Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299673
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેશનલ હેરાલ્ડ કેસઃ પરિવારવાદના વિવાદી વ્યાપારને કારણે કાઁગ્રેસની દશા ઓર કફોડી થઇ રહી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 April 2025

જે રીતે વાલિયા લૂંટારાના પાપના ભાગીદાર બનવા કોઈ તૈયાર નહોતું તેમ ગાંધી પરિવારની ગરબડોમાં કાઁગ્રેસ પક્ષ કેટલું ઢસડાવાનું પસંદ કરશે?

ચિરંતના ભટ્ટ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઇ.ડી.એ કાઁગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કરોડોના ગોટાળાનો, મની લોન્ડરિંગનો. ભા.જ.પા.ની સરકાર ખુન્નસમાં આ બધું કરી રહી છેના આક્ષેપોના અવાજ કાઁગ્રેસ તરફથી ઉઠ્યા છે તો કાઁગ્રેસની ધૂરા લઇને બેઠેલા ગાંધી પરિવારે દેશના લોકો સાથે છેતરપીંડી કરી છેનો દેકારો ભા.જ.પા. તરફથી થઇ રહ્યો છે. ગાળિયો ગાંધી પરિવારને ગળે પડ્યો છે, અને તેમાં કાઁગ્રેસ પાર્ટી પણ ઢસડાવાની જ. આરોપ-પ્રત્યારોપ અને વિરોધ પ્રદર્શનોની હારમાળાના મણકા એક પછી એક ગોઠવાઈ રહ્યા છે. આખરે આ કેસ છે શું? આક્ષેપ એવો છે કે માત્ર પાંચ લાખની રકમમાંથી કાઁગ્રેસ પાર્ટીએ ગોટાળા કરીને  2,000 કરોડ બનાવ્યા છે અને તે પણ એકે ય રૂપિયો ખર્ચ્યા વિના. 

મામલો લગભગ પંચ્યાશી – 85 વર્ષ જૂનો છે. 1937 માં એસોસિએટ જર્નલ્સ લિમિટેડ – AJL-ની સ્થાપના કરવામાં આવી, જેના હેઠળ જવાહરલાલ નહેરુએ 1938માં ‘નેશનલ હેરાલ્ડ’ નામે છાપું શરૂ કર્યું. આ છાપાના ભાગીદારો એટલે કે શૅર હોલ્ડર્સ હતા સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેનારા લોકો. આઝાદીની ચળવળ દરમિયાન જે ભંડોળ મળતું તેમાંથી નેશનલ હેરાલ્ડ, કોમી આવાઝ અને નવજીવન – એમ ત્રણ પ્રકાશનો પ્રકાશિત થતા. ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન અંગ્રેજ સરકારે જ્યારે ભારતીય અખબારોને લપેટમાં લીધા હતા ત્યારે નેશનલ હેરાલ્ડને પણ ભોગવાવનું આવ્યું. જો કે ત્રણેક વર્ષ પછી બધું થાળે પડ્યું અને અખબાર ફરી ધમધમતું થયું. આપણે આઝાદ થયા, નહેરુ વડા પ્રધાન બન્યા અને તેમણે કંપનીનું ચેરમેન પદ છોડી દીધું. સ્વતંત્રતા મળી ગઈ હતી પણ અખબાર પ્રકાશિત કરનારી આ કંપનીને અનેક શહેરોમાં ઓછા ભાવે – રાહત દરે જમીનો મળી હતી. 1956ની આસપાસ એજેલને ગેર વ્યવસાયી કંપની જાહેર કરાઈ અને કંપની એક્ટ 25 હેઠળ તેને કર મુક્તિ મળી. વર્ષો સુધી અખબારને કાઁગ્રેસ પાર્ટી તરફથી ફંડિગ મળતું રહ્યું. સ્વતંત્ર સંગ્રામ દરમિયાન શરૂ થયેલું અખબાર સ્વાભાવિક રીતે કાઁગ્રેસ તરફી ઝુકાવ ધરાવતું હતું અને તે વખતે જે કાઁગ્રેસ પક્ષ હતો તે બહુ જુદો હતો તે પણ એક હકીકત છે. જો કે 2008માં આ અખબાર આર્થિક તંગીને કારણે બંધ કરવું પડે તેવી નોબત આવી ત્યાં સુધીમાં તો કાઁગ્રેસમાં પણ જાત-ભાતના ફેરફાર આવી ગયા હતા. AJL માથે તોતિંગ દેવું હતું. આ દરમિયાન કાઁગ્રેસે પક્ષે જાહેર ભંડોળમાંથી કંપનીને નેવું કરોડની વગર વ્યાજની એટલે કે ઇન્ટ્રેસ્ટ ફ્રી લોન આપી, જેથી કંપની બંધ થાય – અખબાર બંધ થાય તે પહેલાં કર્મચારીઓને વળતર ચૂકવી શકાય. કાયદા પ્રમાણે કોઇપણ રાજકીય પક્ષ વ્યવસાયી પ્રવૃત્તિ માટે લોન ન આપી શકે. નેશનલ હેરાલ્ડ બંધ થયું અને AJL એક રિયલ એસ્ટેટ કંપની બની રહી અને આ કંપનીને નામે 2,000 કરોડથી વધુની મિલકતો હતી. ઇ.ડી.ની ચાર્જશીટ અનુસાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મિલકતો પચાવી પાડવા માટે કારસા કર્યા અને આ સંપત્તિઓને આધારે મની લોન્ડરિંગ કરાયું. 

ઇ.ડી. આ આક્ષેપો શેના આધારે કરે છે તે જાણીએ.  2010ના નવેમ્બર મહિનામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ યંગ ઇન્ડિયા લિમિટેડ નામે કંપની શરૂ કરી. આ કંપની પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ થઇ તેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો હિસ્સો 38 – 38 ટકા હતો અને બાકીના 24 ટકા હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસનો હતો. યંગ ઇન્ડિયાના બોર્ડ ઑફ ડિરેક્ટર તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે પત્રકાર સુમન દુબે અને સામ પિત્રોડા પણ હતા. 

2010 ડિસેમ્બરમાં કાઁગ્રેસે AJLને એમ કહીને ઝીરો ઇન્ટરેસ્ટની 90 કરોડની લોન આપી કે ઐતિહાસિક મહત્ત્વ હોવાથી કંપનીને બચાવવી જરૂરી હતી. સ્વાભાવિક છે કે AJL લોન પરત ન આપી શકી. માત્ર 50 લાખ ચૂકવીને યંગ ઇન્ડિયા લિમિટેડે AJLની માલિકી મેળવી. 2011થી AJLના 99 ટકા શૅર યંગ ઇન્ડિયા લિમિટેડના થયા. એક રાજકીય પક્ષે આપેલી લોન હવે તગડી સ્થાવર મિલકત ધરાવતી ખાનગી કંપનીના કાબૂમાં આવી ગઇ. આ સ્થિતિમાં AJLની બધી જ સ્થાયી મિલકતો જે દિલ્હી, મુંબઈ, લખનૌ, વગેરેમાં છે તે યંગ ઇન્ડિયા લિમિટેડની થઇ ગઇ.  શું યંગ ઇન્ડિયાએ કાઁગ્રેસને 90 કરોડ ચૂકવ્યા? બિલકુલ નહીં. આ દેવું માત્ર કાગળ પર હસ્તગત કરાયું અને 50 લાખ જેવી નજીવી રકમ આપીને, 90 કરોડનું દેવું માફ થઇ ગયું (સાફ થઇ ગયું) અને યંગ ઇન્ડિયાને – એક ખાનગી કંપનીને – 2,000 કરોડની મિલકતો મળી જેનું મૂલ્ય આજે 5,000 કરોડ જેટલું છે. 2011માં AJL અને યંગ હેરાલ્ડ બંધ કરી દેવાયું. છાપું ન રહ્યુ પણ અને 5,000 કરોડની મિલકતો ગાંધી પરિવારની ખાનગી મિલકત બની ગઈ. ઘણી મિલકતને ભાડે આપી દેવાઇ હતી જેનો વ્યક્તિગત લાભ લેવાયો. તપાસમાં ખોટી રીતે મેળવાયેલી જાહેરાતો, ભંડોળ વગેરેની બાબતો પણ બહાર આવી છે. 

ભા.જ.પા.ના સુબ્રમણ્યમ્‌ સ્વામીએ 2012માં નીચલી અદાલતમાં ફરિયાદ દાખલ કરી અને આક્ષેપ મૂક્યો કે યંગ ઇન્ડિયા લિમિટેડે એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડના હસ્તાંતરણમાં છેતરપીંડી અને વિશ્વાસભંગનો ગુનો આચર્યો છે અને યંગ ઇન્ડિયા લિમિટેડે ખોટી રીતે નેશનલ હેરાલ્ડની મિલકત પર કબજો કર્યો છે. તેમનો આરોપ છે કે ગાંધી પરિવારે કાઁગ્રેસ પાર્ટી ફંડનો ઉપયોગ કરીને AJL હસ્તગત કરી લીધી છે. કાઁગ્રેસનું કહેવું છે કે સ્વામીના આરોપો ઠાલા છે અને તે માત્ર રાજકીય દ્વેષથી દાખલ કરાયેલો કેસ છે. 2016માં નેશનલ હેરાલ્ડને ડિજિટલી ચાલુ કરાયું છે. કાઁગ્રેસીઓનું કહેવું છે કે ભા.જ.પા. નેશનલ હેરાલ્ડને નિશાને લઇને ભારતીય સ્વાતંત્ર સેનાનીઓના અનાદરનો યોગદાન કરી રહી છે. 2014થી ઇ.ડી.એ આ કેસમાં હાથમાં લઇને મની લોન્ડરિંગ થયુ છે કે કેમ તેની તપાસ ચાલુ કરી તેને પણ દસ વર્ષ થવા આવ્યા. ભા.જ.પા. અને કાઁગ્રેસ આ મામલે સામસામે નિવેદનો આપ્યા કરે છે. વિરોધો પણ થાય છે પણ કાયદાની દૃષ્ટિએ બાબત બહુ સ્પષ્ટ છે અને હવે કાઁગ્રેસ 25મી એપ્રિલની સુનાવણી પછી શું કરે છે તે જોવું રહ્યું. શું સોનિયા અને રાહુલ ગાંધીને સજા થશે કે કેમ તે તો ઇ.ડી. પોતાનો કેસ કેટલો મજબૂત તૈયાર કરે છે તેની પર આધાર રાખે છે.

આખા મામલામાં એ પણ વિચારવું પડે કે કંપનીના જે સાડાપાંચ છ હજાર શૅર હોલ્ડર્સ હતા તે હવે માંડ 700 જેટલા રહી ગયા છે. એ શૅર હોલ્ડર ક્યાં છે તેની ય કોઈને કંઇ ખબર નથી. એક સમયે શાંતિ ભૂષણ પણ AJLના શૅર હોલ્ડર હતા પણ તેમણે જાહેરમાં એ બાબત કબૂલી હતી કે તેમના શૅર ક્યારે અને કેવી રીતે રાહુલ ગાંધીને નામે થઇ ગયા તે તેમને ખબર જ નથી. આવું તો બીજા કેટલા ય શૅર હોલ્ડર્સ સાથે થયું હશે તેની તો કલ્પના જ કરવી રહી. સ્પેશ્યલ કોર્ટ, હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટને ખારીજ કરવાની ના પાડી દીધી છે. ઇ.ડી.ની ચાર્જશીટ તો તૈયાર છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ પણ થઇ છે જે પાંચ દિવસ માટે અને કુલ 50 કલાક ચાલી હતી અને સોનિયા ગાંધીની પૂછપરછ ૩ દિવસ 12 કલાક ચાલી હતી. આ પૂછપરછનું વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ તો થાય છે જ પણ તમે જે કહો તે તમારે લખીને આપવાનું રહે છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીને લખતા બહુ ફાવ્યું નહીં અને તેમને ટાઇપિસ્ટની મદદ અપાઈ હતી. ઇ.ડી.માં જે કહેવાય તે બધું અદાલતમાં પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકાય છે. હવે આ કેસ ચાલશે ત્યારે શું થશે તે ત્યારે જ ખબર પડશે. કાયદો સમજનારાઓનું કહેવું છે કે આ કેસ બહુ સ્પષ્ટ છે અને જો તે કેસ ચાલ્યો તો સોનિયા અને રાહુલ ગાંધીને સજા થઇ શકે છે

હવે દેશભરમાં વિદેશ પ્રદર્શનોની વાત થઇ રહી છે પણ જે ગોટાળાના લાભ માત્ર ગાંધી પરિવારને મળ્યા છે તેને માટે કાઁગ્રેસના ટેકેદારો, પક્ષના અન્ય લોકો શા માટે વિરોધ કરે? એક બીજો સવાલ એ પણ થાય કે કાઁગ્રેસ – અથવા તો ગાંધી પરિવાર માટે વિરોધ કરવા તૈયાર થનારા લોકો છે ખરા? આ તો વાલિયા લૂંટારાની વાર્તા જેવો ઘાટ છે, જો કે અહીં કોઈ વાલ્મીકિ ઋષિ બની શકે એવી ક્ષમતા ધરાવનારું છે જ નહીં. વર્તમાન સમયનું રાજકારણ ભ્રષ્ટાચાર, વૈમનસ્ય અને ધ્રુવીકરણથી ખદબદે છે. અહીં એક પક્ષ બીજાથી બહેતર છે તેવી ચર્ચા અસ્થાને છે કારણ કે વાત સરખામણીની નથી બલકે સત્તાના દુરુપયોગ કેવી રીતે અને કેટલી હદે થયો છે તેની છે. કાઁગ્રેસના ટેકેદારો માટે પણ આ કદાચ સાપે છછુંદર ગળ્યા જેવું હશે અને માટે તેઓ પણ કદાચ ચૂપ રહેવાનું પસંદ કરશે.

બાય ધી વેઃ 

ગાંધી પરિવાર વિશે ઘણી બધી બાબતો સપાટી પર આવતી રહે છે. બારિસ્ટર બનેલા જવાહરલાલ નહેરુના પરિવારમાં તેમના પછી કોઈએ પણ એ હદ સુધીનો અભ્યાસ નથી કર્યો. ઇંદિરા ગાંધી પર કેથરિન ફ્રેંકે લખેલા પુસ્તકમાં તેમણે પોતે લેખિકાને કહેલું કે તેમના બાયોડેટાને આધારે તેમને નોકરી નહોતી મળી – બની શકે કે તે કદાચ મેટ્રિક સુધી જ ભણ્યા હતા. સોનિયા ગાંધીએ ઓક્સફર્ડમાં ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ કર્યો છે તો રાજીવ ગાંધી એન્જિનયરિંગ કર્યા વિના પાયલટ બની ગયા હતા. વરુણ ગાંધી સિવાય આ પરિવારમાં કોઈ સરખી રીતે ભણ્યું નથી, કદાચ સ્નાતક પણ નથી. મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ સિવાય ગાંધી પરિવારની કોઈ પણ વ્યક્તિએ ક્યારે ય વ્યવસાયી રીતે કામ નથી કર્યું. તેમના પછીને પેઢીના કોઈ વ્યાપાર કે વ્યવસાય નથી. રાજકારણ માત્ર કારકિર્દી છે – જો કે એવા કિસ્સા બીજા પક્ષોમાં પણ હશે  તેની ના નહીં.  “થાય સરખામણી તો કોઈ ઉતરતું નથી” – ન તો કોઈ માથે ચઢાવવા જેવું છે. વાત નેશનલ હેરાલ્ડ કેસની છે અને તેના સુધી સીમિત રાખીને વસ્તુલક્ષીપણાથી એટલે કે ઑબ્જેક્ટિવિટીથી જોઇએ તો કાઁગ્રેસની દયા આવે અને ગાંધી પરિવાર પર રોષ આવે. નરી આંખે દેખાતા ભ્રષ્ટાચારને ક્યાં સુધી અવગણવો એ પણ એક અગત્યનો સવાલ છે. પરિવારવાદ એ વિવાદનું મૂળ છે અને તે ઉખાડાશે તો કદાચ કંઇ નવું રોપવાનો મોકો મળશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઍપ્રિલ 2025

Loading

20 April 2025 ચિરંતના ભટ્ટ
← જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું ?
આઈ સ્ટીલ બિલિવ ધૅટ વી શેલ ઓવરકમ …  →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved