Opinion Magazine
Number of visits: 9969650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત આંદોલનોથી ધમધમતું ગુજરાત

પ્રકાશકુમાર રા. મહેરિયા|Opinion - Opinion|9 September 2018

ગુજરાતમાં ચારેકોર દલિત આંદોલનોની ધૂમ છે. રાજ્યના બધા જ ભૂભાગમાંથી નાના મોટા દલિત આંદોલનોના સમાચારો આવી રહ્યા છે. ક્યાંક બહુ મોટાપાયે, તો ક્યાંક સ્થાનિક સ્તરે પણ દલિત આંદોલનોથી ગુજરાત ધમધમી રહ્યું છે. પરિવર્તનના, બદલાવના, ક્રાંતિના એવા ઓગસ્ટ માસના પહેલાં ૨૫ દિવસોના  ગુજરાતના દલિત આંદોલનોની પ્રાપ્ત વિગતોની અહીં જે ઝલક આપી છે તેના પરથી જ લાગી રહ્યું છે કે ગુજરાતનો દલિત, આંદોલન માટે સજ્જ છે અને હવે તે અન્યાય અત્યાચાર સાંખી લેવાના મિજાજમાં નથી.

આમ તો ઉનાકાંડ, રોહિત વેમુલાની સાંસ્થાનિક હત્યા અને કેન્દ્રમાં દલિત વિરોધી શાસનકર્તાંઓથી તંગ આવેલા સઘળા ગરીબો સરકાર સામે વિરોધનું બ્યુગલ ફૂંકી રહ્યા છે. એમાં ગયા માર્ચ મહિનામાં દેશની સર્વોચ્ચ અદાલતે ૧૯૮૯ના અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદાની ધાર સાવ જ બૂઠ્ઠી કરી નાંખતા સુધારા કર્યા તેનાથી વિરોધનો સ્વર વધુ બુલંદ બન્યો. પરંતુ નરેન્દ્ર મોદી સરકારને તેની બહુ તમા નહોતી. સરકારે આ કાયદાને તેના મૂળ રૂપમાં પરત લાવવા વટહુકમની માંગણી ન ગણકારી અને સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટિશનનો રસ્તો લીધો જેમાં કોર્ટે કોઈ દાદ ન આપી. ગયા એપ્રિલમાં દલિતોના સ્વયંભૂ ભારત બંધ અને તેમાં ડઝનેલ દલિતોની હત્યા પછી પણ સરકાર ન જ જાગી. ઉપરથી સુપ્રિમ કોર્ટના જે જજસાહેબે એટ્રોસિટી કાયદાનો દલિત આદિવાસી વિરોધી ચુકાદો આપ્યો તેમને નિવૃત્તિ પહેલાં જ ગ્રીન ટ્રિબ્યૂનલના જજ બનાવી દીધા. આ બધાથી દલિતોનો આક્રોશ વધુ ફાટી નીકળ્યો. દલિત સંગઠનોએ ૯મી એપ્રિલે ફરી ભારત બંધનું એલાન આપ્યું. એટલે સરકાર સક્રિય થઈ અને ૧૯૮૯ના એટ્રોસિટી એકટને તેની મૂળ સ્થિતિમાં આણતું બિલ સંસદના વર્ષાસત્રમાં સર્વાનુમતિએ પસાર કરાવ્યું. સંસદના આ જ સત્રમાં ઓ.બી.સી. આયોગને બંધારણીય દરજ્જો આપતું બંધારણ સુધારા બિલ પણ પાસ થયું છે. એક રીતે આ દલિત આંદોલનની જીત છે. જેની સામે સરકારને નમવું પડ્યું છે.

જો કે ૧૯૮૯ના દલિત આદિવાસી અત્યાચાર પ્રતિબંધક કાયદાને લગતું આ સુધારા બિલ પર્યાપ્ત નથી. કેમ કે તેની સામે અદાલતી કાર્યવાહીની તલવાર ઊભી જ છે. ખરેખર  સરકાર જો આ કાયદાને કાયમી રક્ષણ આપવા માંગતી હોય તો તેને અદાલતી સમીક્ષાથી પર રાખતી બંધારણની નવમી અનુસૂચિમાં સમાવવો જોઈતો હતો. આ તો થયું નથી પણ ભા.જ.પી. સાંસદો બિલ પસાર કરવામાં તેમના ફાળા માટે જાતેને જાતે જ પોતાની પીઠ થાબડી રહ્યા છે. જે પાસવાન પુત્ર ચિરાગે, દલિતોવિરોધી ચુકાદો આપનાર જજની ગ્રીન ટ્રિબ્યુનલમાં જજ તરીકેની નિમણૂક રદ કરવા માગણી કરી હતી, તે માંગ પર તે હવે અડગ નથી અને તેમના પિતાશ્રી કેબિનેટમાં સ્થિર છે.  અત્યાચાર પ્રતિબંધક સુધારા બિલ સંસદના બંને ગૃહોમાં તો સર્વાનુમતે પસાર થયું પણ સંસદ બહાર તેનો નાનકડો પણ બહુ અકળાવે તેવો વિરોધ થયો. રાજધાની દિલ્હીમાં પોલીસોની નજર સામે બંધારણની હોળી કરી, ડો. બાબાસાહેબ આંબેડકર અને દલિતો વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ બાબતની જાણ થતાં દેશભરમાં દલિતોનો રોષ ફાટી નીકળ્યો. ગુજરાતમાં અને દેશમાં અનેક દલિતોએ આ કૃત્ય કરનારા સામે પોલીસમાં લેખિત ફરિયાદો નોંધાવી. અમદાવાદમાં સુરેશ આગજા, અશોક સમ્રાટ અને અન્ય દલિત આગેવાનોની પહેલથી વિરોધ સભા મળી. તેમાં “સંવિધાન સુરક્ષા મંચ”ની રચના થઈ અને તેના ઉપક્રમે અમદાવાદના વાડજ વિસ્તારમાં બાઈક રેલી પણ યોજાઈ હતી.

દલિત આંદોલન જેટલું સામાજિક-રાજકીય મુદ્દે જોવા મળે છે તેટલું આર્થિક મુદ્દે જોવા મળતું નથી તે મહેણું પણ તાજેતરના “બિરસા આંબેડકર સ્વાધિકાર આંદોલન (BASA)”એ  ભાંગ્યું. નવી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રમાં જ કૉન્ગ્રેસના દસાડાની અનામત બેઠક પર ચૂંટાયેલા ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બિન સરકારી વિધેયક દાખલ કર્યું છે. છેક આઠમા દાયકાથી અનુસૂચિત જાતિ જનજાતિ પેટા યોજના અમલમાં છે. તે મુજબ સરકારોએ દલિત આદિવાસી વસ્તીના પ્રમાણમાં બજેટ જોગવાઈ કરી ખર્ચ કરવાનો હોય છે પણ કેન્દ્ર અને રાજ્યોની સરકારો તેમ કરતી નથી. વળી આ બાબતને કાયદાનું પીઠબળ ન હોઈ કાં તો જોગવાઈ મુજબના નાણાં ફાળવાતા નથી, ઓછા ફાળવાય છે અને તેથી ઓછા વપરાય છે. દેશના પાંચ રાજ્યોએ આ અંગેના કાયદા કર્યા છે અને દલિત અંદોલનની પણ તમામ રાજ્યોમાં કાયદાની માંગ છે. બિનસરકારી બિલને વિપક્ષ કૉન્ગ્રેસ અને અન્યનો ટેકો મળવાનો છે પણ તે પર્યાપ્ત નથી. એટલે BASA દ્વારા પ્રથમ તબક્કે ભા.જ.પ.ના તમામ દલિત આદિવાસી ધારાસભ્યોનું સમર્થન મેળવવાનું આંદોલન શરૂ કરાયું છે. તે પ્રમાણે અમદાવાદના બી.જે.પી.ના દલિત ધારાસભ્ય પ્રદીપ પરમાર અને વડોદરાના મનીષા બહેન વકીલનાં ઘરે શાંતિપૂર્ણ સત્યાગ્રહ દ્વારા સમર્થન મેળવવાના અસરકારક કાર્યક્રમો થયા. અપેક્ષા મુજબ ધારાસભ્યો હાજર નહોતાં કે આ અંગેનો તેમનો જાહેર મત તેમણે હજુ રજૂ કર્યો નથી. જો કે જ્યારે  આ બિલ અંગે સર્વસંમતિ સાધવા ગાંધીનગરમાં સર્વપક્ષીય સભા બોલાવવામાં આવી, ત્યારે બી.જે.પી.ના તમામ દલિત આદિવાસી ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. તેના પરથી તેમના વલણનો અંદાજ મળે છે.

બાબાસાહેબ આંબેડકરે દલિતોને આહ્વાન આપતાં કહ્યું હતું કે તમે મારી સઘળી વાતો ભૂલી જાવ તો ભલે પણ અલગ વસાહતો અને જમીનની માંગણી ન જ ભૂલતા. અગ્રણી દલિત કર્મશીલ ભાનુભાઈ વણકરે જમીનના પ્રશ્ને જ શહાદત વહોરી હતી. તેમની શહાદતની અર્ધવરસીએ ગાંધીનગરમાં વિશાળ રેલી અને સભા દ્વારા ભાનુભાઈના આત્મવિલોપન સંદર્ભે, સરકારે જમીન સહિતના મુદ્દે જે વચનો આપ્યા હતા તેનો જવાબ  માંગવામાં આવ્યો તો સૌરાષ્ટ્ર દલિત સંગઠને સાંથણી, ઘરથાળ અને સ્મશાનભૂમિ સહિતની જમીનની માંગ લઈને જૂનાગઢમાં જમીન અધિકાર ઝૂંબેશ શરૂ કરી છે. દલિતોની જમીનોની માંગણીની ચાર મહિના પૂર્વેની વિધિવત દરખાસ્તો અંગે સરકારે કંઈ જ ન કરતાં જૂનાગઢમાં “જવાબ આપો” મહારેલી અને સભા કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં દલિતો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન દ્વારા પોરબંદર અને રાજકોટમાં પણ આવા સંમેલનો કરવામાં આવશે. “સૌરાષ્ટ્ર દલિત સંગઠન” દ્વારા જૂનાગઠ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના તાલુકા અને ગ્રામ સામાજિક ન્યાય સમિતિઓના અધ્યક્ષો અને દલિત સરપંચોનું અધિકાર જાગૃતિ સંમેલન પણ યોજાયું હતું.

શિક્ષણ બાબાસાહેબના ત્રિસૂત્રમાં પ્રથમ ક્રમે છે. આજે દલિતોની જે થોડીઘણી પ્રગતિ દેખાય છે તેના મૂળમાં દલિતોની પહેલી પેઢીએ ભારે દુ:ખો વેઠીને જાતે કે પોતાના સંતાનોને અપાવેલું શિક્ષણ છે. પરંતુ ખાનગીકરણને કારણે શિક્ષણની જે વલે કરવામાં આવી છે તેનાથી સૌથી વધુ શોષાવાનું નબળા વર્ગોને જ આવ્યું છે. એક તરફ સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે તો બીજી તરફ ખાનગી શાળાઓમાં ભણતા દલિત આદિવાસી બાળકો તવંગર થઈ ગયા છે એમ માનીને તેમની સ્કોલરશિપ સહિતના લાભો બંધ કરી દીધા છે. દલિત અગ્રણી માર્ટિન મેકવાનના નેતૃત્વમાં, કિરીટ રાઠોડના સંયોજક પદે, “આભડછેટ મુક્ત ભારત અભિયાન”ના નેજા હેઠળ રાજ્યની ખાનગી શાળાના દલિત વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ અને ગણવેશ સહાય ચાલુ કરવા “વોટ નહીં, લોટ આપો”નું નવતર અભિયાન સમગ્ર રાજ્યમાં ઉપાડવામાં આવ્યું છે. અમદાવદ કલેકટરને લોટની થેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ પછી રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

દલિત આગેવાન રાજુ સોલંકી અને તેમના સાથીઓ શિક્ષણના અધિકાર કાનૂન, ખાસ કરીને ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બાળકોના પ્રવેશ, બાબતે ખૂબ જ સક્રિય છે. “દલિત હક્ક રક્ષક સમિતિ”એ  આ માટે કાયદાકીય અને આંદોલનાત્મક સંઘર્ષો કર્યા છે. દર વરસે એડમિશન શરૂ થતાં જ તે માટેની કાર્યવાહી તેઓ શરૂ કરે છે. જેમને પ્રવેશ ન મળે તેમના પ્રવેશ, શાળા ટ્રાન્સફર અને એક કરતાં વધુ તબક્કામાં ચાલતી પ્રવેશ પ્રક્રિયા-જેવી થકવી નાંખતી અને ભારે કસોટી કરનારી પ્રક્રિયામાં રાજુભાઈ સતત મંડ્યા રહે છે. સાબરતીની નવનિર્માણ શાળાના વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં શાળા છોડવાનું કારણ “અસામાજિક તત્ત્વોએ શાળાનો કબજો લઈ લીધો” હોવાનું જણાવ્યું હતું કે એક વિદ્યાર્થીના એલ.સી.માં તેની જાતિ “હિંદુ ભૈયાજી” લખી હોવાનું પણ રાજુભાઈ શોધી લાવ્યા છે. હવે “દલિત પેન્થર નારણ વોરા એજ્યુકેશન ફાઉન્ડેશન” મારફતે નબળા વર્ગના બાળકોને ફી માટેની આર્થિક સહાય, સમાજના સહકારથી પૂરી પાડી રહ્યા છે. તેમના આ કાર્યમાં, દલિત ઉપરાંત શિક્ષણનું જ્યાં અલ્પ પ્રમાણ છે તેવા દેવીપૂજક સમાજના બાળકોને પણ મદદ અને માર્ગદર્શન મળી રહ્યાં છે.

જ્ઞાતિ નિર્મૂલન સમિતિ, અમદાવાદ, ૨૨ બંધારણીય અધિકારો માટે છેલ્લા છ વરસોથી કાર્યરત છે તેના ઉપક્રમે સંજય પરમાર, રાજેશ સોલંકી અને કલ્પેશ વોરા દ્વારા તાજેતરમાં  અનામત રોસ્ટર એક્ટ અને ખાસ અંગભૂત યોજના એક્ટ માટે મંત્રીઓ, ધારાસભ્યો અને વહીવટી તંત્રને આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવે છે. દલિત કર્મશીલ કાંતિલાલ પરમાર અત્યાચારોના મુદ્દે ભારતના માનવ અધિકાર પંચમાં સતત રજૂઆતો કરત રહે છે અને સારા પરિણામો મેળવે છે. ભરત મૂસડિયાના નેતૃત્વમાં ચાલતું “રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠન”, વરસોથી લટકતા ધોરાજીની દલિત છાત્રાલયને સરકારી ગ્રાંટ મળે તે માટે અનેક વિરોધ કાર્યક્રમો અને મંત્રીઓને રજૂઆતો કરી છે. આ વખતે ભરતભાઈએ સૌરાષ્ટ્રના તમામ મંત્રીઓ અને રાજ્યના સામાજિક અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારને ગાંધીનગરમાં રૂબરૂ રજૂઆત કરી છે. સામાજિક કાર્યકર કૌશિક પરમાર દલિતો પરના અંદોલન દરમિયાનના ખોટા કેસો પાછા ખેંચાવવા કૃત નિશ્ચયી છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું આંદોલનકારી રૂપ સતત જોવા મળે છે. વડી અદાલતે શહેરોના ટ્રાફિક જામ અંગે સૂચન શું કર્યું કે અમદાવાદના મ્યુિનસિપલ કમિશનર અને પોલીસ કમિશનર લારી ગલ્લાવાળા, ફેરિયા અને રિક્ષાઓવાળા પર તૂટી પડ્યા. દબાણમુક્ત અને ટ્રાફિકજામ મુક્ત શહેર કરવા માટે જાણે કે લારી ગલ્લા અને રીક્ષાઓ હઠાવવી એ જ એક માત્ર રસ્તો છે. એટલે આ બધા ગરીબોને ધંધારોજગાર વગરના કરી દીધા. રાકેશ મહેરિયાના નેતૃત્વમાં અમદાવાદના લારી ગલ્લાવાળા એકત્ર થયા છે. તેમણે અમાદાવાદમાં વિશાળ રેલી કાઢી, ૨૦૧૪ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કરવાની માંગણી સાથે સત્તાવાળાઓને સવાલ કર્યો કે, પેટ પહેલાં કે પગ ? જિજ્ઞેશ મેવાણી લારી ગલ્લાવાળાઓના આંદોલનમાં મોખરે હતા, તો દલિત આદિવાસી ખાસ અંગભૂત યોજનનાના કાયદાની માંગણીના આંદોલનમાં અમદાવાદ અને વડોદરામાં પણ હતા. કચ્છ અને પાટણની જમીનોના મુદ્દે આ જ દિવસોમાં તેમણે આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા અને અમદાવાદના બાપુનગરમાં બૂટલેગરોનો ત્રાસ વધતાં ગરીબ મુસ્લિમ મહિલાઓ સાથે કમિશનર કચેરીએ હલ્લો કર્યો હતો. કચ્છના જિલ્લા મથક ભુજથી અડધી રાતે માજીદ આદમભાઈ થેબા નામક મુસ્લિમ યુવકની પોલીસે ધરપકડ કરી તે પછી તેને ગુમ કરી દીધા તો તે અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકારમાં ઉગ્ર રજૂઆત કરી. એડવોકેટ શમશાદ પઠાણની આગેવાનીમાં હવે અમદાવાદથી ભુજની માજીદ ખોજ યાત્રાનું આયોજન થયું  છે. શમશાદ પઠાણ સામેની એક ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા બાર એસોસીએશનના અગ્રણીઓ સાથે જિજ્ઞેશ મેવાણીએ પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. અમદાવાદમાં જ્યારે ભાનુભાઈ વણકરના શહાદતની અર્ધવરસીના  આયોજનની બેઠક ચાલતી હતી, ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ઓઢ્વની ટીમ અને દાણીલીમડાની ટીમ સ્થાનિક પ્રશ્નોને લઈને સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનો ગજવી રહી હતી. રામોલ-જશોદાનગરની ટીમના અગેવાનો આઝાદી દિવસે અત્યાચારનો ભોગ બનેલા આણંદ જિલ્લાના સારસાના દલિત કુટુંબ વચ્ચે હતા. વડાપ્રધાન એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જૂનાગઢના આગેવાન ભરત પરમાર (બાંટવા ) અને  અમદાવાદ વેજલપુરના રાકેશ મહેરિયાને પોલીસે આગલા દિવસથી જ નજરકેદ કરી ડિટેઈઈન કરી લીધા હતા. RDAM ગાંધીનગર દ્વારા પાટનગરના ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના ન હઠાવવા દેખાવો ધરણાનો કાર્યક્રમ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે થયો હતો. છારાનગરમાં પોલીસે જે રીતે નિર્દોષ લોકો પર બેરહેમ જુલમ ગુજાર્યો, તેનો વિરોધ કરવામાં  જિજ્ઞેશ મેવાણી મોખરે રહ્યા હતા. બનાવના ૪૮ કલાકમાં છારા સમાજના યુવાનોએ જે શાંત અને અહિંસક પ્રતિકાર કર્યો તે અજોડ હતો, તે પછી જિજ્ઞેશભાઈની છારાનગરની મુલાકાત અને તેના બીજા અઠવાડિયે સાંસ્કૃિતક કાર્યક્રમ કરીને છારાનગરનો પોલીસ અત્યાચાર માનવ અધિકારોનું  હનન છે તે બાબતે સરકારનો જવાબ મંગાયો હતો. ભાઈ જિજ્ઞેશ અને તેમના સાથીઓ ગુજરાતના દલિત આંદોલનોમાં કેવા રણમોઝાર હોય છે તેના આ થોડા ઉદાહરણો છે.

ફેર વેલ ફેર નાડિયા સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ અમદાવાદ દ્વારા અમદાવાદના સરકીટ હાઉસમાં, નાડિયા સમાજની વાડી, નાડિયા સમાજનું બંધારણ, શિક્ષણમાં ઉન્નતિ,  કુરિવાજ નિર્મૂલન ગામડાંઓમાં સમૂહ લગ્ન જેવા પ્રશ્નો માટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ  યોજાય કે “વણકર યુવા સમિતિ”, વડોદરા દ્વારા વિદેશમાં વસતા NRI વણકર જ્ઞાતિમિત્રો તેમ જ ભારતમાં વસતા અને NRI પાત્ર શોધતા વણકર જ્ઞાતિમિત્રોનું પસંદગી સંમેલન આયોજિત થવાનું હોય, પોલીસ અને સમકક્ષ જગ્યાઓમાં નોકરી માટે દલિત યુવાનોને તાલીમ આપવાનું આયોજન સંત રોહિદાસ સમાજ સંકુલ, ગાંધીનગર ખાતે થતું હોય તે પણ દલિત આંદોલનની અને દલિત સમાજની બલિહારીરૂપ બાબતો છે. થોકબંધ દલિત આંદોલનોથી ગુજરાત ગાજી રહ્યું છે. વેરવિખેરને બદલે કોઈ એક છત્ર નેતૃત્વ અને સમાન મુદ્દાઓ અંગે સૌ એક થઈએ તો શું ધાર્યું પરિણામ ન લાવી શકાય?  ગુજરાતના દલિતો તમે સાંભળો છો?

સૌજન્ય : “દલિત અધિકાર (પાક્ષિક)”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 01-03

Loading

Cell Phone and Prayer

Mahendra Shah|Opinion - Cartoon|9 September 2018

e.mail : mahendraaruna1@gmail.com

Loading

હિન્દુત્વવાદીઓએ આજે જે જગ્યા મેળવી છે એમાં જૂઠાણાંઓ અને કુપ્રચારનો જેટલો ફાળો છે એના કરતાં કૉન્ગ્રેસના પાપનો ફાળો મોટો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 September 2018

એક તો અભણ ગરીબ પ્રજા, નાગરિકધર્મનું ભાન નહીં, એમાં પાછી સેંકડો ઓળખોમાં આપસમાં વહેંચાયેલી, આપસમાં ઝઘડનારી અને એકબીજાના ઈરાદા વિષે શંકા કરનારી, એક ભાષા અને એક ધર્મ વિનાની, કહો કે પરચૂરણની થેલી. એક બાધો રૂપિયો ન મળે, પરચૂરણ જ પરચૂરણ. ૧૯૫૨માં પહેલીવાર લોકસભાની અને પ્રાંતોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે પશ્ચિમના દેશોને એમ લાગતું હતું કે આ ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી હશે.

આપણે જોયું કે આઝાદી પછી કૉન્ગ્રેસને ગાંધીજીએ વિકસાવેલી ઇન્દ્રધનુષી એકતાનો લાભ મળ્યો હતો, અને પાંચ પાંચ દાયકા સુધી એકચક્રી શાસન કર્યું હતું. બીજી બાજુ ગાંધીજીને કારણે જમીનદોસ્ત થઈ ગયેલાઓએ ધીરે-ધીરે પોતાની જગ્યા બનાવવાની હતી. કૉન્ગ્રેસ ગાંધીજીના ખભા પર બેઠી હતી એટલે એની ગુસ્તાખીનો કોઈ પાર નહોતો તો બીજી બાજુ ગાંધીજીના અનાગ્રહી એકત્વનો વિરોધ કરનારા પક્ષો ગાંધીજીના પગ નીચે કચડાયેલા હતા, એટલે તેમની ગાંધીજી પરત્વેની અસૂયાનો પણ પાર નહોતો. આઝાદી પછી બે અંતિમેથી સ્પેસ મેળવવાની બે યાત્રા શરૂ થાય છે.

આઝાદી પછી ત્રીજા પક્ષકાર તરીકે અંગ્રેજોએ વિદાય લીધી અને ત્રીજા પક્ષકારની જગ્યા સંસદભવને (રાજ્યોમાં વિધાનભવનોએ) લીધી. અંગ્રેજોથી ઊલટું આ ત્રીજો પક્ષકાર સ્વયંસંચાલિત છે. એ પોતે કાંઈ જ કરતું નથી. એ માત્ર એટલું કહે છે કે મારી પાસે ૫૪૩ બેઠકો છે અને બહાર ૫૪૩ મતદારક્ષેત્રો છે જે ચૂંટાઈ શકે એ આવે. કોઈ પક્ષપાત નહીં, કોઈ સમજૂતી નહીં, કોઈ કોટા નહીં, કોઈ કરાર નહીં. સંખ્યા બતાવો અને જગ્યા મેળવો. જેને અહીં પ્રવેશ મળશે એને જ સત્તા મળશે એ દેખીતી વાત છે. અંગ્રેજો આપનારા હતા એટલે ભારતીય પ્રજાને આપસમાં લડાવતા હતા અને સંસદભવન માત્ર ૫૪૩ લોકપ્રતિનિધિઓને સમાવે છે એટલે પ્રવેશ મેળવવા ઈચ્છનારાઓ વગર કહ્યે આપસમાં ઝઘડે છે.

આઝાદ ભરતના સ્વરૂપ (આઈડિયા ઓફ ઇન્ડિયા) વિષે જે લોકોએ કલ્પના કરી હતી તેમને જાણ હતી કે આવું બનશે. આમાં ભારતે વળી સંસદીય લોકતંત્રનો ઢાંચો અપનાવ્યો એટલે આવું બનવાની શક્યતા વધી ગઈ હતી. એક તો અભણ ગરીબ પ્રજા, નાગરિકધર્મનું ભાન નહીં, એમાં પાછી સેંકડો ઓળખોમાં આપસમાં વહેંચાયેલી, આપસમાં ઝઘડનારી અને એકબીજાના ઈરાદા વિષે શંકા કરનારી, એક ભાષા અને એક ધર્મ વિનાની, કહો કે પરચૂરણની થેલી. એક બાધો રૂપિયો ન મળે, પરચૂરણ જ પરચૂરણ. ૧૯૫૨માં પહેલીવાર લોકસભાની અને પ્રાંતોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે પશ્ચિમના દેશોને એમ લાગતું હતું કે આ ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી હશે. કમસેકમ પ્રમુખશાહી અપનાવી હોત તો પણ વાંધો નહોતો, આ તો રગટાંટિયાએ સંસદીય લોકતંત્રની પહેલવાની બતાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે ધૂળ ચાટતો થઈ જશે.

પશ્ચિમના લોકો અને વિદ્વાનો આવું એટલા માટે મનાતા હતા કે તેમની રાષ્ટ્રની કલ્પના અને રાષ્ટ્રનિર્માણનો અનુભવ એમ કહેતો હતો કે સાવ પરચૂરણથી લોકતંત્ર ન ચાલે. કમસેકમ બે-ચાર બાધા રૂપિયા તો જોઈએ જ અને જો એક જ બાધો રૂપિયો હોય તો એના જેવું કાંઈ જ નહીં. પશ્ચિમી રાષ્ટ્રવાદથી પ્રભાવિત કેટલાક લોકો આપણે ત્યાં પણ હતા અને તેમને પણ એમ લાગતું હતું કે સાવ પરચૂરણથી નહીં ચાલે, એક બાધો રૂપિયો તો જોઈએ જ અને એ રૂપિયો ભારતમાં હિન્દુ ધર્મ જ બની શકે. કેટલાક દેશોમાં ભાષાને પણ રાષ્ટ્રવાદના પાયાના પથ્થર તરીકે જોવામાં આવે છે. બંગલાદેશ આનું ઉદાહરણ છે. બંગાળી રાષ્ટ્રવાદના નામે તે પાકિસ્તાનથી અલગ થયું હતું અને અત્યારે ત્યાં બંગાળી રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે ઝઘડો ચાલે છે. આને પરિણામે બંગાળી રાષ્ટ્રવાદીઓ બિહારી મુસલમાનોને સતાવે છે, કારણ કે તેઓ બંગાળી નથી અને ઇસ્લામિક રાષ્ટ્રવાદીઓ હિન્દુ અને બૌદ્ધ ચક્માઓને સતાવે છે, કારણ કે તેઓ મુસલમાન નથી.

ટૂંકી ઓળખો બાજુએ મૂકીને માણસ બનવું એ બહુ મોટો તકાદો છે અને આધુનિક સભ્ય ભારતની કલ્પના કરનારાઓએ એ જોખમ ખેડ્યું હતું. એક તો પરચૂરણની થેલી અને એમાં સંસદીય લોકતંત્ર. ક્યાંથી આવ્યો આ આત્મવિશ્વાસ? કોણે આપ્યો આવો આત્મવિશ્વાસ? ઉત્તર માત્ર અને માત્ર એક જ છે : મોહનદાસ કરમચંદ ગાંધી. વિશ્વવંદ્ય મહાત્મા. તેમણે ભારતની પ્રજાને શીખવાડ્યું કે તાકાત બાધા રૂપિયામાં છે એ કલ્પના જ ખોટી છે, પરચૂરણ પોતે એક તાકાત છે જો આત્મવિશ્વાસ અને અનાગ્રહ હોય તો. આપણે પરચૂરણ છીએ એટલે  શરમાવાની કોઈ જરૂર નથી અને એમાંથી બાધો રૂપિયો પેદા કરવાની પણ કોઈ જરૂર નથી. દિમાગમાં જે લઘુતાગ્રંથિ છે એને ફગાવી દો.

એટલે તો ભારતનું વિભાજન થયું હતું અને હિંદુઓ અને મુસલમાનો એકબીજાનું લોહી વહાવી રહ્યા હતા ત્યારે ભારતની બંધારણસભાએ જરા પણ વિચલિત થયા વિના માનવસભ્યતાને એક અનોખા ગ્રન્થની નવાજેશ કરી જેનું નામ હતું : ભારતનું બંધારણ. એને બાયબલ અને કુરાનની જેમ ‘ધ બૂક’ કહી શકાય. એ માનવીય સમાજની રચના કરવાનો માનવતાવાદી દસ્તાવેજ છે, જે ભારતે વિશ્વસમાજને ભેટ આપ્યો છે. એ દિવસો અને એ સ્થિતિની કલ્પના કરો તો કબૂલ કરવું પડે કે આવું માત્ર અને માત્ર ભારતમાં જ બની શકે. અસ્મિતાઓના ઉદધિ (સમુદ્ર) સમાન ભારતમાં જ બની શકે. ગાંધીના ભારતમાં આવું બની શકે જેમણે પરચૂરણ હોવાની લઘુતાગ્રંથિ દૂર કરી હતી, બલકે ગૌરવભાન વિકસાવ્યું હતું. ભારતની પ્રજામાં તેમણે ભારતીય હોવાપણાનો ક્યારે ય જોવા નહોતો મળ્યો એટલો આત્મવિશ્વાસ પેદા કરી આપ્યો હતો.

એવું નથી કે ભારત બાધો રૂપિયો હતો અને પરચૂરણમાં ફેરવાઈ ગયો, ભારત પરચૂરણની થેલી જેવો જ દેશ પહેલેથી હતો અને છતાં હજારો વરસથી ટકી રહ્યો છે. જગતની અનેક સભ્યતાઓ આથમી ગઈ છે; પરંતુ ભારતીય સભ્યતા કાયમ છે, પરચૂરણ હોવા છતાં. સ્વાભાવિકપણે હિન્દુ રાષ્ટ્રવાદીઓએ બીજા અંતિમે જઇને ભારતના ઇતિહાસમાં શીર્ષાસન કરવું પડે છે. તેઓ એમ કહે છે કે ભારત બાધો રૂપિયો જ હતો, પરંતુ વિદેશી આક્રમણકારોએ બાધા રૂપિયાને તોડીને પરચૂરણમાં ફેરવી નાખ્યો. તેમણે પશ્ચિમમાંથી રાષ્ટ્રવાદ ઉછીનો લીધો છે એટલે હિન્દુ ધર્મને ભારતીય રાષ્ટ્રવાદના પાયાના પથ્થર તરીકે કે બાધા રૂપિયા તરીકે પ્રતિષ્ઠિત કરવો જરૂરી છે. હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે તેઓ શા માટે ઇતિહાસના વિદ્યાર્થી પર નિર્મમપણે બળાત્કાર કરી રહ્યા છે?

તો ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે બે અંતિમો હતા. ભારત એક પરચૂરણ અસ્મિતાઓનો દેશ છે એ વાસ્તવિકતાનો સ્વીકાર. માત્ર સ્વીકાર નહીં એ વાતનું ગૌરવ. પરચૂરણનો દરેક દોકડો અનાગ્રહી હોય તો ચિંતા કરવાની જરૂર જ નથી. વળી ભારતનું બંધારણ જ એવું ઘડવામાં આવ્યું હતું જેમાં પરચૂરણના દરેક દોકડા સંતુલન જાળવવાનું કામ કરતા હોય. બીજા અંતિમે હિન્દુ રાષ્ટ્રવાદીઓ હતા જેઓ હિન્દુ ધર્મને બાધા રૂપિયા તરીકે સ્થાપિત કરવા માગતા હતા. ગાંધીજીનો રાષ્ટ્રવાદ અનાગ્રહી છે, જ્યારે હિન્દુત્વવાદીઓનો રાષ્ટ્રવાદ આગ્રહી છે. તેમને એક વાત સમજાઈ ગઈ હતી કે જ્યાં સુધી ગાંધી અને ગાંધીવિચારનો કાંટો કાઢવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભારતમાં ફાવવાના નથી. ભારતમાં હિન્દુઓ સર્વોપરિ હોવા જોઈએ એવી તેમની શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દલીલ સરેરાશ હિન્દુને ગળે ઊતરતી નથી અને ગાંધીજીની હિન્દુની જગ્યાએ માનવી બનવાની દલીલ સરેરાશ હિન્દુને ગળે ઊતરે છે.

આ માણસે આઝાદીની લડતને પ્રભાવિત કરી, ભારતીય પ્રજાનું માનસ બદલી નાખ્યું, કૉન્ગ્રેસનું કલેવર બદલી નાખ્યું, ભારતીય રાજકારણનો ચહેરો બદલી નાખ્યો, તેમની કલ્પનાનું ભારત બંધારણમાં દસ્તાવેજ થયું, તેમની કલ્પનાનું ભારત એક રાજ્ય તરીકે આકાર પામ્યું, ભારત કોમી વિભાજનનો આઘાત પચાવી ગયું, કૉન્ગ્રેસને ઇન્દ્રધનુષી એકતા(રેઈનબો કોએલિશન)નો લાભ અપાવ્યો આ બધું માત્ર અને માત્ર એક માણસને કારણે થયું છે, એટલે તેનો કાંટો કાઢવો જરૂરી છે. ૧૯૪૮માં તેમની હત્યા કરવામાં આવી અને ૧૯૨૫થી ચારિત્ર્યહનન કરવામાં આવી રહ્યું છે. તેમના વિષે જેટલા જૂઠાણાંઓ પેદા કરવામાં આવ્યાં છે અને વહેતાં કરવામાં આવ્યાં છે એટલા આ સંસારમાં બીજા કોઈ માણસ વિષે કરવામાં આવ્યાં નથી. ટાર્ગેટ ગાંધી છે. ટાર્ગેટ ગાંધીની કલ્પનાનું ભારત છે. ટાર્ગેટ ગાંધીની કલ્પનાનો દસ્તાવેજ અર્થાત્ બંધારણ છે અને ટાર્ગેટ હિન્દુની જગ્યાએ ભારતીય અસ્મિતાનો સ્વીકાર કરનારી ભારતની પરચૂરણ અસ્મિતાઓ છે. જ્યાં સુધી ગાંધીને મારવામાં નહીં આવે ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી એ તેઓ જાણે છે.

પ્રારંભમાં ઉપસ્થિત કરેલો સવાલ હજુ અનુત્તરિત છે. શા માટે ભારતે સંસદીય લોકશાહી અપનાવવાનું જોખમ લીધું? એક પણ બાધો રૂપિયો ન હોય એવું પરચૂરણ લોકશાહી અપનાવે અને એ પણ સંસદીય લોકશાહી? સંસદ કહે છે કે મારી પાસે ૫૪૩ બેઠકો છે, બહાર ૫૪૩ મતદારક્ષેત્રો છે, જાવ ચૂંટાઈ આવો અને સંખ્યા બતાવીને પ્રવેશ મેળવો. સંસદીય લોકશાહીમાં સત્તાનો રસ્તો સંસદથી જાય છે એટલે લોકસભામાં પ્રવેશવા માટે હરીફાઇ થાય એ સ્વાભાવિક છે. હરીફાઈ વિભાજનો પેદા કરે છે અને ભારત જેવા પચરંગી સમાજમાં સામાજિક વિભાજનો પેદા કરવા તો વળી વધુ સહેલું છે. એવું નથી કે બંધારણ ઘડનારાઓને આ બધી વાતની જાણ નહોતી. જોખમોની તેમને કલ્પના હતી અને એ છતાં સંસદીય લોકશાહી પસંદ કરવામાં આવી હતી.

ભારતીય સમાજ અનેક પ્રકારના તાણાવાણાઓનો બનેલો છે. એ સમાજમાંથી જો ભારતીય રાષ્ટ્ર વિકસાવવું હોય તો એ તાણાવાણાઓ એકબીજાના સંપર્કમાં અને એકબીજાની નજીક આવે એ જરૂરી છે. તેમની વચ્ચે ક્વચિત હરીફાઈ થશે, સંઘર્ષ થશે, મારામારી થશે પણ એ છતાં તેઓ જોડાયેલા રહે એ જરૂરી છે. તેઓ પોતે જ લડી આખડીને સહઅસ્તિત્વ માટેની ભૂમિકા રચી કાઢશે. એટલે તો ગાંધીજીએ ૧૯૩૨માં હરિજનો માટેના અલગ મતદારસંઘનો વિરોધ કર્યો હતો. મજિયારા મતદાર ક્ષેત્રમાં હરિજનો અને સવર્ણો નાગરિક તરીકે એક સાથે મતદાન કરશે અને એક જ ઉમેદવારને ચૂંટશે ત્યારે ભારતીય રાષ્ટ્ર આકાર પામશે. જો ડૉ. આંબેડકરની માગણી માન્ય રાખવામાં આવી હોત, તો ભારતના સૌથી મોટા રાજ્યમાં દલિત સ્ત્રી (માયાવતી) મુખ્ય પ્રધાન ન બની શકી હોત. ટૂંકમાં દરેક તાણાવાણાને હરીફાઈ અને સ્વાર્થજન્ય લડાઈ ઝઘડા છતાં નજીક-નજીક રાખવાનો આ રાષ્ટ્રીય યજ્ઞ છે. પ્રમુખશાહી કરતાં સંસદીય લોકશાહીમાં તાણાવાણા નજીક આવે અને પોત રચાય એવી સંભવના વધુ છે. બીજું, પચરંગી સમાજમાં સંસદીય લોકશાહી વધુ સંતુલન પેદા કરે છે.

એ જોખમ હતું અને ગણતરીપૂર્વક ઉઠાવવામાં આવેલું જોખમ હતું. આપણે અત્યારે સંસદીય લોકશાહીની હંગામી કિંમત ચૂકવી રહ્યા છીએ. એ હંગામી હશે એની મને શ્રદ્ધા છે. દરેક પજા ઓળખના આધારે સંગઠિત થઈ રહી છે અને રાજકીય-આર્થિક વર્ચસ સ્થાપિત કરવા આપસમાં ઝઘડી રહી છે. હિન્દુત્વવાદીઓની જેમ તેમને પણ ગાંધીજી નડે છે કારણ કે તેઓ પટેલને પટેલ બનવા નથી દેતા અને મરાઠાને મરાઠા બનવા નથી દેતા. પરચૂરણનો દરેક દોકડો પોતાને બાંધેલા રૂપિયા તરીકે પ્રસ્થાપિત કરવા મથે છે અને ગાંધીજી કહે છે કે પરચૂરણની આખી થેલી સાથે ન હોય તો દોકડાની કિંમત દોકડાની પણ નથી. આમ ગાંધીજીને ગાળો આપવામાં તે પણ અગ્રેસર છે. ગાંધીજીએ અમારા માટે શું કર્યું અથવા તો અમને તો અન્યાય કર્યો વગેરે. આને કારણે તેઓ હિન્દુત્વવાદીઓનું ગાંધીજી સામેનું ઝેર સાચું માનીને અપનાવી લે છે.

આ સંસદીય લોકશાહીની હંગામી કિંમત છે. જો કૉન્ગ્રેસે વિવિધ સમાજની અંદર પેદા થવા લાગેલી અસ્મિતાઓની સભાનતા અને તેમની વચ્ચેની હરીફાઈઓને રાષ્ટ્રીય હિતમાં દૂરંદેશી વાપરીને હાથ ધરી હોત, તો આજે ભારતનો અને કૉન્ગ્રેસનો ઇતિહાસ જુદો હોત. કૉન્ગ્રેસે સત્તાના રાજકારણમાં અસ્મિતાકીય સંઘર્ષોનો ઉપયોગ કર્યો હોત. સંખ્યાની ગણતરીઓ માંડીને કૉન્ગ્રેસે સમાજ વિભાજક રાજકારણ કરવા માંડ્યું હતું. ગાંધીજી જે શીખવાડીને ગયા હતા એનાથી તદ્દન બીજા અંતિમે. પરિણામ એ આવ્યું કે ત્યારે કૉન્ગ્રેસ બધાની હતી અને આજે કૉન્ગ્રેસ કોઈની નથી.

બીજી ભૂલ શિક્ષણના ક્ષેત્રે થઈ છે. શિક્ષણના વિસ્તારની સાથે જે તે સમાજના લોકોમાં પોતાના વિશેની ઓળખ અને અસ્મિતાભાન વિકસ્યું છે. એની સાથે સંસદીય લોકશાહીના કારણે તેમને તેમની સંખ્યાની તાકાત સમજાઈ છે. આ તો થવાનું જ હતું, પરંતુ તેની સાથે નાગરિકભાન પણ વિકસવું જોઈતું હતું. આપણે પહેલાં માણસ છીએ, એ પછી ભારતના નાગરિક છીએ અને એ પછી બીજા જે કોઈ હોઈએ તે છીએ. આપણું શિક્ષણ આ મૂલ્યભાન વિકસાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.

છેક ૧૯૫૫માં વોટ બેંક નામનો શબ્દ પ્રયોગ જાણીતા સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે ઉપયોગમાં લીધો હતો. વોટ બેંક શબ્દપ્રયોગના જનક એમ.એન. શ્રીનિવાસ છે. માયસોરમાં જન્મેલા શ્રીનિવાસે માયસોર યુનિવર્સિટીની પી.એચડી.ની ડિગ્રી મેળવવા માટે ૧૯૪૦માં કર્ણાટકના કૂર્ગ પ્રદેશના વસતી કોડાવા નામની જાતિ-પ્રજાતિનો અભ્યાસ કર્યો હતો. એ પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીની પી.એચડી.ની ડિગ્રી મેળવવા તેમણે એ જ પ્રદેશના કોડાવા પ્રજાનો ફરી એકવાર સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો. ૧૯૪૦ અને ૧૯૫૫માં પડેલા ફરક વિષે શ્રીનિવાસ લખે છે કે એ ગ્રામીણ પ્રજા વોટ બેંકમાં ફેરવાઈ રહી છે. કોડાવા હોવાપણાનું, સંખ્યાનું અને વટાવી શકાય એવી વોટ બેંકની સભાનતા તેમનામાં વિકસવા લાગી છે. આ ૧૯૫૫નું નિરીક્ષણ છે, પહેલી સામાન્ય ચૂંટણી પછી તરતનું.

બીજો અભ્યાસ ૧૯૬૧માં જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સંસદીય લોકશાહી સમાજમાં વિભાજનો પેદા કરી રહી છે અને તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. ૧૯૬૪માં તેમણે એક સમાજને બીજા સામે વાપરનારા સંખ્યાના સોગઠા બેસાડવાના કૉન્ગ્રેસના રાજકારણને ‘કૉન્ગ્રેસ સિસ્ટમ’ તરીકે ઓળખાવ્યું હતું. ત્યાં સુધીમાં ત્રણ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી હતી અને કૉન્ગ્રેસ સિસ્ટમ રાષ્ટ્રીય સિસ્ટમ બની ગઈ હતી.

ગાંધીજીનું પુણ્ય કૉન્ગ્રેસની સાથે હતું, એટલે પાંચ દાયકા એકચક્રી શાસન કર્યું. પાંચ દાયકામાં એ પુણ્ય ખર્ચાઈ ગયું અને સત્તા ખાતર સમાજવિભાજનોનું પાપ બાંધતી ગઈ એનું પરિણામ આજે કૉન્ગ્રેસ ભોગવી રહી છે. હિન્દુત્વવાદીઓએ આજે જે જગ્યા મેળવી છે એમાં જૂઠાણાંઓ અને કુપ્રચારનો જેટલો ફાળો છે એના કરતાં કૉન્ગ્રેસના પાપનો ફાળો મોટો છે.

એક હકીકત ગાંઠે બાંધી લો: બહુમતી હિન્દુ રાષ્ટ્ર એટલે ફાસીવાદી રાષ્ટ્ર. ભારતની પાંચ કે દસ હજાર વરસની સહઅસ્તિત્વની પરંપરાનો અસ્વીકાર. શુદ્ધ ભારતીયતાનો અસ્વીકાર અને આયાતી રાષ્ટ્રવાદનો સ્વીકાર. જો આજે આ વાત નહીં સમજાય તો આવતીકાલે કિમંત ચૂકવ્યા પછી એ સમજાશે. સમજાશે તો ખરું જ. 

(સમાપ્ત)

સૌજન્ય : ‘નો નોનસેન્સ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,1183,1193,1203,121...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved