Opinion Magazine
Number of visits: 9969011
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 March 2019

ઘણી બધી સ્ત્રીઓને લાગુ પડી શકે એવાં આ ગીતમાં લગ્નના આનંદના માહૌલમાં પીડાની બારીક ટશરો ફૂટે છે, જે ભાવકના હ્રદયને ભીંજવી જાય છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ, નારી સંવેદનાનું એક નાજુક-નમણું ગીત યાદ આવે છે. નવયૌવનાના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આંગણે ઢોલ-નગારાં બજી રહ્યાં છે. મહેંદી, પીઠી, ગ્રહશાંતિ જેવા પ્રસંગો ઉકેલવામાં પરિવારજનો વ્યસ્ત છે. કન્યાને શણગારવા સરખી સાહેલીઓ ભેગી થઈ છે. પણ જેના લગ્ન થવાનાં છે એનું મન તો બીજે જ ક્યાંક સ્વપ્નવિહાર કરી રહ્યું છે. લગ્ન એ સ્ત્રીના જીવનનો એકમાત્ર એવો પ્રસંગ છે જેમાં કેટકેટલાં સપનાં, અઢળક આશાઓ, અજબ-ગજબનાં અરમાન, ઉમંગ, ઉલ્લાસ અને અપાર થનગનાટ સમાયેલાં છે! મેંદીથી મધુરજની સુધીનું પરફેક્ટ પ્લાનિંગ!

પરંતુ, જે કન્યાના નામનો માંડવડો રોપાયો છે એના મનની વાત કોઈ જાણે છે? “એમાં વળી એને શું પૂછવાનું? વર તો સો ટચના સોના જેવો છે.” કો’ક ‘શુભચિંતક’ વદે‌ છે.‌ અહીં જ આપણે થાપ ખાઈએ છીએ. સ્ત્રીની મનોભાવના વ્યક્ત થતાં સદીઓ વીતી ગઈ છે. આવતીકાલે નારીદિનના નારા લગાવાશે, મહિલાઓને ‘મૂર્તિ’ બનાવીને પૂજવામાં આવશે. પરંતુ, મહાનગરોના એક નાના વર્ગને બાદ કરતાં ‘સ્ત્રી સ્વાતંત્ર્ય’ એ કાગનો વાઘ છે. આમ જુઓ તો એ એક અદ્દભુત ‘કલ્પના’ છે. આજના આધુનિક યુગમાં ય સ્ત્રી મા-બાપને મનની વાત કહેતાં અચકાય છે.‌આજના આ ગીતમાં એવી જ એક કોડીલી કન્યાની વિટંબણા વ્યક્ત થઈ છે.‌ હ્રદયના છાને ખૂણે તો મનનો માણીગર કો’ક બીજો જ છે, અને મા-બાપે લગ્ન ક્યાંક બીજે ગોઠવી દીધાં છે. મનની વ્યથા કોને કહેવી એવી મૂંઝવણ અનુભવતી કન્યા છેવટે દૂંદાળા દેવ સામે બેસીને એમને જ પૂછે છે કે, હે દેવ, તમે જ કહો, મીંઢળ બાંધું કે નહીં! મા-બાપ માનવાનાં નથી, સમાજ સાંભળવાનો નથી. ઈજ્જત અને મુહબ્બત વચ્ચેની ખેંચતાણમાં ઈજ્જત, આબરૂ અને સમાજનો જ વિજય થતો હોય છે.‌ કન્યાનું ભાવિ તો નક્કી થઇ જ ગયું છે છતાં ભગવાનને પૂછીને એ એક ચાન્સ લઇ લેવા માંગે છે. ઈશ્વરની સાક્ષીએ કબૂલાત કરી લેવા ઈચ્છે છે.

પરણવાની તૈયારી કરતી મુગ્ધ કન્યાની મનોદશા વર્ણવતું આ ખૂબ સુંદર ગીત છે. ભીંતે ચીતરેલા વિઘ્નહર્તા ગણપતિને કન્યા પૂછે છે કે તમારી પરવાનગી હોય તો જ આ મીંઢળ હું બાંધું.‌ આ કલ્પના જ કેટલી રોચક છે. લગ્ન એની મરજીથી નથી થઇ રહ્યાં. ‌મીંઢળ જાણે કે એને બેડી લાગે છે. કંચવા(કંચૂકી-બ્લાઉઝ)ને પારકી ગાંઠથી બાંધવાનો વિચાર તેને વિહ્વળ બનાવે છે. ચોરીના ચાર ફેરા ફરું તો મનથી ભવભવના ફેરા જેની સાથે ફર્યા હતા તેનું શું થશે ? એ વિચાર મૂંઝવી રહ્યો છે. જીવન લગ્નસંબંધ તરફ આગળ વધી રહ્યું છે છતાં ભૂતકાળ પીછો છોડતો નથી. ગમતી વ્યક્તિનો પડછાયો જ સામે આવી ઊભો રહે છે. પરોક્ષ રીતે એ કન્યા મા-બાપને એમ પણ કહે છે કે, તમે કહો છો તો હું કાંડે મીંઢળ તો બાંધું પણ, મારાં હૈયાને તમે કેમ કરીને બાંધશો? પારકા પુરુષના નામનું પાનેતર ઓઢીને બેસી તો જઇશ સૌના કહેવાથી, પણ મારું મનડું તો બીજે જ રમતું હશે.‌”

અતીત પાસે અવસર બનતાં રહી ગયેલી કેટલીયે ક્ષણો ધરબાયેલી હોય છે. આ ક્ષણો પાસે બોલકી ભાષા નથી હોતી. એને સાંભળવા કાન અને ધ્યાન બંને સરવા કરવા પડે. સામાજિક કારણોસર છૂટા પડવાનું આવે એવા સંબંધમાં પીડા બન્ને પક્ષે હોય છે.

કન્યાએ રેશમી સપનાં જોયાં છે, તેની લીલીછમ યાદો હજુ પાંપણમાં પોઢેલી અક્બંધ છે, હવે તેનું શું થશે? પ્રિયતમની યાદ સાતમે પાતાળ સુધી વિસ્તરેલી છે અને સપનામાં હેળવેલાં હોઠનો રાતો રંગ પણ હજુ ગયો નથી !

કવિએ સૂક્ષ્મ રીતે આ મનોવ્યથા ગીતમાં વ્યક્ત કરી છે. અમદાવાદ પાસેના અડાલજ ગામની શાળામાં આચાર્ય રહી ચૂકેલા ગીતના કવિ-નાટ્યકાર શુકદેવ પંડ્યાને આ ગીત કઈ રીતે સ્ફૂર્યુ એ કથા રસપ્રદ છે.‌

“વાત મારા બાળપણની છે. અમદાવાદ જિલ્લામાં કૌકા નામે અમારુ ગામ. એમાં રજપૂત-ગરાસિયાની વસ્તી ઘણી મોટી. એ લોકો ગામની દીકરિયું દૂર દેશાવરમાં વળાવે. એમનો એક રિવાજ એવો કે જાનમાં વર ના આવે, પહેલા ખાંડુ (તલવાર) આવે. કન્યા પહેલા બે ફેરા ખાંડા સાથે ફરે અને બીજા બે ફેરા સાસરે જઈ ફરે.‌ હવે વહેલી સવારે દીકરીને વળાવે ત્યારે ઘરની સ્ત્રીઓ જે આક્રંદ કરે એ મારા કૂમળા મનમાં ઘુસી ગયું, વિદાયરૂદન હૈયામાં ઘર કરી ગયું. બીજું, ગામના ગોર લગ્નવાળા ઘરે જઈને ભીંત ઉપર ગણપતિ ચિતરે.‌ એ હું જોયાં કરું. આ બંને બાબતો ભેગી થઈ અને ગીતનું બીજ રોપાયું. ૧૯૮૬માં મેં આ ગીતની પ્રથમ પંક્તિ લખી : ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ, તમે બોલો આ મીંઢળ હું બાંધું? અલબત્ત, એ વખતે ફક્ત બે અંતરા જ લખ્યા હતા. પરંતુ, નયનેશે જે લાજવાબ સ્વરાંકન કર્યું ત્યારે મને થયું કે ગીતમાં કંઈક ખૂટે છે. તેથી પીઠી અને ચૉરીના બે અંતરા પછીથી ઉમેર્યા.‌ આ ગીતની ખૂબી એ છે કે દરેક અંતરાનું પોતાનું અલગ મીટર છે અને નૈનેશે ત્રણેય અંતરા એવી સરસ રીતે સ્વરબદ્ધ કર્યાં છે કે ગીત પરફેક્ટ બની ગયું. લગ્નનો માહોલ આબેહૂબ તાદ્રશ્ય થાય એવા સંગીત સંયોજન દ્વારા નયનેશે ગીતને જીવંત અને લોકપ્રિય બનાવ્યું તથા નિશાએ અત્યંત ભાવવાહી રીતે રજૂ કરીને એને ઓર નિખાર્યુ.‌ છેલ્લા અંતરાની રેન્જ તો એટલી ઊંચી છે કે દરેક ગાયિકા એ ગાઈ શકે નહીં.‌”

કવિની વાતને યથાર્થ ઠેરવે એ રીતે નિશા કાપડિયાએ આ ગીતને બખૂબી નિભાવ્યું છે. નિશાની ગાયકીથી સુગમ સંગીતપ્રેમીઓ પરિચિત છે જ. ફિલ્મ સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત તાજેતરમાં મરાઠી ફિલ્મ ‘સવિતા દામોદર પરાંજપે’માં મરાઠી ગીત ગાઈને એમણે પોતાના ગાયનની ક્ષિતિજો વિસ્તારી છે.‌ એ મરાઠી ગીત મિર્ચી મ્યુઝિક એવોર્ડ માટે નોમિનેટ પણ થયું છે એ ગૌરવ લેવા જેવી વાત છે. સંગીત ક્ષેત્રે સોલી-નિશાની જોડી કેટલાંક અન્ય સંગીત યુગલોની જેમ ઉચ્ચ સ્થાને બિરાજમાન છે.‌

આ ગીતમાં નિશાએ નારીની આંતરવ્યથાને આબેહૂબ વાચા આપી છે. મહદ્અંશે રાગ કિરવાણીમાં રચાયેલા આ ગીતના સ્વરકાર નયનેશ જાની ગીતના સ્વરાંકન વિશે કહે છે, “૧૯૯૬માં અમદાવાદમાં સુગમ સંગીતના કાર્યક્રમ ‘એની સુગંધનો દરિયો’નું આયોજન થયું હતું, જેમાં ફક્ત મારાં નવાં સ્વરાંકનો રજૂ થવાનાં હતાં. આ ગીત કમ્પોઝ કરી મેં નિશાને મોકલ્યું. શબ્દો અને સ્વરાંકન બન્ને એમને સ્પર્શી ગયાં. પહેલીવાર એ ગીત સ્ટેજ પરથી રજૂ થયું અને વન્સમોર મેળવી ગયું. ગીતના શબ્દો કમાલના છે. એક બાજુ મા-બાપનાં સંસ્કાર છે, બીજી બાજુ દીકરીના મનમાં જુદો જ માળો રચાઈ ગયો છે. આ દુવિધા સુપેરે વ્યક્ત થઈ છે. કવિએ પીઠી અને ચૉરીના બે અંતરા પછીથી ઉમેર્યા એ મારે માટે ચેલેન્જ હતી. એ બે અંતરા પછીથી સ્વરબદ્ધ કર્યાં‌ અને થાગડથીગડ ન લાગે એ રીતે ગીતમાં સમાવી દીધા. કારુણ્યની પરાકાષ્ઠા દર્શાવવા છેલ્લા અંતરાની બે પંક્તિઓ મેં રાગ શિવરંજનીમાં કમ્પોઝ કરી છે. કિરવાણી અને શિવરંજની બન્ને કાફી થાટના હોવાની એકબીજા સાથે આસાનીથી ભળી શક્યા છે. પરંતુ માનું છું કે વધુ પડતી રાગદારી દ્વારા શબ્દ પર સંગીતનું ભારણ ન લાગવું જોઈએ. આ ગીત રાગ આધારિત હોવા છતાં એમાં રાગ હાવી નથી થતો. ગાવામાં અને સાંભળવામાં સુગમ હોય એ જ સુગમ સંગીત છે મારી દ્રષ્ટિએ.”

શબ્દો અને સંગીતની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ એવું આ ગીત આમ તો સંગીતપ્રેમીઓથી અજાણ્યું નથી જ, છતાં ન સાંભળ્યું હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. નારી સંવેદનાને સ્પર્શતું આ ગીત તમને જરૂર ગમશે.

******

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
તમે બોલો આ મીંઢળ હું બાંધું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

લચી પડે છે હજુ લીલીછમ યાદો
ને પાંપણમાં પોઢી છે રાતો
હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો
જો ને અલી છે ને રંગ રાતો
અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને
હું નાડાછડીથી કાં બાંધુ?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ
આ રાતા તે રંગમાં શું ભરવું
સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા
સપનાનું મારે શું કરવું?

પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ
મનની ચોપાટ કેમ માંડું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

ચોરીના ચાર ફેરા ફરું તો કેમ?
પડે ભવભવના ફેરા નક્કામા
આગળના રસ્તાને ભાળે શું આંખ
મળે વીત્યાના પડછાયા સામા
કાડું તો બાંધું દેવ તમારા કહેવાથી
હૈયાને કેમ કરી બાંધું?

આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

સ્વર : • નિશા ઉપાધ્યાય-કાપડિયા • કવિ : શુકદેવ પંડ્યા • સંગીતકાર : નયનેશ જાની

http://tahuko.com/?p=1524

07 માર્ચ 2019

https://nandini103.wordpress.com/2019/03/07/ભીંતે-ચિતરેલ-રૂડા-ગરવા-ગણ/?fbclid=IwAR3TDT1jpcy4z6NkdcW4sequdkuhBnt4cVootw_8t5GtgWhBx81jktVMjfg

Loading

મારા વડા પ્રધાન પાકિસ્તાનના વડા પ્રધાન કરતાં પણ ઓછા પરિપક્વ સાબિત થયા

રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2019

કલ્પના કરો કે જે ઘટના બુધવારે ઘટી એવી શરમજનક ઘટના ડૉ. મનમોહન સિંહના રાજમાં ઘટી હોય તો દેશભક્તિનાં નામે રુદન કરતાં રુદાલીઓ, ગુસ્સાથી થરથર કાંપતા રાષ્ટ્રભક્તો અને સ્ટુડિયોમાં સરકાર ચલાવતા અર્નબ ગોસ્વામીઓ શું કરતા હોત? કલ્પના કરવા જેવી છે. આનંદ આવશે. બીજા વર્ગના લોકોને જોઇને સરકસના જોકરોની યાદ આવશે, ત્રીજાને જોઇને સરકારના તાલીમ પામેલા જાનવરોની યાદ આવશે અને પહેલાને જોઇને હસતા, તાળીઓ પાડતા, ચિચિયારીઓ કરતા, વિસ્મયથી આંખ ફાટેલી હોય એવા અને ક્યારેક ભયથી રડી પડતા સર્કસ જોનારાં બાળકોની યાદ આવશે.

ઘડિયાળના લોલકના બે છેડાની જેમ ૨૦૧૪ અને ૨૦૧૯ની એક સરખામણી કરવા જેવી છે. આવી ઘટના જો ૨૦૧૪માં બની હોત તો તેઓ આજે દેશની આબરુના કાંકરા કરનારા સરદાર માટે ભોંઠપ અનુભવતા હોત અને આંખો પર છાજલી કરીને પૂર્વ દિશાએ શક્તિમાનના ઉદયની રાજ જોતા હોત. છાતી પર હાથ મૂકીને પૂછી જુઓ તમારા અંતરાત્માને; આના કરતાં અલગ સીન હોત ખરો? રૂપિયો આટલું જૂઠ બોલાવડાવે અને પ્રજા ગુલામી ખત લખી આપે એવું ભારતમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. આવું બનતું હોય છે, બીજા દેશોની પ્રજાએ આનો અનુભવ કર્યો છે; ભારત ગાંધીનો દેશ છે એટલે આપણને એ અવસ્થાએ પહોંચતા વાર લાગી એટલું જ. 

ભારત સરકારે પાકિસ્તાનમાં બાલાકોટ પર ત્રાસવાદીઓની છાવણી પર હુમલો કર્યો ત્યારે મેં લખ્યું હતું કે આ નિરર્થક બહાદુરી છે. આમાંથી કાંઈ જ નિષ્પન્ન થવાનું નથી. જગતનો આઠ દાયકાનો ઇતિહાસ આમ કહે છે. અમેરિકા પાકિસ્તાન પર ૪૧૫ ડ્રોન હુમલા કર્યા પછી, સીધા લશ્કરી હુમલા કર્યા પછી, પ્રત્યક્ષ લશ્કર મોકલ્યા પછી, બબ્બે વરસ ઈરાક અને અફઘાનિસ્તાનમાં પ્રોક્સી સરકાર દ્વારા એક રીતે સીધું રાજ કર્યા પછી, પાકિસ્તાનના સરહદી પ્રદેશ પર કબજો જમાવ્યા પછી પણ કોઈ કાંદો કાઢી કાઢી શક્યું નથી તો ભારત એક હુમલો કરીને શું હાસલ કરવાનું છે? મેં એમ પણ લખ્યું હતું કે જે થવાનું હતું એ થઈ ગયું, હવે પાકિસ્તાનને અપમાન સહી લેવા સમજાવવું જોઈએ અને વિશ્વદેશો પાકિસ્તાન પર દબાવ લાવીને તેને શાંત રાખવા સમજાવે એ માટે પ્રયત્નો કરવા જોઈએ.

કારણ દેખીતું હતું. આજના યુગમાં લશ્કરી હુમલો કરવો એ બહુ સહેલું છે. સંયમ રાખવામાં છપ્પનની છાતીની જરૂર પડે છે, ટપલી મારવામાં નહીં. દરેક દેશ ટપલી મારવાની ક્ષમતા ધરાવે છે. સંહારક શક્તિ એટલી બધી ભેગી કરી છે કે છાતી બતાવનાર અને ડોળા કાઢનાર દેશ અંદરથી તો ડરેલો જ હોય છે. કેટલા દેશોએ અમેરિકાનું નાક કાપ્યું હતું એની યાદી પણ મેં આપી હતી. તમને ખબર છે? દરેક દેશ પાસે નકશામાંથી કાયમ માટે ભૂંસી નાખવા જોઈએ એવા દેશોની યાદી છે. કોઈ પાસે એક છે તો કોઈ પાસે પાંચ પાંચ દેશો પણ છે. તેમનું ચાલે તો તેઓ દુશ્મન દેશને નકશામાંથી ભૂંસી નાખે, પણ પ્રચંડ તાકાત હોવા છતાં તેમનું ચાલતું નથી.

૧૯૪૫માં વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી કેટલા દેશો નકશામાંથી ભૂંસાઈ ગયા? એક નામ બતાવો. ઊલટા નકશામાં નવા દેશો ઉમેરાયા છે. જેમ કે પાકિસ્તાન ભારતને નકશામાંથી ભૂંસી નાખવા માગે છે, પણ ઊલટું બંગલાદેશ ઉમેરાયું. આપણે પણ જો આપણાંને નિર્વ્યાજ પ્રેમ કરતા નહીં શીખીએ તો આપણે પણ જગતના દેશોમાં વધારો કરીશું. આ આજના યુગનું અફર સત્ય છે. તો વાતનો સાર એટલો કે જો પાકિસ્તાનને સમજાવામાં ન આવે અને દબાણ લાવવામાં ન આવે તો ભારતને ટપલી મારવી એ પાકિસ્તાન માટે કોઈ અઘરું કામ નહોતું અને એ પાકિસ્તાને કરી બતાવ્યું છે.  પહેલવાનને પણ ટપલી મારવાની તાકાત આજે જગતના મોટાભાગના દેશો ધરાવે છે. ખરું પૂછો તો આ તાકાત જ નથી, જાગતિક વિકૃતિ છે.

બુધવારે પાકિસ્તાનના લશ્કરી વિમાનો ભારતમાં પ્રવેશ્યાં, પાકિસ્તાનના દાવા મુજબ ભારતના બે વિમાનો તોડી પાડ્યાં અને અભિનંદન વર્ધમાન નામના તૂટી ગયેલા વિમાનના પાયલોટને કબજે કર્યો. અચાનક દેશમાં સોપો પડી ગયો. સોશ્યલ મીડિયા પર ન્યુઝ ફરતા હતા, પરંતુ પાળીતા મીડિયા એ વિષે ચૂપ હતા. વડા પ્રધાન, ગૃહ પ્રધાન, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, રવિશંકર પ્રસાદ, બટકબોલા પ્રવક્તાઓ બધા ચૂપ હતા. એ પછી જ્યારે પાકિસ્તાને અભિનંદનને બતાવ્યો અને અભિનંદનને પોતાનું નામ આપતો બતાવ્યો ત્યારે મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા બચી નહોતી. ભારતની વીરતા સામે પાકિસ્તાનના નાપાક કૃત્યની નિંદા થવા લાગી. એક કૃત્ય વીર અને બીજું નાપાક. ખેર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તો એ રાતે જ સંકેત આપી દીધો હતો કે ભારતના પાયલોટને પાછો સોંપી દેવામાં આવશે. ભારતે બાલાકોટ પર કરેલા હુમલામાં કેટલા ત્રાસવાદીઓ માર્યા ગયા એ કોઈ જાણતું નથી. ભારતે આજ સુધી સત્તાવાર આંકડો આપ્યો નથી, પણ પાકિસ્તાનના કબજામાં ભારતના પાયલોટને આખા જગતે જોયો.

આવી વીરતા વાંઝણી હોય છે અને આજના યુગમાં દરેક ટપલી મારવાની ક્ષમતા ધરાવે છે એવી મારી ધારણા બીજે જ દિવસે સાચી પડી એ રાજી થવાનો પ્રસંગ નથી. ઊલટું દુઃખ થાય છે કે મારા વડા પ્રધાન પાકિસ્તાનના વડા પ્રધાન કરતાં પણ ઓછા પરિપક્વ સાબિત થયા. ઇમરાન ખાનનું વક્તવ્ય યુ ટ્યુબ પર જોઈ જાઓ તો તમને પોતાને જ ફરક અનુભવાશે. લોકસભાની આવી રહેલી ચૂંટણી, પરાજયનો ભય અને ભય કરતાં પણ પરાજીત થવાની શરમ, રુદાલીઓનું છાતીફાડ રુદન, થરથર કાંપનારા રાષ્ટ્રવાદીઓનો આગભભૂકતો ગુસ્સો અને અર્નબ ગોસ્વામીઓના વૉર-રૂમ સ્ટુડિયોમાં મરું કે મારુંની ભવાઈ વગેરેથી દોરવાવાનું આ પરિણામ છે. છૂટકો જ નહોતો, કારણ કે આ જમાત આજના શાસકોની જીવાદોરી બની ગયા છે. ઓછામાં પૂરું હુમલો કર્યા પછી જાણે કે દુનિયા જીતીને આવ્યા હોય એવી ઉન્માદક કિકિયારીઓએ પાકિસ્તાનના શાસકોને સરહદ ઓળંગવા મજબૂર કર્યા. રુદાલીઓ અને થરથર કાંપતા રાષ્ટ્રવાદીઓ તો ત્યાં પણ છે ને!

01 માર્ચ 2019

Loading

લૉર્ડ મેઘનાદ દેસાઈ અને ભારતીય લોકશાહી વિષયક ચિંતન

ડંકેશ ઓઝા|Opinion - Opinion|7 March 2019

લૉર્ડ મેઘનાદ દેસાઈ ગુજરાતના બૌદ્ધિકોમાં અજાણ્યા નથી. મેઘનાદ માર્ક્સવાદના અભ્યાસી છે. તે અંગેના તેમનાં ઘણાં પુસ્તકો પણ છે. દિલીપકુમાર વિશે પણ તેમનું પુસ્તક છે, તો વળી ભગવદ્‌ગીતા કોણે લખી એવું પવિત્ર પુસ્તકનું બિનસાંપ્રદાયિક તપાસ કરતું પણ તેમનું પુસ્તક છે. પાકીઝા વિશે પણ તેમણે લખ્યું છે. તદ્‌ઉપરાંત ઘણાં પુસ્તકો તેમણે સંપાદિત પણ કર્યાં છે. આપણા અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અને અન્ય આર્થિક પત્રોમાં તેઓ આર્થિક વિષય પર કૉલમ લખે છે.

ઑગસ્ટ ૧૯૬૧માં એકવીસ વર્ષની ઉંમરે તેઆ ભારત છોડીને વિદેશ ભણવા ગયા. તે પછી લંડનમાં સ્થાયી થયા છે. માતૃભૂમિ વિશેનો તેમનો રસ અકબંધ રહ્યો છે. થોડા દૂર હોવાને કારણે પોતે દેશના પ્રવાહો પર તટસ્થ નજરથી જોઈ શકે છે, તેવો તેમનો દાવો છે. જો કે ટી.વી. કાર્યક્રમોમાં જ્યારે ભારત વિશે તેઓ ક્યારકે ઘસાતી ટીકા કરે છે, ત્યારે તેમને પણ ‘વિદેશી’ હોવાની ગાળ ખાવી પડે છે! છેક ૧૯૬૭થી તેઓ ભારત વિશે લખતા રહ્યા છે. તેમનું ભારત વિશેનું પુસ્તક છે : ્The Rediscovery of India‌ (૨૦૦૯). તેમાં ૧૪૯૮માં પોર્ટુગીઝોનું ભારતમાં આગમન થયું, ત્યારથી ભારતના પશ્ચિમ સાથે પડેલા પનારાની વાત છે.

The Raisina Model (૨૦૧૭) એમનું નવું પુસ્તક છે, જે સિત્તેર વર્ષની ભારતીય લોકશાહીની સમીક્ષા કરે છે. પુસ્તક માત્ર ૧૯૪ પાનાંનું છે, નાનાં નાનાં સાત પ્રકરણોમાં વિભાજિત છે. ભારતીય લોકશાહી કેવા સંઘર્ષોમાં ટકી ગઈ, કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેનો સમગ્ર આલેખ બહુ ટૂંકમાં છતાં બહુ સ્પષ્ટપણે વાચકને પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશમાં લેખક સફળ રહ્યા છે. ૨૦૦૨ની જે દર્દનાક ઘટના ગુજરાતને, સહેવાની આવી, ત્યારે અંગ્રેજી સામયિક ‘સેમિનાર’માં તેમણે ‘ભસ્મિતા’ શબ્દ વાપરલો જે ગુજરાતની અસ્મિતાના વિરોધી કાકુને સ્પષ્ટ કરતો હતો. આમ છતાં મેઘનાદની એકંદર છાપ (ભલે તે સાચી કે ખોટી હોય) ભા.જ.પ.તરફીની રહી છે, જેનો પૂરતો ગેરલાભ તેમને ગુજરાતમાં મળે છે. પુસ્તકમાં પણ તેઓ વિમુદ્રીકરણના તરફદાર રહ્યા છે.

સૌથી મોટી વાત તો એ છે કે ૧૯૪૭માં આઝાદી વખતે દેશના જે ભાગલા થયા, બે દેશોમાં તેનું વિભાજન થયું. પછી પાકિસ્તાનના બે ભાગલા થયા છે. પણ ભારત ઘણાં બધાં વાવાઝોડાં છતાં એક રહી શક્યું છે. આજે ભારતને મહેચ્છા જાગી છે કે તે પણ વિશ્વની એક મહાસત્તા બને. આ વાતનો ઉલ્લેખ કરતાં મેઘનાદ દેસાઈ પુસ્તકમાં લખે છે કે આ માટે ભારતે પાડોશી દેશ ચીન સાથે યુદ્ધમાં ઊતરવું પડશે. પછી ભારત જો વિજયનેે વરે, તો સ્વપ્ન સાકાર થવાની શક્યતા, વાસ્તવિકતા બનેે! લેખક આખાબોલા છે. ગુજરાત વિવેકબૃહસ્પતિના નામે સુષ્ઠુ સુષ્ઠુ લેખન અને વક્તવ્ય કર્યા કરે છે, ત્યારે પશ્ચિમમાં જઈને અભ્યાસ કરનારા પ્રમાણમાં સ્પષ્ટવક્તા હોય છે. પાકિસ્તાન સાથે લડવાથી એક સરસાઈ સાંપડે પણ મહાસત્તાની મહેચ્છા હોય, તો તો ચીન સાથે જ જુદ્ધે ચઢવું પડે!

આવી તો ઘણી વાતો પુસ્તકમાં છે. એ રીતે આપણી લોકશાહીની તેમણે નિષ્પક્ષ તપાસ આદરી છે, તેથી આ પુસ્તક મહત્ત્વનું છે. આપણી મોટી સમસ્યા લઘુમતીની, દલિત-આદિવાસીની અને સ્ત્રી-સમાનતાની છે. આ આપણા સાચુકલા પ્રશ્નો છે. એનો ઉકેલ આપણે કેવોક કરી શકીએ છીએ, તેના પર ભાવિ અવલંબે છે. આર્થિક વિકાસ સિવાયનો આ માનવવિકાસ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ, બાકીમાં રહ્યો તે મૂડીવાદ ભારતીય સમાજને આડા અને ઊભા વહેરે છે, ત્યારે એકજૂટ કેવી રીતે રહેવું, એ નહીં ઉકલાયેલો કોયડો છે. એકબીજા પર દોષારોપણ થયા કરે છે. પણ ખાસ અંતર કપાતું નથી. અનામતનો સવાલ તો આ મોટા પ્રશ્નમાં નાની રીતે સમાયેલો છે. લેખક ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જે ઉદ્‌ગારો કરેલા તેનો ઊલ્લેખ કરે છે. સમય હતો કિનારે ઉભેલી બિહારની ચૂંટણીનો. ભા.જ.પ.ને તે વખતે ફેરવી તોળવું પડેલું. પણ વાત એ હતી કે જ્ઞાતિઓની ઉચ્ચાવચતા સમાપ્ત થાય, તો જ ભારતનો ઉદ્ધાર થાય, સંઘની છાપ જે કંઈ છે, તેને કારણે વિરોધપક્ષોએ અને બૌદ્ધિકોએ માનેલું કે સંઘ અનામત દૂર કરવાની વાત કરે છે એવું જ લઘુમતી સંદર્ભે પણ છે. આપણે મોટાભાઈપણું ચાલુ રાખીએ, તેથી તો સમસ્યા વકરવાનો સંભવ રહે છે, સમસ્યાનો ઉકેલ નથી આવતો. ગાંધીને આપણે રાષ્ટ્રપિતા કહ્યા, પરંતુ ગાંધીની વાત આપણને જચતી નથી. તેઓ ભારતમાં મુસ્લિમ લઘુમતીના પક્ષે હતા, તો પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીના પક્ષે હતા. આપણા જે ભારતીયો બહોળી સંખ્યામાં ગૌરવપૂર્વક અભ્યાસ અને રોજગાર અર્થે મુસ્લિમ દેશો સહિત વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થતા રહે છે, ત્યારે સ્વાભાવિકપણે જ આપણી લાગણી તો લઘુમતીના પક્ષે જ હોય છે! ઉકેલની વાત તો જવા દો, આપણે લઘુમતીની સમસ્યાને પૂરી રીતે સમજતા નથી અને સમજવાની તૈયારી પણ નથી.

આર્થિક વિકાસ, માનવવિકાસ, ભ્રષ્ટાચાર, કાશ્મીર, નાગાલૅન્ડ, નક્સલબારી આવા બધા જ પ્રશ્નોને લેખક આવરી લે છે. પ્રત્યેકને તપાસે છે. આધારભૂત વિગતો અને આંકડા સાથે તપાસે છે. બધી સમસ્યાઓના ઉકેલ અભ્યાસીઓ પાસે પણ હોતા નથી, એટલે તેઓ વાસ્તવિક પ્રશ્નો પેદા કરે છે. વાચકને યોગ્ય વિચારોનું ભાથું પૂરું પાડે છે. એમની ચિંતા તો એ છે કે આપણી પાસે વિવિધ પ્રકારના ઇતિહાસો હોવા જોઈએ. તે દિશામાં તો ભાગ્યે જ કશું થાય છે. આપણને ગાંધીએ અહિંસક રીતે આઝાદી અપાવી કે અન્ય હિંસક જૂથોનું પણ તેમાં યોગદાન હતું એ બાબતે આપણે કંઈ નહિ તો ઉદારમતવાદી પણ બની શકતા નથી. પછી પૂરું નહિ વાંચનારા ખોટા વિવાદો ઊભા કરે છે.

લેખક પુસ્તકના અંત ભાગમાં આ મુદ્દે કહે છે કે કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવન તરફથી આર.સી. મજુમદારના ઇતિહાસના અને સંસ્કૃતિના જે ૧૧ ગ્રંથો પ્રકાશિત કરાવેલા એ કક્ષાનું મહત્ત્વાકાંક્ષી આયોજન તે પછી કોઈએ કર્યું હોય એવું જાણ્યું નથી. આજની સમસ્યા તો આ છે. આપણી પાસે તટસ્થ અભ્યાસો નથી, તટસ્થ અભ્યાસીઓ નથી. હમણાં ગુજરાત યુનિવર્સિટીએ જેમને ડૉક્ટરેટ પ્રદાન કરવાના નિર્ણય લીધા અથવા તો રાષ્ટ્રભક્ત નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ‘ભારતરત્ન’ માટે જેમની પસંદગી કરી, આ બધી બાબતોના મૂળમાં સવાલ તો ઇતિહાસદૃષ્ટિ અને ઇતિહાસના અભાવનો પડેલો છે.

આ નાનકડું પુસ્તક આપણી તટસ્થ દૃષ્ટિને સંકોરે છે, યોગ્ય દિશામાં વિચારવા મજબૂર કરે છે, આપણી સમસ્યાઓના ઉકેલ આપણે જ કરવાના છે, એ વાત ઘૂંટી આપે છે. ખોટી એકતા ઉપરથી થોપવાની નથી પરંતુ વૈવિધ્યને સમજીને એકતા ઊભી કરવાની છે. આપણને તો હજી આવી વિવિધતાનું ગૌરવ સુધ્ધાં પેદા થયું નથી, જે બતાવે છે કે દિલ્હી કેટલું દૂર છે!

ભારત એટલે શું ? એ અંગેના વિવિધ ખ્યાલો વિશેનું પ્રકરણ અત્યંત રસપ્રદ છે. ઘણા બધા પ્રશ્નો ઉત્તર ભારત અને  મધ્ય ભારતના છે. નીચે દક્ષિણનાં રાજ્યોને કે ઉત્તરપૂર્વનાં રાજ્યોને એ સમસ્યા સાથે સહેજે લાગતુંવળગતું હોતું નથી. આવા એક પ્રશ્નનું  ઉદાહરણ રામમંદિર છે, એવું લેખકે કહ્યું છે. આપણી ગરજે આવાં પુસ્તકોને આપણી દૃષ્ટિની સફાઈ માટે આપણે ખપમાં લેવાં ઘટે.

E-mail : dankesh.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 03 અને 04

Loading

...102030...2,9732,9742,9752,976...2,9802,9903,000...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved