ, બીજા તમામ ધર્મો, જે તે સંસ્કૃિત, ભાષાઓ, જ્ઞાતિઓ વગેરે હંમેશાં ખતરે મેં હોય છે. ભોળી પ્રજા સ્વાર્થી લોકોના સ્વાર્થી રાજકારણનો શિકાર બને છે અને તેમને એ નથી સમજાતું કે જે સંસ્થા સોગંદપૂર્વક અન્યાય નહીં કરવાની ખાતરી આપે છે એ રાજ્યસંસ્થાને ટકાવી રાખવામાં અને મજબૂત બનાવવામાં તેનો સ્વાર્થ છે. જે પથ્ય છે એના તરફ પ્રજા ઉદાસીન છે અને જે બીમારી છે એને ટકાવી રાખવા માટે સ્વાર્થી લોકોને સાથ આપે છે.

આ જ તો વિડંબના છે. પ્રજા અમૃતની જગ્યાએ વિષનું પ્રાશન કરવા તત્પર હોય છે એટલે પ્રજા વચ્ચે વાડાઓ રચતું રાજકારણ ચાલે છે અને રાજકારણીઓ રાજ્યને પરાસ્ત કરે છે. રાજ્યને પરાસ્ત કરવું હોય અને પોતાને પરાસ્ત કરવાના ગુનાથી બચાવવા હોય તો પહેલા ન્યાયતંત્રને પરાસ્ત કરવું જોઈએ. હવે રમત સમજાઈ? શા માટે આપણે ત્યાં ન્યાયતંત્રને મજબૂત કરવામાં નથી આવતું? શા માટે ન્યાયતંત્ર પર બોજો વધારીને એની કમર તોડવામાં આવી રહી છે? આમાંની કોઈ વાત નહીં સમજાઈ હોય તો મને આશ્ચર્ય નહીં થાય. જૂનો કેફ જલદીથી ઊતરતો નથી અને આ તો પાછો સદીઓ જૂનો કેફ છે. વળી રાજકારણીઓ અને ધર્મકારણીઓ એ કેફ ઊતરવા નથી દેતા. જરાક ઊતરતો નજરે પડે કે ‘ધર્મ કે સંસ્કૃિત ખતરે મેં’ના નારા ગુંજવા લાગે છે.

વિનોબા ભાવેએ કહ્યું હતું કે આપણે બે કામ કરવાનાં છે. આપણે એટલે કે મારે અને તમારે, સમાજે નહીં. સમાજ કેટલાંક બુનિયાદી કામ કે પરિવર્તન નથી કરી શકતો, કારણ કે સ્થાપિત હિતોનું સમાજ પર વર્ચસ્વ હોય છે. આ જગતમાં જેટલાં ઊર્ધ્વગામી પરિવર્તનો થયાં છે એ બધાં વ્યક્તિ થકી થયાં છે, સમાજસંસ્થાએ નથી કર્યા; પછી એ વ્યક્તિ સૉક્રેટિસ હોય, બુદ્ધ હોય કે ગાંધી હોય. વ્યક્તિગત રીતે આપણે એ કરી શકીએ, કારણ કે આપણા પર આપણું શાસન હોય છે. તો વિનોબા કહે છે એમ આપણે બે કામ કરવાનાં છે. રાજ્યને રાજકારણથી મુક્ત કરવાનું છે અને અધ્યાત્મને ધર્મથી મુક્ત કરવાનું છે. રાજકારણ અને ધર્મ માણસને માણસથી દૂર લઈ જનારાં પરિબળો છે. આ આસાન નથી એ હું જાણું છું. સેંકડો વર્ષ જૂના સંસ્કાર એક વિચારથી જતા નથી એ વાત સાચી છે, તો એનાથી મોટું સત્ય એ છે કે પથ્યકારી વિચાર એક વાર સ્ફુરે એ પછી એ ક્યારે્ ય મરતો નથી. અમરત્વ વિચારનું છે, સંસ્કારનું નથી.

અત્યારે જૂના સંસ્કાર અને નવા વિચાર વચ્ચે હોડ ચાલી રહી છે. આધુનિક રાજ્ય (જેને આપણે બંધારણનિર્દિષ્ટ કાયદાનું રાજ કહીએ છીએ) એ નવા વિચાર પર આધારિત સંસ્થા છે, પણ રાજકારણીઓને રાજકારણ કરવા માટે જૂની સંસ્થાઓ તેમ જ એ સંસ્થાઓજન્ય સંસ્કાર માફક આવે છે અને પ્રજાને એમાં કેફનો અનુભવ થાય છે. પાંચ રાજ્યોમાં રાજકારણનું તાંડવનૃત્ય જોયા પછી આ વાતની ખાતરી થઈ ગઈ હશે. તો આગળ કહ્યું એમ વિચાર મરતો નથી એટલે એક દિવસ રાજ્ય વિભાજનકારી રાજકારણથી મુક્ત થવાનું જ છે, પણ એ જેટલું વહેલું મુક્ત થાય એમાં આપણો સ્વાર્થ છે. અચ્છે દિન જો વહેલા લાવવા હોય તો આપણે જ્ઞાતિ, ધર્મ વગેરેના વિભાજનકારી સંસ્કારોથી મુક્ત થવું પડે. એટલે તો આપણે, મારે અને તમારે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 14 માર્ચ 2017

Loading

ડાયોજિનીસ તડ ને ફડ કહેનાર વાસ્તવવાદી ફિલોસોફર

અક્ષય દરજી|Opinion - Opinion|13 March 2017

તમામ પશુઓમાં માનવ સૌથી સમજદાર છે અને મૂર્ખ પણ તે જ છે − ડાયોજિનીસ

આજનો ગ્રીસ દેશ ભલે દેવાદાર થઇ ગયો હોય, પરંતુ પ્રાચીન સમયમાં યુનાન તરીકે ઓળખાતો આ પ્રદેશ તેની ફિલોસોફી અને પૌરાણિક કથાઓથી સમૃદ્ધ હતો. જેમાં, સોક્રેટીસ અને પ્લેટો જેવા વિશ્વભરમાં વિખ્યાત ફિલોસોફરો થઇ ગયા. અને આજ યુનાનમાં ડાયોજિનીસ નામનો એક ઘા અને બે કટકા કરનારો સનકી પરંતુ વાસ્તવવાદી ફિલોસોફર થઇ પણ ગયો. જે માત્ર ડાહી ડાહી સલાહ કે ઉપદેશો આપવામાં માનતો ન હતો. પરંતુ, તે અસલ જિંદગીમાં જીવતો પણ હતો.

ડાયોજિનીસની જિંદગી-જીવન અંગેના અનેક ટુચકાઓ પ્રસિદ્ધ છે, પરંતુ તેના જીવન વિષે વિસ્તારથી માહિતી મળતી નથી.

એકવાર એલેકઝાન્ડર ધી ગ્રેટ (સિકંદર) ડાયોજિનીસ વિષેની વાતો અને તેની ફિલોસોફી વિષે વાત સાંભળીને જંગલમાં તેને મળવા જાય છે. ડાયોજિનીસ શાંતિથી તડકે બઠો હતો. સિકંદરે આવીને કહ્યું, ‘મેં તમારા વિષે ઘણું સાંભળ્યું છે, ગુરુજી. હું તમારી શું મદદ કરી શકું ?’ ડાયોજિનીસે સિકંદર સામે જોઈને કહ્યું, મારે અત્યારે કંઈ જ જોઈતું નથી. બાજુમાં ખસી જાવ. હું આ સૂર્યનો તડકો ખાઉં છું અને તમે અહીં વચ્ચે ઊભા છો. બસ, આટલી મહેરબાની કરો.

એલેકઝાન્ડર ધી ગ્રેટ (સિકંદર) જેવા સમકાલીન મહાન યોદ્ધા અને શાસકે પણ ડાયોજિનીસને મળીને કહેલું કે, જો હું સિકંદર ન હોત તો ડાયોજિનીસ બનવા ઇચ્છત. આ સાંભળીને સામે બેઠેલા ડાયોજિનીસે રોકડું પરખાવ્યું કે જો હું ડાયોજિનીસ ન હોત, તો પણ ડાયોજિનીસ બનવા જ ઇચ્છત. અને એ પણ એક સંયોગ જ કહેવાય કે ડાયોજિનીસ જે દિવસે કોરિન્થમાં મૃત્યુ પામ્યો, તે જ દિવસે સિકંદર ઈજિપ્તનાં બેબિલોનમાં મૃત્યુ પામ્યો.

ડાયોજિનીસનો જન્મ હાલના તુર્કસ્તાનના સિનોરી ગામમાં થયેલો. તેના પિતાનો વ્યવસાય ચલણી સિક્કાઓ બનાવવાનો હતો. જેમાં, ડાયોજિનીસ પણ મદદ કરતો અને પછી આ વ્યવસાય તેણે પણ અપનાવી લીધો હતો. પણ, થોડા સમય બાદ ધાતુના સિક્કામાં ભેળસેળના આરોપમાં તેને તડીપાર કરવામાં આવ્યો, દેશવટો આપવામાં આવ્યો.

ગ્રીસના પૌરાણિક નગર એથેન્સ આવીને તે પછી ત્યાં વસ્યો. ત્યાં તેની સાથે એક નોકર પણ આવેલો. જેને થોડા સમયમાં ડાયોજિનીસનો સાથ છોડી દીધો, અને રમૂજમાં કહેલું કે, એ મારા વગર રહી શકે, તો હું તેના વગર કેમ ના રહી શકું?

અહીં એથેન્સમાં તેને એન્ટીથીસિસ નામે સલાહકાર – ગુરુ મળ્યા. જેમની પાસેથી શીખ મળી કે જીવનમાં દંભ ન કરવો, પ્રમાણિકતા રાખવી અને ખાસ તો જરૂરિયાત પૂરતું પોતાની પાસે રાખવું અને બાકીનું બીજાને વહેંચી દેવું. આથી, એકવાર નદી કિનારે બાળકને ખોબે ખોબે પાણી પીતાં જોઇને પોતાનું એકમાત્ર વાસણ પવાલું પણ ફેકી દીધું અને લંગોટી પણ ભારરૂપ લાગતા ઊતારીને ફેકી દીધી.

ડાયોજિનીસ અત્યંત સાદું જીવન જીવતો. એથેન્સનાં સાઈબેલીનાં મંદિર પાસેના બેરલમાં તે સૂતો અને તેની બહાર જ ભીખ માંગી ખાઈ પણ લેતો. કોઈ તેને ખાવાના શ્રેષ્ઠ સમય વિષે પૂછેલું તો કહ્યુંકે ધનિકો માટે દિવસમાં ગમે ત્યારે્, જ્યારે ગરીબને જ્યારે ખાવાનું મળે ત્યારે.

ડાયોજિનીસ પોતાને ધ સિટીઝન ઓફ કોસ્મોસ કહેતો. એટલે કે હું આખા ય બ્રહ્માંડનો નાગરિક છું. તે કહેતો કે આ દુનિયામાં મને જ્યાં ઠીક પડે ત્યાં રહી શકું, મને રોકનારો કોણ? એકવાર શરાબખાનામાં તેની પસંદગીની વાઈન વિષે કોઇકે પૂછેલું તો કહે કે લોકો મારા વતી જે વાઈનના પૈસા ચૂકવી શકે, તે મને સૌથી વધુ પસંદ છે.

ડાયોજિનીસને સોક્રેટીસ અને તેની ફિલોસોફી માટે આદર હતો. પરંતુ, સોક્રેટીસના શિષ્ય પ્લેટોનો તે સખત ટીકાકાર હતો. અને બંનેને ઊભે પગે ય બનતું ન હતું. એકવાર તે પ્લેટોની તાલીમશાળામાં ગયેલો, જ્યાં બુદ્ધિજીવી ફિલોસોફરોએ કરેલી માનવીની વ્યાખ્યા વિષે ચર્ચા થતી હતી. પ્લેટોએ અગાઉ માનવીની વ્યાખ્યા કરેલી કે માનવી એ ‘પાંખ વિનાનું બે પગું પ્રાણી છે’. ત્યાં જ ડાયોજિનીસ એક મરઘી પકડીને આવ્યો અને બધાને બતાવીને કહ્યું કે જુઓ આ પ્લેટો દ્વારા વ્યાખ્યાયિત માનસ છે.

ડાયોજિનીસ માનવજાત દ્વારા થતાં દેખાડા અને દંભીપણાને ખૂબ વખોડતો અને કહેતો કે ખરી પ્રમાણિકતા તો માનવ કરતાં પશુઓમાં છે. એટલા માટે હંમેશાં તે પોતાની સાથે એક કૂતરો રાખતો. તે કહેતો કે કૂતરો એક એવું પ્રાણી છે જે તમને હંમેશાં કંઈક આપે છે. જ્યારે જ્યારે લોકો ડાયોજિનીસને કંઈક આપતાં તો આપનારને તે વહાલ કરી ચાટતો. જો કોઈ કાંઈ ન આપે, તો તેના પર તે ભસે છે. અને જો કાંઈ નુકસાન કરે તો તેને બચકાં ભરી બદલો પણ લઇ લે છે!

એકવાર ભર બપોરે ડાયોજિનીસ સળગતું ફાનસ લઈને કૂતરા સાથે નીકળેલો અને કોઈએ પૂછ્યું કે શું કરે છે તો જવાબ આપ્યો કે દુનિયાનો સૌથી પ્રમાણિક માણસ શોધું છું.

આજના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ જે પોતાની જરૂરિયાત કરતાં અનેકગણી ધન સમ્પતિ રાખે છે અને વધુમાં વધુ સુખ સુવિધાની લાલસા રાખે છે, તેને ડાયોજિનીસનની સલાહ માનવા જેવી છે કે જરૂર પૂરતું રાખો અને બાકીનું જરૂરિયાત હોય તેને વહેચી દો.

એથેન્સનાં અમુક લોકો તેની પ્રવૃત્તિઓને મનોરંજક માનતા, તો અમુક લોકો તેને મૂર્ખ ગણી અવગણતા. એક વાર તે એક ભોજન સમારંભમાં ગયેલો. ત્યાં એથેન્સનાં શ્રીમંત લોકો આવેલા. તેમણે ડાયોજિનીસને ચીડવવા કૂતરા જેવો કરી તેના પર હાડકાં ફેકવાં લાગ્યા ત્યારે ડાયોજિનીસે એક પગ ઊઠાવી કૂતરાની જેમ જ તેમના પર પેશાબ કરી જડબાતોડ જવાબ આપેલો.

ડાયોજિનીસ જળમાર્ગે એજીના નગર બાજુ જતો હતો, ત્યારે ચાંચિયાઓએ તેને પકડીને ગુલામ બનાવી દીધો. અને પછી કોરિન્થનાં એક શ્રીમંત વેપારીને વેચી દીધો.

આ શ્રીમંતે તેને વેપાર અંગેની આવડત વિષે પૂછ્યું તો જવાબ આવ્યો કે હું તો પ્રશાસક આદમી છું. પરંતુ પછી તેને તેના છોકરાઓનાં માર્ગદર્શક તરીકે રાખેલો અને ત્યાં તેની સાથે ગુલામ જેવો વર્તાવ થતો ન હતો.

તેના જીવનનાં છેલ્લા દિવસો ત્યાં જ પસાર થયેલા. તેણે જીવનનાં અંત સુધી પોતાની ફિલોસોફી પ્રમાણે અત્યંત ગરીબ જીવનશૈલી રાખી. તેના મૃત્યુ અંગે પણ રહસ્યો છે. અમુકના મતે તેણે શ્વાસ રોકી આપઘાત કરેલો, તો અમુકનાં મતે તે કુદરતી મૃત્યુ પામ્યો. તેણે મૃત્યુ અગાઉ કહેલું કે તેના મૃતદેહને કૂતરાઓ માટે ખાવા નાખી દેવામાં આવે. પણ, તેના નજીકનાઓએ મૃત્યુ બાદ યોગ્ય રીતે દફન કરી તેના પર આરસ જેવો આધારસ્તંભ પણ મૂકેલો.

(www.akshaydarji.wordpress.com)

સૌજન્ય : https://www.facebook.com/akshay.parmar.3914/posts/1292597230832158 

Loading

ગાંધીવધ શા માટે? : ગોડસેનું બયાન અને પોસ્ટ-ટ્રુથ

રાજ ગોસ્વામી|Gandhiana|13 March 2017

જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યાનું ઔચિત્ય શું હતું, તે અંગે હત્યારા નથુરામ ગોડસેએ દિલ્હીમાં વિશેષ અદાલત સમક્ષ એક બયાન આપ્યું હતું. આ બયાન સાર્વજનિક થવું જોઇએ? ઘણા સમયથી ચાલતા આ વિવાદનો અંત લાવીને કેન્દ્રીય સૂચના આયોગના આયુક્ત શ્રીધર આચાર્યુલુએ એક આદેશમાં ગોડસેના બયાન સહિત ગાંધીજીની હત્યાના દસ્તાવેજ રાષ્ટ્રીય અભિલેખાગારની વેબસાઇટ પર મૂકવાની સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, ‘નથુરામ ગોડસે અને એના સહ-આરોપી સાથે કોઇ સહમત ન હોય પણ, એમના વિચારોને ઉઘાડા કરવાનો ઇન્કાર ન થઇ શકે.’

આચાર્યુલુએ એમ પણ કહ્યું છે કે ગોડસેના વિચારો સાથે સહમત હોય તેવી વ્યક્તિ પણ ભિન્ન મત ધરાવતી વ્યક્તિની હત્યા કરવાની હદ સુધી ન જઇ શકે. વિચારોની અસહિષ્ણુતાના આજના દાૈરમાં આ એક મહત્ત્વનો નિર્ણય છે. અસહિષ્ણુતાનો મતલબ છે કોઈ ધર્મ, જાતિ અથવા વ્યક્તિના વિચાર, રહન-સહન, વ્યવહાર કે રુચિને પસંદ ન કરવી, બર્દાશ્ત ન કરવી તે. સહમતી અને સહનશીલતા માનવ જીવનના પાયામાં છે. વસ્તુત: આ સંસાર વિશ્વાસ, આત્મીયતા અને સહયોગનું પાલન કરીને જ જીવિત છે.

સહઅસ્તિત્વ એ પ્રકૃતિનો નિયમ છે. ઇકોલોજીની માન્યતા છે કે સૃષ્ટિ સંતુલન ઉપર ટકી છે. આ રોકેટ સાયન્સ નથી. આપણા શરીરમાં પ્રત્યેક કણ પોતાને ટકાવી રાખવા માટે પાડોશી કણ ઉપર નિર્ભર છે. દરેક કણને એ પણ ‘ખબર’ છે કે એના જીવતા રહેવા માટે બીજા કણનું જીવતા રહેવું આવશ્યક છે. દરેક જીવ અને દરેક પ્રજાતિ સહઅસ્તિત્વના આ નિયમ પર કરોડો વર્ષોથી ટકી રહી છે. પ્રકૃતિમાં એક જીવ બીજા જીવને ત્યારે જ મારે છે જ્યારે એને ભોજનની જરૂર હોય છે. માત્ર માણસના કિસ્સામાં જ એવું બન્યું છે કે એક માણસ બીજા માણસને વિચાર માટે મારે છે.

અત્યારની વૈચારિક અસહમતીનો પાયો ગાંધીજીની હત્યામાં છે. ગોડસેએ સરેઆમ કહ્યું હતું કે એને ગાંધીના વિચારો સામે વાંધો હતો. તે વખતે ગોડસે લઘુમતીમાં હતો, અને શ્રીધર આચાર્યુલુ કહે છે તેમ, ત્યારે કોઈને અંદાજ પણ ન હતો કે માત્ર ભિન્ન મતનો આધાર લઈને કોઈ માણસ ગાંધીજીની હત્યા કરી નાખે. આજે આ હકીકત છે, કલ્પના કે અંદાજ નહીં. ભારતીય સમાજ અને લોકશાહીનો પાયો ભિન્ન મતમાં ચણાયો હતો, અને આજે આપણે એક રાષ્ટ્ર તરીકે સંસારમાં જે સાહસ અને ભરોસા સાથે ઊભા રહીએ છીએ એનું કારણ આ સહઅસ્તિત્વ છે.

કોઈ પણ સમાજની મહાનતાનો પુરાવો એની મૌલિકતા અને અનોખાપનમાં છે. મૌલિકતાની ક્ષમતા જ એ સમાજને પ્રચલિત મતથી વિરુદ્ધ હોય તેવી વ્યક્તિને સહન કરવાની તાકાત બક્ષે છે. સોક્રેટીસ, ક્રાઇસ્ટ, બુદ્ધ કે ગાંધીજી નોખા હતા અને પ્રચલિત ચોકઠામાં ફિટ થયા ન હતા. સમાજે એમને સહન કર્યા એમાં એમનું નહીં, સમાજનું જ ભલું થયું હતું. કેચ પણ અહીં છે. સમાજ જેમ જેમ સંપન્ન અને સફળ થતો જાય તેમ તેમ એનું ગર્વ વધતું જાય અને કટ્ટરતા આવતી જાય.

ભારતને આજે ગૌતમ બુદ્ધની મૌલિકતા કે ગાંધીજીના અનોખાપનની જરૂર નથી, અને એટલે જ ભિન્ન મતને સહન કરવાની ક્ષમતા ઓછી થઇ રહી છે. સંપન્ન સમાજની ટ્રેજેડી એ હોય છે કે એનામાં અ-ભય(સિક્યુરિટી)ની જરૂરિયાત વધી જાય છે, અને એ સમાજ નિર્ભય બનવા માટે જાત-ભાતનાં બંધનો, નિષેધ અને મનાઇમાં જીવતો થઈ જાય છે. ગોડસેએ ગાંધીજીની હત્યાના સમર્થનમાં જે બયાન આપ્યું હતું તે આવા જ ડરને કારણે જાહેર કરાયું નથી.

પૂરા સંસારમાં સંવેદનશીલ માહિતીઓ એવા સંશયથી છુપાવવામાં આવે છે કે એને સાર્વજનિક કરવાથી ગલત માણસો એનો ગલત ઉપયોગ કરીને સુરક્ષા સામે ખતરો ઊભો કરશે. કેન્દ્રીય સૂચના આયોગના આયુક્ત શ્રીધર આચાર્યુલુ એવા મતના છે કે ઉચિત ખુલાસાની ઉપસ્થિતિમાં શંકા કે ગોસિપનું નિવારણ થાય. ગાંધીજીની હત્યા કેવા સંજોગોમાં થઈ હતી, અને એની પાછળ કયાં કારણો હતાં, તેને લઇને ઘણી ચર્ચા છે. આ દસ્તાવેજો સાર્વજનિક થવાથી ઘણી બધી બાબતો સ્પષ્ટ થશે, અને એ આવકાર્ય છે.

ઉદાહરણ તરીકે ગોડસેના એક સહકાર્યકર મદનલાલ પાવહાએ એવો દાવો કરેલો છે કે ગાંધીજીની હત્યા માટે 3થી 4 લાખનું ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. તે વખતે ભારતના એક મોટા હિન્દુ વર્ગમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે ગાંધીજી નકામી જીદ કરીને પાકિસ્તાનને ‘ફેવર’ કરી રહ્યા છે, અને ગોડસેએ જે કર્યું એ ‘ફરજ’ના ભાગરૂપે કર્યું હતું. જાણીતા સમાજશાસ્ત્રી આશિષ નંદી એક કિતાબમાં લખે છે કે ગોડસેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં લડાયકતા ઓછી દેખાઇ હતી અને હિન્દુ મહાસભામાં એ ‘રાજકીય પૌરુષત્ત્વ’ વધુ દેખાયું હતું.

ગાંધીજી ઉપર અગાઉ પણ એક હુમલો નિષ્ફળ રહ્યો હતો, અને સરકાર પાસે બાતમી હતી કે ગાંધીજીના જીવને જોખમ છે. ગાંધીજીની હત્યા રોકી શકાઈ હોત? આ અને એવા અનેક સવાલોની સ્પષ્ટતા હત્યા સંબંધી દસ્તાવેજો જાહેર થવાથી થઈ શકશે. નથુરામના ભાઈ ગોપાલ ગોડસે (જેમને પણ જેલ થઈ હતી) ‘ગાંધી વધ ક્યોં’ કિતાબમાં લખે છે કે ધરપકડ પછી (રાજમોહન ગાંધીના પિતા) દેવદાસ ગાંધી નથુરામને મળવા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં નથુરામે એમને કહ્યું હતું, ‘તેં આજે પિતા ગુમાવ્યા છે. મારા કારણે તને દુ:ખ પહોંચ્યું છે. તને અને તારા પરિવારને જે દુ:ખ આવ્યું છે, તેનું મને પણ દુ:ખ છે. મારો વિશ્વાસ કરજે, મેં આ કામ અંગત દુશ્મનીમાં નથી કર્યું, ન તો મને તારા માટે કોઈ દ્વેષ છે કે ન તો ખરાબ ભાવ. મેં આ કામ માત્ર અને માત્ર રાજકીય કારણસર કર્યું છે.’ ગોપાલ ગોડસે પુસ્તકમાં નથુરામના વસિયતનો ઉલ્લેખ કરે છે. જેમાં એણે લખ્યું હતું, ‘સરકાર જો અદાલતમાં મેં આપેલા બયાન પરથી જ્યારે પણ પાબંધી હટાવી લે ત્યારે એને પ્રકાશિત કરવાનો અધિકાર હું તને આપું છું.’

આ બયાન હવે જ્યારે સાર્વજનિક થશે ત્યારે સૌથી વધુ ખુશી કદાચ ગાંધીજીના આત્માને જ થશે કે ગલતફેહમીઓ, ગલત હકીકતો, ગલત દાવાઓ અને પોસ્ટ ટ્રુથના આ દૌરમાં એમની હત્યા લોકતાંત્રિક પારદર્શિતાને વધુ વ્યાપક બનાવવાના કામમાં આવી.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 માર્ચ 2017

Loading

...102030...3,4953,4963,4973,498...3,5103,5203,530...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved