Opinion Magazine
Number of visits: 9578326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતા

બ્રિજેશ પંચાલ|Poetry|8 October 2018

તાજી … તાજી … સ્વતંત્રતા …
ચાખીને લ્યો, ચાખીને!
હે! સ્વતંત્રતા ચાખવાની?
પણ, કેવી રીતે?
મને ફાવે એવી રીતે? તમને ગમે એવી રીતે? એમને ગમે એવી રીતે?
મને ગમે એવી રીતે? કે, આ … બધાંને ગમે છે એમ કરીને?
સમજાતું જ નથી સ્વતંત્રતા લેવાની તો લેવાની કંઈ રીતે?
રડીને? હસીને? ખરીને? ઊગીને? ઉછીને? આગળથી? પાછળથી? ઉપરથી? નીચેથી?
વાંકેથી? સીધેથી, આજથી? કાલથી? વાંચીને? ગોખીને? બોલીને? ખોલીને?
દાબીને? હળવેકથી કે પછી. ખાલી … ખાલી … ચૂપ થઈને?
હા … હા … બાપુએ એવું જ તો કીધું હતું, ચૂપ થઈને પણ, અહિંસાથી!
બાપુને કહો, હવે તો એમની અહિંસાની જડીબૂટ્ટીની –
લોકોએ મળીને એક્સપાયરી ડેટ જાહેર કરી દીધી છે.
અને શપથ લીધા છે કે,
અમે બધાં મળીને ભારત દેશના કલ્યાણ અને સમૃદ્ધિનું ખૂન કરી નાખીશું!
કેમ? તો કે અમને આ દેશે સ્વતંત્રતા આપી છે,
જેમ ગમે એમ કરવાની! ને એટલે જ તો અમે …
વિચાર્યા વિના, બુદ્ધિના લઠ્ઠની જેમ … સમય અને સ્થળ જોયા વગર નીકળી જઈએ છે,
આપણી જાતનું જ ફૂલેકું કાઢવા!
આવા લોકોને એક સલાહ છે, ખાલી સલાહ હો,
સ્વતંત્રતાનો એટલો જ નશો ચડ્યો છે તો,
જેણે જે કરવાનું ગમતું નથી, એને એ કરવાથી મૂક્ત કરાવોને –
એટલે સ્વતંત્રતા અપાવોને!
બાને પપ્પાની રાહ જોવાની ગમતી નથી!
છોટુંને રોજ વાડકો લઈને એનાથી વધારે,
ચહેરાથી ગરીબ દેખાતા લોકોની પાસે જઈને,
“આપોને …” કહેવાનું ગમતું નથી!
ઇરછાને અધૂરી રહેવાનું ગમતું નથી! ઈર્ષાને ઘટવાનું ગમતું નથી!
પ્રેમને એકદમ થવાનું ગમતું નથી! ને વ્હેમને થયા વગર રહેવાતું જ નથી!
સરહદે એકલા લઢતા –
સિપાહીને દેશની અંદર ચાલી રહેલું છમકલું ગમતું નથી!
આટલું અમથું નથી, હજુ કહું તો …
મને તો મૂઈ સ્વતંત્રતા જ ગમતી નથી!
મને કોઈ બાંધીને રાખો, ક્યારેક સાંધીને રાખો,
ક્યારેક રાખવા માટે રાખો, તો ક્યારેક ખાલી-ખાલી રાખો!
પણ રાખો … મને મારાથી સ્વતંત્ર થવું છે!
એવી કોઈ જગાએ જવું છે,
જ્યાં ખાલી હોય, હું અને સ્વતંત્રતા!
કેમ ખબર છે? કારણકે મારે સમજવું છે,
કાલે મેં –
દિલ પર પથ્થર મૂકીને પાંજરું ખોલ્યું છતાં,
પંખી કેમ ઊડ્યું ના?

E-mail : panchalbrijesh02@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 16

Loading

રોહિંગ્યા મુસલમાનો વિશેની સૂ કીની ચુપકીદી સ્વીકાર્ય નથી, કારણ કે તેઓ સૂ કી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 October 2018

આ કોલમમાં મેં એક વાર લખ્યું હતું કે મ્યાનમારનાં નેતા સૂ કીને આપવામાં આવેલું શાંતિ માટેનું નોબલપ્રાઈઝ પાછું લઈ લેવું જોઈએ. સૂ કીને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ અહિંસક માર્ગે શાંતિપૂર્વક બર્માના લશ્કરી શાસકો સામે કરવામાં આવેલા સંઘર્ષની કદર કરવા માટે ૧૯૯૧માં આપવામાં આવ્યું હતું. લગભગ અઢી દાયકા સુધી તેમણે હિંમત હાર્યા વિના સંઘર્ષ કર્યો હતો. તેમને વિદેશ પાછાં જતાં રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ તેનો તેમણે સ્વીકાર કર્યો નહોતો. સૂ કી દુનિયા આખીમાં આદરણીય ગણાયાં એનું આ પણ એક કારણ હતું.

૧૯૮૮માં બર્મામાં સરમુખત્યાર જનરલ ને વિનનું પતન થયું ત્યાં સુધી સૂ કી લંડનમાં દેશવટો ભોગવતાં હતાં. તેમણે બ્રિટિશ ઇતિહાસકાર માઈકલ એરિસ સાથે લગ્ન કર્યાં હતાં અને સંતાનો અને પતિ સાથે ઇંગ્લૅન્ડમાં રહેતાં હતાં. ૧૯૮૮માં ને વિનના પતન પછી તેઓ બર્મામાં લોકતંત્ર સ્થાપિત કરવા બર્મા પાછાં આવ્યાં હતાં. ૧૯૯૦માં યોજાયેલી ચૂંટણીમાં સૂ કીના પક્ષને ભવ્ય વિજય મળ્યો હતો, પરંતુ ને વિનના અનુગામી લશ્કરી ટોળકીએ ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી નહોતી. એ પછીથી સૂ કી બે દાયકા સુધી પોતાના ઘરમાં નજરકેદમાં હતાં. એ દરમ્યાન તેમના પતિનું અવસાન થયું હતું, પરંતુ એ છતાં તેઓ ઇંગ્લૅન્ડ નહોતા ગયાં. જો તેઓ લંડન જાય તો કદાચ પાછા ફરવા નહીં મળે, એવી શક્યતા હતી. આટલી ધીરજ અને આટલો સંયમ તેમના પ્રત્યે માનની લાગણી પેદા કરે એવો હતો.

એટલે તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાં તેમની પહેલી મુદત દરમ્યાન ભારતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે ભારતની સંસદના સંયુક્ત સત્રને સંબોધતા સૂ કીના પડખે નહીં ઊભા રહેવા માટે ભારતને ઠપકો આપ્યો હતો. એ ટીકા વાજબી હતી. ભારત તેની માનવીય ફરજ ચૂકી ગયું હતું. પૂર્વ એશિયામાં સંબંધો વિકસાવવાના સ્વાર્થની ગણતરીઓથી પ્રેરાઈને ભારતે નૈતિક ભૂમિકા નહોતી લીધી. એ સમયે આ લખનારે પણ ભારત સરકારની ટીકા કરી હતી. આવાં સંઘર્ષવીર સૂ કીને નોબેલ ઇનામ આપવામાં આવ્યું ત્યારે આખા જગતે રાજીપો વ્યક્ત કર્યો હતો. ભારત સરકારે સૂ કીને ૧૯૯૩માં જવાહરલાલ નેહરુ એવોર્ડ આપીને મૂલ્યનિષ્ઠાનો દેખાવ કરી લીધો હતો, પરંતુ પ્રત્યક્ષ ખાસ કોઈ મદદ નહોતી કરી. સૂ કીએ પણ આ વિષે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

૨૦૧૦ પછીથી લશ્કર કૂણું પડ્યું હતું અને અને સૂ કીને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. આજે તેઓ મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર છે. તેમના પતિ અને સંતાનો બ્રિટિશ નાગરિક હોવાથી બંધારણ મુજબ તેઓ પ્રમુખ બની શકે એમ નથી, એટલે તેમના માટે આ નવો હોદ્દો પેદા કરવામાં આવ્યો છે. વાસ્તવમાં તેઓ ૨૦૧૫થી મ્યાનમારનાં શાસક છે અને શાસક તરીકેની સત્તા ધરાવે છે.

સૂ કીના એકાંકી સંઘર્ષમાં જગતે જોઈએ એવો સાથ નહોતો આપ્યો કારણ કે મ્યાનમાર ખાસ કોઈ રાજકીય મહત્ત્વ નહીં ધરાવતો ગરીબ દેશ છે એવી લાગણી સૂ કી ધરાવે છે તો તેમાં તેઓ જરા ય ખોટાં નથી. સવાલ એ છે કે મ્યાનમારમાં કોઈ પ્રકારનું રાજકીય-આર્થિક મહત્ત્વ નહીં ધરાવતા અને સાવ ગરીબ રોહિંગ્યા મુસલમાનોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે તેઓ ક્યાં છે? તેમને વ્યવસ્થિત સતાવવામાં આવે છે કે જેથી તેઓ મ્યાનમાર છોડીને જતા રહે. મ્યાનમારમાં બંગાળના અખાતને લાગીને આવેલા રખાઈન પ્રાંતમાં રોહિંગ્યા વસે છે. તેઓ મુસલમાન છે અને તેમની ભાષા ઇન્ડો-આર્યન કૂળની છે એટલે તેઓ ભારતમાંથી આવેલા છે, એમ કહીને મ્યાનમારના બૌદ્ધ રાષ્ટ્રવાદીઓ તેમને સતાવે છે. અંગ્રેજીમાં આને વંશસફાઈ (એથનિક ક્લેન્ઝિંગ) કહે છે. આની શરૂઆત સુ કી સત્તામાં આવ્યા એ પછીથી થઈ છે અને અત્યાર સુધીમાં દસ લાખ રોહિંગ્યાઓમાંથી છ લાખ રોહિંગ્યા મ્યાનમાર છોડીને નજીકના બંગલાદેશમાં જતા રહ્યા છે.

આપણે એમ નથી કહેતા કે સૂ કી રોહિંગ્યાઓની વંશસફાઈ કરાવી રહ્યાં છે. રોહિંગ્યાઓને સતાવવાનું ૨૦૧૫ પછી શરૂ થયું એ કદાચ યોગાનુયોગ હશે, પરંતુ અભયવચનના બે શબ્દો ક્યાં? તેમણે આજ સુધી રોહિંગ્યાઓની તરફેણમાં એક શબ્દ નથી ઉચાર્યો. તેમણે બૌદ્ધ રાષ્ટ્રવાદીઓની આલોચના નથી કરી. તેમને ચેતવણી નથી આપી. ભારતમાં મુસલમાનોનું લિન્ચિંગ થાય અને આપણા વડા પ્રધાન ચૂપ રહે એનું જરા ય આશ્ચર્ય નથી થતું, પરંતુ સૂ કીની ચુપકીદી અસહ્ય છે. સૂ કી જુદી માટીનાં છે. તપસ્વિની છે. માનવીય મૂલ્યો માટે કીંમત ચૂકવી છે. લાંબો વનવાસ ભોગવ્યો છે અને એ દરમ્યાન પતિ ગુમાવ્યો છે. તેમનો મોટો પુત્ર એલેકઝાંડર એરિસ માનવ અધિકાર માટે લડનારો કર્મશીલ છે. આવી તપસ્વિની વિદુષી સ્ત્રી સત્તામાં હોય અને તેમના દેશમાં અમાનવીય ઘટનાઓ બનતી હોય ત્યારે તેઓ નિષ્ક્રિય રહે અને ચૂપ રહે એ અસ્વીકાર્ય છે. કમસે કમ મોઢું પણ ન ખોલે? સૂ કી એ રોહિંગ્યાઓ સાથે જે બની રહ્યું છે એ વિષે એટલું જ કહ્યું છે કે રોહિંગ્યાઓનો પ્રશ્ન બીજી રીતે હાથ ધરાઈ શક્યો હોત. એ બીજી રીત કઈ હોય શકે એ વિષે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. દ્વિતીય નાગરિકત્વ એ જો બીજી રીત હોય તો એ પણ સ્વીકાર્ય ન હોઈ શકે.

આ યુગ પ્રતિક્રિયાવાદી જુવાળનો છે. એક પ્રજા બીજી પ્રજાને શંકાથી જુએ છે. ચારે બાજુ ધાર્મિક અને વાંશિક છાવણીઓ રચવામાં આવી છે અને દીવાલો બાંધવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક નેતાઓ બહુમતી પ્રજાને ભાવે એવી ભાષામાં બોલીને સત્તા સુધી પહોંચે છે. સભ્યતા અને વિવેક ગયા ભાડમાં. લોકોને ચોક્કસ પ્રજા સામે ગાળો ભાંડવી ગમે છે તો ચાલો એમાં જોડાઈ જઈએ. લોકોને ઉદારતા સામે અણગમો છે તો ચાલો ઉદારમતવાદીઓને લેબલ ચોડીને બદનામ કરીએ. બીજા કેટલાક સત્તાધીશો એવા છે જેઓ સત્તા ટકાવી રાખવા અને પાછા ચૂંટાવા ચૂપ રહે છે. સૂ કી બીજા પ્રકારનાં નેતાઓની યાદીમાં સ્થાન ધરાવે એ આઘાતજનક છે.

ખરી તપસ્યા સામા પ્રવાહે તરવામાં છે અને સૂ કી પાસે એની અપેક્ષા છે. કહો કે રોહિંગ્યા મુસલમાનો સાથે જે બની રહ્યું છે એ અસ્વીકાર્ય છે. બર્મીઝ બૌદ્ધોને કહેવું જોઈએ કે તેઓ ભગવાન બુદ્ધ સાથે દ્રોહ કરી રહ્યા છે. ઘણો સમય વીતી ગયો અને અડધા કરતાં વધુ રોહિંગ્યાઓ દેશ છોડીને જતા પણ રહ્યા છે, પરંતુ સૂ કી બહેને મોઢું ખોલ્યું નથી. ઘણું થયું એટલે જગત આખામાંથી માગણી ઊઠી છે કે સૂ કીને આપવામાં આવેલું નોબેલ ઇનામ પાછું લઈ લેવામાં આવે. ઇનામ પાછું લેવાની માગણી વિષે ખુલાસો કરતાં નોબેલ ફાઉન્ડેશનના અધ્યક્ષે કહ્યું હતું કે સૂ કીની ચુપકીદી દુઃખદ છે, પરંતુ આપેલું ઇનામ પાછું લેવાનો કોઈ અર્થ નથી. તેમની દૃષ્ટિએ તેઓ ખોટા નથી. નોબેલ પીસ પ્રાઈઝ કમિટી ભૂતકાળમાં હેન્રી કિસિંજર, અનવર સાદત અને ઇઝરાયલના રાક્ષસો અનુક્રમે મેનેકેમ બેગિન, ઈત્ઝાક રેબિન અને શિમોન પેરેસ જેવા ખોટા સિક્કાઓને શાંતિ માટેનાં ઇનામ આપી ચૂકી છે. જો સૂ કીને આપવામાં આવેલું ઇનામ પાછું લેવામાં આવે તો માનવતાના દુશ્મનોનું શું કરવું? આ સિવાય ખાસ કોઈ મોટા યોગદાન વિના નોબેલ પ્રાઈઝ મારી જનારા આપણા કૈલાશ સત્યાર્થી જેવા બીજા એક ડઝન લોકો છે. તેમના કરતાં સૂ કી તો હજાર દરજ્જે સારાં કહેવાય, પરંતુ તેમની ચુપકીદી સ્વીકાર્ય નથી. સ્વીકાર્ય એટલા માટે નથી કે તેઓ સૂ કી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉક્ટોબર 2018

Loading

આહોનાં શહેર

દીપક બારડોલીકર|Opinion - Opinion|7 October 2018

ઈટલીના 13મી સદીમાં થઈ ગયેલા મહાકવિ દાન્તેનું એક પ્રલંબ કાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ બહુ મશહૂર છે. કહે છે કે પશ્ચિમનું સમગ્ર સાહિત્ય વાંચી નાખો, પણ ‘ડિવાઇન કૉમિડી’ ન વાંચ્યું, તો કંઈ વાંચ્યું નહીં !

એ એક અદ્દભુત એવું પ્રવાસ-કાવ્ય છે. એની અંદર, પ્રવાસી દાન્તેને એક ભોમિયાની જરૂરત ઊભી થાય છે અને ઈસુ પૂર્વે થઈ ગયેલો એક અતિ તેજસ્વી કવિ વર્જીલ, કુદરતને ઈશારે, તેની મદદે આવે છે.

આ બન્ને કવિઓ, દાન્તે અને વર્જીલ, પ્રવાસમાં આગળ વધે છે. ફરતાં ફરતાં તેઓ એક એવા સ્થળે આવે છે, જ્યાં એક ખાસો મોટો દરવાજો હતો. અને ત્યાં એક સૂચના લખવામાં આવી હતી. લખ્યું હતું કે :

“અહીંથી પસાર થઈને તમો આહોના શહેરમાં દાખલ થશો. અહીંથી પસાર થઈને તમો હરહંમેશની પીડાઓની એક એવી વસ્તીમાં આવી જશો, જ્યાં લોકો, હંમેશના માટે, પોતાપણું ગુમાવી દે છે !

“ઓ અહીંથી પસાર થનારાઓ, તમારી તમામ આશાઉમેદો તજી દો !”

આ છે જહન્નમનો દરવાજો અને અહીંથી શરૂ થાય છે આહોનાં, શિક્ષાનાં, પીડાનાં શહેરો, ગામોધામો. −− પરંતુ સાચી નહીં, કવિની કાલ્પનિક જહન્નમ છે આ.

એ જહન્નમ પછી જોઈશું, પ્રથમ દાન્તેને મળી લઈએ. −− તેનો જન્મ ઈ.સ. 1265માં ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. કહે છે કે તેની માતાએ તેને ભણાવ્યોકેળવ્યો હતો તેનો શિક્ષક શાયર હતો, રાજકારણી પણ હતો. તેના હરીફો અને વેરીઓ ઘણા હતા. તે પોપનો વિરોધી અને રાજાશાહીનો હિમાયતી હતો. તેણે સરકારી નોકરી કરી હતી અને લશ્કરી અધિકારી તરીકે પણ સેવા બજાવી હતી.

એ ઈટાલીમાં રાજકીય ઊથલપાથલનો સમય હતો અને કહે છે કે દાન્તેના વિરોધીઓ સત્તા પર આવતાં, તેને દેશનિકાલ કરી દેવામાં આવ્યો હતો. તે અગર પકડાઈ જાય, તો તેને જીવતો જલાવી દેવાનો હુકુમ, પોપે જારી કર્યો હતો ! તેનું ન કોઈ ઘરગામ કે દેશ હતા. એક ભટકતો શાયર હતો !

આ કવિએ ઈશ્ક પણ કર્યો હતો. તેની પ્રિયતમા હતી બયાતરાચે નામે એક ખૂબસૂરત જાજરમાન મહિલા. એ હજી નવ વર્ષની હશે ત્યારે દાન્તેએ તેને જોઈ હતી. અને જોઈ એટલે જોઈ, દીવાનો થઈ ગયો. તેને એની અંદર એક પવિત્ર આત્મા અને પરિપૂર્ણ સૌંદર્યનાં દર્શન થયાં. આ ઈશ્ક એ હદનો હતો કે કવિએ બાદમાં અન્ય કોઈ મહિલામિત્રની ઈચ્છા કરી નહોતી. તે મનોમન તેની પ્રાર્થના કરવા લાગ્યો હતો. આ ઈશ્કનો ધ્વનિ કવિના સોનેટોમાં ઠેર ઠેર સંભળાય છે.

પરંતુ મજાની વાત આ છે કે રૂપગુમાની બયાતરાચેને દાન્તેના આ ઈશ્કની ખબર ન હતી. આગ બન્ને નહીં, એક જ છેડે લાગી હતી. અને કદાચ એથી અન્ય ઈટાલિયન નારીઓ દાન્તેની ઠેકડી કરવા લાગી હતી ! કહે છે કે થોડીક નાજુક સલામો તથા મીઠાં સ્મિતની નવાજેશ કર્યાં પછી તે દાન્તેને ઝૂરતો મૂકી કોઈક ધનવાનને તે પરણી ગઈ હતી.

ગમે એમ, પણ દાન્તે એક પ્રતિભાશાળી કવિ હતો. તેજસ્વી કલમનો માલિક હતો. દેશનિકાલની શિક્ષા તેને ઝાંખો પાડી શકી નહીં. વિદેશોની રખડપટ્ટી દરમિયાન તેણે મહાકાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ લખ્યું અને અંતિમ શ્વાસ પણ પોતાના દેશ ઈટાલીમાં લેવાનું નસીબ થયું નહીં ! આ મહાકવિ કે જેને જીવતે જીવત ઈટલીએ સંઘર્યો નહીં, ધિક્કાર્યો, દેશનિકાલ કર્યો. તેના અવસાન બાદ ઈટાલી તેનું દીવાનું થઈ ગયું. અને ઘણું કરીને ઈ.સ. 1371-72માં સરકારી ધોરણે તેને પુરસ્કૃત કરવામાં અને ઈટાલીના એક મહાન સપૂત તરીકે બિરદાવવામાં આવ્યો. અને ઈટાલિયનો ‘ડિવાઇન કૉમિડી’ની નકલો માથે મૂકીને નાચવા લાગ્યા. આને કહે છે : ‘જાદૂ વહ જો સર ચઢ કર બોલે !’

•••

આ હતો કવિ દાન્તેની જીવનકથાનો સાર. હવે આપણે પગ ધરીશું જહન્નમની ભૂમિ પર. જઈશું આહોનાં શહેરો તરફ, જોઈએ દાન્તેની સર્જનાએ શું ગુલ ખીલવ્યાં છે !

દાન્તે અને તેનો ભોમિયો વર્જીલ મસમોટા − ભવ્ય દરવાજામાંથી થઈને જહન્નમપ્રદેશમાં પ્રવેશ્યા. આ ભાગ એકરોન નદીના હેઠવાસમાં આવેલો હતો. અહીં તે ફિરસ્તા હતા, જે જમીન પર જઈને પોતાનું મૂળ સ્થાન ગુમાવી બેઠ હતા. અહીં તે લોકો પણ હતા, જે શંકાકુશંકામાં ચકરાતા રહ્યા હતા અને ખુદાના હોવા ન હોવા વિશે કશો નિર્ણય લઈ શક્યા ન હતા. તેઓ બંધાયેલા હાથે સામસામે બેસીને, સમજાય નહીં એવો શોર કરી રહ્યા હતા.

તેઓ ત્યાંથી આગળ ગયા તો શારૂન નામે એક હોડીવાન મળ્યો. તેની આંખો લાલઘૂમ હતી, જાણે ધીકતા અંગારા ! તેની હોડીમાં ક્યાંક પહોંચાડવા માટેના ઘણા આત્મા લાદેલા હતા. દાન્તે અને વર્જીલ એ હોડીમાં બેસી ગયા. હોડી જઈ રહી હતી એ વિસ્તારમાં જાણીબૂજીને ગુના કરનારા લોકો શિક્ષા ભોગવી રહ્યા હતા. અને રોકકળ તથા આહોનો શોર હતો. અહીં વચમાં એક શેતાન ઊભો હતો અને તેના ચહેરા પર રોષમિશ્રિત પીડાઓ જામેલી હતી. − અહીં વ્યભિચારી સ્ત્રી-પુરુષો હવામાં અધ્ધર લટકી રહ્યાં હતાં.

એનાથી થોડે આગળ ગંદાં પાણી તથા પરુનો વરસાદ થઈ રહ્યો હતો. અહીં અઠંગ શરાબખોરો હતા. ચહેરા વિકૃત હતા, દાંત પીસી રહ્યા હતા અને ગંદું પાણી તથા પરુ પી રહ્યા હતા.

તેમણે એવા લોકોને પણ જોયા, જે ધનદોલતના મોટા ઢગો તળે ભીંસાતા – કચડાતા કણસી – ચીખી રહ્યા હતા. એ સૌ યોગ્ય – અયોગ્યની પરવા કર્યા વિના ધન ભેગું કરનારા અને અન્ય લોકોના હક મારનારા દુષ્ટો હતા.

તેમણે, ગંદવાડથી લથબથ થયેલા અને એકબીજાને ડાફાં ભરતા ને ચીખતા – ચીલ્લાતા લોકો પણ જોયા. તેઓ હતા ત્યાંના પાણીમાં મોટા મોટા પરપોટા થઈ રહ્યા હતા. − વર્જીલે કહ્યું, આ તે લોકો છે, જે ગુનાઓમાં ડૂબેલા હતા. અને આ પરપોટા એ તેમની આહો છે !

અહીંથી આગળ જહન્નમનું પાટનગર હતું. અહીં તે લોકોના આત્મા હતા, જે કુદરતી ક્રમ વિરુદ્ધ, હેવાનોની માફક ગુના કરતા રહ્યા હતા. − ખોફનાક બલાઓ તેમને ભીંસી – પીસી રહી હતી અને તે ચીખી રહ્યા હતા. … … આ પાટનગરના દરવાજા બંધ હતા, બંધ જ રહ્યા. પરંતુ ત્યાં કેદ ગુનેગારોની આહો – ચીખોનો શોર બહાર પડઘાતો રહ્યો !

‘ડિવાઇન કૉમિડી’ની આ જહન્નમમાં ઘણા વર્તુળો − સંકૂલો છે. છઠ્ઠું સંકૂલ ઉકળતા લોહીવાળી એક નદીના સામે કાંઠે હતું. અને આ તરફને કાંઠે ઘોડા દોડી રહ્યા હતા. આ ભાગતા ઘોડા, લોહીભરી નદીમાંથી બહાર નીકળવા મથતા લોકોને પાછા નદીમાં પટકી દેતા હતા ! અત્યંત ભયાનક દૃશ્ય હતું ! આ તે લોકોના આત્મા હતા, જેમણે તેમનાં સગાંઓ, પાડોશી – પરિચિતોને રંજાડ્યા હતા. અહીં ખૂનીઓ પણ શિક્ષા ભોગવી રહ્યા હતા. અને આહો જ આહો હતી !

તેમણે કાંઠાની રેતમાં ભભૂકતા અંગારા અને તેના પર શેકાતા વ્યાજખોરો, ધોખાબાજો, ઠગોને પણ જોયા. અને ઉકળતા લોહીવાળી નદી પાર કરીને છઠ્ઠા સંકૂલમાંના એક ધૂંધળા જંગલ આગળ આવી પહોંચ્યા. અહીં તે લોકોના આત્મા હતા, જેમણે પોતાના જીવ પર જૂલમ કીધો હતો અને આત્મહત્યા કરી હતી.

આ એક એવું જંગલ હતું જ્યાં કોઈએ કદી પગલાં પાડ્યાં ન હતાં ! કોઈ રસ્તો નહીં, કોઈ કેડી નહીં. માત્ર ઝાડી અને અંધકાર – સૂનકાર ! વૃક્ષ હતાં પણ ફળ નહોતાં, અતિશય ઝેરીલા કાંટા હતા. દાન્તે અહીં એક ડાળખી તોડી બેઠો. અને તોડતાં જ ધ્રુજી ગયો. ડાળખી તોડી હતી ત્યાંથી લોહી વહેવા લાગ્યું હતું ! અને પછી ઝાડે આહ નાખતાં કહ્યું, ‘તમે મને જખ્મી કેમ કર્યું ?’

આત્મહત્યા કરનારાઓનું આ જંગલ હતું. અહીં એ સૌ આત્મહત્યારાઓને ઝાડ બનાવી દેવામાં આવ્યા હતા. દાન્તે કહે છે કે ન્યાયના દિવસે સમગ્ર માનવજાત તેના અસલ સ્વરૂપમાં આવી જશે ત્યારે, આ આત્મહત્યારાઓને લિબાસ મળશે નહીં. અને ન્યાયવિધિ પૂરો થયા પછી આ લોકોના શરીર ઝાડોની શાખો પર લટકાવી દેવામાં આવશે કે જેથી આત્મા તેમના દેહને દેખતા રહી અઝાબ ભોગવતા રહે !

આ અને અચંબામાં નાખે એવું બીજું ઘણું ‘ડિવાઇન કૉમિડી’માં છે. ચોર – ડાકુનો વસવાટ કાળોતરા સાથે હશે. બુદ્ધિનો દુરુપયોગ કરનારાના ચહેરા વિકૃત થઈ ગયા હશે અને તે આગમાં શેકાતાં આહ – આહ કરી રહ્યા હશે. અને જહન્નમનો અંતિમ ભાગ અત્યંત ટાઢો પટ છે, જ્યાં શેતાન ઊભો હશે અને તેનો પગથી કમર સુધીનો ભાગ જામીને બરફ થઈ ગયો હશે ! ત્યાંથી નીકળવાની તેની કોઈ મથામણ સફળ નહીં થાય !

આ બધાં દૃષ્યો નિહાળીને દાન્તે હતાશ થઈ ગયો હતો. પરંતુ ત્યાર પછી જહન્નમની હદમાંથી બહાર આવીને સૂર્યનો પ્રકાશ દીઠો તો તેનું હૃદય પણ આશાના ઉજાશથી ઝળહળી ઊઠ્યું !

•••

એ હતું કવિનું કાલ્પનિક જહન્નમ અને ત્યાંનાં આહોનાં શહેર. એ સિવાય પણ આ ધરતી ઉપર માનવસર્જિત, રાજકારણના પેટે જન્મેલાં ઘણાં જહન્નમો છે. જેવાં કે ઈરાકી જહન્નમ, સીરિયન જહન્નમ, અફઘાની જહન્નમ, આફ્રિકી જહન્નમ, વગેરે. અને એ છે સુપર પાવરની અવળચંડાઈનું, અનીતિનું, ડોલરિયા વખનું પરિણામ.

જહન્નમ ગુનેગારોની શિક્ષા માટે હોય છે. પણ માનવસર્જિત જહન્નમમાં, ગુનેગાર કે બેગુનાહ એવો કોઈ તફાવત રખાતો નથી. સૌને એક સાથે શેકી નાખવામાં આવે છે ! શ્રીમંતો માટે તો હોય છે ફ્લાઇટ, સેઇફ હેવન ! મરે છે બિચારા ગરીબો !

કાશ્મીર પણ એક એવું જ જહન્નમ છે ! આમ તો એ જન્નત સમાન હતું, પણ સૌથી મોટી જમહુરિયતે રાજકીય રવાડે ચઢીને એને જહન્નમ બનાવી દીધું છે ! ગઈ કાલે જ્યાં અનન્ય સૌંદર્ય હતું ત્યાં આજે ધૂંધવાતી આહોનાં શહેરો છે ! લોહીથી લથબથ શિક્ષાધામો છે ! અને ત્યાં હુકમ ચાલે છે ખરગોનિયા જલ્લાદોના !

કહે છે કે આ ખરગોનિયાઓનો રાજકીય ગુરુ પેલો બદનામ ઝમાના મેકાવલી છે, જેને શેતાન પણ કહેવામાં આવે છે.

15મી સદીમાં થઈ ગયેલો આ ઇટાલિયન મેકાવલી ભારે ફાંટાબાજ માણસ હતો. તે તેના પુસ્તક ‘પ્રિન્સ’થી જાણીતો યા બદનામ હતો. એ પુસ્તકમાં તેણે શાહો, શાહઝાદાઓને સત્તા ટકાવી રાખવાના નુસખા બતાવ્યા છે !

તે કહે છે કે રાજકીય સત્તા માટે સારાઈ – બુરાઈ બન્ને અર્થહીન વસ્તુ છે. અસલ ચીજ સત્તા છે. સત્તાવાને સત્તા કોઈ પણ હિસાબે ટકાવી રાખવી જોઈએ. એ તેનો હક છે. સત્તા માટે તેણે બળનો, જરાયે ખચકાયા વિના, ઉપયોગ કરવો અને હાનિકારક એવાં તમામ તત્ત્વોને કચડી નાખવાં જોઈએ.

બળના બેફામ ઉપયોગ પર વિશેષ ભાર મૂકતાં, મેકાવલી કહે છે કે પ્રજા ઉપર રાજ્યકર્તાનો રોફ અને દબદબો રહેવો જોઈએ. એ સંદર્ભે તે દમન, અન્યાય, અત્યાચારની સલાહ આપે છે !

મેકાવલીના શેતાની નુસખા ઉપર આજે કાશ્મીરમાં અમલ થઈ રહ્યો છે. અને ખરગોનિયા સત્તાવાળા એના પર ગર્વ અનુભવી રહ્યા છે. તેમને કાશ્મીર રહે કે બળીને રાખ થઈ જાય કે આહોનાં શહેરો ઘૂંઘવાતાં રહે એની કોઈ પરવા નથી !

તો બીજી તરફ અધિકાર અને આઝાદી માટે મેદાને પડેલા કાશ્મીરીઓ પણ તેમના નિર્ધારમાં અડગ છે. લડત આપી રહ્યા છે, કુરબાની પેશ કરી રહ્યા છે ! આવી દિલેરી, આવો હોસલો જવલ્લે જોવાં મળે છે કે પડી રહ્યા છે પડઘા સમગ્ર કાશ્મીર ખીણમાં :

જોઈએ છે ઓ વતન !
કેટલી આહો તને
રક્તની ધારો તને
કેટલી લાશો તને
        ઓ વતન, પ્યારા વતન !

•  

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

ત્રણેય ચિત્રોનું સૌજન્ય ઈન્ટરનેટ જગત

Loading

...102030...2,9792,9802,9812,982...2,9903,0003,010...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved