Opinion Magazine
Number of visits: 9686183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની ગયો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 September 2018

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પહેલાં દેશ જુનવાણી અને કલંકિત કાયદાઓથી મુક્ત થવો જોઈએ

છેવટે જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે, પણ એ છતાં આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. એ ચુકાદો સમલિંગી સંબંધો વિશેનો છે. ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ મુજબ સ્ત્રી, પુરુષ અને પ્રાણીઓ સાથેનો અકુદરતી શારીરિક સંબંધને સજા થઈ શકે એવો ફોઝદારી ગુનો ગણવામાં આવે છે અને એ માટે ગુનેગારને દસ વરસથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતના ગુરુવારના ચુકાદા મુજબ હવે પછી અકુદરતી શારીરિક સંબંધ ગુનો નહીં ગણાય. અહીં એક ફરક સમજી લેવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને માત્ર ગુનારહિત (ડીક્રિમિનલાઈઝ્ડ) જાહેર નથી કર્યો, તેને બંધારણવિસંગત ઠરાવ્યો છે, એટલે આપણે એમ કહી શકીએ કે સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની જશે.

આ કાયદો દોઢસો વરસ જૂનો છે. ૧૮૬૦માં ભારતીય દંડસંહિતા ઘડવામાં આવી ત્યારે સેક્શન ૩૭૭નો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટલાંક સામાજિક મૂલ્યો, નૈતિકતા તેમ જ મર્યાદા વિશેની વ્યાખ્યાઓ સમયસાપેક્ષ હોય છે. એક યુગમાં જેને પાપ, ગુનો કે મર્યાદાલોપ સમજવામાં આવતા હોય એને બીજા યુગમાં એ રીતે જોવામાં ન પણ આવતા હોય. આજે અફીણની ખેતી અને વેચાણ અનૈતિક માનવામાં આવે છે અને કાયદાકીય ગુનો પણ છે, પરંતુ ૧૯મી સદીમાં અંગ્રેજોની સહાયથી ભારતીય વેપારીઓ ચીનમાં અફીણની નિકાસ કરતા હતા અને એ જમાનામાં લાખો રૂપિયા કમાયા હતા. મૂડીવાદીઓની પહેલી ભારતીય પેઢી ચીનમાંના અફીણના વેપારે પેદા કરેલી પેઢી હતી.

ભારતીય દંડસંહિતામાં સેક્શન ૩૭૭નો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે નૈતિકતાના અને મર્યાદાના બ્રિટિશ માપદંડો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. મૂળમાં આ કાયદો ૧૬મી સદીના બ્રિટિશ લોનો હિસ્સો છે, જેને બગરી એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ બગરી એક્ટ ૧૫૩૩માં ઘડાયો હતો અને એ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે ભારતમાં આવ્યો હતો. બાકી ભારતમાં વાત્સાયનના કામસૂત્રમાં ગુદામૈથુનની વાત કહેવાઈ છે અને ખજુરાહોના શિલ્પોમાં ગુદામૈથુનના શિલ્પો કંડારવામાં આવ્યા છે.

આ કોલમમાં મેં અનેકવાર લખ્યું છે કે ભારતનું બંધારણ ઘડનારાઓએ અદાલતોને એક ચાળણી આપી હતી. જે કોઈ કાયદા બંધારણવિસંગત હોય એને અદાલતો આપોઆપ ચાળણીમાંથી ચાળી નાખે. તેમને એમ લાગતું હતું કે ધીરે-ધીરે જેટલા ભારતના બંધારણવિસંગત જુનવાણી કાયદાઓ છે એ ચળાઈ જશે અને એ રીતે શરમાવું ન પડે એવું આધુનિક સભ્ય રાષ્ટ્ર અસ્તિત્વમાં આવશે. ભારતનું બંધારણ અમલમાં આવ્યે ૬૮ વરસ વીતી ગયાં છે, પણ એ છતાં અનેક કાયદાઓ હજુ ચળાયા વિના કાયદાપોથીમાં પડ્યા છે.

સેક્શન ૩૭૭ને રદ કરવામાં આવે એવી માંગણી પહેલીવાર ૧૯૯૧માં કરવામાં આવી હતી. ૨૦૦૧માં કેટલાક સમલિંગીઓએ દિલ્હીની વડી અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. ૨૦૦૪માં દિલ્હીની વડી અદાલતે આ આખો મામલો બૌદ્ધિક ચર્ચાનો (એકેડેમિક ઇશ્યુઝ) છે એમ કહીને  અરજી ફગાવી દીધી હતી. અરજદારો સર્વોચ્ચ અદાલતમાં ગયા ત્યારે સર્વોચ્ચ અદાલતે કેસ પાછો દિલ્હીની વડી અદાલતમાં મોકલ્યો હતો અને ખટલો સાંભળવાનો આદેશ આપ્યો હતો. છેવટે ૨૦૦૯માં દિલ્હીની વડી અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણવિસંગત ગણાવતો ચુકાદો આપ્યો હતો. એ ચુકાદો આપનારા ન્યાયમૂર્તિ હતા અજીત પ્રકાશ શાહ અને ન્યાયમૂર્તિ એસ. મુરલીધર.

દિલ્હીની વડી અદાલતના ચુકાદાને સંસ્કૃિતરક્ષકોએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો અને આખી દુનિયાના આશ્ચર્ય વચ્ચે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૩ની સાલમાં હાથ ખંખેરી નાખતો પછાત ચુકાદો આપ્યો હતો. અદાલતે કહ્યું હતું કે અરજદારો જો કાયદો રદ કરાવવા માંગતા હોય તો તેમણે સંસદસભ્યો પાસે જવું જોઈએ, બાકી અદાલતોનું કામ કાયદાપોથીમાં રહેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. સર્વોચ્ચ અદાલતનો એ ચુકાદો ખોટો હતો. સર્વોચ્ચ અદાલતનું કામ બંધારણનું અર્થઘટન કરવાનું છે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે અને બંધારણ વિસંગત કાયદાઓને કે સરકારી આદેશોને રદ કરવાનું છે.

હદ તો ત્યારે થઈ જ્યારે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૪માં અરજદારોની રિવ્યુ પિટિશનને પણ ફગાવી દીધી હતી. એ પછી અરજદારોએ મળીને ક્યુરેટિવ પિટિશન કરી હતી જેનું પરિણામ ગુરુવારનો ચુકાદો છે. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણવિસંગત જાહેર કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું હતું : ‘આય એમ વ્હોટ આય એમ, સો ટેક મી એઝ આય એમ’. બસ આમાં નાગરિકની આઝાદીની વાત આવે છે. પરસ્પર સંમતિ સાથે, બે પુખ્ત વયની વ્યક્તિ એકાંતમાં જાતીય સંબંધ બાંધે એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? જાતીય સંબંધના સ્વરૂપ સાથે ત્રીજી વ્યક્તિને શું લેવા દેવા છે?

પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે. બીજું કાયદાપોથીઓમાં હજુ બીજા અનેક આવા કાયદાઓ છે જેને રદ કરનારા ચુકાદાઓ દાયકા પહેલાં આવવા જોઈતા હતા, પરંતુ હજુ ચુકાદા આવવાના બાકી છે. ખટલા જ ચાલવાના બાકી છે. કાયદા પંચે પર્સનલ લોઝના કાયદાઓને એક એક કરીને ચકાસવાની દરખાસ્ત રજૂ કરી છે એમ કાયદાપોથીઓમાંના તમામ કાયદાઓ ચકાસીને કાલબાહ્ય કાયદાઓને રદ કરવાની માંગણી કરતી એક સર્વગ્રાહી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવી જોઈએ. ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પહેલાં દેશ કલંકિત કાયદાઓથી મુક્ત થવો જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 સપ્ટેમ્બર 2018

Loading

સરકારો કર્મશીલોને જુલમી કાયદા વાપરીને પકડે, અદાલતો બંધારણને ટાંકીને તેમને રાહત આપે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|7 September 2018

સમાનતાવાદી સમાજ માટે મથનારાં કર્મશીલો અને જૂથો સામે સરકારે યુ.એ.પી.એ. કાયદાનો ફરી એક વાર  દુરુપયોગ કર્યો છે ત્યારે ડૉ. વિનાયક સેન અને કબીર કલા મંચને યાદ કરવા જેવા છે

ગઈકાલે સર્વોચ્ચ અદાલતે, મહારાષ્ટ્ર પોલીસે જેમની ધરપકડ કરી હતી એવાં, પાંચ કર્મશીલોની હાઉસ ઍરેસ્ટની મુદ્દત બુધવાર સુધી લંબાવી અને આ ધરપકડો બાબતે પોલીસે 31 ઑગસ્ટે યોજેલી પ્રેસ કૉન્ફરન્સ અંગે પોલીસની ઝાટકણી પણ કાઢી. અદાલતે હાઉસ ઍરેસ્ટના આપેલા આદેશના બીજા જ દિવસે પોલીસે કૉન્ફરન્સ યોજીને ધરપકડોને ટેકો આપતા કથિત પુરાવા માધ્યમોમાં મૂક્યા હતા. ન્યાયમૂર્તિએ કહ્યું: ‘આ મૅટર અમારી સામે હોય ત્યારે અમારે પોલીસ પાસેથી સુપ્રિમ કોર્ટ ખોટી છે, આવું સાંભળવાનું ન હોય.’ આ પૂર્વે 6 સપ્ટેમ્બરે મુંબઈની વડી અદાલતે પણ પોલીસને આ રીતે પત્રકાર પરિષદ યોજીને કેસને લગતી માહિતી બહાર પાડવા માટે ઠપકો આપ્યો હતો.

સરકારે અઠ્ઠ્યાવીસ ઑગસ્ટે દેશના જુદાં જુદાં શહેરોમાંથી પાંચ કર્મશીલોની ધરપકડો કરાવી હતી. તેમની પર પ્રતિબંધિત માઓવાદી જૂથ સાથે જોડાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત પોલીસે બે કર્મશીલોનાં ઘરો પર છાપા પણ માર્યા હતા. પોલીસે આ કારવાઈ યુ.એ.પી.એ. એટલે કે ‘અનલૉફુલ ઍક્ટિવિટિઝ(પ્રિવેન્શન)ઍક્ટ’ હેઠળ કરી છે. ‘દેશની એકતા અને સાર્વભૌમતાનું રક્ષણ’ કરવાના હેતુથી 1967માં ઘડવામાં આવેલો આ કાયદો  પોલીસને ‘આતંકવાદી કામ કે ગેરકાનૂની પ્રવૃત્તિને ટેકો આપવાના’ શક પરથી કોઈ વ્યક્તિ પર છાપો  મારવાની અને વૉરન્ટ વિના તેની ધરપકડ કરવાની સત્તા આપે છે. આરોપી જામીન માટે અરજી કરી શકતા નથી. આ કાયદાનો સહુથી વાંધાજનક હિસ્સો એ છે કે તે સરકાર જેને ‘ગેરકાયદેસર મંડળો, આતંકવાદી ટોળકીઓ અને સંગઠનો’ ગણે છે તેનાં સભ્યોની ધરપકડ કરવાની સત્તા પોલીસને આપે છે.

આ કાનૂન હેઠળ મહારાષ્ટ્ર પોલીસે કરેલી તાજેતરની ધરપકડોનો દેશભરમાં વ્યાપક વિરોધ થયો. પાંચ ખૂબ સન્માનિત ઍકેડેમિક્સે આરોપીઓ વતી કરેલી જામીન અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે 29 ઑગસ્ટે પાંચેય આરોપીઓને જેલમાં નહીં પણ તેમનાં ઘરમાં અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો. વળી, સહુથી મહત્ત્વની વાત એ કે અદાલતે સરકારને કહ્યું કે ‘વિરોધ એ લોકશાહી માટેનો સેફટી વાલ્વ છે. જો વિરોધને જગ્યા નહીં આપવામાં આવે તો પ્રેશર કૂકર ફાટી જશે.’ પછીના દિવસે પોલીસે પત્રકાર પરિષદમાં, ધરપકડો માટેના પુરાવા તરીકે કહ્યું કે  આરોપીઓનાં ઘરોમાંથી મળેલી હાર્ડ ડિસ્ક્સમાં એવા ‘હજારો પત્રો’ છે કે જેમાં પ્રતિબંધિત સંગઠન કમ્યુિનસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા- માઓઇસ્ટ(સી.પી.આઈ.-એમ.) માટે આઠ કરોડ રૂપિયાના ગ્રૅનેડ લૉન્ચર્સ તેમ જ ઍમ્યુિનશન ખરીદીને લગતી અને ‘રાજીવ ગાંધીની હત્યા પ્રકારનાં’ કાવતરા વિશેની માહિતી છે. જો કે આરોપીઓએ પ્રતિવાદ કર્યો છે કે પોલીસ પત્રકારોને સબ જ્યુડિસ કેસની સંવેદનશીલ વિગતો આપીને મીડિયા ટ્રાયલ ચલાવી રહી છે. આ પહેલાં 5 જૂને પણ ભા.જ.પ. શાસિત મહારાષ્ટ્રની પોલીસે પાંચ કર્મશીલોની આ રીતે જ ધરપકડ કરી હતી. પોલીસે કર્મશીલોનાં કાવતરાની શોધ કરી છે. તો બીજી બાજુ આ બધાંએ વર્ષોથી કરેલાં કામની વિગતો માધ્યમોમાં મળે છે. તેઓ સરકાર અને કૉર્પોરેટનાં ગઠબંધનથી આદિવાસીઓનાં જળ-જંગલ-જમીન, અને કોમવાદી સરકારમાં દલિતોના નાગરિક અધિકારો ન છિનવાઈ જાય તે માટે લોકસંગઠન અને કાનૂની રાહે કપરી લડતો ચલાવી રહ્યાં છે. તેમાંથી મોટા ભાગનાં એવાં છે કે જેમણે, ઉજળી શૈક્ષણિક કારકિર્દી અને વ્યવસાય કૌશલથી મળી શકે તેવી, એષ-આરામની જિંદગી છોડીને, ઊંડી સામાજિક નિસબત સાથે જાહેર સંઘર્ષ અને નવરચનાનાં કાર્યોમાં ઝંપલાવ્યું છે.

આવા કર્મશીલોની, લોકશાહી પર કલંકરૂપ ધરપકડ, અને અદાલતો દ્વારા તેમની મુક્તિના કેટલાક કિસ્સાઓમાંથી દુનિયાભરમાં જાણીતો કિસ્સો છત્તીસગઢના ડૉક્ટર વિનાયક સેનનો છે. નક્ષલવાદગ્રસ્ત અંતરિયાળ વિસ્તારમાં વર્ષોથી તબીબી સેવા કરનારા સેન નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનનાં કાર્યકર્તા પણ હતા. તેની રુએ તેમણે, ભા.જ.પ.ની રાજ્ય સરકારે નક્ષલવાદને ખાળવા માટે સ્થાનિક લોકોને શસ્ત્રો આપીને બનાવેલાં સાલવા જુડુમ નામનાં લડાયક દળની સામે મોરચો માંડ્યો. સેનની સહાયથી સંગઠને કરેલી તપાસમાં સાલવા જુડુમે આચરેલા ભયંકર હિંસાચારના સંખ્યાબંધ બનાવો બહાર આવ્યા. સર્વોચ્ચ અદાલતે સાલવા જુડુમને ગેરકાનૂની ગણીને વિખેરી નાખવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો. એ જ અરસામાં સરકારે સાઠ વર્ષના સેનની પ્રતિબંધિત માઓવાદી જૂથ સાથેનાં જોડાણ તેમ જ રાજદ્રોહના આરોપો હેઠળ ધરપકડ કરી અને છત્તીસગઢની વડી અદાલતે તેમને જનમટીપની સજા ફટકારી. ડોક્ટર સેન એક માઓવાદી કેદીને રાયપુર જેલમાં મળવા જતા હતા એ હકીકત સરકાર માટે નિમિત્ત બની. અર્થાત્‌ સેનની આ મુલાકાતો પોલીસના મંજૂરી જાપ્તા હેઠળ થતી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ એચ.એસ. બેદી અને સી.કે. પ્રસાદે 15 એપ્રિલ 2011ના રોજ સેનને જામીન આપતાં કહ્યું : ‘આપણે લોકશાહી દેશમાં છીએ. ડો. સેન નક્ષલવાદીઓ સાથે સહાનુભૂતિ ધરાવતા હોઈ શકે પણ એનાથી તે રાજદ્રોહના ગુનેગાર બનતા નથી. શું કોઈને ત્યાંથી મહાત્મા ગાંધીની આત્મકથા મળે તેનાથી એ ગાંધીવાદી ઓછા બની જાય છે?’

યુ.એ.પી.એ. કાનૂન હેઠળ કૉન્ગ્રેસના શાસનકાળમાં ધરપકડ થયેલા પુનાના કબીર કલા મંચના ચાર કલાકારોને પણ મહારાષ્ટ્રની વડી અદાલતે 5 ફેબ્રુઆરી 2013 ના રોજ જામીન આપ્યા હતા. આ મંચ સરકારની લોકવિરોધી નીતિઓ, ભેદભાવ, અન્યાય અને શોષણનો વિરોધ કરતાં મરાઠી ગીતોના જાહેર કાર્યક્રમ કરતો રહ્યો છે. હચમચાવી દે તેવા શબ્દો અને રજૂઆતમાં ક્રાન્તિનો સંદેશ હોય  છે. જામીન આપતાં ન્યાયમૂર્તિ  અભય ઠિપસેએ કહ્યું : ‘માત્ર ક્રાન્તિ જ સામાજિક માળખામાં બદલાવ લાવી શકે છે એ મતલબનાં મંતવ્યની અભિવ્યક્તિ અપરાધ ગણાય નહીં.’ ન્યાયમૂર્તિએ એ વાત માટે પણ ‘આશ્ચર્ય’ વ્યક્ત કર્યું કે ‘ભ્રષ્ટાચાર નાબૂદી, સામાજિક અસમાનતા, શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધતી જતી ખાઈ, ગરીબોનું શોષણ જેવા વિષયોની વાત કરવા માટે’ મંચના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ‘આવા વિષયો અંગે રજૂઆત કરવામાં કશું ખોટું નથી’, એમ પણ તેમણે જણાવ્યું. ન્યાયાધીશે ચૂકાદામાં આ મતલબનું નોંધ્યું છે : ‘ કબીર કલા મંચ જે પ્રકારના મંતવ્યો વ્યક્ત કરે છે તેવા વિચારો અનેક રાષ્ટ્રીય અને અગ્રણી નેતાઓ વ્યક્ત કરે છે. આવા મંતવ્યોની અભિવ્યક્તિને કારણે કોઈ વ્યક્તિ પર સી.પી.આઈ.(એમ.)ના સભ્ય હોવાનો થપ્પો મારી શકાય નહીં. ઊલટું, આવું રિઝનિંગ એ બતાવે છે કે સાચા અને યોગ્ય મુદ્દાની વાત સી.પી.આઈ.(એમ.) સિવાય કોઈ કરતું નથી. એનો અર્થ એ થયો કે બીજાં પક્ષો અને સામાજિક સંગઠનોને સમાજની આ સમસ્યાઓની કોઈ પરવા નથી. કાર્લ માર્ક્સની શીખામણોમાં શ્રદ્ધા હોવી કે માઓવાદી તત્ત્વજ્ઞાનમાં કેટલોક વિશ્વાસ હોવો એ ગુનાઇત બાબત નથી. પ્રતિબંધિત રાજકીય પક્ષનું સાહિત્ય રાખવું એ પણ અપરાધ નથી.’ વધુમાં આઇ.પી.સી. અને યુ.એ.પી.એ.ની જુદી જુદી કલમોનો ફોડ પાડીને તેમણે કહ્યું : ‘પ્રતિબંધિત સંગઠનનું માત્ર સભ્યપદ કોઈ વ્યક્તિને ગુનેગાર બનાવતું નથી, સિવાય કે એ હિંસા આચરે કે લોકોને હિંસા આચરવા માટે ઉશ્કેરે.’

આ જ શબ્દો સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ માર્કન્ડેય કાટ્જુ અને જ્ઞાન સુધાએ 4 ફેબ્રુઆરી  2011ના રોજ નોંધ્યા હતા. એ ચૂકાદો તેમણે, કૉન્ગ્રેસ સરકારના કાળમાં, ગૌહાતીની ‘ટાડા’ (હવે નાબૂદ થયેલ ‘ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ ઍક્ટ’) કોર્ટે પ્રતિબંધિત ‘ઉલ્ફા’ નામના વિઘટનવાદી સંગઠનના સભ્યપદ માટે ગુનેગાર ઠારાવાયેલા કર્મશીલ અરુપ ભૂયાનની તરફેણમાં આપ્યો હતો. કૉંગ્રેસના કાર્યકાળમાં, કેરળની વડી અદાલતે માઓવાદી હોવાના આરોપ હેઠળ ગિરફ્તાર કરેલા વાયનાડના વિદ્યાર્થીને 22 મે 2015 ના રોજ નિર્દોષ જાહેર કરતાં ચૂકાદામાં નોંધ્યું હતું :‘માઓવાદીની રાજકીય વિચારધારા આપણી બંધારણીય રાજ્યવ્યવસ્થા સાથે બંધબેસતી આવતી નથી, છતાં ય માઓવાદી હોવું એ ગુનો નથી.’ અદાલતે એમ પણ કહ્યું કે ‘આકાંક્ષા હોવી એ લોકોનો પાયાનો માનવ અધિકાર છે.’ એણે રાજ્યની ટીકા કરતાં કહ્યું કે આ ધરપકડમાં ‘કાયદાનું ગણવેશધારી પતન જોવા મળે છે કે જેમાં રક્ષક ભક્ષક બન્યા છે’  અત્યારે પણ આ જ બની રહ્યું છે.

*********

07 સપ્ટેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 સપ્ટેમ્બર 2018 માટે 

Loading

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ, કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 September 2018

હૈયાને દરબાર

જન્માષ્ટમીના આનંદમય અવસરની અસર વિદેશી ધરતી પર વર્તાઇ રહી છે. શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ અને મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી … જેવાં ગીતો મોરેશિયસના સ્થાનિક રેડિયો પર બજી રહ્યાં છે. ટર્કોઇશ ગ્રીન કલરના દરિયાની લહેરો પરથી લહેરાતા પવનની સરસરાહટ ચિત્તને પ્રસન્ન કરી રહી છે. ચોમેર ગાઢ હરિયાળી અને નીરવ શાંતિ છે. બસ, થોડી ચહલપહલ છે પરદેશી પ્રવાસીઓની. મોરેશિયસના બીચ પર બિકિનીધારી લલનાઓ ટહેલી રહી છે. આ નીરવ શાંતિમાં દૂરથી મંદિરમાં ઘંટારવ સંભળાય છે. સાંજ ઢળવાની તૈયારીમાં છે. આરતી ટાણું થયું છે. અહીં જ રહેતાં મારાં સ્વાતિભાભી મોરેશિયસના ઇસ્કોન મંદિરનો સંકેત આપે છે.

આ નાનકડા આઈલેન્ડ પર સંખ્યાબંધ હિન્દુ મંદિર આવેલાં છે. લોકો આધ્યાત્મિક છે. મોરેશિયસના ઇસ્કોનમાં જન્માષ્ટમીએ લગભગ પચીસ હજાર ભક્તો રાધાકૃષ્ણના દર્શન કરવા આવે છે. સ્વચ્છ સુંદર રસ્તાઓ ધીમે ધીમે રંગબેરંગી લાઈટોથી ઝળહળવા લાગ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કૃષ્ણ સમગ્ર જીવનને પ્રેમ કરનારા યુગ પુરુષ છે. એ એકમાત્ર એવા યોગેશ્વર છે જેમણે સ્ત્રીઓની લાગણીઓનો સ્વીકાર કોઇ જાતના ભેદભાવ રાખ્યા વિના કર્યો છે. કોઈ અવતારી પુરુષ રાસલીલા રમતા હોય એવી કલ્પના કરી શકાય? પૂર્ણ પુરુષોત્તમ સુદામાના તાંદુલ આરોગી શકે? અર્જુનનો રથ બની શકે? કૃષ્ણના જીવનમાં દંભને કોઈ સ્થાન નથી. જ્યાં દંભની બોલબાલા હોય ત્યાં કૃષ્ણ રાજી ન જ હોય. રાધા-કૃષ્ણનાં ગીતો વિના કોઈ ગીતકાર જામતો નથી. પ્રેમપંથ પાવકની જ્વાળાની અનુભૂતિ પામનારાને કૃષ્ણની વાંસળીના સૂર સંભળાય છે. કૃષ્ણ ગીતોની વણઝાર મનને તર-બ-તર કરી રહી છે. રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી, જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો, ધેનુકાની આંખોમાં જોયાં મેં શ્યામ, નેજવાને પાંદડે, એકવાર ગોકુળ છોડી ગયા ને … ઓહો, કેટલાં ગીતો યાદ કરવાં?

દેહ મોરેશિયસના દરિયા કિનારે છે પણ મન જઈ પહોંચ્યું છે ગોકુળ, મથુરા-વૃંદાવનમાં. કાનાની મોરલીના સ્વર જાણે દૂર સુદૂરથી સંમોહિત કરી રહ્યા છે. અત્યંત સુંદર આછા લીલાશ પડતાં-સી ગ્રીન ઇન્ડિયન ઓશનમાંથી એક આકૃતિ પ્રગટે છે, રાધા-કૃષ્ણની. રાધા બિના કાના આધા ઔર કાના બિન અધૂરી રાધા. રાધાને કોઈ પૂછે છે કે કાનો તો તને છોડી ગયો છે તો એના વિના તું શું કરશે? રાધા તરત કહે છે કે કાનો તો મારા નામમાં જ સમાયેલો છે, રને કાનો રા અને ધને કાનો ધા. હવે કહો, કાનો ક્યાં દૂર છે મારાથી? આવી કૃષ્ણ સમર્પિત રાધાના કૃષ્ણપ્રેમની મિસાલ જગતમાં ક્યાં ય ન જડે. કૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી અને ગોપીઓ સાથેની શૃંગારિક ક્રીડાઓ તો ખરી જ. કૃષ્ણ આટલી બધી સ્ત્રીઓ સાથે સમય વિતાવે એટલે લોકો રાધાને સવાલ કરતા કે તને કંઈ તકલીફ નથી થતી? ત્યારે રાધા નિશ્ચિંતપણે જવાબ આપે, "મુઝે છોડ કર વો ખુશ રહતે હૈ તો શિકાયત કૈસી, ઔર મૈં ઉન્હેં ખુશ ન દેખું તો મુહોબ્બત કૈસી?” રાધાભાવે પ્રેમ કરવો એ કાચાપોચાનું કામ નહીં. જો કે, સામે કૃષ્ણ જેવો પૂર્ણ પુરુષોત્તમ હોવો પણ એટલો જ જરૂરી. મોરપીંછને માંડવે આજે સવાલ-જવાબનું એક અદ્દભુત, અનોખું ગીત સ્મરણ પટ પર ઊભરી રહ્યું છે. તમે માની ન શકો એવા કવિ છે અને કલ્પી ન શકાય એવી કવિની કલ્પના છે આ ગીતમાં. કૃષ્ણ ગીતો તો અઢળક રચાયાં છે, પણ ફક્ત રાધા ગીતો કેટલાં? કવિને અહીં રાધા ગીત રચવાનું મન થાય છે. હાસ્યલેખક તરીકે જ ઓળખાતા બકુલ ત્રિપાઠી અહીં કવિ તરીકે સાવ ભિન્ન પ્રકારનું ગીત લઈને આવે છે. કવિની હિંમત તો જુઓ! તેઓ રાધા પાસે જઇ એક પ્રસ્તાવ મૂકે છે:

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ છે,
કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?
બંસરીની વાત નહીં આવે, બોલ મંજૂર છે?
વાંક નથી તારો વેર નથી મારા મનમાં,
પણ આજે નિર્ધાર મારો પાકો,
કૃષ્ણ કેરા જાદુથી મુક્ત ના એકે કવિ,
પાડ્યો છે એણે કેવો છાકો,
બીજા છો ડરતાં ને ભરતાં છો ખંડણી,
હું તો કવિ ક્રાંતિ ધ્વજ ધારી,
ડરતો ના કૃષ્ણથી હું કવિઓને કહેતો કે,
દુનિયા છે કનૈયાથી થાકી …!
માઠું લગાડજે મા ભોળુડી રાધિકા,
કૃષ્ણનો ય વાંક નથી ઝાઝો,
અમે અક્કરમી કલ્પનાના કંજૂસિયા,
મળતો વિષય ન બીજો તાજો,
પ્રેમની જ્યાં વાત આવી, ટપક્યું ગોકુળિયું ને ગાયો જમના કિનારો,
કૃષ્ણ વિના તો જાણે પ્રેમ જેવું ક્યાં ય નથી, પાક્કો છે ગોઠવ્યો ઇજારો,
તારાં હું ગીત લખું એકસો ને એક પૂરાં,
પાડીએ રિવાજ હવે ન્યારો, કાનુડાના નામ વિના તારું નામ ગાઈએ, રચીએ દુનિયામાં નવો ધારો ..!

આમ, કવિને ૧૦૧ ગીત એવાં રચવાનું મન છે જેમાં કાનુડો ક્યાં ય ન આવે. કાનાના નામ વિનાની ફક્ત રાધાની કવિતા રચીને નવો ચીલો ચાતરવો છે. આ પ્રસ્તાવ રાધા સમક્ષ મૂકીને કવિ ચાલ્યા જાય છે. થોડા દિવસ પછી કવિ રાધાની સંમતિ લેવા પરત ફરે છે ત્યારે રાધા જે જવાબ આપે છે એ જવાબરૂપી ઉત્કૃષ્ટ ગીત આશિત-હેમા દેસાઈએ અદ્દભુત ગાયું છે. આજે મોરેશિયસના સાગર કિનારે અચાનક આ ગીત યાદ આવે છે ને થાય છે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવ્યા પછી હવે રાધિકાને ગાઈએ. વિદેશની ધરતી પર મનમાં રાસલીલા ચાલી રહી છે. આવી જ અનુભૂતિ એકવાર અમેરિકાની ધરતી પર થઇ હતી. લોસ એન્જલસથી લાસ વેગાસની લોન્ગ ડ્રાઈવ પર યજમાને હંસા દવેના સૂરીલા કંઠે રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી … ગીત કાર ડેકમાં સંભળાવ્યું ત્યારે વિદેશની ધરતી પર ગુજરાતી ગીતના સૂરોની રંગીનિયત બહુ મીઠી લાગી હતી. આ લખાય છે ત્યારે ભારતીય સમય મુજબ આઠમની તિથિ છે અને રાત્રિના બરાબર બાર વાગ્યા છે. વિશ્વભરમાં નાદ ગુંજી ઊઠ્યો હશે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી …!

અમે પણ અહીં દરિયાકિનારેથી ઘરે પહોંચીને કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયા છે. ગુજરાતના નારેશ્વરથી ગુરૂજી ખાસ પધાર્યા છે. હોમ-હવન, દત્ત બાવની અને અવધૂત સ્તુિત સાથે ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનાં ભજન-કીર્તન ચાલી રહ્યાં છે, પરંતુ મારે તો રાધા ભાવથી કૃષ્ણને નિરખવા છે. એટલે જ એક અનોખું ગીત આજે આ કોલમમાં રજૂ કરવું છે. એ ગીત છે ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા …! આ પ્રકારનું ગીત સ્વરકારની પારખું નજરે ચઢે, સ્વરબદ્ધ થાય અને લોકપ્રિય પણ થાય એ ય અનોખી ઘટના. આ ગીતમાં રાધાજી કવિને પ્રત્યુત્તર આપતાં કહે છે કે મારી પરવાનગી શું માંગો છો? એકસો ને એક શું, એક લાખ ગીતડાં ગાશો તો ય કાનો તો બધે આવશે જ. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો, આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડો ને કૃષ્ણથી છૂટવાની વાતો!

આ ગીતના સંદર્ભમાં ગાયક-સ્વરકાર આશિત દેસાઇ કહે છે, "વર્ષો પહેલાં નડિયાદમાં એક લાઈબ્રેરીના ઉદ્દઘાટન નિમિત્તે અમને ગાવા માટે નિમંત્રણ હતું. આયોજકોએ દસેક ગીતો આપીને કહ્યું કે આમાંથી બે-ત્રણ નડિયાદના કવિ છે એટલે એમનાં ગીત ખાસ ગાજો. અમે એમને કહ્યું કે પહેલાં જણાવ્યું હોત તો સારું થાત, અમે એ ગીતો તૈયાર કરીને આવત. પણ હવે તો છૂટકો નહોતો. કાગળિયાં ઉથલાવતા બે કંઇક જુદાં ગીત પર નજર પડી. વાંચીને વધારે મજા એટલે આવી કે કવિ બકુલ ત્રિપાઠી હતા. એક હાસ્યલેખક આવી ઉમદા કવિતા લખી શકે એ જ આશ્ચર્યજનક વાત હતી. શબ્દો બહાર આવે એ રીતે કમ્પોઝ કરવું એ પડકારજનક કામ હતું. છેવટે, રાધા સમક્ષ જે પ્રસ્તાવ મુકવામાં આવે છે એનું પઠન કરવાનું મેં નક્કી કર્યું અને રાધાનો જવાબ ગીત તરીકે સ્વરબદ્ધ કર્યો. ઓન ધ સ્પોટ, ગીત તૈયાર કરી રજૂ કર્યું ને એવું ઉપડ્યું કે હવે તો દરેક પ્રોગ્રામમાં એની ફરમાઇશ આવે છે. સામાન્ય રીતે ગીત ગાતાં પહેલાં હું કવિ પરિચય હંમેશાં આપું પણ આ ગીત લોકોની ધારણા પર છોડું છું. શ્રોતાઓ રમેશ પારેખથી માંડીને કેટલા ય કવિઓનાં નામ ધારે અને છેલ્લે હું બકુલ ત્રિપાઠીનું નામ કહું ત્યારે એમના અચરજનો પાર ન રહે. કવિ હંમેશાં કંઈક નવું કરવા ઈચ્છે છે પણ આ હદે કલ્પના કરે એ કાબિલે તારીફ છે. મારી આ ફેવરિટ કૃતિ છે.

ખૂબ ગમતાં કૃષ્ણ ગીતોમાં હવે અમે પણ આ ગીતનો સમાવેશ કરી દીધો છે. તમે પણ સાંભળજો. ચોક્કસ મજા આવશે.

—————————

ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા કે,
મારી પરવાનગી શું માગો?
કૃષ્ણ વિનાના તમે એકસો ને એક શું,
એક લાખ ગીતડાં ગાઓ, પણ કેમ કરી ગાશો એનું છે અચરજ,
આ આટલામાં સાત વાર આવ્યો?
હોઠથી હટાવો તો આંખમાં છુપાતો ને પાંપણ ઢાળો તો સામે આવે,
આંખો ખોલો તો હાશ! કૃષ્ણ નથી ક્યાં ય, અરે હૈયે આ નટખટ સંતાયો,
હું યે રિસાણી’તી એક દિ’ને હૈયેથી, વાળી-ઝૂડીને બહાર કાઢ્યો,
હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ,
અને મારો ન ક્યાં ય અણસારો,
કપરું છે કામ, ભલી તમને આ હોંશ છે કે કાનાનું નામ નહીં લેવું,
પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એના એક એક અક્ષરમાં કાનો,
કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો,
આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડોને છૂટવાની વાતો …!

• કવિ : બકુલ ત્રિપાઠી • સ્વરકાર : આશિત દેસાઇ • ગાયક કલાકારો: આશિત-હેમા દેસાઇ

——————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 સપ્ટેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=438152

Loading

...102030...3,0443,0453,0463,047...3,0503,0603,070...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved