ગઈકાલે, રવિવારની કોલમમાં, મેં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અત્યારે જે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે, એનું મુખ્ય કારણ જમણેરી બૌદ્ધિકોનો ખસી રહેલો, ખરું પૂછો તો ખસી ચૂકેલો ટેકો છે. ૨૦૧૪માં તેમણે નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની ઉમદવારીને ટેકો આપ્યો હતો અને મોદીનો વિરોધ કરી રહેલા ડાબેરી બૌદ્ધિકોનો મુકાબલો કર્યો હતો. બી.જે.પી.ને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી એનું એક મહત્ત્વનું કારણ જમણેરી બૌદ્ધિકોએ મોદીને આપેલું સર્ટિફિકેટ હતું.
તેમને ત્યારે એમ લાગ્યું હતું કે નરેન્દ્ર મોદી વિકાસને વરેલા માણસ છે, અને જો કોઈ માણસ દેશના અટકી પડેલા વિકાસ માટે જદ્દોજહદ કરતો હોય તો તેઓ નૈતિકતાની નાની-મોટી શિથિલતા ચલાવી લેવા તૈયાર હતા. શરૂઆતના સમયમાં હિન્દુત્વવાદીઓ કાયદો હાથમાં લેતા હતા, ત્યારે પણ તેઓ વડા પ્રધાનને શંકાનો લાભ આપીને તેમનો બચાવ કરતા હતા.
પરતું હવે તેઓ ટેકો આપતા બંધ થઈ ગયા છે અને કેટલાક તો ઉઘાડી ટીકા કરવા લાગ્યા છે? શા માટે? તેમને બે હકીકત નજરે પડી છે; એક તો એ કે વડા પ્રધાન જદ્દોજહદ નથી કરતા, મીડિયા પરની હેડ લાઈનને ધ્યાનમાં રાખીને નીતનવા ખેલ પાડતા રહે છે. બીજું એના કરતાં પણ મહત્ત્વનું કારણ એ કે વડા પ્રધાનને દેશમાં કાયદાનું રાજ (રુલ ઓફ લૉ) જળવાઈ રહે એમાં પણ રસ નથી. જો કાયદાનું રાજ ન જળવાય તો વિકાસ તો બાજુએ રહ્યો, દેશમાં અરાજકતા પેદા થાય જેની કિંમત બહુમતી કોમ સહિત આખા દેશે ચૂકવવી પડે. નૈતિકતા સાથે નાના-મોટા સમાધાનો અને શિથિલતા માન્ય, પણ અરાજકતા નહીં.
ગઈકાલના લેખનો સાર અહીં ટાંકવાનો હેતુ એ છે કે રવિવારના અખબારોમાં એનું નક્કર પ્રમાણ જોવા મળ્યું. કોઈ ભક્ત કે ભાટ ઇન્કાર ન કરી શકે એવું.
કેન્દ્રીય પ્રધાન જયંત સિન્હા ઝારખંડના હઝારીબાગથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે. ચોથી જુલાઈએ તેઓ હઝારીબાગ આવ્યા હતા અને બજારમાંથી હાર મગાવીને કોઈની રાહ જોઇને બેઠા હતા. તેમને ખબર હતી કે ગયા વરસે હઝારીબાગમાં મટનનો ધંધો કરનારા અલીમુદ્દીન અન્સારીની ટોળે મળીને હત્યા કરનારા હિદુત્વવાદી ગોરક્ષકોને આજે જામીન મળવાના છે અને તેઓ સીધા તેમના ઘરે આવવાના છે. જયંત સિન્હાએ તેમનું સ્વાગત કરવા માટે હાર મગાવી રાખ્યા હતા. અહીં એક હકીકત નોંધી લો. અલીમુદ્દીનની મારી મારીને હત્યા કરનારાઓ આરોપી નથી, તકસીરવાર (આય રિપીટ તકસીરવાર) ઠરાવવામાં આવેલા અને સજા પામેલા ગુનેગારો છે. ગુનેગારોએ રાબેતા મુજબ વડી અદાલતમાં અપીલ કરી હતી, જેમાં છ ગુનેગારોને વડી અદાલતે જામીન પર છોડ્યા હતા. જામીન પર છૂટ્યા પછી ગુનેગાર ગોરક્ષકો સીધા જયંત સિંહાના ઘરે ગયા હતા, જ્યાં કેન્દ્રીય પ્રધાને તેમને હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા. હાર દ્વારા સન્માનિત ગુનેગારો સાથેની જયંત સિન્હાની તસ્વીર વાયરલ થઈ ગઈ છે, એટલે હવે બચાવ કરવા માટે કોઈ જગ્યા બચી નથી.
તમારા મનમાં કદાચ એવા વિચાર ચાલતા હશે કે જયંત સિંહાની આ ભૂલ માટે પક્ષે ઠપકો આપ્યો હશે, પક્ષના પ્રવક્તાએ ખુલાસો કર્યો હશે, ગુનેગારો હિન્દુત્વવાદી કાર્યકરો નથી એવો ખુલાસો કર્યો હશે, જયંત સિન્હાનું કૃત્ય તેમનું અંગત છે, જેવા કોઈક બચાવ કર્યા હશે કે જેથી પક્ષની પ્રતિષ્ઠા જળવાઈ રહે. ના એવું નથી. ઊલટું પક્ષની અંદર ગુનેગારોને કોણે જામીન પર છોડાવ્યા એનો શ્રેય લેવાની બાબતે ઝઘડો શરૂ થયો છે. બી.જે.પી.ના રામગઢના વિધાનસભ્ય શંકર ચૌધરીએ કહ્યું છે કે ટોળે મળીને હત્યા કરનારા ગુનેગારો જામીન મળ્યા પછી સીધા જયંત સિંહના ઘરે ગયા, એનો અર્થ એવો નથી કે તેમણે ગુનેગારોને જામીન અપાવ્યા છે. શંકર ચૌધરી દાવો કરે છે કે તેમણે ગુનેગારોને જામીન અપાવ્યા હતા અને જયંત સિન્હા પર વચ્ચેથી જશ આંચકી જવાનો આરોપ મૂક્યો છે.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના રામગઢ જિલ્લાના અધ્યક્ષ પપ્પુ બેનર્જીએ કહ્યું હતું કે ગુનેગારોને વડી અદાલતમાં જામીન મળે એ માટે જયંત સિન્હાએ અથાક પ્રયત્નો કર્યા હતા. જયંત સિન્હા વચ્ચેથી જશ આંચકી ગયા એ શંકર ચૌધરીનો આક્ષેપ ખોટો છે. પપ્પુ બેનર્જી ગુનેગારોને જામીન મળ્યા, એ પછી સીધા જયંત સિંહાના ઘરે લઈ ગયા હતા, જ્યાં કેન્દ્રીય પ્રધાન ગુનેગારોની રાહ જોઇને બેઠા હતા અને તેમણે ગુનેગારોનું સ્વાગત કર્યું હતું.
બોલો શરમાવાની જગ્યાએ કોણે કાયદાની ઐસીતૈસી કરી, કોણે અદાલતને પ્રભાવિત કરી, કોણે ન્યાયનું કાસળ કાઢ્યું, કોણ કાયદો હાથમાં લેનારા માતેલા સાંઢોને પોષી રહ્યું છે, એનો શ્રેય લેવાની હોડ શરૂ થઈ છે. જમણેરી બૌદ્ધિકોએ આવી કલ્પના નહોતી કરી કે કાયદાના રાજનું કાસળ કાઢવામાં આવશે અને ઉપરથી તેનો બચાવ કરવામાં આવશે, એટલું જ નહીં તેના જશના દાવા કરવામાં આવે. એટલે તો જયંત સિંહાના પિતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હાએ કહ્યું છે કે ‘હું (યશવંત સિન્હા) નપાવટ પુત્રનો બાપ છું’. તેમણે કહ્યું હતું કે ૨૦૦૨માં ગુજરાત કાંડ વખતે મેં વિરોધ નહોતો કર્યો, ત્યારે હું ભલા પુત્રનો નપાવટ બાપ હતો. આજે ઊલટું છે. પોતાના પુત્રના રાજકારણ વિષે આના કરતાં વેદનાભરી પ્રતિક્રિયા ભાગ્યે જ જોવા મળશે. વરસ પહેલાં યશવંત સિન્હાએ દેશની આર્થિક સ્થિતિની ટીકા કરી, ત્યારે પક્ષે યશવંત સિન્હા સામે તેમના જ પુત્ર જયંત સિન્હા દ્વારા ટ્રોલિન્ગ કરાવ્યું હતું અને પુત્રે સત્તા ટકાવી રાખવા કર્યું પણ હતું.
થોડા દિવસ પહેલાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પક્ષ દ્વારા કરાવવામાં આવતા ટ્રોલિંગનો અનુભવ થયો. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનાર હિંદુ યુવતીને પાસપોર્ટ ખાતાનો એક અધિકારી પાસપોર્ટ બનાવીને નહોતો આપતો. એ યુવતીએ વિદેશ પ્રધાનને ટ્વીટ કરીને અધિકારીના કોમી પૂર્વગ્રહ વિષે ફરિયાદ કરી હતી. સુષ્મા સ્વરાજે એ યુવતીને પાસપોર્ટ મળે એ માટે મદદ કરી હતી, અને ધર્મના નામે કરવામાં આવતા ભેદભાવની ટીકા કરી હતી. બસ. સુષ્મા સ્વરાજની માણસાઈ જોઇને હિન્દુત્વવાદી ટ્રોલ્સનું કટક ઊતરી પડ્યું હતું. હિંદુ રાષ્ટ્રમાં માણસાઈ? ખબર નથી રાજ કોનું છે? તેમને ભાતભાતની ગાળો આપવામાં આવી હતી અને કોંગ્રેસમાં જતા રહેવાની વણમાગી સલાહ આપવામાં આવી હતી.
દીકરા પાસે બાપ સામે ટ્રોલ કરાવવામાં આવે છે, અને કેન્દ્રીય પ્રધાન સામે ટ્રોલનું કટક ઉતારવામાં આવે છે. ૩૦મી જૂને સોશ્યલ મીડિયા ડે હતો અને વડા પ્રધાને યુવાનોને મુક્ત અભિવ્યક્તિ માટે અભિનંદન આપ્યા હતા. પહેલી જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટસી ડે હતો ત્યારે વડા પ્રધાને ટ્વીટ કરીને સી.એ. લોકોને અભિનંદન આપ્યા હતા. કોઈના ઘરે પારણું બંધાય તો ટ્વીટ કરીને અભિનંદન આપવા માટે વડા પ્રધાન પાસે સમય છે, પરંતુ તેમના સાથીને ટ્રોલ્સ ગાળો દેતાં હોય ત્યારે તેમને વારવા માટે તેમની પાસે સમય નથી. કેન્દ્રીય પ્રધાનોમાં માત્ર રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ ટ્રોલિંગની નિંદા કરી છે. દેશના રાષ્ટ્રપતિ અને બીજા નેતાઓએ ટીકા કરી છે. વડા પ્રધાન ચૂપ છે, કારણ કે તેઓ ટ્રોલ્સને ફોલો કરે છે.
આવી સ્થિતિમાં જમણેરી બૌદ્ધિકોનો ટેકો ખસી ન જાય તો બીજું શું થાય?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2018