Opinion Magazine
Number of visits: 9560167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંગત વ્યવહાર અને જાહેરજીવન

સુદર્શન આયંગાર|Opinion - Opinion|28 October 2016

સંચારમાધ્યમ દ્વારા જાણીતા થયેલા અને વર્તમાન સમયમાં આમ આદમી પક્ષ (AAP)ના સભ્ય, આશુતોષે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ NDTVની વેબસાઇટ પર પ્રકાશિત કરેલા પત્રમાં આ જ પક્ષની દિલ્હી સ્થિત સરકારના મંત્રી સંદીપ કુમારની, જાતીયતાને લગતી વર્તણૂકનો વીડિયો બનાવી તેને જાહેર કરાતાં, કરાયેલી હકાલપટ્ટી પર પ્રશ્ન ઉઠાવ્યો છે. આશુતોષની મુખ્ય દલીલ છે કે જાહેરજીવનમાં રહેલી વ્યક્તિને પણ અંગત પળોનો અધિકાર હોવો જોઈએ. જો વ્યક્તિનું આ કૃત્ય ગુનાહિત ન હોય અને પરસ્પરસંમતિથી કરવામાં આવ્યું હોય, તો જાહેર સંસ્થા (આ કિસ્સામાં રાજકીય પક્ષ)નું સંચાલન કરતી સત્તા દ્વારા તે સજાપાત્ર ન હોવું જોઈએ. આમ, તેમણે જાહેરજીવન સાથે સંકળાયેલી વ્યક્તિના સ્વાતંત્ર્યને લગતો મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ અંગે પોતાના મતના સમર્થનમાં તેમને ભારતની રાજનીતિની મહાન વ્યક્તિઓ જેમ કે જવાહરલાલ નેહરુ, અટલબિહારી વાજપેયી, રામમનોહર લોહિયા, જ્યૉર્જ ફર્નાન્ડિઝ, તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરી હાર્ટ અને માઓ જે ડોંગ અને વિશેષમાં મહાત્મા ગાંધીના સંદર્ભ રજૂ કર્યા. તેઓ તો એમ કહેવા પ્રેરાયા છે કે જો તે દિવસોમાં આવી વીજાણુ જાસૂસી શક્ય હોત, તો આ મહાનુભાવોની આવી વર્તણૂક પ્રજા સમક્ષ જરૂર જાહેર થઈ હોત! અલબત્ત, તેમના મતે જાહેરજીવન સાથે સંકળાયેલી આ બધી જ વ્યક્તિઓનો વ્યવહાર અંગત હોવાથી તેને ઉચિત ગણાવી શકાય.

આશુતોષનો આ દાવો ગંભીર ચર્ચાને આમંત્રણ આપે છે. માત્ર દોષારોપણ અને આ આક્ષેપના હેતુ અંગેનો સવાલ આ વિવાદનો ઉકેલ ન હોઈ શકે. આ ગંભીર મુદ્દાને ચર્ચામાં લાવીને આશુતોષે બહાદુરીનું કામ કર્યું છે. અહીં મારી દલીલના બે મુદ્દા છે : એક, આશુતોષ સંદીપ કુમારના આ કૃત્યની તુલના મહાત્મા ગાંધી સાથે કરે છે, તે ભૂલભરેલી છે. અન્ય નામ અંગે ચર્ચા કરવાની મારી ઇચ્છા નથી. અલબત્ત, મારી આ રજૂઆતમાં અન્યોનો પણ સમાવેશ થઈ જશે તેમ આશા છે. બીજી મુદ્દો જાહેરજીવન, ખાસ કરીને રાજનીતિમાં નૈતિકતાના સંદર્ભમાં અને વિશેષમાં ગાંધીજીના ફાળા અંગેનો છે.

ગાંધીજીના બ્રહ્મચર્ય અંગેના પ્રયોગ મુમુક્ષુ તરીકે કરાયેલા સત્યના પ્રયોગોનો એક હિસ્સો હતો. તેમની યાત્રા વ્યક્તિગત હતી, પરંતુ જીવન જાહેર હતું. આત્મકથામાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે રાજનીતિના ક્ષેત્રના તેમનાં તમામ સાહસો મોક્ષપ્રાપ્તિના ભાગ રૂપે છે. ૧૯૦૬માં કસ્તૂરબા સાથે મસલત કર્યા બાદ ગાંધીજીએ બ્રહ્મચર્ય વ્રત આદર્યું. શારીરિક સંબંધોનો ત્યાગ બ્રહ્મચર્યનું પ્રથમ પગથિયું છે. મોનિયા (બાળપણ) અને મોહનદાસ તરીકેના દિવસોથી દૃઢનિશ્ચયી સ્વભાવ ધરાવતા ગાંધીજી એક વાર કરેલા નિર્ણયમાંથી પાછા હટે તેવા ન હતા. તેમના પારદર્શક જીવન દરમિયાન પ્રત્યેક ભૂલની કબૂલાત પણ જાહેરમાં કરવાનું તેઓ ક્યારે ય ચૂક્યા નથી. તેમના જીવનમાં લગ્નેતર શારીરિક સંબંધો અંગે ઉલ્લેખ સુધ્ધાં નથી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના અંતરંગ મિત્ર હેન્રી પોલાકનાં પત્ની મિલી પોલાકની નોંધ અનુસાર તેઓ તો એક નિકટની સખી સાથે થઈ શકે તેવી વાત ગાંધીજી સાથે સંપૂર્ણ વિશ્વાસ સાથે કરી શકતાં. ગાંધીજી એક-બે મહિલાની નિકટ હતા, પરંતુ કોઈની પણ સાથે તેમના શારીરિક સંબંધો ન હતા. ગાંધીજીની સ્વયંસ્પષ્ટતા તેમ જ સ્વ-નિયંત્રણ છતાં તેમના નજીકના સાથીદારોએ આનાં જોખમો પ્રત્યે તેમનું ધ્યાન ખેંચતાં ગાંધીજીએ આ સબંધો પર તાત્કાલિક પૂર્ણવિરામ મૂક્યું હતું. દેશના ભાગલાના સમયે પ્રવર્તતા વાતાવરણ પર સ્વયંની આંતરિક શક્તિ પ્રભાવ પાડી શકાશે, તેવી માન્યતા સાથે ગાંધીજીએ પૂર્વ બંગાળમાં બ્રહ્મચર્ય અંગે ક્રાંતિકારી કહી શકાય તેવું પગલું લીધું. અલબત્ત, આ અંગે અનેક વિવાદ પણ સર્જાયા અને તેને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ નહિ, પરંતુ તેના કારણે લોકહૃદયમાંથી ગાંધીજીનું સ્થાન ચળ્યું નહીં, તે પણ  નિર્વિવાદ છે. મોક્ષપ્રાપ્તિ અર્થે એક મુમુક્ષુએ લીધેલાં પ્રામાણિક પગલાં તરીકે જનસાધારણે તેને સ્વીકાર્યું.

આમ, આશુતોષ સંદીપ કુમારના પરસ્પર સંમતિ સાથે થયેલા લગ્નેતર શારીરિક સંબંધને ગાંધીજીના વ્યવહાર સાથે સરખાવીને ભૂલ કરી રહ્યા છે. ગાંધીજીના સ્વ-નિયંત્રણ માટેના પ્રયોગની જેમ સંદીપ કુમારે એવા કોઈ પ્રયાસ કર્યા હોય તેવા આધાર નથી. ગાંધીજીનો વ્યવહાર પણ સવાલ અને ચર્ચાથી પર ન હતો. મહત્ત્વનો મુદ્દો એ છે કે શું જાહેરજીવનમાં રહેલી વ્યક્તિને ખાનગી જીવનમાં સ્વાતંત્ર્યનો અધિકાર ખરો? પ્રશ્નના સમર્થન અને વિરોધને અવકાશ છે. ગાંધીજી જાણતા હતા કે રાજકારણ સાથે સંબંધિત સહુ માટે મોક્ષપ્રાપ્તિ લક્ષ્ય ન હતું. પરિણામે વ્યવહારુ માર્ગ એ હતો કે ખાનગી જીવનમાં સ્વ-નિયંત્રણ ધરાવતી વ્યક્તિ જાહેરજીવનમાં તટસ્થ વ્યવહારમાં ઓછા અવરોધનો સામનો કરશે. ખ્યાતનામ રાજનીતિશાસ્ત્રી લૉઈડ રુડોલ્ફ અને સુઝન હોબર રુડોલ્ફ સ્વ-નિયંત્રણ અને રાજકીય ક્ષમતા અંગે ચર્ચા કરતાં જણાવે છે કે વ્યક્તિના અંગત જીવનનો વ્યવહાર અને રાજ્ય તેમ જ સામાન્ય કલ્યાણની બાબતમાં તેના વ્યવહારની તટસ્થતા વચ્ચે સંબંધ છે. પરંતુ વર્તમાન સમયમાં જાહેરજીવનમાં અંગત નૈતિકતાની પ્રસ્તુતતા ઘટી છે. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના ઉદાહરણ દ્વારા જણાવે છે કે પરસ્ત્રી પર વિશેષ ધ્યાન આપનાર એક સેનેટર, રાષ્ટ્રપ્રમુખ સુધ્ધાની રાજ્યના સુશાસન માટેની ક્ષમતા પર કોઈ પ્રભાવ પડતો નથી (બિલ ક્લિન્ટનના શાસન બાદ ૨૦૦૬માં આ લખાયું હતું). અલબત્ત, તેનો આ વ્યવહાર ખાનગી હોય અને તે કોઈ ઊહાપોહને જન્મ ન આપે. પશ્ચિમી રાજનીતિની વ્યવસ્થા વ્યક્તિના જાહેર વર્તન અંગે આંતરિક નહીં, પરંતુ બાહ્ય તેમ જ નૈતિક નહિ, પરંતુ સંસ્થાકીય નિયંત્રણો પર આધારિત છે.

ભારતના સંદર્ભમાં આ બાબત ધર્મ, જેને ફરજ પણ કહી શકાય તેની સાથે સંકળાયેલી છે. જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિનું ચારિત્ર્ય હંમેશાં સ્વ-નિયંત્રિત હોય તે અનિવાર્ય પૂર્વશરત બની રહે છે. રાજનીતિના ક્ષેત્રે સંસ્થાકીય નિયંત્રણના સ્થાને નૈતિક નિયંત્રણના આ ગહન ભારતીય વિચારમાં ગાંધીજીની દૃઢ માન્યતા હતી. વ્યક્તિનું આંતરિક બળ તેના જાહેરજીવનના જુસ્સામાં વૃદ્ધિ કરનારું હોવું જોઈએ. માત્ર સંસ્થાકીય નિયંત્રણથી નિયંત્રિત વ્યક્તિ દ્વારા સત્તાના દુરુપયોગની શક્યતા વધી જાય છે. આશુતોષે જણાવેલાં નામ ઉપરાંત આ બાબત સહુને લાગુ પડે છે. સ્વ-નિયંત્રણનું પાલન વધુ સંપોષિત તેમ જ અપરિવર્તનીય તેવી ચારિત્ર્યનિર્માણની પ્રક્રિયા છે. એ યાદ રાખવું ઘટે કે જાહેરજીવનમાં રહેલી વ્યક્તિ માટે કશું જ અંગત રહેતું નથી. જો વ્યક્તિએ જાહેરજીવનમાં ઝંપલાવવા અંગે પૂરી ગંભીરતાથી નિર્ણય લીધો હોય, તો તેણે અંગત જીવનમાં સ્વ-નિયંત્રણ કરવું જ રહ્યું; ખાસ કરીને કે જે વર્તનના નૈતિક સૂચિતાર્થ હોય તેમ જ જે બહુજનકલ્યાણ અંગેની બાબતોના ન્યાયી અને ઇષ્ટ વ્યવહારને સ્પર્શનારું હોય.

E-mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 04 – 05

Loading

જનતાને શોષણમુક્ત કરવા વિશેષતંત્રનો ઉપયોગ

જયંત દિવાણ|Gandhiana|28 October 2016

ચંપારણ્યનો ગળીવિરોધી સત્યાગ્રહ ઈ.સ ૧૯૧૭માં થયો હતો. ગાંધીજી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા. તે સમયે તેઓ મહાત્મા તરીકે ઓળખાતા નહોતા. દક્ષિણ આફ્રિકામાં બાવીસ વર્ષના સમયગાળા દરમિયાન તેમણે બૌદ્ધિક આદર્શોને વ્યવહારિક રૂપ આપ્યું હતું. રસ્કિનની પુસ્તિકા વાંચી પોતાની જીવનશૈલી બદલી હતી. ફિનિક્સમાં આશ્રમ સ્થાપી તેમણે ખેડૂતોની જીવનશૈલી અપનાવી હતી. દક્ષિણ આફ્રિકાની લડતોને કારણે કાચું લોખંડ પોલાદમાં ફેરવાઈ ચૂક્યું હતું. વ્યક્તિગત જીવન અને માનવસંબંધો અંગેનું વ્યાપક જીવનદર્શન તેમનામાં વિકસિત થયું હતું. તેમ જ સમાજની અર્થવ્યવસ્થા અને સરકારના કર્તવ્ય અંગે પણ તેમના વિચાર ખૂબ સ્પષ્ટ હતા.

ગાંધીજી ભારત પાછા ફર્યા, ત્યારે ગુરુવર્ય ગોપાળકૃષ્ણ ગોખલેની સલાહ પ્રમાણે તેમણે તુરત સાર્વજનિક જીવનમાં ભાગ લેવાને બદલે માત્ર ભારત જોવાનું નક્કી કર્યું હતું. તેમ છતાં વીરમગામની જકાત રદ કરવી, તેમ જ ગિરમીટપ્રથા બંધ કરવા માટે તેમણે સક્રિય આગેવાની લીધી હતી. તે પ્રશ્નોનો ઉકેલ પણ આણ્યો હતો.

ગાંધીજી ભારત પાછા ફર્યા, ત્યારે શાંતિનિકેતનમાં દીનબંધુ એન્ડ્રુઝે તેમને પૂછ્યું હતું, ‘ભારતમાં સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ તમને લાગે છે? અને લાગતું હોય તો ક્યારે?’ તે અંગે ગાંધીજીનો જવાબ હતો, ‘મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. પાંચ વર્ષ સુધી સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ મને લાગતું નથી.’ માત્ર બે વર્ષમાં જ આ પ્રસંગ આવ્યો અને ભારતીય સ્વાતંત્ર્યની લડત કઈ રીતે લડવી તેનો પાઠ દેશને શીખવી ગયો.

૧૯૧૬માં લખનૌ ખાતેના કૉંગ્રેસ અધિવેશનમાં બ્રજકિશોરબાબુ (જયપ્રકાશ નારાયણના સસરા, પ્રભાવતીના પિતાજી) અને તેમના સહકાર્યકરો આવ્યા હતા. બિહારમાં ગળીના ખેડૂતોના દુઃખનિવારણ તરફ કૉંગ્રેસે ધ્યાન આપવું તે માટે તેમના પ્રયત્ન હતા, એવો ઠરાવ તે અધિવેશનમાં રજૂ કરવા ઇચ્છતા હતા. આ ઠરાવ ગાંધીજીએ રજૂ કરવો એવી તેમની ઇચ્છા હતી. પરંતુ જે બાબત પોતે વાસ્તવમાં જોઈ નથી, તે અંગે ઠરાવ રજૂ કરવા ગાંધીજીએ ના પાડી. માત્ર આ જૂથના સભ્યોના આગ્રહ ખાતર ચંપારણ્યની મુલાકાત લેવાનું તેમણે માન્ય રાખ્યું.

અધિવેશન પૂરું થઈ ગયું. પરંતુ બિહારના નેતા અને તેમના પ્રતિનિધિ પંડિત રાજકુમાર શુક્લ ગાંધીજીની પાછળ પડ્યા. કોલકાતામાં કમિટીની બેઠક માટે આવ્યા હતા, ત્યારે બે દિવસની બોલી પર ગાંધી ચંપારણ્યની મુલાકાતે ગયા અને ત્યાંની ભીષણ પરિસ્થિતિ જોઈ તેમણે ત્યાં જ ખૂંટો ખોદ્યો.

ચંપારણ્ય સાંસ્થાનિકોથી વ્યાપ્ત હતું. બેતિયાનું સંસ્થાન સૌથી મોટું હતું. સાંસ્થાનિકોએ પોતાની જમીન ઇજારાથી આપી હતી. છેંતાલીસ ટકા જમીન પર અંગ્રેજ ઠેકેદારોનો અધિકાર હતો. ચંપારણ્ય જિલ્લાનો લગભગ અડધો હિસ્સો અંગ્રેજ ઠેકેદારો પાસે હતો. ગામોનાં ગામ ઠેકેદારોના તાબામાં હતાં. ઇજારાની રકમ સાંસ્થાનિકોને મળી રહે એટલે પત્યું. ઠેકેદારો પ્રજા સાથે ગમે તેમ વર્તે તો પણ સાંસ્થાનિકોને તેની સાથે લેવા-દેવા નહોતી. ગાંધીજી ચંપારણ્યમાં ગયા, ત્યારે ત્યાં  સિત્તેરથી વધારે કોઠીઓ (ગળીનાં કારખાનાં) હતી. આ કોઠીઓએ ચંપારણ્યની પ્રજાનું જોશ હણી લીધું હતું અને તેમને ગુલામ કરી મૂક્યા હતા. કોઠીઓના શોષણને કારણે પ્રજા ભયભીત હતી. પોલીસયંત્રણા અને કોર્ટ હતી, પણ તે કોઠીવાળાઓને એટલે કે ગળીવાળાઓને ફાયદો કરાવવા માટે જ. જાણે ગળીવાળા સર્પે ચંપારણ્યની પ્રજાને કસીને જકડી રાખી હતી.

ગાંધીજીએ ચંપારણ્યમાં આવતાંની સાથે જ પ્રજાને શોષણમુુક્ત કરવા માટે એક વિશેષ તંત્રની રચના કરી. જેમના માટે પગલું માંડવાનું છે, તેને પહેલાં તેની જાણ કરવી એ સત્યાગ્રહી તરીકે ગાંધીજી પોતાનું કર્તવ્ય માનતા હતા. મુઝફ્ફરપુરમાં આવતાં જ તેમણે બગીચાવાળા સંઘના સેક્રેટરી અને તિરહૂત વિભાગના કમિશનરની મુલાકાત લીધી અને ખેડૂત, જમીનદાર અને ગળીવાળાના સન્માનથી સુલેહ કરવા માટે તે આવ્યા છે, તેમ જણાવ્યું. તેમ છતાં ગળીવાળાઓએ તેમની ઉપસ્થિતિનો અર્થ અંગ્રેજોને દેશમાંથી કાઢી મૂકવા એવો જ કર્યો. કમિશનરે તેમને ચંપારણ્યમાંથી નીકળી જવાની સલાહ આપી.

મુઝફ્ફરપુરમાં બ્રજકિશોરબાબુ વગેરે વકીલો સાથે વાતચીત કર્યા પછી ગાંધીજીના ધ્યાનમાં આવ્યું કે માત્ર ખટલા ચલાવવાથી આ તીનકઠિયા (એક વીઘા જમીનના ત્રીજા ભાગની જમીન પર ગળી રોપવાની રીત) પ્રકાર બંધ થશે નહીં. રૈયત કચડાઈ ગઈ છે. ભયગ્રસ્ત છે. તેને ભયમાંથી મુક્ત કરવી એ જ ખરું ઔષધ છે.

ગાંધીજીએ સહકારીઓ (જે મુખ્યત્વે વકીલ હતા) પાસેથી આશ્વાસન મેળવ્યું કે કારકુની કામ તેમણે કરવાં પડશે અને આપણે ધંધો અનિશ્ચિત સમય સુધી બંધ રાખવો પડશે. તેમ જ બધાં કામો સેવાભાવથી અને વગર પૈસે થવા જોઈએ એમ પણ જણાવ્યું. આ લડતમાં જેલમાં જવાની શક્યતા પણ તેમણે દર્શાવી. પરંતુ સહકારીઓને પંપાળીને જ, ‘જો તેમણે આ જોખમ સ્વીકાર્યું તો તેમને ગમશે’ એમ નમ્રપણે સૂચવ્યું. આ ગાંધીની રીત હતી. જે જેટલું સાથે ચાલે તેટલું તેને ચલાવડાવવું.

ગાંધીને અંદેશો મળી ગયો કે અંગ્રેજો તેમને પકડશે, ત્યારે સરકાર તરફથી જે કાર્યવાહી થાય, તે પ્રજાની સમક્ષ થાય, એ ઉદ્દેશથી તે મુઝફ્ફરપુર છોડી ચંપારણ જિલ્લાના મુખ્ય સ્થળ મોતીહારી પહોંચ્યા. મોતીહારી પહોંચતાં જ પ્રજાની ભીડ ભેગી થઈ ગઈ. જે આવે તે પોતાનું દુઃખ જણાવવા લાગ્યું. ગાંધીજી પર તેની અસર થવા લાગી.

મોતીહારીમાં પહોંચતાં જ બીજા દિવસે ગાંધીને જિલ્લા-મેજિસ્ટ્રેટે નોટિસ આપી. તેમના આવવાથી સાર્વજનિક શાંતિનો ભંગ થશે. ભયંકર તોફાનો ફાટી નીકળશે. તેથી તેમણે જિલ્લામાંથી નીકળી જવું એમ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. ગાંધીએ જિલ્લો છોડીને જવાની ના પાડી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ચળવળ કરવા માટે નહીં, પણ સાચી પરિસ્થિતિની શોધ કરવા માટે તે ત્યાં આવ્યા છે.

સરકારે ગાંધીજીના વિરોધમાં કોર્ટમાં ખટલો (કેસ) દાખલ કર્યો. કોર્ટમાં ઊભા રહ્યા પછી કોર્ટે પૂછ્યું કે તેમનો કોઈ વકીલ છે? ગાંધીએ જવાબ આપ્યો કે, ના. આ સાંભળતાંની સાથે જ ત્યાં એકઠા થયેલા હજારો લોકો ચકિત થઈ ગયા. છતાં પણ લોકોને લાગ્યું કે ગાંધીજી પોતે મોટા બૅરિસ્ટર છે, ત્યારે તે પોતાનો પક્ષ પોતે જ રજૂ કરશે. સરકારી વકીલે સાક્ષી ઊભા કરતાં જ ગાંધીએ કહ્યું કે સાક્ષીની જરૂર નથી. તેમાં નકામો સમયનો બગાડ થાય છે. તેમણે કોર્ટની સામે પોતાનું નિવેદન વાંચી સંભળાવ્યું. જનતામાં રહીને જ જનતાની સેવા કરી શકાય છે. આ તેમનું કર્તવ્ય છે અને તેથી તેમણે કાયદાનો ભંગ કરી શિક્ષા સહન કરવાનું ઠરાવ્યાનું જણાવ્યું. નિવેદન સાંભળતાં જ લોકો સ્તબ્ધ થઈ ગયા. આ પ્રકારનું નિવેદન કદાચ આ પૂર્વે હિંદુસ્થાનના કોઈ પણ બ્રિટિશ કાર્યાલયમાં કોઈએ આપ્યું નહોતું કે કોઈએ સાંભળ્યું નહોતું. મૅજિસ્ટ્રેટ પણ મૂંઝાઈ ગયા. મૅજિસ્ટ્રેટને લાગ્યું હતું કે ખટલો કેટલાક દિવસ ચાલશે. તેમને સમજાયું નહીં કે નિર્ણય જણાવવા સુધી ગાંધીનું શું કરવું. મૅજિસ્ટ્રેટે નિર્ણય ચાર-પાંચ દિવસ સુધી ટાળી દીધો.

સત્યાગ્રહ એટલે જ સવિનય કાનૂનભંગ. ગાંધીજી લખે છે, ‘સરકારી નોટિસોનો હું કાયદેસર વિરોધ કરી શક્યો હોત. તેમ કરવાને બદલે મેં તેમની બધી નોટિસો સ્વીકારી. તેના પરથી અને અમલદારો સાથે પ્રત્યક્ષ સંબંધ થતા દાખવેલા સૌજન્ય પરથી તેમને સમજાઈ ગયું કે, જુઓ, તેમને વિરોધ કરવાનો નહોતો, પણ હુકમનો સવિનય કાયદાભંગ જ કરવાનો હતો. તેના કારણે તેમને એક પ્રકારની નિર્ભયતા પ્રાપ્ત થઈ. પણ તે સાથે તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે  આપણી સત્તા આજથી લુપ્ત થઈ. લોકો પળવાર માટે શિક્ષાનો ભય છોડી પોતાના નવા મિત્રની પ્રેમશક્તિને આધીન થયા.’

કમિશનરે આપેલી આ નોટિસને બિહાર સરકારે ભૂલભરેલું પગલું ગણાવ્યું અને ખટલો પાછો લીધો. સવિનય કાયદાભંગમાં આદર હોવો જોઈએ, સંયમ હોવો જોઈએ, તેમાં ક્યારે ય ઉદ્ધતપણું આવે તે કામનું નહીં. તેમાં દ્વેષ અને ઘૃણાની ભાવના પણ આવવી જોઈએ નહીં. ભારતીય સ્વાતંત્ર્ય લડતની આ ઐતિહાસિક ઘટના હતી. દેશના પહેલા સવિનય કાયદાભંગની એટલે કે સત્યાગ્રહની આ શરૂઆત હતી.

અંગ્રેજ કોઠીવાળા (ગળીના કારખાનેદાર) જબરદસ્તીથી ગળી રોપવા ફરજ પાડતા. ત્યાં તીનકઠિયા પ્રથા પ્રચલિત હતી. એક વીઘા જમીનના ત્રીજા ભાગની જમીન પર ગળી રોપવાની રીત એટલે તીનકઠિયા. ખેતીની ઉપજાઉ જમીન પર ખેડૂતને ગળી રોપવાની ફરજ પાડવામાં આવતી. ખેડૂતો સાથે કોઠીવાળા કરાર કરતા. કરાર પ્રમાણે ઠરાવેલી રકમ ગળી રોપવાના બદલામાં ખેડૂતોને કોઠીવાળા આપતા. જો પાક સારો ન આવે તો પણ તે રકમ ખેડૂતને આપવી જ પડતી, જે કોઠીવાળા આપતા. જમીન ખેડવી, રોપણી કરવી બધું ખેડૂતે જાતે કરવું પડતું. ખેડૂતોની ઇચ્છા વિરુદ્ધ કરાર કરવામાં આવતો. કોઠીવાળાનો આ બધો વ્યવહાર ખેડૂતોનું શોષણ કરી ચૂસી લેનારો હતો. કોઠીના નોકર તેમની પર અત્યાચાર કરતા, મૃત ઢોરોનાં ચામડાં પર વહીવટાનુસાર ચમારનો હક રહેતો. કોઠીવાળાએ તે હક છીનવી લીધો. ખેતરમાંનાં વૃક્ષો પર કોઠીવાળા હક્ક જમાવતા. ઢોરોના ચારણની જમીન ઉપયોગમાં લેવી કે નહીં એ અધિકાર કોઠીવાળાએ પોતાની પાસે રાખવાથી ગામ જ મુશ્કેલીમાં આવતું. જો પ્રજા કોઠીવાળાને નારાજ કરે, તો તેમને એક વાડામાં પૂરી દેવામાં આવતા. ઝાડની સાથે બાંધી દઈ ચાબૂકથી ફટકારવામાં આવતા. તેની સ્ત્રીને નગ્ન કરવામાં આવતી. કેટલાક કોઠીવાળા તો છોકરી પહેલી વખત રજસ્વલા થાય, એટલે રાત્રે છોકરીને કોઠી પર બોલાવી લેતા. અનેક રીતે કોઠીવાળા પ્રજાનું શોષણ કરતા હતા. આ અન્યાયના વિરોધમાં ઉદ્રેક થતા. ૧૯૦૮નો બળવો આવો જ હતો. ખેડૂતોએ ગળી રોપવાનો ઇન્કાર કરી દીધો. કોઠીના સિપાઈઓએ મારામારી કરી. મૅનેજર પર હુમલો કર્યો. બળવાને રોકવા માટે સૈનિક અને પોલીસ તૈનાત કરવામાં આવી. નેતાઓની ધરપકડ કરવામાં આવી. પરિસરમાં યુદ્ધજન્ય પરિસ્થિતિ નિર્માણ થઈ. ત્રણસો કરતાં વધારે લોકોને શિક્ષા કરવામાં આવી. જ્યારે-જ્યારે ઉદ્રેક થયો, ત્યારે-ત્યારે પ્રજા જ મુશ્કેલીમાં મુકાઈ. અંગ્રેજો તરફથી પ્રજાને કચડી નાખવામાં આવી.

ગાંધીજીએ ઠરાવ્યું કે, રાષ્ટ્રીય કૉંગ્રેસના નામે લડતો ચલાવવી નહીં. અખબારવાળા અને આગેવાનોને તેમણે દૂર જ રાખ્યા. (કૉંગ્રેસનું નામ લીધા વિના કૉંગ્રેસે અને કૉંગ્રેસના આગેવાનોએ આ પ્રદેશમાં પ્રવેશ કર્યો.) આ વિષયનું રાજકારણ કરવું નહીં એ તેમણે અગાઉથી જ નક્કી કર્યું હતું. ક્યાં ય રાજકારણ પર ભાષણ ન આપવાની શરત તેમણે પોતાના પર અને કાર્યકરો પર લાદી હતી. પ્રજાનું દુઃખ દૂર કરવા માટે તે ત્યાં આવ્યા હતા, આંદોલન કરવા માટે નહીં. ગાંધી જાણતા જ હતા કે કોઈ પણ આંદોલન કરો, છેવટે તેનું રાજકારણ થાય છે જ.

ગાંધીએ પ્રજાનાં નિવેદનો લખીને લેવાની શરૂઆત કરી. દરરોજ ખેડૂત-કાર્યકરોને લઈને બેસતા. કાર્યકરો નિવેદન લખતા. કાર્યકરો મધ્યમવર્ગીય, ઉચ્ચવર્ણીય હતા. પ્રજા ગરીબ, અજ્ઞાની હતી. ગાંધીની આ કાર્યપદ્ધતિને કારણે બંનેમાં એકરૂપતા આવી. કાર્યકરોમાં ગ્રામીણો માટેનું અંતર દૂર થવામાં મદદ મળી. કાર્યકરો નિવેદનો લખતા. તેના કારણે પ્રજાને પોતાનું દુઃખ સાંભળનારું કોઈક છે, એ તેમની ભાવના તેમનું મનોધૈર્ય ઊંચું લાવવામાં કારણભૂત ઠરી. તેમનું દુઃખ દૂર થઈ કાર્યકરોનું ઘડતર થયું. સ્વરાજ્યનો અર્થ માત્ર ગોરાઓને ભગાડવાનો નહીં પણ લોકોની દશા સુધરશે, ત્યારે જ સ્વરાજ્ય અવતરશે, એ ગાંધીની દૃષ્ટિ તેમનામાં અવતરી.

સશસ્ત્ર બળવા માટે સશસ્ત્ર-શિક્ષણ આવશ્યક હોય છે. તે જ પ્રમાણે સત્યાગ્રહ માટે વિધાયક કાર્યના પ્રશિક્ષણની આવશ્યકતા હોય છે. પ્રજાની ચિરંતન ઉન્નતિ માટે ઉપાય શોધવો એ મહત્ત્વનું હતું. આ માટે ગાંધીજીએ ચંપારણ્યમાં ત્રણ આશ્રમશાળા ખોલી. આ માત્ર શાળા નહોતી, લોકોના એકઠા થવાનું સ્થાન હતું. ભયગ્રસ્ત જનતામાં જઈને બેસવું એ જ એક મોટું કામ હતું. શાળા ડર, અજ્ઞાન અને નકારાત્મકતાનું ઉચ્ચાટણ કરવાનું માધ્યમ હતી.

સ્વયંસેવકોને ગાંધીજીની તાકીદ હતી કે બગીચાવાળા વિરુદ્ધ ફરિયાદ આવે તો તેમાં પડવું નહીં. રાજકારણને સ્પર્શ પણ કરવો નહીં. કોઈની પણ ફરિયાદ આવે તો તેને ગાંધી પાસે મોકલી દેવા. શાળામાં ઔષધો અને ફળો એટલું જ રહેતું. સફાઈનું કામ મુશ્કેલ હતું. કૂવાની આસપાસનો કીચડ ઉપાડવાનું અભિયાન પણ શાળાએ ઉપાડ્યું હતું. પ્રૌઢોને સાક્ષર કરવા માટે રાત્રિશાળા શરૂ કરવામાં આવી હતી. કેટલાકને નવડાવીને સ્વચ્છ રહેવાના પાઠ શીખવવામાં આવતા. કોઠીવાળાને આશ્રમોની ધાક હતી. તેમનાં આડાઅવળાં વર્તનોની ફરિયાદો આશ્રમમાં આવે, તો તેેનો પણ જવાબ આપવામાં આવતો. આશ્રમ એ ગામની પ્રતિષ્ઠા હતી તેમ જ કોઠીવાળા અને પ્રજા વચ્ચેની સાંકળ હતી.

વિરોધીઓની બાબતમાં સૌજન્ય, તેમનું દૃષ્ટિબિંદુ સમજી લેવાની આતુરતા, વિરોધીઓમાં જે કંઈ સર્વોત્કૃષ્ટ છે, તે શોધીને તેને આપનાવવું તેમાં જ સાધુત્વ છે. સત્યાગ્રહનું તે અંગ છે. ગાંધીજીએ આશ્રમનાં કામ અંગે જિલ્લાધિકારીઓને માહિતી લખીને જણાવી અને કર્મચારીઓનો સહકાર પણ માગ્યો. તેમ જ કોઠીવાળા અંગ્રેજોને પણ આ કાર્યમાં મદદ કરવાનું આવાહન કર્યું. સત્યાગ્રહીને વિરોધીઓ પર વિશ્વાસ મૂકતાં ક્યારે ય ડર લાગતો નથી. ગાંધીજીની આ કાર્યશૈલીની પ્રજા પર અસર ન થાય તો જ નવાઈ! ગાંધીની ઉપસ્થિતિને કારણે લોકોનું મનોધૈર્ય વધ્યું, ભય ઓછો થયો. લોકોને સામર્થ્યની જાણ થવા લાગી. ખેડૂતો જમીન-મહેસૂલ ભર્યાની પાવતી કોઠીવાળા પાસે માગવા લાગ્યા. ઢોરોને ગેરકાયદેસર ડબ્બામાં પૂરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

સત્યાગ્રહ એ જેમ અન્યાય-નિવારણની લડત છે, તેમ જ તે આત્મશુદ્ધિની પણ લડત છે. આ માટે બાહ્ય આચરણ કેવું હોવું જોઈએ, તેનો પાઠ ગાંધીજીએ કાર્યકરોને શીખવ્યો. બીજાના હાથનું ક્યારે ય ન જમનારા રાજેન્દ્રબાબુ સામૂહિક રસોડામાં જમવા લાગ્યા. પોતાનાં કપડાં પોતે ધોવા લાગ્યા. પોતાનાં એંઠાં વાસણો જાતે ઘસવા લાગ્યા. ત્રીજા વર્ગમાં પ્રવાસ કરવાનું તેમને અપમાનજનક લાગ્યુ નહીં. ગાંધીજીની સાદગી તેમને લોકોની નજીક લઈ જવામાં કારણભૂત ઠરી.

ગાંધીજી ગામડાંની મુલાકાતો લેતા હતા. નિવેદનો લખી લેતા હતા. તે જ પ્રમાણે પ્રજાને થનારા અન્યાય અંગે કોઠીના મૅનેજરોને જવાબ પણ પૂછતા હતા. ગળીવાળાઓએ ગાંધીના પાછા પાડવા માટે અને તેમનું કાર્ય નિષ્ફળ કરવામાં કોઈ કસર છોડી નહોતી.

યુરોપિયન ડિફેન્સ ઍસોસિયેશને ઠરાવ મંજૂર કર્યો. આ ઠરાવ પ્રમાણે સરકારને ચંપારણ્યમાં શાંતિ જોઈતી હશે, તો તેમણે ગાંધીજી અને તેમના સહકાર્યકરોને તાત્કાલિક ચંપારણમાંથી કાઢી મૂકવા, એવો તેમનો આગ્રહ હતો. આ બધાને પરિણામે બિહાર સરકારે ગાંધી સાથે વાતચીત કરી અને છેવટે એક તપાસસમિતિની નિમણૂક કરી. બિહાર સરકારે આગ્રહપૂર્વક ગાંધીને આ સમિતિના સભ્ય થવાની ફરજ પાડી અને તે માટે ગાંધીની શરતો પણ માન્ય રાખી. સત્યાગ્રહનો આ વિજય જ હતો.

સમિતિએ તીનકઠિયા પદ્ધતિ રદ કરવાનું સૂચન સરકારને કર્યું. અન્ય નાની-મોટી અન્યાયકારક બાબતો અંગે ગાંધીએ હઠ કરી નહીં. તીનકઠિયા પદ્ધતિ જશે, તેની સાથે જ અન્ય બાબતો પણ આપોઆપ જશે અને કોઠીવાળાઓને ચંપારણ્યમાં રહેવાની મુશ્કેલી પડશે, એવી ગાંધીની ધારણા હતી. છેવટે ગાંધીની રણનીતિ અને પ્રજાની એકજૂથતાના પરિણામસ્વરૂપ સરકારે ચંપારણ્ય ખેતીકાયદો મંજૂર કર્યો.

નવો કાયદો થતાં જ ગળીવાળા પોતાની જમીન, કોઠી અને ઢોર-ઢાંખર વેચીને નીકળી ગયા. ગાંધીજીના જવાથી તેમનો દબદબો ઘટ્યો હતો. માત્ર સામાન્ય જમીનદારના રૂપે જ તે ત્યાં રહી શકવાના હતા. તેમાં તેમનું ગાડું ચાલવાનું નહોતું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. વસ્તુની કિંમતો વધી હતી. તેણે તેનું હતું-નહતું તે બધું વેચી નાખ્યું. પૈસા સારા મળવાથી ગળીવાળાને પણ નુકસાન થયું નહીં અને પ્રજાને પણ મુક્તિનો આનંદ મળ્યો.

આચાર્ય કૃપાલાની લખે છે, ‘આ આંદોલન શુદ્ધ રૂપે આર્થિક હતું. પરંતુ ગાંધીજીએ ક્યારે ય અર્થકારણને રાજકીય અને સામાજિક સુધારણાથી વેગળું કર્યું નહીં. ચંપારણ્ય અને સામાન્યતઃ બિહારની જનતાની આત્મસન્માનની ઉપલબ્ધિ રાજકીય મૂલ્યો કરતાં મહાન હતી.’ સ્વાતંત્ર્ય- લડતનો આ અહિંસાત્મક શુભારંભ હતો.

E-mail : sampurna.kranti1975@gmail.com

[અનુવાદ : કાશ્યપી મહા]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 05 – 07

Loading

‘મારે નહોતું ભણવું’

યોગેન્દ્ર પારેખ, યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|28 October 2016

તાજેતરમાં એક જ દિવસે બે ઘટના પ્રકાશમાં આવી. વિદ્યાજગત સાથે સંલગ્ન આ સમાચારમાં એક ઘટના અત્યંત આઘાતજનક છે પણ શોકપ્રૂફ જગતમાં તેનો આઘાત ક્યાં ય વરતાતો નથી અને એક ઘટના ઉમળકાપૂર્વક આવકારદાયક છે, જેની મોટા ભાગના લોકોને ખબર નથી. વિદ્યાજગતમાંથી અભ્યાસપૂર્ણ ઉમળકો અને વિચારમૂલક આઘાતની બાદબાકી આપણા સમયની સ્થિતિજડતાનો વરવો હિસાબ આપે છે. આ દિવસોમાં આધ્યાત્મિક પ્રવચનો આપવાની તીવ્ર તાલાવેલીમાં સાંપ્રતને વિશે ગુનાહિત બેહોશી આપણા સભ્યસમાજમાં અગ્રસ્થાને છે.

આઘાતજનક ઘટનાની વાત કરીએ તો મૂળ કેશોદના અગિયાર સાયન્સમાં રાજકોટ હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી ચિરંતનેે ‘મારે નહોતું ભણવું એટલે ગૂડબાય’ એમ દીવાલ પર લખીને જીવન ટૂંકાવ્યું. ભારવગરના ભણતર વિશે કેળવણીકારો લખીલખીને થાક્યા પણ આપણને હજી દીવાલે લખેલું સત્ય વંચાતું નથી. આવો કપરો નિર્ણય લેનાર વિદ્યાર્થી પાસે જીવનમાં ભણતર સિવાયનો કોઈ વિકલ્પ જ નહીં બચ્યો હોય એવી સમાજવ્યવસ્થા અને તનાવનો કેવો તો ઘેરાવો તેણે અનુભવ્યો હશે! પોતે નહીં ભણે, તો આભ તૂટી પડશે એવી ગેરસમજનું વાવેતર કેટલી વરવી વાસ્તવિકતા બનીને સામે આવ્યું?!

ફરીફરી એ પ્રશ્ન થાય છે કે આપણે શું ભણાવીએ છીએ, કોને ભણાવીએ છીએ, કોણ ભણાવે છે, આ ભણતરનો હેતુ શો? આ પ્રશ્નો કોઈને થતા જ નથી. તેથી ભણવા-ભણાવવાનો કારોબાર ધમધમે છે. બાળકો રહેંસાય છે. રમવાની ઉંમરે ભણવાનું આવે છે અને ભણવાની ઉંમરે રમવાનું – આ વિષમતાના સર્જકો આપણે છીએ. આ વિષમતાથી સંતાનોને ઉગારી શકે તેવાં મા-બાપ કેટલાં? આંગળીના વેઢે ગણી શકાય એટલાના સંપર્કમાં આ લખનાર છે. એની વાત કરીએ એ પહેલાં આપણે આવકારદાયક ઘટનાની વાત કરીએ.

નવી દિલ્હીમાં રહેતાં સુપ્રિયા જોશી નામનાં ગૃહિણીએ વિચાર્યું કે પોતાની દીકરી તનાવ જન્માવે તેવા બોજારૂપ શિક્ષણથી દૂર રહેવી જોઈએ. સાતમા ધોરણ પછી દીકરી માલવિકાને શાળા છોડાવી દીધી. આ નિર્ણય પાછળ પતિનો વિરોધ હતો પણ મમ્મી મક્કમ હતાં. શાળા છોડી દીધા બાદ દીકરી સામે જીવતરનું આકાશ ખૂલી ગયું. ઘરમાં ભણવાયોગ્ય વાતાવરણ ઊભું કર્યું. પોતાની નિરાંત અને મસ્તીમાં માલવિકાનો ઉછેર થયો. મુક્ત ગગનના મસ્ત પંખીને ઊડવાનું મળ્યું. દીકરીએ દસમા-બારમાની પરીક્ષા પણ નથી આપી. સત્તર વર્ષની આ દીકરી ત્રણ વખત પ્રોગ્રામિંગ ઑલિમ્પિયાડમાં મૅડલવિજેતા છે. આપણી પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી.એ તેને ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ ન આપ્યો, કારણ કે તેણે ૧૦ + ૦૨ની પદ્ધતિ મુજબ સરકારી શિક્ષણ નહોતું મેળવ્યું, પણ જ્યાં અસરકારક શિક્ષણનો મહિમા છે, તેવી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક એવી મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં તેને ઍડ્મિશન મળી ગયું છે. આપણે કાગળિયાનો મહિમા કર્યો, જ્યારે એમ.આઈ.ટી.એ કેળવણીનો. આવી હોનહાર પ્રતિભા ધરાવતી યુવતીને સ્વદેશમાં પ્રવેશ મળતો નથી અને વિશ્વ આવકારે છે. કોહીનૂર હીરો પાછો મેળવવા માથા પછાડતી રાજનીતિને એવું ભાન ક્યારે પડશે કે માલવિકા જોશી જેવી કેટલીયે મૂલ્યવાન પ્રતિભાઓ વિદેશમાં પગ કરી જાય છે?! ખીલવાનો અવસર મળે તે પહેલાં ઘરની દિવાલ પર રક્તરંજિત અક્ષરે કરમાઈ જતી યુવાપેઢી વિશે આપણે કેટલા બેપરવાહ છીએ.

માલવિકાનાં મમ્મી સુપ્રિયા જોશીએ દીકરીને નિશાળ છોડાવી હતી અને દીકરી માટે થઈ પોતે નોકરી છોડી હતી. નિશાળ છોડી દેવાથી બધાં બાળકોને માલવિકા જેવી સફળતા નથી મળતી અને નિશાળે જનાર બધાં બાળકો ચિરંતનની જેમ આપઘાત કરતાં નથી પણ શિક્ષણ આ બંને અંતિમોની વચ્ચે છે. દીકરી હેલીને નિશાળ નામની ઘટનાથી દૂર રાખવાની સીધી સરવાણીના અનુભવાર્થી તરીકે લખનારને ઊંડા પરિતોષની લાગણી છે.

અમદાવાદમાં જાણીતા વાર્તાકાર, અધ્યાપક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની બન્ને દીકરીઓ પંખી અને પરી તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઑપરેશન રિસર્ચ અને મૅનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવતા ડૉ. રવિ ગોરનો દીકરો મંદાર પણ શાળા છોડીને ઘરે જ ભણે છે. વ્યક્તિત્વવિકાસની માનવતાપૂર્ણ સૌરભથી પંખી, પરી, હેલી અને મંદાર જેવાં બાળકો સુવાસિત છે, તેના રોજબરોજના સાક્ષી તરીકે કેળવણીના અર્થનું નવનીત આપને પીરસ્યું છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 14

Loading

...102030...3,4943,4953,4963,497...3,5003,5103,520...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved