Opinion Magazine
Number of visits: 9578846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પણ સૌથી શ્રેષ્ઠ તો પ્રેમમાં હો ત્યારે જ આવે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 November 2018

ધૂઆંધાર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે(The Sun Also Rises, A Farewell to Arms, For Whom the Bell Tolls, The Old Man and the Sea)નો આ ઇન્ટરવ્યૂ, પેરિસ રિવ્યુ સામાયિકમાં, ૧૯૫૮માં આવ્યો હતો. નવોદિત લેખકોને ગમશે :

સવાલ: તમે ક્યારે લખો છો? તમારું કોઈ નિશ્ચિત શેડ્યુલ ખરું?

હેમિંગ્વે: હું કોઈ પુસ્તક કે વાર્તા પર કામ કરતો હોઉં, તો સૂરજનું પહેલું કિરણ ફૂટે ત્યારે લખું છું. ત્યારે કોઈ ડિસ્ટર્બ ના કરે. લખેલું ફરીથી વાંચવાનો પણ સમય રહે. બપોર સુધી લખું.

સવાલ: તમે ચાલુમાં જ રિ-રાઈટિંગ કરો કે બધું લખાઈ જાય પછી?


હેમિંગ્વે: હું એ જ દિવસે રિ-રાઈટ કરું છું. પૂરું થઇ ગયા પછી ફરી એકવાર જોઈ લેવાય. પ્રૂફમાં પણ એક ચાન્સ રહે. આ બધા ચાન્સ બહુ ઉપકારક છે.

સવાલ: રિ-રાઈટિંગ કેટલુંક હોય?


હેમિંગ્વે: ડિપેન્ડ્સ. 'ફેરવેલ ટુ આર્મ્સ'નો અંત, એ છેલ્લો પેરેગ્રાફ, મેં ઓગણચાલીસ વખત લખ્યો હતો.

સવાલ: લખવાના ટેકનિકલ પ્રોબ્લેમમાં અટવાયા હતા?


હેમિંગ્વે: શબ્દો બરાબર સૂઝતા ન હતા.

સવાલ: કઈ જગ્યાએ લખવાનું સારું ફાવે? અમ્બોસ મુન્ડોસ હોટેલ તમને બહુ ફાવે છે.(હવાના-ક્યુબાની આ હોટેલમાં હેમિંગ્વે સાત વર્ષ રહ્યા હતા.)

હેમિંગ્વે: અમ્બોસ મુન્ડોસ તો બેસ્ટ છે. આ ખેતર ( હેમિંગ્વે, ઇન્ટરવ્યુ વખતે, સ્પેનમાં હતા) પણ સરસ છે. પણ મેં બધે જ લખ્યું છે. મેં જાતભાતની પરિસ્થિતિમાં લખ્યું છે. બસ આ એક ટેલિફોન અને મુલાકાતીઓ હેરાન કરે.

સવાલ: લખવા માટે ઈમોશનલ સ્ટેિબલિટી જરૂરી છે? તમે એકવાર મને કહ્યું હતું કે તમે પ્રેમમાં હો ત્યારે જ ઉત્તમ લખી શકો છો. આ સમજાવશો?

હેમિંગ્વે: શું સવાલ છે. આ પૂછવા માટે પૂરા માર્ક્સ. લોકો તમને એકલા છોડી દે અને ખલેલ ના પાડે, તો લખી શકાય. અથવા તમે જાડી ચામડીના હો તો લખી શકો. પણ સૌથી શ્રેષ્ઠ તો પ્રેમમાં હો ત્યારે જ આવે. મારે ઝાઝું નથી કહેવું.

સવાલ: તમે હવે બીજા લેખકોની કંપનીમાં બહુ હોતા નથી.


હેમિંગ્વે: આ જરા ગુંચવાડાવાળું છે. લખવામાં તમે ઊંડા ઊતરો પછી એકલતા જોઈએ. ઉત્તમ અને જૂના દોસ્તો મરી ગયા છે. અમુક દૂર થઇ ગયા છે. લખવામાં જ સમય એટલો જાય છે કે હળવું-મળવું પાપ લાગે.

સવાલ: તમારા ગમતા લેખક ક્યા? તમે જેમનામાંથી શીખ્યા હો.


હેમિંગ્વે: માર્ક ટ્વેઇન, સ્ટેન્ધાલ, બાચ, તુર્ગનેવ, તોલ્સતોય, દોસ્તોયેવેસ્કી, ચેખોવ, એન્ડ્રુ માર્વેલ, જોન ડોન્ને, મોપાસાં, કિપલિંગ, થોરો, કેપ્ટન મર્યત, શેક્સપિયર, મોઝાર્ટ, ક્વેવેડો, દાંતે, વર્જીલ, ટીંટોરેટ્ટો, હીરોનીમસ બોસ, બૃઘેટ, પટનીર, ગોયા, જીઓટ્ટો, ઝાનેન, વાન ઘોઘ, ગૌગીન, સાન જુઅન દે લા ક્રુઝ, ગોન્ગોરા–બધાને યાદ કરીશ તો આખો દિવસ જશે.

સવાલ: તમારા મનમાં આખી વાર્તા પહેલેથી નક્કી હોય?


હેમિંગ્વે: ક્યારેક હોય, અને કયારેક લખતા જાવ તેમ બનતી જાય, બદલાતી જાય.

સવાલ: નવલકથામાં પણ એવું જ હોય? કે પછી આખો પ્લાન નક્કી જ હોય?


હેમિંગ્વે: 'હુમ ધ બેલ ટોલ્સ'માં રોજ મુસીબત રહેતી હતી. મેં નક્કી કર્યું હોય કે હવે પછી શું થશે, પણ લખવા બેસું અને નવું કૈંક આવી જાય.


સવાલ: તમે એક પુસ્તક પરથી બીજાં પુસ્તક પર સરળતાથી શિફ્ટ થઇ જાવ કે પછી એક પૂરું કરો પછી બીજું શરૂ કરો?


હેમિંગ્વે: તમારા આ સવાલોના જવાબ આપવા મેં મારા સિરીયસ કામમાં ખલેલ પાડી છે એ બતાવે છે કે હું સ્ટુપીડ નથી. હું એક કામ સાથે બીજું કામ કરી શકું છું. ડોન્ટ વરી.

https://www.facebook.com/raj.goswami.31

Loading

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 November 2018

હૈયાને દરબાર

મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત કવિ રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે

તમે રે તિલક રાજા રામના.. ગીત વિશે ગતાંકમાં લખેલા લેખ પછી અનેક વાચકોના અભિનંદન માટેના ફોન કોલ્સ અને મેસેજ આવ્યા. પણ દરેકને પ્રશ્ન હતો કે ‘મારી આંખે કંકુના સૂરજ’ ગીત વિશે ક્યારે લખશો? મેં કહ્યું, "હા ભાઈ હા, એના વિશે તો લખવું જ પડે ને! પરંતુ, આંખે કંકુના … ગીત એવું છે કે એ લખ્યા પછી રાવજીનાં બીજાં કોઈ ગીતની વાત ના થઇ શકે. ગળે ડૂમો બાઝ્યો હોય, હૈયું બોઝિલ હોય અને કલમ અટકી ગઈ હોય ત્યારે બીજાં કયાં ગીતની કથા માંડવી? એટલે પહેલાં જ તમે રે તિલક…ની વાત કરી દીધી. આજે હવે આંખે કંકુના સૂરજની વાત લખતાં પહેલાં જ ઉદાસી ઘેરી વળી છે. કાવ્યનો એક એક શબ્દ એક એક અશ્રુનો મોહતાજ છે. જિંદગીની સફરમાં છેલ્લું સ્ટેશન છે મૃત્યુ. મૃત્યુની ગમગીની વ્યક્ત કરતું આનાથી કરુણ ગીત મેં નથી સાંભળ્યું. આ ગીત જેટલી વાર વાંચ્યું, સાંભળ્યું કે ગાયું છે ત્યારે અશ્રુધારા અટકી નથી. એ કમાલ છે ગીતના શબ્દોની, કારુણ્યસભર રાગ શિવરંજનીના સ્વરોની, અજિત શેઠના સ્વરાંકનની અને ભૂપિન્દર સિંહના ઘેરા અવાજની. અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભૂપિન્દર સિંહ એ ત્રણેયના અવાજમાં આ ગીત સાંભળ્યું છે. ત્રણેય સ્વરાંકનો સરસ છે, પરંતુ ભૂપિજીના ઘેરા અવાજનું દર્દ કે પછી રાગ શિવરંજનીના સ્વરો, એ જે હોય તે, પણ હલબલાવી મુકે છે, રડાવી દે છે. શબ્દો અને સંગીત બન્ને હૃદયની આરપાર નીકળી જાય એવાં!

આ ગીતમાં લગ્ન અને મૃત્યુની વાત સમાંતરે ચાલે છે. જીવન હજુ તો શરૂ જ થયું છે અને મોત માથે ભમી રહ્યું છે! કાવ્યનો નાયક પરિણીત યુવાન છે. મૃત્યુને પ્રત્યક્ષ જોતાં જ એને પહેલો વિચાર પત્નીનો આવે છે. પત્નીનું સૌભાગ્યચિહ્ન કંકુનો ચાંદલો. એ ચાંદલો પોતાની ‘આથમતી’ આંખે ભૂંસાઈ જતો કવિને દેખાય છે. પત્નીના વૈધવ્યનું સાક્ષાત્‌ દર્શન થાય છે. યુવા વયે પત્નીનું વૈધવ્ય, ભુસાંતો ચાંદલો એ હૃદય વલોવી દેનારી ઘટના છે. લગ્નમાં થતી તૈયારીની જેમ જ કવિ મૃત્યુને શણગારવાની વાત કરે છે : ‘મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!’ આ ‘વીરા’ શબ્દનું અર્થઘટન નિશીથ ધ્રુવ નામના એક ભાવકે સરસ કર્યું હતું એ અહીં યાદ આવે છે. મન્ના ડેનું ગીત લાગા ચુનરી મેં દાગ આપણે સૌ જાણીએ છીએ. એમાં એક પંક્તિ આવે છે, વો દુનિયા મેરે બાબુલ કા ઘર, યે દુનિયા સસુરાલ … એટલે કે પરલોક એ તો મારું પિયર છે. ત્યાં તો ઈશ્વર વસે છે. એટલે અહીં કવિએ વીરા શબ્દ છે પ્રયોજ્યો છે એ માતા પિતા કે ભાઈ સમાન ઈશ્વરની જ વાત હોઈ શકે. આખી જિંદગી વેદના સાથે જીવ્યા છતાં કવિ અહીં જીવનને શણગારે છે! કવિ કહે છે: ‘પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા, મલકાતા રાજ’. પીળો રંગ અહીં પાનખરનો રંગ છે, જિંદગી ખરી પડવાનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ વસંતનો, યૌવન અને જિંદગીનો રંગ છે. ભરજુવાનીમાં હણહણતા ઘોડા જેવી શક્તિઓ ક્ષીણ થઈને ડૂબી રહી છે. હણહણતા ઘોડા યૌવનનું પ્રતીક છે. સોનેરી સપનાંઓ જોયાં પહેલાં જ પૂરાં થઈ ગયાં છે. આયુષ્યની પાનખર આંગણે આવી ગઈ છે. કવિ આગળ કહે છે: મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, મને વાગે સજીવી હળવાશ. આ પડછાયો પત્નીનો છે જે પતિને રોકી રહ્યો છે. પતિની વિદાય વેળાએ મૃત્યુને અટકાવવા ઊભો થયેલો પત્નીનો હાથ અધવચ્ચે જ અટકી જાય છે. ઝાંઝરની ઘૂઘરીઓનો રણકાર પણ ચોકમાં આવી એને રોકે છે ત્યારે મૃત્યુને પણ એ સજીવી હળવાશ ભોંકાઈ હશે. લગ્નજીવનનો હજુ તો આરંભ છે, કેટકેટલાં ઓરતાં બાકી છે, પણ મૃત્યુનો ઓછાયો એ સપનાંને ટૂંપી રહ્યો છે. છેલ્લા શ્વાસ લઇ રહેલી વ્યક્તિને અંતિમ ક્ષણોમાં સૌથી વધારે દુ:ખ સ્વજનોથી વિખૂટા પડવાનું થતું હોય છે. વ્હાલસોયી કાવ્યનાયિકાના ગળે ડૂમો ભરાઈ ગયો છે, આઘાતને કારણે પગ નથી ઊપડતા. એ રોકી રહી છે પ્રિયજનને …! મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. શું અદ્દભુત કલ્પનો પ્રયોજ્યા છે કવિએ આ કવિતામાં! અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે.

કવિ પોતાની નજર સામે જ ઊભેલી પત્નીના સૌભાગ્ય રૂપ ચાંદલો (કંકુનો સૂરજ) ભૂંસાતો (આથમતો) અનુભવે છે. પીળાં પાન જેવા સુકાઈ ગયેલા દેહમાં લીલુંછમ યૌવન તો ડૂબ્યું, પરંતુ પ્રિય પત્નીને સુખના અલકાતાં-મલકાતાં રાજ ન આપી શક્યાનો રંજ છે. આ ગીતની સર્જનવેળાએ કવિને જાણીતા લગ્નગીત ‘કંકુ છાંટી કંકોતરી મોકલો’નો રંગ અભિપ્રેત હતો એવું એમના એક સમકાલીન કવિએ કહ્યું હોવાનું ક્યાંક વાંચ્યું હતું. મૃત્યુ એ આમ તો મંગળ પ્રસંગ કહેવાયો છે. મંદિરની આરતીનો રવ છે એમાં. બહુ ધીમેથી આવીને એ પરલોકમાં લઈ જાય છે. અને ઉપર કહ્યું તેમ પરલોક એ તો ‘બાબુલ કા ઘર’ એટલે કે પિયર છે. પિયરે જતી વખતે વેદના ક્યાં હોય? પિયરેથી સાજ શણગાર સજીને જ વિદાય લેવાની હોય ને! આટલી સહજ અને માંગલિક અભિવ્યક્તિ કોઇ ઓલિયો જ કરી શકે.

જીવનનું આખરી સત્ય છે મૃત્યુ! રાવજી પટેલના આ ગીતને ઉમાશંકર જોષીએ ‘રાવજીનું હંસ ગીત’ કહ્યું છે. મૃત્યુ નજીક હોય ત્યારે હંસના કંઠમાંથી કંઈક કરુણ ગાયન જેવું સંભળાય છે, માટે મૃત્યુ ગીતોને અંગ્રેજીમાં ‘સ્વોન સોંગ’ (હંસ ગીત) કહે છે. 50 વર્ષ પહેલાં માત્ર 28 વર્ષની ભર જવાનીમાં દસમી ઑગસ્ટે જે સૂરજ અધવચ્ચે જ ડૂબી ગયો એ રાવજી પટેલનો ‘અંગત’ કાવ્યસંગ્રહ એમના મૃત્યુના ત્રણ વર્ષ પછી પ્રગટ થયો. ‘રાજીવ પટેલનાં કાવ્યો’ પુસ્તકના સંપાદક રઘુવીર ચૌધરીએ એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, ડૉક્ટરે જ્યારે પહેલી વખત સહેજે સંકોચ વગર કહી દીધું કે છ માસ જીવશો ત્યારે રાવજીથી માની શકાય એમ ન હતું. હજી તો ઘણાં ય સ્વપ્નો પૂરાં કરવાનાં હતાં. એટલે ‘થોડું જીવી’ લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં એ દાખલ થયો. (પછી 4 વર્ષ જીવ્યા) બહાર આવી 1966માં ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત નવલકથા ‘અશ્રુધર’ લખી. પરંતુ, પછી એના જીવનમાં એક ખતરનાક વસ્તુ ઉમેરાઈ-માનસિક અસ્થિરતા." છેલ્લી વખતના રાવજીના ગાંડપણનું કારણ રઘુવીરભાઈ લખે છે કે, કદાચ એમણે આખી રાત મૃત્યુ વિશે લખ્યાં કર્યું એ હોય! કવિનો અંત બહુ કરુણ હતો. રાવજી પટેલે પોતે લખ્યું છે: "મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે, બળી ગયા પછી તો જગત સાથેના બધા જ સંપર્ક કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા. તમે મને ગાંડો કહેશો, હું તમને ડાહ્યા સમજીશ. પણ ડાહ્યા-ગાંડામાં માત્ર એક જ ફરક પડવાનો છે. હું સમજુ છે એ (તમે) નથી સમજતા અને તમે સમજો છો એ હું નથી સમજતો.

રાવજી પટેલના શબ્દોની સંવેદના, વેદના તેને ખુદને તો દઝાડે જ છે. સાથે વાચકને પણ દઝાડે છે, સ્પર્શે છે. મૃત્યુનો વ્યવહાર કોને સમજાયો છે? વૃદ્ધ વ્યક્તિના મૃત્યુને કદાચ મુક્તિ કહી સ્વીકારી શકાય, પણ ભર જવાનીમાં મૃત્યુ આવે ત્યારે ‘પ્રભુને ગમ્યું તે ખરું’ કહી મનને મનાવીએ છીએ, પરંતુ ખરેખર એ ખોટ પુરાય છે? ઘાયલસાહેબે કહ્યું છે: "કહે છે મોત જેને એ અસલમાં છે જબરદસ્તી, હરિ ઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.” માનસિક અસ્થિરતા, એકલતા, શરીર ફીકું પડી રહ્યું હતું ત્યારે રાવજી લખે છે: દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી, મને કોઈ રાવજીથી ઓળખે એ ય હવે ગમતું નથી ..! આ શબ્દો, આ દર્દ-વેદના કલમમાંથી નીકળી રહી હતી. થોડી વેદના, થોડું દુ:ખ લખ્યું હશે, લખાતું હશે ત્યાં એક દિવસ, એક સાંજે ગળફામાંથી લોહી પડે છે. નજર સામે દેખાતું મૃત્યુ માણસને અંદરથી તોડી નાખે છે. મૃત્યુની તીવ્ર વેદના, વિચારતા કરી મુકે એવી અભિવ્યક્તિ છે! મૃત્યુનો મહોત્સવ ઉજવવા માટે તૈયારી થઇ રહી છે… શ્વાસ અજવાળાં પહેરીને ઊભા છે! અલકાતા રાજ ડૂબી રહ્યા છે. ઘણાં સપનાંઓ સાથે કવિ આ દુનિયામાં આવ્યા હતા, પત્નીના ઓરતાં ઉમેરાયાં હતાં. અને ક્ષિતિજે સૂરજ આથમતો દીસે છે, ઊતરતાં અંધારા સમયે પણ શ્વાસ અજવાળાં પહેરીને ઊભા છે. એ સમયે રોદણાં રોવાને બદલે શણગારેલી વે’લમાં મોત સાથે ચાલી નીકળવાનું છે! જિંદગીની અંતિમ ક્ષણોમાં રાવજી એકાકી હતા. માન સન્માન તો મૃત્યુ પછી મળ્યાં.

કવિ રાવજી પટેલ વિશે વિનોદ ભટ્ટે ‘વિનોદની નજરે’ પુસ્તકમાં લખ્યું છે, રાવજી પટેલ વિશે ઘણાને મોઢે ઘણું ઘણું સાંભળવા મળતું. એ મર્યો એ અરસામાં, “સાલો .. મારું કહેવું માન્યો હોત તો આટલો જલદી ના મરત અમે ય રાવજીને ઘણી મદદ કરેલી પણ આપણું તો ભૈ એવું – જમણો હાથ શું આપે છે એની ડાબા હાથને ક્યારે ય જાણ જ ન થવા દઈએ ..! જે લોકો રાવજીને જોઈને ફૂટપાથ બદલી નાખતા તેઓ તેની વાત કરતાં પોતાનો અવાજ હજી ય ભીનો કરી શકે છે. રાવજીના જીવતાં જે પ્રકાશકો એના પુસ્તક માટે એને બાઈ બાઈ ચારણીની રમત રમાડતા હતા એ લોકો રાવજીનાં પુસ્તકો પોતાને જ મળે એ વાસ્તે હવે સિફારસો કરાવે છે. ગુજરાતી સાહિત્યના દંભની આ પરાકાષ્ટા છે. મોડે મોડે ય એવૉર્ડ આપી ગુજરાતી સાહિત્ય જગતે ભૂલ સુધારી તેનો આનંદ છે.

વક્રતા આ જ છે મનુષ્ય જીવનની! આપણો સમાજ મુર્દાપરસ્તીનો છે. જીવતાને ઠેબે ચડાવે ને મરેલાંના ગુણગાન ગાય. અલબત્ત, રાવજીએ માત્ર આંખે કંકુના સૂરજ એ એક જ ગીત જીવનકાળ દરમ્યાન લખ્યું હોત તો ય સાહિત્યજગતે એની નોંધ લેવી જ પડી હોત !

આ ગીતના સ્વરાંકન વિશે અજીત શેઠના પુત્ર અભિજિત શેઠ જણાવે છે કે "આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટનું રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે હું પપ્પાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ ગીતને રેકોર્ડ કરતાં ત્રણ દિવસ લાગ્યા હતા, કારણ કે ગીતના આરંભમાં શરણાઈનો જે ટુકડો છે એ પપ્પા જે પ્રકારે ઇચ્છતા હતા એવો આવી રહ્યો નહોતો. શરણાઈ વાદક પાસે કેટલી ય વાર રિહર્સલ કરાવ્યું તો ય એમને ધાર્યું પરિણામ તો ના જ મળ્યું. ગીત ધ્યાનથી સાંભળો તો શરણાઈનો પનો જરાક ટૂંકો જણાઈ આવે છે. છેવટે ત્રીજા દિવસે મોડી રાત્રે ત્રણ વાગે પપ્પાએ ટેક ઓકે કર્યો હતો. બીજા અંતરામાં વાઈબ્રોફોન સ્હેજ મોડું શરૂ થયું હતું. આ બંને ક્ષતિઓ ગીત તમે ધ્યાનથી સાંભળો અને સંગીત જાણતા હો તો ઓળખી શકો. અલબત્ત, ભૂપિજીએ પૂરી તૈયારી કરીને આ ગીતમાં જાન રેડી દીધો હતો. એ પોતે આ ગીતથી એવા પ્રભાવિત થઈ ગયા હતા કે એમણે પોતે આ ગીતમાં ગિટારના સ્ટ્રોક્સ વગાડયા છે.

ભૂપિન્દરજીએ આ ગીતના સંદર્ભમાં કહ્યું કે, "મેં ગાયેલા લગભગ બધા ગુજરાતી ગીતો મને ગમે છે, પરંતુ મારું સૌથી પ્રિય ગીત આંખે કંકુના સૂરજ આથમ્યા છે. ઘણી કોન્સર્ટમાં એની ફરમાઈશ આવે છે. છેલ્લે, વલ્લભ વિદ્યાનગરમાં રહેતા રઘુભાઈ જોશીએ રાવજીને શબ્દાંજલિ આપતાં જે લખ્યું છે એનો ઉલ્લેખ કરીને લેખનું સમાપન કરીએ. તેઓ લખે છે, "સજીવી હળવાશ રાવજીને વાગી ગઈ. જીવનની ઉષામાં સૂરજ આથમી ગયો. ‘વૃત્તિ’ ને અધૂરી રાખી રાવજી ધરતીમાં ભળી ગયો. લાભશંકર ઠાકરે લખ્યું, એ ઘણા સમયથી મૃત્યુ પામ્યો હતો. અને મૃત્યુની સોડમાં બેસીને કાવ્યો અને વાર્તાઓ લખતો હતો. એનું મૃત્યુ એ આશ્ચર્યની બાબત નથી, એ છૂટ્યો એનું આશ્વાસન પણ નથી. પરિસ્થિતિએ એને જીવનના છેક તળિયે મૂકી દીધો હતો અને ગૂંગળાતો એ લખતો હતો :

ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે પડી રહેવા દે …

હજી પણ રાવજી પડ્યો છે એ મહુડીની તળે, એના વલ્લવપુરા ગામના ખેતરમાં, એકલો-અટૂલો, વેદનાને હૈયામાં ધરબીને કવિતા ગાતો ..:

અમે રે અધવચ રણનાં વીરડાં
થોડાં ખારાં રે છઈએ, ખાટાં રે છઈએ,
પગલું પડે ને વ્હેતાં રે થઈએ અમે રે અધવચ રણનાં વીરડાં …

રાવજીની કવિતાઓમાં ચિત્ત ચોંટી ગયું છે. આકાશની ક્ષિતિજે સૂરજ ડૂબી રહ્યો છે. શિવરંજનીનો વિષાદ યોગ ઘેરી વળ્યો છે, હવે કંઈ કહેવું નથી. બસ, ગીતના સ્વર અને શબ્દમાં ડૂબી જવું છે … મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ..!

————————————————–

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …


પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …


મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …

કવિ : રાવજી પટેલ  • સંગીતકાર : અજિત શેઠ  • ગાયક : ભૂપિન્દર સિંહ

https://www.youtube.com/watch?v=IOeeJcpiq3Q

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : ભૂપિન્દર સિંહ

https://www.youtube.com/watch?v=emYzBkJi0AA

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : રાસબિહારી દેસાઈ

https://www.youtube.com/watch?v=ilQvPS7Wnms

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : અતુલ દેસાઈ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 નવેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=454023

Loading

કરતારપુર કૉરિડોર: બે દેશ વચ્ચે કોઈ એક છેડેથી સહિયારો કાર્યક્રમ થવો જોઇતો હતો અથવા એક જ સમયે બે છેડે કાર્યક્રમ યોજવા જોઇતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|28 November 2018

કરતારપુર સાહેબ ગુરુદ્વારા ભારત અને પાકિસ્તાનની સરહદેથી માત્ર ચાર કિલોમીટર અંદર પાકિસ્તાનમાં છે. આ જગ્યાએ ગુરુ નાનક તેમની જિંદગીના અંતિમ ૧૮ વરસ રહ્યા હતા અને ત્યાં જ ૨૨મી સપ્ટેમ્બર ૧૫૩૯ના રોજ નિર્વાણ પામ્યા હતા. અત્યારનું દરબાર સાહેબ ગુરુદ્વારા ૧૯૩૯ની સાલમા પટિયાલાના મહારાજે મોટી સખાવત આપીને બંધાવ્યું હતું. ભારતનું વિભાજન થયું ત્યારે કરતારપુર પાકિસ્તાનમાં ગયું હતું અને ત્યારથી પંજાબના સિખો જ્યારે પણ ગુરુદાસપુર જાય છે ત્યારે સરહદે આવેલા ડેરા નવાબ સાહેબ ખાતે અચૂક જાય છે કે જેથી કરતારપુર સાહેબ ગુરુદ્વારાના દૂરથી દર્શન થઈ શકે. ચોમાસમાં મોટું હાથીની ઊંચાઈ જેટલું (એલિફન્ટ ગ્રાસ) ઘાસ ઊગી જાય છે એટલે દર્શન મુશ્કેલ બને છે. વધારે સારી રીતે સિખો દર્શન કરી શકે એ માટે ડેરા નવાબ સાહેબ ખાતે દૂરબીનો રાખવામાં આવ્યાં છે.

સાત દાયકાથી હજારોની સંખ્યામાં સિખો ડેરા નવાબ સાહેબ જઇને કરતારપુર સાહેબના દર્શન કરી રહ્યા છે ત્યારે કલ્પના કરો કે તેમની અંદર ગુરુ નાનકદેવની તપોભૂમિનાં અને નિર્વાણભૂમિનાં નજીકથી દર્શન કરવાનો કેવો ઝુરાપો હશે! આમ છતાં ઝૂરતાં દર્શનાર્થીઓને જોઇને આજ સુધી કોઈ શાસકને શરમ આવી નથી. કોઈને એમ નહોતું લાગતું કે ચાર કિલોમીટરની જમીન ખોલી આપવી જોઈએ. બાળક માટે તલસતી માની વેદના તેમને સમજાઈ હોત તો ભક્તની ભાવના તેમને સમજાઈ હોત. આ બધા રાષ્ટ્રવાદનાં પરિણામો છે. દુર્ભાગ્યે રાષ્ટ્રવાદને એક દુશ્મનની જરૂર પડતી હોય છે એટલે ભારત સરકારે ભૂતકાળમાં અનેકવાર ચાર કિલોમીટરનો જવા-આવવાનો પટો (કૉરિડોર) ખોલી આપવાની પાકિસ્તાનને ભલામણ કરી હતી, પરંતુ પાકિસ્તાનના ઇસ્લામિક રાષ્ટ્રવાદ સિખોની ભાવનાની કદર કરવામાં આડો આવતો હતો.

હવે સંકુચિત રાષ્ટ્રવાદની બીમારી ભારતમાં ફેલાઈ છે એટલે તો કૉરિડોરનો શિલાન્યાસ કોઈ એક જગ્યાએથી થઈ શક્યો નથી. ભારતમાં સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પંજાબમાં જઇને શિલાન્યાસ કર્યો અને પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાન બુધવારે કરવાના છે. ઇમરાન ખાને તો ભારત સરકારને આમંત્રણ પણ આપ્યું હતું કે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પાકિસ્તાનમાં કરતારપુર આવે અને સમારંભમાં ઉપસ્થિત રહે. સુષ્મા સ્વરાજે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે અને તેમની જગ્યાએ વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન ઉપસ્થિત રહેવાના છે. બે દેશ પોતપોતાના છેડાથી અલગ અલગ દિવસે શરૂઆત કરે એ જ શોભાસ્પદ નથી. ગમે તેમ ભારત સરકારના રાજ્ય કક્ષાનાં પ્રધાન કરતારપુર જવાનાં છે, એ વાતનો સંતોષ માનવો જોઈએ. જો બે દેશોએ સાથે મળીને કૉરિડોરનું મંગળાચરણ કર્યું હોત તો વધારે સારું લાગત.

બે પ્રતિક્રિયાઓ નોંધવા જેવી છે. પંજાબની કૉન્ગ્રેસ સરકારના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરેન્દ્ર સિંહ ભા.જ.પ. કરતાં પણ સવાયા રાષ્ટ્રવાદી બની ગયા છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન સરકારનું લશ્કર ભારતની સરહદે છમકલાં કરતું હોય, અંકુશરેખા ઓળંગીને ભારતની સરહદમાં પ્રવેશતું હોય, ભારતીય સૈનિકો પર હુમલા કરતું હોય, ત્રાસવાદીઓને છૂટો દોર આપતું હોય, હત્યાઓ કરવા દેતું હોય તો એ પાકિસ્તાનમાં કૉરિડોરના ઉદ્ઘાટન માટે કેમ જવાય? કૉરિડોર ભલે પાકિસ્તાન સુધી જતી હોય અમે ત્યાં નહીં જઈએ. હું તો એ નાપાક પાકિસ્તાનમાં પગ મૂકું જ નહીં, કૉરિડોર ભલે જતી. આના કરતાં મોટી હાસ્યાસ્પદ ભૂમિકા બીજો કઈ હોઈ શકે?

બીજી બાજુ તેમના પ્રધાન મંડળના સભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાન જવાના છે. તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના તેઓ બન્ને સાથે ક્રિકેટ રમતા એ સમયના મિત્રો છે. ઇમરાન ખાને વડા પ્રધાન તરીકે સોગંદ લીધા ત્યારે પણ સિદ્ધુ અને કપિલ દેવ પાકિસ્તાન ગયા હતા. નવજોત સિંહ સિદ્ધુ કહે છે કે કરતારપુર માટેની જે કૉરિડોર ખુલ્લી થઈ રહી છે એ તેમના પ્રયત્નનું પરિણામ છે. તેમણે પાકિસ્તાન સરકારને કહ્યું હતું કે ગુરુ નાનક દેવની ૫૫૦મી જન્મજયંતી નિમિત્તે પાકિસ્તાન સરકારે કૉરિડોર આપવી જોઈએ. પાકિસ્તાન સરકારની સંમતિ મેળવીને તેઓ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મળ્યા હતા અને જરૂરી પહેલ કરવાની સૂચના તેમણે વિદેશ પ્રધાનને કરી હતી. નવજોતસિંહ સિદ્ધુની વાત ગળે ઊતરે એવી છે એટલે તેઓ તેમના મુખ્ય પ્રધાનની ભૂમિકાની અવગણના કરીને પાકિસ્તાન જાય છે, એનું સ્વાગત કરવું જોઈએ. બીજું, કોઈ ભૂમિકા ન હોય તો પણ પાકિસ્તાનમાં જે સમારોહ યોજાઈ રહ્યો છે એમાં પંજાબની ઉપસ્થિતિ હોવી જોઈએ. પાકિસ્તાનના વડા પ્રધાને પંજાબના મુખ્ય પ્રધાનને પણ આમંત્રણ મોકલ્યું હતું.

બીજું રસપ્રદ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું છે. તેમણે કહ્યું છે કે પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચેની દીવાલ એક દિવસ તૂટી જશે એવી ક્યાં કોઈએ કલ્પના કરી હતી અને આપણને જોવા મળ્યું કે લોકોએ એને તોડી નાખી. આવું એક દિવસ ભારત અને પાકિસ્તાનની વચ્ચે પણ બની શકે છે. જરૂર બની શકે, પણ એને માટેનો માર્ગ અલગ છે. પહેલાં તો નરેન્દ્ર મોદીએ નક્કી કરી લેવું પડે કે તેઓ તેમની કઈ સિદ્ધિ માટે ગર્વ લેવા માગે છે; સર્જીકલ સ્ટ્રાઈક માટે કે બર્લિનની દીવાલને તોડી નાખવાની ભૂમિકા બનાવી જવા માટે? હમણાં કહ્યું એમ બન્ને રસ્તા અલગ અલગ છે અને વિરુદ્ધ દિશાના છે. જો બર્લિનની દીવાલ તોડવી હોય તો ધીરજ ધરતા, સંયમ રાખતા અને ઝેરનાં ઘૂંટડા પીતા આવડવું જોઈએ. તેમણે જે ડાહીડાહી વાતો કરી છે એ મુજબ તો ભારતની પાકિસ્તાનનીતિ છેલ્લા સાડા ચાર વરસ દરમ્યાન જોવા મળી છે તેનાથી અલગ હોવી જોઈએ. જો બર્લિનની દીવાલ તોડવી હોય તો તેમણે વિદેશ પ્રધાનને પાકિસ્તાન મોકલવા જોઈતા હતા. બે દેશ વચ્ચે કોઈ એક છેડેથી સહિયારો કાર્યક્રમ થવો જોઈતો હતો અથવા એક જ સમયે બે છેડે કાર્યક્રમ યોજવા જોઈતા હતા.

પણ આ તો રાષ્ટ્રવાદનો યુગ છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 નવેમ્બર 2018

Loading

...102030...2,9262,9272,9282,929...2,9402,9502,960...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved