Opinion Magazine
Number of visits: 9686180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજકાલ જગત આખામાં લોકશાહી દેશોમાં નાના માણસો મોટા પદ પર બિરાજમાન થઈ રહ્યા છે અને એમાં પાકિસ્તાન અપવાદ નથી. ઇમરાન ખાને પોતે એ સાબિત કરી આપ્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 September 2018

ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા એ પછી તેમણે ભારતના વડા પ્રધાનને પત્ર લખ્યો હતો કે ચાલો આપણે નવેસરથી સંબંધ સુધારવાનો પ્રયાસ કરીએ. મૂળમાં તો એવી વાત આવી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ઇમરાન ખાન પણ દક્ષિણ એશિયાના શાસકોને સોગંદવિધિમાં હાજર રહેવા માટે બોલાવવાના છે, પરંતુ એ કોઈ કારણે પડતું મૂકવામાં આવ્યું. કદાચ ભારત તરફથી અનુકૂળ પ્રતિસાદ નહીં મળ્યો હોય એ બનવા જોગ છે. મેં આ કોલમમાં પણ લખ્યું હતું કે ઇમરાન પર બહુ ભરોસો કરવા જેવો નથી. ઇમરાન ખાન એક સમયે તાલેબાન ખાન તરીકે ઓળખાતા હતા. તેમણે ત્રાસવાદીઓને જેર કરવાના અમેરિકાના પ્રયાસોનો તો વિરોધ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન સરકારના પ્રયાસોનો પણ વિરોધ કર્યો હતો. ચીન-પાકિસ્તાન કોરિડોરનો સુધ્ધાં વિરોધ કર્યો હતો. ભારત સાથે તેઓ એક જ સમયે પ્રેમ અને ધિક્કારનો સંબંધ ધરાવે છે.

હવે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાનનો પત્ર આવ્યો ત્યારે ભારતે પ્રતિસાદ આપવો જરૂરી હતો. આમ પણ ભારત સરકાર ફરી વાતચીતનો દોર શરૂ કરવા કોઈ મોકો શોધતી હતી. આવા મોકા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તેમના કાર્યકાળ દરમ્યાન આપ્યા હતા, પરંતુ ભારતે એ દરેક મોકાને રોળી નાખ્યા હતા. વિધાનસભાઓની ચૂંટણીઓ લડવા ૫૬ ઈંચની છાતીનો દેખાડો કરવો જરૂરી હતો. આ એવી સરકાર છે જે પાકિસ્તાન અને કાશ્મીરનો ઉપયોગ અંગત રાજકીય લાભ માટે કરે છે. ૨૦૧૪ના ઓગસ્ટ મહિનામાં પહેલીવાર જ્યારે ભારત સરકારે પાકિસ્તાન સાથેની સચિવ સ્તરની વાતચીત રદ્દ કરી ત્યારે જે કારણ આપવામાં આવ્યું એ તો હાસ્યાસ્પદ હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-પાક સંબંધોનો લાંબો ઇતિહાસ છે, પણ ટૂંકમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે ટેરર કે ટૉકમાંથી કોઈ એકની પસંદગી જેમ પાકિસ્તાન કરી શકતું નથી એમ બિરિયાની કે બારણેતાળાં માંથી કોઈ એક પસંદગી ભારત સરકાર કરી શકતી નથી.

ઇમરાન ખાનના પત્રનો ભારતે અનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો સને ૨૭મી સપ્ટેમ્બરે ન્યુ યોર્કમાં યુનોની સામાન્યસભા વખતે ભેગા થનારા ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો મળે એવું ઠરાવવામાં આવ્યું હતું. સીધી વિદેશ પ્રધાનના સ્તરની વાતચીત કોઈ પ્રાથમિક તૈયારી વિના. પ્રાથમિક સ્તરે તૈયારી વિના ઉચ્ચ સ્તરે વાતચીત ત્યારે થતી હોય છે જ્યારે બે દેશ સંબંધોમાં પેદા થયેલો ગતિરોધ (રૉડબ્લોક) તોડવા પ્રતિબદ્ધ હોય અને તેમને ખાતરી થઈ ગઈ હોય કે નીચલા સ્તરે ગતિરોધ તૂટી શકે એમ નથી. જ્યારે સીધી વિદેશ પ્રધાનના સ્તરે વાતચીતનો દોર ફરી શરૂ કરવાનું ઠરાવાયું ત્યારે મનમાં રાજીપો થયો હતો કે ચાલો બે દેશ વાતચીતનો દોર ફરી શરૂ કરવા પ્રતિબદ્ધ છે, પછી ગમે તે અવરોધ આવે.

અવરોધ આવવાનો હતો અને આવ્યો. કદાચ જાણીબૂજીને અવરોધ પેદા કરવામાં આવ્યો હોય, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે એમ પાકિસ્તાનમાં કેટલાક લોકો ઈચ્છતા નથી. પાકિસ્તાનમાં ત્રાસવાદનું અર્થતંત્ર વિકસ્યું છે જેના અનેક લોકો લાભાર્થી છે અને તેઓ ખૂબ શક્તિશાળી છે. કાશ્મીરની ખીણમાં રોજ હિંસાની ઘટના બની રહી છે. ૨૦મી સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરની સરકારના ત્રણ સ્પેિશયલ પોલીસ ઓફિસરની હત્યા કરવામાં આવી અને એક બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાનનો ક્ષત-વિક્ષત કરેલો મૃતદેહ મળી આવ્યો. ૨૧મી સપ્ટેમ્બરે ભારત સરકારે યુનોમાં યોજાનારી વિદેશ પ્રધાનો વચ્ચેની વાતચીત રદ્દ કરી નાખી. કારણ ભારતના આત્મસન્માનનું નથી, ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી છે.

ટેરર અને ટૉક સાથે ન ચાલે એ જો ભારત સરકારની ભૂમિકા હોય તો જ્યાં સુધી ત્રાસવાદનો અંત ન આવે ત્યાં સુધી વાતચીતનો કોઈ પ્રયાસ જ ન કરવો જોઈએ. સતત એક વરસ સુધી ત્રાસવાદી ઘટના નહીં બને એ પછી જ ભારત સરકાર વાતચીતના ટેબલ પર બેસશે એમ કહી દેવું જોઈએ. એ પછી અન્ય દેશોમાં અન્ય પ્રસંગે સાઈડ લાઈનમાં મળવાના કે કોઈ ત્રીજા દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો છૂપી રીતે મળે એવા કે વિદેશથી પાછા ફરતા અચાનક ઇસ્લામાબાદ ઊતરી જવાના પ્રયાસ ન કરવા જોઈએ. બારણાં બંધ એટલે બંધ. આખું એક વરસ ત્રાસવાદી ઘટના વિના વીતશે પછી વાતચીત વિષે વિચારીશું, એ પહેલાં અમને વાતચીતના ઈજનનો પત્ર પણ નહીં લખતા એમ પાકિસ્તાનને હંમેશ માટે કહી દેવું જોઈએ. પરફેકટલી ઓલ રાઈટ. ભારત સરકારને આવી ભૂમિકા લેવાનો અધિકાર છે, પણ પછી એ ભૂમિકા પકડી રાખવી જોઈએ. અહીં તો ત્રાસવાદી ઘટનાને ત્રણ મહિના વીત્યા નહીં કે પાછા શાંતિદૂતના વાઘા શોધવા માંડો એ ન ચાલે.

હું જે સલાહ આપી રહ્યો છું એ ભારત સરકાર જાણતી નથી એવું નથી. તેને પણ ખબર છે કે બારણે તાળાંનો એક વિકલ્પ છે, પણ એ વિકલ્પ વ્યવહારુ નથી એની પણ ભારત સરકારને જાણ છે. જો ત્રાસવાદી ઘટનાઓ છતાં ય અને તેની વચ્ચે વાતચીત કરવી જ પડે એમ છે તો પછી મર્દાનગીના ખોટા દેખાડા શું કામ કરો છો? અત્યાર કરતાં અનેકગણી ગંભીર ઘટનાઓ અટલ બિહારી વાજપેયીના સમયે બની હતી અને એ છતાં એની વચ્ચે વાજપેયી શાંતિના રસ્તાઓ શોધતા હતા અને શાંતિના રસ્તાઓ વાતચીત દ્વારા જ હાથ લગતા હોય છે. કોઈ એક કિનારે રહોને. કિટ્ટાનો માર્ગ વ્યવહારુ ન લાગતો હોય તો ગમે એટલી પ્રતિકૂળતા હોય પણ વાતચીત કરતા રહો અને કિટ્ટા કરીને દેશને ફાયદો થતો હોય તો બુચા વિષે વિચારવાનું છોડી દો. શાંતિદૂતની પ્રતિષ્ઠા ભલે નેહરુ ભોગવતા. નેહરુ પણ થવું અને ઇઝરાયલના ગોલ્ડા માયર પણ બનવું એ બન્ને એક સાથે તો શક્ય નથી. કોઈ એક પ્રતિષ્ઠા બીજા માટે છોડી દેવાનો ત્યાગ કરવો જોઈએ.

ભારતે વાતચીત રદ્દ કરી એ પછી ઇમરાન ખાને ગુસ્સામાં પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે નાના માણસો મોટા પદ પર બેસી જાય ત્યારે આવું થાય. નાના માણસો બીગ પિક્ચર જોઈ શકતા નથી. પ્રતિક્રિયા પરથી લાગે છે કે ઇમરાન ખાન પોતાને બીગ પિક્ચર (મોટાં સપનાં જોનારા) જોનારા મોટા માણસ સમજતા લાગે છે. હવે કહો મોટો માણસ આવું બોલે? આ મોટા કદના માણસની ભાષા છે? ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન વચ્ચેની વાતચીત નજીકમાં હોય ત્યારે બી.એસ.એફ.ના જવાનની ગોળીથી માર્યો ગયેલો કાશ્મીરી યુવક બુરહાન વાણીની ટપાલ ટિકઇટ કોઈ બહાર પાડે? ભારત માટે જે ત્રાસવાદી છે એ પાકિસ્તાન માટે શહીદ હોય તો પણ પાકિસ્તાન વાતચીત થાય ત્યાં સુધી અને વાતચીતમાંથી શું નીપજે છે એ જોવા સુધી રાહ જોઈ શકતું હતું.

એક બાજુ ‘તમે શાંતિની દિશમાં એક ડગલું ચાલશો તો પાકિસ્તાન બે ડગલાં ચાલશે’ એવી ખાતરી આપતો પત્ર લખો અને બીજી બાજુ પહેલું ડગલું માંડવામાં આવે એની પૂર્વસંધ્યાએ ભારત જેને દેશનો દુશ્મન સમજે છે તેની ટપાલ ટિકઇટ બહાર પાડો એ પરિપક્વ મુત્સદી રાજપુરુષના લક્ષણ છે? આજકાલ જગત આખામાં લોકશાહી દેશોમાં નાના માણસો મોટા પદ પર બિરાજમાન થઈ રહ્યા છે અને એમાં પાકિસ્તાન અપવાદ નથી. જગત આખામાં પ્રજા આર્થિક ગતિરોધ, બેરોજગારી, મોંઘવારી, થોડા હાથોમાં સંપત્તિનું કેન્દ્રીકરણ અને શાસકોને ખિસ્સામાં રાખતા ક્રોની કેપિટલિઝમથી ગુસ્સામાં છે; ત્યારે લોકોની ભાષામાં બોલીને લોકોના ગુસ્સાને વાચા આપનારા, સાવ અદ્ધર વાયદા કરનારા, જટિલ સમસ્યાઓનું સરળીકરણ કરનારા અને પોતાને અકસીર ઈલાજ તરીકે પેશ કરનારાઓ ચૂંટાઈ આવે છે. ઇમરાન ખાન પણ આમાંના એક છે.

(આ લખનાર એક અઠવાડિયા માટે બંગલાદેશમાં નોઆખલીની યાત્રાએ જતો હોવાથી છઠ્ઠી ઓક્ટોબર સુધી ‘કારણ-તારણ’ અને ‘નો નોનસેન્સ’ પ્રગટ નહીં થાય.)

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 26 સપ્ટેમ્બર 2018

Loading

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 September 2018

હૈયાને દરબાર

કેટલાંક ગીતો અમરત્વ લઈને આવે છે. જેમ કે અવિનાશ વ્યાસ-આશા ભોંસલેનું માડી તારું કંકુ, રમેશ પારેખ – ગૌરાંગ વ્યાસ, આશા ભોંસલેનું સાંવરિયો, વેણીભાઈ પુરોહિત – અજિત મરચન્ટ અને દિલીપ ધોળકિયાનું આંખનો અફીણી, નિનુ મઝુમદાર અને મન્ના ડેનું પંખીઓએ કલશોર અને એ જ શ્રેણીમાં આગળ વધીએ તો હરીન્દ્ર દવે, પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેનું પાન લીલું જોયું ગીત આવે. આ યાદીમાં હજુ બીજાં ઘણાં ગીતો ઉમેરી શકાય. આ ગીતો વિશે વિચારીએ તો એમ થાય કે આ ગીતકાર-સંગીતકાર અને ગાયકના આ કોમ્બિનેશનને બદલે બીજું જ હોત તો ગીત કેવું બનત! વધુ સારું પણ બની શકે અને કદાચ અણગમતું પણ થઈ શકે.

આજે એવાં જ એક અત્યંત લોકપ્રિય ગીતની વાત કરવી છે, જે સુગમ સંગીતના લગભગ દરેક કાર્યક્રમનું મહામૂલું ઘરેણું બની રહ્યું છે. ક્યારેક લગ્ન પ્રસંગે તો કદીક ભજન સંધ્યામાં ય ગવાય છે! અરે, યંગસ્ટર્સ મોડર્ન ટચ આપીને કવર સોંગ તરીકે પણ રજૂ કરી રહ્યા છે. સારું છે પ્રાર્થના સભામાંથી બાકાત છે. બાકી, દિવંગતોની સ્મૃિતમાં આપણી પ્રજા તમે યાદ આવ્યાં … જેવું ગીત ગવડાવવાની હિંમત કરી શકે! ગીતની દરેક પંક્તિએ કવિ સ્મૃિતની વાત કરે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં, પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં અને પ્રિયજનના ઠાલાં સ્મિતમાં આખું બ્રહ્માંડ દેખાયાની વાત પણ કવિ બહુ ઋજુતાથી કરે છે. કવિની રગેરગમાં જ નહીં, કુદરતના કણ-કણમાં પ્રિયજનની યાદ સમાયેલી છે.

સ્મૃિત એ આનંદની અનુભૂતિ છે. સ્મૃિતઓ સુખદ ઘટના સાથે સંકળાયેલી હોય ત્યારે આનંદ આપે છે. એટલે જ કેટકેટલા કવિઓએ યાદને પોતાનાં ગીતોમાં વણી લીધી છે. પછી એ હિન્દી ફિલ્મનું વો જબ યાદ આયે .. ગીત હોય કે પછી આપણી માતૃભાષાનું આ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ગીત હોય. સુખદ સ્મૃિતઓમાં મહાલવું આપણને હંમેશાં ગમે છે. મન જાણે સ્મૃિતઓનું સંગ્રહાલય! એમાં વળી, સ્મૃિત અને પ્રેમને તો ગાઢ સંબંધ! સ્મૃિત અંદરથી ઉષ્મા અને હૂંફ આપે તો ક્યારેક આંસુ ય લાવે. ગમતી વ્યક્તિની વિદાય કે અવહેલના સૌથી દુ:ખદ સ્મૃિત બની રહે છે. સ્મૃિત વહેંચાય તો બેવડાય. પ્રેમમાં ગમે એટલી પીડા ભોગવી હોય તો ય તમે એની સાથે સંકળાયેલી યાદ ભૂલવા ઇચ્છતાં નથી. યાદ જ એવી જણસ છે જેને સમય પણ ભૂંસી શકતો નથી. ભૂતકાળ દરેકના દેહમાં બીજા હૃદયની જેમ ધબકતો હોય છે. ફોટોગ્રાફ્સ આપણને એટલે જ ગમે છે કારણ કે ગયેલી ક્ષણોને એ જીવંત રાખે છે.

અલબત્ત, જૂની દુ:ખદ યાદોને મમળાવ્યા કરવાની વૃત્તિ ત્યજવી કારણ કે, એ ઘા ઉપર નમક છિડકવાનું જ કામ કરે છે અને વર્તમાનને બગાડે છે. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે ક્યાંક લખ્યું છે કે આપણું હૃદય હંમેશાં ખરાબ સ્મૃિતઓને ફેંકી દે છે અને સારી યાદોને મેગ્નિફાય (વિશાળ) કરીને રાખે છે. માનવમનની આ કરામત કે હુન્નરને લીધે જ આપણે ભૂતકાળનો બોજ વહન કરી શકીએ છીએ. ખરાબ સ્મૃિતઓનો બોજ માથે લઈને ફરીએ તો સૌથી પહેલાં તો આપણે જ દબાઈ જઈએ. એટલે અણગમતી સ્મૃિતઓને વિસર્જિત કરી દેવામાં જ સાર છે. અહીં કવિ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાંની વાત નજાકતથી કરે છે ત્યારે એ પોતાની કૂણી લાગણીઓને-સ્મૃિતઓને કુદરત સાથે જોડે છે. એમાં સંગીત અને સુંદર કંઠ ભળે ત્યારે ઉત્તમ સંગીતકૃતિ સર્જાય. કહેવાય છે કે એક ગીત હજાર સ્મૃિતઓ સાથે લઈને આવે છે. એટલે જ દરેક ગીત સાથે કેટલી આસાનીથી આપણે આપણી જાતને જોડી શકીએ છીએ. મોરિશિયસના બોટનિકલ ગાર્ડનમાં પિન્ક લીલીનાં ખૂબ મોટાં પતરાળાં જેવાં સુંદર પાનને જોઈને અમને હજારો માઈલ દૂર આ ગીત અને ગમતી વ્યક્તિઓ યાદ આવી ગયાં હતાં. યાદ એ રીતે આપણા જીવનનું અભિન્ન અંગ છે. અલબત્ત, યાદ વિના જીવવાનો પ્રયોગ કરી જુઓ. જીવન એકાએક તાજું થઈ જશે. તમારાં પતિ કે પત્નીનાં પ્રેમમાં તમે નવેસરથી પડી શકો છો! જો કે, ‘મેમરી પાવર’માંથી છટકવું સહેલું નથી. એક નાનકડું પાન જોતાં જ કવિ યાદોનાં મધુવનમાં ખોવાઈ જાય છે.

હરીન્દ્ર દવે ઊર્મિશીલ કવિ છે. વ્યવસાયે પત્રકાર એવા હરીન્દ્રભાઈ ‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ-પ્રવાસી’ના મુખ્ય તંત્રી તરીકે છેવટ સુધી કાર્યરત હતા. હરીન્દ્ર દવે એટલે ઉત્તમ ગીતકાર અને સંવેદનશીલ ગઝલકાર. એમનું કવિત્વ રાધા-કૃષ્ણનાં ગીતોમાં, પ્રેમ વ્યક્ત કરતાં ગીતોમાં તો છે જ પણ ફૂલ કહે ભમરાને, એક રજકણ જેવાં એમનાં અન્ય ગીતો લોકપ્રિય તથા કાવ્યતત્ત્વથી સભર છે. એમનાં કાવ્યોમાં લય જાણે દરિયાઈ લહેરની જેમ સ્વાભાવિક ગતિથી વહે છે તેમ જ અપ્રતિમ ભાવ માધુર્ય ધરાવે છે. રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા હરીન્દ્ર દવે સ્વભાવે ઋજુ, સંવેદનશીલ અને અંતર્મુખી. કૃષ્ણ ગીતોમાં એમનો હાથ કોઈ ઝાલી ન શકે. એમનાં ગીતોએ શ્રોતાઓને હંમેશાં ડોલાવ્યા છે. પાન લીલું જોયું પણ એમાંનું જ એક ગીત છે.

આ ગીતનાં ગાયિકા હંસા દવે એટલે સૌમ્ય વ્યક્તિત્વ અને સુમધુર અવાજ. તેઓ નાનાં હતાં ત્યારે ઘરમાં સંગીતનું કોઈ જ વાતાવરણ નહીં. રેડિયો સુધ્ધાં નહીં. સૌપ્રથમ સ્વરો ઘરની પ્રાર્થનામાં ચાર- પાંચ વર્ષની ઉંમરે વહ્યા હશે એવું કંઈક એમને યાદ છે. અમદાવાદમાં બચપણ વીત્યું હતું અને કોલેજકાળ દરમિયાન કોલેજની સ્પર્ધાઓ અને સુગમ સંગીતના કાર્યક્રમોમાં ગાવાની શરૂઆત કરી હતી. લતા મંગેશકરથી ખૂબ પ્રભાવિત છતાં એમણે અવાજની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ક્યારે ય કોઈની કોપી કરવાની કોશિશ કરી નથી. એમનો અવાજ જ એમની ઓળખ બની રહે એવું ઇચ્છતા હંસાબહેનની પ્રિય પંક્તિ છે : નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે! પાન લીલું … ગીતને લોકપ્રિય બનાવનાર ગાયક કલાકાર હંસા દવે આ ગીત વિશે કહે છે, "હું માનું છું કે ગીત ફક્ત કવિનું જ કહેવાય. કવિ પહેલો શબ્દ લખે ત્યારે જ ગીતની કુંડળી બની જતી હોય છે. ઉત્તમ કવિની કવિતાને પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો સાથ મળે પછી પૂછવું શું? આ ગીત બે જ સિટિંગમાં બેસાડી દીધું હતું. પહેલાં તો મને આ ગીત સાવ સીધું-સરળ લાગ્યું. મને એમ થયું કે આવું આ ધીમી લયનું ગીત કેવી રીતે ઉપડશે? પરંતુ ગાતાં ગાતાં ગીતના શબ્દો સાથે ભાવ ઉમેરાતો ગયો. પછી તો અંગત રીતે પણ મને ખૂબ ગમવા માંડ્યું હતું. રેડિયો પર રજૂ થયા બાદ એટલું પ્રસિદ્ધ થયું કે એંસીના દાયકામાં વિસનગરમાં અમારો એક પ્રોગ્રામ હતો. ઓડિટોરિયમ ભરચક હતું. એમાં પાન લીલું જોયુંની ફરમાઈશ આવી. મેં ગાયું, વન્સ મોર થયું. એવામાં ઓડિયન્સમાંથી અચાનક એક બહેન હાર લઈને આવ્યાં. સ્ટેજ પર બેઠેલાં અમને ત્રણેય-ગાયક, સ્વરકાર અને સંચાલકને થયું કે બહેન હાર કોને પહેરાવશે! વધુ કંઈ વિચારીએ એ પહેલાં એમણે મારા ગળામાં હાર પહેરાવી દીધો અને કહ્યું કે હંસાબહેન તમારે માટે મારી પાસે શબ્દો નથી. અત્યંત સુંદર ગીત તમે એટલું ભાવવાહી રીતે ગાયું કે મારાથી રહેવાયું નહિ એટલે હું ઊભી થઈ અને મારા ગળાનો હાર તમને પહેરાવી દીધો. અગાઉ કહ્યું તેમ દરેક ગીત નસીબ લઈને આવતું હોય છે. આ ગીત બીજું કોઈ પણ સ્વરબદ્ધ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ ગાઈ શકે પણ કવિના શબ્દને કોઈ હલાવી શકે નહીં. ગીતના પહેલા શબ્દે જ એની કુંડળી મંડાઈ જતી હોય છે. રાધાનું નામ …. ગીત લખાયું ત્યારે ધાર્યું નહોતું કે આટલું લોકપ્રિય થશે. ઘણીવાર એવું પણ બને કે શબ્દો સરસ હોય, સ્વરાંકન સુંદર હોય, ગાયક-સંગીતકારને ગીત ખૂબ ગમતું હોય છતાં લોકપ્રિય ન થાય. મને શ્રેષ્ઠ કવિઓની રચનાઓ ગાવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે એ પણ નસીબની બલિહારી! આ ગીતમાં, કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ એ શબ્દો તો ગીતની પરાકાષ્ઠા છે.

હંસાબહેનની વાત સાચી છે. પ્રિયજનની તીવ્ર સ્મૃિત કવિને ક્યાંથી ક્યાં કલ્પનાવિહાર કરાવે છે. ‘ચવાઇને ચુથ્થો’ થઈ ગયેલા આ ગીતનો ઉઘાડ જે પ્રકારના વશીભૂત કરનારા સંગીતથી થાય છે એ તમને ફરી ફરી સાંભળવા મજબૂર કરે છે. રાગ પીલુની છાંટ ધરાવતા આ ગીતની સંગીતમાધુરીમાં વિરહવેદનાની જે ટશર ફૂટે છે એ ગીતને અપેક્ષિત ઊંચાઈએ લઇ જાય છે. હંસા દવેનો અવાજ આ ગીતમાં અત્યંત ફ્રેશ અને મીઠો લાગે છે. આ ગીત વિશે સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય કહે છે, "ઓલ ઇન્ડિયા રેડિયો પર મારે નિયમિત ત્રણ-ત્રણ રચનાઓ મોકલવાની રહેતી હતી એમાંનું આ એક ગીત છે. લગભગ પાંત્રીસેક વર્ષ જૂનું. મહેન્દ્ર મેઘાણીના ‘કાવ્ય કોડિયાં’માંથી મને આ કાવ્ય મળ્યું અને જોતાં જ ગમી ગયું હતું એટલે તરત જ કમ્પોઝ કરી, રેડિયો પર હંસા દવે પાસે ગવડાવ્યું. ત્યારથી એ લોકપ્રિય થઈ ગયું છે. આ ગીત સાંભળીને હરીન્દ્રભાઈએ મને કહ્યું હતું કે, "દોસ્ત, તમારા હાથમાં મારાં ગીતોને માન મળે એવી રેખા પણ છે. પુરુષોત્તમભાઈના સંગીત નિર્દેશનમાં હરીન્દ્ર દવેનાં, પ્રેમમાં ચકચૂર થઇ ચાલ્યા કરીએ તથા જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં એ બંને ગીતો પણ ખૂબ લોકપ્રિય થયાં હતાં. અંતમાં એટલું જ કહેવું છે કે ગુજરાતી સુગમ સંગીતના અજરામર ગીતોમાં પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં … ગીત હકપૂર્વક બેસી શકે છે. હંસા દવેએ ગાયેલાં બીજાં કેટલાંક ગીતો પણ અદ્ભુત છે જેની વાત ફરી ક્યારેક કરીશું.

હંસા દવેનાં સુંદર ગીતો સાંભળવા માટે યુટયુબ તો છે જ પણ આવતી કાલે, એટલે કે ૨૮મી સપ્ટેમ્બરે ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીમાં હંસા દવેનાં ગીતોનો એક સુંદર કાર્યક્રમ શાંભવી આર્ટ્સ દ્વારા સાંજે સાડાછ વાગ્યે યોજાયો છે. આ કોલમમાં અવાર-નવાર સાચા જવાબ આપનાર સંગીતનાં ચાહક નેહા યાજ્ઞિક દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં, અગ્રગણ્ય ગાયિકાઓ હંસા દવેનાં ગીતો રજૂ કરશે. આ નિ:શુલ્ક કાર્યક્રમમાં તમે હંસા દવેને મળી શકો છો તથા એમનાં ગીતો માણી પણ શકશો. સો, બી ધેર!

——————————-

• કવિ : હરીન્દ્ર દવે       • સ્વરકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય    • ગાયિકા : હંસા દવે

————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 સપ્ટેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=439536

Loading

…પણ ભારત સરકારના વકીલો એમ પણ નથી કહેતા કે ઓલાન્દ જૂઠું બોલે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 September 2018

ભારત સરકાર કહે છે એમ રિલાયન્સનું નામ સૂચવવામાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી તો શું ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ખોટું બોલે છે? જો ઓલાન્દ ખોટું બોલતા હોય તો કહો કે ઓલાન્દ જુઠ્ઠાડા છે, પણ ભારત સરકારના વકીલો એમ પણ નથી કહેતા કે ઓલાન્દ જૂઠું બોલે છે

હવે આબરૂ ઢાંકવા માટે અંજીરનું પાન પણ બચ્યું નથી. રાફેલ વિમાનસોદામાં થયેલા ભ્રષ્ટાચારમાં ધ્રુજારી પેદા કરતો ધડાકો ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દે કર્યો છે. ગયા વરસે ભારત સરકારે દ’સૉલ્ટ એવિયેશન કંપની સાથે વિમાનનો સોદો કર્યો ત્યારે ઓલાન્દ ફ્રાન્સના પ્રમુખ હતા. તેમણે કહ્યું છે કે ભારત સરકારે (ભારત સરકારે એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે, કારણ કે સોદો કરવામાં આવ્યો ત્યારે એ સમયના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને ફ્રાન્સ નહોતા લઈ જવામાં આવ્યા) રિલાયન્સનું નામ સૂચવ્યું હતું અને એ પછી અમારે કાંઈ કહેવાપણું કે કરવા જેવું હતું જ નહીં. આમ કોણ કહે છે? ફ્રાન્સના એ સમયના પ્રમુખ ખુદ.

થોભો. એ પછી શુક્રવારે ફ્રાન્સની વર્તમાન સરકારના સંરક્ષણમંત્રાલયે ખુલાસો કરતું એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે દ’સૉલ્ટ એવિયેશન કંપની ભારતમાં કોને ભાગીદાર બનાવે છે એની સાથે ફ્રાન્સ સરકારને કોઈ લેવા-દેવા નથી. જે કંપનીને ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવી હોય એને માટે ભારત સરકાર અનુકૂળ હોવી જોઈએ. અમારા માટે આટલું પૂરતું છે. આનો અર્થે થયો કે ફ્રેન્ચ સરકારે દ’સૉલ્ટ કંપનીને કહી દીધું હતું કે કંપની ભારતીય ભાગીદાર તરીકે જેને પણ પસંદ કરો એ કંપની માટે ભારત સરકારની મંજૂરી છે. બે દેશ વચ્ચેના સંબંધોને આંચ ન આવવી જોઈએ.

હવે કહો, દ’સૉલ્ટ એવિયેશન કંપનીએ ભારતીય ભાગીદાર તરીકે કઈ કંપની પસંદ કરી હતી? હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL)ને. કોના કહેવાથી? આગળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકારના કહેવાથી. શા માટે ભારત સરકારે HAL માટે આગ્રહ રાખ્યો હતો? કારણ કે એ ભારત સરકારની માલિકીની છે અને બીજું, વિમાન બનાવવાનો પાંચ દાયકાનો અનુભવ છે. ભારતમાં બીજી એક પણ કંપની નથી જે HAL જેટલો અનુભવ અને ક્ષમતા ધરાવતી હોય.

તો ભારત સરકારે દ’સૉલ્ટ એવિયેશનની ભારતીય ભાગીદાર કંપની તરીકે HALને પસંદ કરી હતી અને દ’સૉલ્ટ અને HAL ભાગીદારીની દિશામાં તૈયારી કરવા માટે મંજૂરી પણ આપી દીધી હતી. ફ્રાન્સની સરકારના શુક્રવારના નિવેદન મુજબ ફ્રાન્સ સરકારને કોઈ વાંધો હતો જ નહીં કારણ કે વિમાનનો સોદો ભારત સરકાર અને દ’સૉલ્ટ વચ્ચેનો હતો, પૈસા ભારત સરકારે આપવાના હતા અને ભવિષ્યની ભાગીદારી માટે જે કંપની પસંદ કરવામાં આવી હતી એ ભારત સરકારને મંજૂર હતી બલકે ભારત સરકારે જ એને પસંદ કરી હતી.

એ પછી દ’સૉલ્ટ અને HAL વચ્ચે વાતચીત શરૂ થાય છે, પણ હમણાં કહ્યું એમ ભારત સરકાર તો કેન્દ્રમાં હતી જ; કારણ કે રૂપિયા ભારત સરકારે ચૂકવવાના હતા અને વિમાન દેશના સંરક્ષણ માટે ખરીદવાનાં હતાં, ૨૬મી જાન્યુઆરીએ પરેડમાં બતાવવા માટે નહીં. દ’સૉલ્ટ પાસેથી કેટલાં વિમાનો રેડી ટુ ફ્લાય કન્ડિશનમાં લેવાં, કેટલાં ભારતમાં બનાવવાં, કેટલી ટેક્નૉલૉજી ફ્રેન્ચ કંપની HALને ટ્રાન્સફર કરશે, વિમાનનું કેટલું ઉત્પાદન ભારતમાં થશે, કેટલું ફ્રાન્સમાં થશે, કુલ મળીને કેટલો સમય લાગશે, ફ્રેન્ચને ટ્રાન્સફર કરેલી ટેક્નૉલૉજી હંગામી હશે કે કાયમ માટે હશે, તૈયાર વિમાનની કિંમત કેટલી અને ટેક્નૉલૉજીની કિંમત કેટલી એ દરેક બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બધી ચર્ચા ભારત સરકાર કરી રહી હતી, કારણ કે રૂપિયા ભારત સરકાર ચૂકવવાની હતી અને તકાદો ભારતના સંરક્ષણનો હતો.

એ પછી જે ગેમ થઈ ગઈ એ વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છું. ૨૦૧૫ની ૧૦ એપ્રિલે વડા પ્રધાનની ફ્રાન્સની મુલાકાતની તૈયારી ચાલી રહી હતી એ પહેલાં ૨૫ માર્ચે દ’સૉલ્ટ કંપનીના  CEOએ સોદાની તૈયારી વિશે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની HALના અધ્યક્ષ સાથેની વાતચીત સફળ રહી હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને સમજૂતીની વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે. તેમના શબ્દોમાં – હું કેટલો ખુશ છું એની કલ્પના તમે નહીં કરી શકો. દ’સૉલ્ટ અને HALની જવાબદારીઓની ભાગીદારી(ટેક્નૉલૉજી આપવાની અને ૭૦ ટકા ઉત્પાદન HAL ભારતમાં કરશે)ની બાબતમાં અમે પ્રતિબદ્ધ છીએ. મને હવે ખાતરી છે કે બહુ જલદી સોદા પર હસ્તાક્ષર થવાના છે અને એ વાતે હું ઉત્સાહિત છું. આ નિવેદન વડા પ્રધાન ફ્રાન્સ જાય એના ૧૬ દિવસ પહેલાંનું છે.

વડા પ્રધાન ફ્રાન્સ જવાના હતા એના એક અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશસચિવ શું કહે છે એ જુઓ: તેમણે પણ એ જ વાત કરી હતી જે દ’સૉલ્ટના CEOએ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાફેલ વિમાન બનાવનારી ફ્રેન્ચ કંપની, દેશનું સંરક્ષણમંત્રાલય અને HAL સોદાને આખરી ઓપ આપી રહ્યાં છે. આ ભારતના વિદેશસચિવનું નિવેદન છે. ૨૦૧૫ની ૧૦ એપ્રિલે વડા પ્રધાન ફ્રાન્સ જાય છે અને રાફેલના કરવામાં આવેલા સોદામાંથી HAL ગાયબ થઈ જાય છે. HALને ગાયબ કરવામાં આવશે અને તેની જગ્યાએ અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ નામની તાજી-તાજી રજિસ્ટર થયેલી કંપની દાખલ થશે એની બે અઠવાડિયાં પહેલા સુધી દ’સૉલ્ટના CEOને (આઇ રિપીટ CEOને) તેમ જ ભારત સરકારના વિદેશસચિવને અઠવાડિયા પહેલાં સુધી જાણ પણ નહોતી. કેટલી સીક્રેટ ગેમ હતી એની કલ્પના કરી જુઓ. એ સમયે રિલાયન્સ ડિફેન્સ કાગળ પણ અસ્તિત્વ ધરાવતી કંપની હતી.

ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ કહે છે કે ભારત સરકારે (નરેન્દ્ર મોદી વાંચો) રિલાયન્સનું નામ આપ્યું હતું એમાં અમે શું કરીએ? ફ્રાન્સની વર્તમાન સરકાર કહે છે કે દ’સૉલ્ટ એવિયેશન જે કોઈ ભારતીય કંપની સાથે ભાગીદારી કરે એ ભારત સરકારને પસંદ છે કે નહીં એની સાથે અમને લેવા-દેવા છે એનાથી વધુ નહીં. વેચનાર, ખરીદનાર અને લાંબા ગાળાના ભાગીદાર વચ્ચે સહમતી હોય એટલું અમારા માટે પૂરતું છે.

આવો ખુલાસો કે બચાવ ફ્રાન્સના આજી-માજી શાસકો કરી શકે, ભારત સરકાર પણ કરે? અરે ભાઈ રૂપિયા તમારા ખિસ્સામાંથી જાય છે અને સંરક્ષણનો પ્રશ્ન તમારા દેશનો છે. ફ્રન્સને શું લેવા-દેવા? રૂપિયા અને ભવિષ્યનો તકાદો તમારો છે. આમ છતાં આપણા વકીલ-કમ-બ્લૉગર નાણાપ્રધાન અરુણ જેટલી અને કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ કહે છે કે રિલાયન્સનું નામ આગળ કરવામાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી. એ તો એ બે કંપની (દ’સૉલ્ટ અને રિલાયન્સ)નો અંગત પ્રશ્ન છે. દ’સૉલ્ટને HAL કરતાં રિલાયન્સનો પ્રસ્તાવ વાજબી લાગ્યો હશે તો એની સાથે સમજૂતી કરી એમાં ભારત સરકાર શું કરે? બોલો. જાણે કે કેમ બે કંપનીઓએ ખમીસ ખરીદવાનો સોદો કર્યો હોય. ભાઈ, ભારતના સંરક્ષણ માટે ભારતની પ્રજા ખર્ચો કરી રહી છે, કોઈ બે કંપનીઓ વચ્ચે વેપારનો સોદો નથી.

ભારત સરકાર કહે છે એમ રિલાયન્સનું નામ સૂચવવામાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી તો શું ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ખોટું બોલે છે? જો ઓલાન્દ ખોટું બોલતા હોય તો કહો કે ઓલાન્દ જુઠ્ઠાડા છે, પણ ભારત સરકારના વકીલો એમ પણ નથી કહેતા કે ઓલાન્દ જૂઠું બોલે છે. બે સામેના છેડાની ભૂમિકા લેનારી બન્ને વ્યક્તિ સાચી ન હોઈ શકે. વળી માત્ર ઓલાન્દ નહીં, વર્તમાન શાસકો પણ બીજી ભાષામાં એ જ કહે છે જે ઓલાન્દ કહે છે. તો કોણ જૂઠું બોલે છે? ભારત સરકારે જૂઠું બોલનારનું નામ પાડવું જોઈએ.

કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ માત્ર આટલું પૂછ્યું એમાં વકીલસાહેબો અકળાઈ ગયા. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રાહુલમાં દોકડાની આવડત નથી, તે તો તેમના પરિવાર થકી ઊજળા છે. માન્યું, પણ આ ખુલાસો થયો કે ગાળ થઈ? આને અકળામણ કહેવાય કે સ્પષ્ટતા. તેમણે આગળ કહ્યું છે કે રાહુલ ગાંધી આખા જગતમાં આદર ધરાવતા લોકલાડીલા વડા પ્રધાનને (નરેન્દ્ર મોદીને) બદનામ કરે છે. હવે કોઈ લોકલાડીલા હોય એટલે ટીકા ન કરાય? તેમની સામે પ્રશ્ન ન કરાય? કયા તર્કશાસ્ત્રમાં આમ કહેવામાં આવ્યું છે? એ હિસાબે તો ગાંધીજી અને જવાહરલાલ નેહરુ આપણા વડા પ્રધાન કરતાં હજાર ગણા વધુ લોકલાડીલા અને જગતભરમાં આદરણીય હતા, પરંતુ તેમને બદનામ કરવાની એક તક છોડવામાં નથી આવતી. ઊલટું તેમને બદનામ કરવા માટે જુઠ્ઠાણાંની ફૅક્ટરી ચોવીસે કલાક ચાલે છે.

મૂળ તો સંરક્ષણપ્રધાને ખુલાસો કરવો જોઈએ, પણ તેઓ વકીલ નથી અને અત્યારે વકીલોની જરૂર છે. આ સરકાર વકીલો ચલાવે છે. ખુલાસો તો વડા પ્રધાને પોતે કરવો જોઈએ કારણ કે રિલાયન્સનું નામ તેમણે પોતે આપ્યું હતું, પરંતુ એવું બનવાનું નથી. પોલું હોય ત્યારે ચડી બેસવાની અને પકડાઈ જઈએ તો મોઢું સીવી લેવાની બહાદુરી તેઓ ધરાવે છે.

રવિશંકર પ્રસાદના તર્ક મુજબ જોઈએ તો ડૉ. મનમોહન સિંહ લોકપ્રિય નહોતા એટલે તેમની છાતી પર ચડી બેસવાનો નરેન્દ્ર મોદીને અધિકાર હતો, પરંતુ નરેન્દ્ર મોદી લોકપ્રિય છે એટલે રાહુલ ગાંધીને છાતી પર ચડી બેસવાની વાત તો બાજુએ રહી, ઇશારત કરવાનો પણ અધિકાર નથી.

વકીલસાહેબોનો બચાવ જોઈને ફેસબુક પર ભક્તો દ્વારા કરવામાં આવતી દલીલોની યાદ આવે છે. દલીલનો જવાબ દલીલથી આપવાની જગ્યાએ કોઈની ઠેકડી ઉડાડવી, ગાળો આપવી, ગંદી ઇશારતો કરવી, તેનો સાચો-ખોટો ઇતિહાસ યાદ કરાવવો, લેબલ ચોડવાં, મોઢું ફેરવી લેવું, હોઠ સીવી લેવા એ મર્દાનગીનાં લક્ષણો નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,0263,0273,0283,029...3,0403,0503,060...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved