Opinion Magazine
Number of visits: 9578679
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલાનું નિધન

જ્યોતિભાઈ ભટ્ટ, જ્યોતિભાઈ ભટ્ટ|Opinion - Opinion|5 November 2018

એક વર્ષ પહેલાં, આપણાં દેશના એક બહુ મોટા ગજાના કળાકાર સૈયદ હૈદર રઝાનું નિધન થયું હતું, તે સમયે ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈએ મને રઝા સાહેબ અંગે યોગ્ય નોંધ લખી આપવા કહ્યું હતું. જો કે રઝા સાહેબનું કામ, ખાસ કરીને તેમની બિંદુ સિરીઝનાં ચિત્રો મને ખૂબ જ ગમતા હતા. પરંતુ તેમને રૂબરૂ મળવાનો અવસર એક જ સમયે મળેલો, તે પણ માત્ર ઔપચારિક સ્તરે, એથી ‘નિરીક્ષક’ માટે હું કાંઈ લખી શકેલો નહીં. પરંતુ છેલ્લા છ-સાત મહિના દરમિયાન ગયેલ જીવ્યા સોમા, અમૃત લાલ વેગડ તથા કૃષ્ણ રેડ્ડીના નિધન સમયે મેં અંજલિ નોંધ મોકલેલી ત્યારે પ્રકાશભાઈ એ મને કહેલું કે આ પ્રમાણે કહ્યા વિના પણ મોકલતા રહેજો.  જો કે, કમ ભાગ્યે એ ત્રણેય નોંધ કલાકારોના મૃત્યુ માટે લખવી પડેલી.

૧૯૪૭માં ભારતને આઝાદી મળી, ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, આચાર્ય કૃપાલાણી જેવા સાચા પંડિતો તથા નેતાઓ રાજકારણમાં હતા. પંડિત નહેરુને ભારતના વિકાસમાં ખરેખર સાચો રસ હતો, પરંતુ ભારતની નિરક્ષરતા તથા જૂની રૂઢિવાદી અંધશ્રદ્ધા જેવી બાબતો ઓછી થાય અને ટેકનોલોજીની મદદ લેવાય, તો વિકાસ શક્ય તથા ઝડપી બને તેવું તે ખરેખર માનતા હતા, તેથી ટેક્નોલોજી તથા વિજ્ઞાન સાથે જોડાયેલી બાબતોને પ્રાથમિકતા આપી, તેમ છતાં ૧૯૫૫ દરમિયાન ત્રણ રાષ્ટ્રીય સ્તરની કલા અકાદમીઓ શરૂ કરાઈ. રવીન્દ્રનાથ ટાગોરની માન્યતા પ્રમાણે લલિતકલા (ચિત્ર, મૂર્તિ વગેરે), સાહિત્ય તથા સંગીત-નાટક અકાદમી – એમ ત્રણ અકાદમીઓ રાષ્ટ્રીય સ્તરે શરૂ કરાઈ. રવીન્દ્રનાથનું પોતાનું યોગદાન આ બધા જ વિષયોમાં ખૂબ મહત્ત્વનું રહ્યું હતું. તેથી એક જ સ્થળે ત્રિપાંખિયા (વિંગ્સ) ધરાવતી રવીન્દ્ર ભવન નામની ઇમારત બનાવાઈ. જેથી પૂર્વોક્ત કોઈ પણ દરેક વિષયના કલાકારો, અભ્યાસુઓ એક જ સ્થળે બધું મેળવી શકે તથા એકબીજા સાથે તેમનું સંપર્ક જાળવવું સહેલું થાય.

તે સમયે અકાદમીમાં બધા કળાકારો સરકાર નિયુક્ત કરતી હતી, પરંતુ એ બધા ખૂબ ઊંચા દરજ્જાના કળાકારો હોય તેનો ખાસ ખયાલ રખાતો હતો. કળાકારોને પણ દેશના અને કલાના વિકાસમાં પોતાનો ફાળો આપવાની તક મળી જેનો ખૂબ સારી રીતે ઉપયોગ થયો. ૧૯૫૬ના જાન્યુઆરીમાં અકાદમીનું બીજું રાષ્ટ્રીય પ્રદર્શન યોજાયેલું. તેમાં મને (આ લખનારને) પ્રથમ પુરસ્કાર તથા તત્કાલીન રાષ્ટ્રપતિજી ડૉ. રાજેન્દ્ર પ્રસાદનાં સુવર્ણપદક પણ એનાયત થયેલો, આવું પહેલી જ વખત બન્યું. આને કારણે અકાદમીમાં નિયમ પ્રમાણે દેશના (ભારતના) ઉત્તમ નવ-કલાકારોની કૅટેગરીમાં મારા નામનો પણ સમાવેશ કરાયેલો, પરંતુ મારી ઉંમર ૨૧ વર્ષ અને અનુભવ લગભગ શૂન્ય, એમ માનવાને કારણે મેં મારી નિયુક્તિ સ્વીકારેલી નહીં. મારા આવા નિર્ણયને લીધે મારા એક શિક્ષક પ્રાધ્યાપક નારાયણ શ્રીધર બેન્દ્રે ખૂબ નારાજ પણ થયેલા કેમ કે મને મળેલ સુવર્ણપદક તથા પ્રથમ પુરસ્કાર માટે તે પોતે એક સાચા ગુરુ તરીકે પણ ખૂબ ગૌરવ અનુભવતા હતા. પરંતુ પછી જેમ બધા ક્ષેત્રે બન્યું એમ આ ત્રણેય અકાદમીઓમાં પણ સત્તા માટે તેનો લાભ લેનારા ઘૂસવા લાગ્યા અને ત્યાર પછી ‘લોકશાહી ઢબે ચૂંટણી’ તથા સત્તા ધરાવતા હોદ્દા માટે રસ લેનારાઓની હાજરી, સંખ્યા તથા જોર પણ વધવા લાગ્યા. છેલ્લા પંદરેક વર્ષથી હવે લલિતકલા અકાદમીમાં પ્રમુખને બદલે સરકારે નીમેલા આઈ.એ.એસ. ઑફિસર અકાદમીની કાર્યવાહી સંભાળે છે!

આઝાદી પછી કેરળમાં સામ્યવાદી સરકાર બનેલી. તેના કેટલાક દેશના વિકાસ માટે ખૂબ ઉપયોગી વલણો પણ નહેરુ સરકારે સ્વીકાર્યાં ન હતા. ફેમિલી પ્લાનિંગ ફરજિયાત બને અથવા અપનાવે તેને સરકાર પ્રોત્સાહન આપે તેવી પ્રથા ૧૯૫૭માં કેરળ સરકારે અપનાવી તો તે જ તેના પતનનું કારણ બન્યું. સામ્યવાદીઓ અંગે અમેરિકન સેનેટર ફૂલ બ્રાઇટનો પ્રંસગ બહુ જાણીતો છે. તેણે અમેરિકન સેનેટમાં કહેલું કે, “આપણે એટલે કે અમેરિકનો એવી ગેરસમજ ધરાવીએ છીએ કે, સામ્યવાદ એ ખરાબ અને ખોટી બાબત છે, બીજી ગેરસમજ એ છે કે, આપણે એવું માનીએ છીએ કે દુનિયાને સામ્યવાદથી બચાવવી એ આપણી જવાબદારી છે. ત્રીજી ગેરસમજ એ છે કે દુનિયાને સામ્યવાદથી બચાવવા સામ્યવાદીઓના માથામાં ડંડો મારવાનો આપણો અધિકાર છે અને ફરજ પણ છે. અને આથી ચોથી ગેરસમજ એ છે કે, જેના માથામાં ડંડો મારવાની ઇચ્છા થાય તેને આપણે સામ્યવાદી કહીએ છીએ.” લગભગ આવું જ વર્તન આપણી રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની લલિતકલા વગેરે અકાદમીઓમાં ઘણા સમયથી જોવા મળવા લાગ્યું છે.

આ વર્ષે કેરલમાં વરસાદના ભયંકર પરિણામો અતિવૃષ્ટિને લીધે અપૂર્વ તારાજી જોવા મળી. દેશના કાળાકારોએ એકઠા થઈ એક કલા – પ્રદર્શનનું આયોજન કર્યું. બધાએ પોતાની કલા-કૃતિઓ એ પ્રદર્શન માટે ડોનેટ કરી (આપી), જેની બધી આવક કેરલના લોકોને મદદરૂપ થાય એ જ તેનો મુખ્ય હેતુ હતો. આપણા યુવાન કલાકારોમાં આગવું સ્થાન ધરાવતા ત્રણ કલાકારો શ્રી જતીન દાસ, શ્રી વિવાન સુન્દરમ તથા રાજ્યસભાના સભ્ય શ્રી જોગેન ચૌધરીએ ત્રણેય આ પ્રદર્શનની જવાબદારી સ્વીકારેલી. પોતે હોસ્પિટલમાં હોવા છતાં વિવાને પણ કલાકારોને આ પ્રદર્શન માટે પોતાનું કામ આપવા માટે એકઠા કરવામાં ખૂબ સક્રિય ભાગ ભજવ્યો. શરૂઆતમાં તો રવીન્દ્ર ભવનની લલિતકલાની ગૅલેરીઓ આ માટે અપાશે તેમ અકાદમીએ કબૂલ કરેલું. પરંતુ પછી અચાનક તે કાર્યક્રમ બદલાઈ ગયા (એવું તો નહિ હોય ને કે, કેરળવાસીઓ સામ્યવાદી વિચારસરણીને ટેકો આપતા હોવાથી તેઓને ભારત સરકારની લલિતકલા અકાદમી મદદરૂપ થવા અચકાટ અનુભવતી હોય?)

આમ છતાં નિરાશ થયા વિના અને હિમ્મત રાખીને આ ત્રણ મિત્રોએ એન.જી.એમ.એ.(નૅશનલ ગૅલેરી ઑફ મોડર્ન આર્ટ)ના ડાયરેક્ટરને આ પ્રદર્શન કરવા વિનંતી કરી. સદ્‌ભાગ્યે એન.જી.એમ.એ.ના નિયામકશ્રીએ આ કામ સ્વીકાર્યું અને કર્યું. કળા-કૃતિઓના વેચાણમાંથી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી મદદ કળાકારોએ તેવો કેરળવાસી દેશબંધુઓને કરી. આ અનુભવથી થાકી તથા ત્રાસીને જતિને બધા કળાકારોને આખી ઘટનાની માહિતી આપતો મરશિયાં જેવું પત્ર લખેલો.

છેલ્લાં છ અઠવાડિયાંથી નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે મારું સરનામું એકથી બીજી અને બીજીથી ત્રીજી હોસ્પિટલો તથા નર્સિંગ હોમ જેવાં સ્થળોએ બદલાતું રહ્યું છે. વારંવાર થતી બ્લડ (લોહી), યુરિન (પેશાબ) જેવી ડોક્ટરી તપાસો અને મીઠાની કમી, ક્યારેક સોડિયમનું પ્રમાણ ઓછું કે વધારે, તેવા રિપોર્ટ છેલ્લા ત્રણ અઠવાડિયાંથી જોવા તથા સાંભળવા મળી રહ્યા છે. આથી, થોડા સમયથી અખબારોમાં પ્રસિધ્ધ થતા લેખો સાથે જોવા મળેલું “મી ટૂ” પ્રકારના લખાણો અંગે સમજતાં બહુ વાર લાગી.  કેમ કે, મને “મી ટૂ”ને સ્થળે મીઠું સંભળાયા કરતું રહ્યું હતું.

“મી ટૂ” અંગેના લેખ માં શ્રી ઉર્વીશ કોઠારીએ આરંભ માં જ કહ્યું છે કે “દિમાગની રચનામાં હોય એના કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષના સંબંધોમાં હોય છે.” – એ સાચું જ છે.  જતીન દાસે જે જે કર્યું તેવું કહેવામાં આવે છે તે છેલ્લા એક અઠવાડિયા, કે મહિનો કે વરસો કે તેથી પણ વધુ સમયને આવરી લેતાં વિધાનો છે. પરંતુ કેરળના પીડિતો ને મદદરૂપ થવા જતિને કરેલી અનુકરણીય પ્રવૃત્તિ તથા મહેનત તો અપૂર્વ જ કહેવી જોઈએ. લલિતકલા અકાદમીની અપેક્ષિત મદદ ના મળી તેની જાહેર સ્વરૂપે તેણે ફરિયાદ કરી, તેનું તો આ પરિણામ નહીં હોય! અને જો આ સિલસિલો હવે કાયમી સ્વરૂપ ધારણ કરી લે તો આપણા દેશમાં હજુ પણ ક્યારેક જોવા મળતાં સારાં કાર્યો થતાં બંધ થઈ જશે.

હિન્દુસ્તાન મુર્દાબાદ – એ જ શબ્દો જરા બીજી રીતે "ખય હિન્દ" પ્રમાણે છેલ્લા સાતેક વર્ષથી ભારત સરકારની પોતાની સંસ્થા પ્રસાર ભારતી પરથી અવારનવાર દૂરદર્શન પર રજૂ થયા કરે છે!  એ ભૂલ તરફ ધ્યાન દોરવા મેં છેલ્લાં સાત વર્ષથી સતત પ્રયત્નો કર્યા છે. દિલ્લીમાં કૉંગ્રેસની સરકાર હતી અને ગુજરાતમાં શ્રી નરેન્દ્રમોદી મુખ્યમંત્રી હતા ત્યારથી દૂરદર્શન સાથે સંકળાયેલા ઘણા અધિકારીઓ તેમ જ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા લેખકો/સાહિત્યકારો અને મહાનુભાવોનું ધ્યાન દોરવા પ્રયત્ન કરતો રહ્યો છું.  છેલ્લે છેલ્લે રાજ્ય સભાના નવા નિમાયેલા સભ્યો સુશ્રી સોનલ માનસિંહ દ્વારા પણ આ માહિતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા પ્રયત્ન કર્યો છે, પરંતુ પરિણામ હતું, તેનું તે જ હજુ પણ જોવા મળે છે. સાત વર્ષ લગાતાર પ્રયત્નો કરવા છતાં મારી આ હૈયાવરાળ તેમ જ નિષ્ફળતાનો શોક મનમાંથી હટાવી શક્યો નથી. મારા સદ્‌ભાગ્યે હું મોબાઈલ ફોન તથા તેની સાથે સંકળાયેલ સોશિયલ મીડિયા નેટવર્કથી તદ્દન અભણ છું. તેથી "ખય હિન્દ"વાળી વાત સોશિયલ મીડિયા પર રજૂ કરી શક્યો નથી, પરંતુ જો તેવું કરી શકું અને સરકારને એમાં મેં તેનું અપમાન કર્યું છે તેવું જણાય તો મારી ઉપર "મી ટૂ" પ્રકારનો આક્ષેપ મુકાતા કેટલો સમય લાગશે!

આ સંદર્ભે મને એક લોકવાર્તા યાદ આવે છે. કચ્છના માંડવી બંદરેથી એક ભાટિયા શેઠ પોતાના લાકડાના વાહનમાં લાંબી મુસાફરી માટે જવાના હતા. વહેલી સવારે જ્યારે શેઠ નીકળ્યા ત્યારે તેના ચોકીદારે શેઠને મુસાફરી બંધ રાખવા વિનંતી કરી. કારણમાં ચોકીદારે શેઠને કહ્યું કે, તેને રાત્રે સપનું આવેલું કે શેઠનું વહાણ સમુદ્રના ઝંઝાવાતમાં ફસાઈને ડૂબી ગયું. આથી શેઠે પોતે વહાણ સાથે જવાનું બંધ રાખ્યું. ત્યારપછી માલ-સામાન ભરેલું વહાણ સમુદ્રમાં પ્રવાસ દરમિયાન વાવાઝોડામાં ફસાઈને ખરેખર ડૂબી ગયું. એ સમાચાર જાણ્યા પછી શેઠે ચોકીદારને બોલાવીને પોતાનો  જીવ બચાવવા માટે આભાર માન્યો અને મોટું ઈનામ પણ આપ્યું. પરંતુ સાથોસાથ ચોકીદાર તરીકેની ફરજ બજાવી નહીં અને સૂઈ ગયેલ એટલે તો સપનું આવ્યું, તેથી નોકરીમાંથી પાણીચું પણ પકડાવી દીધું!  શેઠે આ બંને બાબતને એકબીજા સાથે જોડ્યા વિના બે જુદા જુદા નિર્ણયો લીધા. આવું આજકાલ પણ થાય તે મને જરૂરી લાગે છે.

E-mail : jotu72@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 15 અને 14

Loading

એક ઈઝરાયલી

હરનિશ જાની|Opinion - Opinion|5 November 2018

એરન ઈઝેકલ, ઈઝરાયલી હતો. ઘડાયેલું, બેઠી દડીનું શરીર હતું. ઉપરથી મોટા કપાળવાળો ચહેરો તેને બીજા વર્કરથી જુદો પાડતા. ઉપર ઉપરથી ઈઝરાયલી ઢીલા લાગે; પણ અંદરથી ખૂબ કઠણ–મક્કમ હોય છે. જ્યારે એરન તો નખશીખ લડવૈયો લાગતો. ન્યુ યોર્કની, બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ કંપનીમાં મારી સાથે એ કામ કરતો હતો. હું તેનો સુપરવાઈઝર હતો. તે દરેક કામ દોડી દોડીને કરતો. તેથી સૌને ગમતો; પણ મને ન ગમતો.

વિક્રમ વૈતાળની વાર્તાઓમાં, આવતા બાબરા ભૂતની જેમ તે મારી પાસે આવી કહેતો, ‘જાની, વર્ક ડન. ગીવ મી મોર વર્ક’ મતલબ કે, ‘મને બીજું કામ આપ.’ તેણે કલર–શૉપમાંથી કલર લાવી અને જુદાં જુદાં મશિનો પર ઓર્ડર પ્રમાણે ગોઠવી દેવાના. એ તેની જવાબદારી હતી. એ કામ તે બહુ ચોક્કસાઈથી અને ચપળતાથી કરતો. કદીએ ભૂલ થઈ નહોતી. કામ પૂરું થયા પછી, બીજા વર્કરની જેમ ટોળટપ્પાં ન કરતાં; મારી પાસે વધુ કામ માંગતો. તો જેનું કામ પૂરું ન થયું હોય તેને મદદ કરવા માટે તેને પૂછતો.

અમેરિકાની મઝા એ છે કે અહીં દુનિયા આખીની પ્રજા વસી છે. તેમાં પણ અમારી ટેક્સટાઈલ પ્રિન્ટીંગ કંપની તો જાણે યુનાઈટેડ નેશન્સ! મારા ગ્રુપમાં એક સાઉદી અરેબિયાનો બાલુચી નામનો આરબ પણ કામ કરતો હતો. કહેવાની જરૂર નથી કે એરનને બાલુચી દીઠો નહોતો ગમતો. અને બાલુચીને એરન નહોતો ગમતો. મારું કામ કુસ્તીના રેફરી જેવું ન બને એટલે મેં સરકસના રીંગ–માસ્ટર જેવું બનાવી દીધું હતું. વાઘ, સિંહને ભેગા થવા જ દેતો નહોતો! તેમ છતાં બન્નેમાં એક સામ્ય હતું. બન્ને વરસાદથી બીતા હતા. એકાદ ઈંચ વરસાદ પડતો હોય તો બન્નેના ફોન આવી જાય કે, ‘જાની, ઈટ ઈઝ રેઈનીંગ. હાઉ કેન આઈ કમ?’ હવે એટલા વરસાદમાં તો કોઈ ઈન્ડિયન છત્રી પણ ન ખોલે! ઉઘાડે માથે જાય!

એરન ઈન્ટેિલજન્ટ હતો; પણ તેને ઈંગ્લિશના લોચા હતા. તે એક દિવસે મારી પાસે આવ્યો, ‘જાની, આ ‘રાઈટાવે’ એટલે શું? બીજો સુપરવાઈઝર ચાર્લ્સ મને કાંઈ કામ આપે છે અને પછી કહે છે, ‘રાઈટાવે’. મેં એને સમજાવ્યું, ‘રાઈટાવે, એટલે ‘રાઈટ અવે’ – ‘હમણાંને હમણાં.’ તે દિવસે મને સમજાયું કે આ ઈઝરાયલી પોતાના લંચ–બ્રેકમાં હીબ્રુ ભાષાનું ન્યુઝ પેપર જ કેમ વાંચ્યા કરે છે.

અમારા પ્લાંટનાં મશીનોના અવાજથી બચવા કારીગરો મારી એર કન્ડિશન્ડ ઓફિસમાં પોતાનું ફૂડ ખાવા આવતા. ત્યારે એરન અને બીજાઓ સાથે અલકમલકની વાતો થતી. તે અમેરિકા વિશે મારા કરતાં વધુ જાણતો. તે જાણે જ ને! ઈઝરાયલનું અસ્તિત્વ જ અમેરિકાને આભારી હતું.

સુપરપાવર દેશ પાસે શસ્ત્રો હોય, પૈસા હોય; પરંતુ તેનાથી વધારે તેમના લોકોનું કેરેક્ટર–ચારિત્ર્ય હોય છે. અને આ ‘કેરેક્ટર’ એટલે ‘સ્વભાવ.’ દાખલા તરીકે જો સ્વચ્છતાનો સ્વભાવ કેળવીએ, સમજીએ અને જીવનભર, દરરોજ જ તેમ કરતા રહીએ તો તે ટેવ, ‘કેરેક્ટર–ચારિત્ર્ય’માં ફેરવાઈ જાય. અને એ સ્વચ્છતાનો ગુણ વ્યક્તિમાં આવી જાય અને આવી જ રીતે ‘પ્રામાણિકતા’ પણ વ્યક્તિમાં આવી જાય. આવા જુદાજુદા ગુણ, દેશની દરેક વ્યક્તિમાં આવે તો પછી દેશનું ‘કેરેક્ટર’ ઘડાય.

તે દિવસે હું સેકન્ડ શિફ્ટમાં હતો. એરન એ બપોરે આવ્યો હતો, કામ કરવા. રાતે ૧૧ વાગે એ છૂટવાનો હતો. તે એના બ્રેક ટાઈમમાં રોજની જેમ જ મારી એરકન્ડિશન્ડ ઓફિસમાં સેન્ડવીચ ખાવા આવ્યો હતો. મેં પણ સાથે મારી વેજિટેરિયન સેન્ડવીચ કાઢી. અમે બન્ને વાતોએ વળગ્યા. બાજુમાં રેડિયો વાગતો હતો. રેડિયો પર ન્યુઝ બુલેટિન આવ્યું. તેમાં ન્યુઝ આવ્યા કે, ઈજીપ્તે, ઈઝરાયલ સામે વોર ડિક્લેર કરી છે, (સમય હતો. ઓકટોબર ૧૯૭૩નો) અને ઈજિપ્શિયન ફોર્સીસ ઈઝરાયલ તરફ આગળ વધી રહી છે. એરને અને મેં આ સમાચાર સાથે જ સાંભળ્યા.

એરને સેન્ડવીચ બાજુએ મૂકી દીધી અને દોડ્યો લોકર રૂમ તરફ. તેણે કપડાં બદલી નાખ્યાં અને મારી ઓફિસમાં આવ્યો. મને કહે, ‘જાની, હું ચાલ્યો. મને રજા આપી દે.’ મને કાંઈ સમજ પડે તે પહેલાં કહે કે, ‘હું જાઉં છું ઈઝરાયલ.’ મેં પૂછ્યું, ‘કેમ?’ તો એરન કહે, ‘તેં ના સાંભળ્યું કે ઈઝરાયલ, ઈજિપ્ત સાથે વૉરમાં સપડાયું છે? અને હું ઈઝરાયલી છું. અમારું આર્મી ખૂબ નાનું છે. તેને મારી જરૂર છે. તને ખબર છે કે અમારા બધા જ નાગરિકોનું રિઝર્વ આર્મી છે? અમારા દેશના બધા નાગરિકો અમારા આર્મીના સોલ્જર્સ છે. લેડીઝ પણ તેમાંથી બાકાત નથી. અમારે ત્યાં 17થી 49 વરસના દરેકને માટે મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત છે. પોલિટિશિયનોને માટે પણ.’ મેં તેને સલાહ આપી કે, ‘સવારે જજે.’ એરનનું કેરેક્ટર મારા ગુજરાતી મગજમાં પેસે એમ નહોતું. તે તરત જ બોલ્યો, ‘હમણાં જ હું એપાર્ટમેંટ ઉપર જઈશ અને ત્યાંથી હું રાતની ફ્લાઈટમાં નીકળું તો સવારે તો હું તેલઅવીવ પહોંચી જઈશ.’

આ અગાઉ મેં આવો દેશપ્રેમ કદી જોયો નહોતો. ભારતના વીસ લાખના લશ્કરમાં મારા ગરવી ગુજરાતના બેપાંચેક હજાર પણ સૈનિકો હશે કે? મેં ગુજરાતીઓને તો પોલીસમાં જ ભરતી થતા જોયા છે. અમારા ગામનો મનુ ગંજેરી પોલીસ થયો હતો. તે પણ જ્યારે તેને ખબર પડી કે સરકાર યુનિફોર્મની સાથે પોલીસને સિગારેટ પણ આપે છે ત્યારે જ તે જોડાયો હતો. આ વાત ૧૯૫૫ની છે. આનાથી વધુ દેશભક્તિ મેં કદી જોઈ નહોતી. અને અહીં, આ એરનનો બનાવ! હવે આ વાતને વરસો વીતી ગયાં. પણ હું ભૂલી શક્તો નથી. આને કહેવાય ‘કેરેક્ટર–ચારિત્ર્ય’. હવે આ દેશને –ઈઝરાયલને લાખો આરબો પણ કદી હરાવી શકે કે?

‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.’

આવું વરસોથી સાંભળ્યું હતું; પણ મેં જોયું આજે.

લખ્યા તા. February 14, 2018

હરનિશ જાનીની 393મી તા. 2018-02-04ની ‘સ.મ.’માં અમે લખેલું :

‘હરનિશભાઈ હાલ તેમના આગામી ગ્રંથ માટે ‘હાસ્ય–ચરિત્રો’ લખવામાં વ્યસ્ત છે .. આગામી દિવસોમાં એમનું એ પુસ્તક ‘હાસ્ય–ચરિત્ર’ પ્રકાશિત થઈ રહ્યું છે .. તેમાંનો આ એક નવો લેખ તે ‘મીસ્ટર રે લા–શપેલ’. શરૂઆતથી જ ‘સ.મ.’ના જબરા ચાહક અને સાચા સમર્થક રહેલા ભાઈ હરનિશ જાનીએ, ‘સન્ડે ઈ.મહેફીલ’ માટે જ આ લેખ, સ્નેહથી લખી મોકલ્યો તે બદલ તેમનો ખૂબ આભાર ..’

●●●

આવું, એમની 393મી તા. 2018-02-04ની ‘સ.મ.’માં અમે લખેલું. તેઓ કહેતા કે હું જીવનમાં એવાં એવાં પાત્રોને મળ્યો છું કે વર્ષો પછી પણ તેઓ મારો પીછો જ નથી છોડતાં. મારા મગજમાં તેમનું ચિત્ર, વર્તન, સ્વભાવ હજી વર્ષોથી અટવાય, અથડાય, મારી અડફેટે ચડે. મારે એમને મારા લેખોમાં ઉતારવાં છે. અમારા વારંવારના અતિશય ઘોંચપરોણાથી તેમણે થોડાંક પાત્રો વિશે લખ્યું. ‘મારા દાજીબાપુ’ પછી ‘વ્યાસસાહેબ’, ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’, ‘હાર્વી વિલિયમ્સ’, ‘એક ઈઝરાયલી’ વગેરે તેમના લેખો આ શ્રેણીના છે. લખીને તેઓ પહેલાં મને મોકલતા.

ત્યાં તો ત્રણ મહિના ચાલેલી ગંભીર માંદગીમાં તેઓ સપડાયા. આમ, વારંવાર હૉસ્પિટલમાં દાખલ થવાની તો તેમને નવાઈ ન હતી. તેઓ ઘણીવાર કહેતા : ‘મારું શરીર રોગોની ધર્મશાળા છે.’ પણ આ વેળા આ એમની માંદગી છેલ્લી નીવડી અને તે એમને સાથે લઈને જ ગઈ તા. 20-08-2018ના દિવસે. આવા સુહૃદ અંતરંગ મિત્રને ગુમાવતાં દિલનો એક ખૂણો જાણે ખાલી થઈ ગયો !

આ સિરીઝનો, મને મળેલો આ છેલ્લો લેખ! શી ખબર, એવા કેટલાયે લેખ એમના લેપટૉપમાં આદરેલા અધૂરા હજીયે પડ્યા હશે! એ તો મળે ત્યારે ખરા; પણ અમે એમના જૂના ખજાનામાંથી એમની કલમપ્રસાદી અવારનવાર પીરસતા રહીશું અને એમને યાદ કરતા રહીશું .. આપણ સૌની સલામ, હાસ્યના આ બેતાજ બાદશાહને ..! 

2011માં ઉજવાયેલી હરનિશભાઈની 70મી જન્મજયન્તી નિમિત્તે, અમે તેમના મહેમાન હતાં. તે વહાલાદરની વર્ષા રેલાવતા સુહૃદોથી ઉભરાતા ભવ્ય સમારમ્ભમાં હાજર રહેવાનું સૌભાગ્ય અમને સાંપડેલું. તે પળની એક ભાવપૂર્ણ તસ્વીર નીચે ..

— ઉત્તમ.મધુ ગજ્જર અને સમ્પાદકો

♦●♦

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 413 – November 11, 2018

Loading

ઊંચે ઊંચે જવામાં

પંચમ શુક્લ|Poetry|5 November 2018

મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદના ય કયાંય ઊંચે જશે!

પુષ્પની મ્હેક કિવાં સર્પના દંશથી,
રકતનો ચાપ એક માન ઊંચે જશે.

માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનો ય ન્યાસ ઊંચે જશે.

ખેર! એ પળ તણી ય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે!

e.mail : spancham@yahoo.com

Loading

...102030...2,9422,9432,9442,945...2,9502,9602,970...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved