Opinion Magazine
Number of visits: 9767886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંતિ

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|5 April 2017

વિજયકુમારને આટલાં વર્ષો બાદ હજી પણ  એક જ વિચાર કોરી ખાતો હતો કે …..

"ગામમાં બા બાપુજીનું નાક મારા મોનિટર બનવાથી કઈ રીતે કપાયું હતું કે મને તે દિવસે ઘરે એટલું બધું વઢયાં હતાં? ઘરમાંથી ચાલવા માંડ … એમ કહ્યું ત્યારે તો આમલીના ઝાડ ઉપર ચડીને જોરથી નીચે ભુસ્કો મારીને જાતે જ ખતમ થઇ જવાના ઇરાદે હું  ઘરની બહાર તરત નીકળી પણ ગયો હતો. પણ … તેવામાં જ ત્યાં બાજુમાં રહેતી શાંતિ આવી ચઢી. મારી સાથે એ કેટલી વાર સુધી વાતો કરતી જ રહી, મને સમજાવતી જ રહી. શાંતિએ મને તે દિવસે જો સંભાળી જ ન લીધો હોત તો …… !"

ગોરખપુર ગામ ભણી મોટરકાર આગળ ધપતી હતી. વિજયકુમાર ચાલીસ વર્ષ પહેલાંના એના  શાળાજીવનમાં ખોવાયા.

એમની  શાળાના કર્મચારીઓમાં મુખ્ય શિક્ષક ભીખુભાઇ ઉપરાંત બીજા અગિયાર શિક્ષકો અને  કારકુન દેસાઈસર હતા. સફાઈ કામદાર શાંતિ સવારે ચાર બેડાં પાણી ભરતી કરતી, શાળાના બાગની માવજત કરતી અને વિદ્યાર્થીઓની છુટ્ટી થયા બાદ શાળાના બધા જ ઓરડાઓમાંથી કચરો વાળતી. શાળાના ચોગાનમાં પડેલો કચરો રોજ સવારની સમૂહપ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો 'સામૂહિક ઉદ્યમ' વિષય અંતર્ગત સાફ કરતા કરાવતા. બહાર ઓટલા ઉપર સવારે શાંતિ એક ઘંટ લટકાવતી અને સાંજે તેને ઉતારીને પાછો ભીખુભાઇની ઓફિસમાં મૂકી પણ જતી. એની સામેના જ વર્ગની ભીંતે એક ઘડિયાળ લટકતી હતી તેમાં સમય જોઇ તે વર્ગના વિદ્યાર્થીઓ જ ઘંટ વગાડીને પીરિયડ પૂરો થયાની, રીસેસ પડ્યાની કે શાળાસમય શરૂ તેમ જ પૂરો થયો હોવાની જાણ શાળાના તમામ વર્ગને કરતા. તે ઉપરાંત દર સોમવારે બેન્ચ ઉપર ઊભા રહી ચાવી આપી ઘડિયાળને ચાલુ રાખવાનું કામ પણ વિદ્યાર્થીઓ જ સંભાળતા. સામૂહિક ઉદ્યમ દ્વારા સહજીવનનું ઉત્તમ ઉદાહરણ જે.ડી. ચેરિટી સ્કૂલમાં જોવા, શીખવા મળતું.

આ વર્ષના વર્ગમાં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓનો કાફલો હતો જે જોતાં આ વર્ષનું બોર્ડનું જે.ડી.નું પરિણામ અત્યાર સુધીનાં વર્ષોને મુકાબલે અતિ સુંદર આવવાની ભવિષ્યવાણી તમામ શિક્ષકોએ કરી દીધી હતી. દરેકની મહેનત પણ રંગ લાવી રહી હતી. વિજય, નરોત્તમ, ધીરજ, વિનોદ, મંદા, વિમલા, રશીદા, નવીન જેવાં તમામ પ્રથમ શ્રેણીનાં દાવેદાર હતાં. વિજય તો બોર્ડમાં પણ નામ લાવશે જ એવી વકી તમામ શિક્ષકોએ કરી હતી. અને એની અભ્યાસ ક્ષેત્રે આવી હરણફાળ આગેકૂચ જોઈને જ તો એને વર્ગ મોનિટર પણ બનાવ્યો હતોને? પરંતુ તેવામાં જ….. ગામની એક માત્ર હાઈસ્કૂલના ઇતિહાસમાં એક અસાધારણ બનાવ  બની ગયો.

દિવસનો છેલ્લો પીરિયડ તે દિવસે હતો.

'તબિયત સારી ન હોવાને કારણે આજે  ટીચર  આવ્યા નથી, તો આપણે ગઈકાલે ચલાવેલા પાઠનું વારાફરતી વાંચન કરીએ, ચાલો' વિજય મોનિટરે વર્ગમાં શિક્ષકનું સ્થાન લીધું. વળતો જ વર્ગમાં શોરબકોર ચાલુ થયો.

'હસુ, તું ઊભો થા, પાઠ શરૂ કર,' વિજયે કહ્યું.

'આને ઊભો કરને, મને કહે છે તે', હસુ.

'એના કરતાં ચાલો, કોઈ રમત રમીએ' બીજો બોલ્યો.

'ગાયનની અંતાક્ષરી રમીએ?' ત્રીજો બોલ્યો.

' નવીન, તું પાઠ વાંચ, તમે બધા શાંતિ રાખો, અવાજ ના કરો,' વિજયે બધાને શાંત રહેવા કહ્યું.

‘પણ … એ તો છેક સાંજે આવશેને?'

‘કોણ ….?' એક બોલ્યો.

'શાંતિ, બીજું કોણ?' હસુએ મજાક કરી અને આખો વર્ગ હસી ઊઠ્યો. શોર વધ્યો.

'બધા ચૂપ થઇ જાવને ..' વિજયનો અવાજ ઘોંઘાટમાં દબાયો.

'બેસને ચાપલા.' એક બોલ્યો.

'વિજય ….. વિજય ….. વિજય ….'  બે ત્રણ વિદ્યાર્થીઓ ઘોંઘાટ વધારતા હતા.

'તમારે શું જોઈએ છે?' ઊભા થઈને 'વિજય, વિજય' કરતા નગીન, શાંતિલાલ અને બલ્લુને વિજયે પૂછ્યું.

'એકી લાગી છે' બધા કોરસમાં બોલ્યા. અને આખો વર્ગ ફરી હસી ઊઠ્યો. છોકરીઓ પણ હસવું ન જ ખાળી શકી. શરમમાં નીચું જોઈ ગઈ.

'વારાફરતી જવાનું છે, બધાએ સાથે નથી જવાનું. નગીન, તું પહેલા જા'. વિજયે કહ્યું. પરંતુ એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને 'જલદી આવીએ, બસ' કહીને ત્રણે જણા એક સાથે જ બહાર ભાગી ગયા. વિજયની ધીરજ હવે ખૂટતી હતી. એનું કહ્યું કોઈ જ માનતું ન હતું.

'સારું જાવ, મારે …. શું ….' કંટાળેલ વિજય બોલ્યો.

'ભારતનું બંધારણ આઝાદી પછી ડોક્ટર ભીમરાવ આંબેડકરે બનાવ્યું ……' નવીને શોરબકોરમાં પાઠ વાંચવો ચાલુ કર્યો.

પણ પાઠમાં કોઈનું જ ધ્યાન ન હતું. બધાની નજર વર્ગની બહાર હતી.

'વિજય, આ બધાને ચૂપ કર ને …' પાઠ વાંચતા નવીન પણ કંટાળ્યો.

'બધા એકદમ ચૂપ થઇ જાવ તો ….. ને … ચોપડી ખોલો, પાઠમાં ધ્યાન આપો' વિજય બોલતો રહ્યો અને વર્ગમાં શોર વધતો જ રહ્યો.

બહાર નીકળીને નગીન, બલ્લુ અને શાંતિલાલે મસલત કરી લીધી. શાળા છૂટવાને હજી ખાસ્સા અડધા કલાકની વાર હતી.

જમણી તરફના અન્ય વર્ગો તરફ ધીમે પગલે શાંતિલાલ વળ્યો અને દીવાલ પાછળથી ડોકું કાઢી કોરીડોરમાં નજર કરી. કોરિડોરમાં કોઈ હતું નહીં. અંગૂઠો ઊંચો કરીને એણે બલ્લુને ઈશારો કર્યો.  ચોરપગલે નગીન ડાબી તરફના બીજા વર્ગોની  દીવાલ તરફ લપાયો. ત્યાં કોરીડોરમાં બે વિદ્યાર્થી પગના અંગૂઠા પકડી વાંકા વળી ધમાલ કરવાની સજા ભોગવતા હતા. એ સિવાય બીજું કોઈ જ ત્યાં ન હતું. નગીને બલ્લુને બંને હાથના અંગૂઠા બતાવી રસ્તો સાફ હોવાનું ઈશારે જણાવ્યું એટલે તરત જ બલ્લુએ ઘંટ વગાડ્યો ટન ટન ટન ટન ટન ટન …….

ઘંટ સાંભળતાં જ તમામ વર્ગો ચપોચપ ખાલી થઇ ગયા ! શિક્ષકો અવાચક થઇ ગયા … !!! વિજયના તો મોતિયા જ એકદમ મરી ગયા !!! એના માથે તો માનો સાત આસમાન એકસામટા આવી પડ્યા !!!

'કોણે ઘંટ વગાડ્યો …?' દફતર લઈને દોડી જતા એકને એક વર્ગશિક્ષકે પૂછ્યું.

'વિજયે વગડાવ્યો ….' કહેતા બલ્લુને બીજા વિદ્યાર્થીઓ સાથે શાળાની બહાર દોડી જતો ભીખુસરે પણ જોયો, સાંભળ્યો.

ભીખુભાઇ સહિત તમામ શિક્ષકો ઘડિયાળવાળા વર્ગમાં દોડી આવ્યા. એ ઘડિયાળમાં તો હજી ચાર જ વાગ્યા હતા ! ઘંટ અડધા કલાક પહેલા જ વાગી ગયો?

એક સાથે બધા ટીચરોને ત્યાં આવેલા જોઈને વિજય ગભરાઈ જ ગયો. એ રડવા જ માંડયો, 'મેં કશું નથી કર્યું ….' એ રડતા રડતા કહેતો હતો. ટીચરો એકબીજાંની સામે આશ્ચર્યથી જોતાં હતાં. શાંતિ પણ ત્યાં દોડી આવી.

શિક્ષકોમાં અંદરોઅંદર વાતો થવા માંડી.  ભીખુમાસ્તર વિજય પાસે આવ્યા, એના બરડે હાથ મુક્યો. પાણી લઇ આવવા એમણે શાંતિને ઈશારો કર્યો.

વિજય હજી હીબકે હતો. 'હવે મને કોઈ ભણાવશે નહીં, મારુ  ભણવાનું પૂરું થયું. શાળામાંથી મને કાઢી મુકશે, બા બાપુજી પણ સજા કરશે, બધા વિદ્યાર્થીઓ મને ચીડવશે …. મારું ભવિષ્ય જ ખલાસ ……' એવા એવા વિચારઅશ્વો વિજયના મનમાં જેમ જેમ દોડતા હતા તેમ તેમ એ વધુ હીબકા ભરતો હતો,  'મેં કશું નથી કર્યું ….' 'મેં કશું નથી કર્યું ….'

શાંતિએ વિજયને પાણી આપ્યું,  બેસાડ્યો. ભીખુભાઈએ બધાને બહાર જવા ઈશારો કર્યો. વર્ગમાં પોતાની સાથે ફક્ત મોટા સાહેબ જ હતા, બીજા કોઈ સર ત્યાં ન હતા ત્યારે હિંમત ભેગી કરીને વિજયે બધી વાત રડતા રડતા મોટા સાહેબને કરી જ દીધી. ભીખુભાઈએ જરાપણ રોક્યા વગર એને બોલવા જ દીધો. નગીનને એકલાને એકી માટે જવાની રજા આપી હતી તે છતાં એને ન ગણકારીને બલ્લુ અને શાંતિલાલ પણ એની સાથે જ બહાર ગયા હોવાની વાત એણે મોટા સાહેબને કરી જ દીધી, પછી ઉમેર્યું, 'મેં એમને ઘંટ વગાડવાનું કહ્યું ન હતું, સાહેબ, હું સાચું કહું છું.' એટલું કહેતાં તો એને ફરી ડૂમો ભરાયો. ભીખુભાઈએ એના ખભે હાથ ફેરવતા કહ્યું, 'ગભરાઈશ નહીં, હું છું, જા હવે ઘરે જા.'

'વિજયને કશું પૂછશો કે કહેશો નહીં. એની સાથે રાબેતા મુજબનો સ્નેહ વ્યવહાર જ કરજો.' ભીખુસાહેબે વિજયના માતાપિતા ત્રિભુવનદાસ અને આનંદીબહેનને એવો સંદેશો મોકલી દીધો.

'એક વાત કહું, સાહેબ? ઘંટ વગાડતા મેં બલ્લુને જોયો હતો.' શાંતિએ મોટાસાહેબને કહી જ દીધું.

‘હં …' કહી ભીખુસાહેબે ઓફિસ તરફ પગ વાળ્યા.

બધા વર્ગની સફાઈ થઇ ગયા બાદ ચાવી ભીખુસાહેબને સોંપીને શાંતિ શાળામાંથી ઘરે જવા નીકળી કે તરત જ આજના બનાવની ચર્ચા કરવા શાળામાં  શિક્ષકોની સભા મળી.

ભીખુસાહેબનો સંદેશો લઈને સાઇકલ પર નીકળેલા દેસાઈસરને ત્રિભોવનદાસ શાળાની બહાર જ મળી ગયા. એમને બનેલી વાતોથી વાકેફ કરી દેસાઈસરે ભીખુસાહેબનો સંદેશો જણાવ્યો. આ બનાવની વાત સાંભળીને ત્રિભોવનદાસની તો નસો જ ફૂલી ગઈ. 'આવવા દે એને ઘરે આજે …' એ મનમાં બબડ્યા અને બધાં કામ છોડીને મક્કમ પગલે એ તરત ઘર તરફ જ વળ્યા.

એક જવાબદાર મુખ્ય શિક્ષક તરીકે ભીખુસરે શાળામાં શિક્ષકો સાથે મસલત કરીને આજના બનાવ સંબંધી વધુ સૂક્ષ્મ તપાસચક્રો પણ ગતિમાન કરી દીધા.

અંધારું થવા આવ્યું હતું. ચોગાનમાં છોકરાઓના રમવાના અવાજ આવતા હતા. રોટલા ટીપીને શાંતિ ઝૂંપડીની બહાર નીકળી. હાથ ધોયા. ચોગાનની વચોવચ આમલીનું એક તોતિંગ ઝાડ હતું. એ ઝાડ તળે એકલા બેઠેલા સૂનમૂન વિજયને શાંતિએ દૂરથી ઓળખી લીધો. તરત જ વિજય પાસે જઈને એ બેઠી.

* * *

બીજે દિવસે સવારે ઘંટ વાગ્યો અને શાળામાં સર્વધર્મપ્રાર્થના શરૂ થઇ … 'ઇતની શક્તિ હમેં દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના …'.

પ્રાર્થના પૂરી થતાં જ ભીખુસર આગળ આવ્યા અને વિજયના પેટમાં ફાળ પડી, 'માર્યા ઠાર.'

બલ્લુ, શાંતિલાલ અને નગીને એકબીજા સામે ત્રાંસી આંખે જોયું.

'કેટલી સુંદર સવાર છે, આજે નહીં?' ભીખુસરે બોલવાની શરૂઆત કરી.

વિદ્યાર્થીઓનો પ્રત્યુત્તર ન મળતાં ભીખુસરે આગળ ચલાવ્યું, 'ખેર, મને તો આ સવાર ખૂબ સુંદર લાગે છે અને હું આ સુંદર સવારને એક આનંદમય દિવસ બનાવવા માગું છું. મને સાથ આપશો તમે સહુ?' ભીખુસરે વિદ્યાર્થીઓને બીજો સવાલ કર્યો.

'હા સર' થોડા જવાબો આવ્યા.

'સુંદર સવાર પછી આખા દિવસને આનંદમય કેવી રીતે કરાય એ કોઈને ખબર છે?' વળી ત્રીજો સવાલ વિદ્યાર્થીઓને થયો.

'ના સર' થોડા અવાજો આવ્યા.

બલ્લુ, શાંતિલાલ, નગીન, વિજય કે ગઈકાલના બનાવના તમામ સાક્ષી વિદ્યાર્થીઓ ભીખુસરની વાતો ભેદી લાગતી હતી.  મોટી વીજળી ત્રાટકવાની છે એ આશંકાએ વિજયની છાતીના ધબકારા ખૂબ વધી ગયા. બલ્લુ, શાંતિલાલ અને નગીનના શ્વાસો પણ કોઈ અજ્ઞાત ભયથી જાણે થંભી જ ગયા. કશું સમજાતું ન હતું.

'મૂળ વાત ઉપર જ આવું.' ભીખુસરે વાત આગળ ધપાવી. વિદ્યાર્થીઓ ભીખુસરને ધ્યાનથી સાંભળતા હતા.

'ગઈ કાલે સવાર આપણા સહુને માટે એક ખૂબ સુંદર સવાર ઊગી હતી પરંતુ ત્યારબાદ જે બનાવ બન્યો એ માટે જવાબદાર કોણ ? સુધાટીચરની બીમારી? સુધાટીચર પોતે? વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરનાર વિજય? ભીંત પર લટકતી પેલી ઘડિયાળ? ઘંટ વગાડનાર? એને સાથ દેનાર કે પછી ઘંટ સાંભળીને દફ્તર ઉપાડી ઘરે દોડી જતા વિદ્યાર્થીઓને ન રોકનાર શિક્ષકો?'

એટલું કહી ભીખુસર થોડું રોકાયા. વિદ્યાર્થીઓ સામે જોયું.

ભીખુસરના સવાલોને એક પણ વિદ્યાર્થીનો જવાબ મળ્યો નહીં એટલે ભીખુસરે એમની વાત આગળ ચલાવી, 'સુધાટીચરની બીમારી યોગાનુયોગ છે, એક અવસ્થા છે, જે એમનો વાંક નથી, વિજય એક વિદ્યાર્થી છે, અનુભવી શિક્ષક નથી, શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં વ્યવસ્થા જાળવવાની મહત્ત્વની જવાબદારી નિભાવવા એણે તો સખ્ત પ્રયાસ કર્યો એટલે એ તો અભિનંદનનો પૂરો અધિકારી ગણાય, એટલે દિવસને અસુંદર બનાવવાનું કામ એનું પણ નથી જ, ઘંટ વગાડનાર કે એને સાથ આપનારે પણ દરેક વિદ્યાર્થીનો દિવસ વધુ સુંદર બને તે કાજે જ પ્રયાસ કર્યો હતો એટલે એમને પણ દોષ ન જ દઈ શકાય ….'

આ ખુલાસો સાંભળીને સહુ અવાક જ થઇ ગયા. વિજયના  જીવમાં પણ હવે જીવ આવ્યો. બલ્લુ, શાંતિલાલ અને નગીન હજી દિગ્મૂઢ અવસ્થામાં હતા !!!

'હું ખરું કહું છું કે ખોટું ?' ભીખુસરે વિદ્યાર્થીઓને ફરી ઢંઢોળ્યા.

‘ખરું, સર' થોડા બોલ્યા.

બલ્લુ, શાંતિલાલ અને નગીન નીચું જોતા હતા.

'જો આપણને સુંદરતા ગમતી હોય તો સુંદર થવું પડે, સુંદરતા ન છીનવાય, આનંદ જોઈતો હોય તો આનંદ વહેંચવો પડે,  આનંદ ન છીનવાય એને દુઃખ ન અપાય. તેવી જ રીતે મિત્ર જોઈતા હોય તો કોઈના મિત્ર થવું પડે, વેર ન થાય. એવો મારો અનુભવ છે. ભૂલ તો બધાથી થાય. પણ ખરી હોશિયારી તો ભૂલને છુપાવવામાં નહીં, પણ ભૂલને કબૂલ કરવામાં જ છે.' એટલું કહી ભીખુસર ફરી થોડું રોકાયા.

સભા ચૂપ હતી. પછી એમણે વાત આગળ ચલાવી, 'અસલ વાત તો એ છે કે મારાથી પણ એક ભૂલ થઇ છે. વ્યવસ્થાની જવાબદારી સંપૂર્ણ મારી હતી. ગઈ કાલનો બનાવ અવ્યવસ્થાને કારણે જ બન્યો. જેનો હું તમારા બધા આગળ સ્વીકાર અને અફસોસ જાહેર કરું છું. પરંતુ હવેથી મોનિટરના ભરોસે કોઈપણ વર્ગ નહીં જ મુકાય એની હું બાંહેધરી આપું છું. 'મારે સુંદર થવું છે, સુંદરતા વહેંચવી છે, છીનવી લેવી નથી.'  એટલું કહી ભીખુસરે બને હાથ ઉપર કર્યા.

વિદ્યાર્થીઓએ એમને પ્રચંડ તાળીઓથી વધાવી લીધા.

વિદ્યાર્થીઓ સહિત તમામ શિક્ષકો પણ એમની આ કબૂલાતથી હલબલી જ ગયા. ત્યાં જ ……

'ના,  સર, ભૂલ તમારી નથી જ પરંતુ મારા એકલાની છે. મને જ ઘંટ વગાડી દેવાનો આવો કુવિચાર આવ્યો હતો' કહી, બલ્લુ ધ્રુસકે ધ્રુસકે ઊભો થઈ રડવા માંડ્યો, 'હું જ ખોટે ખોટું બોલ્યો હતો કે વિજયે ઘંટ વગાડવા કહ્યું. નગીન અને શાંતિલાલને પણ મેં જ સાથ દેવા સમજાવ્યા હતા.'

બધાની નજર તે તરફ વળી.

ભીખુસર  પછી બલ્લુ પાસે આવ્યા  અને બલ્લુને ભેટી 'મારો પ્રયાસ ફળ્યો’,  એમ મનોમન બોલ્યા.

પછી તો શાંતિલાલ અને નગીનને પણ પસ્તાવો થતાં બંનેએ બધાંની માફી માંગી.

જીવનપાઠો શીખવવાની સ્વથી શરૂ થતી ભીખુસરની અજબની રીતે આજનો દિવસ પણ વધુ સુંદર બની ગયો.

ભીખુસરના આ સઘળી છણાવટ પછી તો વિજયનો ચહેરો એકદમ ખીલી જ ઊઠ્યો.

ભીખુસરે બધા વિદ્યાર્થીઓને સુંદર રીતે સમજાવી દીધું હતું કે પહેલાં તો સુંદરતાને, સારી વાતોને દિલથી સ્વીકારવી જોઈએ. એના સંવર્ધનમાં કચાશનો અંશમાત્ર પણ ન હોવો ઘટે એને અસુંદર કરનારી તમામ બાબતોને દૂર કરવી જોઈએ. ત્રીજી અને અતિ મહત્ત્વની વાત એ કે એવી બાબતો  પાછળ કારણભૂત થયા હોઈએ તો તે માટે વહેલામાં વહેલી તકે નિખાલસ દિલે કબૂલાત કરી અને અફસોસ પ્રદર્શિત કરી એવી ભૂલ ફરીથી ન કરવા મક્કમતા કેળવવી જોઈએ. તો જ સારી પ્રથાનો, ગુણોનો વિસ્તાર થાય.

વિદ્યાર્થીઓને મન ભીખુસર એક આદર્શ શિક્ષક પુરવાર થયા.

*****

મોટરકાર ગામમાં પ્રવેશી. ખાલપનો હવાડો દેખાતાં જ વિજયકુમારે કારની ગતિ થોડી ધીમી કરી. ઓમજીશેઠની વાડી આવતા જ ફળિયાનું આખું દ્રશ્ય વિજયને યાદ આવી ગયું. મંદિરની ધજા પણ દેખાવા માંડી. મંદિર આગળ કાર એણે ઊભી રાખી. એનું હૈયું ભારી થતું જતું હતું. ફળિયામાં એણે નજર ફેલાવી. 'લક્ષ્મી નિવાસ'ના બીજા ગાળામાં વિજય અને એના માતાપિતા રહેતા. બા બાપુજી ગુજરી ગયાં પછી વિજય મુંબઈ ચાલી ગયો હતો. 'લક્ષ્મી નિવાસ'ની ચાર ગાળાની એ ચાલ આજે ખંડેર બની ગઈ હતી. એની બાજુમાં જ આણંદજી લુહારની ધમણભઠ્ઠી રહેતી હતી, જે હવે પાકું મકાન બની ચૂકી હતી. એની બરાબર સામે જ આવેલું આમલીનું તોતિંગ ઝાડ તો એ કેમ ભૂલે? હજી ય અડીખમ ઊભું હતું અને એની બાજુના વાડામાં શાંતિની ઝૂંપડી જે હવે એક નાનું પણ પાકું મકાન બન્યું હતું ! પગરખાં કાઢી વિજયકુમારે મંદિરમાંપ્રવેશ કર્યો. બાવાજી નવાગંતુકને જોતા રહ્યા.

દર્શન કરી મહારાજને 'જય રામજીકી' કહીને પૂછ્યું, 'આ પેલું દેખાય છે એ તો શાંતિનું ઘર ને?'

મહારાજે હા ભણી એટલે વિજયકુમારે શાંતિના ઘર ભણી જ પગ ઉપાડ્યા.

શાંતિના ઘરનો ઓટલો વિજયકુમારને ખૂબ ઊંચો લાગ્યો. પગથિયાંને અડીને આંખે છાતીએ સ્પર્શ કરી ઓટલો ચડતાં જ એણે બૂમ પાડી, 'અંદર આવું કે?'

'હા, આવોને … કોણ ?' કહેતી શાંતિ ખાટલેથી બેઠી થઇ.

શાંતિને જોતાં જ વિજયનું હૃદય ભરાઈ આવ્યું.

'મને ઓળખ્યો?'

શાંતિ મહેમાનને ઓળખવા મથી ….

'હું વિજય ….' વિજયથી રહેવાયું નહીં.

‘ઓહ … વિજય … તું  !!!'

પગે પડવા જતા વિજયને ખભેથી પકડીને શાંતિએ તો બાથમાં જ લઇ લીધો.

ત્યાર પછીની પળો ખૂબ ધન્ય હતી.

શાંતિએ જ તો વિજયને હારી જતાં રોક્યો હતોને?

e.mail : gunvantvaidya@outlook.com

Loading

મનથી સ્વસ્થ રહેવા અપેક્ષાઓ છોડો તનથી સ્વસ્થ રહેવા ગમતી પ્રવૃત્તિ કરો

રુચિતા શાહ, રુચિતા શાહ|Opinion - Opinion|4 April 2017

પાર્લા(વેસ્ટ)માં રહેતા સાહિત્યપ્રેમી અને ગુજરાતી સાહિત્યની સેવામાં સતત કાર્યરત એવા ૭૮ વર્ષના કનુ સૂચક શૅર કરે છે પોતાની તંદુરસ્તીનું રહસ્ય

એવું નથી કે જીવનમાં ક્યારે ય તકલીફો આવે જ નહીં અને એવું પણ નથી કે એ તકલીફો તમને ઉદાસી નહીં આપે, તમને નિરાશ નહીં કરે કે તમને આઘાત નહીં આપે. તકલીફો આવશે અને હૃદયને ઠેસ પહોંચે એવી તકલીફો આવશે, પરંતુ એ તકલીફો સામે હથિયાર નાખીને બેસી જનારી વ્યક્તિ નિરાશાની ગર્તાર્માં ખોવાઈ જાય છે; જ્યારે એ તકલીફો અને દુ:ખને સ્વીકારીને સક્રિય રહેનારી વ્યક્તિ કંઈક વિશિષ્ટ સર્જતી હોય છે. વિલે પાર્લે(વેસ્ટ)માં એસ. વી. રોડ પર વિદ્યા વિનય વિવેક નામની સોસાયટીમાં રહેતા ૭૮ વર્ષના કનુ સૂચક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દુ:ખનો અનુભવ તેમણે કર્યો છે. જ્યારે તેમનો જુવાનજોધ દીકરો સાવ અચાનક દુનિયા છોડીને ચાલ્યો ગયો એ પછી નિરાશા અને આઘાતના અંધકારને પણ અનુભવ્યો છે અને એ પછી પ્રેરણાનું એક કિરણ મળતાં ફરી બેઠા પણ થયા છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને મૂકપણે ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છે. સાહિત્યનો રસાસ્વાદ તેમણે પોતે તો માણ્યો જ છે અને સાથે લોકો પણ એ માણે એવા તેમના પ્રયત્નો પણ તેમણે પૂરબહારે કર્યા છે. તેમણે લખેલા બે કાવ્યસંગ્રહ અને ભારતનાં મંદિરો અને એના અપ્રતિમ સ્થાપત્ય વિશે પોતાના અનુભવોને આધારે લખાયેલું પુસ્તક ‘શિલ્પ સમીપે’ પણ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ૭૮ વર્ષની ઉંમરે લગભગ દસથી બાર કલાક અવિરત કામ કરનારા કનુભાઈને એકેય રોગે હજી સુધી પોતાની પકડમાં લીધા નથી. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટને લગતી સમસ્યા જેવા એકેય લાઇફ-સ્ટાઇલ ડિસીઝ તેમને નથી એટલું જ નહીં, ઉંમરને લીધે સામાન્ય રીતે હાડકાં ઘસાવા કે સ્નાયુઓ નબળા પડવા જેવા પ્રૉબ્લેમ્સ પણ તેમણે ફેસ નથી કરવા પડ્યા. કનુભાઈની તંદુરસ્તીની અને જીવન જીવવાની તેમની કળા વિશે વિગતવાર વાતો કરીએ, જે આજના ઘણા વડીલો માટે દિશાસૂચક બની રહે એવી છે.

અને દિશા બદલાઈ

૧૯૯૪માં સાવ અચાનક દીકરાએ દુનિયામાંથી વિદાય લીધી અને કનુભાઈ તથા તેમનાં પત્ની સુશીલાબહેન પર જાણે વજ્રાઘાત થયો. લગભગ સાત વર્ષ સુધી સૂનમૂન રહેલા આ દંપતીને જોઈને નાનો દીકરો વ્યાકુળ હતો. તેણે પોતાના પપ્પાને કહ્યું કે ‘તમારા મનમાં મારા માટે કોઈ જ લાગણી નથી? તમે જે રીતે જીવી રહ્યા છો એ જોતાં હું તમને ગુમાવી દઈશ એવો ડર અંદરખાને મારા મનમાં લાગી રહ્યો છે. મને તમારી છત્રછાયા જોઈએ છે, પપ્પા.’

દીકરાના આ શબ્દોએ કનુભાઈના વલોપાતને હળવાશ આપી. તેઓ કહે છે, ‘એ વખતે મને સમજાયું કે જીવનમાં ઘણા લોકો હોય છે જેમને આપણી જરૂર હોય છે. સાથ તો છૂટવા માટે જ હોય છે, પરંતુ પ્રિયજનનો સાથ છૂટતાં જીવન પ્રત્યેની અને આપણી આસપાસની જવાબદારીઓ અને કર્તવ્યોને છોડી ન શકીએ.’

અમરેલીમાં જન્મેલા કનુભાઈ ૧૯૪૭માં મુંબઈ આવ્યા અને ૧૯૬૦ની આસપાસના સમયગાળામાં ૧૦૦ રૂપિયાના પગારમાં કન્સ્ટ્રક્શન-કંપનીમાં કામ શરૂ કર્યું હતું. બે વર્ષમાં પોતાની કન્સ્ટ્રક્શન-કંપની શરૂ કરી અને પછી લાંબા સમય સુધી સાહિત્ય સાથેનો નાતો છૂટી ગયો હતો, જે ફરી એક વાર એક દીકરાની કારમી વિદાય અને બીજા દીકરા થકી મળેલી પ્રેરણાને કારણે જોડાયો. તેઓ કહે છે, ‘મારી અત્યારની સ્વસ્થતામાં સાહિત્યનો સૌથી મોટો રોલ છે. દરેકના જીવનમાં આવી ક્ષણ આવતી હોય છે. ત્યારે દિશા બદલી શકાય એવી ક્ષણો પણ આવે. જો એ ક્ષણોને સમજીને સાચવી લેવાય તો જીવવાની શ્રેષ્ઠતમ મકસદ મળી જતી હોય છે. મકસદ સાથે જીવનારા લોકો માંદા નથી પડતા, કારણ કે તેમની સક્રિયતા તેમને જીવંત રાખે છે.’

રૂટીન શું હોય?

આગળ કહ્યું એમ રોજના આઠથી દસ કલાક કામ કરવાનું; જેમાં લેખન, વાંચન, મુલાકાતો આવી ગયાં. રોજ સવારે મૉર્નિંગ વૉક પર જવાનું. ઘરમાં બનેલો આહાર લેવાનો. તેઓ કહે છે, ‘હું ખાવાનો શોખીન છું અને પાણીપૂરી મારી ફેવરિટ છે, પરંતુ એ હું ઘરે બનાવેલી ખાઉં છું. હું કહીશ કે તંદુરસ્ત રહેવા માટે ટેસ્ટલેસ ખાવાની કોઈ જરૂર નથી. સાદો ખોરાક લો એ જરૂરી છે, પરંતુ સાદો ખોરાક સ્વાદિષ્ટ હોઈ શકે. બીજું, તમારી ઉંમર મુજબ કેટલું ખાવું એની મર્યાદા સમજવી ખૂબ જ જરૂરી છે. અમારા કેસમાં સ્વાભાવિક રીતે જ કન્ટ્રોલ આવી જાય છે. અમારે પ્રયાસ નથી કરવા પડી રહ્યા. મનથી તંદુરસ્ત રહેવા માટે અમે પ્રવાસમાં જઈએ છીએ, નિયમિત. ટૂરિસ્ટ પ્લેસ પર નહીં, પણ કુદરતી સ્થળોએ. જેમ કે કાશ્મીરની એવી ઘાટીઓમાં જ્યાં હજીયે લોકોની અવરજવર ઓછી હોય. કુદરત એના મૂળ સ્વરૂપમાં હોય એવાં સ્થળોએ જઈને કુદરતમાં ઓગળવાનો આનંદ માણો એ મનને રીચાર્જ કરવા બરાબર છે. આવા પ્રવાસોએ પણ મને ભરપૂર આપ્યું છે.’

કહેવાનું એટલું જ કે …

માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમામ લોકોને સંબોધીને કનુભાઈ કહે છે, ‘અંગ્રેજીમાં એક પ્રચલિત વાક્ય છે કે સફરિંગ ઇઝ યૉર ચૉઇસ. તમે દુ:ખી થવા માગો છો કે સુખી એ તમારી પોતાની પસંદગી છે. આજે ઘણા વડીલો પોતાને એકલા અને દુ:ખી માને છે તો એ ક્યાંક તેમની પોતાની અપેક્ષાઓનું પરિણામ પણ છે. મારો દીકરો અત્યારે અમેરિકા છે અને મારા લાડકા ગ્રૅન્ડસન પણ ત્યાં જ છે. હું અને પત્ની અહીં એકલાં છીએ, પણ અમને એકલું નથી લાગતું. નિયમિત દીકરાની સાથે સંપર્કમાં છીએ અને મોજથી રહીએ છીએ. અપેક્ષા સૌથી મોટું દુ:ખ હોય છે. અપેક્ષા ન રાખો અને જાત સાથે રહીને પણ એન્જૉય કરતાં શીખો એ જરૂરી છે. જ્યાં આનંદ મળે ત્યાં રહો, જેમાં આનંદ મળે એ કરો. આજે પણ અમે મનને ઠેસ પહોંચતી હોય એવા સ્થાનોથી ડિટૅચ થઈ જતાં હોઈએ છીએ. ડિટૅચમેન્ટની પણ પોતાની મજા હોય છે અને એ શીખી લો તો તમે મનથી જીવતા થઈ જતા હો છો.’

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 04 અૅપ્રિલ 2017

Loading

સેવા અને કટ્ટરતાની કાતિલ જુગલબંદી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 April 2017

બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડિયારું પૂરે તો તેની જીવદયાનાં વખાણ કરવાનાં ?

દેશભરમાં તેની 173  સ્કૂલ ચાલે છે, જ્યાં આશરે અઢાર હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એક રાજ્યમાં તેની ત્રણ હોસ્પિટલ અને 66 એમ્બ્યુલન્સ ચાલે છે. બે હજાર ડોક્ટર ત્યાં માનદ્ સેવા આપવા તૈયાર હોય છે. હોસ્ટિપલમાં આંખની લેસર સર્જરી મફત થાય છે. તેનાં દવાખાનામાં દાંતની રૂટકેનાલ સર્જરી ફક્ત પચાસ રૂપિયામાં થતી હતી. ધરતીકંપ અને પૂર વખતે તેના સ્વયંસેવકોએ રાહતકાર્યોમાં સક્રિય ભાગ લઇને ભારે કામ કર્યું હતું. તેની સેવાપ્રવૃત્તિનો એક હેતુ ખ્રિસ્તી મિશનરી પ્રભાવનો મુકાબલો કરવાનો પણ છે …

ઉપરનું વર્ણન વાંચીને તમારા મનમાં જે સંગઠનનું નામ આવ્યું હોય તે (અને જે આદરભાવ છલકાયો હોય તે), પણ તે વર્ણન પાકિસ્તાની સંગઠન જમાત-ઉદ્-દાવાનું છે. તે ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પાંખ છે.

***

કોરી ને નકરી કટ્ટરતા કદાચ ટકાઉ બનતી નથી. તેને લાંબું ટકાવવી હોય અને મુખ્ય ધારામાં મહત્ત્વનું પરિબળ બનાવવી હોય તો તેમાં ધર્મ ભેળવવો પડે. ઘણી વાર કટ્ટરતાનું જન્મસ્થાન જ ધર્મ હોય છે. આ ધર્મ એટલે આદર્શ – સાચો ધર્મ નહીં, પણ વ્યક્તિગત-સંસ્થાગત-પક્ષગત સ્વાર્થ સાધવામાં મદદરૂપ થાય એવો સગવડિયો ધર્મ. કટ્ટરતા અને સગવડિયા ધર્મનું ઘાતક મિશ્રણ થયા પછી નિર્દોષ માનવીઓથી માંડીને મહાત્માઓની હત્યાને વાજબી ઠેરવી શકાય. વાજબી જ નહીં, ‘ધર્મ્ય’ ગણાવી શકાય. સ્વાર્થ માટે ખપમાં લેવાયેલો ધર્મ પરંપરાગત સ્થાપિત ધર્મ જ હોય એવું જરૂરી નથી. રાષ્ટ્રવાદને પણ એ અર્થમાં ‘(સગવડિયો) ધર્મ’ બનાવી શકાય – એવો ‘ધર્મ’, જેનું મુખ્ય કામ રાષ્ટ્રના તમામ નાગરિકોને સાથે રાખવાનું – તેમનું હિત ઇચ્છવાનું નહીં, તેમનામાં વિભાજન પ્રેરીને કટ્ટરતા ફેલાવવાનું હોય.

અંતિમવાદના ધંધામાં રહેલા લોકોને ઘણા કિસ્સામાં કટ્ટરતા અને સગવડિયા ધર્મનું મિશ્રણ પૂરતું લાગતું નથી. એ વખતે તેમાં ઉમેરાતું ત્રીજું પરિબળ છેઃ સેવા. કટ્ટરતાની કે સગવડિયા ધર્મની ટીકા થઈ શકે, પણ સેવાની ટીકા કોણ કરી શકે? અને સેવાની કોઈ ટીકા કરે, તો તેમાં કિંમત ટીકાકારની ન થાય? ધારો કે કુદરતી હોનારત વખતે કોઈ સંસ્થા પીડિતોની મદદ કરે, સરકારી તંત્ર કરતાં વધારે કાર્યક્ષમતા – પ્રતિબદ્ધતાથી બચાવકાર્ય કરે, તો તેની ટીકા કેવી રીતે કરી શકાય? 

સેવાની ઢાલનો અસરકારક ઉપયોગ કરવાનું અંતિમવાદી સંસ્થાઓને બહુ ફાવે છે ને બહુ અનુકૂળ પણ પડે છે. કારણ કે તેમનાં ઉઘાડેછોગ અંતિમવાદી વલણોની ટીકા થયા કરતી હોય છે. તેમાં સગવડિયા ધર્મનો ભેગ કર્યા પછી પણ ટીકાથી પૂરેપૂરી મુક્તિ મળતી નથી. તેનો શો ઉપાય? જવાબ છેઃ સમાજસેવા. હા, એક મ્યાનમાં કટ્ટરતા અને સમાજસેવા, ત્રાસવાદ અને રાહતકાર્ય, અંતિમવાદ અને સેવાકાર્ય રહી શકે છે. સામાન્ય લોકો તે બન્ને વચ્ચેની એકરૂપતા જોઈ શકતા નથી. કટ્ટરવાદની તલવારને છુપાવવા માટે સેવાની મખમલી મ્યાન વાપરવાની વ્યૂહરચના તેમને સમજાતી નથી. કોઈ સમજાવે ત્યારે પણ તે સ્વીકારવાનું મન થતું નથી. (સગવડિયા) ધર્મ કે (વિભાજક – ધીક્કારપ્રેરક) રાષ્ટ્રવાદ જેવાં પરિબળોની શરમ નડી જાય છે.

સમાજસેવા અને હિંસક કટ્ટરતા-અંતિમવાદ-આતંકવાદની જુગલબંદી આજકાલની નથી. શ્રીલંકાના તમિલ ટાઇગર્સ (LTTE), પેલેસ્ટાઇનનું ‘હમાસ’, લેબનોનનું હિઝ્બુલ્લા, ઇજિપ્તનું ઇસ્લામિક બ્રધરહૂડ, પાકિસ્તાનનું જમાત-ઉદ્-દાવા … આ તો કેટલાંક અત્યંત જાણીતાં નામ છે. આમ તો આ મોડેલ બહુ જૂનું અને જાણીતું છે. થોડી છૂટછાટ સાથે આપણે તેને ‘રોબિનહૂડ મોડેલ’ કહી શકીએ, જેમાં ‘વ્યાપક જનહિતમાં અમુક લોકોનું અહિત’ કરવામાં આવે છે અને તેને વાજબી, ન્યાયી, ધર્મ્ય તરીકે ખપાવવામાં આવે છે. રોબિનહૂડની અસલ કથા મુઠ્ઠીભર શોષણખોર અમીરોને લૂંટીને ગરીબોને વહેંચતા દિલેર જવાનની હતી. કટ્ટર, અંતિમવાદી જૂથોના ‘શત્રુ’ મુઠ્ઠીભર નહીં, ઘણા બધા હોય છે. તેમની સામે શબ્દોથી કે શસ્ત્રોથી કે બન્ને વડે ધીક્કાર – અને વખત આવ્યે હિંસક કાર્યવાહી – આચરવામાં આવે છે.  ઇસ્લામમાં અંદરોઅંદર લડતાં શિયા-સુન્ની જૂથોને બોમ્બધડાકા કરાવીને નિર્દોષોને મારી નાખવામાં કશો ક્ષોભ થતો નથી. છતાં એવાં અમાનવીય કૃત્યો કરાવનારની કે તેને સમર્થન આપનારની સેવાસંસ્થાઓ ચાલતી હોઈ શકે અથવા અમુક આફતોના સમયે તેમની કેડર સક્રિય થઈ શકે.

આ પ્રકારની સેવાપ્રવૃત્તિને કારણે તેમની કટ્ટરતા, તેમનો અંતિમવાદ, તેમણે ફેલાવેલી વિભાજક વિચારધારાને વિસારે પાડી દેવાનાં? એ બધાં કરતૂતો ભણી આંખ આડા કાન કરવાનાં? બે-પાંચ માણસની ઠંડા કલેજે હત્યા કરનાર જણ કીડિયારું પૂરે કે પાણીમાં ડૂબતા મંકોડાને પાંદડા પર ચડાવીને તેનો જીવ બચાવે, તો ‘તટસ્થતા’ની આણ આપીને તેની જીવદયાનાં વખાણ કરવાનાં? કે પછી પ્રમાણભાન જેવી કોઈ ચીજનો પણ ઉપયોગ કરવાનો?

પરંતુ પ્રમાણભાનનો ઉપયોગ હંમેશાં સૌથી ઓછો આકર્ષક રહ્યો છે. લાગણીના ને પ્રચારના ધસમસતા વહેણમાં કશી મહેનત કર્યા વિના આગળ વધવાનું સુખ છોડીને, પ્રમાણભાનની પંચાતમાં કોણ પડે? એમાં વળી સરકારોની ઉપેક્ષા કે તેમનો ગેરવહીવટ ઉમેરાય છે. સરકારો જે કરી શકતી નથી, તે બીજી (ભલે અંતિમવાદી, ત્રાસવાદી કે કટ્ટર કે સાંપ્રદાયિક) સંસ્થાઓ કરી બતાવે એટલે પ્રમાણભાન ગૌણ બની જાય છે. ‘ગમે તે હોય, પણ પેલી આફત વખતે આ જ લોકોએ કેવું જોરદાર કામ કર્યું હતું’ એવી પ્રશંસા અને તેનો પ્રચારપ્રસાર કટ્ટર સંસ્થાઓનાં મૂળિયાં મજબૂત બનાવે છે. ISIS કે અલ કાઈદા જેવાં સંગઠનો નકરાં ત્રાસવાદી સંગઠન ગણાયાં છે. તેમની સેવાપાંખ નથી.

તે ફક્ત ખૂનખરાબામાં અને ધીક્કાર ફેલાવવામાં માને છે. તેમની સામે અમેરિકા સહિતના દેશો ધડબડાટી બોલાવી શકે છે. અલ કાઇદાનો મુખ્ય ત્રાસવાદી લાદેન છુપાયો હોવા છતાં તેને શોધીને ખતમ કરી શકે છે. પણ લશ્કર-એ-તૈયબા(અને જમાત-ઉદ્-દાવા)નો હાફિઝ સઇદ ખુલ્લેઆમ છૂટો ફરે છે. તેના માથે મોટું ઇનામ છે. છતાં તેને હાથ અડાડી શકાતો નથી. તેનું એક કારણ પાકિસ્તાનના લશ્કરી કે જાસૂસી કે બન્ને તંત્રો તરફથી તેને મળતો ટેકો તો ખરો જ. ઉપરાંત, સેવાપ્રવૃત્તિની આણ પણ ખરી.

આવી સેવાપ્રવૃત્તિ થોડા નાગરિકોને ટૂંકા ગાળાનો ફાયદો કરતી હશે, પણ લાંબા ગાળે સમાજના-દેશના વાતાવરણમાં ઝેર ઘોળે છે. ધીક્કાર એવી બંદૂક છે, જેની બન્ને બાજુએ રહેલા લોકોમાં બીક, અસલામતી, અવિશ્વાસ અને સરવાળે અશાંતિ જન્મે છે. તે રાજ્યને કે દેશને નાજુક પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. કટ્ટરતા સાથે સીધી સાંઠગાંઠ ધરાવતી સેવા ધીમા ઝેરમાં ભેળવેલી ગુણકારી દવા જેવી નીવડે છેઃ ટૂંક સમયમાં ઝેરનો પ્રભાવ દવાની અસરને આંબી જાય છે. હવે પછી કોઈ કટ્ટરતાવાદી સેવાની ધોંસ જમાવવા જાય ત્યારે આ વિગતો તેમની સામે ધરજો. તેમને દલીલમાં હરાવવાનું જરૂરી નથી. નાગરિક તરીકે આ વાત જાતે સમજવાનું ને સેવારૂપી ઘેટાની ખાલ તળે રહેલા કટ્ટરતાના વાઘને ઓળખવાનું જરૂરી છે.

ઉર્વીશ કોઠારી, લેખક જાણીતા પત્રકાર અને વિશ્લેષક છે

સૌજન્ય : ‘‘તટસ્થતા’ની આણ’, “દિવ્ય ભાસ્કર”, 04 અૅપ્રિલ 2017 

Loading

...102030...3,4813,4823,4833,484...3,4903,5003,510...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved