Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવજાત

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|17 December 2024

આમ તો જસપ્રીતને હજી હમણાં જ આઠમો મહિનો પૂરો થઈને નવમો બેઠો હતો એટલે સુખવીંદર બે દિવસ માટે શહેરમાં પોતાનું કામ પતાવવા જાય તો કંઈ વાંધો આવે એમ નહોતું. મા તો એને ટોણા માર્યા જ કરતી. “કા કરેગા તૂ લુગાઈ કે પાસ બેઠકે ? ઘર પે મૈં હૂં, તેરી દાદી, બુઆ સબ જનાનીયાં હૈ. ને બચ્ચે કો અપને હાથોંમેં સબ સે પહેલે લેનેવાલી ચંપાદાઈ ને તો બોલ કે રખ્ખા હૈ કે જબ ભી જરૂરત પડે મુજે આવાજ દઈઓ. મૈં દોડ કે આ જાઉંગી. તો બહુરિયા કી ફિકર છોડ ઔર અપના કામ કર.” કમને સુખવીંદર શહેરમાં જવા નીકળ્યો ત્યારે એકાંત મેળવીને જસપ્રીતને કહેતો ગયો હતો, “જલદી મતિ કરિયો. મૈં બસ યું ગયા ઔર યું આયા.”

પણ જનમ અને મરણનો સમય ક્યાં કોઈના હાથમાં હોય છે? બીજે દિવસે સવારથી જસપ્રીતને ઠીક નહોતું. વડીલોની મર્યાદા સાચવવા મોઢામાંથી હરફ ન નીકળી જાય એનું ધ્યાન રાખવા છતાં બે ત્રણ વખત એના મોંમાંથી ‘ઊઈ મા, મૈં મર ગઈ …’ એવી ચીસ નીકળી ગઈ ત્યારે ચંપાને બોલાવી. એની પારખુ નજરે તરત જ જોઈ લીધું. “દેખો બાઈજી, મૈં તો બોલું કે અબી ટેમ ગવાના નૈ ચાહિએ. ફિર ઐસા ન હોવે કે જચ્ચા કી જાન કો ખતરા હો જાવે.”

સર્વાનુમતે નિર્ણય લેવાયો કે, ભલે સુખી હાજર ન હોય પણ દાયણને સુવાવડ કરાવવાની હા કહી જ દેવી. પછી તો ચૂલા પર ગરમ પાણીનું તપેલું મુકાયું, ઘરમાંથી જૂના ગાભા કાઢીને ચંપાને અપાયા અને અધ્ધર જીવે સૌ રાહ જોવા લાગ્યાં. બધાંના મનમાં એક જ વાત રમતી હતી, ‘પહેલી બાર મેં તો બેટા હી હોના ચાહિયે. ચંપા બહાર આ કે બધાઈ દેગી તો ઉસે ચાંદી કા છલ્લા દેકર ખુશ કર દેંગે.’ પણ ચંપાએ આવીને જે સમાચાર આપ્યા એ સાંભળીને બધાંયનાં મોં જાણે કાળી સાહી ઢોળાઈ હોય એવાં થઈ ગયાં.

દાદીએ મહાપરાણે આપતાં હોય એમ ચંપાના હાથમાં સો રૂપિયા મૂક્યા ને સાથે સાથે કહી દીધું, “દેખ, છોરી કે આનેપે ઈસ સે જ્યાદા કોઈ નૈ દેતા. જો દેતી હૂં વહી ગનીમત સમજ ઔર નીકલ લે.” ચંપાના ગયા પછી સ્ત્રી વર્ગ એવો ગુમસુમ થઈને બેઠો કે, જાણે કંઈ અજુગતું બની ગયું હોય! સુખીના આવવાનો સમય નજીક આવતો હતો એમ ઘરનું વાતાવરણ ભારે થતું જતું હતું. એને આ દુ:ખદ ખબર કોણ આપશે એની ચર્ચા કર્યા પછી છેવટે નક્કી થયું કે, ઘરની વડીલ સ્ત્રી હોવાને નાતે દાદી વાત કરે એ યોગ્ય છે.

ઘરમાં પગ મૂકતાંની સાથે અધીરા થઈ ગયેલા સુખીએ પૂછ્યું, “કા હુઆ, સબ ખૈરિયત તો હૈ? ઔર જસપ્રીત કહાં ગઈ? વો દિખાઈ નહીં દેતી!”

“સબર કર પુત્તર, ઐસી ભી ક્યા જલ્દી? જરા મુંહ-હાથ તો ધો લે!” પણ સુખી સબર કરી શકે એમ નહોતો.

“મુજે હાથ-મુંહ નૈ ધોણા. પેલ્લા બતાઓ, જચ્ચા-બચ્ચા દોનોં ઠીક તો હૈ ન?”

નાક પર ઊતરી આવેલાં ચશ્માં સરખાં ગોઠવતાં દાદીએ ગળગળા અવાજે કહ્યું, “કા બતાયે પુત્તર, છોરી જનમી હૈ. તૂ શહેર સે ભૂખા-પ્યાસા આયા ઔર તુજે યે મનહૂસ ખબર સૂનાની પડ રહી હૈ.”

સાંભળીને સુખીનો ચહેરો તંગ થઈ ગયો. એના કપાળની નસ ઊપસી આવી. ત્યાં તો અત્યાર સુધી માંડ ચૂપ બેઠેલી બુઆએ પોતાનું દુ:ખ વ્યક્ત કરવા માંડ્યું, “મુજે તો થા કિ, લડકા હોગા તો ભાઈ કે ઘર સે અચ્છા ખાસા નેગ લેકર જાવાંગી પર તેરે સાથ મેરા ભી નસીબ મારા ગયા.” એનો કકળાટ સાંભળીને સુખીનો ચહેરો હતો એનાથી ય વધુ તંગ થઈ ગયો. કશું બોલ્યા વિના એ જસપ્રીતના ઓરડામાં ગયો. નવપ્રસૂતાને સૂતાં સૂતાં બહાર ચાલી રહેલી વાતચીત સંભળાતી હતી. પહેલા ખોળે કુળદીપક ન આપી શકવાને કારણે એ પોતાની જાતને ગુનેગાર તો સમજતી જ હતી એમાં પતિને સામે જોયા પછી એ રડવું ખાળી ન શકી “માફ કર દો, મુજે માફ કર દો” બોલતાં બોલતાં સુખીની નજરનો સામનો ન કરવો પડે એટલે ભીની આંખે પડખું ફરી ગઈ.

સુખીને લાલચોળ ચહેરા સાથે અંદર જતાં જોઈને મા ગભરાઈ ગયેલી. પોતાની સાસુ અને નણંદને ઠપકો આપતાં એ કહેવા લાગી, “ક્યા જરૂરત થી યે સબ બોલને કી? બેચારા ખુદ ભી જાનતા હૈ કે અબ તો જુતિયાં ઘીસ જાયેગી, લડકા ઢૂંઢતે ઢૂંઢતે. કિતને નિકમ્મે લોગોં કે પૈરોં મેં પઘડી રખની પડેગી. પર અબ્બી જ યે સબ સૂનાને કી ક્યા જલદી થી? મૈં ચુપ રહી ન? બોલી કુછ?” મહિલા વર્ગમાં આવી બધી ચર્ચા ચાલી રહી હતી ત્યાં સુખી ધમધમ કરતો ઓરડામાંથી બહાર નીકળ્યો ને કોઈની સામે જોયા વિના બજારના રસ્તા તરફ ચાલવા લાગ્યો.

ડગુમગુ થતાં દાદીમા લાકડીના ટેકે આવ્યાં અને વહુને પૂછ્યું, “કિથ્થે ચલા ગયા સુખી?”

“મૈંનુ કી પતા? બતાકે થોડે હી ગયો હૈ?” થોડી નારાજગી બતાવતાં એણે કહ્યું.

અડધોએક કલાક થયો હશે ત્યાં સંતુ ઢોલીના ઢોલનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ વિચારવા લાગ્યા કે, આ ઢોલક ક્યાં વાગે છે? આખા મહોલ્લાના લોકોએ જોયું કે, સૌથી આગળ સુખી જલેબીનો ટોપલો લઈને ચાલી રહ્યો છે. જે મળે એને આગ્રહથી જલેબી ખવડાવી રહ્યો છે અને પાછળ ગળામાં ઢોલ લટકાવીને સંતુ આવી રહ્યો છે.

ઘરે આવીને સુખીએ પોતે લગ્ન પ્રસંગે પહેરતો એ પાઘડી કબાટમાંથી કાઢીને પહેરી. જસપ્રીતના ઓરડામાં જઈને એણે નવજાત દીકરી સામે પ્રેમથી જોઈને સોની નોટ કાઢીને એને માથેથી ઓવારીને એની નજર ઉતારી. ધીમેથી એ બોલ્યો, “મેરી રાજકુમારી.”

બહાર જોરથી ઢોલ વાગી રહ્યો હતો, ‘તીક ધૂમ ધૂમ …’ આ વખતે જસપ્રીતે આંખમાં આવેલાં આંસુ લૂછવાની કોશિશ ન કરી.

(રામેશ્વર કંબોજની હિંદી લઘુકથાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2024; પૃ. 24

Loading

વડીલોનું જ્ઞાનઘર

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion|17 December 2024

“અખિલ બેટા, તું આપણી બાજુની જમીનમાં આવડું મોટું મકાન શા માટે બનાવે છો? હવે આપણે નવા મકાનની શું જરૂર છે?”

 અખિલે મમ્મી સામે જોઈને પૂછ્યું, “મમ્મી, તમે વૃદ્ધાશ્રમ જોયું છે?”

“ના, બેટા. આપણે શું કામ હોય કે ત્યાં જઈએ ? આપણા કોઈ વડીલો વૃદ્ધાશ્રમમાં નથી રહ્યાં; મોટા ઘર હોય, સુખ, સંપત્તિ હોય અને બાળકોનો પ્રેમ હોય, પછી વૃદ્ધાશ્રમમાં શું કામ રહે. તારી વાત મને સમજાઈ નહીં.”

 “પણ મમ્મી, મેં જોયું છે.”

“અમારે અત્યાર સુધી વૃદ્ધાશ્રમમાં નથી જવું પડ્યું તો તારે શું કામ જવું પડ્યું.”

“મમ્મી, થોડા દિવસ પહેલાં પપ્પા કામમાં હતા. પપ્પા જઈ શકે તેમ નહોતા એટલે તેના બદલે મીટિંગમાં હાજરી આપવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. મારે તો કંઈ કરવાનું નહોતું. ખાલી પપ્પાને બદલે મીટિંગમાં હાજરી આપવાની હતી.

પણ મેં ત્યાં જે જોયું, એ પરિસ્થિતિએ મને વિચાર કરતો કરી દીધો છે. મમ્મી, ત્યાં સંપૂર્ણપણે વડીલોનું ધ્યાન રાખતી અને પૂર્ણ સગવડ આપતી વ્યવસ્થા છે. છતાં પણ વડીલોના મોઢા નિષ્તેજ હતા, શૂન્યમનસ્ક હતા.”

 “તે હોય જ ને, બેટા. જે પોતાના ઘરથી, પોતાનાથી તરછોડાયેલા હોય, તેને સુકુન કે સુખ ક્યાંથી હોય. બેટા, તું કેમ આ બધું વિચારે છે ? અત્યારે  તારે આ બધી બાબત વિચારવાનો સમય નથી. તારા પપ્પા એટલે તો વૃદ્ધાશ્રમ સાથે સતત જોડાયેલા રહે છે. દરેક બાબતનું ધ્યાન રાખે છે.”

“મમ્મી મીટિંગ પૂરી થયા પછી હું ત્યાં કેટલા ય વડીલોને મળ્યો. તેમાં કોઈ કવિ, લેખક, સાહિત્યકાર, શિક્ષક, ભજનીક, વિવેચક, કંઈ કેટલીયે પ્રતિભા ત્યાં છે; કે જે તેના સુવર્ણકાળમાં આભા પ્રસરાવતી હતી. તેના નામના સિક્કા પડતા હતા. આજે એ બધી પ્રતિભામાં આભાનું તેજ છે, જ્ઞાનનો પ્રકાશ છે. પણ પરિસ્થિતિની થપાટથી એ લોકોનું તેજ ક્ષિણ થઈ ગયું લાગે છે. મેં ઘણાં વડીલો સાથે વાત કરી તો તેઓને મનમાં રંજ છે. એ લોકો એમ માને છે કે એ લોકોમાં હજી કૌવત છે. હજી કંઈક કરવાનું ઈચ્છા છે. પરિસ્થિતિએ મજબૂર કરી દીધા છે; છતાં દીકરા કે દીકરીનાં તિસ્કૃત થઈને વૃદ્ધાશ્રમનાં આધારે જીવવું પડે છે. આ તે લોકોનાં દુ:ખનું મુખ્ય કારણ છે. હજી પણ એ લોકો એવા મતના છે કે પોતે પોતાનો રોટલો રળી શકે એટલા તો સક્ષમ છે. છતાં નિરાધાર થઈને જીવવું પડે છે.”

“મેં એ બધાં સાથે વાત કરી. બધાં હજી કંઈક ને કંઈક કરવા સક્ષમ છે અને કામ કરવા માટે તૈયાર પણ છે, જો યોગ્ય તક મળે તો. મારો એવો વિચાર છે કે વડીલો જે કંઈ પ્રવૃત્તિ કરશે તેમાંથી થતી આવક, વૃદ્ધાશ્રમને પ્રેમથી જે કંઈ ડોનેશન મળશે. કવિ, લેખકોએ લખેલ પુસ્તકોને આપણે પ્રકાશિત કરીશું તેની જે કંઈ રોયલ્ટી આવશે, આ સિવાયના બાકી વડીલોમાં કોઈ વકીલ, ડોક્ટર, કે બિઝનેસમેન છે. તેમને તેમની કાર્યદક્ષતા અને જ્ઞાન પ્રમાણે કામ આપશું. ટૂંકમાં દરેક વડીલને કોઈને કોઈ કામ આપશું. જે કંઈ રકમ એકઠી થશે એ બધાં વડીલોની વચ્ચે તેમની સેવા માટે પુરસ્કાર રૂપે વહેંચી દઈશું, એટલે વડીલોને પણ તેમનાં બાળકો પાસેથી અહીયાં રહેવા માટેનો ખર્ચ નહીં માગવો પડે. વૃદ્ધાશ્રમનો તમામ વહીવટી ખર્ચ અને ખૂટતી રકમ આપણે પૂરી કરી દઈશું. આમે ય આપણે વૃદ્ધાશ્રમમાં ડોનેશન માટે ઘણા પૈસા આપીએ છીએ. અત્યારે જે વૃદ્ધાશ્રમનું મકાન છે એ નાનું પડે છે અને જૂનું હોવાથી જર્જરિત થઇ ગયું છે. એ બધાંને નવા મકાનમાં ફેરવી નાખશું. મમ્મી, મારો પ્લાન કેવો લાગ્યો. મેં મારી યોજના વિષે હજી વડીલો સાથે વાત નથી કરી; પણ એ લોકો ચોક્કસ સહમત થશે જ.”

“તેં વાત કરી એ બરોબર છે, પણ તારી યોજનાને અમલમાં મૂકવા માટે તારો પ્લાન શું છે? હું ને તારા પપ્પા તારા અભિયાનમાં સાથે છીએ. તારો વિચાર ખૂબ સુંદર છે. સૌને હક્નો રોટલો વધારે ભાવે.”

“મમ્મી, હું આ બધી વિભૂતિઓને તેની કાર્યદક્ષતા અને કાર્યકૌશલ્ય પ્રમાણે કામ કરવાની સગવડ ઊભી કરવા માગું છું. કવિને, લેખકને લેખન માટેની વ્યવસ્થા; જે લોકોમાં શિક્ષણને લાગતું જ્ઞાન છે અને બાળકોને ભણાવી શકે છે તેમ છે એ લોકો માટે જરૂરિયાતવાળાં બાળકો માટે ખૂબ જ ઓછી ફીથી શિક્ષણવર્ગ ચાલુ કરીશ, જેમાં વડીલ શિક્ષકો તેનું જ્ઞાન પીરસરશે, જેથી જરૂરિયાતવાળાં બાળકો અને શિક્ષક/વડીલો બંનેને ફાયદો થશે. લેખકો, કવિઓ કે અન્ય વિભૂતિઓનાં પુસ્તકો વગેરે છપાવી સમાજમાં વધારાનું જ્ઞાન પિરસીશુ. સાર્વજનિક દવાખાનું ખોલીશું જેથી જરૂરિયાતવાળા દર્દીને યોગ્ય દવા અને સલાહ સૂચન મળી શકે. આ પદ્ધતિથી બધાં જ માટે જુદું જુદું પણ તેમનું મનગમતું કાર્યક્ષેત્ર ઊભું કરવા માગું છું. જેનાથી સમાજને પણ કોઈ ને કોઈ રીતે ફાયદો થાય અને જે તે પ્રભુતાવાળા વડીલને સમય પસાર કરવા સાથે કંઈક કર્યાનો સંતોષ મળે. મમ્મી, જે મકાન બની રહ્યું છે તેમાં મેં આ બધી બાબતોને આવરી લીધી છે અને તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે.”

“તારા પપ્પા સાથે વાત થઈ?”

“મેં પપ્પાની સંમતિ થી જ આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે.”

“વાહ, બેટા, મને તારા માટે ગૌરવ છે. તારી આ યોજનાથી વડીલો પણ જીવન પર્યંત સ્વમાનથી જીવ્યાંનો સંતોષ લઈ શકશે. વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે એ દુઃખ અને વ્યથા ભૂલી જશે. આ ઉપરાંત બાળકોથી તિરસ્કૃત થઈને રહેવું પડે છે, એવું પણ નહીં લાગે. બેટા, જો તારી જેમ આ નવી પેઢી વડીલોનાં સામર્થ્યનો ઉપયોગ કરે તો કદાચ વૃદ્ધાશ્રમમાં વેઈટિંગ લીસ્ટના બદલે વૃદ્ધાશ્રમને બંધ કરવાનો સમય આવે.”

“મમ્મી, મને નામ શું રાખવું એ સૂઝતું નથી. મારે વૃદ્ધાશ્રમ કે એવું કંઈ નામ નથી રાખવું. એ નામ સમાજ માટે કલંકરૂપ લાગે છે.”

“તો બેટા, ‘વડીલોનું જ્ઞાનઘર’ એવું નામ રાખ. તારી યોજના પણ વડીલોને તેના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે મદદરૂપ થાય એવી છે. દરેક વડીલ તેના જ્ઞાનથી સમાજનાં ઉત્થાનમાં ફાળો આપી શકશે. “

“મમ્મી, ખૂબ સરસ નામનું સૂચન છે”. તો ચાલો નવા મકાનનું નામ….”વડીલોનું જ્ઞાનઘર રાખશું.”

“હા, બેટા, આ નવા મકાનનું નામ “વડીલોનું જ્ઞાનઘર”. અખિલના પપ્પાએ પણ ઘરમાં દાખલ થતા નામ અને વાતને અનુમોદન આપી દીધું.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

મુઝે ફડક નહીં પડતા : ડિજીટલ દુનિયાનું બ્રેન રોટ, યાની કે મગજનો સડો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 December 2024

રાજ ગોસ્વામી

દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત શબ્દકોષ પ્રગટ કરતી ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, છેલ્લા 25 વર્ષથી, તેની ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરીમાં દર વર્ષે જનમતના આધારે એક નવો શબ્દ ઉમેરે છે. તેનો પ્રત્યેક ‘વર્ડ ઓફ ધ યર,’ અંગ્રેજી ભાષામાં થઇ રહેલા વિકાસનો તો ઘોતક તો છે જ, પરંતુ ખાસ તો તે સમાજમાં આવી રહેલા બદલાવનો પ્રતિનિધિ છે. જેમ કે 2024ના શબ્દકોષમાં, ઓક્સફર્ડના ભાષાશાસ્ત્રીઓએ ‘બ્રેન રોટ’ (Brain rot) શબ્દને સામેલ કર્યો છે. આ શબ્દને સૌથી વધુ, 37,000 લોકોનો વોટ મળ્યો હતો. આ શબ્દનો અર્થ થાય છે ‘મગજનો સડો.’

જ્યારે કોઈ વ્યક્તિ ડિજિટલ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા અથવા અન્ય ઓનલાઈન મનોરંજન કન્ટેન્ટ ‘આરોગવા’ના કારણે તેની માનસિક ક્ષમતા, ધ્યાન અને વિચાર શક્તિમાં ઘટાડો અનુભવવાનું શરૂ કરે છે, ત્યારે તેને મગજના સડો લાગ્યો છે તેવું કહેવાય. મગજમાં સડો લાગે તેવું કન્ટેન્ટ આપણને ઉપયોગી નથી હોતું, તે આપણી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ કરતું નથી અને આપણને આ ખબર હોવા છતાં જાતને રોકી શકતા નથી.

આ શબ્દ વધુ સૂચક છે કારણ કે તેમાં 21મી સદીની આપણી માનસિકતાનું પ્રતિબિંબ છે. આ શબ્દ સોશિયલ મીડિયા પર ખરાબ અથવા અર્થહીન કન્ટેન્ટ જોવાથી મગજ પર થતી નકારાત્મક અસરની વાત કરે છે. આ શબ્દ આ વર્ષે સૌથી વધુ ચર્ચિત શબ્દોમાંનો એક છે. આ શબ્દ (1995થી 2010 વચ્ચે જન્મેલી પેઢી) ‘જેન ઝી’માં અત્યંત લોકપ્રિય છે. 

2023 અને 2024ની વચ્ચે, આ શબ્દનો ઉપયોગ 230% વધ્યો હતો, પરંતુ સી.એન.એન. ન્યુઝ ચેનલ અનુસાર આ શબ્દ એક સદી જુનો છે. 1854માં હેનરી ડેવિડ થોરો નામના અમેરિકન ઇંગ્લિશ લેખકના પુસ્તક ‘વાલ્ડેન’માં પહેલીવાર ‘બ્રેઇન રોટ’ શબ્દનો પ્રયોગ થયો હતો.

થોરોએ તેમાં પૂછ્યું હતું, “જે ઇંગ્લેન્ડ બટાટાનો સડો મટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે તેના કરતાં વધુ ખતરનાક મગજના સડાને મટાડવાનો પ્રયાસ કરશે?” 

થોરોએ તે સમયના લોકોની માનસિકતા પર વ્યંગ કર્યો હતો. આજે જેમ આપણે કહીએ છીએ કે નવી પેઢી બગડી રહી છે તેમ તે વખતે પણ થોરોને ચિંતા હતી કે લોકો સારા-નરસાનો ભેદ ભૂલીને છીછરી ચીજવસ્તુઓ તરફ વળી રહ્યા છે. તેણે તેને મગજનો સડો કહ્યો હતો.

થોડા સમય પહેલાં, સોશિયલ મીડિયા પર અભિનવ અરોરા નામનો 10 વર્ષનો એક છોકરો ટ્રોલિંગનો શિકાર થયો હતો. મથુરાનો રહેવાસી અભિનવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. તે ઘણીવાર ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના ભક્તિમય વીડિયો પોસ્ટ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.

એક કાર્યક્રમમાં, તે જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે ઊભો હતો અને પછી તેને મૂર્ખ કહીને મંચ પરથી ઉતારી મુક્યો હતો. એ વીડિયો વાઈરલ થયા પછી અભિનવ નેટીઝન્સની ઝપેટમાં આવી ગયો હતો અને મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. તેના ટ્રોલિંગનો જવાબ આપતાં એક વીડિયોમાં અભિનવે તેની તોતડી ભાષામાં એક વાક્ય કહ્યું હતું, “મુઝે ફડક નહીં પડતા.”

ખેર, એ તો અભિનવના ઉચ્ચારણની સ્ટાઈલ હતી, પરંતુ “મુઝે ફડક નહીં પડતા” એવો અભિગમ સોશિયલ મીડિયાની દુનિયામાં રચ્યા-પચ્યા રહેતા હજારો લોકોની માનસિકતાનો ઘોતક છે. 21મી સદીના ડિજીટલ મીડિયાનો જ્યારે ઇતિહાસ લખવામાં આવશે, ત્યારે તેમાં આ ચાર શબ્દોનો ઉલ્લેખ જરૂર આવશે: મુઝે ફડક નહીં પડતા. સોશિયલ મીડિયા, મીમ્સ અને રીલ્સની ભરમારે સૌનાં દિમાગ એટલાં ખરાબ કરી નાખ્યાં છે કે હવે સાચે જ કોઈને કોઈ ‘ફડક’ નથી પડતો. 

અભિનવ અરોરાને જ નહીં, અમેરિકાના પ્રેસિડેન્ટને પણ ‘ફડક’ પડતો નથી. અમેરિકાનો કારભાર હાથમાં લેવાની તૈયારી કરી રહેલા નવનિર્વાચિત ડોનાલ્ડ ટ્રમ્પે, તાજેતરમાં તેમના લાખો સોશિયલ મીડિયા ફોલોઅર્સ માટે એક ઈમેજ પોસ્ટ કરી હતી. એ બ્લેક એન્ડ વ્હાઈટ ઈમેજમાં, આજના ટ્રમ્પ, ગઈકાલના પોપસ્ટાર એલ્વિસ પ્રેસ્લી સાથે ઊભા છે. પ્રેસ્લીના હાથમાં ગીટાર છે અને ટ્રમ્પ બાજુમાં ઊભા રહીને તેની મજા લે છે. 

અલબત્ત, આ ફોટો નકલી હતો. ટ્રમ્પ 31 વર્ષના હતા, ત્યારે 1971માં પ્રેસ્લીનું અવસાન થયું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવેલી આ ઈમેજને ટ્રમ્પે ઉત્સાહથી પોસ્ટ કરી હતી અને તેમના લાખો ચાહકોએ પણ આનંદમાં આવીને તેમાં ભરપૂર કોમેન્ટ્સ કરી હતી તેમ જ વળતામાં આવી બીજી અનેક નકલી ઈમેજ પોસ્ટ કરી હતી.

કોઈ એવું કહી શકે કે તો આ નિર્દોષ આનંદ છે, પણ બે સવાલ ઊભા થાય છે : આનથી દુનિયા કેવી રીતે બહેતર બનવાની હતી? અને, આને મનોરંજન પણ કહેવાય? આને જ બ્રેઈન રોટ કહેવાય છે. ટ્રમ્પ પણ એવું જ કહે છે, મુઝે ફડક નહીં પડતા.

ટેકનોલોજીના પ્રતાપે, ઇન્ટરનેટ પર કચરો પેદા થઇ રહ્યો છે. તેના કારણે લોકોનાં દિમાગ બીમાર થઇ રહ્યાં છે. બ્રેઈન રોટ એ બીમારીનું લક્ષણ છે, બીમારી નહીં. 

આપણે શારીરિક ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા છીએ, પરંતુ ટેકનોલોજીના કથિત આધુનિક સમયમાં આવીને માનસિક રીતે ગુલામ થઈ ગયા છીએ. મનની ગુલામી શરીરની ગુલામી કરતાં બદતર હોય છે, કારણ કે શરીરની ઝંજીરો તો જોઈ શકાય છે, પણ મનની સાંકળો તો આપણે જ બાંધેલી હોય છે, એટલે આપણને એ ગુલામીનો અહેસાસ સુધ્ધાં નથી હોતો. 

માનસિક ગુલામી એટલે શું? સાદી ભાષામાં કહીએ તો, આપણા તરંગો જ્યારે ડહાપણ, વિવેકબુદ્ધિ, નૈતિકતા અને મૂલ્યો પર હાવી થઈ જાય અને આપણે સંપૂર્ણપણે બેબસ થઈ જઈએ તો તે માનસિક ગુલામી કહેવાય.

આપણું મન જ્યારે આપણી સીમા બની જાય અને આપણે એ સીમાને તાબે થઈને જીવવા લાગીએ ત્યારે આપણે માનસિક ગુલામીમાં જીવીએ છીએ તેમ કહેવાય. માનસિક ગુલામ એટલે જેણે પોતાની બૌદ્ધિક ક્ષમતાને ગીરવે મૂકી દીધી છે અને બીજા માણસ કે સમુદાયની માન્યતાઓ અને ઈચ્છાઓને પોતાની કરી લીધી છે તે. 

સોશિયલ મીડિયા આ કામ કરે છે. અહીં બહુ બધા લોકો માનસિક ગુલામીમાં જીવે છે, કારણ કે તેમના વિચારો, લાગણીઓ, માન્યતાઓ, ભાષા, ઈચ્છાઓ તેઓ જે ટોળામાં છે તેના પ્રભાવમાંથી આવે છે. તેમાં અલગ-અલગ ટોળાં પોત-પોતાની ઇકો ચેમ્બરની અંદર રહે છે. તેમને વિચારોની ગહેરાઇમાં જવાની ઈચ્છા નથી. ત્યાં એક શોરબકોર ઊભો કરીને “તારા કરતાં મારી ચોંચ મોટી છે” એવું પુરવાર કરીને લોકો બીજે ક્યાંક ચોંચ મારવા ઉડી જાય છે.

આને ગ્રુપ-થિન્કિંગ કહે છે; બધા વિચારે તેવું વિચારવું, બધા કરે તેવું કરવું તે. ગ્રુપ-થિન્કિંગ વ્યક્તિગત રીતે વિચાર કરવાની ક્ષમતાને નષ્ટ કરે છે. ગ્રુપ-થિન્કિંગમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓનું સમર્થન લેવા માટે એમના જેવા વિચારો કરવા લાગી છે. ગ્રુપમાં રહેવાની આ વૃત્તિને કારણે વ્યક્તિ તટસ્થ રીતે, નીરક્ષીર વિવેક સાથે વિચાર કરવાની તાકાત ગુમાવી દે છે. તેના પરિણામે વાસ્તવિકતાને જેવી છે તેવી જોવા, સમજવા, સ્વીકારવાની ક્ષમતાનું અને નૈતિક વિવેકનું પતન થાય છે. આને જ મગજનો સડો કહે છે. પરંતુ એનાથી કોઈને કોઈ ફડક પડતો નથી. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 15 ડિસેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...320321322323...330340350...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved