Opinion Magazine
Number of visits: 9584705
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લખવું એટલે જાતને, જીવનને સમજવાની-પામવાની મથામણ

અંકિત દેસાઈ|Opinion - Literature|12 January 2017

(આ મુલાકાત, વર્ષ 2013માં, “ગુજરાત ગાર્ડિયન”માં પ્રકાશિત થઈ હતી. તેમાં આજના સંદર્ભે કોઈ ફેરફાર કરાયો નથી. − અંકિત દેસાઈ)

અંકિત દેસાઈ અને હિમાંશી શેલત

અંકિત દેસાઈ : લેખનની શરૂઆત ક્યારે કરી?

હિમાંશી શેલત : બહુ મોડી. લગભગ ૧૯૮૦ પછી. જ્યારે મારું થિસીસનું કામ પત્યું પછી મેં મારા લેખનની શરૂઆત કરી.

અં : સર્જનનું માધ્યમ વાર્તા જ કેમ?

હિ : વાર્તા મને પહેલેથી જ બહુ આકર્ષતી. મને પહેલેથી જ વાર્તાઓ વાંચવાનો ખૂબ શોખ હતો. હું જ્યારે ભણતી, ત્યારે પણ ખૂબ અંગ્રેજી વાર્તાઓ વાંચતી. આમ, મારા એ શોખમાંથી જ મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જો કે હું વાર્તાઓ લખીશ જ એવો મને બહુ ખ્યાલ ન હતો. વાર્તાઓ લખવી મને ઘણો મોટો પડકાર લાગતો, કારણ કે વાર્તામાં તમારે ખૂબ જ થોડાં પાનાંઓમાં અને ઓછા શબ્દોમાં વાચકો આગળ તમારી વાત મૂકવાની હોય છે. આ આખી પ્રકિયા જ મને ખૂબ ગમતી. આથી મને જ્યારે લખવાનો વિચાર આવ્યો, ત્યારે મેં વાર્તામાં જ વ્યકત થવાનું પસંદ કર્યું.

અં : તમારા માટે વાર્તા એટલે શું?

હિ : મારા માટે વાર્તા એટલે હું જે સમયમાં જીવું છું એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઈ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયત્ન કરવો. એટલે કે સાંપ્રતની કેટલીક ક્ષણોને પકડવાનો અને એ સંવેદનોને ભાવક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો. આમ, ભાષા દ્વારા કલાનાં ધોરણો સાચવીને તમારી સામાજિક નિસ્બતને વ્યક્ત કરવી એટલે વાર્તા. વાર્તા એ કેવળ ચબરાકી હોય તેની તરફેણમાં હું ક્યારે ય રહી નથી. પૂરી સ્માર્ટનેસથી કે ભાષાનાં ખેલથી સપાટી ઉપરનું લખાયેલું હોય અને તેમાં કોઈ પણ સંવેદન વ્યકત ન થયું હોય, એ બધું સાહિત્ય બહુ લાંબા ગાળા સુધી ટકતું નથી. આમ, વાર્તા વાંચવાનો રસ સૂકાઈ જાય ત્યાં સુધીની સ્વરૂપની મથામણ અને ગોઠવણ કે ચબરાકીમાં હું માનતી નથી.

અં : તમારી સર્જન પ્રકિયા વિશે થોડું જણાવશો?

હિ : આ વિશે જણાવવું થોડી અધરી વાત છે. પણ મને એક વાર વાર્તાનું બીજ મળે તો મને મળેલી તે કાચી સામગ્રીનું વાર્તામાં કેવી રીતે રૂપાંતર કરવું એ વાતમાં મને ખૂબ રસ પડે છે. મને કાચી સામગ્રી મળતાં જ હવે તેનું રૂપાંતર કેવી રીતે થશે કે કેવું થશે અને કલાત્મક થશે કે નબળું થશે તે અંગેનાં વિચારોમાં હું જોતરાઈ જાઉં છું. આ ઉપરાંત મને પાત્રોનું પણ ખૂબ આકર્ષણ. મારી મોટા ભાગની વાર્તાઓ પાત્રોમાંથી જ મળી છે. મને એક વાર પાત્ર મળે પછી તેની આસપાસ ગોઠવવા જેવી વસ્તુઓને હું ગોઠવી દઉં છું. જો કે હું માનું છું કે મારી વાર્તાનાં મૂળ તો બે તબક્કા છે એટલે કે હું સામાજિક કામ નહોતી કરતી તે પહેલો તબક્કો અને બીજો ‘એ લોકો’ પછીનો તબક્કો એટલે કે હું સામાજિક કામો કરતી થઈ એ પછીનો તબક્કો. આ બે તબક્કા વચ્ચેનો ભેદ પણ તરત ખબર પડે એવો છે.

અં : આપે હંમેશાં રઝળતાં બાળકો અને મૂંગા પ્રાણીઓ માટે કામ કર્યું છે. શોષિતો અને નિરાશ્રિતો માટેની આ સંવેદનશીલતાનાં બીજ ક્યાંથી રોપાયાં?

હિ : હું ભણતીથી ત્યારથી જ. મારા ઘરનું વાતાવરણ ગાંધીવાદી હતું એટલે ઘરમાં ખૂબ જ સંવેદનશીલ વાતાવરણ હતું. ઉપરાંત મારી સ્કૂલ ‘જીવનભારતી’નું વાતાવરણ પણ એ માટે જવાબદાર રહ્યું. કારણ કે, ત્યાં દર વર્ષે એક શ્રમ સપ્તાહનું આયોજન થતું. આ દરમિયાન અમે એક અઠવાડિયા સુધી વિવિધ સામાજિક કાર્યો કરતાં. એટલે કદાચ ત્યાંથી જ આ બીજ રોપાયાં હશે. અને પ્રાણીઓ તો મને પહેલેથી જ બહુ ગમતાં. કોઈ માણસ કોઈ પ્રાણીની હત્યા કરે અથવા તેને કનડે તે ક્યારે ય મને ગમતું નથી. મને ક્યારે ય પ્રાણીઓનો ભય નથી થયો. હું માનું છું કે અહીં આપણો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર પ્રાણીઓનો પણ છે. એટલે કોઇ પ્રાણીઓને મારે અથવા મારી નાંખે એ બધું મને ખૂબ જ ત્રાસદાયી લાગ્યું છે. મને આ પૃથ્વી પર સૌથી ઉપદ્રવી પ્રાણી માણસ જ લાગ્યો છે, પ્રાણીઓનો તો કોઈ જ ઉપદ્રવ નથી.

અં : પ્રાણીઓ અને બાળકો સાથેનાં અનુભવો કેવા રહ્યાં? એમની સાથેની ક્ષણોને વર્ણવી શકો?

હિ : બાળકો અને પ્રાણીઓની વૃત્તિ હંમેશાં ઘણી સાફ હોય છે. મેં ‘પ્લેટફોર્મ નં ૪’માં તેમના વિશે કહ્યું છે કે મેં તેમને કંઈ જ આપ્યું નથી, તેમણે જ ઘણું બધું આપ્યું છે. હું બાળકો પાસેથી ઘણું બધું શીખી છું. તેમનાંમાં આનંદ મેળવાની અનહદ ક્ષમતાઓ રહેલી હોય છે. મેં મારી આસપાસનાં જે ભદ્ર વર્ગનાં લોકોને જોયાં છે, તેમનાંમાં મને લાલસા સિવાય બીજું કંઈ દેખાયું નથી. તેમનામાં આનંદ મેળવવાની કોઈ ક્ષમતા જ નથી.  આમ, બાળકોની અને પ્રાણીઓની સહજતા જ મને બહુ આકર્ષી છે. આથી હું તેમનાં તરફ ઘણી ખેંચાઈ છું.

અં : ટૂંકી વાર્તાઓમાં કથાની અદ્દભુત ગૂંથણી કરતાં હિમાંશી શેલતે નવલકથાઓ આંગળીને વેઢે ગણાય એટલી જ લખી છે. એનું કોઈ કારણ?

હિ : લાંબુ લખવાનું મને બહું નથી ફાવતું. નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઇએ એ દિશામાં મારી શક્તિઓ વળી નથી અથવા મારી એ શક્તિ છે પણ નહીં. ‘આઠમો રંગ’ મેં અમૃતા શેરગીલ પ્રત્યેનાં અત્યંત પ્રેમને કારણે લખી. અમૃતાની વાત ટૂંકી વાર્તામાં મૂકી શકાય એમ પણ ન હતી આથી મેં નવલકથા લખી. અને આઘાતથી પીડાતા બાળપણ વિશે હું સતત અજંપ રહેતી અને આ વાત પણ ઓછા શબ્દોમાં કહીં શકાય એમ ન હતી, એટલે મેં ‘સપ્તધારા’ લખી. મારી આ બન્ને નવલકથાઓથી મને બહુ સંતોષ નથી થયો. જો કે મેં લાંબી વાર્તાઓનાં (‘કાળાં પતંગિયાં અને ક્યારીમાં આકાશપુષ્પ’, ‘પંચવાયકા’, ‘ગર્ભગાથા’) પ્રયોગો કર્યાં છે, જેમાં મને લાગ્યું છે કે મેં સારું કામ કર્યું છે. આમ લાંબી વાર્તાઓ લખવી મને ફાવે છે પરંતુ નવલકથાનાં પોતને વણવાની મારામાં આવડત નથી.

અં : વાર્તાનાં સ્વરૂપમાં કેવા બદલાવ આવ્યા છે? આ બદલાવો અંગે તમારું શું કહેવું છે?

હિ : ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ ઘણી સારી લખાય છે. આપણી મુશ્કેલી એ જ છે કે આપણી વાર્તાઓ બહાર ઓછી પહોંચે છે. આધુનિક વાર્તાની વાત કરીએ તો સુરેશ જોષીએ આપણને મનુષ્યની ચેતનાનાં વિશ્વમાં પ્રવેશ કરવાનું શીખવ્યું. ત્યાર બાદ પણ વાર્તામાં જુદાં જુદાં તબક્કા આવ્યાં. પછી પરિસ્કૃત વાર્તાનો તબક્કો આવ્યો જેમાં લોકજીવન તરફ આપણે પાછાં ફર્યાં. ભાષાની દૃષ્ટિએ પણ તેમાં ઘણાં ફેરફારો થયાં. આ તમામ ફેરફારોનું આગવું મૂલ્ય છે. આજે દરેક જણ કોઈની અસર હેઠળ આવ્યાં વિનાં પોતાની પ્રતીતિથી વાર્તા લખે છે, જે આજની વાર્તાની સૌથી મોટી ફલશ્રુતિ છે.

અં : તમને કયા પ્રકારનું વાંચન ગમે છે? તમારા પ્રિય સર્જકો અને પ્રિય પુસ્તકો કયાં?

હિ : આમ તો હું બધું જ વાંચું. તો પણ ફિકશન અને આત્મકથાઓ સૌથી વધુ ગમે. મને ઉત્તમ કવિતાઓ પણ વાંચવી ગમે છે જો કે ગઝલોનો મને બહુ શોખ નથી. સાત્રનાં મિત્ર સિમોન દ બુવાની આત્મકથા મને અત્યંત પ્રિય છે. તેમની આત્મકથા વાંચ્યા પછી જ મને આત્મકથાઓ પ્રત્યે ખૂબ ખેંચાણ રહ્યું. ઉપરાંત નવલકથાઓ પણ વાંચવી ગમે છે. પરંતુ ગુજરાતીમાં મેં પ્રમાણમાં ઓછી નવલકથાઓ વાંચી છે કારણ કે આપણે ત્યાં નવલકથામાં એટલું સંતોષકારક કામ નથી થયું. મારા પ્રિય વાર્તા સર્જક કેથરીન મેન્સફિલ્ડ છે જેમની વાર્તાઓ મને આજે પણ ખૂબ ગમે છે. ઉપરાંત મને મહાશ્વેતા દેવી, આશાપૂર્ણા દેવી, મનુ ભંડારી જેવાં પ્રાદેશિક સર્જકો પણ ઘણાં ગમ્યાં છે. તો ગુજરાતીમાં જયંત ખત્રીથી લઈ અત્યાર સુધીનાં વાર્તાકારોનું કંઈ ને કંઈ ગમ્યું છે.

અં : વિનોદ મેઘાણી સાથે પરિચય કેવી રીતે થયો? તેમની સાથેની સફર કેવી રહી?

હિ : હું વિનોદ મેઘાણીને બહુ મોડી મળી. એટલે કે લગભગ ૧૯૯૫માં મળી. ચારેક મહિનાનાં પરિચય પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. ત્યારે હું નંદીગ્રામ સાથે સંકળાયેલી હતી એટલે મકરંદભાઈની સલાહથી 1995માં અમે રજિસ્ટર્ડ લગ્ન કરી લીધાં. હું નંદીગ્રામની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી અને વિનોદ પણ મકરંદભાઈ સાથે સંકળાયેલા હતા. આથી તેમની સાથે કામ થઈ શકે એ માટે તેમણે મુંબઈ છોડ્યું અને મેં સુરત છોડ્યું. અને અમે બન્ને વલસાડ આવી ગયાં. તેમની સાથેની સફરની વાત કરું. અમે બન્ને અહીં બહુ કામમાં રહેતાં. હું મારાં કામોમાં વ્યસ્ત હતી, તો તેઓ પણ સંપાદનોમાં અને અનુવાદોમાં રોકાયેલા રહેતા. જો કે અમારું કામ ભાષાનું અને પુસ્તકોનું હતું એટલે એ રીતે અમને સાથે કામ કરવાની મજા પણ આવી. અમે સાથે મળીને બાપુજી(ઝવેરચંદ મેઘાણી)નાં બે પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યુ. આમ, અમારી સફર પ્રમાણમાં ઘણી સારી રહી. પરંતુ અમારી સફર બહુ ટૂંકી રહી અમને જો વધુ સમય મળ્યો હોત, તો થોડું સારુ થાત, કારણ કે કોઈ પણ સંબંધ માટે ચૌદ વર્ષનો ગાળો ઘણો ટૂંકો કહેવાય. આ ઘરમાં આવ્યાં પછી અમે બન્નેએ અમારું મેજર વર્ક અહીં જ કર્યું.

અં : વાંચન અને લેખન સિવાયનાં આપનાં કોઈ શોખ?

હિ : આમ તો વાંચન-લેખન મારું મૂળ કામ. પરંતુ ત્યાર પછીનું મારું કામ મારી સામાજિક નિસ્બત છે. મેં મારાં જીવનનાં ઘણાં વર્ષો સામાજિક કામો માટે આપ્યાં છે. અને આ કામો મેં કોઈ સેવાનાં આશયથી નથી કર્યાં. પણ આ કામો કરવાં મને ગમે છે એટલે હું તે કરતી હતી.

અં : આજની ગુજરાતી ટૂંકી વાર્તાઓ તમને કેવી લાગે છે? નવા વાર્તાકારોમાં કોને વાંચવા ગમે?

અત્યારની ગુજરાતી વાર્તા ચોક્કસ સારી જ છે. પણ છતાં ભાષાની એક કમનસીબી છે કે હાલમાં સાહિત્યનાં કોઈ પણ સ્વરૂપમાં ગજાનો યુવા સાહિત્યકાર મળવો મુશ્કેલ છે. હા, સારું લખવાની શક્યતા ધરાવતા એકાદ બે આપણને મળી આવે ખરા. આપણે ત્યાં રિસર્ચનાં કામોમાં ભરત મહેતા કે હેમંત દવે જેવાં માણસો મળી રહ્યાં છે પરંતુ કવિતા કે સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં ગજાનાં માણસો મળી રહેવા થોડાં મુશ્કેલ છે. હા, જો કે નીવડેલા વાર્તાકારો આપણી પાસે ઘણાં છે, જેમાં મોહન પરમાર કે વિનેશ અંતાણી જેવાં વાર્તાકારોનો સમાવેશ કરી શકાય છે.

અં : આજની પેઢીના વાચકો વિશે તમારું શું કહેવું છે? ગુજરાતીઓ પુસ્તકો ખરીદતાં નથી અથવા વાંચતા નથી તેવી ફરિયાદ તમને કેટલી સાચી લાગે છે?

હિ : ગુજરાતીઓ પુસ્તકો નથી ખરીદતાં એ વાત સાવ સાચી. કારણ કે કોઈ પણ સારા વાર્તાકારોની કૃતિઓ એટલે કે જેને ખરા અર્થમાં સાહિત્ય કહી શકાય એવી કૃતિઓની ૧૨૦૦-૧૫૦૦ નકલ વેચાવામાં જો ઘણો લાંબો સમય જતો હોય તો એનો અર્થ એ થાય છે કે આપણે વાચક તરીકે એટલા બધા સારા નથી. ઉપરાંત જે લોકો પુસ્તકો ખરીદે છે તે લોકો કેટલું વાંચે છે અને શું વાંચે છે તે પણ મોટો પ્રશ્ન છે. જો કે આમાં અન્ય માધ્યમો એ પણ ઘણી અસર કરી છે કારણ કે હવે લોકોને પુસ્તકો ખરીદવાની બહુ જરૂર રહી નથી. ગુજરાતી સાહિત્યની વાત કરું તો ઉસનશ્‌ સાહેબના અવસાન વખતે બહુ જુજ કહી શકાય એટલાં લોકો આવ્યાં હતાં. આટલા ગજાનાં સર્જક માટે જેટલાં લોકો હોવા જોઇતા હતાં એટલાં લોકો ત્યાં ન હતાં. આમ, ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જક હોવું એટલે તમારી આ જ સ્થિતિ થાય એ પણ તમારે સ્વીકારી લેવું. પણ છતાં થોડાં મુઠ્ઠીભર લોકો એવાં છે જે તમને વાંચે છે અને એ વર્ગ ભલે નાનો હોય પણ તમને લખતા પણ રાખે છે.

અં : તમને ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય કેવું લાગે છે?

ગુજરાતી કથા સાહિત્યનું ભવિષ્ય સારું છે. જો કે નવલકથા બાબતે થોડી મુશ્કેલી લાગી રહી છે. કારણ કે છેલ્લાં એક દાયકાની ઉત્તમ નવલકથા યાદ કરવી હોય તો એ મુશ્કેલીભર્યુ કામ છે. ‘કૃષ્ણાયન’ જેવી એકાદ નવલકથા મળી આવે કે આપણે કહી શકીએ કે હા, થોડુંક સરખું કામ થયું છે. જયંતભાઈ ગાડીત હતા ત્યાં સુધી એ નવલકથામાં થોડું સારુ કામ કરી શક્યા હતા. પરંતુ ગુજરાતી વાર્તાઓનું ભવિષ્ય ઉજળુ છે.

અં : તમારાં માટે લખવું એટલે?

હિ : મારે માટે લખવું એટલે જાતને અને જીવનને સમજવાની અને પામવાની મથામણ. હું કથાસાહિત્ય લખું છું એટલે મને એક સાથે ઘણાં બધાં જીવન જીવવાની તક મળે છે. મારા સર્જન દરમિયાન કેટલીક ક્ષણો સુધી હું પોતે હું રહેતી નથી. આમ, લખવું એટલે પોતાની જાતને ભૂંસી કાઢવી અને બીજાનાં જીવનની નજીક આવવું. આમ, મારે માટે લખવું એટલે જીવનને વધારે ઊંડાણથી પામવું.

અં : એવોર્ડ વિશે આપ શું માનો છો?

હિ : 2002 પછી મેં કોઈ પણ એવોર્ડ લીધા નથી. પરંતુ એક વાત સાચી કે એવોર્ડ મળે તો તમને સારા પ્રકાશકો મળી રહે છે. કારણ કે ગુજરાતી સાહિત્યમાં પ્રકાશકો સરળતાથી મળી રહેતા નથી. મને ઘૂમકેતુ એવોર્ડ અને સાહિત્ય અકાદમીના એવોર્ડ પછી ઘણાં સારા પ્રકાશકો મળી રહ્યા હતા.

અં : આપનાં આગામી કોઈ પ્રોજેક્ટ અથવા વિશેષ કામ?

હિ : હા, હાલમાં હું મારા જીવન ઉપર લખી રહી છું, જેનાં ત્રણેક હપ્તાઓ ‘સમીપે’માં છપાઈ પણ ગયાં છે. મારે મારી આત્મકથાનું કામ જલદીથી પૂરું કરવું છે. કારણ કે મારે એ કામ ઘણું પહેલાં પતાવવાનું હતું.

e.mail : ankitdesaivapi@gmail.com

Loading

સર્જકોત્સવ અને ભાવકોત્સવ

અંકિત દેસાઈ|Opinion - Literature|10 January 2017

ગયા રવિવારે [08 જાન્યુઆરી 2017] એટલે કે હજુ બે દિવસ પહેલાં જ સુરતમાં એક મજાનો ‘સર્જકોત્સવ’ ઉજવાયો.

સર્જક હતાં આપણી ભાષાના ટોચનાં વાર્તાકાર હિમાંશી શેલત અને ઉત્સવ હતો એમના સીત્તેરમાં જન્મ દિવસનો, જેમાં હિમાંશી શેલતનાં ભાવકો, વિદ્યાર્થીઓ અને કેટલાંક અન્ય સર્જકો ભેગા મળ્યાં અને હિમાંશીબહેનની વાર્તાઓ, આંગળીને વેઢે ગણાય એટલી નવલકથાઓ, ઉત્તમ કક્ષાના સંપાદનો અને એમની આત્મકથા ‘મુક્તિ વૃત્તાંત’ વિશે સંવાદો થયાં, બેઠકો થઈ… જાણીતા લેખિકા શરીફા વીજળીવાળા, લેખક- પત્રકાર બકુલ ટેલર અને હિમાંશી શેલતના ભાઈ ડૉ. કેતન શેલત જેવા સહૃદયીઓએ આખા કાર્યક્રમનું આયોજન કર્યું અને મીનળ દવે, બિન્દુ ભટ્ટ, શિરીષ પાંચાલ, ઈમરાન સુરતી, કિરીટ દૂધાત કે રમણ સોની જેવા સુજ્ઞજનોએ વિવિધ વિષયો પર એમના વક્તવ્યો આપ્યાં.

સુરતનો એ સર્જકોત્સવ કેટલો મજાનો રહ્યો અને હિમાંશી શેલતનાં ભાવકોએ એમની સાથે કેટલો ઉત્તમ સમય વીતાવ્યો એના પુરાવા નથી આપવા કારણ કે, આવાં મુઠ્ઠી ઊંચેરાં સર્જકનો સત્કાર સમારંભ હોય એટલે અમસ્તા ય ભાવકો – વિદ્યાર્થીઓ ઉત્સવમાં સામેલ થાય. પણ રજાને દિવસે છેક સુરતમાં કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે મુંબઈ તરફથી યામિની પટેલ કે અમદાવાદ ભણીથી ચંદ્રમોલિ શાહ કે વલસાડ બાજુથી બકુલા ઘાસવાલા જેવાં લોકો એમની ઉંમર-તબિયત કે પ્રવાસ દરમિયાન થતી કોઈ હાડમારીની ચિંતા કર્યા વિના સુરત લગણ લાંબા થાય તો એની નોંધ તો લેવી જ પડે! જો કે હિમાંશી શેલતનું સર્જન, એમનું વ્યક્તિત્વ અને એમનાં કાર્યો જ એવા ઉમદા છે કે, એમને રૂબરૂ મળવાનો લાભ મળતો હોય તો એમનો ચાહક બધું ય વેઠીને એમના સુધી પહોંચે!

ખૈર, હિમાંશી શેલતનો મેં ‘ગુજરાત ગાર્ડિયન’ માટે ઈન્ટરવ્યૂ કરેલો, ત્યારે એમણે એક કબૂલાત કરેલી કે, એમની પેઢીના અન્ય વાર્તકારોની સરખામણીમાં એમણે લખવાનું ઘણું મોડું શરૂ કરેલું. 8મી જાન્યુઆરી 1947ના દિવસે એમનો જન્મ. પણ એમની વાર્તાઓ છેક એંસીના દાયકામાં પ્રકાશિત થવાની શરૂ થઈ. જો કે એમણે લખવાની શરૂઆત ભલે મોડી કરી હોય, પરંતુ જે લખ્યું એ શ્રેષ્ઠત્તમ લખ્યું. અહીં અન્ય વાર્તાકારો સાથે સરખામણી કે કોઈના પ્રદાનનું મૂલ્યાંકન નથી કરવું, પરંતુ એક વાત બહુ સ્પષ્ટ રીતે કહી શકાય કે, આપણી ભાષામાં હિમાંશી શેલત જેવાં વાર્તાકાર થાય એ આપણી ભાષાનું ભાગ્ય કહી શકાય! બાકી, હિમાંશીબહેન અંગ્રેજીનાં ખૂબ ઉત્તમ અધ્યાપક રહ્યાં અને આપણી પ્રજા તો હજુ હમણાં હમણાં જાણતી થઈ, પણ વી.એસ. નાયપોલને સાહિત્યનું નોબલ પ્રાઈઝ એનાયત થયેલું એના વર્ષો પહેલાં એમણે નાયપોલના લેખન પર Ph.D સુદ્ધાં કરેલું. અંગ્રેજીના આવા અભ્યાસુ એ જ ભાષામાં લખતે તો?

પેલા ઈન્ટરવ્યૂ પર ફરી આવીએ. એ જ ઈન્ટરવ્યૂમાં એમને પૂછયેલું કે, ‘ટૂંકી વાર્તાના સ્વરૂપમાં તમે કથાની ગૂંથણી અત્યંત ઉત્તમ રીતે કરી શકો છો, પણ વાર્તાની સરખામણીએ તમે નવલકથા માત્ર બે-ત્રણ લખી છે … આવું કેમ?’ ત્યારે એમણે કહેલું, ‘કળાનો એ પ્રકાર એટલે કે નવલકથાનું માળખું મને ઝાઝું માફક નથી આવ્યું. અથવા તો નવલકથામાં કથાની જે ગૂંથણી કરવી જોઈએ એ દિશામાં મારી ક્ષમતાઓ વળી નથી.’ હિમાંશીબહેને પોતે એ કહ્યું કે, પોતાનાં સર્જનમાં એમને ‘આઠમો રંગ’ અને ‘સપ્તધારા’ બાબતે થોડો અસંતોષ છે. એમનું માનવું છે કે, જે રીતે એ નવલકથાઓ લખાવી જોઈતી હતી એ રીતે એ લખી શકાઈ નથી.

અહીં વાચકોને જણાવવાનું થાય છે કે, ‘આઠમો રંગ’ હિમાંશી શેલતની પહેલી નવલકથા છે, જેમાં નાની ઉંમરે મૃત્યુ પામેલાં અને મૃત્યુ પછી જેમનું કામ ખૂબ વખણાયું હતું એવા વિખ્યાત ભારતીય ચિત્રકાર અમૃતા શેરગીલના જીવનની કશ્મકશ વિશેની વાતો આલેખવામાં આવી છે. તો ‘સપ્તધારા’માં આઘાતથી પીડાતા બાળપણની વાત આલેખવામાં આવી છે.

જો કે હિમાંશીબહેન પોતે ભલે કહે કે, નવલકથાનું સ્વરૂપ એમને માફક નથી આવ્યું, પરંતુ લઘુનવલ કહી શકાય એવી ‘ક્યારીમાં અકાશપુષ્પ અને કાળાં પતંગિયાં’ એમનું ઉત્તમ સર્જન છે. દાઢીધારી સાહિત્યકારોની જેમ વાર્તા કે નવલકથાનું પીંજણ નથી આવડતું, પણ એટલું જરૂર કહી શકાય કે, ‘કાળાં પતંગિયાં’ એક ઉત્તમ કૃતિ છે જ, જેમાં હિમાંશીબહેને આપણને એવી દુનિયા સાથે રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, જે દુનિયામાં જીવતા લોકો બાબતે આપણે સૌએ આપણી આંખ આડા કાન નહીં, પણ ગાંધારીને શરમ આવે એવાં સૂપડાં ધરી દીધાં છે.

રૂપજીવિનીઓનાં જીવન વિશે અનેક વાર્તાઓ વાંચવા મળી છે. મન્ટો જેવો મન્ટો સુગંધીના ઈગોની કે બીજી કેટલીક બાબતોની વાત વાર્તામાં રજૂ કરી ગયો છે. જો કે હિમાંશી શેલતની રૂપજીવિનીઓના સંદર્ભની વાર્તાઓમાં વિશેષતા એ કે, એમાં દેહવિક્રય કરીને જીવતી સ્ત્રીઓને બિચારી કે શોષિત તરીકે નહીં, પણ અનેક અભાવો વચ્ચે પણ ગરદન ઊંચી રાખીને જીવતી દર્શાવવામાં આવી છે. ‘કાળાં પતંગિયાં’ હોય કે એ જ વિષયની જુદી વાર્તાઓ હોય એમાં વાર્તાકાર તરીકે હિમાંશી શેલતે સમાજ સામે ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો હોય, પણ એ બધાં પાત્રો લગભગ ફરિયાદ નથી કરતાં. એ બધીઓ તો જાણે એમની ઓછપનો ઉત્સવ ઉજવતી હોય એમ ખુશખુશાલ જણાય!

આ ઉપરાંત હિમાંશી શેલતે ‘ગર્ભગાથા’ અને ‘પંચવાયકા’ જેવી કથાઓ પણ આલેખી છે, જેને નવલકથા નહીં શકાય, પરંતુ એમને વાર્તા કહેવી કે કેમ એ પણ પ્રશ્ન છે. પરંતુ ટૂંકી વાર્તા કરતાં સહેજ નોખી કહી શકાય એવી વાર્તાઓ પણ છે તો ઉત્તમ જ. ‘ગર્ભગાથા’નું તો પોત જ એવું અદ્દભુત છે કે, એનું જે પડ ઉખેળીએ એમાંથી વાર્તા નીકળે!

હિમાંશી શેલત અને એમનું લેખન કે જીવનભર એમણે આદરેલાં કાર્યો વિશે એક લેખમાં વાત થાય જ નહીં. એ બધી વાતો બે-ચાર લેખોમાં થાય અને આપણે એમ જ કરવાના છીએ, જેથી મને પણ ફરીથી એ વાર્તાઓ-સમરણો – વર્ણનોમાંથી પસાર થવાની તક મળશે. આજે વાતવાતમાં હિમાંશી શેલતની નવલકથા અથવા લઘુનવલ વિશે ઉપરછલ્લી વાત માંડવાનું થયું.

પણ મને અંતરની ઈચ્છા છે કે, હું મારા દિલની સૌથી નજીક એવા એમનાં બે પુસ્તકો ‘પ્લેટફોર્મ નંબર ચાર’ અને ‘વિક્ટર’ વિશે કંઈક લખું. તો હવે પછીની ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં એ વિશેની વાતો માંડીશું.

ફીલ ઈટઃ

રામ મ્યુિનસિપાલિટીનો બગીચો છે, જ્યારે કૃષ્ણ આપોઆપ ઊગી નીકળેલું જંગલ છે.

– સર્જકોત્સવ દરમિયાન બાજુના હૉલમાં નગીનદાસ સંઘવીના વકતવ્યમાં સાંભળેલું વાક્ય.

સૌજન્ય : https://khabarchhe.com/magazine/celebration-of-creation

Loading

મન કા ગોતાખોર ડૂબ ગયા ઉભરકર

વિશાલ શાહ|Opinion - Opinion|9 January 2017

આજે કોઈ પ્રાંતીય ભાષાની નવલકથાની પણ એકાદ લાખ નકલો નથી છપાતી અને તેનો ૧૯ ભાષામાં અનુવાદ થાય એ તો બહુ દૂરની વાત છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' નામનું પુસ્તક તળાવો જેવા 'બોરિંગ' વિષય પર લખાયેલું હોવા છતાં આ સિદ્ધિ મેળવી શક્યું છે.

વર્ષ ૧૯૯૩માં પહેલીવાર હિંદીમાં પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધી એક લાખથી પણ વધુ નકલો ખપી ગઈ છે. એન્વાયર્મેન્ટ નોન-ફિક્શન કેટેગરીમાં તો આ બહુ મોટી સિદ્ધિ છે. પાણીના મુદ્દે કામ કરતી દેશભરની સ્વૈચ્છિક સંસ્થાઓ માટે 'આજ ભી ખરે હૈ તાલાબ' 'હેન્ડબુક' સમાન છે. આ પુસ્તકનું મહત્ત્વ સમજીને નેશનલ બુક ટ્રસ્ટે તેનું ૧૩ ભાષામાં પ્રકાશન કર્યું છે અને બ્રેઈલ લિપિમાં પણ તે ઉપલબ્ધ છે. ફ્રાંસની પેરિસ યુનિવર્સિટીમાં પર્યાવરણ, પાણીની તંગી અને પાણીના સંગ્રહની પરંપરાગત રીતો જેવા અનેક વિષયોમાં તેનો અભ્યાસ કરાવાય છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' અંગ્રેજીમાં આવ્યું એ પહેલાં તેનો ફ્રેંચમાં અનુવાદ થઈ ગયો હતો. આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને મોરોક્કોના શાહે ત્યાંના રણપ્રદેશોમાં તળાવ બનાવીને પાણીનો સંગ્રહ કરવાની યોજના શરૂ કરી હતી. 'આજે પણ સાચાં છે તાલાબ' નામે ગુજરાતીમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે, જેનો અનુવાદ દિનેશ સંઘવીએ અને પ્રકાશન ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન – નવી દિલ્હીએ કર્યું છે.

ઇતિહાસ ખોટો લખાય ત્યારે કેવા પરિણામો આવે?

'લાખો મેં એક' એવા આ પુસ્તકના લેખક અનુપમ મિશ્રનું ૧૯મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ૬૮ વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ એક વર્ષથી પ્રોસ્ટેટ કેન્સરને હંફાવી રહ્યા હતા. 'આજ ભી ખરે હૈ તાલાબ' માટે તેમણે આઠ વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને તળાવો વિશે માહિતી ભેગી કરી હતી તેમ જ રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના જમાનાના ગેઝેટિયરો પણ ફેંદી નાંખ્યા હતા. મિશ્રનું માનવું હતું કે, અંગ્રેજો જે વિસ્તારોને સૂકાભઠ સમજતા હતા ત્યાં તો આપણે તળાવોની મદદથી પાણીની જરૂરિયાત સંતોષી જ લેતા હતા, પરંતુ કાળક્રમે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ આપણે ભૂલી ગયા!

આ મુદ્દો સમજાવતા મિશ્રએ 'આજ ભી ખરે હૈ તાલાબ'માં અંગ્રેજ રાજ વખતના એક ગેઝેટિયરનો ઉલ્લેખ કર્યો છે :  ''… તેમાં જેસલમેરનું વર્ણન ખૂબ જ બિહામણું છે. ગેઝેટિયરમાં લખ્યું છે કે, અહીં એક પણ બારમાસી નદી નથી. ભૂજળ ૧૨૫ ફૂટથી ૨૫૦ ફૂટ અને ક્યાંક ક્યાંક તો ૪૦૦ ફૂટ જેટલી ઊંડાઈએ છે, વરસાદ બહુ જ અલ્પ છે, માત્ર ૧૬.૪ સેન્ટીમીટર. છેલ્લાં સિત્તેર વર્ષના અધ્યયન અનુસાર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૩૫૫ દિવસો સૂકા હોય છે …''

છે. પરંતુ આ બધો હિસાબ-કિતાબ કેટલાક નવા લોકોનો છે. મરુભૂમિના સમાજે માત્ર દસ દિવસની વર્ષામાં કરોડ કરોડ બિંદુ જોયાં અને પછી એકત્ર કરવાનું કામ ઘેર ઘેર, ગામ ગામ અને પોતાના શહેરોમાં પણ કર્યું. આ તપશ્ચર્યાનું ફળ સામે દેખાય છે. જેસલમેર જિલ્લામાં આજે ૫૧૫ ગામો છે. એમાંથી ૫૩ ગામો કોઈને કોઈ કારણે ઉજ્જડ થયા છે, આબાદ છે ૪૬૨. આમાંથી કેવળ એક ગામ છોડીને એક્કએક ગામમાં પીવાના પાણીની સમૂચિત વ્યવસ્થા છે. વેરાન થઈ ગયેલા ગામોમાં પણ આ વ્યવસ્થા જોવા મળે છે. સરકારના આંકડા મુજબ જેસલમેર જિલ્લાનાં ૯૯.૭૮ ગામોમાં તળાવ, કૂવા અને અન્ય સ્રોત છે …''

આ મિશ્રનું તારણ છે. તેઓ અંગ્રેજોને સમજી-વિચારીને 'નવા લોકો' કહે છે. અંગ્રેજો અહીંની મુશ્કેલીઓ શું છે અને ભારતીયોએ તેનો શું ઉપાય શોધ્યો છે તેનાથી પૂરેપૂરા વાકેફ ન હતા. એટલે જ મિશ્ર કહે છે કે, રણપ્રદેશના સમાજે તો દસ દિવસના વરસાદમાં પણ પાણીની કરોડો બુંદ જોઈ અને તેને તળાવોમાં ભેગા કરીને પાણીનો પ્રશ્ન જ હલ કરી નાંખ્યો! ક્યા ખૂબ! મિશ્રે સાબિત કર્યું હતું કે, દેશના અનેક વિસ્તારોમાંથી પાણીની તંગી દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય તળાવો, સરોવરો, કૂઈ, કૂવા, વાવ, ટાંકા, કૂંડી અને ચાલ (પહાડી વિસ્તારોમાં જોવા મળતા ઢોળાવ ધરાવતા નાના કૂંડ) જ છે. નહેરોમાં તો નદીઓના વહેણ બદલીને પાણી લાવવામાં આવે છે, જ્યારે આ પરંપરાગત પદ્ધતિઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાય છે. એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ  આ વધુ સારી પદ્ધતિઓ છે.

જૂના જ્ઞાનનું દસ્તાવેજીકરણ ના થાય અને જે તે પ્રદેશનો ઇતિહાસ 'બહારના લોકો' પોતાની દૃષ્ટિએ લખે ત્યારે આવા પરિણામો આવે!

તળાવની ભાષા એટલે ગજધર અને અંબુ તસ્કર

પાણી સાચવવાનું પરંપરાગત જ્ઞાન ખતમ થઈ રહ્યું હોવાથી સંસ્કૃિત અને ભાષાને પણ નુકસાન થઈ રહ્યું છે! આ વાત સમજાવતા મિશ્ર લખે છે કે, ''… તળાવ સ્વયં એક મોટું શૂન્ય છે. પરંતુ તળાવ કંઈ પશુની ખરીથી બનેલો એવો કોઈ ખાડો નથી કે જેમાં વરસાદનું પાણી પોતાની મેળે ભરાઈ જાય! આ શૂન્યને બહુ સમજી-વિચારીને, ખૂબ આયોજનપૂર્વક બનાવવામાં આવે છે. નાનકડાથી માંડીને તે એક મોટા સુંદર તળાવના કેટલા ય અંગ-પ્રત્યંગ હોય છે. દરેકનું એક વિશેષ કામ હોય છે. અને દરેકનું એક વિશેષ નામ પણ. તળાવની સાથે સાથે એને બનાવનારા સમાજની ભાષા અને બોલીનો એ સમૃદ્ધ પુરાવો હતો. પણ જેમ જેમ સમાજ તળાવની બાબતમાં ગરીબ બન્યો છે, તેમ તેમ ભાષામાંથી પણ આ નામો, શબ્દો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે…''

તળાવ બનાવનારને શું કહેવાય? મિશ્ર પાસે જવાબ છે :  ‘'… ગજધર એક ખૂબ જ સુંદર શબ્દ છે, તળાવ બનાવનારાઓને આદર સહિત યાદ રાખવા માટે. રાજસ્થાનના કોઈ કોઈ ભાગમાં આ શબ્દ આજે પણ સાંભળવા મળે છે. ગજધર એટલે કે જે ગજને ધારણ કરે છે અને ગજ એ કે જે માપવાના કામમાં આવે છે. પરંતુ આમ છતાં સમાજે તેમને માત્ર ત્રણ હાથની લોઢાની છડ લઈને ફરતો માત્ર મિસ્ત્રી કે કડિયો ન માન્યો. ગજધર તો સમાજનું ઊંડાણ માપી લે – એમને એવું સ્થાન અપાયું હતું …''

રાજસ્થાનમાં તો સૂરજ 'સોળે કળા'એ તપતો હોય છે. અહીં તળાવ બનાવીએ તો સૂરજ જ બધું પાણી ખેંચી લે, પરંતુ તળાવ એવી રીતે બનાવવામાં આવે છે, જેથી સૂરજના તાપમાં પાણીનું ઓછામાં ઓછું બાષ્પીભવન થાય. મિશ્ર આ મુદ્દો પણ સમજાવે છે :  ''… તપતો સૂરજ તળાવનું એ બધું પાણી ખેંચી લેશે. કદાચ તળાવના સંદર્ભમાં જ સૂરજનું એક વિચિત્ર નામ અંબુ તસ્કર (પાણી ચોર) રાખવામાં આવ્યું છે. ચોર હોય સૂરજ જેવો અને આગર એટલે કે ખજાનો હોય ચોકીદાર વિનાનો તો પછી ચોરી થવામાં વાર શું લાગે? આ ચોરીને અટકાવવા માટે પૂરતી કોશિષ કરવામાં આવે છે…''

તળાવનું પાણી અંબુ તસ્કરથી બચાવવા સદીઓ પહેલાં લોકો શું કરતા હતા? અરે, તળાવ બનાવવું, ભરાઈ જવું, ખાલી થવું, તેનું પાણી ઊલેચવું અને ખેતરો સુધી લઈ જવું – એ બધી જ ઘટનાઓ વખતે ભવ્ય ઉત્સવો ઊજવાતા અને એ બધું જ એક મહાન સંસ્કૃિતનો નાનકડો હિસ્સો હતા. આ બધું જાણવા માટે તો આ પુસ્તક જ ઘૂંટડે ઘૂંટડે પીવું પડે. કમનસીબે આજે ઘણું બધું લુપ્ત થઈ ગયું છે, થઈ રહ્યું છે.

આઝાદ ભારતે પોતાની મુશ્કેલીઓના ઉપાય શોધતી વખતે સ્થાનિક સંસ્કૃિત અને જ્ઞાનનું મહત્ત્વ જ ના સમજ્યું. એટલું જ નહીં, દરેક મુશ્કેલીનું 'ઈનોવેટિવ સોલ્યુશન' શોધવાના બદલે 'જુગાડ' કર્યો અને પોતાની જ સમૃદ્ધ સંસ્કૃિતનો મહદ્અંશે વિનાશ કર્યો, એ પણ આ પુસ્તકમાં 'બિટ્વિન ધ લાઈન્સ' વાંચવા મળે છે.

જ્ઞાન આપવા પુસ્તકના કોપીરાઈટ ના લીધા

આમ, અનુપમ મિશ્રે અત્યંત રસાળ અને સીધીસાદી ભાષામાં, ફક્ત ૧૦૦ પાનાં અને નવ પ્રકરણમાં તળાવોનો નાનકડો એન્સાઇક્લોપીડિયા લખી નાંખ્યો છે. એટલે જ આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી હજારો ખેડૂતો તે વાંચીને પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત રીતો અને તેની પાછળનું રહસ્ય શું હતું એ સમજી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, ભારતના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી આ પુસ્તકની ફોટોકોપી પણ પહોંચી ગઈ છે! મિશ્રનો હેતુ આ જ હતો. એક લેખક માટે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે!

પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ પર કરેલા સંશોધનમાંથી મિશ્રના હસ્તે વર્ષ ૧૯૯૫માં બીજું પણ એક સીમાચિહ્નરૂપ પુસ્તક જન્મ્યું, 'રાજસ્થાન કી રજત બુંદે'. મૂળ હિન્દીમાં લખાયેલું આ પુસ્તક પણ બીજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પરંતુ આ ભૂલાયેલું જ્ઞાન ઘરે ઘરે પહોંચે એ માટે મિશ્રએ એ બંને પુસ્તકના કોપીરાઈટ નહોતા કરાવ્યા. આ પુસ્તકોનાં વખાણ સાંભળીને તેઓ સહજતાથી બોલતા કે, આપણે તો બાબુ આદમી કે ક્લાર્કનું જેવું કામ કરીએ છીએ, સમાજે જે કંઈ સારું કર્યું છે એ લખવાનું કામ કરી રહ્યા છીએ…

મિશ્ર અંગ્રેજી પણ ખૂબ સારું જાણતા હતા, પરંતુ પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં પાયાનું કામ કરવા માટે તેમણે 'હિન્દી મિજાજ' અપનાવી લીધો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેમણે પ્રતિષ્ઠિત ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ એન્ડ ડિઝાઈન) ટૉકમાં 'ધ એન્સિયન્ટ ઇનજેન્યુઇટી ઓફ વૉટર હાર્વેસ્ટિંગ' વિષય પર અંગ્રેજીમાં ભાષણ આપ્યું ત્યારે પર્યાવરણ મુદ્દે કામ કરતા વિદ્યાર્થીઓ તો ઠીક, અઠંગ પર્યાવરણવિદે પણ તેમની જ્ઞાનવાણી સાંભળીને દંગ રહી ગયા હતા. ત્યાર પછી વિશ્વમાં આઠેક લાખ લોકોએ એ ભાષણ ઓનલાઈન સાંભળ્યું હતું. મિશ્ર રાજકારણ અને નવી દિલ્હીના 'ઈકો ફ્રેન્ડ્લી ક્લાસ'થી અંતર જાળવી શક્યા હતા, એટલે 'મીડિયા હાઇપ'નો ક્યારે ય ભોગ નહોતા બન્યા.

મિશ્રને ભાષાવારસો પિતાજી તરફથી મળ્યો હતો. તેમના પિતા ભવાનીપ્રસાદ મિશ્ર (માર્ચ ૧૯૧૩-ફેબ્રુઆરી ૧૯૮૫) હિન્દીના વિખ્યાત કવિ અને લેખક હતા. ભવાનીપ્રસાદ ગાંધીવિચારોથી પ્રભાવિત હતા. તેમણે ગાંધીજી પર ૫૦૦ કવિતા લખી હતી. આ કવિતાઓનું પુસ્તક 'ગાંધી પંચશતિ' નામે પ્રકાશિત થયું છે. અનુપમ મિશ્રને ગાંધીવિચારનો વારસો પણ પિતા તરફથી જ મળ્યો હતો. કદાચ આ વારસાના કારણે જ અનુપમ મિશ્ર જીવનની અંતિમ ક્ષણ સુધી મનગમતા કામમાંથી આનંદ લેતા ગયા અને માર્ગમાં આવતા હજારો લોકોને પોતાના બનાવતા ગયા.

***

અને છેલ્લે એક વાત. વર્ષ ૨૦૧૧માં ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે અનુપમ મિશ્ર હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ‘'… નોકરીઓ કરો, પરંતુ સમાજ માટે પણ કંઈક કરો. આ ખરાબ સમયમાં થોડું આત્મનિરીક્ષણ કરીને તમારામાં રહેલી શક્તિઓને જાણો. એવી જ રીતે, સમાજના પણ સારા ગુણો જુઓ. તો જ તમને સમાજમાં દરેક સ્તરે ગાંધી હોવાનો અહેસાસ થશે…''

***

ભારતની નદીઓ અને જંગલોના પણ અઠંગ અભ્યાસુ

અનુપમ મિશ્રે તળાવો અને રાજસ્થાન પર લખેલા પુસ્તકો માઈલસ્ટોન સમાન છે એ વાત ખરી, પણ ફક્ત તેના આધારે તેમનું મૂલ્યાંકન કરવું તેમને અન્યાય કરવા બરાબર છે. અનુપમ મિશ્રનો જન્મ વર્ષ ૧૯૪૮માં મહારાષ્ટ્રના વર્ધામાં થયો હતો અને બાળપણ પણ ત્યાં જ વીત્યું. સિત્તેરના દાયકામાં તેમણે ચંડીપ્રસાદ ભટ્ટ સાથે ઉત્તરાખંડના ચિપકો આંદોલનમાં ઝંપલાવ્યું અને એ પછી તેઓ આ જ ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. વૃક્ષો કપાતાં રોકવા હજારો લોકો થડને ચીપકીને એક અનોખું આંદોલન શરૂ કરી દે એ ઘટનાથી અનુપમ મિશ્ર ઘણાં પ્રભાવિત હતા. ચિપકો આંદોલન વિશે પણ તેઓ અંગ્રેજી પુસ્તક લખી ચૂક્યા છે.

એ પછી મિશ્રે દિલ્હીથી પ્રકાશિત થતાં 'પ્રજાનીતિ' નામના હિન્દી અખબારમાં કામ કર્યું. આ દરમિયાન ઉદ્યોગપતિ રામનાથ ગોએન્કાએ 'જનસત્તા' નામનું હિન્દી અખબાર શરૂ કર્યું, જેના તંત્રીપદે જાણીતા પત્રકાર પ્રભાસ જોશી હતા. જોશીએ મિશ્રને 'જનસત્તા'માં જોડાઈ જવા બહુ મનાવ્યા, પરંતુ મનગમતું કામ કરવાની જિદના કારણે તેઓ લખતા રહ્યા પણ 'પ્રોફેશનલ જર્નાલિસ્ટ' ના બની શક્યા. ગાંધી પીસ ફાઉન્ડેશનના દ્વિમાસિક 'ગાંધી માર્ગ'ના પણ તેઓ તંત્રી હતા.

મિશ્ર પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત પદ્ધતિઓના જ નહીં, આખા ભારતની નદીઓ અને જંગલ સિસ્ટમના અઠંગ અભ્યાસુ હતા. ગંગા સહિતની નદીઓના સ્વચ્છતા અભિયાન, નહેરોના બાંધકામ, નદીકિનારા અને જંગલ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ સહિતના તમામ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ હતા. આ તમામ મુદ્દે તેઓ જીવનભર કામ કરતા રહ્યા, લખતા રહ્યા અને ભાષણો આપતા રહ્યા. આ કામ બદલ મિશ્રને અમર શહીદ ચંદ્રશેખર આઝાદ (૨૦૦૮) અને જમનાલાલ બજાજ (૨૦૧૧) પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

શીર્ષક પંક્તિ – ભવાનીપ્રસાદ મિશ્ર

—-

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.in/

Loading

...102030...3,4733,4743,4753,476...3,4803,4903,500...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved