Opinion Magazine
Number of visits: 9557041
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભદ્રકાળી માતા કી જય!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 February 2025

પોઝિટિવ અને મોટિવેશનલ સ્ટોરી 

આસોપાલવના ઝાડ પર વીસેક ફૂટ ઊંચે ડાળીઓ કાપવા ચડેલા છે તે છે ૩૫ની વયના ભરતભાઈ દેવીપૂજક અને સાયકલ લારી પાસે આસોપાલવ એકત્ર કરી રહેલાં તેમનાં પત્ની ૩૦ની વયનાં સૂર્યાબહેન.

અમદાવાદની નગરદેવી કહેવાતી ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળવાની છે એવા સમાચાર એમને મળ્યા એટલે એ દરમ્યાન આસોપાલવનાં તોરણ વેચવા માટે તેઓ નીકળ્યાં છે આસોપાલવ ભેગો કરવા. તેઓ એમાંથી તોરણ બનાવશે અને પોટલામાં ભરીને એ જમાલપુર વિસ્તારમાં રથયાત્રાના દિવસે વેચશે. એમના કહેવા મુજબ એમાંથી એમને ₹ ૫૦૦થી ₹ ૬૦૦ મળવાની આશા છે. ત્રણ જણની કુલ આશરે પચાસેક કલાકની મહેનતનું આ ફળ તેમને મળશે! એ પણ એમની ધારણા છે. 

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અર્જુન આશ્રમ પાસે તેઓ રહે છે. ચારે બાજુ પ્લાસ્ટિકથી બનાવેલું તેમનું એક ઘર છે. તેના ઉપર પણ પતરું નથી. બધે પ્લાસ્ટિક જ. આશરે ૧૨x૧૨નું છાપરું હશે. એમના ઘરને તેઓ ‘ઘર’ શબ્દથી નવાજતા નથી, એને તેઓ “છાપરું” જ કહે છે. ક્યાં રહો છો એમ પૂછેલું તો કહે, “સાહેબ, છાપરામાં.” એમાં તેમનાં પાંચ સંતાનો, તેમની માતા, એક ભાઈ અને એક બહેન એમ દસ જણા રહે છે. 

સામાન્ય રીતે તેઓ છૂટક મજૂરીનું, કડિયાકામ, ઢોલ વગાડવાનું, ફૂલ વેચવાનું, ડેકોરેશન કરવાનું, જૂનાં કપડાં લઈને વેચવાનું વગેરે કામ કરે છે. રોજ તો કંઈ કામ મળતું નથી એમ તેમણે કહ્યું. જે દહાડે જે કામ મળે તે કરવાનું. કોમલ બોલી : “ખાવા જેટલું મળી રહે છે.”

ભરતભાઈની સોળેક વર્ષની બહેન કોમલ. એ અને સૂર્યાબહેન બંને પગે ચાલીને ચાંદલોડિયા અને ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં આશરે દસેક કિલોમિટર ફરે અને જૂનાં કપડાં ભેગાં કરીને અમદાવાદમાં દિલ્હી દરવાજા રસ્તા પર વેચવા જાય. આ બંને વિસ્તારો એ છે કે જેમાંથી ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન ચૂંટાયેલા છે. 

ભરતભાઈ મૂળ બહુચરાજી પાસેના ઝાંઝરવા ગામના. તેમના પિતાજી પણ ગામ છોડીને અમદાવાદ આવી ગયેલા. ભરતભાઈ અને સૂર્યાબહેનનો જન્મ તો અમદાવાદમાં જ.

તેમણે ગઈ દિવાળીમાં આ લારી લીધી. તે પણ જૂની. રૂ. ૭,૦૦૦માં ખરીદી. એટલા પૈસા એમણે ગમે તેમ કરીને ભેગા કર્યા. ક્યાંથી લાવ્યા એટલા પૈસા તો એમની એનો જવાબ આપવાની ઈચ્છા લાગી નહીં. 

કોમલ દસ ધોરણ ભણી પણ પરીક્ષા નહોતી આપી. ભરતભાઈ પાંચ ધોરણ ભણેલા અને સૂર્યાબહેન તો સાવ અભણ. એમનાં ત્રણ સંતાનો અત્યારે સરકારી શાળામાં ભણે છે. 

ભરતભાઈના નાના ભાઈનું નામ મનોજ. ૨૦ વર્ષની વય. એ પણ દસ ધોરણ સુધી ભણેલો. એ ટ્રેક્ટરનો ડ્રાઈવર છે. એને કામ મળે ત્યારે રોજના ₹ ૨૦૦ કે ₹ ૨૫૦ મળે. રોજ તો કામ એને પણ મળતું નથી.

એમને પૂછ્યું કે : “તમારી બધાની રોજની આવક કેટલી?” તો કહે કે “રોજ ક્યાં કામ મળે છે?” પણ “પેટ ભરાઈ જાય એટલું થઈ જાય છે.” દસ જણના ઘરમાં રોજની સરેરાશ આવક ₹ ૫૦૦ની હશે એવો સાવ અછડતો અંદાજ માંડી શકાય. પણ એ ચાર જણની મહેનતના. અર્થશાસ્ત્રમાં જેને પ્રચ્છન્ન બેકારી કહે તે આ પરિવારમાં પણ વાયબ્રન્ટ ગુજરાતમાં દેખાય છે.

અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતા પહેલી વાર મહાશિવરાત્રિને દિવસે નગરયાત્રાએ નીકળવાનાં છે તેથી એમના પરિવારને આસોપાલવના તોરણમાં માતા દેખાયાં હશે! 

પેલા ઇન્ફોસિસવાળા નારાયણમૂર્તિ કહે છે કે દેશના વિકાસ માટે એક સપ્તાહના ૭૦ કલાક અને એલ. એન્ડ ટી. નામની મહાકાય કંપનીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન કહે છે કે ૯૦ કલાક કામ કરવું જોઈએ. ભરતભાઈ અને એમના પરિવારના બીજા ત્રણ સભ્યોને તો એ બે જણ કામ નહીં જ આપે. 

ભરતભાઈ જતાં જતાં બોલ્યા : “સાહેબ, આવી રીતે તો અમારી સાથે કોઈ મોટા લોકો વાત કરતા જ નથી. તમે કરી.” “મોટા એટલે?” “તમારા જેવા.” આ “મોટા” એટલે ધનવાન જ ને? હું ધનવાન છું એનો અહેસાસ આ રીતે એમણે મને કરાવ્યો. અને છું પણ ખરો કારણ કે હું આવક વેરો ભરનારા દેશના માત્ર ૩.૫ કરોડ લોકોમાં આવું છું. 

સૂર્યાબહેન અને એમના પરિવારનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય કે નહીં? 

તા.૨૪-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેક પરની મીણબત્તી હોલવવાની જ હતી, તો સળગાવી કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 February 2025

રવીન્દ્ર પારેખ

21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ગયો. આમ તો વિશ્વની માતૃભાષા એક ન હોય ને હોય તો તે મૌન હોય, પણ એ દિવસે બહુ બોલાયું ને એમાં સાચો અવાજ દબાઈ પણ ગયો. જો કે, ગુજરાતની માતૃભાષા ગુજરાતી હોવા અંગે શંકા એટલે છે, કારણ શિક્ષણ વિભાગે જે નીતિ અપનાવી છે એ જોતાં તો સ્કૂલોમાં ગુજરાતી નહીં ટકે એમ બને. છેલ્લાં ત્રણ વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતી માધ્યમની 475થી વધુ માધ્યમિક શાળાઓનાં કાયમી ધોરણે શટર્સ પડી ગયાં છે. 2022થી 2024 સુધીમાં અનુક્રમે 250, 155 અને 70થી વધુ સ્કૂલો બંધ થઈ છે. એને માટે સરકાર જેટલા જ વાલીઓ પણ જવાબદાર છે. કમનસીબી એ છે કે અલ્પ શિક્ષિત કે અભણ વાલી પણ તેનું બાળક અંગ્રેજીમાં જ ભણે એવી ઘેલછાથી પીડાય છે, એવી ઘેલછા ભલે હોય, પણ એટલી કાળજી ગુજરાતી માટે લેવાતી નથી, એટલે જ કદાચ 2022માં ગુજરાતી વિષયમાં 6,64,553 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 1,18,623 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ જ રીતે 2023માં ગુજરાતીમાં 6,25,290માંથી 1,16,286 અને 2024માં 5,83,718માંથી 46,178 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ ખરું કે નાપાસ થનારની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી આવે છે, પણ ગુજરાતીમાં પરીક્ષા આપનારની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી સાથે પરીક્ષા આપનારા ઘટતા જ આવે છે. ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં પ્રવેશ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. આ ગતિ રહી તો જતે દિવસે ગુજરાતમાં ગુજરાતી ભણનારા નહીં રહે એમ બને. વારુ, 475 બંધ થઈ એની સામે ગુજરાતી માધ્યમની શરૂ થયેલી નવી શાળાઓ 230 જ છે, બીજી તરફ અંગ્રેજી માધ્યમની 75 સ્કૂલો બંધ થઈ છે ને એની સામે નવી સ્કૂલો 180 શરૂ થઈ છે. એનો અર્થ થયો કે અંગ્રેજીની તુલનામાં ગુજરાતી સ્કૂલો વધુ ને વધુ બંધ થઈ રહી છે.

વળી જે ગુજરાતી ભણી રહ્યા છે એ કવુંક ભણી રહ્યા છે એ પણ જોવા જેવું છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 મુજબ ગુજરાતના ગ્રામ વિસ્તારનાં ધોરણ 5નાં 53.7 ટકા બાળકો ધોરણ 2નાં પુસ્તક વાંચી શકતાં નથી. ધોરણ 8ની વાત કરીએ તો 75.9 ટકા બાળકો ધોરણ 2નું પુસ્તક વાંચી શકે છે, એનો અર્થ એવો પણ થાય કે ધોરણ 8નાં 24.1 ટકા બાળકો, ધોરણ 2નું પુસ્તક વાંચી પણ શકતાં નથી અને 8માં ધોરણમાં પહોંચી ગયાં છે. આંકડામાં ન પડીએ તો પણ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓની ભાષાકીય સજ્જતા દયનીય છે.

એવું નથી કે સરકાર આ મામલે કૈં કરતી નથી. પ્રયત્નો તો થાય છે, પણ કેવાક થાય છે, તે જોઈએ.

નવી શિક્ષણ નીતિ સાથે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ હાઈટેક બનીને સ્માર્ટ ક્લાસમાં ભણી શકે એટલે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરાયો. આમ તો આ ‘જ્ઞાન’નું શિક્ષણ વિભાગને વળગણ છે, એટલે જ્ઞાન સહાયક, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, જ્ઞાનકુંજ, જ્ઞાનશક્તિ જેવાં સ્ટિકર્સ ચોંટાડ્યાં કરે છે, પણ ‘જ્ઞાન’ની આગળ ‘અ’ સાઇલન્ટ છે તેની ખબર તો આપણને મોડી મોડી પડે છે. તો, એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સુરત જિલ્લામાં આવેલી 8 ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 50થી વધુ વર્ગોમાં સ્માર્ટ ક્લાસ માટે ટી.વી. સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી. એમાં પ્રાઈમરીની 4 સ્કૂલો કામરેજની, બે સ્કૂલો માંગરોળની અને બે સ્કૂલો પલસાણાની હતી. આનો લાભ ત્રણેક મહિના સુધી 1,500થી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા હતા ને સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણતા પણ હતા. સરકારનો હેતુ કે વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ભણે તે પણ બર આવી રહ્યો હતો, ત્યાં જેણે આ વર્ગો શરૂ કરાવ્યા તે સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા જ 12 ફેબ્રુઆરી, 2025 ને રોજ એવો પરિપત્ર બહાર પડાયો કે કોઈ પણ સ્કૂલમાં જૂની યાદી મુજબ સ્માર્ટ ક્લાસ બન્યા હોય તો તેને બદલે નવી સુધારેલી યાદી મુજબની સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ ઇન્સ્ટોલ કરવા અને જૂની યાદી મુજબ ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ પરત કરવી. આવો ઓર્ડર જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષાધિકારીને કરાયો. તઘલખી ઉતાવળ તો એટલી કે જૂની સ્કૂલોમાંથી સ્માર્ટ ક્લાસની સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ પણ કોઈ એજન્સીને સોંપી દેવાયો. એજન્સીના ટેક્નિશિયનો ડિ-ઈન્સ્ટોલેશન માટે ગયા તો સ્કૂલ સંચાલકોએ તેમને અટકાવ્યા ને ડિ-ઇન્સ્ટોલેશનની ચોખ્ખી ના પાડી દીધી.

મામલો સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસે પહોંચતા, તેમણે આદેશને વશ થઈને પરિપત્ર કરી સ્માર્ટ  ક્લાસની ડિ-ઇન્સ્ટોલેશનની કામગીરી કરવા દેવાનો શાળાઓને આદેશ કર્યો, પણ સ્કૂલ સંચાલકો ગાંઠ્યા નહીં. ડિ-ઇન્સ્ટોલેશનની ફરી ના પાડી. મામલો છેવટે રાજ્ય શિક્ષણ મંત્રી પાસે પહોંચ્યો ને અહીં પણ હજી કોઈ નિવેડો આવ્યો નથી. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે ત્રણ મહિનાથી, 50 વર્ગોમાં 6થી 8 ધોરણના 1,500થી વધુ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી રહ્યા છે, ત્યારે આ ડિ-ઈન્સ્ટોલેશન કોઈ રીતે યોગ્ય નથી. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં સ્કૂલોને પાંચેક લાખનો ખર્ચ થયો છે. આ સ્કિમ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ સાબિત થઈ છે, ત્યારે સિસ્ટમ પરત લેવાનો નિર્ણય દુ:ખદ છે ને તેની વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થઈ શકે એમ છે.

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આદેશ થયો તે મુજબ પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા કહ્યું, પણ ટેક્નિશિયનોને સિસ્ટમ પરત કરવાની શાળા સંચાલકોએ ના પાડી તો ફરી પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા આગ્રહ કરાયો, તો સંચાલકોએ વિદ્યાર્થીઓના લાભમાં આ સિસ્ટમ હોવાનું જણાવી, તે ઇન્સ્ટોલ કરવામાં પાંચેક લાખનો ખર્ચ કરાયો હોવાની વાત આગળ કરી. આ વાત ધ્યાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પણ રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગને વિદ્યાર્થીઓનાં હિતની અને થયેલ ખર્ચની રજૂઆત કરી છે. આશા છે આનો સુખદ ઉકેલ આવશે.

પણ, આ આખી ઘટના તરફ ફરી નજર નાખવા જેવી છે. લેખની શરૂઆતમાં વિદ્યાર્થીઓ ગુજરાતી નથી શીખતા અને બોર્ડની પરીક્ષામાં હજારોની સંખ્યામાં નાપાસ થાય છે તે જોયું, તો જેમને ગુજરાતી ભણવાનું થયું છે તે ધોરણ 8ના વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પુસ્તક પણ વાંચી નથી શકતા તે પણ જોયું. એવામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસનો અનુભવ મળે એનો પ્રશસ્ય પ્રયત્ન સમગ્ર શિક્ષા વિભાગ કરે છે ને તેનું સારું પરિણામ પણ મળે છે, તો તે ચાલુ રાખવાને બદલે થાય છે શું, તો કે સમગ્ર શિક્ષા વિભાગ ફતવો બહાર પાડીને સ્માર્ટ ક્લાસ માટે ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાની વાહિયાત વાત કરે છે. કેમ? તો, કે એ સિસ્ટમ બીજે ઇન્સ્ટોલ થઈ શકે. તો, સવાલ એ થાય કે અહીં થાય તો વાંધો શું? આ વિદ્યાર્થીઓનો શો વાંક છે કે તેમને મળતા લાભથી વંચિત કરવા પડે?

વારુ, આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની વાત શાળા સંચાલકો કે વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષા વિભાગને અગાઉ કરી નથી. કોઈએ વિભાગને ચોખા મૂક્યા નથી કે કોઈએ વિનંતી કરી નથી ને વિભાગને પોતાને જ આઠ સ્કૂલોમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની ઈચ્છા થઈ ને સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. વળી એ કરતી વખતે કોઈ સૂચના આપવામાં નથી આવી કે આ યોજના કાયમી નથી ને ત્રણ મહિને, જ્યારે 1,500 વિદ્યાર્થીઓ એનાથી ટેવાવા લાગ્યા છે, ત્યારે જ શેખચલ્લીની જેમ સમગ્ર શિક્ષા વિભાગ ડોકું ધૂણાવીને નન્નો ભણે છે ને સિસ્ટમ પરત લેવાના હુકમો બહાર પાડે છે. સમગ્ર શિક્ષા વિભાગનું આ પગલું સમગ્ર રીતે નકામું ને વખોડવા લાયક છે. કૈં પણ થઈ જાય શાળા સંચાલકોએ આ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ ન જ કરવા દેવી જોઈએ. સુરતના જ રાજ્ય શિક્ષણ મંત્રી તેમના દરબારમાં આવેલ આ મામલાને સમભાવ અને સહનુભૂતિપૂર્વક જુએ તે અપેક્ષિત છે ને સાથે એ પણ જુએ કે શિક્ષા વિભાગ તરફથી આવા ફાલતુ ને અધકચરો નિર્ણય લેનારા અધિકારીઓ મનમાની ન કરે.

એ અત્યંત દુ:ખદ છે કે પ્રાઇમરી, મરી જવા તરફ સરકાર જ ધકેલે છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ફેબ્રુઆરી 2025

Loading

ફૂલકા રોટલીની જેમ શેકાતી અને ચટણીની જેમ પીસાતી ‘મિસિસ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 February 2025

રાજ ગોસ્વામી

કોઈ ફિલ્મને લઈને જ્યારે બહુ ટીકા-ટિપ્પણ થાય, તેના વિરોધમાં અને તરફેણમાં ચર્ચાઓ થાય, તો માનવું કે એ ફિલ્મમાં કોઈ અગત્યનો મુદ્દો છેડવામાં આવ્યો હશે. એવું ત્યારે થાય જ્યારે ફિલ્મ મનોરંજન માટે નહીં, પણ એક સામાજિક સંદેશ માટે બનાવામાં આવી હોય.

અત્યારે આવી જ એક ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મનું નામ છે ‘મિસિસ’ છે અને તેમાં એક પુરુષસત્તાક પરિવારમાં પરણીને આવેલી સ્ત્રી રિચા(સાન્યા મલ્હોત્રા)ની મહત્ત્વાકાંક્ષાઓ, કેવી રીતે ઘરના પુરુષો(પતિ અને સસરા)ની સેવામાં “શહીદ” થઇ જાય છે તેની વાર્તા છે. 

આ ફિલ્મ આમ તો “સ્ત્રીની ફિલ્મ” લાગે છે. તેના મુખ્ય કિરદારમાં સ્ત્રી છે અને તેનું શીર્ષક પણ “મિસિસ” છે. ઉપરાંત, ફિલ્મની વાર્તાને પણ તેના મુખ્ય કિરદારની દૃષ્ટિએ પેશ કરવામાં આવી છે. વાસ્તવમાં આ પુરુષોની ફિલ્મ છે. આ ફિલ્મ પુરુષોએ જોવી જોઈએ. પરિવારોમાં પુરુષોની સત્તા હોય છે અને તેનાથી ઘરની સ્ત્રીઓ કેવી (જાણતાં કે અજાણતાં) અન્યાય થઇ જાય તેનાથી પુરુષોએ સભાન રહેવું જરૂરી છે.

પુરુષોના એક સંગઠને આ ફિલ્મ પર ટોક્સિક ફેમિનિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. પુરુષોના અધિકારોની સંસ્થા સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, 

‘પુરુષો રેલવે સ્ટેશનો પર, બાંધકામનાં સ્થળો, પોલીસ સ્ટેશનોમાં, ફેક્ટરીઓમાં 8-9 કલાક કામ કરે છે. તેમાં, એક સુખી યુવતી રસોઈ બનાવતી વખતે, વાસણો અને કપડાં ધોતી વખતે અને તેના સસરાની સેવા કરતી વખતે સતામણી અનુભવે છે. મહિલાઓને એવું લાગે છે કે કામ કરવું એટલે એરકંડિશન્ડ ઓફિસોમાં બેસવું. તે કન્સ્ટ્રકશન સાઈટ કે રેલવે સાઈટ પર કામ કરવાને કામ માનતી નથી.’

જો કે, આ ફિલ્મને ચાહવા વાળા પણ ઓછા નથી. તેમણે આ વિરોધને વ્યર્થ ગણાવ્યો છે. એક ચાહકે પુરુષ સંગઠનને જવાબ આપ્યો હતો, ‘વાસ્તવિક જીવનમાં તેની કોઈ અસર તો પડવાની નથી, પછી તમને આ ફિલ્મથી આટલો ડર કેમ લાગે છે? અર્જુન રેડ્ડી જેવી હિંસક ફિલ્મોની વાત આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ફિલ્મો વાસ્તવિક જીવનમાં કોઈને અસર કરતી નથી. કલા એ કલા છે, દરેકને કલા બનાવવાની સ્વતંત્રતા છે. તો પછી ‘મિસિસ’માં શું ખોટું છે?’

કશું ખોટું નથી. આપણા સમાજની વિડંબના એ છે કે એક છોકરી પરણીને ઘરમાં આવે છે ત્યારે સાસરિયાઓને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. તેઓ તેને એક માણસને બદલે એક મશીન સમજતાં હોય છે, જેણે દરેક કામ પરફેકટ રીતે કરવાનું હોય છે. આ વાત અસાધારણ નથી. ભારતમાં આજે પણ અનેક સાસરિયાંમાં વહુઓ સાથે આવો જ વ્યવહાર થાય છે. ભારતમાં સ્ત્રીઓના મોટાભાગના આપધાત પાછળ સાસરિયાંનું દુઃખ હોય છે.

‘મિસિસ”માં સાન્યા મલ્હોત્રાનું પાત્ર રિચાને એરેન્જ લગ્ન પછી લગ્નની, સંબંધોની અને સામાજિક-પારિવારિક અપેક્ષાઓ સાથે સંઘર્ષ કરતી બતાવવામાં આવી છે. લગ્ન પછી તેની રાત અને દિવસ પતિ અને પરિવારની સંભાળ રાખવામાં જાય છે. 

મૂળ આ મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ ફિલ્મની હિદી રીમેક છે. આ નામ સૂચક છે. ફિલ્મમાં, રિચા સવારે 4 વાગ્યે ઊઠે છે અને અડધો દિવસ રસોડામાં વિતાવે છે. એ પછી પણ  તેને ખબર નથી કે તે ક્યારે પગ વાળીને બેસશે કારણ કે ત્યાં સુધીમાં તો સાંજના ખાવાની તૈયારીનો સમય થઇ ગયો હોય છે. એમાં ને એમાં રાતના 12 વાગી જાય છે. ટૂંકમાં, રિચાનો આખો સમય રસોડામાં જ પૂરો થાય છે. આટલાં કામ પછી પણ, સાસરિયાં તેના કામમાંથી ફોતરાં કાઢતાં રહે છે, તે છોગામાં.

આ વાર્તા માત્ર રિચાની જ નથી, પરંતુ તેની સાસુ અને માની પણ છે. સાસુ, જેની પાસે અર્થશાસ્ત્રની ડિગ્રી છે, તેનો દિવસ તેના પતિનાં પગરખાં બહાર કાઢી રાખવા અને બેડ પર તેમનાં કપડાં તૈયાર રાખવાથી શરૂ થાય છે. સાસુના પતિ અને પુત્રને થાળીમાં ગરમ ફુલ્કા રોટલી જ ભાવતી હોય છે, કેસરોલમાં મુકેલી રોટલી નહીં. એટલે સાસુની સાથે વહુએ પણ આ શીખી લેવાનું હોય છે.

રિચા નાનપણથી ડાન્સની શોખીન છે. તેની એક ડાન્સ ટીમ પણ છે. ઇન ફેક્ટ, ફિલ્મની શરૂઆત તેના ડાન્સથી જ થાય છે. તે પછી તેનાં લગ્ન થઇ જાય છે. સાસરીમાં ગોઠવાયાં પછી, નવી રીત રસમો શીખ્યાં પછી, આખા દિવસના ઢસડબોળા પછી બપોરે સમય કાઢીને રિચા ડાન્સ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે તેનો પતિ દિવાકર રિચાની ખોડ કાઢતાં કહે છે પણ ખરો કે, ‘ડાન્સ તે વળી કોઈ કામ છે? તારે તો તારી માની જેમ સરસ ખાવાનું બનાવતાં આવડવું જોઈએ.’

પત્નીની માતાનો દાખલો આપતો આ દિવાકર, ડાઈનિંગ ટેબલ પર રિચાનાં કામમાં ખોડ કાઢતા બીજા એક દૃશ્યમાં કહે છે, ‘પાપાને પથ્થર પર લસોટેલી ચટણી ભાવે છે. તેઓ માને છે કે પથ્થર પર ચટણી લસોટાય છે, મિક્સીમાં ચટણી કપાય છે. લસોટેલી ચટણીનો સ્વાદ અલગ હોય છે.’ 

આમાં ભાવાર્થ એ પણ છે કે વહુ બનીને આવેલી રિચા સાસરિયાના પથ્થરમાં ચટણીની જેમ પીસાઈ રહી છે, અને છતાં મેણું તો એવું મારવામાં આવે છે કે તને કંઈ આવડતું નથી. એક દૃશ્યમાં દિવાકર તેને કહે છે પણ ખરો, ‘તારા આખા શરીરમાંથી રસોઈની ગંધ આવે છે.’

આ ફિલ્મ દર્શાવે છે કે મહિલાઓ પર ઘરેલું જવાબદારીઓનો બોજો નાખીને તેમને સીમિત કરી દેવામાં આવે છે. જ્યારે હકીકત એ છે કે મહિલાઓ આ પરંપરાગત જવાબદારીઓ કરતાં ઘણી વધારે સક્ષમ છે. રિચાનું પાત્ર એ વાતનું પ્રતીક છે કે મહિલાઓ પાસે તેમનાં સપનાં સાકાર કરવાની શક્તિ હોય છે. 

ફિલ્મ એ ભ્રમ તોડવાનો પ્રયાસ કરે છે કે ગૃહિણી મહત્ત્વાકાંક્ષી નથી હોતી અને તેના જીવનનો એક માત્ર હેતુ ઘરનું કામ કરવાનો અને પરિવારની જરૂરિયાતોને સાચવવાનો છે. આ ફિલ્મ શીખવે છે કે ફરજો નિભાવવાની સાથે સાથે મહિલાઓએ પોતાની જરૂરિયાતો અને ખાસ તો આત્મસન્માનની અવગણના ન કરવી જોઈએ. જ્યારે મહિલાઓ પોતાને મહત્ત્વ આપે છે, ત્યારે તેઓ સમાજની અપેક્ષાઓથી આગળ વધી શકે છે અને વધુ સંતુલિત અને સુખી જીવન જીવી શકે છે.

આ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે પરંપરા અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષમાં મહિલાઓ સૌથી વધુ પીડાય છે. જ્યારે અપર્ણા(રિચાની સાસુ)ને તેની ગર્ભવતી પુત્રી થોડા દિવસો આરામ કરવા માટે તેના સાસરે બોલાવે છે, ત્યારે પણ તે ઘરના કામથી છુટકારો મેળવી શકતી નથી. આ ફિલ્મ સુક્ષ્મ દૃશ્યો દ્વારા ઊંડા સામાજિક મુદ્દાઓને બહાર લાવે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે ઘરની મહિલાઓને ક્યારે ય રજા કેમ નથી મળતી.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 23 ફેબ્રુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...329330331332...340350360...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved