Opinion Magazine
Number of visits: 9584582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુપમ જેવી વ્યક્તિનાં પુણ્યો પર આપણા જેવા લોકો જીવી રહ્યા છે

પ્રભાષ જોષી, પ્રભાષ જોષી|Gandhiana|3 January 2017

આ કાગળ હું એ અનુપમ મિશ્ર અને તેમનાં કાર્યોના નામે કલમથી કાળા કરી રહ્યો છું, જેમનો ઉલ્લેખ તમે આ જગ્યા પર અનેક વખત જોયો અને વાંચ્યો હશે. જોખમ એ છે કે તમારામાંના કેટલાક લોકો મારા પર પક્ષપાત કરવાનો કે પછી પોતાના જ લોકોને ખટાવવા-ચગાવવા જેવો અંધાપો હોવાનો આરોપ લગાવી શકો છો. અલબત્ત, તમારા પર કોઈને આરોપ લગાવવાની તક જડી જશે, એવા ડરથી તમે તમારે જે કરવું કે કહેવું છે, એ કરવાનું કે કહેવાનું છોડી દેવા દબાણ અનુભવતા હો તો પછી તમારા હોવા કે કરવાનો શું મતલબ?

લોકલાજ કે આરોપ લાગવાનો ડર જે તમને સાચું લાગતું હોય એ કરતાં કે કહેતાં અટકાવવા લાગે તો જોતજોતાંમાં તમે મોહરું બનીને રહી જશો. પછી તમને પોતાને જ સમજ નહીં પડે કે તમે એ જ છો, જે ભીતર છો કે પછી એ જે મોહરામાં દેખાવ છો? મોહરા વિના દુનિયા અને જીવનનું કામ નથી ચાલતું, પરંતુ જે વ્યક્તિ માત્ર મોહરું બનીને રહી જાય તેની જિંદગી તેની પોતાની નથી રહેતી. તે બીજાની દિશાદોરી મુજબ જીવન જીવે છે, અને આવી જિંદગીથી વધુ ખોખલું જીવન બીજું કયું હોઈ શકે!

આ કોઈ સ્પષ્ટતા નથી. ભૂમિકા પણ નથી. આગળ જે કહી રહ્યો છું, એનો નિચોડ પણ નથી. આ જીવનનું વલણ છે, જેને સમજ્યા વિના અનુપમ મિશ્રનાં કામ અને તેની કામ કરવાની પદ્ધતિ(શૈલી)ને સમજવું મુશ્કેલ છે. જે બહુ સીધો, સપાટ અને સમર્પિત દેખાય છે, એ એવો જ હોત તો જિંદગી રણ જેવી સપાટ અને સમતળ સડકની જેમ કંટાળાજનક હોત. હું, તમે અને આપણે સૌ એક જ પ્રકારના લોકો હોત. અને દુનિયા લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનાં ત્રણ પાસાંઓવાળી બહુરૂપી અને અનંત સંભાવનાઓથી સભર ન હોત. પરમશક્તિની કૃપા છે કે જીવસૃષ્ટિ અનંત અને અગમ્ય છે. કેટલું સારું છે કે આપણા હાથની પકડ, આંખોની પહોંચ અને મનની સમજથી પર કેટલું બધું છે, જે આપણી પકડ, પહોંચ અને સમજમાં ક્યારે ય આવી શકતું નથી. આવું છે એટલે તો જીવવાનું, કરવાનું અને શોધવાનું છે. આવું ન હોત તો જિંદગીમાં અને દુનિયામાં શું બળ્યું હોત?

મનમાં ક્યાંક ઠસ્યું હતું કે અનુપમનો પહેલી વાર સામનો ઈ.સ. ૧૯૭૧માં થયો હતો. પરંતુ એ વાત ખોટી છે. ગાંધી શતાબ્દી સમિતિની પ્રકાશન સલાહકાર સમિતિનું કામ સંભાળ્યા પછી દેવેન્દ્રભાઈએ એટલે કે રાષ્ટ્રીય સમિતિના સંગઠન મંત્રીએ કહેલું કે ભવાનીભાઈએ ગાંધી પર ઘણી બધી કવિતાઓ લખી છે. તેમની પાસેથી મેળવી લો અને પ્રકાશિત કરો. એમનાં કાવ્યો લેવા માટે જ મારે ભવાનીપ્રસાદ મિશ્રના ઘરે જવાનું થયેલું અને ત્યાં જ તેમના ત્રીજા દીકરા એટલે કે માનનીય અનુપમ પ્રસાદ મિશ્ર, અનુપમ મિશ્ર કે પમપમને મળવાનું થયેલું. ભવાનીભાઈનાં એ કાવ્યો ‘ગાંધી પંચશતી’ના નામે પ્રકાશિત થયાં. એ સંગ્રહમાં પાંચસોથી વધારે કવિતાઓ છે.

ગાંધી શતાબ્દી સમાપ્ત થતાં સુધીમાં એક દિવસ દેવેન્દ્રભાઈએ કહ્યું કે અનુપમ આવવાના છે. આપણે તેમનો ‘गांधीमार्ग’ અને અન્ય પ્રકાશનોમાં ઉપયોગ કરવાનો છે. પછી રાધાકૃષ્ણજીએ કહ્યું કે કોઈને મોકલી રહ્યો છું, જરા જોઈ લેજો. અનુપમને જોયેલા તો હતા, પરંતુ કોઈના દ્વારા મોકલેલાથી બંદા હંમેશાં દૂર જ રહે છે. કોઈના દ્વારા મોકલેલો જ્યાં સુધી આવેલો નથી બની જતો ત્યાં સુધી મારી નજરમાં ચડતો જ નથી. પછી તો અનુપમે પોતાનું કામ શરૂ કર્યું – સેવકની વિનમ્ર ભૂમિકામાં. સર્વોદયમાં સેવકો અને તેમની વિનમ્ર ભૂમિકાઓનું ત્યારે બહુ મોટું માહાત્મ્ય રહેતું હતું. શીખેલી કે ઓઢેલી વિનમ્રતા અને સેવકપણાનું વર્ણન તો હું વ્યંગ્યમાં જ કરી શકું. વિનમ્ર અને સેવક હોવા છતાં પણ અનુપમ સેવાને કામની રીતે કરી શકતા હતા.

સેવાનો પુણ્ય જેવો જ મોટો પથારો હોય છે. વિનમ્ર સેવકનો અહં ઘણી વાર તાનાશાહના અહં કરતાં પણ મોટો હોય છે. તાનાશાહ તો હજુ પણ ઝૂકે છે અને સમાધાન કરે છે, કારણ કે તે જાણે છે કે પોતે અત્યાચાર કરી રહ્યો છે, પરંતુ વિનમ્ર સેવકને લાગે છે કે તે કંઈ ખોટું કરી જ શકે નહીં, કારણ કે તે પોતાના માટે ક્યાં કશું કરી રહ્યો છે! અનુપમમાં મને સેવાનું આ આત્મઔચિત્ય જોવા ન મળ્યું. જો કે, કામ તો એ અન્યો કરતાં વધારે જ કરતા. કામ સોંપનારાઓને ક્યારે ય ના ન પાડે અને ક્યારે ય એવું ન જતાવે કે શહીદ કરી દેવાયો છે. સોંપાયેલું કામ કર્યા કરે. એ વખતે તેની ઉંમર હશે એકવીસ-બાવીસની. સંસ્કૃતમાં એમ.એ. કર્યું હતું અને સમાજવાદી યુવજન સભાના સક્રિય સભ્ય રહી ચૂક્યા હતો. સંસ્કૃતના અભ્યાસીઓનું પોંગાપણું અને યુવજન સભાવાળાઓની વાચાળ ક્રાંતિકારિતા – માનનીય અનુપમપ્રસાદ મિશ્રમાં નહોતી.

ભવાનીપ્રસાદ મિશ્રના દીકરા હોવાનો અને ઝાકઝમાળભરી દુનિયા છોડીને ગાંધી સંસ્થામાં કામ કરવાનો અહેસાસ પણ તે અન્યોને થવા દેતો નહોતો. એવી રીતે રહેતો જાણે રહેવાની માફી માગી રહ્યો હોય. તમને લજ્જિત કરવા કે આત્મદયામાં નહીં, સહજપણે જ. જાણે તેનું હોવું તમારા પર અતિક્રમણ હોય અને એટલે ઇચ્છતો હોય કે તમે તેને માફ કરી દો. જાણે કોઈ પર તેનો કોઈ અધિકાર જ ન હોય અને તેને જે મળ્યું કે મળી રહ્યું છે, એ આપનારાની કૃપા હોય. મે ૧૯૭૨માં છતરપુરમાં ડાકુઓના સમર્પણ પછી પાછા ફરવા માટે ચંબલ ઘાટી શાંતિ મિશને અમને એક જીપ આપી હતી. અમે નીકળ્યા ત્યારે અનુપમ ચકિત! તેને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે અમને એક આખી જીપ આ રીતે મળી શકે. આ જીપમાં ખરેખર અમે જ બેઠા છીએ અને તે અમારા કહ્યા મુજબ જ ચાલશે! આવા વિનમ્ર સેવકનું તમે શું કરી લો? સમજાય નહીં તો અથાણું બનાવીને પણ ન રાખી શકીએ. અનુપમ મિશ્રને વરતવા (ઓળખવા) આસાન નહોતા. આજે પણ નથી.

આમ, ગાંધી શતાબ્દી આવી અને ગઈ અને ગાંધીવાદી સંસ્થાઓએ ઉપસંહારની જેમ ગાંધીનાં કાર્યો ફરી શરૂ કરી દીધાં. વિનોબા ક્ષેત્ર સંન્યાસ લઈને પવનારના પરમધામમાં બેઠા અને ‘બી સે બાબા અને બી સે બોગસ’ કહીને ગ્રામ સ્વરાજ્યની સ્થાપનાની અંગત જવાબદારીઓથી મુક્ત થઈ ગયા. બધાને લાગવા માંડ્યું કે હવે આ કામ જેપીનું છે. અને જેપીને લાગવા માંડ્યું કે ગ્રામ સ્વરાજ્ય सर्वेषाम्‌ अविरोधेन નહીં આવે. સંઘર્ષ વિના આંદોલનમાં ગતિ અને શક્તિ નહીં આવે અને અન્યાય સામે લડવું જ પડશે. બાબાના માર્ગેથી જેપી થોડા હટવા માગતા હતા, પરંતુ લક્ષ્ય તો તેમનું પણ ગ્રામ સ્વરાજ્ય જ હતું. મુસહરીમાં જેપીએ નક્સલવાદી હિંસાનો સામનો કરવાની જાહેરાત કરી. પછી બાંગ્લાદેશના સંઘર્ષ અને ચંબલના ડાકુઓના સમર્પણમાં વ્યસ્ત થઈ ગયા.

સર્વોદયી પ્રવૃત્તિઓનું દિલ્હીમાં કેન્દ્ર ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન બની ગયું અને અનુપમ તથા હું – આંદોલન અંગે લખવા, સામયિકો પ્રગટ કરવા અને સર્વોદય પ્રેસ સર્વિસ ચલાવવામાં લાગી ગયા. આ પ્રવૃત્તિ અંતર્ગત અનુપમનું ઉત્તરાખંડમાં આવવા-જવાનું થતું. ભવાનીબાબુ ગાંધી નિધિમાં જ રહેવા આવી ગયા હતા, એટલે કામકાજ દિવસ-રાત થઈ શકતું હતું. પછી ચમૌલીમાં ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવીએ ચિપકો (આંદોલન) શરૂ કર્યું. ચિપકો આંદોલન પર પહેલો અહેવાલ અનુપમ મિશ્રએ જ લખ્યો. સર્વોદયી સામયિકોની પહોંચ બહુ સીમિત હતી એટલે એ અહેવાલ અમે રઘુવીર સહાયને આપ્યો અને ‘દિનમાન’માં તેને બહુ સારી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો.

ચિપકો આંદોલનને વીસથી વધારે વર્ષોનાં વા’ણાં વહી ગયાં છે, પરંતુ અનુપમનો ઉત્તરાખંડ સાથેનો સંબંધ આજે પણ એટલો જ આત્મીય છે. આપણે જેને પર્યાવરણના નામે ઓળખીએ છીએ, તેના સંરક્ષણનું પહેલું આંદોલન ચિપકો જ હતું અને તે કોઈ પશ્ચિમી પ્રેરણાથી શરૂ થયું નહોતું. વૃક્ષોને કપાતાં અટકાવવા માટે શરૂ થયેલું આ આંદોલન અને તેનાથી આવેલી પર્યાવરણીય ચેતના પર કોઈ લખી શકે એમ છે તો એ છે અનુપમ મિશ્ર. જો કે, કોઈ એમ કહે કે તેઓ જ લખવાના હકદાર છે તો અનુપમ મિશ્ર હાથ જોડી દેશે, ને કહેશે અપના ક્યા હૈ જી, અપન જાનતે હી ક્યા હૈ – તેમની નાની બહેન ડૉક્ટર નમિતા (મિશ્ર) શર્મા પણ આવા લહેકામાં કહી શકે છે.

અનુપમ પૂર્ણપણે પર્યાવરણનાં કાર્યોમાં વ્યસ્ત થાય એ પહેલાં જ બિહાર આંદોલન આરંભાયું. અમે લોકો ગાંધી પ્રતિષ્ઠાનથી ‘એવરીમેન્સ’ થઈને એક્સપ્રેસ પહોંચી ગયા અને ‘પ્રજાનીતિ’ કાઢવા માંડ્યા ત્યારે પણ દિલ્હીની એક્સપ્રેસ કચેરીમાં કોઈ વિનમ્ર સેવક પત્રકાર હતા તો તે અનુપમ મિશ્ર. બધાની કૉપી સંપાદિત કરવી, પ્રૂફ વાંચવા, પેજ બનાવડાવવાં, તમાકુનાં પાન થકી પ્રેસને પ્રસન્ન રાખવું અને પત્રકાર તથા આંદોલનકારી હોવાની સહેજે ય હવા પણ ન રાખવી, થેલો લટકાવી પગપાળા ચાલીને દફતર આવવું અને જ્યારે પણ કામ પૂરું થાય પગપાળા ચાલીને જ ઘરે જવું. પ્રોફેશનલ જર્નલિસ્ટો વચ્ચેય અનુપમ મિશ્ર વિનમ્ર સેવક-મિશનરી પત્રકાર રહ્યા. ઇમરજન્સી લદાઈ, ‘પ્રજાનીતિ’ અને પછી ‘આસપાસ’ બંધ થયું ત્યારે અનુપમને આ મુશ્કેલ ભૂમિકામાંથી મુક્તિ મળી.

‘જનસત્તા’ નીકળ્યું ત્યારે રામનાથજી(ગોયન્કા)ને બહુ જ ઇચ્છા હતી કે અનુપમ તેમાં જોડાય. મેં પણ તેમને સમજાવવા-પટાવવા કોશિશ કરી, પરંતુ અનુપમ બંદા ફરી પત્રકાર ન થયા. પ્રોફેશનલ પત્રકાર બની શકવાની ફિતરત અનુપમ મિશ્રની નથી. શા માટે નથી, એ આગળ સમજાશે. ઇમરજન્સીમાં એક્સપ્રેસ કરતાં પણ ખરાબ હાલત ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ની હતી. બાબુલાલ શર્માની સેવાઓ ત્યાં ચાલતી જ હતી, તેઓ ત્યાં ગોઠવાઈ ગયા. હું પણ કોઈ રીતે ત્યાં પાછો ફર્યો. પરંતુ અનુપમ મિશ્ર ફ્રીલાન્સર બની ગયા. તમે તો અનેક ફ્રીલાન્સર જોયા હશે, અનુપમ એમાંની કોઈ છબિમાં ફિટ બેસી શકે એમ નહોતા. જો કે, ઇમરજન્સીના એ દિવસોમાં જે પણ કરવા મળી જાય, એ સારું અને પૂરતું હતું. અનુપમ અને ઉદયન શર્મા જ્યાં ત્યાં લખીને થોડું ઘણું કમાઈ લેતા હતા. અનુપમ ફોટોગ્રાફી પણ કરી શકે છે. જો કે, ફોટો-પત્રકારત્વથી કોઈ આવક મેળવી શકાતી નથી.

ઇમરજન્સી ઊઠી અને ચૂંટણીમાં જનતા પાર્ટીનો પવન ફુંકાવા માંડ્યો ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે અમારા સારા દિવસો આવી જશે. કોઈને તો એમ પણ લાગતું હતું કે પ્રભાષ જોષી તો ચૂંટણી લડીને લોકસભા પહોંચી જશે. જેપી સાથેની નિકટતાનો લાભ કોણ ન ખાટે. પરંતુ હું તો એક્સપ્રેસમાં ચૂંટણી સેલ સંભાળવામાં મચી પડ્યો અને અનુપમ ત્યાં પણ મદદ કરવા લાગ્યો.

જનતા પાર્ટી જીતી ત્યારે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાંથી સરકારી દમનનો ઓછાયો હટ્યો. અનુપમ આખરે પ્રતિષ્ઠાનમાં કામ કરવા લાગ્યો. મારો તો એક પગ એક્સપ્રેસમાં અને બીજો શાંતિ પ્રતિષ્ઠાનમાં હતો. એ જ દિવસોમાં નૈરોબીથી સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમનો પત્ર મળ્યો કે  ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન ભારતની સ્વંસેવી સંસ્થાઓનો એક સર્વે કરી આપી શકે? અમે સર્વે માટે આટલા ડૉલર આપી શકીશું. એ સંસ્થાઓ પર્યાવરણનું કામ કરવામાં રસ ધરાવે છે કે નહીં, એની પણ નોંધ રાખશો. રાધાકૃષ્ણજી અને મને લાગ્યું કે આ સર્વે તો અનુપમ જ સૌથી સારી રીતે કરી શકે છે. તેને એ કામ સોંપાયું અને નિશ્ચિત સમયમાં તેણે માત્ર પૂરું જ ન કર્યું, ખર્ચ માટે જેટલી રકમ મળી હતી તેના ત્રીજા ભાગમાં જ કરી આપ્યું. એ સર્વેથી દેશની સ્વયંસેવી સંસ્થાઓ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિદેશી સંસ્થાઓ વચ્ચે જે સંપર્ક થયો તે આજે માત્ર ટકી જ નથી રહ્યો, જીવંતપણે ચાલી રહ્યો છે.

પરંતુ એક વખત રાધાકૃષ્ણજીએ અનુપમને કહ્યું કે ફલાણી વિદેશી સંસ્થાથી આટલા રૂપિયાનો એક પ્રોજેક્ટ મળ્યો છે અને અમારી ઇચ્છા છે કે આમાં તું મહિને પાંચ-છ હજાર રૂપિયા પગાર લઈ લે. ત્યારે અનુપમના મિત્રો સ્વાભાવિક રીતે જ આના કરતાં વધારે વેતન મેળવતા હતા અને પ્રોજેક્ટમાં કામ કરનારને તો એ રૂપિયા મળવાના જ હતા. પરંતુ અનુપમ ગભરાયેલા ચહેરે મારી પાસે આવ્યો. તે પ્રતિષ્ઠાનની સાત સો રૂપૈડી ઉપરાંત ક્યાંયથી કશું લેવા તૈયાર નહોતો. વિદેશી નાણાં છે. હું જાણું છું સહજપણે મળે છે. આવાં નાણાં લેનારાઓનું પતન પણ મેં જોયું છે. આપણા દેશનું કામ આપણે બીજાના રૂપિયામાંથી શા માટે કરીએ? તમે અનુપમને જાણતા હો તો તેનો સંકોચ તમને તરત જ સમજાઈ જાય. બાકી તો તેના મોં પર વાહવાહી અને પીઠ પાછળ બુદ્ધુ કહેનારાઓમાં તમે પણ સામેલ થઈ શકો છો.

છેલ્લાં ત્રણ વર્ષથી હોશંગાબાદમાં નર્મદા કાંઠે તેના માટે પર્યાવરણની કોઈ સંસ્થા ઊભી કરવાના પ્રયાસો કરું છું. દેશના પર્યાવરણ માટે નર્મદા યોજના આરપારની લડાઈ સાબિત થઈ શકે છે, એટલે પણ મથું છું. પરંતુ અનુપમને સરકારી જમીન અને નાણાં જોઈતાં નથી. વિદેશી પૈસાને તો તે હાથ પણ નહીં લગાડે. બીજા તો ઠીક, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન છોડીને પોતાનું અલગ ગાંધી શાંતિ કેન્દ્ર ચલાવતા રાધાકૃષ્ણજી પાસેથી પણ સંસ્થા ઊભી કરવા માટે તે મોટી રકમ નહીં લે. અમુક ઉદ્યોગપતિ પાસેથી હું નાણાં લાવી શકું છું, પરંતુ મને ખબર છે કે તેઓ પૈસા શા માટે અને કઈ રીતે આપે છે. અને એ લાવવા તે અનુપમ સાથે છળ કરવા જેવું થશે.

પર્યાવરણનું કામ આજકાલ વિદેશ પ્રવાસનો સૌથી સુલભ માર્ગ છે. અનુપમ એકાદ વાર તો નૈરોબી ગયો, કારણ કે ત્યાં પર્યાવરણ સંપર્ક કેન્દ્રના બૉર્ડમાં નિર્દેશક બનાવી દેવાયો હતો. બીજા કેટલાક વિદેશ પ્રવાસો એવી જ રીતે જે રીતે કર્યા આપણે મેરઠ કે અલવર કે ચંદીગઢ જઈ આવીએ છીએ. થેલો ટાંગ્યો અને જઈ આવ્યા. મને નથી ખબર કે બહાર (વિદેશોમાં) મીટિંગોમાં તે અંગ્રેજી કઈ રીતે બોલતો હશે? તેને તો બોલવાનું જ ગમતું નથી. મોં વાંકું કરીને અમેરિકી લહેકામાં અંગ્રેજી બોલવું તો અનુપમ માટે પાપકર્મ હશે. ધીમે ધીમે તેણે બહુ જ જરૂરી વિદેશપ્રવાસો પણ બંધ કર્યા.

આ વર્ષે (૧૯૯૩) રિયોમાં એક વિશ્વ સંમેલનનો કાર્યક્રમ નક્કી કરવા માટે ગયા વર્ષે ફ્રાંસ સરકારની મદદથી પર્યાવરણ સંપર્ક કેન્દ્રે પૅરિસમાં સંમેલન કર્યું હતું. અનુપમે જ લોકોને મોકલવાના હતા. તેણે માણસો મોકલ્યા, પણ છેલ્લી ઘડીએ પોતે જવાનું ટાળ્યું. રિયો સંમેલનમાં પણ ન ગયો. ભારત સરકાર કે રાજ્ય સરકારોને તે પર્યાવરણ પર સલાહ નથી આપતો. સમિતિઓ અને પ્રતિનિધિમંડળોમાં સામેલ નથી થતો. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં ચુપચાપ માથું નીચું રાખીને મનોયોગથી કામ કરતો રહે છે. તેની જૂની ખુરસી નીચે એક સ્ટિકર ચોંટાડેલું છે – પાવર વિધાઉટ પરપઝ – કોઈ હેતુ વિનાની સત્તા. અનુપમ પાસે હેતુ જ છે, સત્તાનો તો સ્પર્શ પણ નથી. અત્યારે પણ એ જ કરકસરથી પ્રવાસ કરે છે – જેમ અમે જેપી આંદોલન સમયે થેલો લટકાવીને કર્યા કરતા હતા. મોટા ભાગના પ્રવાસો વેરાન, સુમસામ કે રણપ્રદેશ કે જંગલોમાં.

અનુપમને બાળપણમાં ટીબી થયો હતો. હવે ફરી કોઈ ટીબી લાગુ પડ્યો છે. આ દરમિયાન તેના હૃદયે ભવાનીબાબુવાળો માર્ગ પકડી લીધો હતો. નાડી ક્યારેક પચાસ થઈ જતી, અને ક્યારેક એક સો પચાસ. હૃદયનું ચાલવું એટલું અનિયમિત થઈ ગયું કે બધા મુંઝાયા કે કોણ જાણે ક્યારે શું થઈ જશે. લડી-ઝઘડીને ડૉક્ટર ખલીલુલ્લાને બતાવ્યું. તેમણે ગોળી આપી અને કહ્યું કે પેસમેકર મુકાવી દો. મન્ના એટલે કે ભવાનીબાબુએ મુકાવ્યું જ હતું. પરંતુ અનુપમે ન ગોળી લીધી, ન પેસમેકર લગાવવાનું માન્ય રાખ્યું. ન્યૂમોનિયા તો ગમે ત્યારે તેને થઈ જતો. મને અને બનવારીને (જે અનુપમનો કૉલેજનો દોસ્ત છે,) લાગ્યું કે અનુપમને શહીદ થવાની ઇચ્છા છે. પરંતુ અનુપમ પોતાની બીમારીઓ સામે પર્યાવરણનું કામ કરતાં કરતાં અને પુસ્તકો પ્રકાશિત કરતાં કરતાં લડી રહ્યો છે.

‘દેશકા પર્યાવરણ’ પુસ્તકનું તેણે આશરે નવ વર્ષ પહેલાં પ્રકાશન કર્યું. સંપાદિત કરેલું છે, પરંતુ શું માહિતી, શું ભાષા, કેવી સજાવટ અને કેવી ચોખ્ખાઈ. જે દિલીપ ચિંચાલકરે ‘જનસત્તા’નું માસ્ટહેડ બનાવેલું, અખબાર ડિઝાઇન કરેલું એ જ દિલીપે આ પુસ્તકનું લેઆઉટ, સ્કેિચંગ અને પૃષ્ઠસજ્જા કરી છે. હિંદીમાં જ નહીં, આ દેશમાં અંગ્રેજીમાં પણ આવું કોઈ પુસ્તક નીકળ્યું હોય તો જણાવજો. પરંતુ અનુપમે પુસ્તક પ્રકાશિત કરવામાં પણ શાંતિ પ્રતિષ્ઠાનનાં નાણાં ન લગાવ્યાં. ફોલ્ડર છપાવ્યાં. સંસ્થાઓ અને પર્યાવરણમાં રસ ધરાવનારા લોકો પાસેથી આગોતરી કિંમત મગાવી. તેમાંથી જ કાગળ ખરીદ્યો, પ્રિન્ટિંગ કરાવ્યું, પછી પોતે જ પત્રો લખી લખીને પુસ્તક વેચ્યું. પહેલાં તો બે હજાર કૉપી છપાવડાવી હતી. સાઇઠ હજારનો ખર્ચ થયો. બે લાખ કમાઈને અનુપમે પ્રતિષ્ઠાનને જમા કરાવી દીધા. ચાર વર્ષ પછી ‘હમારા પર્યાવરણ’ પ્રકાશિત કર્યું, દેશના પર્યાવરણ કરતાં પણ વધુ સારું. તેના પણ ફોલ્ડર છપાવડાવ્યાં, આગોતરા ગ્રાહકો બનાવી નાણાં મેળવ્યાં. આ વખતે આશરે દોઢેક લાખ મળ્યા. છ હજાર કૉપી છપાવડાવી. કોઈની મદદ વિના પોતે જ પત્રો લખી લખીને વેચ્યું. શાંતિ પ્રતિષ્ઠાનને કમાણીના નવ લાખ રૂપિયા આપી દીધા.

આજે એ બન્ને પુસ્તકો દુર્લભ છે. પર્યાવરણ મંત્રી કમલનાથને કોઈને ભેટ આપવા માટે એ પુસ્તક જોઈતાં હતાં. તેમની ઑફિસે બહુ ફોન કર્યા, માંડ માંડ બે નકલો મળી શકી અને મજાની વાત એ છે કે આ પુસ્તકો પર્યાવરણ મંત્રાલયે ખરીદ્યાં નહોતાં. હિંદીના કોઈ પણ રાજ્યે પુસ્તકોની સરકારી ખરીદીમાં આને લીધાં નહોતાં. કોઈ પ્રકાશને વિતરણ અને વેચાણમાં કોઈ મદદ નહોતી કરી. છેલ્લાં દસ વર્ષમાં દેશના પર્યાવરણ પર હિંદીમાં આવું પુસ્તક પ્રકાશિત થયું નથી. અનુપમે આ પુસ્તકો ન માત્ર લખ્યાં અને છાપ્યાં, પરંતુ વેચ્યાં પણ ખરા અને આશરે દસ લાખ રૂપિયા કમાઈને સંસ્થાને આપી દીધા. હિંદીના કોઈ પ્રકાશકને ઢાંકણીમાં પાણી જોઈતું હોય તો પર્યાવરણના આ બે પુસ્તકો આપી શકે છે.

અને હવે અનુપમ મિશ્રએ ‘આજ ભી ખરે હૈ – તાલાબ’ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક સંપાદિત નથી. સીધું અનુપમે લખ્યું છે – નામ ક્યાંક અંદર નાનકડું છે. પરંતુ હિંદીના ટોચના વિદ્વાન આવી સીધી, સરળ, આત્મીય અને દરેક વાક્યમાં એક વાત કહેતી હિંદી જરાક લખી તો બતાવે. માહિતીની તો વાત જ નથી કરતો. અનુપમે તળાવને ભારતીય સમાજમાં રાખીને જોયું છે. તળાવને સહસન્માન સમજ્યું છે. અદભુત માહિતી એકઠી કરી છે અને તેને મોતીઓની જેમ પરોવી છે. કોઈ ભારતીય જ તળાવ વિશે આવું પુસ્તક લખી શકે એમ હતો. અલબત્ત, ભારતીય ઍન્જિનિયર નહીં, પર્યાવરણવિદ્‌ નહીં, સંશોધક વિદ્વાન નહીં – ભારતના સમાજ અને તળાવ સાથેના તેના સંબંધને સન્માનપૂર્વક સમજનાર વિનમ્ર ભારતીય.

તળાવ પર આવી માહિતી તમને હિંદીમાં જ નહીં, અંગ્રેજી અને કોઈ પણ ભારતીય ભાષામાં પણ નહીં મળે. તળાવ એ પાણીની વ્યવસ્થા કરવાનું પુણ્યકાર્ય છે. આ દેશના તમામ લોકોએ તે કર્યું છે. તેમને, તેમના જ્ઞાનને અને તેમના સમર્પણને કહી શકનારું આ એક જ પુસ્તક છે. તમે ઇચ્છો તો કોલકાતાનું રાષ્ટ્રીય પુસ્તકાલય ફેંદી વળજો. આ પુસ્તક પણ એવી જ રીતે પ્રકાશિત કર્યું છે. ત્રણ હજાર કૉપી છપાવી હતી. ત્રણ મહિનામાં બે હજાર એક સો વેચી દીધી છે. આશરે દોઢ લાખ કમાઈને જમા કરાવી દીધા છે’. વૃક્ષ મિત્ર પુરસ્કાર જે વર્ષે શરૂ થયો ત્યારે અનુપમને આપવામાં આવ્યો. પર્યાવરણનો અનુપમ, અનુપમ મિશ્ર છે. તેના જેવી વ્યક્તિનાં પુણ્યો પર આપણા જેવા લોકો જીવી રહ્યા છે. આ તેનું અને આપણું, બન્નેનું સદ્‌ભાગ્ય છે.                             

અનુવાદ : દિવ્યેશ વ્યાસ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2017; પૃ. 03-05

Loading

ઓબામાની ડેમોક્રેટિક પાર્ટી વિશે

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|3 January 2017

ગયા અંકમાં [16 ડિસેમ્બર 2016] આપણે અમેરિકાના રાજકીય પક્ષો પરથી વિશિષ્ટ નેતાગીરીની ઓસરતી અસર, વ્યક્તિગત રાજકારણનો ઉદય અને રિપબ્લિકન પક્ષમાં ‘ટી પાર્ટી’ નવું નામ ‘ફ્રિડમ કોકસ’, ઉદ્‌ભવ અને તેની કાર્યશૈલીની ચર્ચા કરેલી. આ અંકમાં આપણે ડેમોક્રિટિક પક્ષની ચર્ચા કરીશું.

૨૦૧૬ની પ્રમુખીય ચૂંટણીમાં આગલા દિવસ સુધી અમેરિકાના અને વિશ્વના રાજકીય સમીક્ષકો એવી આગાહી કરતા’તા કે ચૂંટણી પછી રિપબ્લિકન પક્ષમાં આંતરિક કલહ શરૂ થશે અને સંભવતઃ ભંગાણ આવશે. આત્યંતિક રૂઢિપરસ્તો અને મવાળ પાંખ વચ્ચે મોટા પાયે વિખવાદ થશે. એક એવી અપેક્ષા પણ હતી કે ટ્રમ્પની વિવાદાસ્પદ ઉમેદવારીને કારણે ડેમોક્રેટિક પક્ષને પ્રમુખપદની સાથે સાથે સેનેટમાં પણ બહુમત મળશે, પણ એવું ના બન્યું. અણધાર્યાં પરિણામોને કારણે પક્ષને પાછો બેઠો કેવી રીતે કરવો તે વિચારવાનું ડેમોક્રેટિક પક્ષને ફાળે આવ્યું.

છેલ્લાં આઠ વર્ષની પ્રમુખ તરીકેની ઓબામાની કારકિર્દીનું સરવૈયું જરૂર પ્રભાવક છે. ૨૦૦૮ની ભારે મંદી પછી તેમણે રોજગારીની ૧૫૦ લાખ તકો ઊભી કરી છે. બેરોજગારી આંક અત્યારે કેવળ ૪.૯ ટકા છે. છેલ્લા ૭૪ મહિનાઓથી રોજગારી વૃદ્ધિનો દર સતત ઊંચો જઈ રહ્યો છે. ડાઉ જોન્સનો આંક વીસ હજારને આંબવામાં તે નાસ્ડાક ૫૪૬૦ની અને સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર ૨૨૬૫ પર છે. આઠ વર્ષ પછી અમેરિકાની પ્રજાને એમ લાગે છે કે હવે આર્થિક સ્થિરતા આવી છે.

આ આંજી દેનારા આંકડાઓમાં એક આંકડાનો ઉલ્લેખ નથી થતો તે એ કે ઓબામાના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન ડેમોક્રેટિક પક્ષે રાજ્યોનાં બંને ગૃહો, ગવર્નરપદ અને કૉંગ્રેસનાં બંને ગૃહો મળીને કુલ ૧૦૩૦ બેઠકો ગુમાવી છે. એક લોકપ્રિય પ્રમુખના પક્ષને તેમની લોકપ્રિયતાનો લાભ મળ્યો નથી.

ઓબામા પ્રમુખ બન્યા ત્યારે ડેમોક્રેટિક પક્ષને મોટી આશા બંધાયેલી. આઠ વર્ષના રૂઢિપરસ્ત શાસન પછી એક યુવાન, પ્રગતિશીલ ઉદારમતવાદી પ્રમુખ વ્હાઈટ હાઉસમાં આવેલા. તેમની છબી એક રોકસ્ટારની હતી. ચૂંટણી દરમિયાન તેમણે લઘુમતીઓ, શ્રમિકો, યુવાનો અને સ્ત્રી મતદારોનું એક સબળ ગઠબંધન રચેલું. અપેક્ષા એવી હતી કે આ ગઠબંધન દસકાઓ સુધી ડેમોક્રેટિક પક્ષને વ્હાઇટ હાઉસમાં કૉંગ્રેસના બંને ગૃહોમાં અને રાજ્યોમાં સત્તા પર રાખશે. પરંતુ આ ગઠબંધનનો લાભ ડેમોક્રેટિક પક્ષને અન્ય ચૂંટણીઓમાં ના મળ્યો. ઓબામા અશ્વેત હોવા છતાં પણ ૨૦૦૮માં તેમને ૩૪ ટકા અલ્પશિક્ષિત શ્વેત મતદારોના મત મળેલા. સંખ્યાની દૃષ્ટિએ આ આંકડો અશ્વેત અને હિસ્પેિનક્સ મતદારો કરતાં પણ વધુ હતો. (આ કારણે જ મારા સહિત ઘણાં માનતા થયેલા કે અમેરિકા હવે એક ‘પોસ્ટ રેશિયલ’ સમાજ બન્યો છે. જો કે આવું ના બન્યું તેની ચર્ચા ફરી ક્યારેક) ટ્રમ્પને વિજયી બનાવવામાં આ અલ્પશિક્ષિત શ્વેત મતદારોનો બહુ મોટો ફાળો છે તે ચર્ચા મેં અગાઉ કરી છે. વળી, ઓબામાને ટેકો આપનાર અશ્વેત મતદારોની સંખ્યાની ટકાવારી ૨૦૧૬માં ઘટી. ‘ન્યૂયોર્ક ટાઇમ્સે’ ચૂંટણી પછી હાથ ધરેલા અભ્યાસમાં તારણ કાઢ્યું છે કે અશ્વેત મતદારોની ટકાવારી દશેક ટકા જેટલી ઘટી. જો અશ્વેત મતદારોએ ઓબામાને આપેલું એટલું સમર્થન હિલેરીને પણ આપ્યું હોત તો વિસ્કોન્સિન, મિશિગન અને પેન્સિલવેનિયામાં તે અવશ્ય જિત્યાં હોત અને ફ્લોરિડા અને નોર્થ કેરોલિમાં સંભવતઃ ચૂંટાયાં હોત.

રખે એવો અર્થ કાઢતાં કે આ માટે હું ઓબામાને જવાબદાર ઠેરવું છું. આ માટે અનેક કારણો જવાબદાર છે. મારે મુદ્દો એ છે કે બંને – ઓબામા અને ડેમોક્રેટિક પક્ષ – ‘ઓબામા ગઠબંધન’ને ‘ડેમોક્રેટિક ગઠબંધન’માં પરિવર્તિત ન કરી શક્યાં. એનું દેખીતું પરિણામ એ છે કે અત્યારે કેવળ પાંચ જ રાજ્યો, ઓરેગન, કેલિફોર્નિયા, કનેક્ટિક્ટ, રહોડ આઇલૅન્ડ અને ડેલાવેરમાં રાજ્યનાં બંને ગૃહો અને ગવર્નરપદ એ ત્રણેય ડેમોક્રેટિક પક્ષના હાથમાં હોય. તેર રાજ્યોમાં ડેમોક્રેટિક ગવર્નરોને રિપબ્લિકન ગૃહો સાથે કામ પાડવાનું છે.

સામાન્યતઃ મધ્યસત્રી ચૂંટણીઓમાં પ્રમુખ પક્ષ થોડી બેઠકો ગુમાવે છે, પરંતુ ઓબામાના કાર્યકાળ દરમિયાન આ નુકસાન વધારે થયું. કેટલાક રાજકારણીઓએ નોંધ્યું છે કે ઓબામાએ અંગત રીતે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે, પરંતુ પક્ષબાંધણીનું કામ બહુ ઓછું કર્યું છે. થોડા દિવસ પહેલાં સ્વયં ઓબામાએ એક મુલાકાતમાં કબૂલ્યું કે પ્રમુખપદનાં કામની વ્યસ્તતાને કારણે પોતે પક્ષબાંધણીનાં કાર્ય પર બહુ ધ્યાન નથી આપી શક્યા.

આગળ નોંધ્યું તેમ અમેરિકામાં જે વ્યક્તિનિષ્ઠ રાજકારણ ઊભું થયું તેમાંથી ઓબામા પણ બાકાત નથી. ૨૦૦૮માં તેમણે વરિષ્ઠ નેતાગીરી સામે પડકાર ફેંકી ડેમોક્રેટિક પ્રાયમરીમાં હિલેરીને હરાવેલાં! પ્રમુખ બન્યા પછી પણ પોતાના પક્ષના કૉંગ્રેસના સભ્યો સાથે નિયમિત સંપર્ક નહોતા રાખી શકતા.

ઓબામા અને ડેમોક્રેટિક પક્ષની પ્રગતિશીલ ઉદારમતવાદી પાંખની સામાજિક નીતિઓ – ગર્ભનિરોધ, સમલૈંગિક માનવાધિકારો અને વિપરીતલીંગીના અધિકારો – શહેરી વિસ્તારોમાં લોકપ્રિય રહ્યા. પણ રૂઢિવાદી ગ્રામીણ વિસ્તારોમાં એક એવી છાપ રહી કે છેલ્લા આઠ વર્ષમાં પ્રમુખે અને તેમના પક્ષે અમેરિકાની સમાજની દશા અને દિશા બદલી નાંખી છે. આ નીતિઓ અમેરિકાના ધાર્મિક અને સાંસ્કૃિતક વારસાથી વિરુદ્ધ છે. વિશેષ કરીને રૂઢિવાદી કેથલિક ઈવાન્જલિસ્ટ ખ્રિસ્તીઓમાં આ નીતિઓ સામે ખાસ્સો વિરોધ રહ્યો અને તેમણે ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષ સામે મતદાન કર્યું.

ઓબામા અને ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં એક મોટું સામ્ય હતું. બંનેએ અમેરિકાના ધનિક વર્ગને અને વૉલ સ્ટ્રીટને નિશાન બનાવેલા. બંનેએ એક વ્યવસ્થિત, સ્પષ્ટ છાપ ઊભી કરેલી કે તેઓ તેમની વિરુદ્ધ છે. હિલેરીના કિસ્સામાં તે ધનિક તરફી અને વૉલ સ્ટ્રીટના દલાલ છે, હાથાં છે, તેવી છાપ ઊભી થયેલી. બ્રિટિશ લેબર પાર્ટીની જેમ ડેમોક્રેટિક પક્ષ શ્રમિકોનો પક્ષ ગણાય છે. મજૂર સંગઠનો તેના પાયામાં છે. હિલેરીએ અને ડેમોમેટ્રિક ‘પક્ષે’ આ ચૂંટણીમાં પોતાના પાયાનો જ વિશ્વાસ ગુમાવ્યો તે બહુ મોટી નિષ્ફળતા છે. અમેરિકાની દ્વિપક્ષી પ્રથામાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર રિપબ્લિકન ઉમેદવારને શ્વેત મતદાર કરતાં અલ્પ આવક ધરાવતા શ્વેત મતદારોમાં મત વધુ મળ્યા. અલ્પ આવક ધરાવતો શ્રમિક વર્ગ ભવિષ્યમાં રિપબ્લિકન પક્ષને સમર્થન ચાલુ રાખશે તેમ નથી પણ ડેમોક્રેટિક પક્ષને આ સમૂહને પક્ષમાં પાછા લાવવાનું, સાથે રાખવાનું કામ કરવું પડશે.

ઓબામા પ્રમુખ બન્યા તે સમયગાળા દરમિયાન રિપબ્લિકન પક્ષે જે કેટલીક રાજકીય પ્રક્રિયાઓ શરૂ કરી તે આજના અમેરિકાનું રાજકારણ સમજવા જરૂરી છે. નોંધવું જોઈએ કે આ માટે ન તો ઓબામા કે ન તો ડેમોક્રેટિક પક્ષ જવાબદાર છે, પરંતુ ડેમોક્રેટિક પક્ષ તેનો ભોગ બન્યો છે.

ઓબામા પ્રમુખ બન્યા ત્યારે ગૃહમાં અને સેનેેટમાં ડેમોક્રેટિક પક્ષની બહુમતી હતી. ઓબામાએ જે રાજકીય ગઠબંધન રચ્યું હતું તેનાથી અને જનસંખ્યા પરિવર્તનોથી રિપબ્લિકન પક્ષ પ્રમુખપદ કે ગૃહ કબજે કરી શકે કે રાજ્યોનાં ગૃહો જીતી શકે તે અશક્ય હતું. આ સમયે રિપબ્લિકન જૂથે રિપબ્લિકન પક્ષે જેરીમેન્ડરિંગ નામે ઓળખાતી કુટીલ નીતિ અપનાવી.

પ્રથમ તો તેણે કેટલાંયે રાજ્યોમાં કેટલાક ખાસ મતવિસ્તારોને લક્ષ્ય બનાવી પહેલાં ક્યારેકના ખર્ચામાં હોય તેટલાં મિલિયન ડોલર્સ મતક્ષેત્ર દીઠ ખર્ચ્યા. આ દ્વારા રિપબ્લિકન પક્ષને બહુમતી મળી. અમેરિકામાં દર દસકાના અંતે જનગણના આધારે મતવિસ્તારોનું સીમાંકન થાય છે. રિપબ્લિકન પક્ષે પોતે બહુમતીમાં હતા તે બધાં રાજ્યોમાં મતક્ષેત્રોની વેતરણ એવી રીતે કરી કે જેથી પોતાને જીતવું સરળ બની જાય. આ પ્રક્રિયા ‘જેરીમેન્ડરિંગ’ તરીકે ઓળખાય છે.

કેટલાંક ઉદાહરણ જોઈએ. ૨૦૦૮માં ઓહાયો રાજ્યના ગૃહમાં ડેમોક્રેટિક પક્ષ પાસે ૫૩ અને રિપબ્લિકન પક્ષ પાસે ૪૬ બેઠકો હતી. તે વર્ષે રાજ્યસ્તરની ચૂંટણીમાં રિપલ્બિકન પક્ષે મતક્ષેત્ર દીઠ દસ-દસ લાખ ડૉલર્સ ખર્ચ્યા અને બંને ગૃહોમાં બહુમતી મેળવી. ૨૦૧૦ પુર્નઃસીમાંકનનું વર્ષ હતું. બહુમતી ધરાવતા રિપબ્લિકન પક્ષે રાજ્યના મતવિસ્તારોને એવી રીતે કાપકૂપ કરીને વેતર્યા કે જેથી પોતાને લાભ થાય. ૨૦૧૨માં જ્યારે ચૂંટણી આવી ત્યારે રાજ્યમાં મતોની ટકાવારી ડેમોક્રેટિક પક્ષે હતી, પણ રાજ્યના ગૃહમાં રિપબ્લિકન પક્ષને ૬૦ અને ડેમોક્રેટિક પક્ષને ૩૯ બેઠકો મળી! આવું જ કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં બન્યું. રિપબ્લિકનના ૧૨ સાંસદ અને ડેમોક્રેટિક પક્ષના કેવળ પેન્સિલવેનિયા, નોર્થ કેરોલાઈના, ફ્લોરિડા વગેરે રાજ્યોમાં આ જ બન્યું. પેન્સિલવેનિયામાં ડેમોક્રેટિક પક્ષને રાજ્યમાં ૫૬ ટકા મત મળ્યાં. સામે ૨૮ ટકા બેઠકો મળી. નોર્થ કેરોલાઈનામાં ડેમોક્રેટિક પક્ષને ૫૦ ટકા મત અને ૪ બેઠકો મળી જ્યારે રિપબ્લિકન પક્ષને ૪૯ ટકા સામે નવ બેઠકો મળી.

અત્યારે આ ‘જેરીમેન્ડરિંગ’ એટલું સજ્જડ બની ગયું છે કે જો ડેમોેક્રેટિક પક્ષે ગૃહનો કબજો લેવો હોય તો ૭૦ ટકા બહુમત મેળવવો પડે જે લગભગ અસંભવ છે.

રિપબ્લિકન પક્ષે પોતાની પકડ લાંબો સમય સુધી ચાલે તે માટે બીજાં પણ બિનલોકતાંત્રિક પગલાંઓ લીધાં. એ દ્વારા તેમણે ડેમોક્રેટિક મતદારોના મતાધિકારને મર્યાદિત કર્યો. આપણે આગળ જોયું તેમ ૮૦થી ૯૦ ટકા અશ્વેત લોકો ડેમોક્રેટિક પક્ષને મત આપે છે. તેમાંના મોટા ભાગના ગરીબ છે અને કલ્યાણ યોજનાઓની સહાયથી ગુજારો કરે છે.

રિપબ્લિકન અંકુશ હેઠળના કેટલાયે રાજ્યોમાં કાં તો વહેલીસરના મતદાન – અર્લી વોટિંગનો સમયગાળો ટૂંકાવ્યો અને મતાધિકાર માટે ઓળખપત્ર આવશ્યક બનાવીને – જે મોટાભાગના અશ્વેત મતદારો પાસે નથી હોતું – મતાધિકાર મર્યાદિત કરી નાંખ્યો. કેટલાંક રાજ્યોએ તો એવો નિયમ પણ કરી નાંખ્યો કે‘સરકારી સહાયનું ઓળખપત્ર માન્ય નહીં ગણાય.’

જેરીમેન્ડરિંગ અને મતાધિકાર મર્યાદિત કરવાના કાયદાઓ સામે ન્યાયાલયોમાં અરજીઓ થઈ છે. ક્યાંક ક્યાંક કાયદાઓને ગેરકાયદે ઠરાવાયા છે, પરંતુ મામલો હવે સર્વોચ્ચ અદાલતમાં પહોંચશે. નવા ચૂંટાયેલા પ્રમુખને સર્વોચ્ચ અદાલતમાં ત્રણ-ચાર જેવા ન્યાયાધીશો નિયુક્ત કરવાની તક મળશે. હવે પ્રમુખ, ગૃહ અને સેનેટમાં દલા તરવાડી યોગ છે. ન્યાયતંત્રમાં પણ રૂઢિપરસ્તોની સંખ્યા વધે તેવી પૂરી શક્યતા છે.

ઉપર દર્શાવેલાં કારણોસર પ્રજાનું અને પક્ષોનું ધુવીકરણ વધ્યું છે. બ્રિટનમાં બ્રેકિઝટ સમયે આવું ધ્રુવીકરણ દેખાયેલું પણ બ્રેકિઝટ પ્રશ્ચાત્‌ ઊભી થયેલી સ્થિતિએ ત્યાં હવે ‘બ્રિગરેટ’ની પ્રક્રિયા શરૂ થઈ છે. અમેરિકા આવું નજીકના ભવિષ્યમાં થાય તેવું શક્ય નથી.

વોશિંગ્ટનના દળદળ, કાદવકીચડને ઉલેચવાની જાહેરાત કરનારા ટ્રમ્પે જે પ્રધાનમંડળ બનાવ્યું છે તેમાં એવી વ્યક્તિઓ છે જે આ કીચડને ઘડાટવાને બદલે વધારશે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સરકાર શું કરશે તેની કલ્પના જ અત્યારે તો ડરાવે છે.

ડેમોક્રેટિક પક્ષમાં છૂટા પડેલા વર્ગોને પક્ષમાં અલ્પશિક્ષિત શ્રમિકો, અશ્વેત અને હિસ્પેિનક્સને-ફરી સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ઓબામાએ પણ જાહેરાત કરી છે કે હવે તેઓ પક્ષબાંધણીના કાર્યને પ્રાથમિકતા આપશે. લેટ્‌સ કીપ અવર ફિંગર્સ ક્રોસ્ડ’. થોભો અને રાહ જુઓ.        

ફ્લોરિડા, અમેરિકા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2017; પૃ. 06-07

Loading

બ્રિટનના મજૂર-આંદોલનનાં પહેલાં એશિયન નારી : જયાબહેન દેસાઈ

જયન્ત પંડ્યા, જયન્ત પંડ્યા|Profile|3 January 2017

બીબીસી રેડિયોના ‘વિમેન્સ અવર’ એ સુપ્રતિષ્ઠ શોની, તાજેતરમાં ૭૦મી વરસગાંઠ ઉજવાઈ તે નિમિત્તે છેલ્લા સાત દાયકામાં ઇંગ્લૅન્ડમાં ઉભરેલી પ્રભાવશાળી મહિલાઓની બહાર પડાયેલી યાદીમાં માર્ગરેટ થેચર (વડાપ્રધાન), બાર્બરા કેસલ (લેબર એમપી) અને જરમેઈન ગ્રિયર (નારીવાદી લેખિકા) સાથે નડિયાદની દેહણ જયાબહેન પટેલનું પણ નામ જોવા મળે છે. ડૉ. શિરીન મહેતાએ ઇંગ્લૅન્ડની અભ્યાસમુલાકાત દરમ્યાન ૨૦૦૮માં તેમની મુલાકાતને આધારે તૈયાર કરેલો લેખ ‘નિરીક્ષક’ને આ સમાચાર બહાર આવતાં ઉષ્માથી મોકલી આપ્યો હતો. તે પ્રેસમાં જવામાં હશે ત્યાં જ, અન્યત્ર એમની આ જ સામગ્રી આધારિત લેખ પ્રગટ થતાં ‘નિરીક્ષકે’ વિકલ્પે જે એક બીજા લેખનો ઉપયોગ મુનાસીબ ધાર્યો તે અહીં પ્રસિદ્ધ કરતી વેળાએ બે વાનાં ખાસ નોંધવાં જોઈએ. એક તો, આ લેખ ‘નિરીક્ષક’ના પૂર્વતંત્રી જયન્ત પંડ્યાની કલમે લખાયેલો છે – અને, સવિશેષ, સદ્‌ગત જયાબહેન ‘નિરીક્ષક’ના સન્માન્ય આજીવન સભ્ય હતાં.

•••

બ્રિટનમાં નોકરી કરવાની વેળા આવે, ત્યારે રંગભેદનો અનુભવ ન થાય તો જ નવાઈ. માણસ વખાનો માર્યો આવીને કામે લાગ્યો હોય, તો તેના માલિકની તોરતુમાખી ખમી ખાય. પરંતુ સહન કરવાની સરહદ ક્યાં પૂરી થાય અને બળવાની જ્વાળા ક્યાંથી ભભૂકી ઊઠે, એની આગોતરી જાણ ભાગ્યે જ કોઈને હોઈ શકે. જયાબહેન દેસાઈના ભાગ્યમાં પ્રતિકારનો ઝંડો ઉઠાવવાની વેળા આવી, ત્યારે પડકારનો બૂંગિયો આંદોલનમાં ફેરવાયો, જોતજોતાંમાં એના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા, એટલું જ નહીં, નામદાર મહારાણીની સરકારના કૅબિનેટ પ્રધાનો એમાં ભાગ લેતા હોય એ સિદ્ધિ, પાછું ફરીને જોતાં સ્વપ્ન જેવી લાગતી હોય તો પણ બ્રિટનના અનેક ચોપડે અંકાયેલી તવારીખ છે, તેને નકારી શકાય તેમ નથી.

તવારીખના કેન્દ્રસ્થાને જે નારી છે, તેમનું નામ જયાબહેન દેસાઈ. ઈશ્વરે દીધેલું કદ ચાર ફૂટ દસ ઇંચનું. પાલવની ગાંઠે યુનિવર્સિટીની ડિગ્રી નહીં. જમા પાસું ગણો તો ચરોતરી પાટીદારનું ખમીર. એ ખમીર ‘ગ્રનવીક ફોટોપ્રોસેસિંગ લૅબોરેટરીઝ લિ.’ના ગોરા માલિકોને ભારે પડી ગયું. ૧૯૭૬-૭૮ના ગાળામાં ચાલેલા આંદોલનના પાયામાં ભાગ ભજવનારા અર્ધો ડઝન માણસ એવાં કે કોઈ ટ્રેડયુનિયનના સભ્ય ન હતા, એમણે કદી હડતાળ પાડેલી નહીં અને છતાં ગ્રનવીકમાં બળવો ? એનાં કારણો અને કંપનીના ઇતિહાસમાં જવાનું અહીં જરૂરી નથી. જરૂર છે કંપનીના ટૂંકા પરિચયની અને સારરૂપ કારણોની.

ઍન્ટની ગ્રન્ડી, જ્યૉર્જ વોર્ડ અને જોન હિકી એ ત્રણ કંપનીના સ્થાપકો. દરેકના પૂંછડામાંથી એક-બે અક્ષરો ભેગા કરીને નામ બનાવ્યું ગ્રનવીક. ૧૯૬૫થી કંપનીની શરૂઆત થયેલી. કામ એમનું પ્રોસેસિંગ કે પ્રિન્ટિંગ અને ડેવલપિંગનું. કંપનીની ચેપ્ટર રોડની શાખામાં એશિયન સ્ત્રીઓ ઠીક- ઠીક સંખ્યામાં કામ કરે. મૅલ્કમ ઓલ્ડન એ શાખાનાં મૅનેજર. મૅનેજર સખ્તાઈના પાઠ અને ધાકધમકીની ભાષા શીખીને આવેલા. એમના શબ્દકોશમાં કદાચ તેથી જ ‘મૃદુતા’ જેવા શબ્દનો પ્રવેશ નહીં થયેલો. કડકાઈની લાકડીથી એ સહુને હાંક્યા કરે. એમની ઇચ્છા થાય ત્યારે ઓવરટાઇમ કરવાનો હુકમ ફરમાવે અને કોઈ કારણસર કર્મચારી આનાકાની કરે તો કૉન્ટ્રૅક્ટ-કરારનામું યાદ કરાવે. દરેકને માથે અસલામતીની, ભયની, છૂટા કરી દેવાની તલવાર સતત લટકતી રહે. કામના સ્થળની હાલત પણ કેદખાના જેવી. આને કારણે ધૂંઘવાટ અને અજંપાનો અગ્નિ અંદરઅંદર ધખ્યા કરે.

એવામાં બન્યું એવું કે જયાબહેન એમનું કામ પૂરું કરીને ઘેર જવાની તૈયારી કરતાં હતાં, ત્યાં એક સુપરવાઈઝરે પૂછ્યું, ‘હુ ટોલ્ડ યુ ટુ પૅક અપ ?’ જયાબહેન માટે આ પ્રશ્ન વસમો હતો. પોતાનું કામ એ પૂરી ચોકસાઈથી કરતાં અને નિયમસર આવતાં-જતાં. આજ સુધી આવો પ્રશ્ન કોઈએ તેમને પૂછ્યો ન હતો. આજે શા માટે ? એમાં બીજા એક મૅનેજર પીટર ડફી વધારાનું – ઓવરટાઇમનું – કામ લઈને આવ્યા. આવી રીતે અણધાર્યો ઓવરટાઇમ માથે ઝીંકવાની કોઈ નવાઈ ન હતી. કામ કરનારાં માટે એ પણ ઉકળાટનું એક કારણ હતું. જયાબહેન, સુપરવાઇઝર અને પીટર ડફી વચ્ચે ચાલતી રકઝકમાં બાકી હતા તે નામદાર ઑલ્ડન પધાર્યા. એમણે બધાંને પીટર ડફીની ઑફિસમાં બોલાવ્યાં અને ધમકાવવા માંડ્યા. જયાબહેને કહ્યું, ‘લૂક મિ. ઑલ્ડન ! ઇફ યુ વોન્ટ ટુ શાઉટ, આઈ એમ નોટ પ્રીપેર્ડ ટુ લિસન.’

ઑલ્ડને વળતાં કહ્યું : ‘આઈ વૉર્ન યુ.’

જયાબહેનને યાદ આવ્યું કે ‘વૉર્ન યુ’ શબ્દ એ નોકરીમાંથી છૂટા કરતાં પહેલાંના શબ્દ હોય છે. એમને ઑલ્ડનના ચલણી શબ્દો યાદ આવ્યા – ‘એની બડી, એની ટાઇમ, કેન એક્સપેક્ટ અવર સેક.’ જયાબહેન એ બલિ થવા નહોતાં આવ્યાં. એમણે કહ્યું, ‘લૂક, આઈ ડૉન્ટ વોન્ટ યોર વૉર્નિંગ. આઈ ડુ નૉટ વોન્ટ ટુ વર્ક વિથ યુ. પ્લીઝ ગીવ મી માય કાર્ડ સ્ટ્રૈટ અવે.’ એમ કરીને એ બોલતાં બોલતાં ઑફિસની બહાર નીકળ્યાં. એમનો દીકરો શિવ પણ ઉનાળુ કામ માટે ગ્રનવીકમાં જોડાયેલો. એણે માતાને આમ નીકળતાં જોઈને પોતાનું કામ પડતુ મૂક્યું અને કહ્યું : What you are running here is not a factory. It is a Zoo. But in Zoo there are many types of animals. Some are monkeys, who dance on your finger-tips, others are lions, who can bite your head off. We are those lions, Mr. Manager. વાત હવે એવા મુકામે પહોંચી હતી કે જ્યાં સંગઠન કર્યા વિના છૂટકો ન હતો. સંગઠન અંગે તેમણે બ્રેન્ટની ટ્રેડ કાઉન્સિલની સલાહ માગી અને તે પ્રમાણે એપેક્સ(એસોસિયેશન ઑફ પ્રોફેશનલ્સ, ઍક્ઝિક્યુટિવ, ક્લેરિકલ અને કમ્પ્યૂટર સ્ટાફનું સંગઠન)ના સભ્યો થવાનું નક્કી કર્યું. તે સંગઠને તેમને આવકાર્યાં તેમ જ જરૂરી સગવડો કરી આપી. માલિકો સાથે વાટાઘાટો આરંભી, પરંતુ તેનું પરિણામ ન આવતાં હડતાલનું એલાન કરવામાં આવ્યું. એક અઠવાડિયાના ગાળામાં એને ટ્રેડયુનિયન કૉંગ્રેસનો ટેકો મળ્યો. ત્રણેક માસમાં એણે છાપાંનાં મથાળાંમાં, રેડિયો અને ટેલિવિઝનમાં સ્થાન મેળવ્યું. દસ મહિનામાં આંતરરાષ્ટ્રીય સમાચાર બની એ હડતાળ ચર્ચાતી રહી.

આ હડતાળ એકધારી અને વિક્રમસર્જક હતી. એ હડતાળે સાડાપાંચસોથી ય અધિક માણસોની ધરપકડ કરાવી. દૂરદૂરથી મોટરો ભરીને અસંખ્ય મજૂરોની વણજાર એની પિકેટલાઇન ઉપર ખડકાવા માંડી. પાંચ-પાંચ હજારની માનવમેદની બેનર્સ લઈ અને સૂત્રોચ્ચાર કરીને સરકારની ઊંઘ હરામ કરતી રહી. એનાથી ગભરાઈ ઊઠેલી સરકારે કોર્ટ ઑફ ઇન્ક્‌વાયરીની રચના કરી. એ હડતાળે એક શુક્રવારે પાર્લમેન્ટના પાંચસો સભ્યોને હાઉસ ઑફ કૉમન્સમાં હાજર રહેવાની ફરજ પાડીને યુદ્ધોત્તર ઇતિહાસ રચ્યો. સરકારના ત્રણ પ્રધાનો પિકેટલાઇનમાં હડતાળિયાની સાથે જોડાયા. પિકેટલાઇન ઉપર એક લેબર પક્ષના એમ.પી. ઓડ્રી વાઇઝે ધરપકડ વહોરી. આ સમગ્ર હિલચાલના કેન્દ્રસ્થાને, ઊંચા અને પડછંદ પોલીસોની હરોળો સામે, ખેડા કે બોરસદના સત્યાગ્રહોનું પુનરાવર્તન કરતી, ધર્મજમાં જન્મેલી અને માત્ર દસમા ધોરણ સુધીનો અભ્યાસ પામેલી, ટૂંકા કદની અને સાડી પહેરીને ઘૂમતી નારી. એ નારી તે જયાબહેન દેસાઈ.

પછી તો એ જયાબહેને ચલાવેલા આંદોલનની દસ્તાવેજી ફિલ્મો અને ટી.વી. ફિલ્મો બની. એમની પ્રેસ-કૉન્ફરન્સો અને સભાઓ થઈ. પાર્લમેન્ટરી હેવાલોમાં અને ગ્રંથોમાં એ જંગની નોંધો લેવાઈ. નાટકો રચાયાં અને બ્રિટનને એક ગુજરાતી નારીના ચહેરાની ઓળખ મળી. આમ, કીર્તિની ટોચે પહોંચ્યાં છતાં જયાબહેનની મુખાકૃતિ ઉપર નેતાગીરીનો છાક ક્યાંયે ન વરતાયો. ફક્ત ઘર ચલાવવું અને યથાશક્તિ સમાજમાં કામો કરવાં, એટલો રવૈયો એ સાચવતાં રહ્યાં છે.

૨ એપ્રિલ, ૧૯૩૩, એ જયાબહેનની જન્મતારીખ. પિતાનું નામ ગોરધનભાઈ અને માતાનું નામ કમળાબહેન. પિતાએ કામની શરૂઆત ૧૯૨૧માં ખાદીભંડારથી કરેલી. જુગતરામ દવે સાથે તેમને મૈત્રી હતી. એમને પિંગળનું ય જ્ઞાન. માતા કમળાબહેન વ્યવહારકુશળ અને રૂપાળાં. સરસ કંઠ. કવિતા પણ ગાઈને શીખવાડે. માતાપિતા બંનેની લાક્ષણિક ધારાઓ જયાબહેને ઝીલી છે. એમને ઘણાં ગીતો, કવિતાઓ મોઢે છે અને હલકથી ગાય છે. નાનપણમાં એમનું ગીત સાંભળીને પીતાંબર પટેલે એમને રેડિયો પર ગાવાનું ઇજન આપેલું, પણ પિતાએ ના પાડેલી. એ અફસોસનો લસરકો ઠીક-ઠીક વખત સુધી એમના મનમાં રહેલો.

૧૯૫૫માં એમનાં લગ્ન થયાં સૂર્યકાન્ત દેસાઈ સાથે. મૂળ નડિયાદના, પણ આફ્રિકામાં જઈને વસેલા સૂર્યકાન્તે કૅમ્બ્રિજની પરીક્ષા પસાર કરેલી અને તરત કૌટુંબિક જવાબદારી નિભાવવા નોકરી સ્વીકારેલી. એમનો પાંચેક વર્ષનો વસવાટ દારેસલામમાં. ૧૯૬૧માં ટાન્ગાનિકાને સ્વતંત્રતા મળી, તેની સાથે રાજકીય સમીકરણો બદલાયાં. દેસાઈ દંપતીને લાગ્યું કે આફ્રિકામાં બાળકો માટે આશા બંધાવે એવું કોઈ ભવિષ્ય નથી, એટલે ૧૯૬૪માં ભારત ગયાં. ચારેક વર્ષ ભારતમાં ગુજાર્યા પછી સૂર્યકાન્ત દેસાઈ ૧૯૬૮માં લંડનના વેમ્બલી ઉપનગરમાં આવ્યા અને રેન્ક ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી લીધી. છ મહિના પછી જયાબહેન બે દીકરા સાથે ઇંગ્લૅન્ડ આવ્યાં અને ‘જ્યુડી’ નામની નવી શરૂ થયેલી ફૅક્ટરીમાં કામ મેળવી ડ્રેસ બનાવ્યો. સિલાઈકામ તો એ શીખેલાં હતાં. પરંતુ મશીન ચલાવતાં શિખવાડ્યું માલિકની માએ. પછી સેમ્પલ બનાવનાર તરીકે અઠવાડિયાના પંદર પાઉન્ડ મેળવતા થયાં.

ધીમેધીમે, નિષ્ઠાપૂર્વક કામમાં કુશળતા મેળવી ઘર લીધું. સિલાઈ માટે મશીન લીધું. એક સરખી ગુણવત્તાએ આબરૂ મેળવી આપી અને જીવનને સ્થિરતા મળવા લાગી. પછી થયું કે ઘેર સિલાઈકામ ચાલુ રાખીને બચતા સમયમાં પાર્ટટાઇમ કામ કેમ ન કરવું ? એ શોધ એમને ૧૯૭૪માં લઈ ગઈ ગ્રનવીકને બારણે. પાર્ટટાઇમ ક્રમશઃ વિસ્તરીને ફૂલટાઇમ થઈ ગયો અને ગ્રનવીકને માથે કાગડી ભમી. ગોરા માલિકની તુમાખી તથા જોહુકમી સામે એમણે જંગ માંડ્યો અને બ્રિટનના ટ્રેડયુનિયનના ઇતિહાસમાં સ્થાન આંકી લીધું.

પ્રાપ્ત થયેલી કીર્તિને પોતાના લાભમાં ફેરવી નાખવાની કશી પેરવીમાં પડ્યા વિના, લડત પૂરી થયા પછી ઘેર બેસીને સિલાઈકામ ચાલુ રાખ્યું. એમાં આલ્પરટનની એક ફૅક્ટરીએ ઘેરબેઠાં કામ કરવાની સગવડ આપી, તેનાથી સંસાર નભતો થયો. સૂર્યકાન્ત દેસાઈ પણ રેન્ક ઇન્ડસ્ટ્રીઝમાંથી બ્રિટિશ રેલ સાથે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. બીજી બાજુએ જયાબહેને પણ ‘બ્રેન્ટ ઇન્ડિયન એસોસિયેશન’ના કૉમ્યુિનટી ડેવલપમેન્ટ ઑફિસરની ટીમમાં કામગીરી સંભાળી. એમાંથી કામની શાખા-પ્રશાખા ફૂટવા માંડી. ઘરડાં લોકો માટે પેન્શનર્સ ક્લબ શરૂ કરી. તેમના ભોજન માટે હાર્લ્સડનમાં ચાલતા રસોડામાંથી મોટરવૅન મારફતે રસોઈ પહોંચતી થાય એવી ગોઠવણ કરી અને કમાણીમાં એમને મળ્યો બાપના જેવો પ્રેમ.

પછી આવ્યો બહેનોનો વારો. એમને ગુજરાતી શિખવાડવા બે-ત્રણ શાળાઓમાં વર્ગો ચલાવ્યા. એમાં સિલાઈકામ પણ ખરું. કિલબર્ન કૉલેજમાં એનો અભ્યાસક્રમ ચાલુ કરાવ્યો ને હેરોની કૉલેજમાં ‘સર્ટિફાઇડ એશિયન ડ્રેસમેકિંગ કોર્સ’ માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો. છેલ્લાં છસાત વર્ષથી વેમ્બલીના ‘ડેનિસ જેક્સન સેન્ટર’માં ચાલતાં મહિલામંડળની પ્રવૃત્તિ સાથે, યોગ તથા રિફ્‌લેક્સોલૉજીની તાલીમમાં એ વિલાસબહેન ધનાણીની સાથે મળીને કામ કરે છે. આ સંસ્કારો ભારતના સ્વરાજઆંદોલનના સમયની દેન હશે? જયાબહેનની કોઠાસૂઝમાં અનુભવના અને વિશ્રંભકથામાં સાદગી અને અનાસક્તિના સૂર સંભળાય છે. ગ્રનવીકના આંદોલનકાળમાં એક પત્રકારને તેમણે કહેલું : Remember, that all this industrialisation is still only materialistic. It brings happiness, yes but it brings misery too. ગાંધી પણ સાંભળીને રાજી થાય એવું આ વિધાન એમની ધાણીફૂટ અંગ્રેજીમાં જોઈને સહેજે અચરજ થાય.

પરિવારમાં એમને બે પુત્રો છે : મોટા શિવકુમાર અમેરિકામાં, અને તેમનાથી નાના રાજીવ બ્રિટનમાં છે. બંને સારા સ્થાને છે. કુટુંબ હર્યુંભર્યું છે. જયાબહેન અને સૂર્યકાન્ત તેમની નિવૃત્તિની વચ્ચે મનપસંદ પ્રવૃત્તિ ખોળી લઈને જીવનધારાને સતત લીલી રાખે છે.

ગયે વર્ષે, ૧૯૯૯ની બાવીસમી મે અને શનિવારને દિવસે જયાબહેન પાસેથી તેમની જીવનચર્યા વિશે પૂછપરછ કરીને જરૂરી નોંધો ટપકાવી લીધી હતી. યોગાનુયોગ તે કેવો! આજે બરાબર એ જ બાવીસમી મે, ૨૦૦૦ અને સોમવારે ખુદ જયાબહેનના ઘરમાં બેસીને આ વર્તુળ પૂરું થાય છે. પૂરું થાય છે એમ તો શી રીતે કહી શકાય? આ દંપતીની પાસે નવાં શિખરો સર કરવા સિલકમાં ઘણાં વર્ષો પડેલાં છે.

[નિરીક્ષક,  ૧૬-૭-૨૦૦૦માંથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2017; પૃ. 08-09

Loading

...102030...3,4783,4793,4803,481...3,4903,5003,510...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved