Opinion Magazine
Number of visits: 9579846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શૃંગારવહુની ટૂંકી કહાણીઓ

દીપક મહેતા|Opinion - Literature|16 August 2018

કાળચક્રની ફેરીએ

અગાઉ પાર્વતીકુંવર આખ્યાન વિષે લખતી વખતે તેમાંના ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તક વિશેના ઉલ્લેખ તરફ ધ્યાન ગયેલું. પણ એ વખતે તો પાર્વતીકુંવર આખ્યાનની પહેલી આવૃત્તિની સાલ અંગે અંદાજ બાંધવા પૂરતો જ તેનો ઉપયોગ કરેલો. પણ ખાંખાખોળાની ટેવ. અને પડી ટેવ તે તો ટળે કેમ ટાળી? એટલે શોધ શરૂ કરી. મુંબઈમાં સફળતા મળી નહિ, એટલે ચાલો અમદાવાદ. અને અહો આશ્ચર્યમ્‌! ટૂંકી કહાણીઓ પુસ્તકના તો બે ભાગ પ્રગટ થયેલા. ગુજરાત વિદ્યાસભાના પુસ્તકાલયમાંના બંને ભાગની ઝેરોક્સ નકલ પણ ખાંખાખોળા-મિત્ર, જાણીતાં ગ્રંથપાલ અને સૂચી-નિષ્ણાત તોરલબહેન પટેલે તાબડતોબ મોકલી આપી. અને મન ગણગણવા લાગ્યું: ‘અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું.’

હા, પહેલા ભાગની તો છેક છઠ્ઠી આવૃત્તિની નકલ જોવા મળી. ટાઈટલ પેજનો ઉપરનો ભાગ અંગ્રેજીમાં છે, નીચલો ગુજરાતીમાં. બન્નેની માહિતી એકસરખી નથી. પણ ૧૯૦૮માં એ આવૃત્તિ પ્રગટ થયેલી. તેના ટાઈટલ પેજ પર છાપ્યું છે: “ઇંગ્રેજીમાંથી ભાષાન્તર કરનારી મીસ એલ.આર. કાલેટે ભણાવેલી એક તરૂણી નામે શૃંગાર.” (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) પાર્વતીકુંવર આખ્યાનમાં જેનો ઉલ્લેખ ‘શણગાર’ તરીકે થયો છે, એ જ આ ‘શૃંગાર.’ મહીપતરામ નીલકંઠની પુત્રવધૂ. અને મિસ કોલેટ હતાં અમદાવાદની ફીમેલ ટ્રેનિંગ કોલેજનાં લેડી સુપરિન્ટેન્ડન્ટ.

મહીપતરામનું તો ૧૮૯૧માં અવસાન થયું, એટલે આ આવૃત્તિ તેમના કોઈ વારસદારે (રમણભાઈ નીલકંઠે?) પ્રગટ કરી હોવી જોઈએ. કોણે પ્રગટ કરેલી તે પુસ્તકમાંથી જાણવા મળતું નથી, પણ તે અમદાવાદના ધ ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું. આ આવૃત્તિમાં ત્રીજી આવૃત્તિ (મહીપતરામની હયાતિમાં છપાયેલી છેલ્લી આવૃત્તિ?)ની એક પાનાની પ્રસ્તાવના ફરી છાપી છે. ઉપરાંત ‘બાઈ શૃંગાર’નો પરિચય આઠ પાનાંમાં છાપ્યો છે. ૧૮૬૪ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે સુરતમાં તેમનો જન્મ. કેશવરાય અને મહામાયાગૌરીનાં તેઓ દીકરી. તેમના પહેલાં જન્મેલાં બધાં સંતાનો મૃત્યુ પામેલાં એટલે મોતની ભૂંડી નજરથી બચાવવા આ દીકરીનું નામ તેની દાદીએ ‘ગાંડી’ પાડ્યું! આ દીકરીના જન્મ પછી જન્મેલાં બાળકો જીવી ગયાં તેથી ‘ગાંડી’ સારાં પગલાંની ગણાઈ અને ઘરમાં તેનું માન વધ્યું.

આઠ વર્ષની ઉંમર સુધી તે નિશાળે ગઈ નહોતી. પણ એક વાર તેની નાની બહેન નિશાળેથી ઇનામ લઇ આવી તે જોઈ તેણે નિશાળે જવાનું નક્કી કર્યું. સુરતની રાયચંદ દીપચંદ કન્યાશાળામાં ભણીને સુવર્ણચંદ્રક મેળવ્યો. અગિયાર વર્ષની ઉંમરે ૧૮૭૫ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે મહીપતરામના મોટા દીકરા અનુભાઈ સાથે ગાંડીગૌરીનાં લગ્ન થયાં. સુરતના નાગરોના રિવાજ પ્રમાણે લગ્ન પછી તેનું નામ બદલાઈને ‘શૃંગારવહુ’ પડ્યું. લગ્ન પહેલાં તેનાં મા-બાપે પણ ગાંડીને બદલે તેનું નામ નર્મદાગૌરી પાડેલું. લગ્ન પછી તેણે મિસ કોલેટ પાસે ભણવાનું શરૂ કર્યું. અંગ્રેજીનો અભ્યાસ વધાર્યો. ભણતર ઉપરાંત ઘરકામમાં પણ તે ખૂબ પાવરધી હતી. પછીથી સસરા મહીપતરામ પાસે ભણવા લાગી. તેમની સૂચનાથી ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’માંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું. તો ‘રોયલ રીડર’માંના કેટલાક પાઠોના અનુવાદ તેણે ‘બુદ્ધિપ્રકાશ’ માટે કર્યા હતા. ૧૮૭૯માં માંદી માતા અને સાસુ બંનેની સેવા કરી. ૧૮૮૦ના જુલાઈની ૧૪મી તારીખે સાસુ પાર્વતીકુંવરનું અવસાન થયા પછી ઘરનો બધો કારભાર શૃંગારને માથે આવ્યો, જે તેણે સહજતાથી ઉપાડી લીધો. સોળ વર્ષની ઉંમરે પહેલી સુવાવડ માટે શૃંગાર સુરત ગઈ. ત્યાં માંદી પડી અને ૧૮૮૧ના મે મહિનાની ૯મી તારીખે તેનું અવસાન થયું. ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તક તેની હયાતીમાં પ્રગટ થઇ શક્યું નહિ. પણ તેમાંથી જે આવક થાય તે બધી ગરીબોને અન્ન અને દવા આપવા પાછળ અને વિદ્યાને ઉત્તેજન આપવા માટે વાપરવી એવો તેનો ઈરાદો હતો. પુસ્તક પ્રગટ કરતી વખતે મહીપતરામે તે પ્રમાણે કરવાનું ઠરાવેલું.

પુસ્તકમાંની ઘણીખરી વાર્તાઓ સાવ ટૂંકી છે. ૯૨ પાનાંના પુસ્તકમાં ૧૧૮ વાર્તાઓ છે. અનુવાદની ભાષા સાદી, સરળ અને સ્વચ્છ છે. અલબત, ૧૬ વર્ષની તરુણીએ આ અનુવાદ કર્યો છે એ યાદ રાખવું ઘટે. નમૂના તરીકે ૩૫મી વાર્તા ‘દેવ અને ગાડીવાન’ જોઈએ:

“એક દિવસે કોઈ ગામડીઓ કાદવવાળે રસ્તે ગાડું હાંકતો હતો. ગાડીનાં પૈડાં કાદવમાં એટલાં દટાયાં કે બળદ ખેંચી શક્યા નહિ. ગાડીવાને પૈડાં કાઢવાનો કંઈ પ્રયત્ન ન કરતાં પ્રાર્થના કરી દેવને મદદે બોલાવ્યા. દેવે આવી કહ્યું ખભો દેઈ પૈડાંને ધકેલ ને બળદને હાંક; જેઓ જાતે મહેનત કરે છે તેમને જ હું સહાય કરું છું. ગાડીવાને તે પ્રમાણે કર્યું એટલે પૈડાં કાદવમાંથી નીકળ્યાં ને તેની અડચણ દૂર થઇ. આપણે પ્રાર્થના કરીએ અને મહેનત ન કરીએ તો આપણી પ્રાર્થના ફળવાની આશા રાખીએ તે ફોકટ છે.”   

અવસાન પહેલાં શૃંગાર આખા પુસ્તકનો અનુવાદ કરી શક્યાં નહોતાં. જેટલી વાર્તા કરી હતી તેટલી તો છાપી, પણ બાકીની વાર્તાઓનું શું? એ જમાનાના ચાલ પ્રમાણે મહીપતરામે ‘શૃંગાર સ્મારક ઇનામ’ માટે હરીફાઈ યોજી. અનુવાદ માટે સાઠ રૂપિયાનું માતબર ઇનામ આપવાની જાહેરાત કરી. મુંબઈનાં પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆનો અનુવાદ ઇનામને પાત્ર ઠર્યો અને તે ‘ટૂંકી કહાણીઓ’ના બીજા ભાગ તરીકે ૧૮૮૩માં પ્રગટ થયો. તેનું ટાઈટલ પેજ પણ અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપર-નીચે છાપ્યું છે. બન્નેમાંની માહિતી એકસરખી નથી. ગુજરાતીમાં બે વિગત વધારે છે: ૧. “ઇનામ આપનારે એ પુસ્તકને સુધારી પ્રગટ કર્યું છે.” ૨. “ગ્રંથ સ્વામિત્વના સર્વ હક્ક આ ચોપડી પ્રગટ કરનારે રાખ્યા છે.” જો કે પુસ્તક પ્રગટ કરનારનું નામ પુસ્તકમાં ક્યાં ય છાપ્યું નથી. અમદાવાદમાં યુનાઈટેડ પ્રિન્ટિંગ અને જનરલ એજન્સી કંપની લિમિટેડના પ્રેસમાં તે છપાયું હતું એટલી માહિતી મળે છે. આરંભે મહીપતરામે એક પાનાની પ્રસ્તાવના લખી છે. તેમાંથી એક વિગત જાણવા મળે છે: શૃંગારે અનુવાદ કરેલો તે પહેલો ભાગ પ્રગટ થયા પછી “તેનો ખપ ઝાઝો માલૂમ પડ્યો. એક હજાર પ્રત સરકારે ખરીદ કરી અને લોકોમાં પુષ્કળ પ્રતો વેચાઈ.”

પહેલા ભાગમાંની વાર્તાઓની સરખામણીમાં બીજા ભાગમાંની વાર્તાઓ વધુ લાંબી છે. તેને ૧૧૯થી ૧૬૭ સુધીનો ક્રમ આપ્યો છે. આ વાર્તાઓ ૧૧૯ પાનાં રોકે છે. અનુવાદ સાફ-સુથરો છે. પારસી બોલીની છાંટ લગભગ જોવા મળતી નથી. ૧૨૮મી વાર્તા ‘સાત શિલિંગનો સિક્કો’નો થોડો ભાગ જોઈએ:

“ઇંગલાંડમાં ઈ.સ. ૧૮૨૬માં નાણા બજારમાં ગભરાટ ચાલતો હતો તે વખતે એક ગૃહસ્થ ઉદાસી મુખે બેસી પોતાના ગુમાસ્તા લોકોને દર કલાકે હજારો રૂપિયા ગણી આપતા હતા તે જોતો હતો. એ ગૃહસ્થ સારી સાખવાળો નાણાવટી હતો, પણ તે વેળાએ વ્યાપાર મંડલ ઉપરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગએલો હોવાથી દરેક જણ નાણાવટીની પેઢીમાં પોતે મૂકેલી રકમ ઊપાડી લઇ જવાની ઉતાવળમાં પડ્યો હતો. દરેકને એવી બીક હતી કે રાખે થોડાં વખતમાં તે પેઢી દેવાળું કાઢે અને તેનાં નાણાં ડૂબી જાય. વાણોતરો નાણાંની થેલીઓ ખાલી કરતા હતા તથા લોકો ખજાનચી પાસે અધીરા થઇ પોતપોતાનું નાણું માગતા હતા; તે સઘળું તે પૈસાદાર શરાફ ગંભીર હાસ્ય સહિત જોતો હતો. તેની થાપણ ખૂટી પડશે એવી તો તેને કાંઈ જ ધાસ્તી નહોતી, પણ જેમને તે પોતાના અતિવહાલા મિત્રો ગણતો હતો તેઓ જ તેની પેઢી નબળી પાડવામાં આતુરતાથી મદદ કરતા હતા, એ જોઈ તેને ખેદ લાગ્યા વગર રહ્યો નહિ.” 

બીજા ભાગની પ્રસ્તાવનામાં મહીપતરામે મૂળ અંગ્રેજી પુસ્તકને ‘ચેમ્બર્સકૃત’ તરીકે ઓળખાવ્યું છે, પણ હકીકતમાં ‘ચેમ્બર્સ’ એ આ પુસ્તકના લેખકનું નામ નથી, તેના પ્રકાશકનું નામ છે. વિલિયમ અને રોબર્ટ ચેમ્બર્સ નામના બે ભાઈઓએ ૧૮૩૨માં ડબલ્યુ એન્ડ આર ચેમ્બર્સની સ્થાપના કરેલી. ૧૯મી સદીના અંતે અંગ્રેજી પુસ્તકો પ્રગટ કરતી આખી દુનિયાની સૌથી મોટી પ્રકાશન સંસ્થા એ બની ગઈ હતી. ૧૯૮૯ પછી ચેમ્બર્સ કુટુંબ તેનું માલિક ન રહ્યું. નામ પણ થોડું બદલાયું: ચેમ્બર્સ હાર્પ પબ્લિશર્સ લિમિટેડ. એડિનબરાની ચેમ્બર્સ સ્ટ્રીટ પર આજે ય વિલિયમ ચેમ્બર્સનું પૂતળું ઊભું છે.

૧૯મી સદીના લેખકો અને તેમનાં પુસ્તકો વિશેની આપણી પાસેની માહિતી એટલી આછી અને ઓછી છે કે આ તો આમ જ છે કે આ તો આમ ન જ હોય એમ છાતી ઠોકીને કહેવું કોઈને માટે શક્ય નથી, યોગ્ય પણ નથી. પણ પૂરેપૂરો સંભવ છે કે આ ગાંડીગૌરી કે નર્મદાગૌરી કે શૃંગારવહુ એ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પુસ્તકનો અનુવાદ કરનારી પહેલી ગુજરાતી સ્ત્રી હતી. અને ‘ટૂંકી કહાણીઓ’નો પહેલો ભાગ એ કોઈ સ્ત્રી દ્વારા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલું પહેલું પુસ્તક છે તેમ માનવું રહ્યું.

XXX XXX XXX

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, અૉગસ્ટ 2018]

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

Loading

વી.એસ. નાયપૉલ સતત ઊહાપોહના માણસ હતા. અભાવને, શંકાને સવાલ નહીં કરનારી નપુંસકતાને પરંપરાનો કે સંસ્કૃિતનો અંચળો કેમ ઓઢાડી શકાય?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 August 2018

મેં વિદ્યાધર સૂરજપ્રસાદ ઉર્ફે વિદ્યા નાયપૉલનું સાહિત્ય વાંચ્યું નથી, પરંતુ મને તેમના બિન સાહિત્યિક લખાણોમાં હંમેશાં રસ પડ્યો છે. આપણને ન ગમે પણ વિચારતા કરી મૂકે એવા ધારદાર નિરીક્ષણો હોય. ભાષાના સ્વામી તો હતા જ, એટલે આપણને જે કહેતાં ફકરા જેટલી જગ્યા જોઈએ એટલી વાત એ એક વાક્યમાં કરી દે. આવી બીજી વ્યક્તિ હતી નીરદ ચૌધરી. ચીડ ચડે તો પણ વાંચવા જ પડે એવા. નાયપૉલ અને નીરદ ચૌધરીની સરખામણી કરીએ તો નીરદબાબુ ચડિયાતા લાગે.

નીરદ ચૌધરીનો જન્મ ૧૮૯૭માં પૂર્વ બંગાળમાં થયો હતો અને ૧૦૧ વરસની ઉમંરે બ્રિટનમાં ઓક્સફર્ડમાં તેમનું અવસાન થયું હતું. મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં તેમનો જન્મ થયો હતો, મુસલમાનોની પડોશમાં તેમનો ઉછેર થયો હતો, સરત ચન્દ્ર બોઝના અંગત સચિવ તરીકે તેમણે કૉંગ્રેસીઓને અને કૉંગ્રેસનું રાજકારણ નજીકથી જોયું હતું. બંગાળી ભદ્રવર્ગને બહુ નજીકથી જોયો હતો. બંગાળી અને અંગ્રેજી એમ બન્ને ભાષા પર એક સરખું પ્રભુત્વ હોવાના કારણે તેમ જ વિચક્ષણ મેધા હોવાના કારણે ભારતીય સંસ્કૃિત અને પાશ્ચાત્ય સંસ્કૃિતના દરેક પાસાં તેઓ સારી પેઠે જાણતા હતા. અભિપ્રાય વ્યક્ત કરવામાં કોઈની પરવા ન કરે.

૧૯૫૧માં નીરદ ચૌધરીની ‘ધ ઓટોબાયોગ્રાફી ઓફ એન અનનૌન ઇન્ડિયન’ નામની આત્મકથા પ્રકાશિત થઈ અને દેશમાં દેશપ્રેમનો દેકારો મચી ગયો. તેમણે તેમની આત્મકથા ભારતમાં રહેલા બ્રિટિશ સામ્રાજ્યને અર્પણ કરી હતી. તેમણે પુસ્તક અર્પણ કરતાં લખ્યું હતું કે બ્રિટિશ સામ્રાજ્યએ આપણને રૈયત તો બનાવ્યા, પણ નાગરિકત્વ આપ્યું નહોતું જેના પર આપણો અધિકાર છે. કારણ કે આપણી અંદર જે કાંઈ સારપ છે એ બ્રિટિશ સામ્રાજ્યને કારણે છે. એ પછી તેમની સરકારી નોકરી ગઈ હતી, પેન્શન અને બીજા બેનિફિટ રોકી દેવામાં આવ્યા હતા, લેખક તરીકે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા, વગેરે. નીરદ ચૌધરી ની:સંકોચ કહેતા હતા કે તેઓ બ્રિટીશપ્રેમી (એન્ગલોફાઈલ) છે. ૧૯૮૨માં નીરદ ચોધરી ઓક્સફર્ડ રહેવા જતા રહ્યા હતા અને ૧૯૯૯માં ત્યાં તેમનું અવસાન થયું હતું. દાયકા પહેલાં વટલાયેલા હિન્દુત્વવાદી દેશપ્રેમી અને રાજ્યસભાના સભ્ય સ્વપ્ન દાસગુપ્તા તેમના શિષ્ય હતા. મારું એવું માનવું છે કે જે વિવેક નથી કરી શકતા એવા લોકો એક અંતિમેથી બીજા અંતિમે ફંગોળાતા રહે છે.

આપણે વાત વિદ્યા નાયપૉલની કરી રહ્યા છીએ એની મને જાણ છે. ૧૯૭૭માં ‘ઇન્ડિયા અ વુન્ડેડ સિવિલાઈઝેશન’ પ્રકાશિત થયું અને ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયામાં ખુશવંત સિંહે તેનો રિવ્યુ કર્યો હતો. ખુશવંત સિંહે આકરી ટીકા કરી હતી એવું મને સ્મરણ છે. એ સમયે હું હજુ અણસમજુ દેશપ્રેમી હતો એટલે દેશદ્રોહીઓ સામે ચીડ ચડે એ સ્વાભાવિક છે. એ સમયે લેબલ ચોડવાની અને રસ્તા પર ઊતરી પડીને કાયદો હાથમાં લેવાની અસંસ્કારિતા હજુ વિકસી નહોતી. મને યાદ છે ત્યાં સુધી ખુશવંત સિંહનો રિવ્યુ વાંચ્યો ત્યારે ખબર પડી કે નીરદ ચૌધરીની ‘ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનૌન ઇન્ડિયન’માં આના કરતાં પણ વધારે ભારતની નિંદા કરવામાં આવી છે, અને નાયપૉલનું આ પહેલાં ‘એરિયા ઓફ ડાર્કનેસ’ નામનું પુસ્તક આવી ચૂક્યું છે જે ભારતની નિર્દયી ચિકિત્સા કરનારું પહેલું પુસ્તક હતું અને વુન્ડેડ તો તેની સિકવલ તરીકે લખાયેલું બીજું પુસ્તક હતું.

કેટલાક લોકો પોતાના મૂળને, પોતાને મળેલા સાંસ્કૃિતક પરિવેશને, તેમાં રહેલી મર્યાદાઓને, બીજી સભ્યતાઓની ખૂબીઓ અને ખામીઓને, સભ્યતાઓના સંઘર્ષોને તટસ્થતા અને નિર્દયતાથી જોઈ શકે છે તો કેટલીકવાર બીજા અંતિમેથી પહેલા અંતિમને સમજવાનો પ્રયાસ કરે છે. વી.એસ. નાયપૉલનો જન્મ ત્રિનિદાદમાં ૧૯મી સદીમાં ભારતથી મોકલવામાં આવેલા ગિરમીટિયા પરિવારમાં થયો હતો. મૂળને નામશેષ કરી નાખનારી મૂડીવાદી-સાંસ્થાનિક નિર્દયતા તેમણે અનુભવી હતી. તેમને એટલી જાણ હતી કે તેમનાં મૂળ ભારતમાં છે, પરંતુ તેઓ જ્યારે ભારતીય સભ્યતાને સમજવા મથે છે, ત્યારે તેમને ધ્યાનમાં આવે છે કે એ મૂળ અને તેની અસ્મિતાઓ પણ ક્યાં ગૌરવ લઈ શકાય એવી છે.

નાયપૉલે તેમની ભારત વિશેની શ્રેણીનું ત્રીજું પુસ્તક ‘ઇન્ડિયા: અ મિલિયન મ્યુિટનીઝ નાઉ’ લખ્યું ત્યારે નાયપૉલ આવતા-જતા લગભગ એક મહિનો મુંબઈમાં રહ્યા હશે. હું એ સમયે ‘સમકાલીન’માં હતો અને ચારુદત્ત દેશપાંડે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રિપોર્ટર હતા. ચારુદત્ત નાયપૉલ માટે હિન્દી અને મરાઠી ભાષાના દુભાષિયા તરીકે મદદ કરતા હતા. નાયપૉલ મુંબઈમાં હોય, ત્યારે રાતે ઘરે જતાં ટ્રેનમાં ચર્ચાનો વિષય નાયપૉલ હોય. એકવાર નાયપૉલ અત્યંત જાણીતા દલિત સાહિત્યકારને મળવા ગયા. માલવણીમાં દોઢ ખોલીના ઘરને જોઇને નાયપૉલે તેમને પૂછ્યું કે ‘આટલી નાનકડી જગ્યામાં પરિવારના સભ્યોની વચ્ચે સેક્સનો સુપૂર્ણ આનંદ કઈ રીતે મળે? માનવીય ગૌરવ માટે જરૂરી પર્યાપ્ત પ્રાઈવસીના અભાવમાં સેક્સની અતૃપ્ત વાસના તમારા સાહિત્ય સર્જનને પ્રભાવિત નથી કરતું?’

એ સાહિત્યકાર માટે આ અનપેક્ષિત પ્રશ્ન હતો, પણ નાયપૉલ માટે સ્વાભાવિક પ્રશ્ન હતો. તેમને એવું લાગ્યું નહોતું કે આવો પ્રશ્ન પૂછીને તેમણે કોઈ બોમ્બ ફેંક્યો છે. પેલા વિદ્રોહી દલિત સાહિત્યકારે પ્રામાણિક ઉત્તર નહોતો આપ્યો. દલિત અને વિદ્રોહી હોવા છતાં. એ પછી ચારુદત્તની સાથે તેઓ એક બીજા વયોવૃદ્ધ મરાઠી સાહિત્યકારને મળવા ચાલમાં આવેલા તેમના ઘરે ગયા હતા. અહીં સવર્ણ સાહિત્યકારની નાનકડી ખોલી જોઇને નાયપૉલે પૂછ્યું હતું કે પ્રત્યેક માણસ માટે હોવી જોઈતી મોકળાશ અને પ્રાઈવસીનો અભાવ તમારી સર્જકતાને પ્રભાવિત કરે છે ખરી અને કરે છે તો કઈ રીતે કરે છે? પેલા સાહિત્યકારે સાદગી, અસંગ્રહ, ઊંચા વિચાર અને ઓછી જરૂરિયાત વિષે ભાષણ આપ્યું હતું.

નાયપૉલને અને નીરદ ચૌધરીને ભારતની આવી દાંભિકતા સામે અણગમો હતો. અભાવને, શંકા અને સવાલ નહીં કરનારી નપુંસકતાને પરંપરાનો કે સંસ્કૃિતનો અંચળો કેમ ઓઢાડી શકાય? હિન્દુત્વવાદીઓ વાંચે ઓછું એટલે નીરદ ચૌધરી અને નાયપૉલનાં પુસ્તકો તેમના ધ્યાનમાં નહીં આવ્યાં હોય, પણ નાયપૉલનું ઇસ્લામ અને મુસ્લિમ સમાજની ચિકિત્સા કરનારું પુસ્તક ‘એમંગ ધ બિલીવર્સ: એન ઇસ્લામિક જર્ની’ જોઇને તેઓ ગેલમાં આવી ગયા હતા. અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા, ત્યારે મુસ્લિમ દેશોમાં ત્રાસવાદ તેની ચરમસીમાએ હતો અને એ અરસામાં જ આ પુસ્તક આવ્યું હતું. હિન્દુત્વવાદીઓ એટલા રાજી થઈ ગયા હતા કે પહેલા પ્રવાસી ભારતીય દિવસના સંમેલનમાં નાયપૉલને બોલાવવામાં આવ્યા હતા. નાયપૉલે તેમના ભાષણમાં હિન્દુત્વવાદીઓને સલાહ આપી હતી કે ‘અતીત અને ઇતિહાસનો વધારે પડતો પ્રેમ મેધાને કુંઠિત કરે છે. ઇતિહાસમાં કેદ થયેલા સમયને શોધવા કરતાં ભવિષ્યના ઊઘડતા જતા સમયને પકડવો જોઈએ. પુરુષાર્થ એમાં છે.’

આપણને વિચારતા કરી મૂકે એવા હચમચાવી દેનારા વિચારનું સ્વાગત કરવું જોઈએ. એવા લોકો આપણને ગમે એવું બોલવાના નથી એટલે ન ગમે એવું સાંભળવાના સંસ્કાર વિકસાવવા જોઈએ.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉગસ્ટ 2018

Loading

સુઝન અને વિવેક

પન્ના નાયક|Opinion - Short Stories|14 August 2018

એમીનું પ્લેઇન રાતના સૅન ડિયેગોના ઍરપૉર્ટ પર લૅન્ડ થયું અને એ બહાર આવી ત્યારે અરાઇવલ ગેઇટ પર સુધાને જોઈ એને આશ્ચર્ય થયું. સુધા બૅગેજ ક્લેઇમ્સ પાસે મળવાની હતી. સુધાના મોઢાના ભાવ પરથી એમીને લાગ્યું કે સુધા વ્યથિત હતી. એ પૂછે એ પહેલાં જ સુધાએ કહ્યું કે એના કુટુંબમાં મરણ થયું છે એટલે એને લૉસ ઍન્જલસ જવું પડશે. એમીની રહેવાની વ્યવસ્થા એણે એના મિત્રો વિવેક અને સુઝનને ત્યાં કરી છે. એમીને આ કાંઈ ઠીક ન લાગ્યું. પોતે ડૉક્ટર છે. મેડિકલ કોન્ફરન્સ માટે આવી છે. કોઈ અજાણ્યાને ત્યાં આઠ દિવસ ગાળવા કરતાં હોટેલમાં રહી શકે. સુધાનો આગ્રહ હતો કે વિવેક અને સુઝનને ત્યાં રહે. એણે કહ્યું કે એ લોકો ગાડીમાં બેઠાં છે. મળશે એટલે પરિચય થશે.

સામાન લઈને બહાર આવ્યાં ત્યાં ગાડીમાંથી વિવેક ઊતર્યો. સુધાએ ઓળખાણ કરાવી. સુઝને ‘હલો’ કહ્યું. સુધા એની ગાડીમાં ગઈ.

વિવેકે એની ઓળખાણ આપી. ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે. ઘેરથી બિઝનેસ કરે છે. સુઝન સારી કંપનીમાં કમ્પ્યુટર પ્રોગ્રામર છે. બે બાળકો છે. દીકરી અલ્પા અગિયાર વરસની અને દીકરો આશિષ ચાર વરસનો.

વિવેકને જોઈને એમીને મનોજ યાદ આવ્યો. હસમુખો. આઉટગોઇંગ.

સુઝને ગાડીમાં ટેઇપ ચાલુ કરવાનું કહ્યું.

વિવેકે ના પાડી. ‘આખી ટેઇપ ન સાંભળીએ તો એમાં કલાકારનું અપમાન કહેવાય.’ ઘેર આવી સુઝને એમીને એનો બેડરૂમ બતાવી દીધો. વહેલી ઊઠે ને ચા કૉફી પીવાં હોય તો એની સુવિધા બતાવી દીધી.

‘મને તમારે ત્યાં રાખવા માટે આભાર.’ એમીએ કહ્યું.

‘અમારે ત્યાં કોઈ આવે એ અમને ખૂબ ગમે છે.’

બીજે દિવસે સવારે એમી વહેલી ઊઠી. રસોડામાં બેસીને વાંચતી હતી. વિવેક નીચે આવ્યો. ‘ગુડમૉર્નિંગ’ કહીને ટેઇપરેકૉર્ડર પાસે ગયો. વેરવિખેર પડેલી ટેઇપોને સરખી કરી. એક ટેઇપ કાઢી. બાજુમાં પડેલા ક્લીનેક્સના ડબ્બામાંથી એક ટિશ્યુ ખેંચી ટેઇપ લૂછી. ટેઇપરેકૉર્ડર લૂછ્યું. ટેઇપ અંદર મૂકી. ભગવાન પાસે દીવો કરતો હોય એવી ભાવનાથી ટેઇપરેકૉર્ડર ચાલુ કર્યું. બાંસરીના આછા સૂર હતા.

‘શું પીશો? ચા, કૉફી?’

‘તમે જે બનાવશો તે.’

‘જુઓ, હું કૉફી પીશ અને સુઝન ને મારાં મા મસાલાની ચા.’

‘હું પણ ચા પીશ.’

વિવેકે કૉફી-મેકર કપડાથી લૂછ્યું. ફિલ્ટરમાં કૉફી ગ્રૅન્યુઅલ્સ નાખતાં થોડા વેરાયા એ એક હાથેથી બીજા હાથમાં લઈ ગાર્બેજ બૅગમાં ફેંક્યા. હાથ ધોયા. પાણી માપી કૉફી-મેકરમાં રેડ્યું. કૉફી-મેકર ચાલુ કર્યું. અને પછી ચા, ચામાં દૂધ, પાણી, મસાલો, ખાંડ. સાણસીથી તપેલી પકડી બરાબર ઉકાળી. ત્રણ મગમાં ગાળીને મગ ટેબલ પર મૂક્યા. કૉફી પણ થઈ ગઈ હતી. મગમાં લઈ વિવેક ટેબલ પર બેઠો.

સુઝન નીચે આવી.

‘ગુડમૉર્નિંગ. ઊંઘ આવી?’ સુઝને એમીને પૂછ્યું.

‘હા.’

સુઝને એક ચમચી ખાંડ પોતાની ચામાં નાખી.

‘કેમ, આજે પણ ખાંડ ઓછી છે?’ વિવેકે પૂછ્યું.

‘હા.’

એમીને પણ ખાંડ ઓછી લાગી એટલે એણે ઉપરથી લીધી.

‘કેવી છે આ બાંસરીની ટેઇપ?’ વિવેકે પૂછ્યું.

‘રોજ સવારે હરિપ્રસાદ ચૌરસિયાની બાંસરી પર “આહીર ભૈરવ” રાગ સાંભળું છું.’ વિવેકે કહી દીધું.

‘તમને વોકલ મ્યુિઝક ગમે?’ સુઝને એમીને પૂછ્યું.

‘હા, શાસ્ત્રીય અને લાઇટ બન્ને.’

‘વિવેકને ન ગમે એટલે મારાથી કોઈ દિવસ વોકલ મ્યુિઝક ના વગાડાય, મને તો શબ્દો સાંભળવા ગમે.’

‘એમી, સુઝન હજી શબ્દો સાંભળતાં તો માંડ શીખી છે. શાસ્ત્રીય સંગીત સમજતાં લાઇફટાઇમ લાગશે.’

‘વિવેક, શાસ્ત્રીય સંગીત જાણે, એ જ જાણકાર કહેવાય એવું થોડું છે?’

વિવેકે વાત બદલી.

‘તમારા ઘરમાં કૉફી કોણ બનાવે?’

‘હું.’

‘તમારા હસબન્ડને તમારી કરેલી કૉફી ફાવે?’

‘હું એકલી જ રહું છું.’

‘તમને બાળકો છે?’ વિવેકે પૂછ્યું.

‘ના.’

‘તો તમને ખ્યાલ નહિ આવે બાળઉછેરનો.’

એમી સમસમી ઊઠી. એને એલેક્સ યાદ આવી ગયો. એનો ને મનોજનો. મનોજે એને છોડી દીધી પછી જન્મેલો. ચાર વરસની એની જિંદગી ભરી ભરી હતી. એક સવારે એલેક્સ ઘર આગળ સાઇકલ ફેરવતો હતો ત્યાં જ કોઈ ગાડી સ્પીડમાં ધસી આવી. એલેક્સ ફંગોળાઈ ગયો. એલેક્સને યાદ કરતાં હજી ય એમીને ધાવણ છૂટે છે.

બીજે દિવસે સાંજે આંતરરાષ્ટ્રીય સંગીતસંમેલન હતું. એમીની બહેનપણી બાર્બરા એમાં ચેલો વગાડવાની હતી. બધા સાંભળવા ગયાં. લગભગ પંદરેક સંગીતકારો હતા. એમાં માર્કેઝ ગાર્સિયા નામનો યુવાન હતો. એણે વાયોલિનના તાર છેડ્યા અને શ્રોતાઓના મોંમાંથી ‘વાહ, વાહ’ સંભળાવા માંડ્યા.

‘આ છોકરો કોણ છે?’ સુઝને એમીને પૂછ્યું.

‘એ તો મેક્સિકોનો સંગીતકાર છે.’

‘કેમ, મળવું છે તારે?’ વિવેકે પૂછ્યું.

‘ના રે, મને તો એનામાં તું જ દેખાય છે, વિવેક.’

‘બોલાવીએ સાંજે એને જમવા? તો તું એની સાથે આંખમાં આંખ મેળવી પેટ ભરીને વાત કરી શકે.’

સંમેલન પૂરું થયું પછી બધાં રેસ્ટોરંટમાં જમવા ગયાં. ઑર્ડર આપ્યો. વિવેક ઉશ્કેરાઈને બોલ્યે જતો હતો. રાજકારણમાં જે સડો પેસી ગયો છે એ કોઈએ તો દૂર કરવો જ જોઈએ. કોઈએ તો પહેલ કરવી જ પડશે વગેરે વગેરે. અચાનક એણે સુઝનને પૂછ્યું:

‘કેમ ચૂપ છે તું? પેલા વાયોલિનિસ્ટના વિચારોમાં ખોવાઈ ગઈ છે કે શું?’

‘જો એમી, વિવેક એની સ્ત્રી-મિત્રો સાથે ફોન પર વાત કરે, સૅન ડિયેગો આવે ત્યારે ઍરપૉર્ટ લેવામૂકવા જાય એ બધું બરાબર. મેં એક સંગીતકારમાં સહેજ રસ બતાવ્યો ત્યારથી આમ મહેણાં માર માર કરે છે.’

‘સુઝન, આ આંસુ લાવીને તું ત્રાગું કરે છે. તમે બેસો. મારે એક ફોન કરવાનો છે. અડધા કલાકમાં પાછો આવીશ.’ કહી વિવેક બહાર ગયો.

સુઝન વાત કરવાની તક જ શોધતી હતી.

‘તું કહે મને એમી, મારો વાંક હોય તો. હું તો બહુ જ ફફડતી રહું છું. વિવેક હોશિયાર છે પણ એની સાથે રહેવું એટલે તલવારની ધાર પર રહેવું. ક્યારે છંછેડાઈ જશે એની ખબર ન પડે. હું કાંઈ પણ કરું કે બોલું એ ખોટું જ હોય.’

‘ક્યાં મળ્યાં તમે?’

‘હું તો આયોવાના એક નાના ગામડામાં જન્મી ને ઊછરી છું. ગ્રેજ્યુએટ થઈ ને એક પાર્ટીમાં વિવેક મળી ગયો. આયોવા પાછા આવીને મેં કહ્યું કે પરણું તો વિવેકને જ. મમ્મીપપ્પા વિવેકને મળ્યાં. એમણે કચવાતે મને હા પાડી. પરણ્યા પછી વિવેકે ધંધો શરૂ કર્યો પણ એ જે શરૂ કરે છે એમાં નસીબ યારી નથી આપતું. દર થોડા દિવસે એનું ફટકે છે.’

‘તમે બન્ને સાથે મળીને વાત કરો કે એકબીજાને શું ગમે છે ને શું ખૂંચે છે.’

‘કેવી વાત કરે છે એમી તું? જેવી વાત શરૂ કરું એટલે ધ્રુવવાક્ય બોલે: પહેલાં બુદ્ધિનો છાંટો આવવા દે પછી વાત કર.’

એમીને એનાં મિત્રદંપતી મેરિયન અને જોસેફ યાદ આવ્યાં. એમના ત્રણ સંવાદ યાદ કરીને એ હસી.

•••

‘ખાનામાં ચપ્પુ હતો એ ક્યાં ગયો?’ જોસેફે પૂછ્યું.

‘ખાનામાં જ હતો. ત્યાં નથી?’ મેરિયને કહ્યું.

‘ખાનામાં હોય તો ય પૂછું એવો મૂરખ છું?’

‘મેં તમને મૂરખ કહ્યા? મૂરખ શબ્દ મારો નથી.’

‘ના, તેં કહ્યું નથી પણ મોઢાના ભાવ પરથી ખબર પડે છે.’

‘મોઢાના ભાવ પરથી ખબર પડે છે તો પચ્ચીસ પચ્ચીસ વરસ પરણ્યે થયાં તો મારા મનમાં શું ચાલે છે એ કેમ કળાતું નથી?’

•••

‘ટીવી ધીરું કર.’ જોસેફે કહ્યું.

‘ધીરું હોય તો મને સંભળાતું નથી.’ મેરિયન બોલી.

‘કહું છું ધીરું કર.’

‘લો, કર્યું.’

‘આટલું ધીરું? હવે કશું સંભળાતું નથી. સહેજ મોટું કર.’

‘લો, મોટું.’

‘આટલું મોટું? તારે મારા કાનના પડદા ફાડી નાખવા છે?’

•••

‘આજની સ્પેિશયલ ડિશ કેવી થઈ છે? ક્યારેક તો વખાણ કર.’

‘ખાઉં છું ને?’

‘કહ્યા વગર તો કૂતરાં ય ખાય. સારી થઈ છે કહેતાં જીભ તૂટી જાય છે?’

‘સારું, કહું. સાચું કહું ને?’

‘અફ કોર્સ.’

‘બહુ ખારી છે.’

‘મને તો કાંઈ ખારી ન લાગી. તને સ્વાદની ખબર પડે છે?’

‘તો પછી મને પૂછે છે શા માટે?’

‘ભૂલ થઈ બસ.’

•••

ત્રણ દિવસ એમી કોન્ફરન્સમાં ગઈ એટલે વિવેક અને સુઝનને ત્યાં તો સૂવા આવવાનું જ થયું. પછીના દિવસે વિવેકના કામ માટે સૅન ફ્રાન્સિસ્કો જવાનું હતું. એને થયું કે બધાં જઈએ તો મજા પડશે. એનો મિત્ર લૅરી પણ આવશે. મા ને છોકરાંઓ ઘેર રહેશે.

સવારે છ વાગ્યે નીકળી જવાનું હતું. બધાં તૈયાર થયાં. લૅરી આવી ગયો. વિવેકે ગાડી બહાર કાઢી. એમી પાછળની સીટ પર બેઠી. સુઝન એની સાથે બેસવા ગઈ ત્યાં વિવેકનો પિત્તો ઊછળ્યો:

‘તારે તારા વર સાથે આગળ બેસવું જોઈએ કે પાછળ? કેમ હું નથી ગમતો? કોઈ સંગીતકારને બેસાડવો છે?’

સુઝન ભોંઠી પડી ગઈ.

‘એમી સાથે અમે અમારી વાત કરી શકીએ …’

‘ના, લૅરી પાછળ બેસશે.’

સુઝન આગળ બેઠી.

રસ્તામાં બ્રેકફાસ્ટ માટે ઊભાં રહ્યાં. વિવેક, લૅરી અને એમીએ ટોસ્ટ અને કૉફી મંગાવ્યાં. સુઝને દૂધ.

‘બીજાંથી જુદું જ કરવાની તારી આ રીત છે સુઝન!’

‘પણ મને દૂધ ભાવે છે. એમીએ દૂધ મંગાવ્યું હોત તો?’

સૅન ફ્રાન્સિસ્કો પહોંચ્યા પછી સુઝન અને એમીને ખબર પડી કે વિવેકને નાની બોટ ખરીદવી હતી, જે શનિ-રવિ ભાડે આપી પૈસા બનાવી શકે. વિવેક એ બાબત વાત કરવા ગયો ત્યારે સુઝને કહ્યું કે આ પહેલાં વિવેકે છ જણ બેસી શકે એવું ઍરોપ્લેઇન ખરીદેલું, જે એનો ભાગીદાર જ રાતોરાત ચોરી ગયેલો. વિવેકે પાછા આવીને કહ્યું કે બધાંએ નાની બોટમાં ફરવા જવાનું છે. સુઝને એમીનો હાથ દબાવ્યો ને ધીરેથી કહ્યું કે બોટમાં એને સી-સિકનેસ થાય છે પણ જો એ વાત વિવેકને કરશે તો એનું આવી બનશે. જવાઆવવાનો સમય તો પોણા જ કલાકનો હતો પણ સુઝનને સતત ઊલટી થયા કરી.

‘આ તો સુઝનની ધ્યાન દોરવાની તરકીબ છે.’ વિવેકે કહ્યું.

પાછાં બધાં સૅન ડિયેગો આવવા નીકળ્યાં. લૅરી પોતાની રીતે આનંદ માણતો હતો. બારી ખોલીને માથું બહાર કાઢે પછી વિવેકને કહે કે સ્પીડથી એની હૅર સ્ટાઇલ ખરાબ થઈ જાય છે. લૅરીને માથે એકે વાળ નહોતો. વળી, વાળ સરખા કરતો હોય એમ ટાલ પર હાથ ફેરવે. થોડી વાર પછી પાછો કહે કે શિયાળામાં રસ્તા પરનાં ઝાડ એવાં બુઠ્ઠાં થઈ જાય છે જાણે કોઈએ એના હાથ જ કાપી નાખ્યા હોય. બોલીને પાછો ઊંડા વિચારમાં ડૂબી જાય.

કેટલા ય વખતથી મારા મનમાં એક સવાલ ઊઠે છે કે સ્ત્રી અને પુરુષની મૈત્રી — જસ્ટ પ્લૅટોનિક મૈત્રી સંભવે ખરી?’ લૅરી બોલ્યો.

‘મને તો લાગે છે કે સંભવે.’ એમીએ કહ્યું.

‘પણ કેટલીક વાર પતિ-પત્ની બન્નેને એક વ્યક્તિ સાથે ન ફાવે. મારો જ દાખલો આપું. શિકાગોથી એક બહેન આવેલાં. મારી પત્ની જોઆનાએ કહ્યું કે એ છોકરીનો પગ આપણા ઘરમાં ન જોઈએ. મને મિત્ર તરીકે એ બહેન ગમે છે.’ લૅરી બોલ્યો.

‘ઈર્ષ્યા હશે.’ વિવેકે કહ્યું.

‘ના રે, એ બહેનની વર્તણૂક એને માટે જવાબદાર છે. મને ખાતરી છે કે એમી માટે જોઆના કશો વાંધો ન લે.’

આટલો વખત ચૂપ બેઠેલી સુઝન એકાએક બોલી.

‘મને તો લાગે છે કે સ્ત્રીને પુરુષમિત્ર હોવો જોઈએ. હું સેક્સની વાત નથી કરતી. જસ્ટ ફ્રેન્ડશિપ. કદાચ વિવેકને હું વધારે સારી રીતે સમજી શકું.’

‘એમ, એમ, એટલે મને સમજવા પુરુષમિત્રની દોસ્તી જોઈએ? કરને પેલા વાયોલિનિસ્ટ સાથે દોસ્તી.’

‘વિવેક, આપણે જનરલ વાત કરીએ છીએ.’ એમીએ કહ્યું.

‘ના, ના, મને લાગે છે કે તું બીજા પુરુષની ભૂખી છે. આપવો છે તારે મને ડિવૉર્સ અને પરણવું છે પેલા મેક્સિકનને?’

સુઝને એમીની સામે જોયું.

‘વિવેક, હું સોગંદ ખાઈને કહું છું કે તારાથી વિશેષ મારે કોઈ નથી. પણ તું “વૅલરી, વૅલરી” કરે એનું મારે ખરાબ નહિ લગાડવાનું. તું એને ઍરપૉર્ટ પર લેવા-મૂકવા જાય અને શૉપિંગ કરવા લઈ જાય એ મારે હસીને સ્વીકારવાનું. અને આટલી નાની વાત પરથી તું ડિવૉર્સ સુધી પહોંચી જાય છે.’

કોઈ કશું બોલ્યું નહિ. વિવેકે ચુપચાપ ડ્રાઇવ કર્યું. બધાં ઘેર આવ્યાં. લૅરી એને ઘેર ગયો. સૌ જમ્યા વિના સૂઈ ગયાં.

બીજે દિવસે સવારે વિવેક નીચે આવ્યો ત્યારે એમી છાપું વાંચતી હતી. વિવેકે ટેઇપ મૂકી. કૉફી-મેકર ઑન કર્યું. ચા ઊકળવા મૂકી. એમી પાસે આવીને બેઠો.

‘તમને હું રાક્ષસ લાગતો હોઈશ.’

એમી કાંઈ બોલી નહિ.

‘મારો ધંધો સારો હતો. હમણાં તકલીફમાં છું. મને સ્ટ્રેસ લાગે છે. જે ખાઉં એનાથી ઍસિડિટી થઈ જાય છે. એમાં સુઝન રોજ કચકચ કરે છે. લગ્નને પંદર વરસ થયાં એની ઉજવણીમાં હીરાની બુટ્ટી ખરીદવી છે ને કેરેબિયન આઇલૅન્ડ્ઝની ક્રૂઝ લેવી છે. હું કહું છું કે થોડું ખમી જા. મને ખૂબ અકળાવે છે એ…’ વિવેક બોલ્યે જતો હતો. સુઝનને નીચે આવતી જોઈ એ અટક્યો.

‘ચા તૈયાર છે. હું થોડી વારમાં આવું છું.’ કહી બહાર ગયો.

સુઝન ટેબલ પર બેઠી અને રડવાનું શરૂ કર્યું.

‘એમી, મેં એટલું જ કહ્યું કે આપણે લગ્ન ટકાવવું હોય તો આપણા વારંવાર થતા ઝઘડા માટે કોઈ મિત્ર કે થેરપિસ્ટ કે મૅરેજ કાઉન્સેલરની સલાહ લઈએ. મને કહે કે, “હું તારી સાથે હવેથી પલંગ પર સૂવાનો નથી. નીચે પથારી પાથરી એકલો સૂવાનો છું.” એમી, મને તો આપઘાત કરવાનું મન થાય છે. તું કોઈને પણ પૂછી જો કે આ ઘર કોણ ચલાવે છે. મારા મોઢામાંથી એ વાત નીકળી નથી પણ લોકો મૂરખ થોડા છે! વિવેકને તો બસ મોટી મોટી ડીલ કરવી છે. કેટલાના પૈસા ડુબાડ્યા છે ને અમારા ય. અરે, આપણાથી ઍરોપ્લેઇન તે ખરીદાતું હશે? અને હવે બોટ ખરીદવી છે. કોઈ પ્રૅક્ટિકલ વિચાર જ નહિ …’

એમીને લાગ્યું કે એ થિયેટરમાં બેઠી છે. પડદા પર ફિલ્મ ચાલે છે. પહેલાંની ફિલ્મમાં કલાકાર એ હતી. હવે પ્રેક્ષક છે. અત્યારની ફિલ્મમાં એ ભાગ લઈ શકે એમ નથી ને એને લેવો પણ નથી. એને થયું કે એ પ્રેક્ષકાગાર છોડીને ચાલવા માંડે.

ઓગસ્ટ 12, 2018

https://davdanuangnu.wordpress.com/category/રવિપૂર્તિ/

Loading

...102030...3,0323,0333,0343,035...3,0403,0503,060...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved