ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા એ પછી તેમણે ભારતના વડા પ્રધાનને પત્ર લખ્યો હતો કે ચાલો આપણે નવેસરથી સંબંધ સુધારવાનો પ્રયાસ કરીએ. મૂળમાં તો એવી વાત આવી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ઇમરાન ખાન પણ દક્ષિણ એશિયાના શાસકોને સોગંદવિધિમાં હાજર રહેવા માટે બોલાવવાના છે, પરંતુ એ કોઈ કારણે પડતું મૂકવામાં આવ્યું. કદાચ ભારત તરફથી અનુકૂળ પ્રતિસાદ નહીં મળ્યો હોય એ બનવા જોગ છે. મેં આ કોલમમાં પણ લખ્યું હતું કે ઇમરાન પર બહુ ભરોસો કરવા જેવો નથી. ઇમરાન ખાન એક સમયે તાલેબાન ખાન તરીકે ઓળખાતા હતા. તેમણે ત્રાસવાદીઓને જેર કરવાના અમેરિકાના પ્રયાસોનો તો વિરોધ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન સરકારના પ્રયાસોનો પણ વિરોધ કર્યો હતો. ચીન-પાકિસ્તાન કોરિડોરનો સુધ્ધાં વિરોધ કર્યો હતો. ભારત સાથે તેઓ એક જ સમયે પ્રેમ અને ધિક્કારનો સંબંધ ધરાવે છે.
હવે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાનનો પત્ર આવ્યો ત્યારે ભારતે પ્રતિસાદ આપવો જરૂરી હતો. આમ પણ ભારત સરકાર ફરી વાતચીતનો દોર શરૂ કરવા કોઈ મોકો શોધતી હતી. આવા મોકા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તેમના કાર્યકાળ દરમ્યાન આપ્યા હતા, પરંતુ ભારતે એ દરેક મોકાને રોળી નાખ્યા હતા. વિધાનસભાઓની ચૂંટણીઓ લડવા ૫૬ ઈંચની છાતીનો દેખાડો કરવો જરૂરી હતો. આ એવી સરકાર છે જે પાકિસ્તાન અને કાશ્મીરનો ઉપયોગ અંગત રાજકીય લાભ માટે કરે છે. ૨૦૧૪ના ઓગસ્ટ મહિનામાં પહેલીવાર જ્યારે ભારત સરકારે પાકિસ્તાન સાથેની સચિવ સ્તરની વાતચીત રદ્દ કરી ત્યારે જે કારણ આપવામાં આવ્યું એ તો હાસ્યાસ્પદ હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-પાક સંબંધોનો લાંબો ઇતિહાસ છે, પણ ટૂંકમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે ટેરર કે ટૉકમાંથી કોઈ એકની પસંદગી જેમ પાકિસ્તાન કરી શકતું નથી એમ બિરિયાની કે બારણેતાળાં માંથી કોઈ એક પસંદગી ભારત સરકાર કરી શકતી નથી.
ઇમરાન ખાનના પત્રનો ભારતે અનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો સને ૨૭મી સપ્ટેમ્બરે ન્યુ યોર્કમાં યુનોની સામાન્યસભા વખતે ભેગા થનારા ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો મળે એવું ઠરાવવામાં આવ્યું હતું. સીધી વિદેશ પ્રધાનના સ્તરની વાતચીત કોઈ પ્રાથમિક તૈયારી વિના. પ્રાથમિક સ્તરે તૈયારી વિના ઉચ્ચ સ્તરે વાતચીત ત્યારે થતી હોય છે જ્યારે બે દેશ સંબંધોમાં પેદા થયેલો ગતિરોધ (રૉડબ્લોક) તોડવા પ્રતિબદ્ધ હોય અને તેમને ખાતરી થઈ ગઈ હોય કે નીચલા સ્તરે ગતિરોધ તૂટી શકે એમ નથી. જ્યારે સીધી વિદેશ પ્રધાનના સ્તરે વાતચીતનો દોર ફરી શરૂ કરવાનું ઠરાવાયું ત્યારે મનમાં રાજીપો થયો હતો કે ચાલો બે દેશ વાતચીતનો દોર ફરી શરૂ કરવા પ્રતિબદ્ધ છે, પછી ગમે તે અવરોધ આવે.
અવરોધ આવવાનો હતો અને આવ્યો. કદાચ જાણીબૂજીને અવરોધ પેદા કરવામાં આવ્યો હોય, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે એમ પાકિસ્તાનમાં કેટલાક લોકો ઈચ્છતા નથી. પાકિસ્તાનમાં ત્રાસવાદનું અર્થતંત્ર વિકસ્યું છે જેના અનેક લોકો લાભાર્થી છે અને તેઓ ખૂબ શક્તિશાળી છે. કાશ્મીરની ખીણમાં રોજ હિંસાની ઘટના બની રહી છે. ૨૦મી સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરની સરકારના ત્રણ સ્પેિશયલ પોલીસ ઓફિસરની હત્યા કરવામાં આવી અને એક બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાનનો ક્ષત-વિક્ષત કરેલો મૃતદેહ મળી આવ્યો. ૨૧મી સપ્ટેમ્બરે ભારત સરકારે યુનોમાં યોજાનારી વિદેશ પ્રધાનો વચ્ચેની વાતચીત રદ્દ કરી નાખી. કારણ ભારતના આત્મસન્માનનું નથી, ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી છે.
ટેરર અને ટૉક સાથે ન ચાલે એ જો ભારત સરકારની ભૂમિકા હોય તો જ્યાં સુધી ત્રાસવાદનો અંત ન આવે ત્યાં સુધી વાતચીતનો કોઈ પ્રયાસ જ ન કરવો જોઈએ. સતત એક વરસ સુધી ત્રાસવાદી ઘટના નહીં બને એ પછી જ ભારત સરકાર વાતચીતના ટેબલ પર બેસશે એમ કહી દેવું જોઈએ. એ પછી અન્ય દેશોમાં અન્ય પ્રસંગે સાઈડ લાઈનમાં મળવાના કે કોઈ ત્રીજા દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો છૂપી રીતે મળે એવા કે વિદેશથી પાછા ફરતા અચાનક ઇસ્લામાબાદ ઊતરી જવાના પ્રયાસ ન કરવા જોઈએ. બારણાં બંધ એટલે બંધ. આખું એક વરસ ત્રાસવાદી ઘટના વિના વીતશે પછી વાતચીત વિષે વિચારીશું, એ પહેલાં અમને વાતચીતના ઈજનનો પત્ર પણ નહીં લખતા એમ પાકિસ્તાનને હંમેશ માટે કહી દેવું જોઈએ. પરફેકટલી ઓલ રાઈટ. ભારત સરકારને આવી ભૂમિકા લેવાનો અધિકાર છે, પણ પછી એ ભૂમિકા પકડી રાખવી જોઈએ. અહીં તો ત્રાસવાદી ઘટનાને ત્રણ મહિના વીત્યા નહીં કે પાછા શાંતિદૂતના વાઘા શોધવા માંડો એ ન ચાલે.
હું જે સલાહ આપી રહ્યો છું એ ભારત સરકાર જાણતી નથી એવું નથી. તેને પણ ખબર છે કે બારણે તાળાંનો એક વિકલ્પ છે, પણ એ વિકલ્પ વ્યવહારુ નથી એની પણ ભારત સરકારને જાણ છે. જો ત્રાસવાદી ઘટનાઓ છતાં ય અને તેની વચ્ચે વાતચીત કરવી જ પડે એમ છે તો પછી મર્દાનગીના ખોટા દેખાડા શું કામ કરો છો? અત્યાર કરતાં અનેકગણી ગંભીર ઘટનાઓ અટલ બિહારી વાજપેયીના સમયે બની હતી અને એ છતાં એની વચ્ચે વાજપેયી શાંતિના રસ્તાઓ શોધતા હતા અને શાંતિના રસ્તાઓ વાતચીત દ્વારા જ હાથ લગતા હોય છે. કોઈ એક કિનારે રહોને. કિટ્ટાનો માર્ગ વ્યવહારુ ન લાગતો હોય તો ગમે એટલી પ્રતિકૂળતા હોય પણ વાતચીત કરતા રહો અને કિટ્ટા કરીને દેશને ફાયદો થતો હોય તો બુચા વિષે વિચારવાનું છોડી દો. શાંતિદૂતની પ્રતિષ્ઠા ભલે નેહરુ ભોગવતા. નેહરુ પણ થવું અને ઇઝરાયલના ગોલ્ડા માયર પણ બનવું એ બન્ને એક સાથે તો શક્ય નથી. કોઈ એક પ્રતિષ્ઠા બીજા માટે છોડી દેવાનો ત્યાગ કરવો જોઈએ.
ભારતે વાતચીત રદ્દ કરી એ પછી ઇમરાન ખાને ગુસ્સામાં પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે નાના માણસો મોટા પદ પર બેસી જાય ત્યારે આવું થાય. નાના માણસો બીગ પિક્ચર જોઈ શકતા નથી. પ્રતિક્રિયા પરથી લાગે છે કે ઇમરાન ખાન પોતાને બીગ પિક્ચર (મોટાં સપનાં જોનારા) જોનારા મોટા માણસ સમજતા લાગે છે. હવે કહો મોટો માણસ આવું બોલે? આ મોટા કદના માણસની ભાષા છે? ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન વચ્ચેની વાતચીત નજીકમાં હોય ત્યારે બી.એસ.એફ.ના જવાનની ગોળીથી માર્યો ગયેલો કાશ્મીરી યુવક બુરહાન વાણીની ટપાલ ટિકઇટ કોઈ બહાર પાડે? ભારત માટે જે ત્રાસવાદી છે એ પાકિસ્તાન માટે શહીદ હોય તો પણ પાકિસ્તાન વાતચીત થાય ત્યાં સુધી અને વાતચીતમાંથી શું નીપજે છે એ જોવા સુધી રાહ જોઈ શકતું હતું.
એક બાજુ ‘તમે શાંતિની દિશમાં એક ડગલું ચાલશો તો પાકિસ્તાન બે ડગલાં ચાલશે’ એવી ખાતરી આપતો પત્ર લખો અને બીજી બાજુ પહેલું ડગલું માંડવામાં આવે એની પૂર્વસંધ્યાએ ભારત જેને દેશનો દુશ્મન સમજે છે તેની ટપાલ ટિકઇટ બહાર પાડો એ પરિપક્વ મુત્સદી રાજપુરુષના લક્ષણ છે? આજકાલ જગત આખામાં લોકશાહી દેશોમાં નાના માણસો મોટા પદ પર બિરાજમાન થઈ રહ્યા છે અને એમાં પાકિસ્તાન અપવાદ નથી. જગત આખામાં પ્રજા આર્થિક ગતિરોધ, બેરોજગારી, મોંઘવારી, થોડા હાથોમાં સંપત્તિનું કેન્દ્રીકરણ અને શાસકોને ખિસ્સામાં રાખતા ક્રોની કેપિટલિઝમથી ગુસ્સામાં છે; ત્યારે લોકોની ભાષામાં બોલીને લોકોના ગુસ્સાને વાચા આપનારા, સાવ અદ્ધર વાયદા કરનારા, જટિલ સમસ્યાઓનું સરળીકરણ કરનારા અને પોતાને અકસીર ઈલાજ તરીકે પેશ કરનારાઓ ચૂંટાઈ આવે છે. ઇમરાન ખાન પણ આમાંના એક છે.
(આ લખનાર એક અઠવાડિયા માટે બંગલાદેશમાં નોઆખલીની યાત્રાએ જતો હોવાથી છઠ્ઠી ઓક્ટોબર સુધી ‘કારણ-તારણ’ અને ‘નો નોનસેન્સ’ પ્રગટ નહીં થાય.)
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 26 સપ્ટેમ્બર 2018