Opinion Magazine
Number of visits: 9689610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અત્યારના ભારતમાં દમન અને અત્યાચાર સામે પોતપોતાની રીતે અવાજ ઊઠાવનાર યુવા તેજસ્વિનીઓને સલામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|4 March 2017

આગામી બુધવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે મક્કમ પ્રતિકાર કરનાર કેટલીક વીરાંગનાઓની ગાથા

દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થિની ગુરમેહરે સોશ્યલ મીડિયામાં ઝુંબેશ ચલાવી – ‘હું દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છું અને હું એ.બી.વી.પી.થી ડરતી નથી’.  અસહિષ્ણુતા અને કોમવાદથી ડહોળાયેલા દેશના અત્યારના માહોલમાં, સ્ત્રીઓ માટે વધુ જોખમી દિલ્હી જેવા શહેરમાં, પિતા વિનાની વીસ વર્ષની છોકરી આવી હિંમત દાખવે તે બિરદાવવાની બાબત છે. ‘મારા પિતાની હત્યા પાકિસ્તાને નહીં યુદ્ધે કરી છે’ એવું અનેક પોસ્ટ દ્વારા સમજપૂર્વક કહેવું એ ગુરમહેરનો રાષ્ટ્રદ્રોહ ગણાયો. પાકિસ્તાનના નવાઝ શરીફ સાથેની દોસ્તી રાખવી એ નરેન્દ્ર મોદીની રાજદ્વારી મુત્સદ્દેગીરી ગણાઈ. વિદ્યાર્થિનીના વિરોધીઓના બેવડાં અને બોદાં ધોરણો અહીં ખુલ્લાં પડે છે.  ગુરમેહરને ઠીક ટેકો મળ્યો છતાં જાતીય સતામણીને કારણે તેને પીછેહઠ કરવી પડી એ હકીકત રહે જ છે.

પાછી નહીં પડનારી છે તે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ની વિદ્યાર્થી નેત્રી શેહલા રશીદ. ગુરમેહરે એ.બી.વી.પી.નો જે વિરોધ કર્યો તેના કારણ સાથે શેહલા સંકળાયેલી છે. દિલ્હીની રામજસ કૉલેજમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલા સેમિનારને એ.બી.વી.પી.એ અટકાવ્યો એટલે ગુલમેહરે આ સંગઠનનો વિરોધ શરૂ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.)નો વાંધો સેમિનારમાં બે વ્યક્તિઓને બોલાવવા સામે હતો – ઉમર ખાલિદ અને શેહલા. બીજા દિવસે પરિષદના વિરોધમાં કેટલાંક વિદ્યાર્થી સંગઠનોએ કાઢેલી રેલી પર પરિષદે હુમલો કર્યો જેમાં શેહલા પર પથ્થર મારવામાં આવ્યો અને તેનો ફોન આંચકી લેવામાં આવ્યો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી સમાજશાસ્ત્રમાં લૉ અને ગવર્નન્સમાં એમ.ફિલ. કરી રહેલી શેહલા ખૂબ શક્તિશાળી યુવતી છે. ગયા વર્ષે રાજદ્રોહના આરોપ હેઠળ કન્હૈયા કુમાર, અનિર્બન અને ઉમરની થયેલી ધરપકડની સામે ચાલેલી ચળવળને તેણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તે પહેલાં ‘ઑક્યુપાય યુ.જી.સી.’ નામના બે મહિના ચાલેલાં વિદ્યાર્થી આંદોલનમાં પણ શેહલાનો મહત્ત્વનો ફાળો હતો. તેનાં ખૂબ પ્રભાવશાળી ભાષણો, મુલાકાતો અને લેખોમાં યુનિવર્સિટીઓની ખતમ થઈ ગયેલી સ્વાયત્તતા, શિક્ષણના વેપારીકરણ તેમ જ ભગવાકરણનો જોરદાર વિરોધ હોય છે. માનવ અધિકાર અને જુવેનાઈલ અન્ડરટ્રાયલ્સના જસ્ટીસ માટે તેણે તેના વતન કાશ્મીરમાં કામ કર્યું છે.

કાશ્મીરની ઝાઇરા વાસીમે આમીર ખાનના ‘દંગલ’માં કુસ્તીબાજ ગીતા ફોગટનું પાત્ર સરસ રીતે ભજવ્યું છે. તેને  લઈને કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તેને કાશ્મીરી જનતા માટેની રોલ મૉડેલ ગણાવી. તેનાથી ઉશ્કેરાયેલા અલગતાવાદીઓએ ઝાઇરા પર સોશ્યલ મીડિયામાં ખૂબ ત્રાસ ગુજાર્યો. તેને એવી પોસ્ટ મૂકવી પડી કે એને રોલ મૉડેલ ગણવામાં આવી તેને કારણે જેમની લાગણી ઘવાઈ તેમની એ માફી માગે છે અને એની આવી પ્રશંસામાં ખરેખર મોટા માણસોનું અપમાન છે. જો કે આમીરખાને ટેકો આપ્યા પછી એણે એ પોસ્ટ ઊતારી લીધી. કેન્દ્રના રમતગમતમંત્રી વિજય ગોયલે મોટાભા બનીને એક પોસ્ટ મૂકી. તેમાં તેમણે હિજબ પહેરેલી સ્ત્રી તેમ જ પાંજરામાં કેદ સ્ત્રીવાળું એક ચિત્ર મૂક્યું અને કહ્યું, ‘આ ચિત્રની વાત ઝાઇરા વસીમને મળતી આવે છે. પિંજરા તોડકર હમારી બેટિયાં આગે બઢને લગી હૈ. મોર પાવર ટુ અવર ડૉટર્સ.’ ઝાઇરાએ જવાબ ફટકાર્યો, ‘સર, યોગ્ય આદર સાથે તમને જણાવું છું કે મારે આમાં અસંમતિ બતાવવી જ પડે. આવા અયોગ્ય વર્ણન સાથે મને ન જોડવા વિનંતી છે. હિજાબ પહેરેલી સ્ત્રીઓ ખૂબસૂરત અને આઝાદ હોય છે. વળી, આ ચિત્ર જે વાત કહે છે તે મારી બાબતમાં કોઈ પણ રીતે પ્રસ્તુત નથી.’ હિજાબ અંગેની ઝાઇરાની માન્યતા સાથે અસંમતી હોય તો પણ મંત્રીશ્રીને તેણે આપેલા સાફ જવાબમાં તેનો  નવા જમાનાની ઔરત તરીકેનો મિજાજ દેખાય છે.

આવો જ મિજાજ ગયા વર્ષે આઈ.એ.એસ.માં પહેલા ક્રમે આવનાર દલિત પરિવારની ટીના ડાબીનો છે. ટીના અને બીજા ક્રમે આવનાર કાશ્મીરનો યુવક અથાર આમીર પ્રેમમાં પડ્યા, તેમણે એ જાહેર પણ કર્યું. આને ‘લવ જિહદ’ કહેનારા હિન્દુ મહાસભા જેવી માન્યતા ધરાવનાર સહુને ટીનાએ કહ્યું છે : ‘મારી નાત એક ધર્મના ન હોય તેવા વ્યક્તિની સાથે પ્રેમમાં પડીને જાણે મેં કોઈ ગુનો કર્યો હોય એવી વાત થઈ રહી છે … પણ મારે કોઈને કંઈ સાબિત કરી બતાવવાનું નથી.’

ક્રિટિકલી વિચારનારી યુવા વિદ્યાર્થિની એક આખા દમનકારી કાયદાને કેવી રીતે દૂર કરાવી શકે તેનો દાખલો એટલે દિલ્હીની શ્રેયા સિંઘલ. દિલ્હી યુનિવર્સિટીની કાનૂન વિદ્યાશાખાની પચીસ વર્ષની વિદ્યાર્થિની શ્રેયાએ ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજિ ઍક્ટની કલમ 66એ વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી, જેને સર્વોચ્ચ અદાલતે મંજૂર રાખીને એ કલમને 26 માર્ચ 2015 ના રોજ રદ કરી. ઇંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી ખગોળભૌતિકની પદવી મેળવી ચૂકેલી શ્રેયાએ કહ્યું, ‘ મેં આ કલમને એ કારણસર પડકારી કે એના થકી મુક્ત ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો.’

કલાના માધ્યમથી અન્યાય અને અત્યાચાર, શોષણ અને દમન, વંચિતતા અને વર્ણવ્યવસ્થા સામે અવાજ ઊઠાનારા મુંબઈ-પુનાના ‘કબીર કલા મંચ’ના સહુ યુવા કલાકારોમાં મુખ્ય છે શીતલ સાઠે. તેમણે અને તેમના સાથીદારોએ જાગૃતિ અને વિરોધનાં ગીતો માટે મહારાષ્ટ્ર સરકારે જે જુલમ કર્યા છે તે અલગ લેખનો વિષય છે. જલંધરની ઓગણીસ વર્ષની ગુરકંવલ ભાટી ઉર્ફે ગિન્ની માહી તેની મંડળી સાથે રવીદાસ અને ડૉ. બાબાહેબ આંબેડકરના સંદેશ પહોંચાડતાં ગીતો ગાવાં માટે ખૂબ જાણીતી છે.

મોરબીની એક સિરામિક ફૅક્ટરિમાંના 111 બાળ મજૂરોને ગયા વર્ષે માર્ચ મહિનામાં છોડાવનાર કૉલેજ વિદ્યાર્થિની ઝરણા જોશીને યાદ કરવી જ પડે. બાવીસ વર્ષની ઝરણાએ બાળકોને છોડાવવા માટે ખુદ ફૅક્ટરિમાં બે મહિના નોકરી કરીને સ્ટિંગ કર્યું હતું. ત્રણ મહિના પછી ઝરણા પર હુમલો પણ થયો હતો. પુરુષો દ્વારા અત્યંત પાશવી અત્યાચાર પછી મોત સામે દેખાતું હતું ત્યારે પણ ‘મારે જીવવું છે’ એવો સ્પિરિટ રાખનાર જ્યોતિ સિંગ અર્થાત નિર્ભયાને કેમ ભૂલાય ? તેના મા-બાપ અને તેમને ટેકો આપનારા લાખો દેશવાસીઓના ન્યાય માટેના સંઘર્ષને કારણે બળાત્કાર વિરોધી કાયદો વધુ કડક અને પીડિતા તરફી બન્યો છે.

નિર્ભયા ઘટનાને પછી દેશભરમાં ચાલેલાં વલોણાને કારણે બળાત્કાર પીડિતા તરફ જોવાનો સમાજ, શાસકો, ન્યાયતંત્ર અને માધ્યમોનો નજરિયો કંઈક બદલાયો છે. બળાત્કાર વેઠ્યા પછી તૂટી ગયા વિના અપરાધીને સજા માટે લડનાર વીરાંગનાઓ, સર્વાઈવર્સ મહિલાઓને સો સો સલામું આપવી રહી. પારુલ યુનિવર્સિટીના નરાધમ સામે ફરિયાદ કરનાર સર્વાઇવર વિદ્યાર્થિનીની જિગર  યાદ જ હોય. પણ કમનસીબે બીજી એક સર્વાઈવરની પણ વાત કરવાની થાય તે નાલિયાકાંડની. આ વાસનાકાંડની ગૂંચવણો હશે. તે છતાં ઓગણીસ વર્ષની આ યુવતીને બુધવારે આવનાર મહિલા દિન નિમિત્તે ધન્યવાદ આપવા જોઈએ. ખાસ તો એટલા માટે નાલિયાની આ નીડર બહેને જેની સામે અવાજ ઊઠાવ્યો હોવાનું બહાર આવ્યું છે તેમાંનાં કેટલાક, ‘બેટી બચાઓ’ના નારા આપ્યા કરનાર સત્તાધારી ભારતીય જનતા પક્ષની સાથે સંકળાયેલા છે.

2 માર્ચ 2017

+++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 માર્ચ 2017

Loading

નલિયા કાંડના ભૂકંપે ધ્રુજાવ્યું ગુજરાત

મીનાક્ષી જોષી|Opinion - Opinion|4 March 2017

૨૦૧૭ની જાન્યુઆરીની ૨૬મીએ, ગુજરાતના મહાવિનાશક ભૂકંપને બરોબર ૧૬ વર્ષ પૂરાં થયાં અને તે જ દિવસે ગુજરાત ફરી નલિયા કાંડના ભૂકંપથી ધ્રુજ્યું. ભૂજથી આશરે ૧૦૦ કિલોમીટર દૂર આવેલા નલિયામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ દીકરીની એફ.આઈ.આર.ની વિગતો બહાર આવતાં આખું ય ગુજરાત ખળભળી ઊઠ્યું. ધીરે-ધીરે અખબારોમાં આવતી વિગતોથી સ્પષ્ટ થતું આવ્યું કે, આરોપીઓ રાજ્યના સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો છે. આ કાંડના મુખ્ય આરોપી ભા.જ.પ.ની અબડાસા તાલુકાની ઓ.બી.સી. સેલના કન્વીનર છે.

આ સમાચાર મળતાં જ ૪થી ફેબ્રુઆરીએ અમે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠન (All India M.S.S.) તરફથી કચ્છ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધીક્ષકને તત્કાળ અને નિષ્પક્ષ તપાસ માટે આવેદનપત્ર ફેક્સ દ્વારા મોકલ્યું. ૧૦મી ફેબ્રુઆરીએ, બીજાં સંગઠનો સાથે મળીને અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં દેખાવો કર્યા. ૧૬મી ફેબ્રુઆરીએ, તેના વિરોધમાં એક નાગરિક સભાનું આયોજન કર્યું. આ નાગરિક સભામાં, આ કાંડની સામે સંગઠિત લડત માટે અગાઉ પાટણની પીડિતા નિમિત્તે કર્યું હતું તેમ ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતા નાગરિક મંચ’ની રચનાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો.

સાથે-સાથ, બીજા નિર્ણયો પણ લીધા :

૧. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે, ધારાસભ્યશ્રીઓને ખુલ્લા પત્ર દ્વારા નલિયાની ‘નિર્ભયા’ માટે ન્યાયની માંગનો વિધાનસભામાં અને વિધાનસભા બહાર પડઘો પાડવા અપીલ કરવી.

૨. નલિયાકાંડની જાત તપાસ માટે ટુકડી મોકલવી.

૩. આની ઝડપી અને તટસ્થ તપાસ માટે રાષ્ટ્રપતિશ્રી, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશશ્રી, વડાપ્રધાનશ્રી, ગુજરાતના રાજ્યપાલશ્રી, વડી અદાલતના ન્યાયાધીશશ્રી, મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર મોકલી આપવું.

૪. આંતરરાષ્ટ્રીય મહિલા દિને, આ ઘટનાના વિરોધમાં રેલીકૂચ કે જાહેર કાર્યક્રમ લેવો.

આ પ્રમાણે બે કાર્યક્રમો પૂરા થયા છે. ધારાસભ્યશ્રીઓને પ્રગટ પત્ર ૧૯મી ફેબ્રુઆરીએ અખબારોને મોકલી આપવામાં આવ્યો અને જાત-તપાસ માટેની ટુકડીએ ૨૦મી ફેબ્રુઆરીએ નલિયાની મુલાકાત લીધી.

નલિયા મુલાકાતની વિગતો : નલિયા દુષ્કર્મ કાંડની જાત તપાસ માટે આ મંચના નેજા હેઠળ પાંચ સભ્યોની ટુકડીએ ૨૦મી ફેબ્રુઆરીએ કચ્છની મુલાકાત લીધી. આ પાંચ સભ્યો હતા : (૧) શ્રી દિનેશભાઈ સંઘવી, નીલપર આશ્રમ, રાપર, જિ. કચ્છ. (૨) ડૉ. ઝરણા પાઠક, અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ (AWAG) (૩) શ્રી મીનાક્ષી જોષી, ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠન (All India M.S.S.)  (૪) શ્રી શબાના મનસૂરી, વકીલ (૫) શ્રી બાલેન્દ્ર વાઘેલા, PUCL, રાજકોટ

આ દીકરીનાં માતા-પિતા, નલિયાથી ૧૦ કિલોમીટર પહેલાં, કોઠારા ગામમાં રહે છે. કોઠારા લગભગ પાંચેક હજારની વસ્તી ધરાવતું ગામ છે.

અમે કોઠારામાં એમને મળ્યાં ત્યારે પહેલી નજરે જ દેખાઈ આવ્યું કે એમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. એ લોકો ટીવી ચેનલો, અખબારો વગેરેના પ્રતિનિધિઓની મુલાકાતોથી થાકેલાં હતાં. છતાં, ધીરેધીરે અમારી સાથે એમનાં દુઃખ આઘાતની વાતો વહેંચવા લાગ્યાં.

એ વાતોમાંથી અમને જે સમજાયું તેની વિગતો કંઈક આવી છે : આ નલિયા દુષ્કર્મ કાંડ એ સામૂહિક બળાત્કારનો કિસ્સો છે. એનો ભોગ બનનાર દીકરી ૧૯ વર્ષની પરિણીત મહિલા છે. આ દીકરીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયેલ છે. હાલ કચ્છમાં તેમનાં માતા-પિતા છે, તેમાં પિતા અપર છે, અને માતા તેમનાં જૈવિક માતા છે. આ દીકરીએ સોળેક વર્ષની ઉંમરે મુંબઈમાં જ પ્રેમલગ્ન કરી લીધેલાં. ત્યાં એકાદ વર્ષ પછી થોડા-ઘણા તનાવો – ઉચાટ શરૂ થયાં. છેવટે દીકરી એ લગ્નસંબંધથી છૂટા થઈને, એમનાં માતા-પિતા પાસે કચ્છ આવ્યાં – ૨૦૧૫ના વર્ષની શરૂઆતમાં.

આ દીકરી પહેલી વાર કચ્છ આવ્યાં અને એમની તકલીફની પણ જાણે શરૂઆત થઈ ગઈ. સ્વમાનભેર જીવનની ઇચ્છાથી સ્વાભાવિક રીતે આજીવિકાની શોધ કરી. એમાં નલિયામાં ગેસ એજન્સીમાં નોકરી મળી. આ નોકરી જ એમના શોષણનું કારણ બનશે એની એમને કલ્પના સુદ્ધાં ન હતી. દિવાળીના તહેવાર માટે કુલ પગારના અર્ધા રકમ એડવાન્સ આપવા એમણે ગેસ એજન્સીના શાંતિલાલ સોલંકીને વિનંતી કરી. એમણે એ રકમ પોતાના ઘરેથી લેવા માટે કહ્યું. દીકરી એ રકમ ઘરે લેવાં ગયાં ત્યારે પૂર્વનિયોજિત રીતે, ઘરે એમના સિવાય કોઈ હાજર નહીં. દીકરીએ સંકોચથી પાછા વળી જવાનું કહ્યું, ત્યાર એમણે આગ્રહ કર્યો કે ના પૈસા લઈને જ જાવ. પૈસા લીધા, ઠંડા પીણાનો આગ્રહ થયો. એ ઠંડા પીણામાં જ ઘેનમાં નાખનારું કોઈ મિશ્રણ હતું. એ પીતાંની સાથે જ બેભાન થતાં એમની ઉપર સામૂહિક (કુલ ત્રણ વ્યક્તિઓ) બળાત્કાર થયો. એટલું જ નહીં. એની વીડિયોગ્રાફી પણ થઈ. પછી તો અત્યાચારનો સિલસિલો શરૂ થયો.

આ અત્યાચારથી દિગ્મૂઢ, વિહ્વળ અને હતાશ દીકરી માતા-પિતાને થાક લાગે છે એથી વિશેષ કોઈ ફરિયાદ કરી શકતાં નહીં. એટલે માતા-પિતાએ એમનાં લગ્ન કરાવવાનું વિચાર્યું. નજીકના ગામના યુવાન સાથે લગ્નસંબંધથી જોડાયાં. પણ, એ સંબંધનો પણ એક અઠવાડિયામાં જ અંત આવી ગયો તો, બીજી બાજુ તેમની ઉપરના અત્યાચારો વધતા ગયા. એમને અનેક જગ્યાએ લઈ જવામાં આવ્યાં અને અનેક જગ્યાએ એમની ઉપર અત્યાચાર થયો. હવે વીડિયોક્લિપ દ્વારા બ્લેક મેઈલિંગ શરૂ થયું. જ્યાં પણ તેઓ ફરિયાદ કરતાં ત્યાં તેમને મદદને બદલે શિકાર બનાવવામાં આવતાં. આ બધાંથી ત્રસ્ત થયેલ દીકરીએ પોતાના પ્રથમ પૂર્વ પતિ સાથે સંપર્ક કર્યો, એમણે એમની તકલીફ સમજીને, સધિયારો – હૂંફ આપ્યાં. ને એ બંનેએ પુનઃ લગ્નસંબંધથી જોડાવાનું નક્કી કર્યું. એ બંને ફરીથી લગ્નસંબંધમાં જોડાયાં. દીકરી મુંબઈ પરત ફર્યાં. પરંતુ, કચ્છમાંથી ફોન દ્વારા સતત એમનું બ્લેક મેઇલિંગ ચાલુ હતું. એનાથી પરેશાન થઈ હિંમત હારીને દીકરીએ આત્મહત્યાની કોશિશ કરી. પતિએ બચાવી લીધાં. અને પછી બંનેએ સાથે મળીને આની સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું. નવેમ્બર-૨૦૧૬ની શરૂઆતમાં (દિવાળી પહેલાં) તેમણે કચ્છ-મોરબીના સાંસદનો સંપર્ક કર્યો અને પોતાની આપવીતી વર્ણવી. તેમણે ફરિયાદ નોંધાવવા ઘટતું કરવા ખાતરી આપી.

પરંતુ, એમણે કશું કર્યું નહીં. છેવટે, આ દીકરી અને એમના પતિ-બંનેએ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૭માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. પોલીસ સ્ટેશને ૧૮ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ, મળ્યાની પહોંચનો સિક્કો માર્યો. અને છેક ૨૫મી જાન્યુઆરી-૨૦૧૭ના રોજ એ એફ.આઈ.આર. તરીકે પોલીસ ચોપડે નોંધાઈ.

તેની વિગતો બહાર આવતાં જ, માધ્યમોની સક્રિયતાથી રાજ્યમાં એક પ્રબળ મત ઊભો થતાં સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવી પડી. દીકરીએ ૧૦ આરોપી ગણાવ્યાં છે તેમાંથી ૮ની ધરપકડ થઈ ચૂકી છે. એક ભાગતો ફરે છે અને એકની ધરપકડ બાકી છે.

આ લખાય છે ત્યારે સરકારે SITની કામગીરી ઉપર દેખરેખ રાખવા, પોલીસ ઑફિસર્સની બીજી ટીમ પણ જાહેર કરી છે.

વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતમાં વિપક્ષની નલિયાથી ગાંધીનગર પહોંચેલી રેલી પછી, ગૃહમાં વિપક્ષ અને શાસકપક્ષની ‘કુલડીમાં ગોળ ભાંગવા’ જેવી સમજૂતી અને ન્યાયિક તપાસની માંગની જાહેરાત પછી પણ અનેક પ્રશ્નો ઊભા છે.

નલિયા ઘટના – હિમશીલાનું ટોચકું : ગુજરાતમાં મહિલાઓ ઉપરના અત્યાચારોના કિસ્સાઓના ૨૦૧૬ના આંકડા જુઓઃ

કુલ ૫,૮૭૯ કિસ્સાઓ જેમાંથી ૪૭૨ કિસ્સાઓ દુષ્કર્મના. તો, કચ્છમાં છેલ્લા છ મહિનામાં દુષ્કર્મના ૧૧૭ કિસ્સાઓ અને ઘરેલું હિંસાના ૨૯૯. આ તો નોંધાયેલા આંકડાઓ જ છે!!

ગુજરાતમાં ૨૦૦૨ પછી સામૂહિક બળાત્કાર એ રોગચાળાની જેમ ફેલાઈ ગયેલ છે. છેલ્લાં આઠ વર્ષ જ જુઓ તો, પાટણ, પીલવાઈ, આશારામ, પારુલ યુનિવર્સિટી વગેરે જેટલી ઘટનાઓ નોંધાઈ તેમાં બધી જ સામૂહિક બળાત્કારની ઘટનાઓ હતી. બીજી એક અગત્યની બાબત એ છે કે આ બધી ઘટનાઓમાં સંડોવાયેલાઓને શાસક પક્ષનું રક્ષણ હતું.

નલિયા ઘટનાની જે સૌથી વરવી બાબત છે એ છે કે આ આખું ય સેક્સ રેકેટ છે. અત્યાર સુધીની ઘટનાઓ કરતાં નલિયા ઘટના એ રીતે જુદી છે કે એ સ્થાનિક નથી. શંકા છે કે રાજ્યભરના સતાપક્ષના હોદ્દાદારો એમાં સંડોવાયેલા હોય.

ભૂકંપે કચ્છનો વિનાશ કર્યો, પછી પુર્નવસનમાં માત્ર રોડનો વિકાસ થયો. ઉદ્યોગો આવ્યા પરંતુ રોજગારી ના આવી. એથી આર્થિક કટોકટીમાં રહેતા કોઈનું પણ શોષણ સાવ હાથવગું થઈ ગયું. આ ઘટનામાં ઉમેરાઈ પિતૃસત્તાક વ્યવસ્થા, વૈશ્વિકીકરણ – ઉદારીકરણ – બજારનાં પરિબળોએ દૃઢ કરેલી માન્યતા કે સ્ત્રી એ વસ્તુ – ઉપભોગનું – આનંદનું સાધન.

એટલે જ નલિયા ઘટનાએ આપણા સહુ માટે ખતરાની ઘંટડી વગાડી છે. પતિઘરેથી પરત ફરેલી સ્ત્રી, માતા-પિતાની નબળી આર્થિક સ્થિતિ અને તેમાં પગભર રહેવા મથતી સ્ત્રીનું કેવું શોષણ થઈ શકે એનું આ ભયંકર કુત્સિત ઉદાહરણ છે. આધુનિક ટેક્નોલૉજી-વીડિયોગ્રાફી અને સોશ્યલ મીડિયા પણ મહિલાઓના શોષણમાં કેવી રીતે ઉમેરો કરે છે તે પણ આંખ ઉઘાડનારું છે.

આપણે શું કરી શકીએ ?

ઘટના વિશેની વિગતો તો ઘણી આવેલી છે. પરંતુ, જે દહેશત છે એ છે કે આ દીકરીને ન્યાય મળશે? એમના કહેવા મુજબ આ રેકેટમાં બીજાં ૩૫ બહેનો ફસાયેલાં છે અને બીજા ૬૫ આરોપીઓ છે. શું એ લોકોને પકડી શકાશે? શું એમને સજા થશે?

જો આપણે સાથે મળીને, નાગરિક સમાજ તરીકે સક્રિય અને સંગઠિત બનીને આ લડતને આટલી માંગણીઓ સાથે :

૧. ગુજરાતના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સીધી નિગરાની હેઠળ આ સમગ્ર ઘટનાની તપાસ (એટલે કે ૩૫ મહિલાઓનું ૬૫ વ્યક્તિઓ દ્વારા શોષણ સહિત)

૨. આ તપાસ ચોક્કસ સમય મર્યાદામાં (એટલે કે ત્રણ માસની અંદર) પૂરી થાય.

૩. આ સમગ્ર કિસ્સામાં, આરોપીઓને પરોક્ષ રીતે છાવરનાર કચ્છ-મોરબીના ચૂંટાયેલા સાંસદ, પોલીસ અને ગૃહખાતામાં જવાબદારોને પણ સજા કરો.

૪. એટલું જ નહીં, રાજ્ય મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગની જવાબદારી પણ નક્કી કરો.

૫. આ ઘટનાનો ભોગ બનનાર દીકરીને, ખાસ કિસ્સામાં રૂ. ૧૦ લાખની રાજ્ય સરકાર તરફથી તત્કાળ આર્થિક સહાય.

૬. આ દીકરીના સંપૂર્ણ પુનર્વસનની જવાબદારી રાજ્યની.

૭. નાગરિક સમાજ – મહિલા સંગઠનો સાથે મળીને એવી કાયમી સક્રિય વ્યવસ્થા કે જેથી આવી ઘટનાઓને દેશવટો આપી શકીએ.

રાજ્યમાં અને કચ્છમાં ચાલુ રાખી શકીએ તો કદાચ તેનો જવાબ ‘હા’માં આપી શકાય.

સંપર્ક : નિસબત ધરાવતા નાગરિક મંચ, c/o નર્મદ-મેઘાણી લાઇબ્રેરી, નટરાજ રેલવે ક્રોંસિંગ, મીઠાખળી, અમદાવાદ-૩૮૦ ૦૦૮  (મો. ૯૪૨૭૩૦૮૫૨૦)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 10-11 

Loading

દ્વેષની ઘેાડીએ ચઢી સત્તાનાં પોંખણાં લગી

રોહિત શુકલ, રોહિત શુકલ|Opinion - Opinion|3 March 2017

ચેાથિયાને આમે ય તે સૂરજમુખીનાં ફૂલ તરફ ભારે ભાવ. દા’ડો ઊગે ત્યારથી ટકટકી લગાવીને સૂરજ દેવતાની સામે મીટ માંડીને બેસી જ જવાનું. લેાક ભલે કહે આ પૂરબ અને આ પચ્છમ – પણ સૂરજમુખીને તો આવો કોઈ વેરોઆંતરો નહીં. એના ડોકાના શા હાલ છે – ખબર નહીં; મૂળિયાંને સોવાય છે કે નહીં; ખબર નહીં. પંાદડાં લીલાંછમ રહે છે કે નહીં – ખબર નહીં. બસ કબીરજીની જેમ – જો ફૂંકે ઘર આપનો સો ચલે હમારે સાથ. પણ હવે તો ફોર-જીનો જમાનો હોવાથી ચોથિયાની આ તરંગલીલાનો અણસાર ચોથેશ્વરી-જીને વધારે ઝડપથી આવતો થયો હતો. અને ચોથેશ્વરી-જી જેમનું નામ – જરાય ડિપ્લોમેટિક થયા વગર જ તેમણે પૂછી નાંખ્યું – કે’તો ભલા, તને આ સૂરજમુખી તરફ વ્હાલ શેં ઊપજ્યુ?

આમ તો તેમના ઘરમાં ચોથેશ્વરી હોમ મેકર તરીકે સ્થાપિત હતાં અને ચોથિયો ય જાણતો કે પોતાની સાવ અંગત ગણાય તેવી તરંગલીલાની લકઝરીની પાછળ ચોથેશ્વરીનાં ત્યાગ અને નિષ્ઠા છુપાયેલાં હતાં. તેથી એણે પણ – કમ સે કમ પોતાના દાંત અને પેટને ખાતર ચોથેશ્વરી સાથે હંમેશાં સીધા ઊતરવાનું પણ લીધું હતું. વાત જાણે એમ છે, તેણે કથાનો શુભ આરંભ કરતાં કહ્યું, ‘આપણા જગતના મહાન દેશ અમેરિકામાં પણ કેવી નવી જાહોજલાલી શરૂ થઈ. પેલા ટ્રમ્પ સાહેબ તો ઘોડે ચઢીને માંડવા સુધી આવી જ પહોંચ્યા. હિલેરીબહેનને એમ કે આવા મહાન દેશમંા આટલા ભણેલા અને સમજુ લોકો વસે છે; લોકશાહી પણ હૃષ્ટપુષ્ટ છે; પોતે તો જગતભરમાં જાણીતાં છે – દુનિયા ઘૂમી વળેલાં છે અને વિદેશમંત્રી તરીકેનો અનુભવ પણ ધરાવે છે. વળી ઓબામા સાહેબ પણ પોતાના જ પક્ષના છે અને તેેમના વહીવટની સારી છાપ પણ પડી છે. સામે પક્ષે પેલા ટ્રમ્પને તો વહીવટનો નામે અનુભવ પણ નથી. હા, વળી વ્હાર્ટન સ્કૂલમાં અર્થશાસ્ત્ર ભણેલા છે તે ખરું – પણ બે બે વખત તો ઘોડે ચઢું ચઢું કરતા ઊતરી ગયા છે. પૈસે ટકે સુખી ખરા. તેમની સંપત્તિ સાડા ચાર અબજ ડોલરની હોવાથી અમેરિકામા ધનિકોમાં તેમનો ક્રમ ૧૧૩મો અને સમગ્ર વિશ્વમાં ૩૨૪મો આવે છે. પણ કામધંધા તો બિલ્ડર અને જુગારખાનાંના ખરા કે ? તબિયત અને મિજાજે – બીજું તો શું કહીએ – સાવ નોખા ખરા.જગતમાં સૌંદર્યની સ્પર્ધા થાય તેમાં તેમને સવિશેષ રસ – એમાં ય નારી દેહના દર્શન-પ્રદર્શનમાં વળી અદકેરો અને ઊલટભર્યો રસ – તમે કહો તો શોખ પણ ખરો. એટલે તો છેક ૧૯૯૬થી ૨૦૧૫ સુધી મિસ યુ.એસ.એ. અને મિસ યુનિવર્સના બ્યુટી પિજન્ટના માલિક પણ હતા. આવી સર્વશ્રેષ્ઠ વૈશ્વિક અને સ્વદેશી અપ્સરાઓ સાથે ફોટા પડાવીને ધન્ય થવાની લગભગ વીસ વરસ સુધી તેમને સેવા સાંપડી. ૧૯૪૬માં આ ધરતી માથે અવતરેલા આ મહાનુભાવે લગભગ પચાસ વરસની ઉંમરથી આ સેવાનો આરંભ કર્યો તે છેક પ્રમુખપદની દોડમાં ઊતરવાના વારા સુધી ચલાવ્યો. હા, કેટલીક અપ્સરાઓ વળી વધુ પડતી ચોખલિયણ ખરી તે આવીઓએ શારીરિક અડપલાંની વાતો પણ કરી.’

‘લે તો ય આ અમેરિકનોએ તેને મત આલીને શ્વેતઘર ભેગો કર્યો ? હું એમ કહું છું ચોથિયા કે ત્યાં તો નારી સન્માન અને સ્વતંત્રતાની આટઆટલી વાતો થતી રહે છે – આપણાં જેવાં તો કંઈક તેમની વાતો ઉપરથી પ્રેરણા લે છે અને તો ય અમેરિકનોએ તેને ચૂંટી કાઢયો ? કોઈ સ્ત્રીઓએ ગોકીરો ય ના કીધો ?’ ચોથેશ્વરીએ ભારે આક્રોશ સાથે નારીવાદી અવાજ બુલંદ કર્યો.

‘એ જ તો વિચારવા જેવું છે – સ્ત્રીઓ વિષે તે જે જાહેરમાં બોલ્યા છે તે સાંભળવું છે ? જુઓ ત્યારેઃ

૧. સ્ત્રીઓ જાડાં ડુક્કર અને કૂતરાં જેવી હોય છે.

૨. એમના દેહમાંથી કોણ જાણે કયાંથી લોહી આવતું રહે છે.

૩. પેતાના પક્ષની પોતાની સામેની ઉમેદવાર ફયોરિન નામની મહિલા માટે કહ્યું – તેનું મોઢું જોઈને ય કોઇ તેને મત ના આપે.

૪. ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓને સજા કરો.

૫. સ્ત્રીઓ જો લશ્કરમાં જોડાય તો તેમની સાથે શારીરિક અડપલાં તો થાય જ ને.

૬. હિલેરી ક્લિન્ટન ઉપર તો આ સાહેબ જે ગાજ્યા અને વરસ્યા છે તેની આગળ તો આપણા ‘બાથરુમને રેઈનકોટ’ના ચણા ય ના આવે. હિલેરીબહેનને માટે તેમણે કહ્યું, ‘તેમનું મોઢું જ પ્રમુખ જેવું નથી.’

૭. કોઈક તેમને ગોળી મારીને મારી નાંખશે.

૮. તેમનું તો દિમાગ જ કામ કરતું નથી.

૯. તેની પાસે તે એક સ્ત્રી છે તે સિવાય કશું નથી.

૧૦. એકવાર પોતાની સાથેની જાહેર ચર્ચાસભામાં હિલેરી સહેજ મોડા પડ્યાં તો આ સાહેબે કહ્યું -તમને બાથરુમ જવાનું થાય છે તે કેટલું બધું ડિસગસ્ટિંગ છે.

ચોથેશ્વરીને તો રોમે રોમ વળ ચઢી ગયા – ‘અલ્યા ચોથિયા, આવડા મોટા દેશનો વડો આવા હીન વિચારોવાળો છે ?’ ભારે ખેદ અને વિષાદમાં ગરક થયા પછી મૂર્છા વળે ને બહાર આવે તેમ થોડીવાર રહીને તેમણે સવાલ કર્યો, ‘આવડા મોટા દેશના આટલા બધા જ્ઞાની અને સમજુ અને વિચક્ષણ લોકોના દેશમાં આવો નપાવટ ચૂંટાયો જ શી રીતે?’

પણ કાળની ગતિને કોણ પામ્યું છે તે સાબિત કરવા મથતો હોય તેમ આપણો યપ્પી ત્યાં અચાનક જ આવી ભરાણો. તેની ખાસ કાળજીપૂર્વક ઘડાયેલી ઢબે તેણે આવતા વેંત જ છવાઈ જવાનો ઉપક્રમ આરંભ્યો : ‘તમે બધા કૂપમંડૂક છો તે ટ્રમ્પને ભાંડવા બેઠા છો. વીસવીસ વરસ સુધી જગતભરની સુંદરીઓ વચ્ચે તે મહાલતો રહ્યો – અસ્સલ મરદ જ ને. અને સ્ત્રીઓ માટે તે આધિપત્યથી માંડીને તિરસ્કારનો ભાવ રાખે તેેમાં તમને વાંધો હતો તો મત જ શું કામ આપ્યા ? તેણે છાનગપતિયાં તો નથી કર્યા ને. અને તેના બાકીના વિચારો તો ધ્યાને લેશો કે પછી એમ જ ઉખડેલા ફરતા રહેશો ?’ યપ્પીનો આજીફેરાનો જુસ્સો તેની ફાટફાટ થતી છાતીમંા સમાતો નો’તો. આ તો અમારા ટ્રમ્પ સાહેબ જેવા કોક જ કરી શકે તેેવી વાતો છે. તેમણે કહ્યું છે તે જુઓ :

૧. ચીન સાથેના સબંધોનું પુનર્મૂલ્યાંકન કરીશું.

૨. નાફ્ટા અને ટી.પી.પી. બાબતમાં સ્વાવલંબન હાંસલ કરીશું.

૪. પર્યાવરણ બાબતના પારિસ કરારોનું પાલન નહીં કરીએ.

૫. બહારના લોકોના હાથમાં નોકરીઓ જવા નહીં દઈએ.

૬. બધી જ બાબતોમાં ‘અમેરિકા ફર્સ્ટ’ના રાષ્ટ્રવાદી વિચારોનું જ પાલન થશે.

૭. આતંકવાદનો ખાત્મો બોલાવી દઈશું અને સાત મુસ્લિમ બહુલ દેશોના નાગરિકોને તો દેશમાં પ્રવેશવા પણ નહીં દઈએ. 

શકય છે કે અમેરિકનોને સ્ત્રીઓને ભાંડવામાં આવ્યું તે ન પણ ગમ્યું હોય પણ આતંકવાદની સામે અને મુસ્લિમોની સામે આવી વાત કરનાર આ દુનિયામાં કદાચ એકાદ અપવાદ તમારી પાસે હોય તો ભલે. બાકી, અમારા ટ્રમ્પ સાહેબની જોડે કોઈ ઊભી શકે તેમ જ નથી. ઉત્તર કોરિયા, ચીન અને ઈરાન જેવા દેશો સામે રોકડી ભાષામાં અને આવા બળ સાથે કોઈ માઈનો લાલ બોલી શકયો છે ?’ યપ્પીએ સમગ્ર વાનરજાત ઉપર કલ્યાણના વાદળ ફેલાવવાનાં હોય તેવી અદામાં શ્રીમાન ટ્રમ્પનો બચાવ કર્યો.

પણ ચોથેશ્વરીએ પડમાં આવીને વાતનો દોર હાથમાં લીધો ત્યારે ચોથિયા સહિત સૌને આશ્ચર્ય થયું. ચોથિયાના મોંઢાની અધખુલી દાબડીના કારણે તો ઠીક પણ શ્વેતકેશી પણ ઝબકીને જાગી ગયાં હોય તેમ જોતાં થયાં તેથી પણ સૌને ખાતરી થઈ કે હવે કોઇ નવાજૂની બનશે ખરી. ચેાથેશ્વરીએ ગળું સાફ કરીનેે વાત માંડી :

‘તે હેં ભઈલા, આ તારા ટ્રમ્પ સાહેબનાં વખાણ કરતાં તો તું થાકવાનો જ નહીં; ખરું કે ? પણ તને કાંઈ સમાજ અને ન્યાય અને નીતિ અને માનવતા એવા કોઈ મુદ્દાઓની ભાળ મળે ખરી ? આ ટ્રમ્પ સાહેબને જો તું ત્રાજવામાં એક પલ્લે મૂકે તો સામે બીજા પલ્લામાં કાટલાં ક્યાં મૂકીશ?’ યપ્પીને પહેલે જ ધડાકે મૌનવ્રતના ફાયદા જણાવા માંડયા. મરક મરક હસતાં ચોથેશ્વરીએ ખુલાસા ચાલુ કર્યા ‘જો બકા, સત્ય, અહિંસા અને ન્યાય – એમ ત્રણ ત્રાજવે તો આખો મલક તોળાય છે. એમાં તારા પચ્છમ દેશના લિબર્ટી, ઈકવાલિટી અને ફ્રેટરનિટીને ઉમેર એટલે આ જગતનાં સનાતન મૂલ્યો જાગે. આ જગતના ધરમના કાંટે એક પા તારા ઓલા ટ્રમ્પ સાહેબને ગોઠવ અને બીજી પા આ જાગતિક મૂલ્યોને ગોઠવ. તારા ટ્રમ્પ સાહેબ તો કયાં ય અધ્ધર પધ્ધર થઈ જશે તે તું જાણે છે ? સમાજના જે જાગનારા લોક છે તે શું કહે છે તે તો સાંભળ – હટિંગ્ટન પોસ્ટના સંપાદક કહે છે,  “Trump is a serial liar, (and) incites political violence, social xenopobhia.” અને તમે તો બધ્ધેબધ્ધા આખો દાડો અમ્મેિરકા – અમારું અમ્મેિરકાની લવરીએ ચઢ્યા રહો છો. પણ તમને પૈસાના ઢગલા કરવા સિવાય કયારેક કશું સૂઝતું હોય તો જરાક વિચારો તો ખરા – આ તમારા ટ્રમ્પસાહેબનાં વિધાનોને કારણે અને પછી આવી પડનારા પડકારોની સામે તમે ઊભી શકશો ? તમારા સાહેબનાં આવાં વલણ અને રુખ ઉપરથી જોવા મળે તેવી બાબતો નોંધતો જા.

૧. પેરિસ સમજૂતીનો ભંગ કરવાથી આ જગતના પર્યાવરણનો ખુરદો બોલી જવાનો.

૨. ઉત્તર કોરિયા અને ચીનની સામે શિંગડા ભરાવતા રહેવાથી જગતમાં તણાવ વધવાનો અને તમારાં શસ્ત્રો અને સરંજામોની દોડ વધવાની.

૩. મલક આખાના લોકને ‘વાઘ આવ્યો’ની માનસિકતામાં સંડોવી દઈ ચારે બાજુ ચિંતા અને અવિશ્વાસનું વાતાવરણ પેદા થવાનું.

૪. કાયમ માટે યુદ્ધ અને સમરાંગણનાં ડાકલાં વાગતાં રહેવાનાં અને તેથી સામાન્ય લોકજીવનની શાંતિ અને સર્જકતા ઓઝપાવાનાં.

૫. લેાક આખું કોક તારણહારની શોધમાં લાગેલું રહેવાનું. એટલે પ્રચાર અને પડઘમ પીટનારા મહાન લોકનેતા તરીકે ઉભરી આવવાના. જ્ગત લોકકેન્દ્રી નહીં પણ નેતાકેન્દ્રી બનતું જવાનું. આવા નેતાઓ તારણહાર અને મસીહા બનીને લોકહૃદયમાં ગોઠવાઈ જાય તે માટે પ્રચારતંત્રો ભરપેટ કોશિશ કરતા રહેવાનાં.’

આ જ તો તમારા જેવાનું દુઃખ છે ને, ‘યપ્પીએ થોડીક વ્યથા અને ઘણા બધા અણગમા સાથે કહ્યું. હજુ તો આતંકવાદીઓ સામે લડવાની વાત જ શરૂ કરી અને તેમાં તો તમે શું શું ખરાબ બનવાનું તેની સાંકળ અને અંકોડા જોડવા માંડ્યા. હજુ તો ટ્રમ્પસાહેબને ગાદીએ ગોઠવાયે ચાર મહિના પણ થયા નથી અને તમને તો જાણે જગત રસાતાળ જવાનું હોય તેમ દેખાવા માંડ્‌યું. ખરેખર તો તમે બધા સ્થગિત જીવનજળના કીડાઓ છો. સહેજ પાણી વલોવાય તો તેમાં તમને સુનામી દેખાય છે. જગતમાં હવે તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ પ્રગટી છે અને તેની સાથે ઠેરઠેર પરિવર્તનો શરૂ થઈ ચૂક્યાં છે. કુટુંબજીવન હોય કે સમાજજીવન, સંસ્થાઓ હોય કે વ્યવહારો- બધું જ ઝડપથી બદલાવા માંડ્યું છે તે તમને ભળાય છે ખરું ? આર્થિક અને સામાજિક વ્યવહારો બદલાવાની સાથોસાથ રાજકીય રીત અને રસમ બદલાયા વગર શેં કરીને રહેશે ? ‘થર્ડ વેવ’માં ઓલ્વિન ટોફલર કહે છે તેમ આ નવા સર્જાતા યુગમાં અનુકૂલન સાધી નહીં શકે તે પ્રજાતિઓ લુપ્ત થઈ જશે.

‘તે હેં ભઈલા, જરાક ફોડ પાડીને કે’તો જા કે આ નોહાના વારાનો જે તરાપો લઈને તું આવ્યો છું અને તેમાં અમ જેવા અબુધોને બચાવવા નીકળ્યો છું તો તેમાં સવાર થવા વાસ્તે અમારે કયા ધોળ અને મંગળ ગાવાનાં છે? હળવેકથી પોતાની બેઠક જમાવતાં શ્વેતકેશીએ મમરા વેર્યા.

તમે તો સાવ ઘરડાં થયાં અને નથી માચો મેલતાં કે નથી ચોરો છોડતાં. જ્યાં ને ત્યાં ગુડાતાં ફરો છેા. પણ તમારી જૂનીપુરાણી વાતો હવે તો સાવ વાસી રોટલાના ટુકડા જેવી થઈ ગઈ છે. હવે યપ્પીના બોલવામાં અગાઉની વ્યથાની છાંટને સ્થાને શુદ્ધ તિરસ્કારનો જ ભાવ હતો : તમે બધા લોકશાહી અને અભિવ્યકિત અને સમાનતા કે સામાજિક ન્યાયની વાતો ઝૂડે રાખો છો તેનો હવે કોઈ મતલબ જ નથી રહ્યો. અમારે યુદ્ધ માટેનાં શસ્ત્રાસ્ત્રો બનાવવાં છે અને તમે જમીન છોડવા માંગતા નથી. તે હવે અમે યુદ્ધનો ભય ઊભો કરી રાષ્ટ્રવાદ અને ભવ્ય ભૂતકાળની વાતો કરી જનમાનસને ભેરવી-ભોળવીને જમીનો પડાવી લઈશું. ‘તુમ હમેં ખૂન દો, હમ તુમ્હેં આઝાદી દેંગે’ના ગગનચુંબી નારા લગાવીને તમારી પાસેથી તમારી લોકશાહી જ છીનવી લઈશું અને રહી જશો જંતર વગાડતા – શું સમજ્યા. યપ્પીના બોલવામાં જે ઉકળાટ, ઉતાવળ અને આક્રમકતા ડોકાતાં હતાં તે સાંભળીને લીમડે ટિંગાતાં વાનરબાળ પણ સહેમી ગયા. શ્વેતકેશીને પણ થયું, આ નવી વાણી સાવ અજાણી પણ નો’તી. છેક હિટલરના વખતમાં – છેક ૧૯૩૩માં પેલા શ્રીમાન ગોબલ્સે જે પ્રચારલીલા આરંભી હતી તેમાં આવા જ કાંઈક અંશો હતા. આશ્ચર્ય હોય તો તે એટલું કે આટઆટલા નારકીય અનુભવો દુનિયાને કરાવ્યા પછી પણ આ વિચારો છેક ૨૦૧૭માં પડઘાતા અને પુર્નજીવીત થવા માંડયા હતા. પેલા રિશ્ટાગ ફાયર કેસમાં સામ્યવાદીઓનો હાથ હોવાના કોઈ પુરાવા ના મળ્યા તો હિટલરે પેરેલલ સિસ્ટમ ઓફ જસ્ટિસ અને પીપલ્સ કોટ્ર્સ શરૂ કરાવીને ન્યાયના નામે એવું તાંડવ મચાવ્યું કે સાઠ-સિત્તેર લાખને તો નારકીય ક્રૂરતાથી રહેંસી નાંખ્યા; અને આ બધું ન્યાયના નામે અને ન્યાયને ખાતર. આટલું અપ્રગટ વિચારીને પછી પ્રગટભાવે તેણે કહ્યું : ‘જો દીકરા, તારા આ સૂકા અને જડ બનતા જતા દિમાગમાં પ્રેમ નામના રોપાને જરાક તો પાણી પા. માણસમાત્રને સમાનભાવે જો તો ખરો. કોઈ પણ ધરમના થોડાક વંઠેલાને આધારે આખેઆખા સમાજને હડધૂત કેમ કરીને કરાય ? અને જરાક વિચાર તો ખરો – ઈરાક, સીરિયા કે તેથી ય પહેલાં વિયેતનામમાં તમે કેવા જઘન્ય અત્યાચારો કરી ચૂકયા છો. ન્યાય અને ધર્મનાં નામે માણસ જેવા માણસને તમે મારતા જ જાવ છો તે હવે તો અટકો.’

બેાલવાનો પણ હાંફ ચડયો હોય તેમ શ્વેતકેશીએ થોડોક પોરો ખાઈને વાતને આગળ ચલાવી : ‘પેલા જર્મન છાપા – દર શ્પિગલે જે કાર્ટુન દોર્યુ હતું તે યાદ તો કર. તેમાં તમારા આ ટ્રમ્પ સાહેબને સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનું માથું કાપીને તેને લોહી નીગળતા સ્વરૂપે હાથમાં સાહીને ઊભેલા બતાવ્યા છે. ઈગ્લેંડના કેટલા ય સાંસદોએ ટ્રમ્પની પોતાના દેશની મુલાકાતની સામે જોરદાર વિરોધ વ્યકત કર્યો છે.’

વળી પાછા ચારે તરફ જોઈને શ્વેતકેશીએ આગળ ચલાવ્યું : ‘ભાઈલા મારા, તારા આ ટ્રમ્પ સાહેબ તારા જેવા ત્રણેક લાખ ભારતીયો સહિત લાખોને કાઢી મૂકવાના છે તે માટે કેવી પ્રક્રિયા થશે કે કેવાં પગલાં ભરાશે તેનો કોઈ વિચાર તને આવ્યો છે ? કુલ સવા કરોડ વિદેશી વસવાટીઓ ઉપર ભારે તવાઈ આવવાની છે. આ માટે ઠેરઠેર અને ઘેરઘેર દરોડા પડાવા મંડ્યા છે. આ દરોડા પાડનારાની ફોજને વધુ મોટી બનાવવા હાલમાં જ દસ હજારની ભરતી કરવામાં આવી છે. એવું પણ બને કે છોકરાં ત્યાંના વતની થઈ ગયા હોય અને ઘરડાં મા-બાપની વિધિ હજુ ચાલુ હોય કે મા-બાપ ત્યાંનાં થઈ ગયા હોય પણ છોકરાંની વિધિ ચાલતી હોય – આવાં કુટુંબોના શા હાલ થશે ? આ બધાં આતંકવાદીઓ તો નથી ને. જે શહેરો તેમના આ આદેશને અવગણે અને પોતાના શહેરમાં વસતા વિદેશી કુળ કે મૂળના લોકો સામે પગલાં ન ભરે તેવાં શહેરોને સૅંકચ્યુઅરી સિટીઝ ગણાશે અને તેમને મળતા ફેડરલ નાણાંમાં કાપ મૂકાશે. અમેરિકાનાં દસ મોટાં શહેરોના આવા અઢી અબજ ડોલરની સહાય કપાઈ શકે છે.’

આ વખતે તો ગુચ્છપુચ્છ પણ ઊભી પૂંછડીએ દોડી આવ્યો. તેમણે કહ્યું, તારા જેવા જાણકારની નજરમાં હોય જ કે ટ્રમ્પના પ્રધાન મંડળના એક મહત્ત્વના સભ્ય માઈકલ ફ્લીને અચાનક જ રાજીનામું શીદ આપ્યું. તેમનો રશિયા સાથેનો ઘરોબો જાહેર થઈ ગયો અને ટ્રમ્પની ચૂંટણીમાં રશિયાએ કોઈક અકળ મૈત્રી દાખવી હશે તેવી ગંધ વધારે ના ફેલાય તેની આ તકેદારી જ હશેે ને.

અને ઘા ભેગો ઘસરકો કરવાનો હોય તેમ એકદંતગૂમે પણ શબ્દે શબ્દે સિસોટી મારતા ઉમેર્યું, ‘બેટા, યાદ રાખ – આ તારો ટ્રમ્પ – is an existential threat to America. He will dominate and then defeat and destroy what you all call America. આખરે તો ચોથેશ્વરીએ જ મૌનના આ ભારને હડસેલ્યો અને કહ્યું, ‘બકા, તારી પાસે નોહાનો તરાપો છે તેમ માનતો નહીં. સ્વર્ગની સીડી કાંઈ બહુ વેગળી પણ નથી. સત્ય, ન્યાય અને અહિંસા તથા લિબર્ટી, ઈકવાલિટી અને ફ્રેટરનિટીનાં છ જ પગથિયાં ચઢીશને એટલે સૌ સારાં વાનાં થશે.

શિયાળાની આથમતી સાંજે કાલે ઊગનારા નવા સૂર્યની આશાએ સૌ ઝંપી ગયા.

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 07-09

Loading

...102030...3,4733,4743,4753,476...3,4803,4903,500...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved