Opinion Magazine
Number of visits: 9456787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજા ક્દાચ સત્તા પરિવર્તન નથી ઇચ્છતી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 November 2024

રવીન્દ્ર પારેખ

મહારાષ્ટ્ર અને ઝારખંડનાં ચૂંટણી પરિણામો એમ સૂચવે છે કે જ્યાં જે છે તે સત્તા પર ટકી રહે. મહારાષ્ટ્રમાં યુતિ સરકાર હતી તો તે ત્યાં જ રહે એવું પરિણામોએ સૂચવ્યું છે. એ ખરું કે ભા.જ.પ.ને સૌથી વધુ સીટો મળી છે, એટલે મુખ્ય મંત્રી ઘણું ખરું તેનો જ આવે (દેવેન્દ્ર ફડણવીસ?) એમ બને ને એમાં અજિત પાવર (એન.સી.પી.) કે એકનાથ શિંદે(શિવસેના)નું પણ બહુ ન ઊપજે એવી સ્થિતિ છે. ટૂંકમાં, મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવશે. એ જ રીતે ઝારખંડમાં ભા.જ.પ.નું ખાસ ઉપજ્યું નથી ને ત્યાં ‘ઇન્ડિયા’ ગઠબંધનનો પ્રભાવ રહેતા હેમંત સોરેનની સરકાર બનવાના યોગ છે. મહારાષ્ટ્રમાં ભા.જ.પ.નાં સૂત્રો – બટેંગે તો કટેંગે – કે – એક હૈ તો સેફ હૈ – હિન્દુત્વ સંદર્ભે ચાલ્યાં છે, પણ એનો પ્રભાવ ઝારખંડમાં પડ્યો નથી, ત્યાં બટેંગે તો બચેંગે-નો મહિમા હોય તો નવાઈ નહીં ! એટલે, એક જ પક્ષના સૂત્રો એક રાજ્યમાં ચાલે તે બીજા રાજ્યમાં પણ ચાલે જ એવું જરૂરી નથી. બંને રાજ્યોમાં વિપક્ષનું ખાસ ઉપજ્યું નથી, એટલું જ નહીં, સ્થિતિ વધુ દયનીય એટલે પણ છે કે કાઁગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એન.સી.પી. (શરદ પવાર) મળીને પણ કંગાળ દેખાવથી બચી શક્યા નથી, તો ભા.જ.પ.ને ઝારખંડમાં ઘૂસણખોરોનો મુદ્દો ફળ્યો નથી, તે એટલે કે કેન્દ્ર પાસે ઘૂસણખોરીનો મુદ્દો હોય, પણ ઘૂસણખોરી રોકવાનો કોઈ ઉકેલ જ ન હોય તો ન ચાલે. હવે અલ્પસંખ્યક, આરક્ષણ અને સંવિધાનના મુદ્દાઓ ધારી અસર ઉપજાવે એમ નથી, એટલે આગામી ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ જીત માટે જુદા મુદ્દા શોધવાના રહે. 

લાગે છે તો એવું પણ કે હાલનું પ્રજા માનસ બહુ મોટાં રાજકીય પરિવર્તનોની તરફેણમાં નથી. પેટાચૂંટણીનાં પરિણામો પણ જે રાજ્યમાં જેની સરકાર છે એના જ સભ્યોને ઈચ્છે છે. પ્રિયંકા ગાંધીની જીત એ રીતે સૂચક છે. રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીને વધુ સફળતા મળી છે એ પણ નોંધનીય છે. એમ પણ લાગે છે કે નેતાઓનો જેલવાસ પ્રજાને બહુ કઠતો નથી. એવું ન હોત તો હેમંત સોરેનની વાપસી જીતનું કારણ બની ન હોત. રહી વાત કાઁગ્રેસની, તો તે એવી સ્થિતિમાં નથી કે સ્વતંત્ર પક્ષ તરીકે વધુ કૌવત દાખવી શકે. અત્યારે તો ઇન્ડિયા ગઠબંધન તરીકે જ તેણે આગળ વધવાનું રહે છે. એ ખરું કે લોકસભાની ચૂંટણી પછી ભા.જ.પે. સરકાર રચવા નાયડુ અને નીતીશનો ખભો લેવો પડ્યો ને એટલો પ્રભાવ તો વિપક્ષોનો રહ્યો જ, પણ અત્યારે વિપક્ષોનો એવો પ્રભાવ નથી કે કેન્દ્રમાં કે મહારાષ્ટ્ર કે યુ.પી. જેવામાં સત્તા સુધી પહોંચી શકાય. દેખીતું છે કે મહારાષ્ટ્રમાં જેટલું મનોબળ ભા.જ.પ.નું વધ્યું છે, એટલું ઝારખંડમાં કાઁગ્રેસનું વધ્યું નથી. વિપક્ષો એટલું આશ્વાસન લઈ શકે કે ઝારખંડમાં ભા.જ.પ.ની કારી ફાવી નથી. ખરેખર તો વિપક્ષોએ આત્મચિંતન-મંથન-મનન કરવાની જરૂર છે. 

લોકસભાની છેલ્લી ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને 48માંથી 30 સીટ મળી હતી, જ્યારે ભા.જ.પ.ને માત્ર 9 સીટ જ મળી હતી. એ વાતે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કાઁગ્રેસી નેતાઓ એમ ધારતા હતા કે એ જ રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી જવાશે. એમાં વિશ્વાસ કરતાં વધુ પડતો ‘વિશ્વાસ’ કેન્દ્રમાં હતો, બીજી બાજુએ ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મતભેદ ભૂલીને પાયાનું કામ કર્યું ને મરાઠી ઉપરાંત નાની જાતિઓને મતદાન મથક સુધી લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એથી મતદાનની 2019ની ટકાવારી 61.1 ટકાથી વધીને 2024માં 66 ટકા સુધી આવી. તેણે મહારાષ્ટ્રમાં ભા.જ.પ.ને એ સ્થિતિએ મૂક્યો કે તે મહાયુતિની સરકાર રચી શકે.

મહારાષ્ટ્ર અને ઝારખંડનાં ચૂંટણી પરિણામો કેટલીક એવી બાબતો પર પણ પ્રકાશ ફેંકે છે જે એકબીજાથી વિપરીત હોય. જેમ કે એન.સી.પી.ના શરદ પવારનો કેન્દ્ર અને રાજ્ય સુધી વ્યાપક પ્રભાવ હતો, એ હવે ઓસર્યો છે અને એમના જ સાથી-સંબંધી અજિત પવારનો પ્રભાવ મહારાષ્ટ્રમાં વધ્યો છે. એ જ રીતે શિવસેનાના બાળઠાકરેનો પ્રભાવ ઉદ્ધવ ઠાકરે જાળવી શક્યા નથી, પણ તે જ પક્ષના સાથી એકનાથ શિંદેનો પ્રભાવ મુખ્ય મંત્રી બનવા સુધી વિસ્તર્યો છે. એથી ઊલટું, ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેન ઝારખંડના મુખ્ય મંત્રી બન્યા, તો તેમના દીકરા હેમંત સોરેન જે.એમ.એમ.નો પ્રભાવ જાળવીને મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહે એવી તકો ઊભી થઈ છે. 

આ વખતે મહાયુતિની શિંદે સરકારે જૂન 2024માં ‘માઝી લાડકી બહિન’ યોજના શરૂ કરી, જેમાં વાર્ષિક 2.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારની મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. જુલાઈથી ઓકટોબર સુધીમાં 2.34 કરોડ મહિલાઓએ એનો લાભ લીધો છે. ગરીબી રેખાની નીચે જેટલી મહિલાઓ છે, તેનાથી અઢી ગણી મહિલાઓનાં ખાતામાં 7,500 રૂપિયા જમા થઈ ગયા છે. 2.34 કરોડનો આંકડો કુલ મહિલા મતદારોથી અડધો છે. વધારામાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એવો વાયદો પણ કર્યો છે કે મહાયુતિ સત્તામાં આવશે તો આ યોજના હેઠળ દર મહિને 2,100 રૂપિયા આપવામાં આવશે. એક તરફ 7 લાખ કરોડનું દેવું છે ને બીજી તરફ 2.34 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને 2,100 રૂપિયા ઉમેરાતા રહે તો આ કેટલું ટકશે એ સવાલ છે. 

આમ તો 2019માં રાહુલ ગાંધીએ ઘોષણા પત્રમાં સૌથી વધુ ગરીબ 5 કરોડ પરિવારોનાં ખાતાંમાં વર્ષે 72,000 રૂપિયા નાખવાની વાત કરેલી. એ પછી 2024માં 72,000નો આંકડો 1,00,000 કરવાની વાત પણ મહાલક્ષ્મી યોજના હેઠળ રાહુલ ગાંધીએ કરી. આ યોજનાની ટીકા થઈ, પણ પછી ભા.જ.પે. એવી જ યોજના અમલમાં મૂકી, તો એને માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી. આ યોજનાથી કાઁગ્રેસને તો લાભ ન થયો, પણ ભા.જ.પ.ને થયો ને તે પાર્ટી ચૂંટણીમાં જીત સુધી પહોંચી. કયા દેશમાં આવી લહાણી થતી હશે તે નથી ખબર, પણ ભારતમાં તો થાય જ છે તે હકીકત છે. જતે દિવસે બેકાર યુવકો, વૃદ્ધો, ઓછું કમાતા પુરુષો કે અત્યંત ગરીબ પુરુષો અમારે માટે પણ ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરો, નહીં તો મત નહીં આપીએ, એવી હઠ પકડે તો સરકારો એવું કરી શકશે કે મહિલાઓના મતો પર જ જીત હાંસલ કરશે તે વિચારવાનું રહે. 

મૂળે તો ‘માઝી લાડકી બહિન’ યોજના મધ્ય પ્રદેશની ‘લાડલી બહેન’ યોજનાનું જ મરાઠીકરણ છે. એ જ રીતે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલાં ‘મૈયા સન્માન યોજના’ શરૂ કરી. આ યોજના અંતર્ગત દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવતા હતા. ભા.જ.પે. 2,100ની લાલચ આપી, તો હેમંત સોરેને 2,500 આપવાનો વાયદો જ ન કર્યો, પહેલો હપ્તો છૂટો પણ કરી દીધો. એ ઉપરાંત મફત વીજળી, ખેડૂતોની લોન માફી, OPS જેવી યોજનાઓએ પણ તેની અસર દેખાડી. બાકી હતું તે હેમંત સોરેનની ધરપકડે પૂરું કર્યું. ઝારખંડ આંદોલનનો હેતુ તો અલગ આદિવાસી રાજ્યનો હતો. જે.એમ.એમ.એ ચૂંટણીમાં હેમંતની ધરપકડને અસ્મિતાનો મુદ્દો બનાવ્યો. એથી હેમંત અને જે.એમ.એમ. બંને મજબૂત થયા. ED અને CBIની કાર્યવાહીની વિપરીત અસરો એ પડી કે આવી કાર્યવાહીથી, સરકાર અને આદિવાસી નેતૃત્વને નબળાં પાડવાનું કાવતરું થઈ રહ્યું છે એવી હવા બંધાઈ. આ બધું હેમંત સોરેન અને જે.એમ.એમ.ને વિજયી બનાવવામાં કારગત નીવડ્યું. એથી મહિલા મતદારો ઉપરાંત અન્ય મતદારોએ પણ જે.એમ.એમ. અને ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મત નાખ્યા.     

એ પણ છે કે પ્રજા ચતુર અને મતલબી થઈ છે. તે જાણે છે કે ચૂંટણીના વાયદાઓથી તેનો દા’ડો વળે એમ નથી. તે એ પણ જાણે છે કે વાયદાઓ તો ન પાળવા માટે જ હોય છે. મતદારો હવે તરતનો, સીધો લાભ શોધે છે. લાભ આપો ને મત લો – એ તેનું રોકડું ગણિત છે. એટલે અમે આટલા આપીશું-નો વાયદો નહીં, ખાતામાં જમા કરો, પછી મત નાખીશું – એ પ્રજાએ પક્ષોને ભણાવેલો પાઠ છે. સીધી વાત એટલી છે કે રાજકીય પક્ષોએ ખાતામાં જમા આપ્યા છે તો વોટિંગ મશીનમાં મત પડ્યા છે. પ્રજા હવે છેતરાવામાં માનતી નથી. તે છેતરી શકે, પણ છેતરાય એવી રહી નથી. મહિલાઓને દર મહિને ખાતામાં રકમ જમા થઈ છે, તો મતદાનની ટકાવારી પણ વધી છે. એવો સવાલ થાય કે 81 કરોડ લોકોને મફત અનાજની ટેવ પડે કે ખાતામાં રકમ જમા લઈને મત આપે, એમાં પ્રજા નૈતિક રીતે ઠીક કરી રહી છે? તો સામો સવાલ એ પણ થાય કે પ્રજાને મફતની ટેવ પાડીને પક્ષોએ જે રાજકીય હેતુઓ પાર પાડ્યા છે, તેમાં નૈતિકતા છે? સાચું તો એ છે કે અનૈતિકતા જ ભારતીય રાજનીતિનું વ્યાવર્તક લક્ષણ છે. નથી પક્ષોને નૈતિકતા જોડે લેવાદેવા કે નથી હક વગરનું લેવામાં પ્રજાને કોઈ સંકોચ ! 

હા, શુદ્ધતાના, સચ્ચાઈના, સાત્ત્વિકતાના માપદંડો જરૂર બદલાયા છે. 

અત્યારે તો જેમ અગાઉનું બદલાયું છે, એમ જ ભવિષ્યમાં આજનું પણ બદલાશે એવી આશા રાખવા સિવાય બીજો ઈલાજ નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 નવેમ્બર 2024

Loading

શું પ્રતીકો હકીકતનો પર્યાય બની શકે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2024

રમેશ ઓઝા

આ વાચાળતા અને પ્રતીકોનો યુગ છે એટલે જો તમે કોઈ કામ ન કરી શકતા હોય કે કામ ન કરવા માગતા હોય તો વાચાળ બનો. મોટી મોટી વાતો કરો, લોકોને આંજી દો, વાયદાઓ કરો. આ ઉપરાંત પ્રતીકોનો પણ લોકોને પોરસાવવા માટે ઉપયોગ કરી શકાય છે. નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કેટલા વાચાળ હતા એ તો તમે જાણો છો, બંધારણીય આદર્શોની મોટીમોટી વાતો કરતા હતા, પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે જેટલું ખમીર બતાવવું જોઈતું હતું એટલું તેઓ બતાવી શક્યા નહોતા. તેમણે પ્રતીકનો પણ ઉપયોગ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ગ્રંથાલયમાં ન્યાયની દેવીની મૂર્તિ મૂકાવી છે જે પ્રચલિત મૂર્તિ કરતાં અલગ છે. ધનંજય ચન્દ્રચૂડે ન્યાયની દેવીની અંખ પરની પટ્ટી ખોલી નાખી છે અને હાથમાં તલવારની જગ્યાએ બંધારણની પ્રત છે. માત્ર ત્રાજવું કાયમ છે.

ત્રાજવું તોળીને ન્યાય આપવાનું પ્રતીક છે. ન કોઈને વધારે કે ન કોઈને ઓછું. ન્યાયની દેવીની પ્રચલિત મૂર્તિની આંખ પર પટ્ટી એટલા માટે બાંધવામાં આવતી કે તે ન્યાય કરતી વખતે એ જોતી નથી કે સામે રાજા છે કે રંક. ધનિક છે કે નિર્ધન. ધર્મગુરુ છે કે નાસ્તિક. વાદી કે પ્રતિવાદી કોણ છે એ બાબતે ન્યાયની દેવી સ્વૈચ્છિક અંધાપો પાળે છે. હાથમાં તલવાર એમ સૂચવે છે કે ન્યાયતંત્ર નિર્બળ નથી, સશક્ત છે. તેનાં હાથ લાંબા છે અને તેનાથી કોઈ બચી શકે નહીં. નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે નિવૃત્ત થતાં પહેલાં સર્વોચ્ચ અદાલતમાં જે મૂર્તિ મૂકાવી છે તેની આંખની પટ્ટી હટાવી દીધી છે અને હાથમાં તલવારની જગ્યાએ બંધારણની પ્રત છે. આ સિવાય દેવીને મુગટ પહેરાવવામાં આવ્યો છે જે સર્વોપરિતાનું પ્રતીક છે.

હવે પહેલો સવાલ ઉપસ્થિત થાય છે, ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ અને તેમના બંધુ જજોએ પ્રતીકોમાં કરેલાં પરિવર્તનોનો અને તેનાં સૂચિતાર્થો વિષે અને બીજો સવાલ ઉપસ્થિત થાય છે કે શું પ્રતીકો હકીકતનો પર્યાય બની શકે? જેમ મહાન વાતો મહાન કૃતિનો પર્યાય નથી બની શકતી એમ પ્રતીકો હકીકતનો પર્યાય નથી બની શકતાં. એને માટે ખરાં ઉતરવું પડે. ખુદવફાઇ જોઈએ અને જીગરમાં જોર જોઈએ. દાયકાઓથી માગણી થતી આવી છે કે સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં ન્યાયમૂર્તિ હંસ રાજ ખન્નાની પૂરા કદની પ્રતિમા સ્થાપવામાં આવે. કોણ હતા આ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્ના અને શા માટે તેમની પ્રતિમા મૂકવાનો આગ્રહ કરવામાં આવે છે? તેઓ ડૉ આંબેડકર, બી.એન. રાવ, કે.એચ.એમ. સિરવાઈ જેવા મહાન કાયદાવીદ્દ વિદ્વાન નહોતા, આઈવર જેનીન્ગ્સ કે ગ્રીન્વીલે ઓસ્ટીનની માફક વિશ્વદેશોનાં બંધારણોનો કોઈ તુલનાત્મક અભ્યાસ તેમણે નહોતો કર્યો, તેઓ કે. સુબ્બા રાવ કે પી.બી. ગજેન્દ્રગડકર કે કૃષ્ણા ઐયર જેવું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ નહોતા ધરાવતા, અને તેઓ ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ જેવા સારા વક્તા પણ નહોતા. આમ છતાં ય તેમની પ્રતિમા અને એ પણ સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં મૂકવાની માગણી થતી રહે છે.

શા માટે? કારણ કે તેઓ ન્યાયની દેવી (જૂની કે નવી) જે ગુણોની પ્રતીકાત્મક શીખ આપે છે અને બંધારણને જેવા ન્યાયમૂર્તિ અપેક્ષિત છે એવા ન્યાયમૂર્તિ હતા. વિદ્વાન નહોતા, પ્રામાણિક હતા. વાચાળ નહોતા, જીગરવાળા હતા. સમય અને સંજોગોને વફાદાર નહોતા, ભારતનાં બંધારણને, કાયદાના રાજને અને ભારતનાં નાગરિકને વફાદાર હતા. મહત્ત્વાકાંક્ષી નહોતા, પણ ન્યાયની ખુરશીનું મહત્ત્વ સમજતા હતા. ઈમરજન્સીમાં જ્યારે ભલભલા જજો પાણીમાં બેસી ગયા ત્યારે તેમણે બંધારણની લાજ રાખી હતી. સરકારની વિરુદ્ધ ગયા હતા અને તેની કિંમત પણ ચૂકવી હતી. તેમને સુપરસીડ કરવામાં આવ્યા હતા અને સ્વમાન ખાતર તેમણે રાજીનામું આપ્યું હતું. એ સમયે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયની દેવીનું પૂતળું નહોતું અને દેવીના હાથમાં બંધારણ નહોતું. માટે કૃતિ બોલે છે, મહાન વાતો અને પ્રતીકો નહીં. મને ખાતરી છે કે આજે નહીં તો કાલે, ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની પ્રતિમા સર્વોચ્ચ અદાલતમાં સ્થાપાશે.

હવે નવી મૂર્તિમાં કરવામાં આવેલા પરિવર્તનો અને તેનાં સૂચિતાર્થોની વાત. ન્યાયતંત્રની સર્વોપરિતા સિદ્ધ કરવા માટે ન્યાયની દેવીને માથે મુગટ પહેરાવવામાં આવ્યો છે. આપણને અને બંધારણ ઘડનારાઓને ન્યાયતંત્રની સર્વોપરિતા અભિપ્રેત હતી કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્વાયત્તતા? લોકતંત્રમાં દરેક પાંખ એક સરખું મહત્ત્વ ધરાવે છે જેમાં સર્વોપરી કોઈ નથી. બીજું, સાચી શક્તિ સર્વોપરિતામાં રહેલી છે કે સ્વતંત્રતામાં? શાસકો સર્વોપરી છે પણ ધનપતિઓના ગુલામ છે. વળી શક્તિ અને સત્તામાં પણ ફરક છે. બંધારણના ઘડવૈયાઓએ સ્વતંત્ર ન્યાયતંત્રની અપેક્ષા રાખી હતી, સર્વોપરી નહીં. આવાં ખોટાં અર્થઘટનોના કારણે આપણને એવો અનુભવ થઈ રહ્યો છે કે જ્યારે કેન્દ્રમાં સરકાર નિર્બળ હોય ત્યારે ન્યાયતંત્ર છાતી પર ચડી બેસે છે અને સરકાર સબળ હોય ત્યારે પાણીમાં બેસી જાય છે. ઇન્દિરા ગાંધીનાં વર્ષોમાં અને અત્યારનાં વર્ષોમાં સમાનતા જોવા મળશે. આવો અનર્થ ટાળવો હોય તો દેશને સ્વતંત્ર ન્યાયતંત્રની જરૂર છે, સર્વોપરી નહીં.

મૂર્તિનું અનાવરણ કરતી વખતે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કહ્યું હતું કે ન્યાયતંત્રની આંખ ઉઘાડી હોય છે અને હોવી જોઈએ. તેમની વાત સાચી છે, ન્યાયાધીશો સ્વર્ગમાંથી ઉતરીને અદાલત ખંડમાં નથી બેસતા. તેઓ પણ સમાજની અંદર જીવે છે. છાપા વાંચે છે, ટી.વી. ચેનલ જુએ છે અને સોશ્યલ મીડિયા પર નજર હોય છે. દેશમાં અને સમાજમાં શું ચાલી રહ્યું છે તેની તેમને જાણ હોય છે. આ વાત પત્રકારોને લાગુ પડે, અધિકારીઓને લાગુ પડે, સામાન્ય નાગરિકને લાગુ પડે અને બીજા કોઈને પણ લાગુ પડે. દરેકને જ્યારે નિર્ણય લેવાનો આવે અને એમાં પણ અંગત કરતાં વ્યાપક હિતનો નિર્ણય લેવાનો આવે કે અભિપ્રાય બનાવવાનો કે આપવાનો વખત આવે ત્યારે તેણે કઈ ચીજનું ધ્યાન રાખવું જોઈએ? મારો જવાબ છે ત્રણ : અંતરાત્મા, બંધારણ અને નાગરિકનું વ્યક્તિગત કે સામૂહિક હિત. શું બની રહ્યું છે એ સમજવા માટે આંખ ખુલ્લી રાખવી જોઈએ અને મારા નિર્ણય કે અભિપ્રાયથી કોને કેટલું નુકસાન થશે અને કોણ નારાજ કે રાજી થશે એ બાબતે આંખ બંધ રાખવી જોઈએ. ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની આંખ ખુલ્લી પણ હતી અને બંધ પણ હતી. એ.ડી.એમ. જબલપુર કેસમાં એચ.આર. ખન્નાની સાથેના બાકીના ચાર જજો (ન્યાયમૂર્તિ એ.એન. રે, ન્યાયમૂર્તિ એચ.એમ. બેગ, ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી અને ન્યાયમૂર્તિ વી.વાય. ચન્દ્રચૂડ)ની આંખ માત્ર ખુલ્લી હતી અને તેમણે સરકારની તરફેણમાં અને બંધારણ તેમ જ નાગરિકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો.

અને છેલ્લી વાત. તલવાર વધારે તાકાતવર કે બંધારણ? બન્નેમાંથી કોઈ નહીં જો ચલાવનારામાં આવડત અને જીગર ન હોય તો. ગાંધીજી કહેતા કે જીગર કાળજામાં છે, શસ્સ્ત્રોમાં નથી. માટે મોટી મોટી વાતો અને પ્રતીકો નક્કર કૃતિની જગ્યા ન લઈ શકે.   

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 24 નવેમ્બર 2024

Loading

ગો ગોઆ ગોનઃ બોહો સંસ્કૃતિનું કેન્દ્ર, પ્રવાસીઓના સ્વર્ગ ગોઆનું હોડકું પડકારોના મોજામાં અટવાયું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 November 2024

ટેક્સી માફિયા, રિયલ એસ્ટેટ, ગીચતા અને ગંદકી જેવી સમસ્યાઓના પડકાર ઝીલતું ગોઆ રાજકારણ અને વહીવટી તંત્રના સહિયારા પ્રવાસોથી બચી શકે છે

ચિરંતના ભટ્ટ

મુંબઈગરાં હોય કે ગુજરાતની જનતા હોય, દરેકે લાઈફમાં ઓછામાં ઓછો એકવાર તો ગોઆ જવાનો પ્લાન બનાવ્યો જ હોય. નવી પેઢી માટે તો ફેસ્ટિવલ્સ અને કોન્સર્ટનું સરનામું પણ ગોઆ છે. ઓલ્ડ ગોઆ અને ન્યુ ગોઆ અને વિદેશીઓ જ્યાં મોટી સંખ્યામાં જોવા મળે એવા બીચિઝના નામથી માંડીને હેરિટેજ આર્કિટેક્ચર જેવું કેટલું બધું લોકોને કડકડાટ યાદ હોય છે. 1961માં ગોઆ, દીવ અને દમણની સાથે યુનિયન ટેરિટરી જાહેર થયું અને 1987માં તેને સ્ટેટહુડ – રાજ્યનો દરજ્જો મળ્યો. પ્રદેશ અનુસાર ભારતના સૌથી નાના રાજ્યની ખાસિયતો વિશે તો તમે જાણતા જ હશો. ફિલ્મોમાં પણ ગોઆને સારી પેઠે એક્સપ્લોર કરાયું છે, રોમાન્સ માટે, દોસ્તી માટે અને મર્ડર મિસ્ટ્રી માટે પણ. ગોઆની આટલી લાંબી ચર્ચા એટલા માટે કારણ કે બે-ત્રણ અઠવાડિયાથી ગોઆ સતત ચર્ચાતું રહ્યું છે. ગોઆનું અર્થતંત્ર સહેલાણીઓ પર ચાલે છે. ટુરિઝમ એટલે ગોઆના અર્થતંત્રની કરોડરજ્જુ પણ આજકાલ ગોઆ લોકોના લિસ્ટમાંથી ગાયબ થઇ રહ્યું છે અને આ ચર્ચા X – પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલી એક પોસ્ટને પગલે છેડાઇ.

વિદેશી પ્રવાસીઓની ઘટતી સંખ્યા

ગોઆ વિદેશીઓ માટે પણ નંબર વન ટુરિસ્ટ સ્પોટ રહ્યું છે પણ છેલ્લા કેટલાક વખતથી, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા પછી વિદેશી પ્રવાસીઓની સંખ્યા ગોઆમાં નોંધપાત્ર રીતે ઘટી છે.  રામાનુજ મુખર્જી, એક આંત્રપ્રિન્યોર છે જેમણે થોડા દિવસો પહેલાં એક ટ્વિટ કર્યું. આ ટ્વિટ અનુસાર ગોઆમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા જે 2019માં 9.4 લાખ હતી તે ઘટીને 2023માં 4.03 લાખ થઇ ગઇ છે. તેમના મતે રશિયા અને બ્રિટનના જે પ્રવાસીઓ ગોઆ આવતા તેઓ હવે શ્રીલંકા જવાનું પસંદ કરે છે. વળી મુખર્જીએ તો પોતે આંકડા એક એનાલિટિક્સ કંપની – CEIC – પાસેથી લીધા હોવાનો દાવો કર્યો અને લખ્યું કે સરકારે ટુરિઝમ ક્ષેત્રમાં સુધારા કરવાની તાતી જરૂર છે. ગણતરીનાં વર્ષોમાં ગોઆમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 60 ટકા જેટલી ઘટી છે, ખાસ કરીને 2022ની સાલમાં વિદેશી પ્રવાસીઓની સંખ્ય 2019ની સરખાણીએ  82 ટકા ઘટી. આ ટ્વીટ વાઇરલ થયું અને પછી ગોઆ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે તો આ યુઝર સામે ફરિયાદ પણ નોંધી. પણજીના સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ટ્વિટનો દાવો અને આંકડા ખોટા છે, જેને કારણે ગોઆ રાજ્યની છાપ ખરડાય છે એટલે આ યુઝર સામે પગલાં લેવાવા જોઇએ. જો કે યુઝરે ફરી પોસ્ટ કરીને એમ કહેલું કે, ‘માની લઈએ કે મને મળેલા આંકડા ખોટા હોય પણ આ પોસ્ટ વાઇરલ એટલે થઇ કારણ કે લોકોએ ગોઆમાં પોતાને થયેલા અનુભવો સોશ્યલ મીડિયા પર વહેંચ્યા. લોકોએ ગોઆ અંગેની પોતાની દુભાયેલી લાગણીઓ ઠાલવી.’

ટેક્સી માફિયાઓની દાદાગીરી

ગોઆ જનારા ભારતીય પ્રવાસીઓ તો કોરોનાકાળ પછી પાછા ફર્યા છે પણ જે સમસ્યાઓને કારણે વિદેશીઓ ગોઆ આવવાનું ઘટાડી રહ્યા છે, એ સમસ્યાઓ થોડા વખત પછી ભારતીય પ્રવાસીઓને પણ નડી શકે છે. પહેલાં તો ગોઆમાં સમસ્યાઓ શું છે એ સમજીએ. ગોઆમાં સૌથી મોટી સમસ્યા છે ‘ટેક્સી માફિયા’ની. ત્યાં તમને ઓલા કે ઉબર જેવી સેવાઓ નહીં મળે. મોટા ભાગે ટેક્સી બિઝનેસ માથાભારે જૂથો ચલાવે છે અને તેમણે માત્ર પ્રવાસીઓ જ નહીં પણ સ્થાનિક લોકોને પણ સારી પેઠે દાબમાં રાખ્યા છે કે પજવ્યા છે. ઇજારાશાહી હોય ત્યાં આવી સમસ્યા થાય જ. તેમના બળને લીધે ઓલા – ઉબર જેવી સેવાઓ ગોઆમાં ચાલુ નથી થઇ શકી. ગોઆના ટેક્સી ઑપરેટર્સ તેમના ઊંચા દર, મિટર વગરની કાર્સ અને સરકારી નિયમોને નહીં અનુસરવા માટે જાણીતા છે. વળી જો કોઇએ ભાવ-તાલ કરવાની કોશિશ કરી તો તોછડાઇથી ના પાડી દેવાની ઘટનાઓ પણ પ્રવાસીઓ સાથે બની છે. કોઈએ ટ્વિટર પર આ પોસ્ટને પગલે પોતાનો અનુભવ શૅર કરતાં લખ્યું હતું કે, ‘એકવાર અમે ગોઆમાં એક વિદેશીને અમારી કારમાં લિફ્ટ આપી. કોઇ ટેક્સીવાળાએ અમને રોકીને તેને ઉતારી દેવા કહ્યું અને ધમકી આપી કે જો એમ નહીં કરીએ તો એ અમારી કાર તોડી નાખશે. ગોઆ ટુરિઝમ બગડ્યું છે તેનું કારણ ટેક્સી માફિયાનો વહેવાર છે. પુષ્કર કે ઉદયપુરમાં અમારે આવી સ્થિતિ ક્યારે ય નથી વેઠવી પડી.’ અન્ય એક યુઝરે પણ લખ્યું કે તે પોતાના એક વિદેશીને લેવા એરપોર્ટ ગયો હતો અને તેની સાથે એક ભારતીય મિત્ર પણ હતો. એક ટેક્સીવાળાએ જ્યારે આ લોકોને પેલા યુઝરની અંગત કારમાં જોયા તો તેણે એમને રોકીને બબાલ કરી, થોડીવારમાં ત્યાં બીજા દસ ટેક્સીવાળા આવી ગયા જે બધા તેમને મારવા તૈયાર હતા. હવે ટુરિસ્ટ હોટસ્પોટ ગણાતા સ્થળે આવું થતું હોય તો કેવી રીતે ચાલે? ગોઆને મોટાભાગના નકારાત્મક રિવ્યુઝ ટેક્સી માફિયાઓને કારણે જ મળ્યા છે. વળી કાર્સ ઝડપથી મળે નહીં અથવા તગડી કિંમતો પણ વિચાર્યા વગર ચુકવવી પડે તો ક્યાં સુધી કોઇ પ્રવાસીઓ આવા શોષણને તાબે થાય. પ્રવાસીઓને માટે સફરની યાદો મીઠી હોય એ જરૂરી છે, ડર અને ખર્ચાના બોજ વાળી યાદો આપનારા ગોઆને પોતાની યાદીમાંથી તેઓ બિંધાસ્ત બાદ કરવા માંડે એમાં કંઇ ખોટું નથી.

સલામતીના પ્રશ્નો

અહીં વાત માત્ર પ્રવાસીઓ ઘટવાની નથી. આપણા દરેકના મનમાં ગોઆની એક છબી છે, બિંધાસ્ત, હિપ્પી કલ્ચરને આવકારતું સ્થળ, જેની ગ્લોબલ અપીલ જબ્બર રહી છે. પણ આપણે ગોઆમાં થયેલી હત્યાઓ અને અપહરણના કિસ્સાઓથી અજાણ નથી. ગોઆમાં જ મહિલા પ્રવાસીઓને માટે ખાસ પિંક ફોર્સની જાહેરાત કરાઇ છે જે તેમની સલામતી અને બીચ વિજીલ – દરિયા કાંઠેની ચોકીદારીનું ધ્યાન રાખે છે. આ કરવું પડે એ જ બતાડે છે કે ગોઆમાં સલામતીને નામે ગોટાળા છે. ગોઆમાં બબ્બે એરપોર્ટ છે તેની ના નહીં પણ શહેરમાં જો માળાખાંકીય સુવિધાઓ પૂરતી ન હોય તો  તેનો પણ કોઇ અર્થ નથી.

રાજકારણ અને રિયલ એસ્ટેટ

વળી ગોઆને કેન્દ્રમાં રાખીને ખેલાતું રાજકારણ પણ કમ નથી. ત્યાંના રસ્તાઓ, ગોઆ પોલીસ દ્વારા બહારની ગાડીઓને કરાતી હેરાનગતિ, ટ્રાફિક જામ વગેરે અંગે કાઁગ્રેસના નેતાઓએ પૂરતો દેકારો કર્યો છે. વળી ગોઆની હરિયાળી જમીન પર રિયલ એસ્ટેટની પકડ પણ જામી છે. મિલકતના ભાવ સો ટકા કરતાં ઉપર પહોંચ્યા છે. જાણે ત્યાં વિશેષ રીતે મોઘવારીએ પગ માંડ્યો હોય એવું લાગે છે. ગોઆમાં ટાઉન અને કન્ટ્રી એક્ટમાં ફેરબદલ કરીને પેડી ફિલ્ડ અને જંગલોને સુરક્ષિત રાખનારા ઝોનિંગ કાયદાઓની ઉપરવટ જઇ જમીનનો ધાર્યો ઉપયોગ કરાયો છે. આ એક પ્રકારનું દબાણ છે, જે માત્ર જમીન માત્ર પર નહીં ગોઆની સંસ્કૃતિ પર પણ દબાણ કહી શકાય કારણ કે તે ગીચતા, ઘોંઘાટ અને ગોઆની સ્કાયલાઇન પર અસર કરે છે. ગોઆ ટુરિઝમ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ વચ્ચેનો સંઘર્ષ પણ એક પાસું છે જે ગોઆની ઓળખ બદલી રહ્યું છે.

ગીચતા અને ગંદકી

એક સમયે કાલનગુટ જેવા વિસ્તારો ખૂબ પૉપ્યુલર હતા ત્યાં પણ હવે ગીચતા, લિટરિંગ જેવા પ્રશ્નો છે. મોટાભાગના દરિયા કિનારાઓ પર ગંદકીનો મુદ્દો તો રેતીમાં ફસાયેલી પ્લાસ્ટિકની કોથળી જેવો છે. ગોઆમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને મામલે પણ કોઇ વ્યવસ્થિત તંત્ર નથી કારણ કે ટેક્સી માફિયાઓ ત્યાં પણ સમસ્યાઓ ખડી કરે છે. ગોઆમાં તંત્ર એળે જતું હોય ત્યારે આસપાસના દેશોમાં વિઝા-ફ્રી ટ્રાવેલ, વેલ્યુ ફોર મની, જેવા અનુભવોને ભારતીય અને બિન-ભારતીય બન્ને પ્રકારના પ્રવાસીઓ પસંદ કરે તે સ્વાભાવિક છે. વળી, મૉલદિવ્ઝ કે થાઇલેન્ડ જેવી ચોખ્ખાઇ ગોઆમાં હવે નથી જોવા મળતી.

ગોઆના હિપ્પીઓ અને રશિયન પ્રવાસીઓ જે મોટી સંખ્યામાં ગોઆમાં જોવા મળતા તેઓ કંઇ બહુ ખર્ચો કરીને લક્ઝરીમાં રહેનારા લોકો નહોતા. આજે બ્રિટિશ પેન્શનર્સ જે ત્યાં આવે છે તે પણ તગડાં બજેટ પર નથી આવતા. ભારતીયો માટે ગોઆ કાયમી સ્થળ નથી અને માટે તેમને ગોઆમાં પૈસા ખર્ચતા બહુ તકલીફ નથી પડતી. દક્ષિણ ગોઆમાં મોંઘા દાટ બૂટિક્સમાં તવંગરોની પત્નીઓના જ ક્રેડિટકાર્ડ્ઝ વપરાતા હોય છે. પરંતુ શું આટલો ખર્ચ કરી શકનારા ભારતીય પ્રવાસીઓનો ગોઆ પ્રેમ લાંબો ટકશે? જો તેમને પણ સ્થાનિક ગીચતા, ગંદકી અને ઇજારાશાહીને કારણે કરાતી દાદાગીરી સાથે લાંબો સમય માથા ફોડવાના આવશે તો એ તો એ પણ બીજા ટુરિસ્ટ ડેસ્ટિનેશનની પસંદગી કરતા વાર નહીં લગાડે.

બાય ધી વેઃ 

સરસ મજાનું સ્થાપત્ય, નાની મોટી ગલીઓ, દરિયા કાંઠા અને એક રિલેક્સ વાઇબ આપતી આ એક સમયની પોર્ટુગિઝ કૉલોનીના બોહો કલ્ચરને પાછું લાવવા માટે સ્પર્ધાત્મક અભિગમની જરૂર છે. ગોઆ ક્યારે ય આઉટ ઑફ ટ્રેન્ડ નહીં જાય એમ માની લેવાની ભૂલ ન થવી જોઇએ. ટુરિઝમ એક સર્વિસ સેક્ટર છે – સર્વિસ એટલે સેવા – અને માટે જ તેમાં મર્યાદા જળવાય તે જરૂરી છે તે ભાવ-તાલની હોય કે પછી સામી વ્યક્તિ સાથેના વહેવારની હોય. ગોઆના તંત્રએ પોતાની સંસ્કૃતિને પ્રાથમિકતા આપવી જોઇએ નહીં કે નફાને અને પ્રવાસીઓને આકર્ષનારી દરેક બાબતને ગણતરીમાં લઇને વહીવટ સંભાળવો જોઇએ. ગોઆ હજી સાવ હાંસિયામાં નથી ધકેલાયું ત્યારે સમયસૂચકતા વાપરીને ગોઆનો ખોવાઇ રહેલો ચાર્મ સચવાઇ જાય તે માટે અનિવાર્ય પગલાં લેવાય તો ઠીક છે, નહીંતર પછી ગો ગોઆ ગોન થતાં વાર નહીં લાગે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2024

Loading

...102030...344345346347...350360370...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved