Opinion Magazine
Number of visits: 9686176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રંગરાજવી પ્રવીણ જોષી

મહેશ ચંપકલાલ|Opinion - Opinion|14 July 2018

પ્રવીણ જોષી એટલે ગુજરાતી રંગભૂમિની એક એવી વિરલ હસ્તી કે જેનામાં પ્રેક્ષક દ્વારા એક કલાકાર પાસે અપેક્ષિત તમામેતમામ જરૂરિયાતો સંતોષાઈ જતી ! જેનામાં અભિનય અને દિગ્દર્શનની નૈસર્ગિક શક્તિ હતી તો RADA જેવી વિદેશની ઉત્તમ સંસ્થામાં મેળવેલી તાલીમનો નિખાર પણ હતો; દેશ-વિદેશમાં શ્રેષ્ઠ કહી શકાય એવાં નાટકોનું પૂરતું જ્ઞાન ને પર્યાપ્ત અનુભવ તેમ જ દુર્લભ કહી શકાય એવી સાહિત્યની સ્પષ્ટ સમજ હતી, તો પ્રેક્ષકોની નાડ પારખવાની અદ્ભુત સૂઝ પણ હતી. સ્ક્રિપ્ટની પસંદગીથી માંડીને સન્નિવેષ-પ્રકાશ આયોજન જેવાં ટેક્નિકલ અંગો વચ્ચે સુંદર સંકલન સાધવાની ગજબની ક્ષમતા હતી તો ‘ક્લાસ’ અને ‘માસ’નો સમન્વય સાધવાની અજબની કુનેહ હતી.

2જી જૂન, 1961ના દિવસે INTએ યોજેલા નાટ્યમહોત્સવમાં રવીન્દ્રનાથ ટાગોરની વિખ્યાત નાટ્યકૃતિ ‘ચિરકુમાર સભા’નું પોતે જ કરેલું ગુજરાતી રૂપાંતર ‘કૌમાર અસંભવમ્’ રજૂ કરી પ્રવીણ જોષી પ્રથમ વાર દિગ્દર્શક તરીકે મેદાનમાં આવ્યા અને મહારાષ્ટ્ર રાજ્ય તથા ગુજરાત રાજ્ય એમ બંનેના દિગ્દર્શનનાં ઇનામ મેળવ્યાં. 1961ની 29મી ડિસેમ્બરે પુ.લ. દેશપાંડેનું પ્રસિદ્ધ નાટક ‘મીનપિયાસી’ તેમના દિગ્દર્શન હેઠળ ભજવાયું. તેમાં આરંભમાં ડૉ. સતીશની ભૂમિકા કરી પણ ત્યાર બાદ કાકાજીના પાત્રમાં સૌથી વધુ વાર રજૂ થઈ રંગભૂમિ પર છવાઈ ગયા. નાટકને તેમ જ દિગ્દર્શનને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયાં.

1963માં હિચકોકની જાણીતી ફિલ્મ ‘Dial M for Murder’નું ગુજરાતી રૂપાંતર ‘મોગરાના સાપ’ ભજવી ઉચ્ચ કોટિના દિગ્દર્શક તરીકે સર્વત્ર પંકાયા અને ગુજરાતી રંગભૂમિને સાચા અર્થમાં મનહર અને મનભર નાટકો આપવાની પરંપરા શરૂ કરી.

1963ના અંતમાં તેમણે જયહિંદ કૉલેજ માટે રાજ્ય સ્પર્ધામાં એક વિશિષ્ટ નાટક ‘શ્યામ ગુલાબ’ તૈયાર કરાવ્યું, તેમાં સર્જનપ્રક્રિયાનો નવો જ અભિગમ જોવા મળ્યો. નાટકનાં થોડાં પાનાં લખાય. તેનું સંકલન થાય. દિગ્દર્શન થતું જાય. નાટકની પ્રતમાં લેખક સાથે વિવિધ પાત્રો ભજવતા કલાકારો પણ સહભાગી બનતા જાય. આ નાટકને રાજ્ય નાટ્ય સ્પર્ધામાં છ જેટલાં ઇનામો પ્રાપ્ત થયાં. વિજય કાપડિયાનો પ્રતીકાત્મક સેટ યાદગાર બની રહ્યો. આ નાટકનું મૂલ્યાંકન કરનાર નામદાર નિર્ણાયકોએ તો જાહેરમાં કહ્યું, ‘પ્રવીણ અહીં શા માટે છે ? એનું સ્થાન તો બ્રોડવે ઉપર હોવું જોઈએ.’

1964માં આર્થર મિલરનું વિખ્યાત નાટક ‘ઓલ માય સન્સ’, ‘કોઈનો લાડકવાયો’ શીર્ષકથી ગુજરાતીમાં તેમણે અવતાર્યું. નાટ્યરૂપાંતર પ્રવીણનું પોતાનું. નાટકની સ્ક્રિપ્ટ લખવાની પ્રવીણમાં ગજબની શક્તિ હતી. અગાઉ ડી.એસ. મહેતા સાથે ‘મોગરાના સાપ’ની સ્ક્રિપ્ટ પણ તેમણે જ લખી હતી. આ નાટકમાં રૂપેરી પડદાના મશહૂર કલાકાર સંજીવકુમાર ભૂમિકા કરતા હતા. આ નાટકમાં વ્યક્તિગત નીતિમત્તાનો પ્રશ્ન કેન્દ્રસ્થાને હતો. અંતરાત્માના અવાજની કે સમાજ પરત્વેની પ્રામાણિક ફરજ અંગેની વાત અહીં અસરકારકપણે રજૂ કરવામાં આવેલી. એક માણસ હોવાને નાતે બીજા માણસની જિંદગીની દરકાર કરવાની મૂળભૂત નિસબત હોવા પર મુખ્યત્વે ભાર મૂકવામાં આવેલો. પોતે આચરેલ અપકૃત્યનાં આનુષંગિક પરિણામોનો માણસે મોઢામોઢ સામનો કરવો પડે છે એની વાત કરતા આ નાટકની વિશિષ્ટતા એનું દિગ્દર્શન હતું. આર્થર મિલર તો આ નાટકના ફોટા જોઈને આફરીન પોકારી ગયા હતા એવું પ્રબોધ જોષી નોંધે છે. આ નાટક સાથે એક મજેદાર કિસ્સો સંકળાયો છે. આ નાટકનો એક પ્રયોગ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો. નાટકનું નામ ‘કોઈનો લાડકવાયો’ વાંચીને ત્યાંની શાળાએ એકેએક વિદ્યાર્થીને જોવા માટે બોલાવેલા. સ્ટેજ પરથી જોયું તો આખો હોલ બાળકોથી ભરેલો. પ્રવીણ જોષીએ શિક્ષકોને બોલાવીને કહ્યું, ‘અરે ભાઈ ! આ શું ? આ નાટક તો બાળકો માટે નથી. બહુ ઘોંઘાટ થશે.’ શિક્ષકો કહે, ‘ઘોંઘાટ શાનો થાય, અમે એકેએક શિક્ષક વચ્ચે ગોઠવાઈ જઈશું.’ પણ પ્રવીણ જોષી એમ કંઈ માને ! તેમણે તો શિક્ષકોને સમજાવીને ‘મને રોકો મા’ નાટક ભજવવાનું નક્કી કર્યું. એના કલાકારોને તાબડતોડ તૈયાર કર્યા ને બાળકોને ખુશ કરી દીધાં. નાટક પૂરું થયું. પ્રવીણ જોષી મેકઅપ ઉતારતા હતા. એક ભાઈ મળવા આવ્યા. કહે, ‘અરે ! તમે તો ‘ઓલ માય સન્સ’ ભજવવાના હતા. એને માટે હું અમદાવાદથી ખાસ આર્થર મિલરનું એ પુસ્તક લઈને આવ્યો છું. તમે મને નિરાશ કર્યો છે !’ આ સાંભળી, ‘પ્રેક્ષકોની આ સજ્જતા જોઈને ય સલામ કરવી પડે’ એવું આ આખો પ્રસંગ વર્ણવતાં માધવ રામાનુજને તેમણે જણાવેલું અને પછી ઉમેરેલું, ‘ધન્ય થઈ જવાય. આવી સભર પળો મળતી રહે છે ત્યાં સુધી અસંતોષનો છાંટો ય મનને સ્પર્શવાનો નથી.’

1968ની આખરમાં, રહસ્ય નાટકોમાં આગવી પ્રતિભા દર્શાવી ગયેલું નાટક ‘ધુમ્મસ’, ‘સાઈને પોસ્ટ ટુ મર્ડર’નું અવિસ્મરણીય રૂપાંતર. જયદેવનું યાદગાર સંગીત. સરિતા-અરવિંદના અભિનયથી ઓપતું આ નાટક ત્રણ ભાષામાં ભજવાયેલું; ગુજરાતી, મરાઠી અને હિન્દી. ત્રણેયમાં કલાકારો એના એ. હિન્દી પ્રયોગ નિહાળી યશ ચોપરાએ ‘ઈત્તફાક’નું સર્જન કર્યું પણ કલાકારો બદલાઈ ગયા. રૂપેરી પડદે ચમક્યા રાજેશ ખન્ના અને નંદા. વર્ષો પછી ગઈ સાલ સિદ્ધાર્થ અને સોનાક્ષીના અભિનયમાં રજૂ થયું તેનું જ રિમેક વર્ઝન અને નામ પણ ‘ઈત્તફાક’ જ.

‘ચંદરવો’ પછી બીજી વાર પ્રવીણે પોતે ભૂમિકા ના ભજવી. આ નાટક પણ મુંબઈની પહેલાં અમદાવાદમાં રજૂ થયેલું. આ નાટક જોઈને જયદેવજીએ પ્રવીણ જોષીની દિગ્દર્શનકલા અને કલ્પનાશીલતાનાં ભરપૂર વખાણ કરેલાં. આ નાટક સાથે પણ એક યાદગાર કિસ્સો સંકળાયેલો છે. નાટક રહસ્યરંગી હોવાને લીધે એક વાર નાટક શરૂ થયા પછી પ્રથમ દૃશ્યના અંત સુધી, મોડા પડનાર પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવતો નહીં. ગમે તેવો ચમરબંદી હોય, ‘ના એટલે ના’. પ્રવેશબંદીનું કડક ફરમાન. બન્યું એવું કે એક પ્રયોગ વખતે વિખ્યાત અભિનેતા શશી કપૂર નાટક જોવા પધાર્યા. એ થોડા મોડા પડેલા ને નાટક શરૂ થઈ ગયેલું. આયોજકો દ્વિધામાં મુકાયા. અંદર પ્રવીણ જોષીની અનુમતિ માગવા જતા એક ભાઈને અટકાવી શશી કપૂરે કહ્યું, ‘હું પૃથ્વી થિયેટરનું સંતાન છું. રંગમંચની શિસ્ત હું જાણું છું. પ્રથમ દૃશ્ય પૂરું થાય ત્યાં સુધી હું રાહ જોઈશ.’ ખુદ પ્રવીણ જોષી શશીની આ રંગભૂમિ-પરાયણતા નિહાળી મનોમન તેમને વંદી રહ્યા.

1972માં પ્રવીણ જોષી ‘એવમ ઇન્દ્રજિત’ પછી ફરી એક વાર પ્રાયોગિક રંગભૂમિ તરફ વળ્યા. આ વખતે નવોદિતો સાથે ‘ચોર બજાર’ રજૂ કર્યું જે ટિકિટબારી પર સરિયામ નિષ્ફળ નીવડ્યું. ચાલુ પ્રયોગે પ્રેક્ષકોએ હો હા કરી મૂકી, એટલે પ્રવીણ જોષી મંચ ઉપર ધસી આવ્યા અને પ્રેક્ષકોને ઉદ્દેશીને કહેવા લાગ્યા, ‘આજ દિન સુધી મેં તમને ગમતાં નાટકો જ ભજવ્યાં છે, પણ આજે હું મારું મનગમતું નાટક લઈને આવ્યો છું. નાટક તો ભજવાશે જ. જેને ના ગમતું હોય તે સત્વરે બહાર નીકળી ટિકિટબારી ઉપરથી પૈસા પાછા લઈ જઈ શકે છે.’ આવી હતી પ્રવીણ જોષીની એક કલાકાર તરીકેની ખુદ્દારી અને ખુમારી.

1972માં ‘ચોર બજાર’ની નિષ્ફળતા પછી પ્રવીણ જોષીએ સ્હેજ પણ હતાશ થયા વિના એક નવું મૌલિક ગુજરાતી નાટક હાથમાં લીધું અને ફરી એક વાર ગુજરાતી સાહિત્યકારને ગુજરાતી તખ્તા સાથે જોડ્યા. એ સાહિત્યકાર એટલે મશહૂર વાર્તાકાર ને નાટ્યકાર મધુ રાય અને એ મૌલિક નાટક એટલે ‘કુમારની અગાશી’. વિજય કાપડિયાએ સર્જેલી આબેહૂબ ‘અગાશી’માં કુમાર બનતા નવોદિત કલાકાર પ્રદીપ મર્ચન્ટનો અભિનય દીપી ઊઠ્યો. નાટકના અંતે મૃત કુમારને જીવતો પાછો ફરતો નિહાળી પ્રેક્ષકો વિમાસણમાં મુકાઈ ગયેલા એટલે પ્રવીણ જોષીએ નાટકના અંતની યોગ્ય છણાવટ કરતી બકુલ ત્રિપાઠીની ‘નાટ્યમીમાંસા’ મોટા અક્ષરોમાં એક બોર્ડ ઉપર ચિપકાવી પ્રેક્ષાગૃહના પ્રાંગણમાં મૂકી દીધેલી, જેથી પ્રેક્ષક એ વાંચીને નાટકનો પ્રયોગ નિહાળવા જાય, ને નાટકના અંતને સુપેરે માણી શકે.

1973માં વળી પાછી એક યાદગાર ઘટના બની. પ્રવીણ જોષી તે વખતે ‘બ્લાઇન્ડ એલી’ની સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા. તે માટે તેઓ માનસશાસ્ત્રનાં થોથાં ઉથલાવતા હતા, પણ ત્યાં તો અચાનક કોઈ બીજાએ તેમણે પોતે કરવા ધારેલું સંગીતમય નાટક ‘સંતુ રંગીલી’ જાહેર કરી દીધું એટલે પ્રવીણ જોષીએ પેલું નાટક પડતું મૂકીને એ નાટક હાથમાં લીધું. પહેલાં તો જે મશહૂર બ્રોડવે મ્યુિઝકલ ઉપરથી એ નાટક રચાયું હતું તે ‘માય ફેર લેડી’ને સાદી સરળ ગુજરાતી ભાષામાં ઉતાર્યું. એ જામ્યું નહીં. એટલે સુરતી ભાષામાં તેને અવતાર્યું. એ પણ મોળું પડ્યું એટલે મધુ રાય પાસે એનું નવેસરથી રૂપાંતર કરાવ્યું ને એવું તો જામી ગયું કે બીજા જાહેરાત કરનારાઓએ તો માંડી વાળ્યું, પણ પ્રવીણની ‘સંતુ’ના તો સિક્કા પડ્યા. મધુના રૂપાંતરે, પ્રવીણના દિગ્દર્શને અને સંતુ તરીકે સરિતાના અભિનયે ટિકિટબારી ઉપર ટંકશાળ પાડી.

પ્રવીણ જોષીની ખરી વિશિષ્ટતા તો તેમની ભાષામાં હતી. પોતાની માતૃભાષા ગુજરાતીને તેમણે અનહદ લાડ લડાવ્યાં. ભાષા પરત્વેની તેમની પ્રીતિ, ઊંડી સમજ અને ચીવટને કારણે અન્ય કલાકારો દિગ્દર્શકોથી તેઓ નોખા તરી આવતા. અન્ય દિગ્દર્શકો ફક્ત ચોટદાર સંવાદોથી સંતોષ માનતા, જ્યારે પ્રવીણ જોષી, ગુજરાતી ભાષા ઉપરના તેમના પ્રબળ પ્રભુત્વને કારણે, શબ્દેશબ્દની વ્યંજનાને પકડતા. એમને ચોટ સાથે સંબંધ નહોતો. અર્થનું તેમને મન પરમ મહત્ત્વ હતું એટલે જ શબ્દમાંથી એ ભાવ પ્રગટાવવા મથતા. સંવાદમાંથી સંગીત પેદા કરતા. પ્રેક્ષકોને ભાષાની ભૂરકી નાંખી આંજી નાંખવાને બદલે તેમને ભાવાવેશમાં લઈ જઈ મંત્રમુગ્ધ અવસ્થામાં મૂકી દેતા. ગુજરાતી ભાષાને અને ગુજરાતી પ્રેક્ષકને તેઓ ક્યારે ય મરાઠી કે બંગાળી ભાષા કે પ્રેક્ષક કરતાં ઊતરતા ગણતા નહીં. ને એટલે જ આજે તેમના અવસાનને ચાર ચાર દાયકા વીત્યા હોવા છતાં પણ પ્રવીણ જોષી પ્રેક્ષકોના હૃદયમાં એવા ને એવા તરોતાજા ધબકી રહ્યા છે.

19 જાન્યુઆરી, 1979ના દિવસે ગુજરાતી રંગભૂમિ જ્યારે સવા શતાબ્દી ઊજવવા થનગની રહી હતી ત્યારે પોતાનું મસ્તક ફોડીને લાલ રંગનું પરોઢ પ્રગટાવનાર, માતૃભાષાના આ અનન્ય ઉપાસકને, વિરલ કહી શકાય એવા રંગરાજવીને, સો સો સલામ.

સૌજન્ય : “વિશ્વવિહાર”, એપ્રિલ 2018; વર્ષ – 18; અંક – 07; પૃ. 04-07 

Loading

બ્રિટન યુરોપિયન સંઘમાંથી માર્ચ 2019માં બહાર નીકળશે : રાષ્ટૃવાદીઓ જટિલ પ્રશ્નોને પહેલાં સરળ કરે છે અને પછી એને વધુ જટિલ બનાવે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2018

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશોને એમ લાગ્યું હતું કે જો રોટલાનો અથવા પેટનો ખાડો પૂરવાનો સંબંધ એકબીજા સાથે જોડવામાં આવે તો ત્રીજું વિશ્વયુદ્ધ ટાળી શકાય. આર્થિક સંબંધોના તાણાવાણા એવી રીતે ગૂંથવા કે અલગ પડવું જ મુશ્કેલ બને. પરસ્પર નિર્ભરતા એટલી વિકસાવવી કે તેમાં લડીને દૂર જવું કે એકબીજાને તારાજ કરવા એ દૂરની વાત ગણાશે. આમાંથી યુરોપના સંઘની કલ્પના વિકસી હતી. યુરોપની એક મજિયારી બજાર હોય, બધા દેશોમાં ચાલે એવું એકસમાન ચલણ હોય, વેપાર-વાણિજ્યની એકસમાન સંહિતા હોય, નિયમનો કરનારી એજન્સી હોય, લોકો પાસપોર્ટ અને વીઝા વિના એકથી બીજા દેશમાં જઈ શકતા હોય, બધા દેશોની એક સંસદ હોય, વગેરે વગેરે.

યુરોપની મજિયારી બજાર તો બની હતી, પરંતુ પૂર્વ યુરોપ હજુ સામ્યવાદી હોવાથી જે અસ્સલ કલ્પના કરવામાં આવી હતી એ સાકાર નહોતી થઈ. ૧૯૯૦ પછી પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદનો અંત આવ્યો અને જેવા યુરોપ સંઘની કલ્પના કરવામાં આવી હતી એવું યુરોપ લગભગ સાકાર થયું. એમ તો તુર્કી પણ યુરોપનો દેશ છે, પરંતુ તુર્કી મુસ્લિમ દેશ હોવાથી તેને યુરોપ સંઘમાં સભ્યપદ આપવામાં આવતું નથી.

ભૌગોલિક રાજકીય એકતા માટે યુરોપ એક દીવાદાંડી સમાન હતું, પણ ત્યાં સુધી જ્યાં સુધી આર્થિક વિકાસનું ગાડું અટકી નહોતું પડ્યું. સ્વાભાવિક છે, જ્યાં સુધી રોટલો રળવામાં મુશ્કેલી ન આવતી હોય ત્યાં સુધી. ત્યાં સુધી જો ખાવામાં બે મોઢાનો વધારો થાય તો કોઈને ભારે નથી પડતું, પરંતુ જ્યારે પડતી થાય ત્યારે પ્રેમ અને ઉદારતાનું બાષ્પીભવન થઈ જાય છે. ૨૦૦૮ પછીથી યુરોપ અને અમેરિકાના અર્થતંત્ર પર સાડાસતી બેઠી છે. નેગેટિવથી લઈને માત્ર ૧.૯ (જર્મની) ટકાનો વિકાસદર છે. પ્રજામાં હતાશા વધવા લાગી ત્યારે આપણે અને બહારનાની માનસિકતા વિકસવા લાગી. જમણેરી રૂઢિચુસ્તો કહેવાતા દેશપ્રેમનું રાષ્ટ્રવાદી રાજકારણ તો કરતા જ હતા તેમાં તેમને હતાશાને વાચા આપનારા સોશ્યલ મીડિયાનો સહારો મળ્યો. સોશ્યલ મીડિયા દ્વારા એવો ઉન્માદ પેદા કરવામાં આવ્યો કે બે વરસ પહેલાં ૨૩મી જૂન ૨૦૧૬ના રોજ બ્રિટન યુરોપના સંઘમાંથી બહાર નીકળી ગયું.

આગળ કહ્યું એમ યુરોપનો સંઘ દાયકાઓની મથામણ પછી રચાયો હતો. મજિયારી બજારથી લઈને મજિયારું ચલણ અને મજિયારી સંસદ સુધી વિકાસ કર્યો છે. યુરોપિયન સંઘના બંધારણની ધારા ૫૦ હેઠળ કોઈ પણ દેશ બહાર નીકળી શકે છે, પરંતુ તેની પ્રક્રિયા અટપટી છે. મન ફાવે ત્યારે કોઈ કમંડલ લઈને બહાર ન નીકળી શકે. અનેક બાબતો સ્પષ્ટ કરવાની છે અને એમાં મુશ્કેલીઓ આવી રહી છે. સૌથી મોટી મુશ્કેલી કોર્પોરેટ કંપનીઓએ પેદા કરી છે. કંપનીઓ કહે છે કે બ્રિટન યુરોપમાં રહે કે બહાર; અમને એ જ સરળતા, સ્પષ્ટતા અને કાયદાકીય તેમ જ નાણાકીય એક સરખાપણું અને જોઈએ છે જે યુરોપિયન સંઘમાં છે. જો બ્રિટન અલગ નીતિનિયમો બનાવશે તો એર બસ, લેન્ડ રોવર, બી.એમ.ડબલ્યુ. જેવી કેટલીક કંપનીઓએ બ્રિટન છોડી જવાની ધમકી આપી છે.

જ્યારે બ્રેક્ઝિટનો લોકમત લેવાયો અને બ્રિટન યુરોપમાંથી બહાર નીકળી ગયું ત્યારે બ્રિટનમાં સોપો પડી ગયો હતો. એ સમયના વડા પ્રધાન ડેવિડ કેમેરુન અને બીજા નેતાઓને લાગવા માંડ્યું હતું કે બ્રિટનનું અર્થતંત્ર તૂટી પડશે. પાઉન્ડ માર ખાશે અને વિકાસદર પા-અડધો ટકો કે પછી નેગેટિવ પણ થઈ શકે છે. એ ભય ઘણે અંશે ખોટો સાબિત થયો છે, એટલે દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓ ગેલમાં આવી ગયા છે. બ્રિટિશ વડાં પ્રધાન ટેરિસા મે પહેલા બ્રેક્ઝિટના વિરોધી હતાં, પરંતુ હવે પાઉન્ડ અને વિકાસદર (૧.૭ ટકા, જર્મનીથી માત્ર ૦.૨ ટકા પાછળ) જળવાઈ રહ્યો છે, એટલે તેઓ પણ બ્રેક્ઝિટની તરફેણ કરવા લાગ્યાં છે. આમાં એક કારણ એ પણ છે કે તેમના ટોરી પક્ષમાંના જમણેરી રૂઢિચુસ્તો વધુને વધુ દબાણ લાવીને ટેરિસા મેને ભીંત સોંસરવા ધકેલી રહ્યાં છે.

મેના પ્રધાનમંડળમાં બ્રેક્ઝિટનો હવાલો સંભાળનારા ડેવિડ ડેવિસે રાજીનામું આપી દીધું એ પછી તરત જ ટેરિસા મે પર વધુ દબાણ લાવવા વિદેશ પ્રધાન બોરિસ જ્હોનસને રાજીનામું આપ્યું છે. હજુ વધુ પ્રધાનો રાજીનામાં આપવાના છે એમ કહેવામાં આવે છે. હકીકતમાં બોરિસ જ્હોન્સન વડા પ્રધાન બનવા માંગે છે. વરસ પહેલાં કારણ વિના ટેરિસા મેએ વચગાળાની ચૂંટણી યોજીને પોતાની સ્થિતિ નબળી કરી છે, અને અત્યારે હવે વધુ નબળી થઈ રહી છે. તેઓ આત્મવિશ્વાસનો દેખાવ કરી રહ્યાં છે, પરંતુ અંદરથી દિશાહીન છે.

બ્રેક્ઝિટ પછી જે ભય સેવવામાં આવ્યો હતો, એ સાચો ન નીવડ્યો એનો અર્થ શું અનુકૂળતા છે અને અત્યારે અર્થતંત્રમાં જે મામૂલી અનુકૂળતા નજરે પડે છે એ જળવાઈ રહેશે? હજુ તો બ્રિટન યુરોપમાંથી વિધિવત્ બહાર નીકળ્યું નથી. વિભાજનની વિધિ નક્કી થઈ રહી છે અને એ વાટાઘાટો આ વરસના અંત સુધી ચાલવાની છે. બ્રિટન આવતા વરસના માર્ચ મહિનામાં યુરોપિયન સંઘમાંથી બહાર પડશે. અર્થતંત્રમાં જે અનુકૂળતા નજરે પડી રહી છે એ વચગાળાની છે, અને જેવું બ્રિટન બહાર નીકળશે કે તરત અવળી અસર થશે એમ જાણકારો કહે છે. બીજું કોર્પોરેટ કંપનીઓનું દબાણ પુષ્કળ છે અને તેને ખાળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્રીજું જો ઉગ્ર રાષ્ટ્રવાદીઓ સત્તા ખાતર રાજકીય અસ્થિરતા પેદા કરશે તો હજુ વધુ નુકસાન થઈ શકે એમ છે. તો પછી શું પૂર્વ યુરોપના ગરીબ દેશોના (મુખ્યત્વે પોલેન્ડના) નાગરિકો બ્રિટનમાં ઘૂસે છે, એટલે યુરોપમાંથી નીકળી જવાનું? આ તો બેવકૂફી કહેવાય અને બ્રિટનમાં એ જ બની રહ્યું છે. આનું નામ રાષ્ટ્રવાદ. જટિલ પ્રશ્નોનું સરલીકરણ કરવાનું અને પછી જટિલ પ્રશ્નને વધારે જટિલ બનાવવાનો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 જુલાઈ 2018

Loading

મહાન છતાં ય છેતરામણો સર્જક !

ભરત દવે|Opinion - Opinion|14 July 2018

નોર્વેના પ્રસિદ્ધ નાટ્યકાર હેનરિક ઇબ્સનની ઓળખાણ આપણા માટે જાણીતાં નાટક “Doll’s House”ના સર્જક તરીકેની છે. નાનપણથી જ ઇબ્સને પોતાના કુટુંબની સુખાકારી જોઈ જ નહોતી કારણ કે તે આઠ વર્ષનો થયો, ત્યાં સુધીમાં પિતાના ધંધામાં મોટી ખોટ જવાથી તેનું કુટુંબ તેના જન્મસ્થળ(Skein)થી દૂર જઈને વસી ગયેલું. ઇબ્સન જ્યારે 15 વર્ષનો થયો ત્યારે તેનું કુટુંબ ફરીથી શહેરમાં આવીને વસ્યું. પરંતુ તેની આર્થિક હાલતમાં ત્યારે પણ હજુ કોઈ ખાસ સુધારો થયો નહોતો. બહુ ગરીબી અને અભાવ વચ્ચે રહીને ઇબ્સન જેવુંતેવું શાળાકીય શિક્ષણ પામ્યો.

નાનપણથી જ તે સ્વભાવે તેમ જ હકીકતે એકલવાયો હતો. ગરીબી અને સંઘર્ષને કારણે તે અંતર્મુખી અને કંઈક અંશે કડવો બની ગયો. આ કડવાશ એટલી હદે તેના હાડમાં ઊતરી ગઈ કે વયસ્ક થયા બાદ, આગળ ઉપર જ્યારે એક વાર તેણે પોતાનો દેશ છોડી દીધો, પછી વર્ષો સુધી ત્યાં પાછો ન ફર્યો. તેના કુટુંબમાં તેની એક બહેન હેડવિગ સિવાય બીજા કોઈ સાથે તેણે સંબંધો રાખ્યા નહોતા. પોતાના કુટુંબ પાસેથી જ તેને પૂરતી સહાનુભૂતિ નહોતી મળી. પિતા હંમેશાં તેમના જ આર્થિક સવાલોથી ઘેરાયેલા રહેતા અને માતાની ધાર્મિક જડતા એવી હતી કે જેનાથી ઊભા થયેલા અંતરને ઓળંગવાની ઇબ્સનને ક્યારે ય એવી તીવ્ર ઇચ્છા કે જરૂર ન લાગી.

અંતે 1844માં 15 વર્ષની વયે ઇબ્સન સ્કીનની પેલે પાર આવેલ ગ્રીમસ્ટૅડમાં એક ફાર્માસિસ્ટને ત્યાં તાલીમ માટે રહી ગયો. સવાર-સાંજ દરિયાના સંગાથમાં, આકાશમાં દેખાતા અવનવા રંગો અને દરિયાનાં પાણીમાં ઝિલાતાં તેનાં મનોહર પ્રતિબિંબને નિહાળતા રહેલા ઇબ્સનની કલ્પનાઓમાંથી એટલા તીવ્ર અભાવ અને સંઘર્ષ વચ્ચે પણ સ્વયંભૂપણે કવિતાઓ સ્ફુરવા લાગી ! સિસેરોનાં વાચનથી પ્રેરાઈને 1850માં તેણે સર્વપ્રથમ નાટક લખ્યું ‘Catiline’. રોમેન્ટિક પરંપરાથી લખાયેલું આ એક ઐતિહાસિક ભૂમિકા પરનું નાટક હતું. તેમાં દેશદ્રોહી રોમન શહેનશાહની કથા આલેખવામાં આવેલી.

આ દરમિયાન ફક્ત 18 વર્ષનો ઇબ્સન તેની એકલતા, હતાશા-નિરાશાથી છૂટવા તેના કરતાં વયમાં દસ વર્ષ મોટી એક નોકરાણીના પ્રેમમાં પડ્યો. તે સ્ત્રીથી તેને વગર લગ્ને એક સંતાન થયું જેને ઇબ્સને 14 વર્ષ સુધી ટેકો આપી ઉછેરવામાં સહાય કરી. આમ છતાં તેનું આ કૃત્ય વર્ષો સુધી તેને માનસિક સંતાપ આપતું રહ્યું. અંતરની આ મનોવ્યથાને તેણે આગળ ઉપર તેના પ્રસિદ્ધ નાટક ‘Peer Gynt’માં વેધક રીતે વ્યક્ત કરી.

બર્ગનના પ્રગતિશીલ થિયેટરના માલિકે ઇબ્સનનાં લખાણોથી પ્રભાવિત થઈ તેને રંગમંચની તાલીમ લેવા ડેન્માર્ક અને જર્મનીનો સાંસ્કૃિતક પ્રવાસ ખેડવાની સગવડ કરી આપી. તાલીમ પૂરી કરી લીધા બાદ ઇબ્સન 1857 સુધી બર્ગન થિયેટર જોડે મેનેજરપદે સંકળાયેલો રહ્યો. એ દરમિયાનમાં તેણે નોર્વેની સંસ્કૃિત, લોકગીતો, દંતકથાઓ વગેરેનો ઊંડો અભ્યાસ કરી નાટકો લખ્યાં, ગીતો લખ્યાં અને આમ નોર્વેનું પોતાનું નેશનલ થિયેટર સર્જવાના ભગીરથ પ્રયાસો કર્યા. ઇબ્સન મધ્યમવર્ગીય કરુણાન્તિકાઓ(bourgeois tragedies)ની પરંપરાનો હતો. પરંતુ કવિતાઓ તેમ જ નાટકોની લોકસ્પર્શી જનસાધારણ અભિવ્યક્તિ તેને રંગદર્શીઓ (Romanticists) પાસેથી શીખવા મળી. ઇબ્સનના મહાન નાટ્યસર્જન પાછળ તે કાળના રંગદર્શી સર્જકોનું મોટું ઋણ રહ્યું છે.

1864થી 1890 સુધી ડેન્માર્ક, રોમ અને જર્મનીમાં રહીને ઇબ્સને તેનાં તમામ જગવિખ્યાત નાટકો લખ્યાં. 1891માં જ્યારે તે સ્વદેશ પાછો ફર્યો ત્યારે એક જગવિખ્યાત નાટ્યકાર તરીકે મશહૂર થઈ ચૂકેલો. પ્રજાએ તેને ખૂબ માનપાન આપીને વધાવ્યો. બાકીનું આયુષ્ય – 1906 સુધી તે નોર્વેમાં જ રહ્યો. ઇબ્સન દેખાવમાં ઠીંગણો પણ ઊર્જાવાન અને પ્રભાવશાળી દેખાતો. તેનું કપાળ વિશાળ હતું. આંખો નાની, વેધક અને આસમાની રંગની હતી. તેના સખત રીતે ભીડેલા હોઠ તેની દૃઢ સંકલ્પશક્તિનો પરિચય આપતા. 1899માં તેની હયાતીમાં જ નૅશનલ થિયેટરના પ્રાંગણમાં તેની કાંસાની પ્રતિમા મૂકવામાં આવી. છેલ્લાં વર્ષોમાં તે માંદો પડ્યો. તેને ચિત્તભ્રમ થઈ ગયું. 1906માં બેશુદ્ધ હાલતમાં જ તે મૃત્યુ પામ્યો.

તમામ નાટ્યકારોમાં નોર્વેનો હેનરિક ઇબ્સન ભારે છેતરામણો છે. તેના સાહિત્યમાં તે જે કોઈ હેતુઓનો પ્રવક્તા હતો એ જ હેતુઓને ક્યારેક સાવ ઊલટાવી નાખીને જોવાની તેનામાં ગજબની હિંમત હતી ! જેમ કે “Doll’s House” નાટકની પ્રસિદ્ધિને કારણે ઇબ્સન સમગ્ર યુરોપનાં નારીમુક્તિ-સંગઠનોનો પ્રવક્તા બની ગયો. તે નાટકની નાયિકા નૉરા જગતની તમામ પીડિત સ્ત્રીઓની જાણીતી રોલમૉડલ બની ગઈ, અને પછીથી ઇબ્સને સાવ અવળું જ વિધાન કર્યું કે ‘મારું આ નાટક માત્ર મહિલાઓના હક્કોનું જ નાટક નથી !’ એક બાજુ તે મધ્યમવર્ગીય રૂઢિપરંપરાની કઠોર આલોચના કરી તેની હાંસી ઉડાવતો અને બીજી બાજુ તે ખુદ એ જ સંકુચિત માનસિકતા ધરાવતા મધ્યમવર્ગીય સમાજની પેદાશ હતો. તેને કાયમ એવી ઝંખના રહેતી કે રાજશાસન તરફથી મળેલાં માનઅકરામોનું કોઈ ને કોઈ રીતે જાહેરમાં પ્રદર્શન થાય. તે હંમેશાં યાદ રાખીને ચીવટપૂર્વક ભપકાદાર કપડાં પહેરતો. તે મૂડીવાદવિરોધી કામદાર લડતોનો સૌથી મોટો સમર્થક હતો અને છતાં ય તેની પોતાની આવકનું એક ગણતરીબાજ શરાફની માફક કોઈ નફાકારક ધંધાવેપારમાં રોકાણ કરવાનું કદી ય ચૂકતો નહીં.

વર્ષો સુધી વિકસિત દેશોનાં મહાનગરોમાં રહ્યો હોવા છતાં ઘણીબધી બાબતોમાં તે સંકુચિત (parochial) માનસ ધરાવતો હતો. રાજકીય પ્રશ્નો પર તે બહુ નિર્ભીકપણે લખતો. પરંતુ શાસન વિરુદ્ધ સામી છાતીએ લડત આપવાની તેનામાં સહેજ પણ હિંમત નહોતી. તેમાં ય વળી જેની જોડે તે ગાઢ રીતે સંકળાયેલો એવા એક રાજકીય સંગઠનના કેટલાક સાથીઓ પકડાઈ ગયા અને એ બધાને લાંબી કેદની સજા થઈ. આ ઘટનાની જાણ થઈ ત્યારે ઇબ્સન ભયથી ધ્રૂજી ઊઠેલો. આગળ જતાં, આ જ ભયને કારણે તેણે રાજકારણમાં સક્રિય ભાગ લેવો જ સમૂળગો છોડી દીધો ! ઇતિહાસમાં મહાન ગણાયેલા સર્જકની આ એક ભીતરની માનવીય નબળાઈ હતી. એક રાજકીય વિચારક તરીકે સમયના જુદા જુદા તબક્કે તેણે પોતાના વતન નોર્વેના રૂઢિચુસ્તો અને ઉદારમતવાદીઓ – બંને ય ખુશ રહે એવું વિચક્ષણ વલણ દર્શાવ્યું, અને છતાં ય સામે આ બંને વર્ગો ઇબ્સનની અવિભક્ત રાજનિષ્ઠા કે દેશપ્રેમ વિશે સદા ય ગેરસમજ સેવતા રહ્યા.

ઇબ્સન પ્રથમ હરોળનો કવિ અને છતાં ય તેણે ઉત્તમ કહી શકાય એવા ગદ્યખંડો લખ્યા. એક નિર્ણાયક ગાળામાં તો એ જ્યારે ગદ્યને આધુનિક નાટ્યલેખનના એક મહત્વપૂર્ણ અંગ તરીકે સ્વીકારવાનું કહી રહ્યો હતો, ત્યારે જ તેણે રસાળ પદ્યમાં લખવાનું ચાલું રાખ્યું. તેના આરંભનાં રોમેન્ટિક નાટકોમાં રિયાલિઝમ દાખલ કર્યું અને પછીના ગાળામાં લખાયેલા રિયાલિસ્ટિક નાટકોમાં સિમ્બોલિઝમનો પ્રયોગ કર્યો. ઇબ્સન એક એવો અનોખો સર્જક હતો કે જે કોકિલની માફક મધુર પણ થઈ શકતો અને કાગડાની માફક કર્કશ  પણ ! ક્યારેક તો બંને એક સાથે ! તેનો સર્વાંગી તલસ્પર્શી અભ્યાસ જ તેના વ્યક્તિ અને કલાકાર વચ્ચેના આ વિરોધાભાસને સ્પષ્ટ કરી શકે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, એપ્રિલ 2018; પૃ. 10-12 

Loading

...102030...3,0983,0993,1003,101...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved