Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુ દેવી-દેવતાઓનું આવું ઘોર અપમાન અસહ્ય છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 December 2024

રવીન્દ્ર પારેખ

અમેરિકામાં વૉલમાર્ટની વેબસાઇટ પર ભગવાન ગણેશની છબીઓ-પેન્ટ, ચપ્પલ, સ્વિમ સૂટ પર લગાવીને વેચવાને મામલે, અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયે વિરોધ કરતાં ભારે હોબાળો થયો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ તસ્વીરોવાળાં ઉત્પાદનોનાં વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરતાં કંપનીએ ખેદ વ્યક્ત કરીને ઓનલાઈન વેચાણ બંધ કર્યું હતું. વૉલમાર્ટે એ પણ સ્વીકાર્યું કે આ રીતની તસ્વીરો ધાર્મિક ભાવનાઓ અને ભરોસાને ઠેસ પહોંચાડનારી છે. વૉલમાર્ટે એની પણ ખાતરી આપી કે તે આવી વિવાદિત સામગ્રી વેચતી કંપનીના સંપર્કમાં છે ને શક્ય તેટલી વહેલી આ સામગ્રી ન વેચાય તેની કોશિશ કરશે. જો કે, કંપનીએ 48 કલાકમાં જ એવી સામગ્રી હટાવી દીધી હતી ને એવી ખાતરી આપી હતી કે હવે પછી આવું નહીં થાય. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વૉલમાર્ટનો તાત્કાલિક પરિણામ આપવા બદલ આભાર માન્યો હતો. વૉલમાર્ટની વેબસાઇટ પર ચૈપ્સ નામની કંપની આ પ્રોડક્ટ વેચી રહી હતી. ગણેશને દુનિયામાં 1 અબજથી વધુ લોકો વિઘ્નહર્તા દેવ તરીકે પૂજતા હોય તો તેને આમ ચંપલ કે સ્વિમ સૂટ પર છાપીને કોઈ પણ કંપની વેચે તો તેનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ. જો ભારતીય કંપનીઓ અન્ય ધર્મના દેવી-દેવતાઓનું માન જાળવતી હોય તો અન્ય કોઈ પણ વિદેશી કંપનીને ગણેશ, લક્ષ્મી કે અન્ય કોઈ પણ દેવી-દેવતાઓની છબીઓનો હીન હેતુઓથી ઉપયોગ કરવાનો અધિકાર નથી ને એ બધી રીતે વખોડવાને પાત્ર છે. કેટલીક કંપનીઓ આવું વેચાણ બંધ તો કરતી હોય છે, પણ તે બંધ થાય એ દરમિયાન થોડું વેચાણ તો થઈ જ ચૂક્યું હોય છે ને વેચાયેલી વસ્તુઓ કૈં પરત ખેંચાતી નથી એટલે થોડે ઘણે અંશે તો કંપનીઓ તેના બદઈરાદામાં સફળ થાય જ છે. ખરેખર તો કોઈ પણ કંપનીને કોઈ પણ ધર્મનાં દેવી-દેવતાઓનાં આવાં હીન વેચાણનો અધિકાર જ ન હોવો જોઈએ. 

આવું કૈં પહેલી વખત બન્યું નથી. આ અગાઉ પણ હિન્દુ દેવી-દેવતાઓને ચંપલ પર, દારૂની બોટલો પર, પેન્ટ, અન્ડરવેર પર છાપીને વિદેશી કંપનીઓએ અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નથી, એ તો ઠીક, પણ હિન્દુ દેવી-દેવતાઓનાં મંદિરો તોડવામાં કે તેમની મૂર્તિઓ ખંડિત કરવામાં દેશમાં કે વિદેશમાં કેટલાંક વિધર્મીઓને ભારે ઝનૂન ચડતું હોય છે. તે ભયંકર છે ને પૂરેપૂરું લાજ શરમ વગરનું છે. પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને કે મંદિરને ખંડિત કરવામાં અગ્રેસર છે. આમ તો પેટ ચોળીને ભારતે જ ઊભું કરેલું શૂળ છે – બાંગ્લાદેશ ! 1971માં ભારતે જ બાંગ્લાદેશનાં સ્વતંત્ર સર્જનમાં ભાગ ભજવેલો ને તે હવે ભારત સામે જ શિંગડાં ભરાવી રહ્યું છે. દુનિયાના કાજી બનીને ફરતાં  ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે મણિપુરનો પ્રશ્ન મૂંઝવતો નથી તેનું આશ્ચર્ય છે. પાકિસ્તાનમાં મંદિરોની તોડફોડ થાય છે કે મણિપુર હિંસક આંદોલનમાં ભડકે બળે છે કે બાંગ્લાદેશી પૂર્વ પ્રધાન મંત્રી શેખ હસીનાને કારણે થતાં મંદિરો પરનાં ને લઘુમતી હિન્દુઓ પરના હિંસક હુમલાઓને ભારત હળવાશથી લઈ રહ્યું હોય તો તે યોગ્ય નથી. 

ગયા ઓગસ્ટમાં બાંગ્લાદેશના યુવાનોએ બળવો કર્યો અને વડાં પ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં શરણું શોધ્યું. તેનું પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓનો તે પછી શિકાર થઈ રહ્યો છે. ભારત સરકારનું એ મામલે વલણ મોળું છે. શેખ હસીના બાંગ્લાદેશના ગુનેગાર છે તો ભારતે તેમને અહીં પોષીને ત્યાંનાં હિન્દુઓ પરનું જોખમ વધારવા કરતાં વધારે સારું તો એ છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દે અને બાંગ્લાદેશની સરકારને સમજાવવાની કોશિશ કરે. તેમ ન થાય તો વિશ્વનો મત મેળવીને બાંગ્લાદેશ પર દબાણ ઊભું કરે, પણ વિશ્વ, ભારત સાથે ન આવે એમ બને, કારણ કે તે જો મુસ્લિમ વિરોધી ભારતીય વલણ અંગે કે બુલડોઝર ન્યાય અંગેની કુંડળી કાઢે તો ભારતને જવાબ આપવાનું ભારે પડે, જ્યારે બાંગ્લાદેશને એ ચિંતા નથી કે તેનાં હિન્દુ વિરોધી વલણનો ભારતના મુસ્લિમો પર કેવોક પ્રભાવ પડે છે? ખરું તો એ છે કે સત્તાધીશો હિન્દુ અને મુસ્લિમ નામનાં રમકડાંથી રમે છે ને રમકડાંનું તો એવું છે કે એ તો તૂટે પણ ખરું ને તૂટે તો નવું ય આવે. એ આવે કે ન આવે રમત ચાલવી જોઈએ. શો મસ્ટ ગો ઓન …

કેટલાંક કટ્ટરવાદી તત્ત્વોએ ઢાકા નજીકના ઇસ્કોન મંદિરને શુક્ર-શનિવારની રાત્રે, 2થી 3નાં ગાળામાં, પેટ્રોલ અને ઑકટેનનો ઉપયોગ કરીને આગ લગાડી દેતાં મંદિરની મૂર્તિઓ અને સાધન-સામગ્રીઓની રાખ થઈ ગઈ હતી. ઇસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ 25 નવેમ્બરથી રાજદ્રોહના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધારામણ દાસનું કહેવું છે કે સમુદાયના સભ્યો અને વૈષ્ણવપંથી સભ્યોને ટાર્ગેટ કરીને કટ્ટરવાદીઓના હુમલાઓ વિના રોકટોક ચાલી રહ્યા છે. કેટલાક વીડિયોમાં એવી ધમકીઓ પણ અપાઈ છે કે સરકાર ઇસ્કોનપર પ્રતિબંધ નહીં મૂકે તો અમે પોતે જ તેમને મારીશું. 

ભારતના કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભા.જ.પ. અધ્યક્ષ સુકાંત મજુમદારે ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે, પણ પ્રતિભાવ મોળો છે. બાંગ્લાદેશમાં ઢાકામાં આવેલું નમહટ્ટા સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું ને સેન્ટરમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિર, લક્ષ્મી નારાયણ મંદિરને સળગાવી દેવામાં આવ્યું હતું. મંદિરની પાછળના ભાગની ટીનની છત ઉઘાડીને, તેમાંથી પેટ્રોલ અને જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવવામાં આવી હતી. આ અંગે વચગાળાની સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પોલીસ અને વહીવટી તંત્રો ઇરાદાપૂર્વક નિષ્ક્રિય રહ્યાં છે. ઇસ્કોન ઇન્ડિયાએ બાંગ્લાદેશમાંના હિન્દુઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે ને ત્યાંનાં સાધુઓ અને તેમના અનુયાયીઓને તિલક ન લગાવીને ઓળખ છુપાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી નોબેલ પારિતોષિક મેળવનાર મોહમ્મદ યુનૂસની સરકાર અસ્તિત્વમાં આવી છે, ત્યારથી ભારત સાથેના તેના સંબંધો ઠીક નથી. છેલ્લા કેટલાક સમયથી ત્યાંના કટ્ટરવાદીઓ હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ને તેને કારણે પણ ભારતનો વિરોધ વધુ તીવ્ર થયો છે. જો કે સેનાની છાયામાં કામ કરી રહેલી મોહમ્મદ યુનૂસની સરકાર પર તેની કોઈ અસર નથી. 

ભારત, ઓગસ્ટથી બાંગ્લાદેશના હિન્દુઓ અને અલ્પસંખ્યકોની ચિંતા કરી રહ્યું છે, પણ યુનૂસની સરકાર એમ વર્તી રહી છે કે ક્યાં ય કૈં અણગમતું બન્યું જ નથી. એથી વધુ વિચિત્ર તો એ છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક હુમલાઓ યુનૂસ સરકારને નગણ્ય લાગે છે, એટલું જ નહીં, તેને ભારતની ચિંતા તેમના આંતરિક મામલાઓમાં દખલ રૂપ લાગે છે. ભારતે રોકડું કરી દેવું જોઈએ કે મંદિરો અને હિન્દુઓ પરના હુમલાઓ બાંગ્લાદેશની આંતરિક બાબત નથી, કારણ તેઓ અવિભાજિત ભારતના જ નાગરિકો છે. એ દુ:ખદ છે કે મોહમ્મદ યુનૂસની સરકાર નથી તો હુમલાઓ રોકી શકતી કે નથી તો જેહાદી તત્ત્વોને કાબૂ કરી શકતી. આ તત્ત્વોનું દુસ્સાહસ એ છે કે તે ભારતને ધમકીઓ આપે છે. આવું સાહસ તો જ થાય, જો તેને સેના અને સરકારનું રક્ષણ હોય. યુનૂસની સરકાર એટલી તો રીઢી થઈ ગઈ છે કે તેને આંતરરાષ્ટ્રીય દખલની પણ પરવા નથી. ભારત પ્રતાડિત હિન્દુઓની એટલી ચિંતા કરીને રહી જાય કે તેઓ ભારતમાં ઘૂસી ન આવે, તો તેટલું પૂરતું નથી. તેણે એ પણ જોવું જોઈએ કે લઘુમતી હિન્દુઓ ત્યાં જ સુરક્ષિત રહે. ટૂંકમાં, ભારતે, લઘુમતીઓ ત્યાં સુરક્ષિત રહે એ માટે તમામ પ્રયત્નો કરવા જ જોઈએ. દુ:ખદ તો એ પણ છે કે ભારત સરકારે હિન્દુ લઘુમતીની સુરક્ષાની વાત કરી છે ત્યારે વિપક્ષો તેની પડખે ભાગ્યે જ ઊભા રહ્યા છે. 

લાગે છે તો એવું કે શેખ હસીનાને સુરક્ષિત કરવામાં ભારતે બાંગ્લાદેશનાં હિન્દુઓ અને અલ્પસંખ્યકોને અસુરક્ષિત કરી મૂક્યા છે. ખરેખર તો ભારતે વેચાતી લેવાની જરૂર જ ન હતી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ડિસેમ્બર 2024

Loading

બાંગ્લાદેશની ભડકેલી આગમાં ભારતે દાઝવાનું ટાળવું હોય તો મુત્સદ્દી વહેવાર અનિવાર્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 December 2024

બન્ને દેશોના અંતિમવાદીઓને મોજ પડી જાય એવી મોકળાશ આપવાને બદલે ઠરેલ અભિગમથી બન્ને સરકારોએ કામ પાર પાડવું રહ્યું.

ચિરંતના ભટ્ટ

એક દેશ તરીકે સુરક્ષાની વાત આવે ત્યારે આપણે પાકિસ્તાન અને ચીન સાથે એક કરતાં વધુ વાર ઝિંક ઝીલવી પડી છે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે હોળી સળગી છે અને વાત જે દિશામાં ફંટાઇ છે એ જોતાં હવે બાંગ્લાદેશથી પણ આપણે ચેતવું પડે એવા દિવસો આવી ગયા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય વાક્યુદ્ધ હવે કાબૂની બહાર જશે એવું લાગી રહ્યું છે. વિરોધો અને પ્રતિ વિરોધો સાથે ત્યાં હિંદુ લઘુમતીઓ સાથે થતા દુરવ્યવહારનો વિવાદ વકરી રહ્યો છે.

ઑગસ્ટમાં આ સંબંધો વણસવાના શરૂ થયા જ્યારે બાંગ્લાદેશમાં ‘વિદ્યાર્થી આંદોલન’ કાબૂની બહાર ગયું, સરકાર ઉથલાવી દેવાઇ અને ત્યાંના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતની શરણે આવી ગયાં. બાંગ્લાદેશમાં ઇસ્કોનનો અગ્રણી ચહેરો ગણાતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસે હિંદુઓ વિરુદ્ધ હિંસાના કેસમાં ન્યાયની માગણી કરતી રેલી યોજી જેમાં આરોપ મુકાયો કે તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું અને તેમની ધરપકડ કરાઇ. આ મામલો બિચક્યો, તેમની સુનાવણીમાં પણ કોઇ વકીલ કોર્ટમાં ન જઇ શક્યા અને તે મહિના સુધી જેલમાં રહેશે. આ તરફ ભારતમાં આ ઘટનાના વિરોધ કરનારા બેઠા થયા જેમાં ભા.જ.પા.ના સભ્યો પણ છે. અગરતલામાં વિરોધીઓ બાંગ્લાદેશ કોન્સ્યુલેટ પર ફરી વળ્યા અને તોડફોડ કરી. આ તોડફોડની જવાબ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરીને આપ્યો. ટૂંકમાં બન્ને તરફથી સંજોગોમાં તણાવ વધી રહ્યો છે. બન્ને તરફની સરકારો પણ જે વ્યૂહાત્મક પ્રતિભાવ આપવા જોઇએ તે આપી રહી છે.  ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, પરંતુ ત્યાં લઘુમતી પર થતા હુમલા, ભારતમાં શેખ હસીનાને મળેલી શરણ અને વિરોધોને કારણે આ સંબંધો વણસી ગયા છે. આપણે ત્યાંથી બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને સલામતી મળે તેના પોકાર નંખાઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં મોહંમ્મદ યુનૂસે વચગાળાની સરકાર બનાવી, પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધો બગડવા માંડ્યા. બાંગ્લાદેશમાં જે વિદ્યાર્થી આંદોલન હતું તેમાં કોમી તણાવ ઉમેરાયો અને આખરે આ આ મુદ્દો બે દેશોના સંબંધોના પ્રશ્ન સુધી પહોંચ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી પર થતા હુમલાઓ સામે અત્યારની વચગાળાની સરકારે તત્કાળ પગલાં લેવા જોઇએ, એવી માગને પૂરી કરવા કંઇ નક્કર નથી થઇ રહ્યું.

ઐતિહાસિક રીતે આપણા દેશોની કડી મજબૂત રીતે જોડાયેલી રહી છે. 1857નો વિપ્લવ બંગાળથી જ શરૂ થયો હતો. અંગ્રેજોની કોમવાદી નીતિને પરિણામે 1905માં બંગાળના ભાગલા થયા. ભારતને સ્વતંત્રતા મળી અને બંગાળના બીજા બે ભાગલા થયા, પાકિસ્તાનથી છુટવા ભારતની મદદ લઇ પૂર્વ પાકિસ્તાને (બાંગ્લાદેશ) 1971માં સ્વતંત્રતાની લડત કરી અને બાંગ્લાદેશની રચના થઇ. નાટ્યાત્મક વળાંકો અને સત્તા પલટાઓ વચ્ચે બાંગ્લાદેશને નેવુંના દાયકા પછી સ્થિરતા મળી અને ભારત સાથે સંબંધો બહેતર બન્યા. આજે જે પાકિસ્તાનથી છુટવા માટે ભારતની મદદ લીધી હતી તેની સાથે બાંગ્લાદેશ હાથ મેળવી રહ્યો છે. જે આપણી સુરક્ષા માટે જોખમી છે.

બાંગ્લાદેશની 94 ટકા સરહદ ભારત સાથે જોડાયેલી છે. સુરક્ષા અને વ્યાપાર બન્ને મામલે બાંગ્લાદેશ ભારત પર નિર્ભર છે. બાંગ્લાદેશના સંબધો ભારત સાથે આથી વધુ બગડ્યા તો નિકાસ પર અસર થશે, જી.ડી.પી. પર અસર થશે અને જે મોંઘાવરી, બેરોજગારીનો બોજો વધશે તેનાથી બાંગ્લાદેશમાં વિરોધો ઉગ્ર બનતા જશે એ ચોક્કસ. બાંગ્લાદેશ પાસે ભારત સિવાય બીજો શું વિકલ્પ હોઇ શકે? 1971માં બાંગ્લાદેશ મુક્ત થયો તે પછી ગયા મહિને પહેલીવાર પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી ચિત્તગોંગ બંદરે પહોંચ્યું હતું. આ બન્ને દેશો વચ્ચે દરિયાઇ માર્ગે થયેલા વ્યાપારની આ પહેલી ઘટના છે. આ દર્શાવે છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજાની નજીક આવી રહ્યા છે. આ તરફ ચીને બાંગ્લદેશમાં તગડું રોકાણ કર્યું છે, જેની ચર્ચા આપણે ભૂતકાળમાં પણ કરી છે. સીધું ગણિત એ છે કે બાંગ્લાદેશ પણ જો પાકિસ્તાનની માફક આડોડાઈ કરીને ભારત સાથે સંબંધ બગડવા દેશે તો નુકસાન બાંગ્લાદેશને જવાનું છે. પાકિસ્તાન અને ભારતના રાજદ્વારી સંબંધો સાત વર્ષથી બંધ છે અને તેની અસર ભારત પર નહીં પણ પાકિસ્તાન પર પડી છે. પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ત્રિરાશી મજબૂત થશે તો ભારતને માટે સલામતીના પ્રશ્નો વધી જશે. જે વહોરવાની જરૂર નથી તે ટાળવું કેવી રીતે તે જ મુત્સદ્દી વલણ ભારતને કામ લાગશે તે નિશ્ચિત છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે વાંકું પાડી ભારતે જોખમ નોતરવાનું ટાળવું જોઇએ.

વળી ભારતની હિંદુલક્ષી નીતિ ચીન સામેની તેની સ્થિતિ પર નબળી પાડી શકે છે કારણ કે ચીને દક્ષિણ એશિયામાં તટસ્થ સંબંધો રાખ્યા છે. આ તરફ બાંગ્લાદેશ તો ભારતના આંતરિક ધાર્મિક તણાવોને કારણે આંગળી ચીંધતો રહ્યો છે. આવામાં ભારતે ધર્મને આધારે બીજા દેશો સાથેના સંબંધોને લગતા કૂટનૈતિક, રાજદ્વારી નિર્ણય લેવાની ભૂલ ન કરવી જોઇએ. જો આમ થાય તો તેની સીધી અસર ભારતની વૈશ્વિક છબી પર પણ પડે.

હવે બે દેશો એકબીજા સાથેના સંવાદમાં ઉકેલને બદલે રાજકીય મુદ્દાઓ ઉછાળે છે જેની અસર ભારતના સ્થાનિક રાજકારણ પર પણ પડશે. આપણી આસપાસ ઝિંક ઝીલવા માટે પાકિસ્તાન અને ચીન જેવા દેશો છે જ ત્યારે આપણે બાંગ્લાદેશની પૂર્વ સરકાર સાથેની સંબંધોને આધારે અત્યારની વચગાળાની સરકાર સાથેનો અભિગમ ન બાંધવો જોઇએ. સત્તા પર જે છે તેની સાથે, અન્ય પક્ષો સાથે વાતચીત થાય અને કૂટનીતિ કામે લગાડાય તો જ કોઇ રચનાત્મક ઉકેલ આવશે.

પ્રત્યાઘાત આપવા સહેલા છે, જેમ કે ઇસ્કોનના સંતની ધરપકડને પગલે ભા.જ.પા.ના નેતા સુવેન્દુ અધિકારીએ બોર્ડર બ્લોકેડની વાત કરી અને બાંગ્લાદેશ સાથે વ્યાપાર અટકાવી દેવાની માંગ કરી, સામે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પોતાના પ્રશ્નોમાં ચંચુપાત કરવાની ના પાડતું નિવેદન બહાર પાડ્યું. આવી કૂટનીતિનો કોઇ અંત નહીં હોય અને તે પરિણામ લક્ષી નથી હોતી. ભારત અને બાંગ્લાદેશે સાંપ્રદાયિક રાજકારણને તેમના સંબંધો પર હાવી ન થવા દેવું જોઇએ કારણ કે તે બન્ને દેશોના સંબંધો અસ્થિર કરશે, આમ પણ આ સંબંધોને સ્થિર થવામાં વર્ષો લાગ્યાં છે ત્યારે આ તકેદારી અનિવાર્ય છે.

એક સમયે બાંગ્લાદેશની કુલ વસ્તીનો વીસ ટકા હિસ્સો ભારતીયો હતા પણ હવે તે આંકડો નવ ટકાએ પહોંચ્યો છે. જેમ અન્ય દેશોમાં હોય છે તેમ બાંગ્લાદેશમાં પણ લધુમતિઓ હુમલા અને વિરોધના સરળ નિશાન બને છે. હસીનાની સરકારે હિંદુઓને સલામત રાખવા બનતા પ્રયાસ કર્યા પણ વચગાળાની યુનૂસ સરાકરે એટલાં બધાં સ્થળે આગ ઠારવાની છે કે લઘુમતિઓને સલામત રાખવામાં તે નિષ્ફળ ગયા છે. જો કે તેમણે ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુમાં એવી ચોખવટ પણ કરી હતી કે હિંદુઓ પર થતા હુમલા કોમી નથી, પણ રાજકીય અરાજકતાનું પરિણામ છે. જેમણે શેખ હસીનાનો વિરોધ કર્યો તેમણે એ તમામને ટાર્ગેટ કર્યા જે એ પક્ષની છત્રછાયામાં હતા. તેમના મતે ભારતે આ સંજોગોને કોમી બનાવોનું છોગું પહેરાવી મોટા બનાવવાનું ટાળવું જોઇએ.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના અરાજક સંજોગો સાથે બાંગ્લાદેશની સ્થિતિને સરખાવાઇ રહી છે. બાંગ્લાદેશમાં રાજકીય સ્તરે મજબૂતાઇ નહીં દેખાય તો અંતિમવાદીઓ એ ખાલીપાનો લાભ લઇ વધુ અરાજકતા ફેલાવશે જેની અસર બીજા દેશના સંબંધો પર પણ પડશે એ નક્કી છે. વચગાળાની સરકાર અને સૈન્યનો કાબૂ બાંગ્લાદેશને પાકિસ્તાન જેવા સંજોગોમાં મૂકી દે એ પહેલાં તાર્કિક ઉકેલની દિશામાં કામ થાય તે અનિવાર્ય છે. બાંગ્લાદેશનો મુદ્દો ભારતનો આંતરિક રાજકીય મુદ્દો નથી એ યાદ રાખીને બાંગ્લાદેશ કે મુસ્લિમ વિરોધી વલણને આગળ કરવાની ભૂલ ભારતે ન કરવી જોઇએ. બન્ને દેશોના અંતિમવાદીઓને મોજ પડી જાય એવી મોકળાશ આપવાને બદલે ઠરેલ અભિગમથી બન્ને સરકારોએ કામ પાર પાડવું રહ્યું.

બાય ધી વેઃ 

ખોટી માહિતીઓ ફેલાતી રોકાય અને રાજકીય પૂર્વગ્રહ ન વધે તે દિશામાં બન્ને દેશોની સરકારે કામ કરવાની જરૂર છે. શેખ હસીના સાથે સારા સંબધ હોવાને કારણે અત્યારે જેની સત્તા છે તેની સામે થવાની બાલિશ ભૂલ ભારત કરે તો એને મૂર્ખામી કહેવાય. જે લડાઈ આપણી છે જ નહીં ત્યાં મોરચો ન ખોલી, મુત્સદ્દી વાપરીને બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો સચવાય તે રીતે ભારતે વાટાઘાટો કરવી જોઇએ. બીજા ઘરની હોળીમાં આપણે કૂદીને ભડકે બળવાને બદલે, દેકારાઓની પાર જેને બચાવની જરૂર છે, જ્યાં સ્થિર તર્કની જરૂર છે, જ્યાં તટસ્થ અભિગમની જરૂર છે તે પૂરા પાડવાની પહેલ એક સમજુ, વિકાસ શીલ રાષ્ટ્ર તરીકે આપણે કરવી જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2024

Loading

મહારાષ્ટૃમાં કહેવા પૂરતી યુતિ સરકાર છે, વ્યવહારમાં ભા.જ.પ.ની સરકાર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2024

રમેશ ઓઝા

અંતે મહારાષ્ટ્રને સરકાર મળી. દેવેન્દ્ર ફડનવીસને ફરી એકવાર મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ૨૩મી નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં હતાં અને પછી બે દિવસમાં સરકાર રચાઈ શકતી હતી, પરંતુ સરકાર રચવામાં દસ દિવસ લાગ્યા. આપસમાં સત્તા માટેની સાઠમારી ચાલતી હતી એમ કહેવામાં આવતું હતું. કોઈ કહે વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરીવાર મુખ્ય પ્રધાન બનવા માગે છે અને રિસાઈને બેઠા છે. તેઓ પોતાને ગામથી પાછા નથી ફરતા. કોઈ કહે ભા.જ.પ.ની અંદર દેવેન્દ્ર ફડનવીસ અને વિનોદ તાવડે વચ્ચે સાઠમારી ચાલી રહી છે. આ આની નજીક છે, આ આની નજીક છે, વગેરે વગેરે. લોકો તો એમ પણ કહેવા લાગ્યા હતા કે ઈ.વી.એમ. મશિનમાં કોઈક ગડબડ કરવામાં આવી છે એ વિષે થઈ રહેલી ચર્ચા તરફથી લોકોનું ધ્યાન ભટકાવવા જાણીબૂજીને સરકાર રચવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે અને આંતરિક સાઠમારીની વાતો વહેતી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના આદરણીય લોકસેવક બાબા આઢવે ઈ.વી.એમ.ના વિરોધમાં પ્રતીકાત્મક ઉપવાસ કર્યા હતા અને ઈ.વી.એમ. બંધ કરવા આંદોલન કરવાનું વિચારે છે. છેલ્લી ઈ.વી.એમ.વાળી સંભાવના પણ ગળે ઉતરે એવી હતી. ખેર, પૂરા દસ દિવસ રાહ જોવડાવ્યા પછી મહારાષ્ટ્રને સરકાર મળી છે અને તે ૨૦૧૪-૨૦૧૯ની દેવેન્દ્ર ફડનવીસની સરકાર કરતાં પણ વધુ મજબૂત હશે.

એમાં કોઈ શંકા નથી કે મહારાષ્ટ્રમાં બી.જે.પી.ના મોરચાને અને તેનાથી વધુ અંગત રીતે બી.જે.પી.ને વિજય અપાવવામાં એકનાથ શિંદેનો મોટો ફાળો છે. પહેલો ઉપકાર તેમણે શિવસેનાને તોડીને કર્યો હતો. બીજો ઉપકાર તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસેથી ધનના સ્રોત છીનવી લઈને કર્યો હતો. એકનાથ શિંદે અવિભાજિત શિવસેનાના કુબેર હતા. આ સિવાય એક શાસક તરીકે તેઓ અનોખા હતા. ખૂબ મહેનત કરે, ખૂબ પ્રવાસ કરે, પ્રોટોકોલ તોડીને લોકોને મળે, ત્યાંને ત્યાં સ્થળ પર જ લોકોને સહાય કરે, કોઈ વાયદા નહીં, રોકડી સહાય, નવીનવી યોજનાઓ લઈ આવે, વગેરે. આમાં મધ્ય પ્રદેશ સરકાર પાસેથી ઉછીની લીધેલી લાડકી બહિણ યોજનાએ એન.ડી.એ.ને ન્યાલ કરી દીધો હતો.

પણ એનો અર્થ એવો નથી કે જીતનો શ્રેય એકલા શિંદેને જાય છે. બૂથ લેવલે સંઘપરિવારના મેનેજમેન્ટનો ફાળો ઘણો મોટો છે. આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચૂંટણીનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું હતું અને તેનાં બે કારણ હતાં. એક તો એ કે મહારાષ્ટ્ર એક અગત્યનું રાજ્ય છે, સંઘની જન્મભૂમિ છે, સંઘનું શતાબ્દીવર્ષ છે અને એવામાં લોકસભામાં મળેલા પરાજય પછી મહારાષ્ટ્રની વિધાનસભામાં એન.ડી.એ.નો જો ભૂંડો પરાજય થાય તો ખોટો સંકેત જાય. બીજું કારણ એ કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં બી.જે.પી.ને આજ સુધી જોઈએ એવો વિજય મળ્યો નથી. ૧૯૭૭ની લોકસભાની વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રે કાઁગ્રેસનો હાથ નહોતો છોડ્યો. મહારાષ્ટ્ર કાઁગ્રેસનો ગઢ રહ્યો છે. વિભાજન દ્વારા શિવસેના અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીને કમજોર કર્યા પછી આ વખતે કાઁગ્રેસ પર હુમલો કરવાનો અવસર છે. ભા.જ.પ. કરતાં સંઘને મહારાષ્ટ્ર કબજે કરવામાં રસ હતો.

બીજું રાજકારણમાં કોઈ કોઈનો ઉપકાર માનતું નથી અને યાદ રાખતું નથી. એકનાથ શિંદે ઉપર ઠાકરે પરિવારના ઉપકાર ઓછા છે? અજીત પવાર પર કાકા શરદ પવારના ઉપકાર ઓછા છે? શરદ પવાર પર કાઁગ્રેસ અને યશવંતરાવ ચવ્હાણના ઉપકાર ઓછા હતા? જે પોતાનું ઘર ફોડી શકે એ બીજા પાસે ઉપકારના બદલાની અપેક્ષા રાખે એ વધારે પડતું છે. ભા.જ.પ. ઉપર બાળ ઠાકરે અને શિવસેનાના ઉપકાર ઓછા છે? કાઁગ્રેસ માટે અનુકૂળ અને ભા.જ.પ. માટે પ્રતિકૂળ રાજ્ય મહારાષ્ટ્રમાં ભા.જ.પ. માટે પગ મૂકવાની જગ્યા બાળ ઠાકરેએ કરી આપી હતી. આમ રાજકારણમાં ઉપકાર અને મહેનતાણાની અપેક્ષા કોઈની ફળી નથી અને એમાં આ તો ભા.જ.પ. છે. પોષનારના જ પ્રાણ હરે. એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એન.સી.પી. ૨૦૨૯ સુધીમાં એવી સ્થિતિમાં હશે જેવી સ્થિતિમાં આજે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે. ૧૯૭૮-૧૯૮૫નાં વર્ષોમાં શરદ પવારે ભા.જ.પ.ને પોષણ પૂરું પાડ્યું હતું. ૧૮૮૫થી ૨૦૧૪ સુધી શિવસેનાએ ભા.જ.પ.નું પોષણ કર્યું હતું અને ૨૦૨૨ પછી એકનાથ શિંદે અને અજીત પાવરે મદદ કરી. તેમના નસીબમાં પણ એ જ લખાયેલું છે જે ઠાકરે અને પવારના નસીબમાં લખાયેલું હતું. ૨૦૨૯ આવતા સુધીમાં આ વાત સાબિત થઈ જશે.

એક સમયનો મુખ્ય પ્રધાન નાયબ મુખ્ય પ્રધાન થયો હોય એ કોઈ નવી વાત નથી. મહારાષ્ટ્રમાં નારાયણ રાણે આનું ઉદાહરણ છે. બીજાં આવાં અનેક ઉદાહરણો છે. નાયબ મુખ્ય પ્રધાન તો ઠીક સાધારણ કેબીનેટ પ્રધાન પણ બન્યા છે. વળી એકનાથ શિંદેને સ્વમાન વહાલું હોય તો પ્રધાન નહીં બનવાનો વિકલ્પ ઉપલબ્ધ હતો. બીજું ડેપ્યુટી ચીફ મિનીસ્ટર કે ડેપ્યુટી પ્રાઈમ મિનીસ્ટર જેવો કોઈ બંધારણીય હોદ્દો જ નથી. આ તો સત્તાભૂખ્યા રાજકારણીઓએ પોતાના માટે પેદા કરેલા હોદ્દા છે.  એકનાથ શિંદે અને અજીત પાવર બન્ને ઓશિયાળા છે. ભા.જ.પ. પાસે ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ૧૩૨ બેઠકો છે અને સાદી બહુમતી માટે માત્ર ૧૩ બેઠકો ખૂટે છે. એકનાથ શિંદે શિવસેનાની ૫૭ વિધાનસભ્યોને લઈને જતા રહે તો અજીત પવાર ૪૧ વિધાનસભ્યો સાથે ઉપલબ્ધ છે અને અજીત પવાર જાય તો એકનાથ શિંદે છે. આમાં અજીત પવારને બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી ગયું છે. તેમની ચિંતા એ વાતની હશે કે તેમના ૪૧ વિધાનસભ્યોમાંથી ૧૫-૨૦ બી.જે.પી.માં ન જતા રહે.

તો વાતનો સાર એ કે આ બન્ને જણે પોતાનું ઘર ફોડીને બી.જે.પી.નું ઘર ભરી આપ્યું છે અને હવે તેમનો જ કોઈ ખપ રહ્યો નથી. બીજો સાર એ કે મહારાષ્ટ્રમાં કહેવા પૂરતી યુતિ સરકાર છે, વ્યવહારમાં બી.જે.પી.ની સરકાર છે. એકનાથ શિંદે અને અજીત પવાર આ જાણે છે અને શિંદેને સમજ નહીં હોય તો આવી જશે. અહીં પ્રારંભમાં પૂછેલો પ્રશ્ન પ્રસ્તુત છે. સરકાર રચવામાં આટલા બધા દિવસ કેમ લાગ્યા? ના, એનું કારણ એકનાથ શિંદેને મનાવવાનું નહોતું. જે બીજાની પીઠમાં ખંજર મારે એ ખંજર ખાવા મનોમન તૈયાર હોવાનો. એનું કારણ ઈ.વી.એમ. તરફથી ધ્યાન ભટકાવવાનું હતું.

મહારાષ્ટ્રને બી.જે.પી.ની સરકાર બીજી વાર મળી છે. બીજી વાર દેવેન્દ્ર ફડનવીસ મુખ્ય પ્રધાન તરીકે મળ્યા છે. સરકાર પહેલી મુદ્દત કરતાં પણ વધુ શક્તિશાળી છે. આનો ઉપયોગ લોકતાંત્રિક માનમર્યાદા વિનાની દાદાગીરી માટે કરવામાં આવે છે કે વિકાસ માટે એ થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2024

Loading

...102030...329330331332...340350360...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved