Opinion Magazine
Number of visits: 9765869
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમ. કરુણાનિધિ, તમિલ સિનેમા અને રાજનીતિ

નિલય ભાવસાર|Opinion - Opinion|16 August 2018

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડી.એમ.કે. પાર્ટીના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું તારીખ ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું, તેઓ ૯૪ વર્ષના હતા.

તેઓ કુલ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી લડીને તે તમામ ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા છે. કરુણાનિધિને લોકો પ્રેમથી કલાઇગ્નર એટલે કે કલાકાર તરીકે સંબોધતા હતા. તમિલનાડુને સામાજિક અને આર્થિક રીતે પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં તેઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ભારતીય રાજનીતિમાં પણ તેઓનું યોગદાન અતુલનીય છે.

મુથુવેલ કરુણાનિધિને બાળપણથી જ લેખનકાર્યમાં રુચિ પેદા થઇ ગઈ હતી. પણ, જસ્ટિસ પાર્ટીના નેતા અલાગિરિસામીના ભાષણોએ તેમનું ધ્યાન રાજનીતિ તરફ કેન્દ્રિત કર્યું. કરુણાનિધિએ તેમની કારકિર્દીની શરૂઆત એક કુશળ ફિલ્મલેખક તરીકે કરી હતી અને તેમણે સૌપ્રથમ તમિલ ફિલ્મ ‘રાજકુમારી’ માટે સંવાદ લખ્યા હતા, ફિલ્મક્ષેત્રે તેમણે લખેલા સંવાદોમાં સામાજિક ન્યાય અને પ્રગતિશીલ સમાજની વાત રજૂ થતી હતી. તેમણે વર્ષ ૧૯૪૭થી લઈને વર્ષ ૨૦૧૧ સુધી એટલે કે લગભગ ૬૪ વર્ષ સુધી ફિલ્મ્સ માટે લેખનકાર્ય કર્યું છે અને તે સિવાય તેઓ ટેલિવિઝન માટે પણ લેખનકાર્ય કરી ચૂક્યા છે. તમિલ ફિલ્મ ‘પરાશક્તિ’(૧૯૫૨)માં કરુણાનિધિએ ફિલ્મના સંવાદો થકી અંધવિશ્વાસ, ધાર્મિક કટ્ટરતા અને તે સમયની સામાજિક વ્યવસ્થા પર પ્રશ્નો ઊઠાવ્યા હતા.

પોતાના વિચારોનો મોટાપાયે પ્રચાર કરવા માટે કરુણાનિધિએ ‘મુરાસોલી’ નામના એક અખબારનું પ્રકાશન પણ શરૂ કર્યું હતું, આ અખબાર બાદમાં DMK પાર્ટીનું મુખપત્ર બન્યું હતું. મલાઈકલ્લન, મનોહરા જેવી અનેક ફિલ્મ્સમાં પોતાના શાનદાર સંવાદલેખન થકી કરુણાનિધિ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટા સંવાદ લેખક બની ચૂક્યા હતા. લેખક અને પત્રકાર તરીકે તેમનું યોગદાન અસાધારણ રહ્યું છે. તેમણે લગભગ ૨ લાખ કરતા પણ વધારે પાનાંનું લેખનકાર્ય કર્યું છે. કરુણાનિધિ ફિલ્મ કથા, પટકથા અને સંવાદ લેખક હોવાની સાથે-સાથે ગીતકાર પણ હતા, તેમણે તમિલ ફિલ્મ્સ માટે ૧૦થી ૧૫ જેટલાં ગીતો પણ લખ્યા છે. જે પૈકી વર્ષ ૧૯૬૬માં આવેલી તમિલ ફિલ્મ મરાક્કા મુદિયામા (How Can We Forget?) ફિલ્મમાં તેમણે લખેલાં ગીતના શબ્દો કંઇક આ પ્રમાણે હતા, “ગરીબોને રહેવા માટે કોઈ જગ્યા નથી, મંદિરમાં કોઈ ભગવાન નથી”.

કરુણાનિધિ ફિલ્મ લેખનના ક્ષેત્રમાંથી રાજનીતિમાં કેવી રીતે આવ્યા તે જાણવાનો આપણે અહીં પ્રયાસ કરીશું. વર્ષ ૨૦૧૪માં પ્રકાશિત લેખક એમ. માધવ પ્રસાદના CINE-POLITICS Film Stars and Political Existence in South India નામક પુસ્તકના દ્વિતીય પ્રકરણ MGR and the Roots of Cine-Politicsમાંથી કેટલીક વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

તમિલ રાષ્ટ્રવાદી રાજકારણની વાર્તામાં દ્રવિડ મુન્નેત્ર કઝાગમ કેન્દ્રસ્થાને રહેલ છે. વર્ષ ૧૯૪૯માં સી.એન. અન્નાદુરાઈ, એમ. કરુણાનિધિ તથા અન્ય બૌદ્ધિકો-કાર્યકરો દ્વારા DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી. આ પૂર્વે તેઓ DK (દ્રવિડ કઝાગમ) નામની પાર્ટી સાથે જોડાયેલા હતા, કે જેના નેતા ઈ.વી. રામાસ્વામી ઉર્ફે પેરિયાર હતા. પેરિયાર એક સમયે કોંગ્રેસી હતા અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા, અને જ્યારે પેરિયારને લાગ્યું કે સુધારાનાં કાર્ય કરવામાં સ્થાનિક નેતાગીરી અડચણરૂપ બની રહી છે, ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરિયારે પાર્ટીના પ્રમુખ તરીકે એક અલગ તમિલ રાષ્ટ્ર માટેની ઝુંબેશ પણ ચલાવી હતી, અને વર્ષ ૧૯૪૪માં તેમણે સ્વતંત્ર પાર્ટી DK(દ્રવિડ કઝાગમ)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ તમિલનાડુમાં મોટાપાયે સામાજિક સુધારા માટેની ચળવળ ચલાવી હતી. DK પાર્ટીની સ્થાપનામાં પેરિયારના સૌથી નજીકના સહાયક સભ્ય અને લેખક એવાં અન્નાદુરાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, અને બાદમાં તેઓ DMK પાર્ટી તરફથી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

તે સમયે DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીના નેતાઓ કુશળ વક્તા, સાહિત્યકાર, નાટ્યલેખક અને કવિઓ હતા. પોતાની પાર્ટીનો પ્રચાર કરવાના હેતુસર DMKના નેતાઓએ સિનેમાનાં માધ્યમમાં ઝંપલાવ્યું હતું. એવું કહેવાય છે કે સોવિયેતના અનુભવોથી આકર્ષાઈને તેઓએ આ નિર્ણય લીધો હતો. પણ, આ ક્રાંતિકારી નેતાઓએ જનતા માટે કોઈ નવા પ્રકારના સિનેમાનો વિચાર નહોતો કર્યો પરંતુ, પોતાની પાર્ટીનો પ્રચાર અને વિચાર જનતા સુધી પહોંચાડવા માટે તેઓ સિનેમા ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. આમ, તે સમયે રજૂ થયેલી અને ‘DMK ફિલ્મ્સ’ તરીકે ઓળખાતી ફિલ્મ્સમાં સામાજિક મુદ્દાઓ નાટકીય ઢબે રજૂ કરવામાં આવતા હતા. તે સમયે ‘DMK ફિલ્મ્સ’માં સામાન્યપણે પ્રચલિત માન્યતાઓનું ખંડન કરનાર વિચાર રજૂ કરતાં દ્રશ્યો, સમતાવાદી સિદ્ધાંતોનું નાટ્યાત્મક આલેખન, પ્રગતિશીલ સૂચનોની વ્યાપક રીતે ભજવણી, અને સાથે-સાથે ફિલ્મમાં ક્યાંક પાર્ટીના નેતાઓનું ડોક્યુમેન્ટરી ફૂટેજ રજૂ કરીને પાર્ટીનો પ્રચાર કરવામાં આવતો હતો. આ સિવાય ‘DMK ફિલ્મ્સ’માં પાર્ટીનો ધ્વજ અથવા તેના રંગ દર્શાવવા તથા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન દર્શાવવું, આ સિવાય કેટલીક ફિલ્મ્સમાં પાર્ટીનો મૌખિક ઉલ્લેખ કરીને પાર્ટીનો મતપ્રચાર કરવામાં આવતો હતો.

વર્ષ ૧૯૫૨માં રજૂ થયેલી તમિલ ફિલ્મ ‘પરાશક્તિ(દેવી)’એ DMKની સૌથી વખણાયેલી ફિલ્મ હતી અને આ ફિલ્મના લેખક મુથુવેલ કરુણાનિધિ હતા. આ ફિલ્મના મુખ્ય અભિનેતા સિવાજી ગણેસન હતા, કે જેઓ DMK પાર્ટીના સ્થાપક સભ્ય હતા અને અભિનેતા MGR (એમ.જી. રામચંદ્રન)ના હરીફ હતા. ‘પરાશક્તિ’એ DMKની સફળ ફિલ્મ હતી. આ ફિલ્મમાં લંપટ પૂજારીનું નિરૂપણ અને તેના કલોપકારક સંદેશાની વાત રજૂ કરવામાં આવી હતી. પરંતુ, તે કહેવું પણ થોડું મુશ્કેલ છે કે પરાશક્તિ ફિલ્મ થકી તેઓએ પોતાની પાર્ટીનો પ્રચાર કેવી રીતે કર્યો હશે. આ સમયબિંદુ પછી MGR (એમ.જી. રામચંદ્રન) પણ DMK લેખકોના પ્રિયતમ બની ગયા હતા. લેખક અન્નાદુરાઈ અને કરુણાનિધિ દ્વારા તે સમયની ફિલ્મ્સમાં નવા પ્રકારની સામાજિક વિવેચનાનો પ્રચાર કરવામાં આવ્યો હતો, કે જેના સ્ટાર પ્રતીક સમાન અભિનેતા સિવાજી ગણેસન વર્ષ ૧૯૫૫ સુધી તેમની પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૧માં તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયા અને DMK પાર્ટીની સાથેનો પોતાનો ભૂતકાળ ભૂલવા માટે તેઓ ધાર્મિક ફિલ્મ્સમાં અભિનય કરવા માંડ્યા અને પોતાની છબી બદલવા માટે તેમણે કેટલીક પૌરાણિક ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું.

DMK ફિલ્મ્સનો ઈતિહાસ કુલ બે તબક્કામાં વહેંચાયેલો છે. પ્રથમ તબક્કો વર્ષ ૧૯૪૮માં શરૂ થાય છે અને આગામી દસ વર્ષ સુધી તેમાં અન્નાદુરાઈ, કરુણાનિધિ અને અન્ય લેખકોનું પ્રભુત્વ જોવા મળે છે. આ પ્રથમ તબક્કાનો સમય સામાજિક વિવેચનાનો હતો અને ત્યારે ફિલ્મકથામાં લેખકો પોતાનો અંગત દ્રષ્ટિકોણ રજૂ કરતા હતા. આ તબક્કા દરમિયાન ફિલ્મનો નાયક પણ સામાજિક વિવેચનાની સમજણ રજૂ કરતો હતો અને તેના પર ક્યારે ય સ્ટાર તરીકેનો ભાર મૂકવામાં આવતો નહોતો. DMK ફિલ્મ્સના બીજા તબક્કામાં વર્ષ ૧૯૫૭થી ૧૯૭૭ દરમિયાન અભિનેતા MGRનું પ્રભુત્વ રહ્યું. આ દરમિયાન ફિલ્મમાં સમગ્ર ચર્ચા માત્ર ફિલ્મના નાયકની આસપાસ જ વીંટળાયેલી જોવા મળતી હતી. MGRએ ફિલ્મ સ્ક્રીન પર પાર્ટીના એકમાત્ર પ્રવક્તા તરીકેનું સ્થાન જમાવ્યું અને તમામ લોકોનું ધ્યાન તેમનાં નેતૃત્વ તરફ કેન્દ્રિત કર્યું. MGRએ તેમની કારકિર્દીની શરૂઆતમાં લોકકથા આધારિત ઘણી એવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું, અને આ ફિલ્મ્સમાં એક્શન રજૂ કરવાની તક પણ પુષ્કળ પ્રમાણમાં હતી. લોકકથા આધારિત MGRની એક મુખ્ય ફિલ્મ મલાઈક્કલ્લન (૧૯૫૪) હતી અને આ ફિલ્મના સંવાદો કરુણાનિધિએ લખ્યા હતા, આ ફિલ્મ થકી MGRની સુપરહીરો તરીકેની છબી લોકમાનસમાં પ્રસ્થાપિત થઇ હતી.

વર્ષ ૧૯૭૧માં DMK પાર્ટીની તમિલનાડુમાં પ્રચંડ સફળતા બાદ કરુણાનિધિએ પોતાનું પદ મજબૂત કરવા માટે મોટા પ્રમાણમાં ફંડ એકત્રિત કરવાનું અને લોકોને પાર્ટીના સભ્ય બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે MGRની લોકપ્રિયતા અને તેમની શક્તિને અસર થઇ રહી હોય તેવું જોવા મળ્યું. પોતાની જ પાર્ટીમાં MGRની સામે ટક્કર લેવા માટે કરુણાનિધિએ તેમના પુત્ર મુથુને ફિલ્મ ક્ષેત્રમાં ઉતાર્યો કે જેથી અભિનેતા MGRને મળતા ફિલ્મ કોન્ટ્રાક્ટ અટકી શકે. કરુણાનિધિએ રાજકીય સમાજશાસ્ત્રની સમજણ અનુસાર MGRની ઘટનાને એક એવું ઉત્પાદન ગણાવ્યું કે MGR એ એક એવી શક્તિ છે કે જે આધુનિક યંત્રોનો પ્રચાર કરે છે અને આ રીતે કરુણાનિધિએ પ્રજાના ભોળપણનો લાભ ઉઠાવ્યો. આ પ્રયાસ થકી MGRને લાગ્યું કે હવે સરકાર તેઓને ભ્રષ્ટાચારના આરોપ સહિત હાંસિયામાં ધકેલવા માંગે છે અને આ માટે MGRએ એવી માંગ ઉઠાવી કે નેતાઓ તેમની સંપત્તિ જાહેર કરે, પરંતુ, MGRને જ્યારે લાગ્યું કે હવે પાર્ટીના નેતાઓ જ તેમની શરતોને નકારી રહ્યા છે અને તેઓને પાર્ટી વિરોધી ગણાવી રહ્યા છે, ત્યારે MGRએ પોતાની નવી પાર્ટી ADMK શરૂ કરી.

હવે DMK પાર્ટીને જ્યારે એવું લાગ્યું કે MGRની નવી પાર્ટી ADMKની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે DMKના નેતાઓએ MGRને પરદેશી કહેવાનું શરૂ કર્યું કારણકે તેઓ મૂળ મલયાલી હતા. અને MGR પર DMK દ્વારા એવા આરોપો પણ લગાવવામાં આવ્યા કે તેઓ હવે તમિલનાડુને કેરાળા બનાવવા જઈ રહ્યા છે. પણ, આ અને આ સિવાયના પણ અનેક આરોપ હોવા છતાં MGRની પ્રતિષ્ઠાને કોઈ નુક્સાન પહોંચ્યું નહિ અને વર્ષ ૧૯૭૭માં તેમની પાર્ટી AIADMK બહુમતી સાથે ચૂંટણી જીતી અને વર્ષ ૧૯૮૭ સુધી સતત ૧૧ વર્ષ રાજ કર્યું. આ ૧૧ વર્ષોને તમિલનાડુનો અંધકારમય સમય ગણવામાં આવે છે.

DMKના ભાગલા પડ્યા તેનો રાજકીય મર્મ જણાવતા લેખક નોંધે છે કે DMK એક ક્ષેત્રિય પાર્ટી હતી કે જેમાં તમિલનાડુના ચોક્કસ વર્ગ / જાતિના પ્રશ્નોને રજૂ કરવ માટે મંચ પૂરો પાડવામાં આવતો હતો. પાર્ટીની સામાજિક સુધારણાની પૃષ્ઠભૂમિ અને પોતાના વિચારોના પ્રચાર માટે સિનેમા માધ્યમનો ઉપયોગ કરીને તેમણે અપેક્ષા કરતાં વધુ લોકોને તૈયાર કર્યા હતા. પરંતુ, તેના પર અસર ત્યારે થઇ કે જ્યારે પાર્ટીનો ખરેખરો ઉદ્દેશ કે જે પાર્ટીમાં પ્રબળપૂર્વક અસર કરી રહ્યો હતો અને પાર્ટીના બહોળા અનુયાયીઓ વચ્ચે મોટું અંતર ઊભું થયું, અને આ ગતિશીલતાના પરિણામનો સામનો કરવાનો પાર્ટીનો મનોભાવ નહોતો. તેઓ અંકુશમાં રહે તેવી રાજ્યવ્યવસ્થામાં રસ ધરાવતા હતા અને તેઓ ક્યારે ય પાર્ટીને ક્રાંતિના વિષય તરીકે જોઈ શક્યા નહિ, અને પ્રજાના પણ પોતાના વિચારો હોય છે. ત્યારબાદ વર્ષ ૧૯૮૯માં MGRનું મૃત્યુ થતા કરુણાનિધિ અને DMK ફરી એકવખત રાજકીય સત્તા પ્રાપ્ત કરે છે. વર્ષ ૨૦૦૫માં કરુણાનિધિ પાંચમી વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને જૂન ૨૦૧૮માં તેમણે તેમના ૯૪મા જન્મદિનની ઉજવણી કરી.

વર્ષ ૧૯૯૭માં આવેલી દિગ્દર્શક મણિરત્નમ્‌ની તમિલ ફિલ્મ ‘ઈરૂવર’ એ તમિલ અભિનેતા MGR અને લેખક કરુણાનિધિના સંબંધ આધારિત માનવામાં આવે છે. આ ફિલ્મમાં મલયાલમ અભિનેતા મોહનલાલ અને પ્રકાશરાજ મુખ્ય ભૂમિકામાં હતા.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

શૃંગારવહુની ટૂંકી કહાણીઓ

દીપક મહેતા|Opinion - Literature|16 August 2018

કાળચક્રની ફેરીએ

અગાઉ પાર્વતીકુંવર આખ્યાન વિષે લખતી વખતે તેમાંના ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તક વિશેના ઉલ્લેખ તરફ ધ્યાન ગયેલું. પણ એ વખતે તો પાર્વતીકુંવર આખ્યાનની પહેલી આવૃત્તિની સાલ અંગે અંદાજ બાંધવા પૂરતો જ તેનો ઉપયોગ કરેલો. પણ ખાંખાખોળાની ટેવ. અને પડી ટેવ તે તો ટળે કેમ ટાળી? એટલે શોધ શરૂ કરી. મુંબઈમાં સફળતા મળી નહિ, એટલે ચાલો અમદાવાદ. અને અહો આશ્ચર્યમ્‌! ટૂંકી કહાણીઓ પુસ્તકના તો બે ભાગ પ્રગટ થયેલા. ગુજરાત વિદ્યાસભાના પુસ્તકાલયમાંના બંને ભાગની ઝેરોક્સ નકલ પણ ખાંખાખોળા-મિત્ર, જાણીતાં ગ્રંથપાલ અને સૂચી-નિષ્ણાત તોરલબહેન પટેલે તાબડતોબ મોકલી આપી. અને મન ગણગણવા લાગ્યું: ‘અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું.’

હા, પહેલા ભાગની તો છેક છઠ્ઠી આવૃત્તિની નકલ જોવા મળી. ટાઈટલ પેજનો ઉપરનો ભાગ અંગ્રેજીમાં છે, નીચલો ગુજરાતીમાં. બન્નેની માહિતી એકસરખી નથી. પણ ૧૯૦૮માં એ આવૃત્તિ પ્રગટ થયેલી. તેના ટાઈટલ પેજ પર છાપ્યું છે: “ઇંગ્રેજીમાંથી ભાષાન્તર કરનારી મીસ એલ.આર. કાલેટે ભણાવેલી એક તરૂણી નામે શૃંગાર.” (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) પાર્વતીકુંવર આખ્યાનમાં જેનો ઉલ્લેખ ‘શણગાર’ તરીકે થયો છે, એ જ આ ‘શૃંગાર.’ મહીપતરામ નીલકંઠની પુત્રવધૂ. અને મિસ કોલેટ હતાં અમદાવાદની ફીમેલ ટ્રેનિંગ કોલેજનાં લેડી સુપરિન્ટેન્ડન્ટ.

મહીપતરામનું તો ૧૮૯૧માં અવસાન થયું, એટલે આ આવૃત્તિ તેમના કોઈ વારસદારે (રમણભાઈ નીલકંઠે?) પ્રગટ કરી હોવી જોઈએ. કોણે પ્રગટ કરેલી તે પુસ્તકમાંથી જાણવા મળતું નથી, પણ તે અમદાવાદના ધ ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું. આ આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ (મહીપતરામની હયાતિમાં છપાયેલી છેલ્લી આવૃત્તિ?)ની એક પાનાની પ્રસ્તાવના ફરી છાપી છે. ઉપરાંત ‘બાઈ શૃંગાર’નો પરિચય આઠ પાનાંમાં છાપ્યો છે. ૧૮૬૪ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે સુરતમાં તેમનો જન્મ. કેશવરાય અને મહામાયાગૌરીનાં તેઓ દીકરી. તેમના પહેલાં જન્મેલાં બધાં સંતાનો મૃત્યુ પામેલાં એટલે મોતની ભૂંડી નજરથી બચાવવા આ દીકરીનું નામ તેની દાદીએ ‘ગાંડી’ પાડ્યું! આ દીકરીના જન્મ પછી જન્મેલાં બાળકો જીવી ગયાં તેથી ‘ગાંડી’ સારાં પગલાંની ગણાઈ અને ઘરમાં તેનું માન વધ્યું.

આઠ વર્ષની ઉંમર સુધી તે નિશાળે ગઈ નહોતી. પણ એક વાર તેની નાની બહેન નિશાળેથી ઇનામ લઇ આવી તે જોઈ તેણે નિશાળે જવાનું નક્કી કર્યું. સુરતની રાયચંદ દીપચંદ કન્યાશાળામાં ભણીને સુવર્ણચંદ્રક મેળવ્યો. અગિયાર વર્ષની ઉંમરે ૧૮૭૫ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે મહીપતરામના મોટા દીકરા અનુભાઈ સાથે ગાંડીગૌરીનાં લગ્ન થયાં. સુરતના નાગરોના રિવાજ પ્રમાણે લગ્ન પછી તેનું નામ બદલાઈને ‘શૃંગારવહુ’ પડ્યું. લગ્ન પહેલાં તેનાં મા-બાપે પણ ગાંડીને બદલે તેનું નામ નર્મદાગૌરી પાડેલું. લગ્ન પછી તેણે મિસ કોલેટ પાસે ભણવાનું શરૂ કર્યું. અંગ્રેજીનો અભ્યાસ વધાર્યો. ભણતર ઉપરાંત ઘરકામમાં પણ તે ખૂબ પાવરધી હતી. પછીથી સસરા મહીપતરામ પાસે ભણવા લાગી. તેમની સૂચનાથી ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’માંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું. તો ‘રોયલ રીડર’માંના કેટલાક પાઠોના અનુવાદ તેણે ‘બુદ્ધિપ્રકાશ’ માટે કર્યા હતા. ૧૮૭૯માં માંદી માતા અને સાસુ બંનેની સેવા કરી. ૧૮૮૦ના જુલાઈની ૧૪મી તારીખે સાસુ પાર્વતીકુંવરનું અવસાન થયા પછી ઘરનો બધો કારભાર શૃંગારને માથે આવ્યો, જે તેણે સહજતાથી ઉપાડી લીધો. સોળ વર્ષની ઉંમરે પહેલી સુવાવડ માટે શૃંગાર સુરત ગઈ. ત્યાં માંદી પડી અને ૧૮૮૧ના મે મહિનાની ૯મી તારીખે તેનું અવસાન થયું. ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તક તેની હયાતીમાં પ્રગટ થઇ શક્યું નહિ. પણ તેમાંથી જે આવક થાય તે બધી ગરીબોને અન્ન અને દવા આપવા પાછળ અને વિદ્યાને ઉત્તેજન આપવા માટે વાપરવી એવો તેનો ઈરાદો હતો. પુસ્તક પ્રગટ કરતી વખતે મહીપતરામે તે પ્રમાણે કરવાનું ઠરાવેલું.

પુસ્તકમાંની ઘણીખરી વાર્તાઓ સાવ ટૂંકી છે. ૯૨ પાનાંના પુસ્તકમાં ૧૧૮ વાર્તાઓ છે. અનુવાદની ભાષા સાદી, સરળ અને સ્વચ્છ છે. અલબત, ૧૬ વર્ષની તરુણીએ આ અનુવાદ કર્યો છે એ યાદ રાખવું ઘટે. નમૂના તરીકે ૩૫મી વાર્તા ‘દેવ અને ગાડીવાન’ જોઈએ:

“એક દિવસે કોઈ ગામડીઓ કાદવવાળે રસ્તે ગાડું હાંકતો હતો. ગાડીનાં પૈડાં કાદવમાં એટલાં દટાયાં કે બળદ ખેંચી શક્યા નહિ. ગાડીવાને પૈડાં કાઢવાનો કંઈ પ્રયત્ન ન કરતાં પ્રાર્થના કરી દેવને મદદે બોલાવ્યા. દેવે આવી કહ્યું ખભો દેઈ પૈડાંને ધકેલ ને બળદને હાંક; જેઓ જાતે મહેનત કરે છે તેમને જ હું સહાય કરું છું. ગાડીવાને તે પ્રમાણે કર્યું એટલે પૈડાં કાદવમાંથી નીકળ્યાં ને તેની અડચણ દૂર થઇ. આપણે પ્રાર્થના કરીએ અને મહેનત ન કરીએ તો આપણી પ્રાર્થના ફળવાની આશા રાખીએ તે ફોકટ છે.”   

અવસાન પહેલાં શૃંગાર આખા પુસ્તકનો અનુવાદ કરી શક્યાં નહોતાં. જેટલી વાર્તા કરી હતી તેટલી તો છાપી, પણ બાકીની વાર્તાઓનું શું? એ જમાનાના ચાલ પ્રમાણે મહીપતરામે ‘શૃંગાર સ્મારક ઇનામ’ માટે હરીફાઈ યોજી. અનુવાદ માટે સાઠ રૂપિયાનું માતબર ઇનામ આપવાની જાહેરાત કરી. મુંબઈનાં પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆનો અનુવાદ ઇનામને પાત્ર ઠર્યો અને તે ‘ટૂંકી કહાણીઓ’ના બીજા ભાગ તરીકે ૧૮૮૩માં પ્રગટ થયો. તેનું ટાઈટલ પેજ પણ અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપર-નીચે છાપ્યું છે. બન્નેમાંની માહિતી એકસરખી નથી. ગુજરાતીમાં બે વિગત વધારે છે: ૧. “ઇનામ આપનારે એ પુસ્તકને સુધારી પ્રગટ કર્યું છે.” ૨. “ગ્રંથ સ્વામિત્વના સર્વ હક્ક આ ચોપડી પ્રગટ કરનારે રાખ્યા છે.” જો કે પુસ્તક પ્રગટ કરનારનું નામ પુસ્તકમાં ક્યાં ય છાપ્યું નથી. અમદાવાદમાં યુનાઈટેડ પ્રિન્ટિંગ અને જનરલ એજન્સી કંપની લિમિટેડના પ્રેસમાં તે છપાયું હતું એટલી માહિતી મળે છે. આરંભે મહીપતરામે એક પાનાની પ્રસ્તાવના લખી છે. તેમાંથી એક વિગત જાણવા મળે છે: શૃંગારે અનુવાદ કરેલો તે પહેલો ભાગ પ્રગટ થયા પછી “તેનો ખપ ઝાઝો માલૂમ પડ્યો. એક હજાર પ્રત સરકારે ખરીદ કરી અને લોકોમાં પુષ્કળ પ્રતો વેચાઈ.”

પહેલા ભાગમાંની વાર્તાઓની સરખામણીમાં બીજા ભાગમાંની વાર્તાઓ વધુ લાંબી છે. તેને ૧૧૯થી ૧૬૭ સુધીનો ક્રમ આપ્યો છે. આ વાર્તાઓ ૧૧૯ પાનાં રોકે છે. અનુવાદ સાફ-સુથરો છે. પારસી બોલીની છાંટ લગભગ જોવા મળતી નથી. ૧૨૮મી વાર્તા ‘સાત શિલિંગનો સિક્કો’નો થોડો ભાગ જોઈએ:

“ઇંગલાંડમાં ઈ.સ. ૧૮૨૬માં નાણા બજારમાં ગભરાટ ચાલતો હતો તે વખતે એક ગૃહસ્થ ઉદાસી મુખે બેસી પોતાના ગુમાસ્તા લોકોને દર કલાકે હજારો રૂપિયા ગણી આપતા હતા તે જોતો હતો. એ ગૃહસ્થ સારી સાખવાળો નાણાવટી હતો, પણ તે વેળાએ વ્યાપાર મંડલ ઉપરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગએલો હોવાથી દરેક જણ નાણાવટીની પેઢીમાં પોતે મૂકેલી રકમ ઊપાડી લઇ જવાની ઉતાવળમાં પડ્યો હતો. દરેકને એવી બીક હતી કે રાખે થોડાં વખતમાં તે પેઢી દેવાળું કાઢે અને તેનાં નાણાં ડૂબી જાય. વાણોતરો નાણાંની થેલીઓ ખાલી કરતા હતા તથા લોકો ખજાનચી પાસે અધીરા થઇ પોતપોતાનું નાણું માગતા હતા; તે સઘળું તે પૈસાદાર શરાફ ગંભીર હાસ્ય સહિત જોતો હતો. તેની થાપણ ખૂટી પડશે એવી તો તેને કાંઈ જ ધાસ્તી નહોતી, પણ જેમને તે પોતાના અતિવહાલા મિત્રો ગણતો હતો તેઓ જ તેની પેઢી નબળી પાડવામાં આતુરતાથી મદદ કરતા હતા, એ જોઈ તેને ખેદ લાગ્યા વગર રહ્યો નહિ.” 

બીજા ભાગની પ્રસ્તાવનામાં મહીપતરામે મૂળ અંગ્રેજી પુસ્તકને ‘ચેમ્બર્સકૃત’ તરીકે ઓળખાવ્યું છે, પણ હકીકતમાં ‘ચેમ્બર્સ’ એ આ પુસ્તકના લેખકનું નામ નથી, તેના પ્રકાશકનું નામ છે. વિલિયમ અને રોબર્ટ ચેમ્બર્સ નામના બે ભાઈઓએ ૧૮૩૨માં ડબલ્યુ એન્ડ આર ચેમ્બર્સની સ્થાપના કરેલી. ૧૯મી સદીના અંતે અંગ્રેજી પુસ્તકો પ્રગટ કરતી આખી દુનિયાની સૌથી મોટી પ્રકાશન સંસ્થા એ બની ગઈ હતી. ૧૯૮૯ પછી ચેમ્બર્સ કુટુંબ તેનું માલિક ન રહ્યું. નામ પણ થોડું બદલાયું: ચેમ્બર્સ હાર્પ પબ્લિશર્સ લિમિટેડ. એડિનબરાની ચેમ્બર્સ સ્ટ્રીટ પર આજે ય વિલિયમ ચેમ્બર્સનું પૂતળું ઊભું છે.

૧૯મી સદીના લેખકો અને તેમનાં પુસ્તકો વિશેની આપણી પાસેની માહિતી એટલી આછી અને ઓછી છે કે આ તો આમ જ છે કે આ તો આમ ન જ હોય એમ છાતી ઠોકીને કહેવું કોઈને માટે શક્ય નથી, યોગ્ય પણ નથી. પણ પૂરેપૂરો સંભવ છે કે આ ગાંડીગૌરી કે નર્મદાગૌરી કે શૃંગારવહુ એ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પુસ્તકનો અનુવાદ કરનારી પહેલી ગુજરાતી સ્ત્રી હતી. અને ‘ટૂંકી કહાણીઓ’નો પહેલો ભાગ એ કોઈ સ્ત્રી દ્વારા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલું પહેલું પુસ્તક છે તેમ માનવું રહ્યું.

XXX XXX XXX

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, અૉગસ્ટ 2018]

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

Loading

વી.એસ. નાયપૉલ સતત ઊહાપોહના માણસ હતા. અભાવને, શંકાને સવાલ નહીં કરનારી નપુંસકતાને પરંપરાનો કે સંસ્કૃિતનો અંચળો કેમ ઓઢાડી શકાય?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 August 2018

મેં વિદ્યાધર સૂરજપ્રસાદ ઉર્ફે વિદ્યા નાયપૉલનું સાહિત્ય વાંચ્યું નથી, પરંતુ મને તેમના બિન સાહિત્યિક લખાણોમાં હંમેશાં રસ પડ્યો છે. આપણને ન ગમે પણ વિચારતા કરી મૂકે એવા ધારદાર નિરીક્ષણો હોય. ભાષાના સ્વામી તો હતા જ, એટલે આપણને જે કહેતાં ફકરા જેટલી જગ્યા જોઈએ એટલી વાત એ એક વાક્યમાં કરી દે. આવી બીજી વ્યક્તિ હતી નીરદ ચૌધરી. ચીડ ચડે તો પણ વાંચવા જ પડે એવા. નાયપૉલ અને નીરદ ચૌધરીની સરખામણી કરીએ તો નીરદબાબુ ચડિયાતા લાગે.

નીરદ ચૌધરીનો જન્મ ૧૮૯૭માં પૂર્વ બંગાળમાં થયો હતો અને ૧૦૧ વરસની ઉમંરે બ્રિટનમાં ઓક્સફર્ડમાં તેમનું અવસાન થયું હતું. મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં તેમનો જન્મ થયો હતો, મુસલમાનોની પડોશમાં તેમનો ઉછેર થયો હતો, સરત ચન્દ્ર બોઝના અંગત સચિવ તરીકે તેમણે કૉંગ્રેસીઓને અને કૉંગ્રેસનું રાજકારણ નજીકથી જોયું હતું. બંગાળી ભદ્રવર્ગને બહુ નજીકથી જોયો હતો. બંગાળી અને અંગ્રેજી એમ બન્ને ભાષા પર એક સરખું પ્રભુત્વ હોવાના કારણે તેમ જ વિચક્ષણ મેધા હોવાના કારણે ભારતીય સંસ્કૃિત અને પાશ્ચાત્ય સંસ્કૃિતના દરેક પાસાં તેઓ સારી પેઠે જાણતા હતા. અભિપ્રાય વ્યક્ત કરવામાં કોઈની પરવા ન કરે.

૧૯૫૧માં નીરદ ચૌધરીની ‘ધ ઓટોબાયોગ્રાફી ઓફ એન અનનૌન ઇન્ડિયન’ નામની આત્મકથા પ્રકાશિત થઈ અને દેશમાં દેશપ્રેમનો દેકારો મચી ગયો. તેમણે તેમની આત્મકથા ભારતમાં રહેલા બ્રિટિશ સામ્રાજ્યને અર્પણ કરી હતી. તેમણે પુસ્તક અર્પણ કરતાં લખ્યું હતું કે બ્રિટિશ સામ્રાજ્યએ આપણને રૈયત તો બનાવ્યા, પણ નાગરિકત્વ આપ્યું નહોતું જેના પર આપણો અધિકાર છે. કારણ કે આપણી અંદર જે કાંઈ સારપ છે એ બ્રિટિશ સામ્રાજ્યને કારણે છે. એ પછી તેમની સરકારી નોકરી ગઈ હતી, પેન્શન અને બીજા બેનિફિટ રોકી દેવામાં આવ્યા હતા, લેખક તરીકે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા, વગેરે. નીરદ ચૌધરી ની:સંકોચ કહેતા હતા કે તેઓ બ્રિટીશપ્રેમી (એન્ગલોફાઈલ) છે. ૧૯૮૨માં નીરદ ચોધરી ઓક્સફર્ડ રહેવા જતા રહ્યા હતા અને ૧૯૯૯માં ત્યાં તેમનું અવસાન થયું હતું. દાયકા પહેલાં વટલાયેલા હિન્દુત્વવાદી દેશપ્રેમી અને રાજ્યસભાના સભ્ય સ્વપ્ન દાસગુપ્તા તેમના શિષ્ય હતા. મારું એવું માનવું છે કે જે વિવેક નથી કરી શકતા એવા લોકો એક અંતિમેથી બીજા અંતિમે ફંગોળાતા રહે છે.

આપણે વાત વિદ્યા નાયપૉલની કરી રહ્યા છીએ એની મને જાણ છે. ૧૯૭૭માં ‘ઇન્ડિયા અ વુન્ડેડ સિવિલાઈઝેશન’ પ્રકાશિત થયું અને ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયામાં ખુશવંત સિંહે તેનો રિવ્યુ કર્યો હતો. ખુશવંત સિંહે આકરી ટીકા કરી હતી એવું મને સ્મરણ છે. એ સમયે હું હજુ અણસમજુ દેશપ્રેમી હતો એટલે દેશદ્રોહીઓ સામે ચીડ ચડે એ સ્વાભાવિક છે. એ સમયે લેબલ ચોડવાની અને રસ્તા પર ઊતરી પડીને કાયદો હાથમાં લેવાની અસંસ્કારિતા હજુ વિકસી નહોતી. મને યાદ છે ત્યાં સુધી ખુશવંત સિંહનો રિવ્યુ વાંચ્યો ત્યારે ખબર પડી કે નીરદ ચૌધરીની ‘ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનૌન ઇન્ડિયન’માં આના કરતાં પણ વધારે ભારતની નિંદા કરવામાં આવી છે, અને નાયપૉલનું આ પહેલાં ‘એરિયા ઓફ ડાર્કનેસ’ નામનું પુસ્તક આવી ચૂક્યું છે જે ભારતની નિર્દયી ચિકિત્સા કરનારું પહેલું પુસ્તક હતું અને વુન્ડેડ તો તેની સિકવલ તરીકે લખાયેલું બીજું પુસ્તક હતું.

કેટલાક લોકો પોતાના મૂળને, પોતાને મળેલા સાંસ્કૃિતક પરિવેશને, તેમાં રહેલી મર્યાદાઓને, બીજી સભ્યતાઓની ખૂબીઓ અને ખામીઓને, સભ્યતાઓના સંઘર્ષોને તટસ્થતા અને નિર્દયતાથી જોઈ શકે છે તો કેટલીકવાર બીજા અંતિમેથી પહેલા અંતિમને સમજવાનો પ્રયાસ કરે છે. વી.એસ. નાયપૉલનો જન્મ ત્રિનિદાદમાં ૧૯મી સદીમાં ભારતથી મોકલવામાં આવેલા ગિરમીટિયા પરિવારમાં થયો હતો. મૂળને નામશેષ કરી નાખનારી મૂડીવાદી-સાંસ્થાનિક નિર્દયતા તેમણે અનુભવી હતી. તેમને એટલી જાણ હતી કે તેમનાં મૂળ ભારતમાં છે, પરંતુ તેઓ જ્યારે ભારતીય સભ્યતાને સમજવા મથે છે, ત્યારે તેમને ધ્યાનમાં આવે છે કે એ મૂળ અને તેની અસ્મિતાઓ પણ ક્યાં ગૌરવ લઈ શકાય એવી છે.

નાયપૉલે તેમની ભારત વિશેની શ્રેણીનું ત્રીજું પુસ્તક ‘ઇન્ડિયા: અ મિલિયન મ્યુિટનીઝ નાઉ’ લખ્યું ત્યારે નાયપૉલ આવતા-જતા લગભગ એક મહિનો મુંબઈમાં રહ્યા હશે. હું એ સમયે ‘સમકાલીન’માં હતો અને ચારુદત્ત દેશપાંડે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રિપોર્ટર હતા. ચારુદત્ત નાયપૉલ માટે હિન્દી અને મરાઠી ભાષાના દુભાષિયા તરીકે મદદ કરતા હતા. નાયપૉલ મુંબઈમાં હોય, ત્યારે રાતે ઘરે જતાં ટ્રેનમાં ચર્ચાનો વિષય નાયપૉલ હોય. એકવાર નાયપૉલ અત્યંત જાણીતા દલિત સાહિત્યકારને મળવા ગયા. માલવણીમાં દોઢ ખોલીના ઘરને જોઇને નાયપૉલે તેમને પૂછ્યું કે ‘આટલી નાનકડી જગ્યામાં પરિવારના સભ્યોની વચ્ચે સેક્સનો સુપૂર્ણ આનંદ કઈ રીતે મળે? માનવીય ગૌરવ માટે જરૂરી પર્યાપ્ત પ્રાઈવસીના અભાવમાં સેક્સની અતૃપ્ત વાસના તમારા સાહિત્ય સર્જનને પ્રભાવિત નથી કરતું?’

એ સાહિત્યકાર માટે આ અનપેક્ષિત પ્રશ્ન હતો, પણ નાયપૉલ માટે સ્વાભાવિક પ્રશ્ન હતો. તેમને એવું લાગ્યું નહોતું કે આવો પ્રશ્ન પૂછીને તેમણે કોઈ બોમ્બ ફેંક્યો છે. પેલા વિદ્રોહી દલિત સાહિત્યકારે પ્રામાણિક ઉત્તર નહોતો આપ્યો. દલિત અને વિદ્રોહી હોવા છતાં. એ પછી ચારુદત્તની સાથે તેઓ એક બીજા વયોવૃદ્ધ મરાઠી સાહિત્યકારને મળવા ચાલમાં આવેલા તેમના ઘરે ગયા હતા. અહીં સવર્ણ સાહિત્યકારની નાનકડી ખોલી જોઇને નાયપૉલે પૂછ્યું હતું કે પ્રત્યેક માણસ માટે હોવી જોઈતી મોકળાશ અને પ્રાઈવસીનો અભાવ તમારી સર્જકતાને પ્રભાવિત કરે છે ખરી અને કરે છે તો કઈ રીતે કરે છે? પેલા સાહિત્યકારે સાદગી, અસંગ્રહ, ઊંચા વિચાર અને ઓછી જરૂરિયાત વિષે ભાષણ આપ્યું હતું.

નાયપૉલને અને નીરદ ચૌધરીને ભારતની આવી દાંભિકતા સામે અણગમો હતો. અભાવને, શંકા અને સવાલ નહીં કરનારી નપુંસકતાને પરંપરાનો કે સંસ્કૃિતનો અંચળો કેમ ઓઢાડી શકાય? હિન્દુત્વવાદીઓ વાંચે ઓછું એટલે નીરદ ચૌધરી અને નાયપૉલનાં પુસ્તકો તેમના ધ્યાનમાં નહીં આવ્યાં હોય, પણ નાયપૉલનું ઇસ્લામ અને મુસ્લિમ સમાજની ચિકિત્સા કરનારું પુસ્તક ‘એમંગ ધ બિલીવર્સ: એન ઇસ્લામિક જર્ની’ જોઇને તેઓ ગેલમાં આવી ગયા હતા. અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા, ત્યારે મુસ્લિમ દેશોમાં ત્રાસવાદ તેની ચરમસીમાએ હતો અને એ અરસામાં જ આ પુસ્તક આવ્યું હતું. હિન્દુત્વવાદીઓ એટલા રાજી થઈ ગયા હતા કે પહેલા પ્રવાસી ભારતીય દિવસના સંમેલનમાં નાયપૉલને બોલાવવામાં આવ્યા હતા. નાયપૉલે તેમના ભાષણમાં હિન્દુત્વવાદીઓને સલાહ આપી હતી કે ‘અતીત અને ઇતિહાસનો વધારે પડતો પ્રેમ મેધાને કુંઠિત કરે છે. ઇતિહાસમાં કેદ થયેલા સમયને શોધવા કરતાં ભવિષ્યના ઊઘડતા જતા સમયને પકડવો જોઈએ. પુરુષાર્થ એમાં છે.’

આપણને વિચારતા કરી મૂકે એવા હચમચાવી દેનારા વિચારનું સ્વાગત કરવું જોઈએ. એવા લોકો આપણને ગમે એવું બોલવાના નથી એટલે ન ગમે એવું સાંભળવાના સંસ્કાર વિકસાવવા જોઈએ.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉગસ્ટ 2018

Loading

...102030...3,1013,1023,1033,104...3,1103,1203,130...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved