Opinion Magazine
Number of visits: 9843419
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાવેદ અખ્તર અને કપિલ સિબ્બલનો સાર્થક સંવાદ

કિરણ કાપુરે|Opinion - Opinion|26 May 2025

“જબ કુછ નહીં થા તો ‘હમ’ થે. અબ ‘મૈં’ હૈ! જો ફ્રી માર્કેટ હૈ, ઉસકા એક કોસ્ટ યહ હૈ કી ‘હમ’ કમજોર હો જાતા હૈ ઓર ‘મૈં’ મજબૂત હો જાતા હૈ. લોગ એમ્બિશિયસ હો જાતે હૈ, યહ અચ્છી બાત હૈ. લોગ જાનતે હૈ કી સ્કાય ઇઝ ધ લિમિટ. એનિબડી કેન બિકમ એનિથિંગ. યે બહુત અચ્છી બાત હૈ. ઐસા નહીં ‘સ્ટેટ્સ કો’ હૈ કિ જો જહાં પૈદા હુઆ હૈ વહાં હૈ. મુન્શી કા બેટા મુન્શી રહેગા, જમીનદાર કા બેટા જમીનદાર રહેગા.” 

જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કાબેલ વકીલ કપિલ સિબ્બલ સાથેના સંવાદમાં આ બયાન કર્યું છે. છેલ્લાં ઘણા વખતથી જાવેદ અખ્તરને વિવિધ જાહેર પ્લેટફોર્મ પર સાંભળીએ છે અને તેઓ ફિલ્મો, ભાષા, અને સમાજજીવનની અનેક એવી વાતો રજૂ કરે છે કે જેમાં ખરાં અર્થમાં આપણાં દેશનું ચિત્ર જોઈ શકીએ. કપિલ સિબ્બલ સાથેના આ સંવાદમાં જાવેદ અખ્તરે આવી અનેક વાતો કહી છે જે જાહેર પ્લેટફોર્મ પર વારેવારે કહેવાવી જોઈએ. આપણા સમાજજીવનનું પ્રતિબિંબ તેમાં મળે છે અને કેટલાંક કિસ્સામાં તેમાંથી સમાજના પ્રશ્નોનું સમાધાન પણ તેઓ મૂકી આપે છે. સંવાદમાં આગળ તેઓ એક ફિલ્મકાર પોતાની વ્યવહારુતા કેવી રીતે ફિલ્મ નિર્માણમાં રેડે છે તેની વાત કરતા કહે છે : ‘હિંદુસ્તાનની ફિલ્મો છે તે હિંદુસ્તાનની કિસ્મત નથી બનાવતી. હિંદુસ્તાન ફિલ્મોની કિસ્મત બનાવે છે. કંઈ ફિલ્મ લોકો જુએ છે? તેઓ શું જોવા માંગે છે? એક પ્રોડ્યુસર તો એવું જ ઇચ્છે છે કે મારી ફિલ્મ ચાલવી જોઈએ. તેની આંખો સીધી જમીન પર હોય છે. ફિલ્મનિર્માણ કરનારો સમાજશાસ્ત્રી નથી, ન તો તે રાજકીય વિજ્ઞાની છે. પરંતુ તેની પાસે કોમનસેન્સ છે. આ તેનો ધંધો છે. તેને તે ખબર છે કે હવે આ નહીં ચાલે. સોસાયટી છે જે આ બાબતનો નકાર કરશે અને આ બાબતનો સ્વીકાર કરશે.’

આગળ ચર્ચાના આ દોરમાં કપિલ સિબ્બલ જાવેદ અખ્તરને પૂછે છે કે ‘આજના હિંદુસ્તાનમાં સામાન્ય લોકોમાં એક આક્રોશ છે. અમારી પ્રગતિ થઈ રહી નથી. બેરોજગારી વધી છે. તેનું રિફ્લેક્શન હિંદી ફિલ્મોમાં હોવું જોઈએ, પંરતુ તેનું રિફ્લેક્શન હિંદી ફિલ્મોમાં કેમ જોવા મળતું નથી?’ જાવેદનો જવાબ : ‘કારણ કે ફિલ્મની ટિકિટ સાતસો કે આઠસો રૂપિયાની છે. જુઓ એક યુગ હતો જ્યારે શ્રીમંતોની હોસ્પિટલ હતી, તે રીતે ગરીબોની પણ હોસ્પિટલ હતી. શ્રીમંતોના હોટલ હતી, ગરીબોની પણ હોટલ હતી. હવે મલ્ટિપ્લેક્સના સમયમાં સિનેમા છે તે શ્રીમંતોનો થઈ ગયો. ગરીબો માટેનું સિનેમા રહ્યું જ નથી. તમે ભારતમાં કેટલાં થિયેટર્સ છે તે જુઓ. અંદાજે 14,000 છે. જેમાંથી આઠસોની આસપાસ દક્ષિણના રાજ્યોમાં છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં. હવે બચ્યા કેટલા? છસ્સો. બચ્યાં છે તેમાં મોટા ભાગના પશ્ચિમી ભાગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. હવે તેના પછી જે કંઈ બચે છે તે હિંદી બેલ્ટમાં આવે છે. સમજો કે અગિયાર-બાર લાખ લોકોએ સરેરાશે એક થિયેટર. હવે તમે અમેરિકાની વાત કરો તો ત્યાં એક એક લાખ થિયેટર છે; જ્યાં વસતી 35-36 કરોડની આસપાસ છે. ચીનમાં પણ 50 હજાર થિયેટર્સ છે. હિંદી બેલ્ટમાં માત્ર ચારથી પાંચ હજાર થિયેટર આવે છે. તેનું આઉટલેટ જ નથી. બીજી તરફ મલ્ટિપ્લેક્સ છે. મલ્ટિપ્લેક્સમાં તો સમોસા પણ બસ્સો રૂપિયાના હોય છે. ટિકિટ પાંચસો-સાતસોની હોય છે. સમજો કે ચાર વ્યક્તિઓનું એક ન્યૂક્લિઅર પરિવાર પણ ફિલ્મ જોવા જાય તો ત્રણ-સાડા ત્રણ હજારનો ખર્ચ છે. પ્રિવિલેજ ક્લાસ જ આ ફિલ્મો જોઈ શકે છે. જો ફિલ્મ પ્રિવિલેજ ક્લાસ જુએ છે તો તેમાં ગરીબોના પ્રશ્નો ક્યાંથી આવે? ફાઈવ સ્ટાર હોટલ છે – તો તેનો તમને [લોકોને] વાંધો નહોતો. ફાઈવ સ્ટાર હોટલ છે તો તેનો પણ તમને વાંધો નહોતો. તો હવે ફાઈવ સ્ટાર સિનેમાથી કેમ પ્રોબ્લેમ છે?’

પછીનો જ પ્રશ્ન કપિલ સિબ્બલ જે પૂછે છે તે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો કોઈ મુદ્દા પર કશું ય બોલતા કેમ નથી. કપિલ સિબ્બલ અમેરિકાનો દાખલો ટાંકે છે જ્યાં સરકાર વિરુદ્ધ ફિલ્મ ક્ષેત્રના લોકો ટિપ્પણી કરે છે. અહીંયા સૌ કોઈ ચૂપ કેમ છે; પહેલાં તો અહીંયા પણ આવું થતું હતું? જાવેદ અખ્તરનો જવાબ : ‘આ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે તેઓ ખરેખર મોટાં વ્યક્તિઓ છે, જેમની પાસે પૈસો છે. તેમાંથી કોણ બોલે છે? કોઈ જે વિરોધ કરતા હોય? કોણ છે? કોઈ નથી. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો નથી, તેના બહારના છે.’ આ પછી ઇ.ડી. – સી.બી.આઈ.થી વ્યાપેલા ભયથી પણ સેલિબ્રિટીઓ પોતાનો મત વ્યક્ત કરતા નથી એવું પર્સેપ્શન છે તેવું જાવેદ અખ્તર કહે છે. આગળનો એક પ્રશ્ન ઉર્દૂ ભાષાને લગતો છે. જેમાં કપિલ સિબ્બલ કહે છે કે ઉર્દૂ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે, તેને પણ મિટાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અંગે પહેલાં તો એક વાક્યમાં જાવેદ જવાબ આપે છે કે, ‘લેંગ્વેજ ન સરકારે બનાતી હૈ, ન મિટાતી હૈ.’ આગળ તેઓ આ વાતને વિસ્તારથી સમજાવે છે : ‘ભાષા રસ્તા પર જન્મે છે અને રસ્તા પર લુપ્ત થાય છે. સરકાર એ જરૂર કરી શકે છે કે તેનું ઇકોનોમિક એડવાન્ટેજ છે તેને કાપી નાંખે. એ રીતે ભાષા અનાથ થશે, પરંતુ અનાથ પણ દુનિયામાં જ વસે છે ને! એવું થોડી છે કે અનાથ બધા જ મરી ગયા છે.’ ભાષા અંગે તે પછીથી જાવેદ અખ્તર તેમની તર્કબદ્ધ શૈલીમાં પૂરું બંધારણ સમજાવે છે અને આખરે કહે છે કે ‘ઉર્દૂ અને હિંદી એક માં કી બેટીયાં હૈ.’ 

આગળ જાવેદ અખ્તર થોડી શાસકોની વાત કરે છે. તેમાં તેઓ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં કહે છે : ‘કોઈ પણ દેશમાં તમામ લોકો એક જેવા ન હોઈ શકે. અને જો દેશની શાસન સરકાર ખરાબ છે; તો સૌથી વધુ ખરાબ એમના માટે હશે જેમના પર તેઓ રાજ કરે છે. દેશનું સૈન્ય ખરાબ છે. તો તેની સૌથી ખરાબ અસર તેમના લોકો પર જ થશે. જે લોકો પાકિસ્તાનમાં પીડાઈ રહ્યા છે, તો આપણે તેમનાથી કેમ દુશ્મની કરીએ? આપણે તેમને કેમ ગાળો ભાંડીએ? સૈન્ય, સરકાર અને મુલ્લાં – એમનો વાંક છે. આપણી પૂરી સહાનુભૂતિ છે પાકિસ્તાનની પ્રજાથી. જે આમનો જુલ્મ સહન કરી રહી છે. એક બીજી વાત એ છે કે કશ્મીરીઓએ પોતાની પસંદગીથી હિંદુસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું છે. કશ્મીર પર તો પાકિસ્તાને હૂમલો કરી દીધો હતો. પાકિસ્તાનની બીજી એક આશ્ચર્યભરી વાત એ છે કે જેનો સામનો પાકિસ્તાનીઓએ કરવો જોઈએ. જ્યારે આપણો કોઈ સિપાહી શહીદ થાય છે; ત્યારે આપણે તેને સેલ્યૂટ કરીએ છીએ. આપણે જ્યારે તેનો અંતિમસંસ્કાર કરીએ છીએ ત્યારે દેશનો તિરંગો તેની સાથે લઈને ચાલીએ છીએ. તે શહીદનું શરીર તિરંગમાં લપેટાયેલું હોય છે. જે પાકિસ્તાનના સૈનિક કારગીલમાં માર્યા ગયા તેમના મૃતદેહ લેવા માટે પાકિસ્તાન સૈન્ય તૈયાર નહોતું. આવું થયું ત્યારે ભારતીય સૈન્યએ તેમનો અંતિમ સંસ્કાર બકાયદા મૌલવીઓને બોલાવીને કર્યો.’ એટલું જ નહીં એના પછી કોઈ સૈન્ય મીટિંગ થઈ અને તેમાં ભારતીય સૈન્યએ જે પાકિસ્તાની સૈનિકોનો અંતિમસંસ્કાર કર્યો હતો તેનું આલ્બમ પાકિસ્તાનના અધિકારીને આપ્યું. આ આલ્બમ પાકિસ્તાની સૈન્યના અધિકારીએ મીટિંગમાં લેવાની ના કહી. આલ્બમ લે તો ખ્યાલ આવી જાય કે તેઓ પાકિસ્તાનની સૈન્યનો હિસ્સો હતા. મીટિંગ પૂરી થઈ તે પછી તે સૈન્ય અધિકારીએ ભારતીય સૈન્ય અધિકારી પાસે બિનઅધિકૃત રીતે આલ્બમ માંગ્યું હતું. હવે તેઓ તેમના જ સૈનિકોનું સન્માન નથી કરતાં તો આપણું કેવી રીતે કરશે! 

આ પૂરી મુલાકાત કપિલ સિબ્બલની યૂટ્યુબ ચેનલ ‘દિલ સે કપિલ સિબ્બલ’ પર ઉપલબ્ધ છે અને તેમાં અનેક એવી વાતો કરી છે, જે અહીં સમાવી શકાઈ નથી. પરંતુ દેશ, ભાષા અને આપણી સંસ્કૃતિના ખરાં ખ્યાલ માટે આ ઇન્ટરવ્યૂ જરૂરથી જોવો જોઈએ. 

 e.mail : kirankapure@gmail.com 
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025

Loading

પાવન પ્રસંગો

છગનલાલ જોશી|Gandhiana|26 May 2025

છગનલાલ જોશી

1920માં અસહકારના આંદોલન સમયે મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સંશોધન અર્થે શિષ્યવૃત્તિ મળતી હતી તે છોડી હું ગાંધીજીને મળ્યો. બાપુએ મને સદ્ભાગ્યે અપનાવ્યો ને સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રીય શાળાના નાનકડા શિક્ષકથી મેં જીવનની શરૂઆત કરી. 1930માં સત્યાગ્રહ આશ્રમમાંથી ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કરી ત્યારે હું આશ્રમમાં વ્યવસ્થાપક પદે પહોંચી ગયો હતો.

આ દાયકામાં મારું જીવન-ઘડતર થયું. એ સમયના બાપુ સાથેના નાના મોટા બધા પ્રસંગો અત્યારે ન વર્ણવતાં જે પ્રસંગોની છાપ મારા જીવનમાંથી આજે પણ ભૂંસાઈ નથી અને જે પ્રસંગોથી આશ્રમ વ્રતોનું મહત્ત્વ હું સમજ્યો છું તે તાજા કરવાં યોગ્ય લાગે છે.

હું છેલ્લાં પચીસ વરસથી સૌરાષ્ટ્રમાં હરિજન સેવક તરીકે કામ કરું છું. તેનો પહેલો પાઠ મને પહેલે જ દિવસે ગાંધીજીએ આશ્રમમાં આડકતરી રીતે આ રીતે ભણાવ્યો.

સાબરમતી આશ્રમમાં સંયુક્ત રસોડામાં પ્રોફેસર ભણસાળી રશિયાના પ્રવાસેથી નવા જ આવેલા, શ્રી બદરુલ – ‘યંગ ઇંડિયા’ના મદદનીશ તંત્રી, દારુ ને અફીણથી હિંદ કેવું બરબાદ થઈ રહ્યું છે, તેના સમર્થ વિવેચક -, અને હું હૃદયકુંજની પડથાર પર સાંજે જમતાં જમતાં અંગ્રેજીમાં દેશ પરદેશની મલકની ચોવટ કરતાં ઠઠ્ઠા મશ્કરી કરતા હતા. અમારા સામે ઉત્તર ગુજરાતના ગામડામાંથી આવેલા બે વણકરો બેઠા હતા. અમે પાટલા પર બેઠા હતા, આ વણકરો જમીન પર નીચે બેસી જમતા હતા. ત્યાં ગાંધીજી હાથ મોં ધોઈ અમારા આગળથી પસાર થતાં મને કહે, “કેમ છગનલાલ, ખીચડી ભાવે છે કે?” મેં હા જી કહી ડોકું ધુણાવ્યું. ત્યારે તો બાપુ મોઢું મલકાવી અંદરના ઓરડામાં ચાલ્યા ગયા.

પણ બીજે દિવસે સવારે 4 વાગ્યાની પ્રાર્થના પૂરી થઈ ને બાપુએ પ્રવચન શરૂ કરતી વખતે પહેલાં જ પૂછ્યું કે, ‘છગનલાલ જોષી અહીં છે કે?’ મેં હાજરી પૂરાવી. ને બાપુનો વાક્ પ્રવાહ શરૂ થયો.

‘સમૂહ ભોજનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કાં તો ભોજન સમયે બધાંની સગવડ ને શાંતિ માટે મૌન જાળવવું જોઈએ; અને વાતો કરવાની હોય તો વાતો એવી કરવી જોઈએ કે જેમાં વધારે જમનારા રસપૂર્વક ભાગ લઈ ભળી શકે. ગઈ કાલે, તમે બધા ભણેલાઓ અંગ્રેજીમાં અલક મલકની વાતો કરતા હો ને તમારી સામે બેઠેલા હરિજનો જોઈ ગમાર છે એમ જાણી તેની સામુંયે ન જુઓ. તમે પાટલે બેસો ને હરિજન વણકર નીચે બેસે! આ ભેદભાવ આપણા આશ્રમ જીવનને બંધબેસતો નથી.’

આવી મતલબનું ગાંધીજીનું પ્રવચન 39 વરસ પહેલાં મેં સાંભળ્યું છે. પણ તે મીઠો ઠપકો જીવનમાં ત્યારથી સોંસરવો ઊતરી ગયો છે.

– 2 –

આશ્રમમાં અસ્પૃશ્યતાનિવારણનો, અહિંસાનો જે પહેલો પાઠ શીખ્યો તે પરથી ગાંધીજીએ સૌરાષ્ટ્રની યાત્રા કરી ત્યારે હરિજન સેવક તરીકે કામ કરવાનું બળ મેળવી શક્યો.

પણ આમ છૂટા છૂટા પ્રસંગો ટાંકવાને બદલે એકાદશ વ્રતનાં જે કેટલાંક ઉદાહરણ બાપુના જીવનમાં મેં જોયાં તે જ નોંધું.

અહિંસા :

અહિંસાનું જ્યાં સામ્રાજ્ય જામે ત્યાં વૈરત્યાગ સ્વાભાવિક થઈ જાય છે એવા બ્રહ્મસૂત્રો પર બાપુ આશ્રમમાં પ્રવચનો કરતા નહિ; પણ મેં બાપુજીને આશ્રમની ગૌશાળામાં મરણપથારીએ પડેલા વાછડાની કલાકોના કલાક સુધી ભાવપૂર્વક સેવા કરતા જોયા છે. આશ્રમની સાયં પ્રાર્થના વખતે બાપુની પછેડી પર સર્પ ચડેલો હતો તે જરા પણ ગભરાયા વિના ખંખેરી નાખતા જોયેલ છે. આશ્રમમાંથી નાની મોટી ચોરી કરનાર એક ચોક્કસ કોમની વ્યક્તિઓને પકડીને બાપુ પાસે રજૂ કરવામાં આવતા તેમને સમજાવીને જમાડતા બાપુને મેં નજરોનજર જોયા છે. 

રક્તપિત્તથી પીડાતા પરચૂરે શાસ્ત્રીના ઘા ધોતા તો મારા જેવા ઘણાંએ જોયા છે. આશ્રમમાં મારી દીકરીને સખ્ત શીતળા નીકળ્યા હતા ત્યારે બાપુને છોકરાઓની શારીરિક શુશ્રૂષા કરતા આશ્રમવાસીઓએ નિહાળ્યા છે. બાપુના પ્રેમ નાના છોકરાથી માંડી કોઈ અજાણ્યા આગન્તુક મહેમાન પર એક જ પ્રકારનો વરસતો. આશ્રમવાસીઓ રોજ એ જોતાં. યરવડા જેલમાં એક કેદીને વીંછી કરડેલો તેનું ઝેર બાપુએ અંગૂઠો ચૂસીને ઉતારેલું એ તે હવે સૌ કોઈ જાણે છે.

આશ્રમમાં ગિરિરાજ પત્નીના મૃત્યુ બાદ પોતાના 3 થી 5 વરસનાં પુત્ર-પુત્રીને લઈને આવેલા. આ બાળકોને આશ્રમની બહેનો પોતાનાં જ સંતાનોની પેઠે  ઉછેરતી થઈ ગઈ હતી

નેપાલમાં એક વીર ગુરખા દત્તબહાદુરગિરિએ બહેનોની રક્ષા માટે મૃત્યુને અપનાવ્યું. તેનું કુટુંબ સાબરમતી આશ્રમમાં બધાંની સાથે એક કુટુંબીજન તરીકે ભળી ગયું હતું.

આવા પ્રસંગો રોજીંદા જીવનનો ભાગ હોવાથી 1930માં આશ્રમની બહેનો પોતાનાં નાનાં બાળકોને આશ્રમમાં રાખી દારુનિષેધની ચળવળમાં પૂ. બાની સરદારી તળે ચાલી નીકળીને જેલવાસને મંદિરની જાત્રા સમાન ગણી શકી હતી.

– 3 –

સત્ય:

આશ્રમ રાષ્ટ્રીય શાળામાં રાષ્ટ્રીય સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી અખંડ રેંટિયો ચલાવતા હતા. સામાન્ય રીતે આ દિવસોમાં બધાં ભાઈ બહેનો ઓછામાં ઓછા આઠ કલાક તો કાંતણ યજ્ઞ કરતા જ હતાં. પણ આવા તારની નોંધણીમાં કેટલાક વિદ્યાર્થીઓએ ઈરાદાપૂર્વક, સરસાઈ દાખવવા માટે ખોટા વધારે તાર લખાવ્યા છે એવી બાપુને ખાતરી થતાં બાપુ અત્યંત દુઃખી થયા હતા અને આશ્રમના વિદ્યાર્થીઓના અસત્ય માટે મોવડી તરીકે પોતે જવાબદાર છે એમ જાહેર કરી સાત અપવાસ કર્યા હતા. આ શુદ્ધિ સપ્તાહ દરમિયાન આશ્રમ ને શાળામાં ઘણીએ ત્રુટિયો પ્રસિદ્ધ થઈ અને અંતે વાતાવરણમાં નવો પ્રાણ ધબકવા લાગ્યો હતો.

ગાંધીજી તે દિવસોમાં રોજ 160 તાર કાંતા હતા. મોટા રેંટિયા પર બાપુ રોજ બપોરે જમીને ને રાત્રે સૂતા પહેલા કાંતતા હતા. 160 તાર ગણાતા ને બે ચાર તાર ઓછા હોય તો ફરી રેંટિયા પર માળ ચડાવી પાટલી પર બેસી યજ્ઞ પૂરો કરતા હતા એ મેં સાક્ષાત અનુભવ્યું છે.

આશ્રમવાસી નાનો હોય કે મોટો, કે પછી આશ્રમનો વ્યવસ્થાપક હોય, કે પૂ. બા હોય, તેમની નાનકડી જેટલી ભૂલ થઈ ગઈ હોય; હિસાબમાં રૂપિયા બે રૂપિયાની અનિયમિતતા થઈ હોય તો બાપુ છુપાવતા નહિ. એટલું જ નહિ, પણ સત્યમેવ જયતે એ સત્યનો જ જય થાય છે એમ સમજી જાહેર છાપામાં પોતાની ભૂલોનો એકરાર કરતા હતા. 

એથી અમે આશ્રમવાસીઓ ઘણી વાર કહેતા હતા કે સૂર્ય પાસે રહેવા જતાં ક્યારેક બળીને ભસ્મ થઈ જવાય છે. પણ તો ય તેની ઉષ્માથી માણસ જીવંત રહી શકે છે. તેમ બાપુના સાન્નિધ્યમાં રહેનારે તો અસિધારા પર ટકવું પડે તેમ સતત જાગૃત રહેવું પડતું હતું

1921મા કાઁગ્રેસની વિષયવિચારિણી સમિતિમાં હું મેળવવાથી હાજર રહી શકયો હતો. પણ ખેડા જિલ્લા સમિતિના પ્રમુખે વિષયવિચારિણી સમિતિમાં ભાગ લેવા ખોટા પાસનો ઉપયોગ કર્યો તેની જાહેરાત નવજીવનમાં કરી કાઁગ્રેસીઓને બાપુએ જાગ્રત કર્યા હતા.

– 4 –

અસ્તેય:

બાપુને દક્ષિણ આફ્રિકામાં જે કોઈ માનપત્રો, હારતોરા, કાસ્કેટ ભેટ મળ્યા હતા તેની તો ત્યાં જ હરરાજી કરી સાર્વજનિક કાર્યોમાં એ રકમનો ઉપયોગ થયો હતો એ તો જગ જાહેર છે. 

એક વખત વહેલી સવારે બાપુ સાથે હું આશ્રમનો વ્યવસ્થાપક હતો ત્યારે ફરતા ફરતા મને કહેવા લાગ્યા કે આશ્રમના ચોપડામાં આજે નોંધ કરી લેજો કે મારા મરણ પછી મારી અંગત માલિકીની એકેએક વસ્તુ આપમમાં જવી જોઈએ. પણ વસ્તુત: બાપુ પાસે ઘડિયાળ, ફાઉન્ટન પેન કે બે ચાર પંચિયા સિવાય કોઈ ચીજ જ નહોતી.

બાપુને જે પુસ્તક ભેટ તરીકે મળતા તે કાળજીપૂર્વક આશ્રમની લાયબ્રેરીમાં જમા થઈ જતા.

ગાંધીજી પાસે લાલ પેન્સિલ યરવડા જેલમાં વપરાતાં વપરાતાં ત્રણેક ઇંચ જેટલી ટચૂકડી રહી હતી તે ગાંધીજીએ ‘પર્ણકુટી’માં રહેવા ગયા બાદ, યરવડા જેલમાં મારી પાસેથી શોધાવીને મેળવી હતી.

પગ ધોવા માટે નાનો પથરો ખોવાઈ ગયો હતો તે ગાંધીજીએ મનુબહેન પાસે નોઆખલીમાં ગોતાવી મેળવ્યો હતો. ચાર આંગળનો રૂમાલ આડોઅવળો થઈ જાય તો તે શોધી કાઢવા માટે પ્યારેલાલને ઠપકો દેતા મેં જોયા છે.

જમનાલાલજીનાં માતુશ્રી હાથે કાંતીને ખાદીની ચાદર વાપરતાં હતાં. ગાંધીજીને ભેટ મળેલી તે ચાદર વરસો સુધી એમણે કાળજીપૂર્વક વાપરી હતી.

લાખો રૂપિયાનો વહીવટ કરનાર ગાંધીજી પાઈ પાઈનો હિસાબ રાખતા અને તેઓ દરિદ્રનારાયણના સાચા સેવક છે એ એમની સાથે રહેનારા રોજ અનુભવતા.

બ્રહ્મચર્ય:

આશ્રમમાં ગાંધીજીએ પોતાના પુત્ર રામદાસ, પૌત્રી રામીબહેન, ઈમામ સાહેબની પુત્રી ફાતિમા, અમીનાબહેનના લગ્નવિધિ સાદાઈથી ઉકેલ્યા હતા. પણ આશ્રમવાસીઓની સાધના બ્રહ્મચારી બનવાની હતી.

આશ્રમમાં આશ્રમની શાળામા મોટાં છોકરા છોકરીઓના જાતીય સબંધ શુદ્ધ નથી રહી શક્યા એમ ગાંધીજીને ખાતરી થતાં 7 અપવાસ કર્યા હતા.

ગાધીજી બ્રહ્મચર્ય પાલન વિષે વ્યાખ્યાન કે ઉપદેશ આશ્રમમાં ભાગ્યે જ આપતા પણ આશ્રમની રહેણી કરણી આખા દિવસની એવી કટ્ટર નિયમોથી બાંધી દીધી હતી કે સામાન્ય રીતે માણસ જાગૃત રહી શકતા હતા,

આશ્રમમાં કાકાસાહેબ કાલેલકર, મગનલાલભાઈ ગાધી, કિશોરલાલભાઈ મશરૂવાલા સપત્ની રહેતાં હોવાં છતાં તેમનું દાંપત્ય જીવન બ્રહ્મચારીને ધડારૂપ બને તેવું હતું.

અસંગ્રહ:

1929માં ગાંધીજી એક વરસ લગાતાર આશ્રમમાં રહ્યા હતા ત્યારે આશ્રમવાસીઓ વિષે એક નિયમ કરવામાં આવ્યો હતો કે આશ્રમવાસીના હાથે જો ત્રણ ભૂલ થાય તો પોતાની મેળે આશ્રમમાંથી, ઉદ્યોગમંદિરમાંથી રજા લઈ મુક્તિ મેળવે.

સમૂહ પ્રાર્થના, સમૂહ ભોજન, સમૂહ કંતાઈ યજ્ઞના કામમાં લશ્કરી તાલીમની જેમ મિનિટે મિનિટ સમયસર કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું.

આ તો બાહ્ય નિયમો થયા. જે આશ્રમવાસી પાસે અંગત પૈસા હોય તે પૈસા આશ્રમમાં જમા કરવાના રહેતા. આ નિયમને આધારે છગનલાલભાઈ ગાંધી પાસે દક્ષિણ આફ્રિકાની કમાઈ હતી તે આશ્રમમાં જમા થઈ. નરહરિભાઈ પાસે વીમા પોલીસી હતી તે પેઈડ અપ કરી તેના નાણાં તથા મણિબહેન (પરીખ) ને દુર્ગાબહેન (દેસાઈ)ના દાગીના આશ્રમની તિજોરીમાં જમા થયા.

તે વખતે આશ્રમવાસીઓને સંયુક્ત રસોડે જમવાનું હતું ને વ્યક્તિ દીઠ 12 રૂ. ખર્ચ આવતું હતું. બાળકોને દૂધ-ફળ મળતાં હતાં.

ઘરવખરી, ચીજવસ્તુઓ ઓછી પણ સફાઈ અપરંપાર એ જીવનનો આદર્શ ગણાતો હતો.

આજે વધુ કોણ કમાય છે તેની પ્રતિષ્ઠા સમાજમાં થાય છે. ગાંધીજી પાસે કોણ સમાજના હિતાર્થે વધારે ત્યાગ કરે છે તેની કિંમત અંકાવા લાગી હતી.

-5-

શરીરશ્રમ :

જ્યારે હું સાબરમતી આશ્રમમાં વ્યવસ્થાપક બન્યા હતો ત્યારે ગાંધીજી 60 વરસના થઈ ગયા હતા. છતાં રોજ નિયમિત પીંજવાના, વણાટના ડેલામાં આવતા. સવારે શાક સમારવા, ભાજી સાફ કરવા સંયુક્ત રસોડામાં અર્ધો કલાક ગાળતા. સવાર સાંજ અવશ્યમેવ ફરવા જતા. રાતના દસ વાગે ટ્રેનમાં આવે તો પણ તેઓ અરધો કલાક ચાલતા જ. વરસાદ હોય તો પડસાળમાં ફરી લેતા. 1928માં એક વાર અમદાવાદમાં સખત હિમ પડયું હતું. પણ નિયમ પ્રમાણે પ્રાર્થના સમાપ્ત થયા પછી સવારે પાંચ વાગે તેમની સાથે ઠૂંઠવાઈ જવાય એવી કડકડતી ઠંડીમા ફરવા જવાનો લહાવો મને પણ મળ્યો હતો.

ગાંધીજીનું પાયખાનું સ્વચ્છતાનો નમૂનો ગણાતું, ને તેથી જ રમૂજમા ગાંધીજી પાયખાનાને લાઇબ્રેરી તરીકે ઓળખાવતા હતા.

અસ્વાદ વ્રત: 

આશ્રમમાં એક જ સંયુક્ત રસોડું થઈ જવાથી અસ્વાદ વ્રત કેળવવામાં મુશ્કેલી નહોતી આવતી. સામાન્ય રીતે દાળ શાક બાફેલાં બનતાં. વઘાર વર્જ્ય ગણાતો. કોળાનું શાક નિયમિત બનતું. પણ આ ખોરાક બધાંને સદી ગયો હતો. આશ્રમમા રહેનારાઓ ગોસેવામાં માનનારા હોવાથી ગાયના દૂધ ઘી સિવાય બીજા દૂધ ઘીનો આશ્રમમાં ત્યાગ હતો. 

ગાયનું ઘી તે જમાનામાં સહેજે મેળવવું મુશ્કેલ હતું. પ્રયોગવીર વિનોબાજીએ વર્ધામાં પોતાના શરીર પર પ્રયોગ કરી સાબિત કરી બતાવ્યું હતું કે ખોરાકમાં તલ કે મગફળીના તેલને બદલે અળસીના તેલનું સેવન કરવામાં આવે તો શરીરનુ વજન વધારી શકાય છે. એ રીતે વિનોબાજીએ બે માસમાં બાવીસ રતલ પોતાનું વજન વધાર્યું હતું. પછી અળસી તેલને પ્રયોગ આશ્રમના રસોડામાં શરૂ થયા ને ઘીને બદલે કડવું અળસીનુ તેલ રોટલી પર તરબોળ ચોપડીને અમે ખાવા લાગ્યા હતા. 

જીવનની સાધનામાં અસ્વાદ વ્રતની ઘણી મોટી કિંમત છે તેમ પૂ. સરદાર સાહેબ પણ ગાંધીજીના સત્સંગથી સમજવા લાગ્યા હતા. ગાંધીજીના સહવાસમાં આવ્યા બાદ સરદારશ્રીએ સિગારેટ છોડી. એટલું જ નહિ, પણ રોજ સાંજે ક્લબમાં ભજિયાં-ભેળ ખાતા તેને સાવ વિદાય આપી; ને છેવટે બાફેલાં ભાજી શાક ખાઈ નિસર્ગોપચાર કરી ઘણાં રોગમાંથી તેમણે મુક્તિ મેળવી હતી.

-6-

અભય:

હું નવો નવો આશ્રમમાં આવ્યો હતો અને તરત જ નાગપુર કાઁગ્રેસમાં જવાનું ભાગ્ય પ્રાપ્ત થયું. ત્યાં એક બપોરે બંગાળી વિપ્લવવાદીઓ ગાંધીજીને એમના તંબુમાં મળવા આવ્યા હતા. હું ખૂણામાં બેઠો બેઠો વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. બાપુ સાથે ચર્ચાઓ બાદ  પ્રફુલ્લ ઘોષ,  સુરેશ બેનરજી વગેરે ભાઈઓની અહિંસામાં, ગાંધીજીના જીવંત તણખામા શ્રદ્ધા પ્રગટી; ને હિંસામાં શ્રદ્ધા રાખનાર આ તેજસ્વી વિદ્વાનોએ આશ્રમ સ્થાપી ખાદીકામને અપનાવ્યું. ગાંધીજીએ આ આશ્રમનું નામાભિધાન ‘અભય આશ્રમ’ કર્યું.

ગાંધીજી ઘણી વાર કહેતા કે પોતાને જે સાચું લાગતું હોય તે કહેવામાં ભલે ભૂપ પણ સામો આવે તો પણ ગભરાવું નહિ. દૈવી સંપત્તિમાં અભયની સૌથી મોટી ગણતરી છે એ ત્યારથી સમજાઈ ગયું છે.

રાજકોટ સત્યાગ્રહ વખતે ત્યાંના રાજા ને દીવાન વીરાવાળાની પેરવીથી અમુક લોકો બાપુ સામે ધૂળ ઉડાડવા લાગ્યા હતા, પથ્થરમારો કરવા લાગ્યા હતા ત્યારે અમને બધાને દૂર ખસેડી બાપુ સામે પગલે દોડતા ગયા હતા એ નજર આગળ આજે તરવરે છે.

બંગાળમાં માનીકાદામાં ગાંધી સેવાસંઘના વાર્ષિક સમારંભ સમયે સીઆલ્ડા સ્ટેશન પર એક નેતાના સાથીઓ કાળા વાવટા લઈ ‘ગાંધીવાદ ધ્વંસ હો’ એવા નારા પોકારતા સેંકડોની સંખ્યામાં ધસી આવ્યા હતા; ત્યારે પણ ગાંધીજી તેમની સામે હસતે મોઢે તેમનો સત્કાર કરવા ગયા હતા. તે જોઈ બંગાળના પોલીસ અમલદારો મોઢામાં આંગળાં ઘાલી ગયા હતા.

સર્વધર્મ સમભાવઃ 

આશ્રમમાં ઈમામ સાહેબ, બૌદ્ધ સાધુ કેશવ, એન્ડ્ર્યૂઝ, મીરાબહેન, એલ્વિન, અમતુલ બહેન, અબ્દુલ ગફાર ખાન, કોસાંબીજી, પૂંજાભાઈ, કેદારનાથજી, સ્વામી આનંદ વગેરે જુદા જુદા ધર્મોના અને નિરાશ્વરવાદના અનુયાયી હોવા છતાં એક જ કુટુંબના જન તરીકે વરસો સુધી રહી શક્યા ને દરેક ધર્મની મહત્તા ને ખૂબી સમજીને પોતાનું જીવન વિકસાવી શક્યા હતા એ તો અમે રોજ જોતા હતા. આશ્રમની રાષ્ટ્રીય શાળામા બધા ધર્મોના મુખ્ય મુખ્ય ઉત્સવો ઉજવાતા ને આશ્રમની પ્રાર્થનામાં તમામ ધર્મના શ્લોકો ઉમેરી ધર્મની સંકુચિત ભાવનાને તોડી નાખી હતી.

-7-

સ્વદેશી:

 બાપુની રેંટિયા વિષેની અનન્યભક્તિ જાણીતી છે. ગાંધીજીની હત્યા 1948ની 30 જાન્યુઆરીના રોજ થઈ તે ગોઝારા દિવસે પણ બાપુ કાંત્યા વિના રહ્યા નહોતા. ગાંધીજી 21 અપવાસ દરમિયાન પણ રેંટિયો કાંતવાનું ભૂલ્યા નહોતા. હું યરવડા જેલમાં મહાદેવભાઈ, સરદાર સાહેબ ને બાપુજી સાથે હતો ત્યારે મહાદેવભાઈને ફ્રેન્ચના અભ્યાસને કારણે એક વખત કાંતવાનું રહી ગયું; ને તે સમયે જે બોધપાઠ આપ્યો હતો તેનો હું સાક્ષી છું. ગાંધીજી જ્યાં જતા ત્યાં બધે ખાદીનો આગ્રહ રાખતા. 1921માં અમદાવાદની કાઁગ્રેસમાં પહેલી વાર ખાદીના તંબુનો વપરાશ થયો હતો.

બાપુ જે વાળંદ ખાદી ન પહેરે તેની પાસે હજામત ન કરાવતા. 

દક્ષિણ ભારતમાં પલનીનું મોટું મંદિર હરિજનો માટે ખુલ્લું મૂકાયું ત્યારે બાપુ ત્યાં ગયા હતા. ત્યાં ઠાકોરજીને શુદ્ધ ખાદીના વાઘા ચડાવવામાં આવતા.

બાપુના ખાદીના આગ્રહથી પંડિત જવાહરલાલ નહેરુ યુ.પી.માં, ને રાજેન્દ્રપ્રસાદ બિહારમાં, ને તામિલનાડુમાં ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ધુરંધર રાષ્ટ્રનેતાઓ ચરખા સંઘના એજન્ટ બન્યા હતા. તે દિવસો દરમિયાન કાઁગ્રેસના મેમ્બર થવા માટે મહિને ૨,૦૦૦ વાર સૂતર કાંતીને આપવાનું રહેતું.

આવી ભાવના જ્યાં પ્રગટતી હોય ત્યાં સ્વદેશીનું વાતાવરણ જામ્યા વિના કેમ રહે?

સ્પર્શભાવના:

આ વિષે તો મને આશ્રમમાં પહેલે જ દિવસે દીક્ષા મળી તે મેં આગળ કહ્યું છે. જેને બાપુએ પોતાને જીવન સિદ્ધાંત માન્યો તેમાંથી કોઈ રીતે તેઓ ચલાયમાન થતા નહીં એનો એક દાખલો યાદ આવે છે. ગૂજરાત વિદ્યાપીઠના ફાળામાં મુંબઈના એક વૈષ્ણવ ભાટીઆ ગૃહસ્થે મોટી રકમ આપવાની ઈચ્છા સ્વર્ગસ્થ મણિલાલ કોઠારી દ્વારા જાહેર કરી. પણ તેમાં શરત હતી કે એ રકમ હરિજનોના શિક્ષણમાં કે લાભમાં ન વપરાય ગાંધીજીએ એ લાખ રૂપિયા વિદ્યાપીઠ માટે ન સ્વીકાર્યા.

આશ્રમમાંથી પોતાનાં મોટાંબહેન રળિયાતબહેને લક્ષ્મીના દત્તક લેવાવા બાદ વિદાય લીધી; પણ હરિજનો તો આશ્રમના મૂળ અંગ તરીકે રહ્યા જ.

આશ્રમવાસીની લાયકાત સાબિત કરવા માટે નવા-જૂના કાર્યકર્તાઓએ પાયખાના સફાઈનું કામ નિયમિત કરીને પોતાની શક્તિ પૂરવાર કરવાની રહેતી હતી.

ઉપનિષદ અને ગીતાના અભ્યાસી ભાઈ સુરેન્દ્રજીને બાપુજીએ ચમારનું કામ સુપ્રત કર્યું હતું. કુદરતી મૃત્યુથી મરેલાં ગાય-બળદનાં ચામડાં ઉતારવાનું કામ જ્યાં બ્રાહ્મણ આશ્રમીઓ કરતા હોય ત્યાં આભડછેટને તો અલોપ થયે જ છૂટકો.

-8-

1921માં ગાંધીજીએ ચૌરીચોરાના હત્યાકાંડને લીધે સત્યાગ્રહની લડત મોકુફ રાખવાનું જાહેર કર્યું ત્યારે હિંદના પ્રથમ પંક્તિના નેતાઓ બહુ નારાજ થયા હતા. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ પટેલ તો ‘નારાયણ નારાયણ’ બોલતા જતા ને કહેતા જાય કે આ ડોસાને સ્વરાજ કરતાં સત્યોપાસના અને આત્મજ્ઞાનની વધારે પડી લાગે છે. પણ બાપુ તો ભારતીયોને સ્વરાજને લાયક બનાવવા માગતા હતા.

એકાદશ વ્રત અને પ્રાર્થના બાપુજીના જીવનમાં કેવા ઓતપ્રોત થઈ ગયા હતા તેનું માત્ર સ્મરણ કરું છું ત્યારે પણ એક જાતની મહત્તા અનુભવું છું. અને રોજ બ રોજના જીવનમાં અણીને ટાંકણે આપણે કેવી અજબ રીતે મોહ અને લાલચમાં સપડાઈ જઈએ છીએ એ વિચારવા બેસું છું ત્યારે હું મારા પંડથી શરમાતો હોઉં ને, એમ લાગે છે.

વધુ વિચારતાં એમ પણ પ્રતીત થાય છે કે તે દિવસોનો પ્રભાવ માત્ર સ્વપુરુષાર્થનો નહોતો જ. જેમ વંટોળિયો ઊડે ને ઝંઝાવાતમાં નાના મોટા વેલા, ઝરઝાંખરાં ને ખરી પડેલાં પાંદડાં પણ ઊંચે ઊડવા લાગે તેમ આપણે ઉપર ઊંચે ઊડવા મંડ્યા હતા. ઝંઝાવાત શમી જતાં પાંદડાં મોટા છોડવા હેઠા બેસી જાય છે તેમ ગાંધીજી ગયા ને દુર્ભાગ્યે તેમની સાથે અહિંસક સત્યવીરની મરદાનગી ને ખુમારી પણ આપણે ખોઈ બેઠા હાઈએ તેમ લાગે છે.

પણ જરૂરી છે કે વ્રતપાલનમાં આવેલી શિથિલતા ખંખેરી સાચા માનવ બનવાનો પ્રયાસ કરીએ.

બાપુજી, આપ તો મહાત્મા છે, અમે પામર જીવ છીએ; અમારાથી આવા ભગીરથ કામ ન થાય- એમ કોઈ કહે ત્યારે બાપુને આ વચનો ગાળ જેવા લાગતા હતા. બાપુ પુરુષાર્થથી બધું સાધી શક્યા હતા. તો આપણે પણ બાપુએ ચીંધેલ માર્ગે ચાલવાનો દૃઢ સંક૯પ કરીએ. 

(સમાપ્ત)
19 — 26 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 317 થી 324

Loading

ગુજરાતીપણાનું ગૌરવ લેવાય તો ગુજરાતી ભાષાનું કેમ નહિ !!!

હિતેશ રાઠોડ|Opinion - Opinion|26 May 2025

મા, માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણેય સાથે માનવીનો સંબંધ ગળથૂથીથી રહ્યો છે અને તેથી આ સંબંધની પ્રગાઢતા વિશે ક્યારે ય કોઈ સંશય ન હોઈ શકે. કેટલાક કારણોસર માણસ હવે પોતાની માભોમથી અળગો થતો જાય છે અને સાથે સાથે પોતીકી કહી શકાય એવી માતૃભાષાથી પણ વેગળો થતો જાય છે. પ્રેમ મેળવવા આપણે ગમે તેટલાં વલખાં મારીએ પણ માથી વિશેષ કોઈનો પ્રેમ આપણે ક્યારે ય મેળવી શકતા નથી. ભલે આપણે આખી દુનિયા ફરી આવીએ, તેમ છતાં અર્ધપાકા ધૂળિયા મારગ, લીલોતરીથી લથબથ ખેતરો, સૂકાં જરઠ વૃક્ષો અને એક ન કળી શકાય એવી ગામઠી ફોરમ મધ્યે સ્થિત આપણી માતૃભૂમિ કે માદરે વતનમાં આપણા કોઠે જે ટાઢક વળે અને મનની શાંતિ મળે છે એ જગતમાં બીજે ક્યાં ય નથી મળતી. 

માતૃભાષાનું પણ કંઈક આવું જ છે. દુનિયાભરની ભાષા શીખી જઈએ કે બોલતા થઈ જઈએ તેમ છતાં માતૃભાષાની આગવી મીઠાશ કે પોતીકાપણું બીજી કોઈ ભાષામાંથી આપણને મળતું નથી. સુખ-સાહ્યબીમાં સાવકી ભાષા બોલાય છે, પણ દુ:ખ કે વેદનામાં તો મા સમાન માતૃભાષા જ સાંભરી આવે. જ્યારે જ્યારે આપણે દુ:ખો, વેદના, વ્યથા અને પરેશાનીઓથી ઘેરાઈ જતા હોઈએ અને એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ આપણને સૂઝતો ન હોય ત્યારે એમ થાય કે કોઈ એવું પોતીકું આપણને મળી જાય જેની સમક્ષ આપણે આપણા મનની ભાષામાં સઘળી વ્યથા ઠાલવી દઈએ અને મન સાવ હળવું ફૂલ કરી દઈએ. બસ આ મનની ભાષા એટલે જ આપણી માતૃભાષા. માને મળતા જ જગતભરના દુ:ખોમાંથી જેમ મુક્તિ મળી જાય એમ મા સમાન માતૃભાષા પણ આપણા મનનો સઘળો ભાર પળવારમાં હળવો કરી દે છે. આપણું મન જે ભાષા સમજી શકતું હોય એ ભાષા એટલે આપણી માતૃભાષા. મનનો સઘળો ભાર જો કોઈ હળવો કરી શકતું હોય તો એ કેવળ આપણી માતૃભાષા જ છે. 

બદલાતા પ્રવાહોને અનુકૂળ થવા આજે આપણે માતૃભાષાની સાથે સાથે બીજી ભાષાઓ પણ શીખતા અને બોલતા થયા છીએ. બીજી ભાષા આપણે શીખીએ, બોલીએ અને વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ એમાં કંઈ ખોટું નથી, પણ એના અતિરેકમાં આપણે આપણી ખુદની જ ભાષાને ભૂલી જઈ એને અન્યાય કરી બેસીએ એમ ન થાય એ જોવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. મા અને માતૃભૂમિનું આપણે કેટલું ગૌરવ લઈએ છીએ તો પછી આપણી પોતાની માતૃભાષા પ્રત્યે આપણને આટલી બધી સૂગ શા માટે? આપણું સમગ્ર ચેતાતંત્ર માતૃભાષા સાથે જેટલું સાનુકૂળ રહે છે એટલું અન્ય ભાષા સાથે નથી રહી શકતું. માતૃભાષા સિવાયની બીજી ભાષામાં માણસ લાંબો સમય રહે તો ગુંગળામણ અનુભવવા લાગે છે. માતૃભાષા એ ઘરના સાદા ભોજન જેવી છે. બહારનું મરી-મસાલાવાળું અને ચટાકેદાર ભોજન ભલે આપણને જીભે વળગે તેમ છતાં તૃપ્તિનો ઓડકાર તો ઘરનું સાદું અને પૌષ્ટિક ભોજન જમીએ ત્યારે જ આવે. એમ બીજી ભાષા ભલે આપણે ગમે તેટલી બોલીએ કે ઉપયોગમાં લઈએ તેમ છતાં પોતાની માતૃભાષામાં જ્યાં સુધી ન બોલીએ ત્યાં સુધી મનની વાત એના યથાર્થ સ્વરૂપમાં બહાર આવી શકતી નથી.

કોણ જાણે કેમ પણ આપણું મોટાભાગનું વર્તન આપણી અમુક ચોક્કસ ગ્રંથિઓ પ્રેરિત હોય છે. રોજીંદા વપરાશમાં આપણે કઈ ભાષા બોલવી એમાં પણ આપણે બીજાઓ શું કહેશે એનો વિચાર પહેલા કરતા હોઈએ છીએ. બીજાઓ શું કહેશે એનો વિચાર કરીને જ આપણા મૌલિક વર્તનને દોરવતા હોઈએ છીએ. અમુક લોકો સામે હું અંગ્રેજીમાં નહિ બોલું કે વાતચીતમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ નહિ કરું તો હું કેવો કે કેવી લાગીશ! અમુક સ્થળે ગુજરાતીમાં વાતચીત કરીએ તો સાવ દેશી લાગીએ! અંગ્રેજીમાં નહિ બોલું તો લોકો મારા વિશે શું કહેશે! ઇન્ટરવ્યુ તો અંગ્રેજીમાં જ અપાય! અંગ્રેજી બોલીએ તો બીજા સામે આપણો વટ પડે! મારી દુકાનનું બોર્ડ ગુજરાતીમાં રાખીશ તો ગ્રાહકોને કેવું લાગશે! આવી ગ્રંથિઓની યાદી તો બહુ લાંબી થાય એમ છે. સમયના આધુનિક વહેણમાં આપણી મોટાભાગની રહેઠાણ અને કોમર્શિયલ સ્કીમો, આપણી દુકાનો, ધંધા-રોજગાર વગેરેના નામો અંગ્રેજીમાં રાખવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ! આમાંના ઘણા નામોનો તો ચોક્કસ અર્થ આપણે જાણતા હોતા નથી. આમ છતાં દેખાદેખીના આ યુગમાં બીજી ભાષાનો મોહ આપણને જલદી છૂટતો નથી. 

માતૃભાષાથી વેગળા થવામાં કોઈ એક પરિબળને દોષ દઈ શકાય એમ નથી. આપણે સૌ એ માટે સરખા જવાબદાર છીએ. આપણે પોતે જ એક એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે જેમાં માતૃભાષા બિચારી બની ગઈ છે. રોજીંદી વાતચીત, અખબારો, ન્યૂઝ ચેનલો, સિરિયલો, ટી.વી. કાર્યક્રમો, કમ્પ્યુટર, મોબાઈલ એપ્લકેશન આ બધામાં બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ એટલો અનિવાર્ય બની ગયો છે કે તેનો ઉપયોગ કર્યા વિના ચાલે એમ નથી. છાપાઓ પણ શુદ્ધ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવાને બદલે બોલચાલમાં વપરાતા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે. છાપાના ખબરપત્રીઓ પણ હવે એમ માનતા થઈ ગયા છે કે શુદ્ધ ગુજરાતી લોકોને જલદી નહિ સમજાય એટલા માટે તેઓ અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે. અલબત્ત, માતૃભાષા ગુજરાતી આપણા લોહીમાં છે, એટલે શુદ્ધ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરીએ તો પણ લોકોને એ ન સમજાય એ વાત ગળે ઊતરે એવી નથી. હા, કદાચ હવેની પેઢીને એ ન સમજાય એમ બની શકે પણ રોજે રોજ એનો ઉપયોગ કરતા જઈએ એટલે એ પણ સમજાઈ જાય. ખબરપત્રીઓનું કામ જે તે ભાષામાં સમાચાર છાપવાનું છે. ભાષા અંગે લોકોની સમજણ અંગે પૂર્વાનુમાન કરી પોતાની રીતે ભાષાકીય છૂટ લેવાની જરૂર નથી. આમ કરીને ભાષાના શુદ્ધ સ્વરૂપને દૂષિત કરવામાં જવાબદાર બનવું જોઈએ નહીં. વળી, આ લોકોને શુદ્ધ ગુજરાતી સમજાતું નથી એવી માનસિકતા દરેક જગ્યાએ પ્રવર્તે છે એટલે જ માતૃભાષામાં બીજી ભાષાના શબ્દોનો પગપેસારો વધતો જાય છે અને આ બધાના પરિણામે આખરે ખીચડી ભાષાનું નિર્માણ કરવા માટે આપણે પોતે જ જવાબદાર ઠરતા હોઈએ છીએ. મા, માતૃભૂમિ અને માતૃભાષા એ જન્મગત પ્રાપ્ત થાય છે એમાં પસંદગીને કોઈ અવકાશ નથી. એ અલગ વાત છે કે જન્મદાત્રી માને બાદ કરતાં માતૃભૂમિ અને માતૃભાષાને બદલવામાં પણ આપણને હવે કોઈ છોછ રહ્યો નથી. ભૌતિક અને સામાજિક વિકાસના બદલાતા આયામો સાથે આપણે એમ કરીએ એમાં કંઈ ખોટું નથી પણ એમ કરવા જતા આપણે આપણી પોતાની મૌલિક ઓળખ ગુમાવતા જઈ રહ્યા છીએ અને એનો આપણને જરા ય રંજ પણ નથી!

માતૃભાષાની પણ એક અલગ મજા છે. અહીં ગુજરાતમાં આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે ગુજરાતી ભાષા વિશે વાત કરીએ. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શિક્ષણવિદો, સાહિત્યકારો અને કેળવણીકારોએ પોતપોતાની રીતે યથાશક્તિ યોગદાન આપ્યું છે. આ બધામાં ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજીનું યોગદાન સૌથી અનેરું છે. તેમણે લગભગ પા સદી જેટલો સમય સંશોધન અને ખેડાણ કરી ગુજરાતી ભાષાનો એક મહાગ્રંથ ‘ભગવદ્દગોમંડલ’ તૈયાર કર્યો. ગુજરાતી ભાષાનો આ સૌ પ્રથમ શબ્દકોશ સહ જ્ઞાનકોશ માનવામાં આવે છે. વર્ષ ૧૯૪૪માં આ મહાગ્રંથનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો હતો. જેના લગભગ ૯૦૨ જેટલા પૃષ્ઠોમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેના ૫૧,૩૩૮ અર્થો તેમ જ ૧,૩૦૩ જેટલા રૂઢિપ્રયોગોનો સમાવેશ થયેલ છે, જ્યારે અંતિમ નવમો ભાગ ૯ માર્ચ ૧૯૫૫ના રોજ પ્રસિદ્ધ થયો હતો. આમ, ૧૯૪૪થી લઈ ૧૯૫૫ સુધી ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ભાગના કુલ ૯,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગ સંગ્રહ છે. 

એક ઉદાહરણ જોઈએ તો “દૂધ” શબ્દનો અર્થ અને તેને આનુષંગિક કહેવતો અને રૂઢિપ્રયોગોનું વિવરણ ચાર પાના ભરીને આપવામાં આવ્યું છે. તો વળી “મન” શબ્દ સાથે સંકળાયેલ લગભગ ૧૫૦ જેટલી કહેવતો અને રૂઢિપ્રયોગના અર્થ પણ તેમણે ચાર પાનાં ભરીને સમજાવ્યા છે. આવા તો કેટલા ય ગુજરાતી શબ્દો છે જેનો અર્થ વૈભવ આપણી આંખોને આંજી દે એટલો સમૃદ્ધ છે. આના પરથી ખ્યાલ આવે છે કે માતૃભાષાના સંવર્ધન માટે રાજા જેવી મહાપ્રતાપી વ્યક્તિએ કેટલા સમર્પિત પ્રયાસો કરી ક્યારે ય વિસરી ન શકાય એવી એક અમૂલ્ય ભેટ આપણને આપી છે. વળી, આ મહાગ્રંથને માત્ર શબ્દકોશ કહેવું તેની સાથે અન્યાય કર્યો ગણાશે કેમ કે આ પુસ્તક માત્ર શબ્દો અને તેના અર્થની સમજ આપે છે એટલું જ નહિ પણ જે તે શબ્દની સાથે જોડાયેલ ઇતિહાસ અને તેને આનુષંગિક અન્ય શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગોનું પણ વર્ણન કરી આપણને અમૂલ્ય જ્ઞાન પણ પીરસે છે. ગુજરાતી ભાષા શું છે, તેનો લહેજો, લહેકો, મીઠાશ અને ભાષા વૈભવ શું છે તેમ જ જે તે સમયના લોકજીવન અને લોકસંસ્કૃતિમાં ભાષાનું શું સ્થાન છે એ સમજવા માટે ગુજરાતી મૂળના લોકોએ તેમના જીવનકાળ દરમિયાન એક વાર તો આ પુસ્તક વાંચવું જ રહ્યું!!! આ ગ્રંથની મહાનતા અને તેના કદનો ખ્યાલ તો એ વાત પરથી જ આવી જાય જ્યારે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ આ મહાગ્રંથ માટેની પ્રસ્તાવના લખવા માટેનું પોતાનું ગજુ નથી એમ કહી તેના રચયિતા મહારાજા ભગવતસિંહજી પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કરે. એક રાજવીએ માતૃભાષા પ્રત્યેનું ઋણ ફેડવા આટલા અથાગ પ્રયત્નો કર્યા હોય તો આપણે પણ ફૂલ નહિ તો ફૂલની પાંદડી એ ન્યાયે થોડા પ્રયાસો તો કરવા ઘટે.

સરગાસણ
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...325326327328...340350360...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved