
રવીન્દ્ર પારેખ
લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષના પ્રચાર-પ્રસાર કે તિરસ્કાર માટે નથી. તેમણે શાસક પક્ષ અને વિપક્ષથી સરખું અંતર જાળવવાનું છે, પણ કમભાગ્યે તેવું ઓછું બને છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચે કોઈ મુદ્દે નાની મોટી ચડભડ ચાલ્યા કરતી હતી. તેથી ક્યારેક રાજ્યપાલો મનમાની પણ કરતા હતા. જેમ કે, તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભામાં મંજૂર થયેલાં બિલો રોકી રાખ્યાં હતાં. બન્યું હતું એવું કે 2020થી 2023 દરમિયાન તમિલનાડુ વિધાનસભામાં પસાર કરાયેલ 12 બિલ રાજ્યપાલ રવિની મંજૂરી માટે મોકલવામાં આવ્યાં, પણ તેમણે તે દબાવી રાખ્યાં એટલે તમિલનાડુ સરકારે સુપ્રીમનો સંપર્ક કરતાં રાજ્યપાલે 10 બિલો સહી કર્યા વિના પરત કર્યાં ને 2 બિલો રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલી આપ્યાં. સરકારે ફરી 10 બિલો પસાર કર્યાં, તો રાજ્યપાલે તે રાષ્ટ્રપતિને મોકલી દીધાં.
પાછળથી સુપ્રીમે રાજ્યપાલની બિલ રોકવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર ઠેરવી. જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે રાજ્યપાલને ટકોર કરી કે તેમણે પક્ષકારોની ઈચ્છા મુજબ નહીં, પણ બંધારણ મુજબ કાર્ય કરવું જોઈએ. સુપ્રીમે એવું પણ ઠેરવ્યું કે રાજ્યપાલે પ્રમાણિકતા ન દાખવી એટલે એ 10 બિલો મંજૂર થયેલાં જ ગણાય. એ હિસાબે તો રાજ્યપાલની સહી વિના બિલને મંજૂરી મળવાની આ કદાચ પહેલી ઘટના છે.
આ ગરબડ થવાનું એક કારણ એ પણ ખરું કે બંધારણમાં બિલને મંજૂરી અંગેની કોઈ સ્પષ્ટતા નથી. બિલ ‘શક્ય તેટલું વહેલું’ મંજૂર કરવાની વાત બંધારણમાં છે, પણ તે અંગે કોઈ ચોક્કસ સમય મર્યાદાની વાત એમાં નથી, એટલે રાજ્યપાલ તેને ઠીક લાગે તેટલો સમય લે, તો તે પણ ‘શક્ય તેટલું વહેલું’ જ ગણાય. એ સ્થિતિમાં રાજ્ય સરકાર અસરકારક રીતે કામ ન કરી શકે. આ વાત સુપ્રીમ કોર્ટની નજરે ચડતાં તેણે સ્પષ્ટ કર્યું કે રાજ્યપાલ ચૂંટાયેલી સરકારનાં બિલો અનિશ્ચિત સમય સુધી રોકી શકશે નહીં. કોઈ પણ બિલ તેમણે 1 મહિનામાં મંજૂર કરવાનું રહે છે. રાજ્યપાલ બિલ રાષ્ટ્રપતિને મોકલે છે, તો રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનામાં બિલ મંજૂર કરવાનું રહે છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે કોઈ બિલ મંજૂર કરવામાં વિલંબ થાય, તો તેનું કારણ જણાવવાનું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટની આ વાત એટલે પણ મહત્ત્વની છે કે બંધારણના અનુચ્છેદ 201માં રાજ્યપાલે બિલ કેટલા સમયમાં મંજૂર કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા ન હતી. તેને અંગે હવે સરળતા એ થઈ કે ચોક્કસ સમય મર્યાદામાં નિર્ણય લેવાનો થશે. એટલું છે કે સુપ્રીમ કોર્ટે આપેલી અવધિને લીધે બિલ હવે 3 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ નહીં રહે. આમ છતાં રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ નક્કી સમય મર્યાદામાં કામ નહીં કરે તો રાજ્ય સરકાર કોર્ટમાં જઈ શકે છે.
જસ્ટિસ જે.બી. પારડીવાળા અને જસ્ટિસ આર. મહાદેવને વધુ સ્પષ્ટતા એ કરી કે જો કોઈ બંધારણીય સત્તા ચોક્કસ સમય મર્યાદામાં પોતાની ફરજો નહીં બજાવે તો કોર્ટ પણ હાથ જોડીને બેસી નહીં રહે. અત્યાર સુધી કલમ 201માં સમય મર્યાદાનો ઉલ્લેખ ન હોવાને કારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભવાં તણાયેલાં રહેતાં હતાં. એ સ્થિતિમાં 90 દિવસની મુદત નક્કી થતાં બિલો મંજૂર કરવામાં હવે કોઇની મનમાની નહીં ચાલે. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ માટે કોઈ મર્યાદા નક્કી ન કરી શકાય, પણ આ મામલે તેઓ નિષ્ક્રિય ન રહે એ પણ અપેક્ષિત છે.
આ ચુકાદાથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ખાસા નારાજ છે. રાજ્યપાલ દ્વારા વિચારણા માટે મોકલાતા ખરડા અંગે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનામાં નિર્ણય લેવાના સુપ્રીમના આદેશ અંગે, ઉપરાષ્ટ્રપતિએ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રાષ્ટ્રપતિને 90 દિવસમાં નિર્ણય લેવાનું પહેલી વખત કહેવાયું છે. ભારતે એવી લોકશાહીની કલ્પના કરી નથી જેમાં રાષ્ટ્રપતિને નિર્ધારિત સમયમાં નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવી હોય. ધનખડે એમ પણ કહ્યું કે બંધારણની કલમ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ લોકશાહી શક્તિઓ સામે ચોવીસે કલાકની પરમાણુ મિસાઇલ બની ગઈ છે ને ન્યાયાધીશો ‘સુપર સંસદ’ ચલાવી રહ્યા છે. ડી.એમ.કે.ના રાજ્યસભાના સાંસદ તિરુચિ શિવાએ ધનખડની ટિપ્પણી અનૈતિક ગણાવીને ઉમેર્યું કે બંધારણ જ સર્વોચ્ચ છે. ઉપરાષ્ટ્રપતિની નારાજગીનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ આપ્યો. જજ કાયદો ઘડે એવી કલ્પના કરી ન હતી. જજો કાયદા ઘડે, કાર્યકારી જવાબદારી નિભાવે ને ‘સુપર સંસદ’ તરીકે કામ કરે ને છતાં તેમને દેશના કાયદા લાગુ ન પડે એવી હૈયાવરાળ ઉપરાષ્ટ્રપતિએ ઠાલવી છે.
ઉપરાષ્ટ્રપતિને વાંધો એ છે કે જજના ઘરેથી કરોડો રૂપિયા મળે તેની એફ.આઇ.આર. પણ ન થાય ને બીજી તરફ રાષ્ટ્રપતિને નક્કી સમય મર્યાદામાં નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવે છે. જજો કાયદા ઘડે છે – એવી ધનખડ જેવી જ વાત લોકસભાના ભા.જ.પ.ના સાંસદ નિશિકાંત દુબે કરે છે. તેઓ કહે છે કે સુપ્રીમ જ કાયદો બનાવવાની હોય તો સંસદ બંધ કરી દેવી જોઈએ. બંધારણના અનુચ્છેદ 368 મુજબ કાયદો ઘડવાનું કામ સંસદનું છે ને તેની વ્યાખ્યા કરવાનું કામ સુપ્રીમનું છે. તેને બદલે નિશિકાંતને એમ લાગે છે કે કાયદો પણ સુપ્રીમ જ બનાવે છે. જો કે, નિશિકાંત દુબેના નિવેદનથી ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. ચડ્ઢાએ હાથ ઊંચા કરી દેતા કહ્યું છે કે નિશિકાંતનાં નિવેદન સાથે ભા.જ.પ.ને કોઈ લેવા દેવા નથી. નિશિકાંત પક્ષની તરફેણમાં સંસદ બંધ કરવાની કે સુપ્રીમની કાયદો બનાવવાની વાત કરી શકે, પણ ઉપરાષ્ટ્રપતિ એવું ન કહી શકે, કારણ તે પક્ષના કે વિપક્ષના પ્રવક્તા નથી. તેમણે તો બંનેથી સરખું અંતર જાળવવાનું છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વાતો પ્રથમ દૃષ્ટિએ યોગ્ય લાગે, પણ એમ થવું જોઈએ કે સુપ્રીમ કે સંસદ એકબીજાની સ્પર્ધામાં ન રહેતાં, એકબીજાનાં પૂરક રહે. થોડા ઊંડા ઊતરીએ તો એટલું સમજાશે કે આખું બખડજંતર તમિલનાડુના રાજ્યપાલે બિલો દબાવી રાખ્યા તેથી થયું. તેમની સહી વગર પાછળથી જે બિલો સુપ્રીમે મંજૂર કર્યાં, તે રાજ્યપાલ પોતે સહી કરીને મંજૂર કરી શક્યા હોત. તે ન થયું એટલે રાજ્ય સરકારે સુપ્રીમનો દરવાજો ખટખટાવવો પડ્યો ને સુપ્રીમે રાજ્યપાલને કે રાષ્ટ્રપતિને માટે બિલ મંજૂરીની મુદ્દત નક્કી કરવી પડી. ધનખડ કહે છે તેમ લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ છે. એ મહત્ત્વપૂર્ણ છે, તો રાજ્ય સરકારોનું એવું મહત્ત્વ ખરું કે કેમ? રાજ્યપાલો બિલ રોકી રાખે ત્યારે રાજ્ય સરકારની સર્વોપરિતા કેમ પડદા પાછળ રહે છે? રાજ્યપાલ ચૂંટાયેલી સરકાર સાથે બોસની જેમ વર્તે તે ચાલે, પણ સુપ્રીમ બિલ મંજૂરીની અવધિ નક્કી કરે તો તે રાષ્ટ્રપતિને આદેશ આપ્યા જેવું લાગે. જો આ વાજબી નથી, તો રાજ્યપાલ બોસ બનીને વર્તે તે પણ યોગ્ય નથી. જે વાત ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ માટે કહે છે, એ જ વાત રાજ્યપાલોને પણ લાગુ પડે છે એ ભૂલવા જેવું નથી.
બંધારણની બાબતમાં રાષ્ટ્રપતિ પણ સુપ્રીમની સલાહ લઈ શકે છે. આ જોગવાઈ જ સૂચવે છે કે સુપ્રીમનું શું ને કેવું મહત્ત્વ છે?
રાજ્યસભાના સાંસદ અને સિનિયર વકીલ કપિલ સિબ્બલે ધનખડને રોકડું પૂછ્યું કે તેમને એ ખબર છે કે બંધારણની કલમ 142 સુપ્રીમને સંપૂર્ણ ન્યાય કરવાની સત્તા આપે છે? કલમ 142 હેઠળ સુપ્રીમને ‘સંપૂર્ણ સત્તા’ એટલે આપવામાં આવી છે કે કાયદાની જોગવાઇઓ પર્યાપ્ત ન લાગતી હોય કે અસ્પષ્ટ હોય તેવી સ્થિતિમાં ન્યાય સુનિશ્ચિત કરી શકાય. ખુદ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે કલમ 142ને ‘સેફટી વાલ્વ’ કહી છે. સુપ્રીમના વકીલ અને બંધારણીય નિષ્ણાત વિરાગ ગુપ્તાનું કહેવું છે કે સંસદ કરતાં પણ બંધારણ ભારતમાં સર્વોચ્ચ છે. એ હિસાબે તો રાષ્ટ્રપતિ પણ બંધારણથી પર નથી કે ઉપર નથી. રાષ્ટ્રપતિ જરૂર પડ્યે સુપ્રીમની સલાહ લઈ શકે એમ જો બંધારણ સૂચવતું હોય તો એનો અર્થ એ થાય કે રાષ્ટ્રપતિને કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટ નિર્દેશ કે આદેશ આપી શકે છે.
એનો અર્થ એવો પણ નથી કે સુપ્રીમના નિર્ણયો ઉલ્ટાવી ન શકાય. સુપ્રીમના નિર્ણયમાં કોઈ મોટી બંધારણીય ક્ષતિ રહી ગઈ હોય તો નિર્ણયની ફેર વિચારણા માટે સુપ્રીમમાં સમીક્ષા અરજી કરી શકાય. સાવ વિરોધી ચુકાદાઓ આવે એ સંજોગોમાં મોટી બેન્ચની રચનાથી નિર્ણય લઈ શકાય. જેમ કે, એક કેસમાં બે નિર્ણયો એક બીજાથી વિરુદ્ધ આવે છે, તો ત્રણ ન્યાયાધીશોની મોટી બેન્ચ દ્વારા ઘટતો નિર્ણય કરી શકાય.
જ્યુડિશિયરીની ક્ષમતા અંગે એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. 1975માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ચૂંટણી કરાવી અને જીત્યાં પણ ખરાં. તે વખતે ન્યાયાધીશ ક્રિશ્નન ઐય્યર હતા. તેમણે એ ચૂંટણીને ગેરલાયક ઠેરવી, એટલું જ નહીં, વડાં પ્રધાન પદેથી ઇન્દિરા ગાંધીને હટાવ્યાં પણ ખરાં.
સુપ્રીમની ક્ષમતા વિષે આથી વધારે કૈં કહેવાની જરૂર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઍપ્રિલ 2025