Opinion Magazine
Number of visits: 9685656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં બંગલાદેશમાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 January 2019

બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ અપેક્ષા મુજબનાં છે. મેં બે મહિના પહેલાં બંગલાદેશનો પ્રવાસ કર્યો ત્યારે જ સર્વત્ર નજરે પડતું હતું કે બંગલાદેશમાં શાસક પક્ષ અવામી લીગ સામે વિપક્ષ કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતો. અસ્તિત્વ નથી ધરાવતો એનો અર્થ એ નથી કે બંગલાદેશમાં વડાં પ્રધાન શેખ હસીના લોકપ્રિયતાની ટોચે છે અને ભૂતપૂર્વ વડાં પ્રધાન અને બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાનો પક્ષ લોકોની નજરમાં સાવ ઊતરી ગયો છે. આનું કારણ એ છે કે શાસક પક્ષે બંગલાદેશમાં વિરોધ પક્ષોને અને મુખ્યત્વે ખાલેદા ઝિયાને તેમ જ તેમનાં પક્ષને કચડી નાખ્યો છે. આને કારણે બંગલાદેશનું રાજકારણ એકપક્ષીય બની ગયું છે. શાસક મોરચો કહેવા પૂરતો છે, રાજ હસીના વાજેદ એકહથ્થુપણે ભોગવી રહ્યાં છે. લગભગ આવી જ સ્થિતિ બે દાયકા પહેલાં પણ હતી જ્યારે બેગમ ખાલેદા ઝિયા વડાં પ્રધાન હતાં.

બંગલાદેશમાં દરેક કિશોરે તરુણાવસ્થામાં પહોંચતાં પહેલાં એક નિર્ણય લેવો પડતો હોય છે; મુસ્લિમ ફર્સ્ટ કે બંગાળી ફર્સ્ટ. જ્યાં મુસ્લિમ હોવાની ઓળખ અને બંગાળી હોવાની ઓળખ વચ્ચે સમાન સ્તરે સહઅસ્તિત્વ શક્ય નથી, ત્યાં પૂરક હોવાનો તો સવાલ જ નથી. ઇસ્લામિસ્ટો મુસ્લિમપણા સિવાયની બીજી ઓળખો ભૂંસી નાખવાનો આગ્રહ રાખે છે, એટલે તેમને મન હિંદુ-મુસ્લિમ-પહાડી બૌદ્ધોની સંયુક્ત બંગાળી અસ્મિતા ઇસ્લામિક અસ્મિતાને વિકસાવવામાં તેમ જ ઘનીભૂત કરવામાં અવરોધરૂપ લાગે છે. બીજી બાજુ બંગલાદેશીઓનો ભાષાપ્રેમ પણ એટલો જ તીવ્ર છે. રવીન્દ્રનાથના ભોગે તેઓ મૌલવીની આંગળી પકડવા તૈયાર નથી, પછી રવીન્દ્રનાથ ભલે ભારતીય હિંદુ રહ્યા. આમ પરસ્પર બે દિશાના વિરોધભાસી ખેંચાણને કારણે બંગલાદેશી કિશોરે નિર્ણય લેવો પડે છે કે તે પહેલાં ઇસ્લામપરસ્ત મુસલમાન છે કે બંગાળીપરસ્ત બંગાળી છે.

બહુ ઓછા બંગલાદેશી સ્પષ્ટ નિર્ણય લઈ શકે છે. સરેરાશ બંગલદેશી બે અંતિમો વચ્ચે ફંગોળાય છે. જેનો જુવાળ તીવ્ર હોય તેની પાછળ સામાન્ય લોકો જાય એને કારણે ઘડિયાળના લોલકની માફક બંગલાદેશનું રાજકારણ એક અંતિમેથી બીજા અંતિમે જાય છે. છેલ્લાં કેટલાક સમયથી જુવાળ બંગાળી અસ્મિતાની તરફેણમાં છે. પરંતુ એનો અર્થ એવો નથી કે વિરુદ્ધ દિશાનો પ્રવાહ સાવ થંભી ગયો છે. સપાટીની નીચે ઇસ્લામિક અસ્મિતાનો પ્રવાહ મજબૂત છે અને તે વધુને વધુ મજબૂત થતો જાય છે. જાણકારો કહે છે કે બંગલાદેશ આઝાદ થયો ત્યારે જેટલો ઇસ્લામિક મુસ્લિમ હતો એનાં કરતાં આજ વધુ છે. મૂળભૂતવાદી આક્રમક ઇસ્લામીકરણના પ્રભાવથી બંગલાદેશ પણ મુક્ત નથી. બંગાળી અસ્મિતા જમીન ગુમાવી રહી છે એનો સ્વીકાર બંગાળી અસ્મિતાપરસ્ત લોકો પણ કરે છે.

વિડંબના એવી છે કે સેક્યુલર લિબરલ બંગલાદેશીઓએ સેક્યુલર લિબરલ બંગાળી બંગલાદેશને બચાવવા માટે શેખ હસીના વાજેદની નખશીખ સરમુખત્યારશાહી, એક પક્ષીય શાસન અને ખાનદાની શાસનવ્યવસ્થાને ટેકો આપવો પડે છે. તેઓ એ હોંશેહોંશે કરે છે, કારણ કે તેમને તેમના દેશને ઇસ્લામિક મૂળભૂતવાદીઓના જડબામાં જતો બચાવવો છે. એકવાર તાનાશાહી પરવડશે, પણ ઇસ્લામિક રાજ્ય નહીં પરવડે. બીજું ઇસ્લામિક રાજ્યમાં પણ ક્યાં લોકતંત્ર હોવાનું. તેઓ આટલેથી અટકતા નથી, શેખ હસીનાની એકાધિકારશાહીને તેઓ અનિવાર્ય અનિષ્ટ તરીકે જુએ છે, તેનો બચાવ કરે છે અને શેખ મુજીબુર રહેમાનને આધુનિક બંગલાદેશના જનક અને પોષક તેમ જ શેખ હસીનાને આધુનિક બંગલાદેશના રક્ષક તરીકે જુએ છે. શેખ મુજીબુર રહેમાનને ગાંધીજીની સાથે સરખાવવામાં આવે છે.

આવું થોડું ક એક સમયે પાકિસ્તાનમાં પણ બનતું હતું. પાકિસ્તાનના સેક્યુલર લિબરલ મુસલમાનો લશ્કરી સરમુખત્યારોને ટેકો આપતા હતા અને લોકતંત્રનો આગ્રહ જતો કરતા હતા. એક ઝિયા-ઉલ-હક્કનો અપવાદ બાદ કરતાં પાકિસ્તાનના તમામ લશ્કરી સરમુખત્યારો પ્રમાણમાં સેક્યુલર-લિબરલ હતા. આને કારણે અમેરિકા અને પાશ્ચાત્ય દેશો પણ સરમુખત્યારોને ટેકો આપતા હતા. લોકતંત્ર ઇસ્લામનું રાજકારણ કરનારા ધર્મઝનૂની શાસકો માટે રસ્તો કંડારી આપે એનાં કરતાં સરમુખત્યારી સારી. ૧૯૭૯માં સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનનો કબજો કર્યા પછી અમેરિકાએ પાકિસ્તાનના પહેલા ધર્મઝનૂની સરમુખત્યાર ઝિયા-ઉલ-હક્ક સાથે મળીને ઇસ્લામિક મૂળભૂતવાદને ખાતર-પાણી આપ્યાં અને ત્રાસવાદીઓ પેદા કર્યા એ જુદી વાત છે. વાતનો સાર એટલો કે ઇસ્લામનો સીધો કે આડકતરો સહારો લેનારા રાજકીય પક્ષોને કોઈ પણ ભોગે, બિનલોકશાહી ધોરણે સુધ્ધાં, કચડી નાખવામાં આવે તેને ઉદારમતવાદી બંગાળીઓ ટેકો આપી રહ્યા છે. ડેમોક્રસી કેન વેઇટ.

એક સમયની પાકિસ્તાનની અને અત્યારની બંગલાદેશની સ્થિતિ ભારતનાં સંદર્ભમાં પણ સમજવા જેવી છે. ૧૯૪૭માં દેશને આઝાદી મળી એ પછી પહેલીવાર ભારતમાં હિન્દુત્વવાદી જુવાળ પ્રગટપણે તીવ્ર બન્યો છે. આને કારણે જે સેક્યુલર લિબરલો એક સમયે કોંગ્રેસની એકાધિકારશાહી સામે લડતા હતા તે  અત્યારે ફાસીવાદીઓ સામે લડી રહ્યા છે. જો બંગલાદેશ જેવી પરસ્પર વિરોધી બે અંતિમોની સ્થિતિ પેદા થાય અને તેમાં જો હિન્દુત્વવાદીઓ સરસાઈ મેળવે તો ભારતમાં પણ સેક્યુલર-લિબરલ સેક્યુલર ડીકટેટરશીપને સમર્થન આપવા સુધી જાય એવી પૂરી શક્યતા છે. ધર્મઝનૂની રાજકારણ કેટલું ખતરનાક છે એની તો એને જ ખબર હોય જેણે તે ભોગવ્યું હોય.

આમ બંગલાદેશના ભણેલા-ગણેલા, પ્રગતિશીલ, સેક્યુલર લિબરલોની સમંતિ સાથે તેમ જ બંગાળી હોવાનો ગર્વ ધરાવનારા બંગાળી અસ્મિતાવાદીઓના ટેકા સાથે શેખ હસીનાની એકાધિકારશાહીને વિજયની મહોર મારવામાં આવે છે. કચડી નાખો ઇસ્લામિસ્ટોને, પછી એક પક્ષનું શાસન હશે તો પણ ચાલશે. આનો અર્થ એ થયો કે બંગલાદેશમાં લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે. બંગલાદેશને ઇસ્લામિસ્ટોના જડબામાં જતું રોકવાનું છે.

બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષને ૮૦ ટકા મત મળ્યા છે અને કુલ ૨૯૮ બેઠકોમાંથી ૨૮૭ બેઠકો મળી છે. કોઈ ત્રીજી મુદ્દત માટે ચૂંટણી લડતું હોય એને આટલાં મત અને આટલી બેઠકો મળે? આ બંગાળી સેક્યુલર ડિક્ટેટરશિપનું પરિણામ છે. સામે બંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાએ પણ કુકર્મો ઓછાં નથી કર્યાં. તેઓ ભ્રષ્ટ છે. તેમનો પુત્ર પણ ભ્રષ્ટાચારના આરોપમાં સજા પામેલો છે. તેમણે ૧૯૭૧ની બંગલાદેશની મુક્તિ માટેની લડાઈ વખતે પાકિસ્તાનને ટેકો આપનારા બંગલાદેશ જમાત એ ઇસ્લામીનો ટેકો લીધો હતો અને તેમને મદદ કરી હતી. બંગલાદેશનું ઇસ્લામીકરણ કરવામાં ખાલેદા ઝિયાનો હાથ હતો અને અત્યારે લોલક જ્યારે બીજા અંતિમે છે ત્યારે ખાલેદા ઝિયાને તેની કિંમત ચૂકવવી પડે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2019

Loading

ડો. અભય બંગ અને ડો. રાની બંગ

આશા બૂચ|Opinion - Opinion|1 January 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 4

ગાંધીજીના અવસાન બાદ, યુનાઇટેડ નેશન્સની કચેરી પર ભારતનો ત્રિરંગો અર્ધી કાઠીએ લહેરાવવામાં આવેલો, ત્યારે જોનારાને વિમાસણ થયેલી અને હોદ્દેદારોને પૂછેલું પણ ખરું કે આ એમ.કે. ગાંધી શું કોઈ દેશના વડા  પ્રધાન અથવા પ્રેસિડેન્ટ હતા, કે કોઈ ધર્મના સર્વોચ્ચ વડા હતા? જવાબ ‘ના’માં હતો, અને તેથી તો અચરજ ઑર વધ્યું અને સહુને સવાલ થયો, તો એ કેવી હસ્તી હતી જેનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ હોઈ શકે અને તે પણ કોઈ ઔપચારિક હોદ્દો ધારણ ન કર્યો હોય તેમ છતાં?  

હકીકત એ છે કે ઓછામાં ઓછું બોલવું અને વધુમાં વધુ આચરણ કરવું એ જેનો મંત્ર હતો તેવા ગાંધીજીએ પોતાના સીધા સંસર્ગમાં આવ્યા હોય તેમના જીવનનું સૂકાન તો બદલ્યું જ પણ જેમણે કદી ગાંધીજીને જોયા ન હોય કે તેમના પછીની પેઢીમાં જન્મ લીધો હોય તેવા નર-નારીઓ પણ એક યા બીજી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને સમાજની સેવા કરી ગયા અને કેટલાક હજુ આજે પણ આપણી વચ્ચે કાર્ય કરી રહ્યા છે. આજે તેમાંનાં એક એવાં દંપતીની વાત માંડવી છે, જેમનું નામ અને કાર્ય કદાચ ઘણા વાચકોને પરિચિત હોઈ શકે.

ડો.અભય બંગનો પરિચય મેળવતા પહેલાં તેમના પિતાશ્રીનો એક કિસ્સો જાણીએ. કોલેજના અર્થશાસ્ત્રના અધ્યાપક ઠાકુરદાસ બંગ, કે જેમણે આઝાદીની લડતમાં ભાગ લીધેલો. સ્વાતંત્ર્ય એક હાથ છેટું આવી પહોંચ્યાનો અણસાર થયો એટલે અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરવા તેમણે પરિયાણ આદર્યું. ગાંધીજીના આશીર્વાદ લેવા ઠાકુરદાસ વર્ધા ગયા. હંમેશની જેમ ચશ્માંમાંથી નજર ઊઠાવી ગાંધીજી માત્ર એક વાક્ય બોલ્યા, “તારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો અમેરિકા જવાની કોઈ જરૂર નથી. ભારતનાં ગામડાંઓમાં જા.”

એક વાક્યના સંવાદનો અહીં અંત આવ્યો, પણ ગ્રામ્ય પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનની એક લાંબી યાત્રાનો પ્રારંભ થયો. ઠાકુરદાસ બંગ ભૂદાન અને ગ્રામદાન જેવી અનેક ચળવળો અને રચનાત્મક કાર્યોમાં આજીવન રત રહ્યા. ગાંધીજી તો ભારતમાં રહી ગ્રામ્ય પ્રજા પાસેથી અર્થશાસ્ત્રના પાઠ ભણવાનો અભિપ્રાય આપે, પણ તેનું પાલન કરનાર પણ કેવા વિદેશી ભણતરના વ્યામોહથી મુક્ત અને દેશદાઝથી રસાયેલા હશે એ સમજાય તો ઘણું.

ઠાકુરદાસ અને સુમન બંગને ઘેર બે પુત્ર રત્ન જન્મ્યા, અને તે પણ ગાંધીજીના અવસાન બાદ. પણ માતા-પિતાનાં મૂલ્યો અને વિચારધારાનો વારસો લઈને વર્ધામાં ઉછરેલા આ બંને ભાઈઓએ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ છેવાડાના લોકોના ઉત્થાન માટે કર્યો. અશોક અને અભય બંગ વર્ધામાં આચાર્ય વિનોબાજીની નિગરાની હેઠળ નઈ તાલીમ પદ્ધતિનું શિક્ષણ પામ્યા અને હૈયું, હાથ અને મસ્તકનો ઉપયોગ કરવા સજ્જ થયા. ભારતની પ્રજાની બે મૂળભૂત જરૂરિયાત અન્ન અને સ્વાસ્થ્યની છે એ આ બન્ને તરુણો સમજતા હતા. આથી 16 વર્ષના અશોકે ખેતીના ક્ષેત્રમાં અને અભયે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરીને ગ્રામવાસીઓની સેવા માટે જ ભેખ લેવાનો નિર્ણય કર્યો.

ડો. અભય બંગને તેમના જેવા જ કુશળ ડોક્ટરનો ભેટો થયો – ડો. રાની અને તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં.  ડો. અભય બંગે મેડિસિનમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી અને ડો. રાની બંગે ઓબ્સ્ટ્રેટિક્સ અને ગાયનેકોલોજીમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી. બંને ડોક્ટર્સ જેમ અન્ય ડોક્ટર્સ કરતાં હોય છે તેમ જ અમેરિકાની કોઈ મોટી યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે જઈ શક્યાં હોત અને વિદેશમાં જ સ્થાયી થઇ શક્યાં હોત, પણ તેમના માંહ્યલાએ તેમના પગ આદિવાસી વિસ્તાર તરફ વાળ્યા. મધ્યપ્રદેશના ગઢચિરોલી જિલ્લામાં સંશોધન સાથેનું ચેતના વિકાસ નામનું આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું. તેમણે લઘુતમ વેતન વધારવા માટે સરકારને ફરજ પાડી અને સ્વાસ્થ્યની સમસ્યાઓ સુધારવા પબ્લિક હેલ્થ વિષે વધુ સંશોધન જરૂરી છે તેમ સમજયાં. પરિણામે બૉલ્ટીમોર – અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી બંનેએ પબ્લિક હેલ્થ વિષય સાથે માસ્ટર્સની ઉપાધિ મેળવી.

મહારાષ્ટ્ર્નો ગઢચિરોલી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ જેવી કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવાસ વેગેરથી ખાસ્સો વંચિત. આથી જ બંગ દંપતીએ તેને પોતાનાં કાર્યક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. વર્ષોની જહેમત બાદ એ વિસ્તારના ગરીબ લોકોનાં સ્વાસ્થ્યની જાળવણીમાં ક્રાંતિ લાવ્યાં. સંશોધન આધારિત નિદાન અને સારવારના અવિરત પ્રયાસોને પરિણામે બાળમરણનું પ્રમાણ ઘણું ઓછું થયું. World Health Organization (WHO) અને UNICEF આ બંને સંગઠનોએ ડો. અભય અને ડો. રાની બંગના આ પ્રયાસોને માન્યતા આપી અને ભારતભરમાં તથા આફ્રિકાના કેટલાક દેશોમાં નવજાત શિશુઓ માટેનો તેમનો આ નિદાન તથા સારવારનો અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ દંપતીએ 'Society For Education, Action and Research in Community Health' (SEARCH) નામક એક નફા ઉપર આધારિત નહીં તેવું સંગઠન સ્થાપ્યું જે ગ્રામ્ય પ્રદેશના લોકોના  સ્વાસ્થ્યની જાળવણી અને સંશોધનમાં કાર્યરત રહે છે.

પાંચ પાંચ પંચવર્ષીય યોજનાઓને અંતે હજુ ભારતના અંતરિયાળ ગામડાંઓની સ્થિતિ જોઈએ તેવી સુધરી નહોતી, એની પ્રતીતિ આ ડોક્ટર દંપતીને તેમના કાર્યકાળના આરંભ દરમ્યાન થઇ. એક ગરીબ વિધવા પોતાની મજૂરીમાંથી મોટાં ત્રણ બાળકોને પોષે કે ચોથા બિમાર બાળકને દૂરના ગામમાં સારવાર માટે લઇ જાય એવા વિકલ્પો વચ્ચે જીવતી મહિલાનો કિસ્સો જોઈ-સાંભળીને ડો. રાની બંગ અત્યંત વ્યથિત થયાં અને એ વિષે વધુ અભ્યાસ કરતાં તારણ નીકળ્યું કે એ ગામડાંઓમાં 92% જેટલી મહિલાઓ સ્ત્રીઓને થતા રોગો અને તેમાં ય જાતીય સંસર્ગથી થતી બિમારીઓથી પીડાતી હતી. આથી એ વિસ્તારમાં પ્રથમ ગાઈનોકોલિસ્ટ તરીકે રાની બંગ સેવા આપવા લાગ્યાં. તેમનાં સંશોધનનું એવું તારણ આવ્યું કે ઝાડા-ઊલટી નહીં પણ ન્યુમોનિયા એ પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મરણ માટે જવાબદાર છે. આ હકીકતથી WHOની માન્યતાઓ હલબલી ગઈ અને તેમને દવાઓ બનાવવાની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી.

નોંધનીય બાબત એ છે કે પા સદીથી વધુ વર્ષોથી બંગ દંપતી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં બાળમરણનું પ્રમાણ ઘટાડવામાં સફળ થયાં તેની પાછળ પશ્ચિમી તબીબી વિજ્ઞાનની તાલીમ અને એ ઊસૂલોનો અમલ કારણભૂત હશે તેમ માનવાનું સહેજે મન થાય, પરંતુ હકીકત એ છે કે એ સિદ્ધિનો યશ ગ્રામ્ય મહિલાઓ કે જેમને તેઓએ નવજાત શિશુઓની સંભાળ રાખવા તાલીમબદ્ધ કરી તેમને વિશેષ કરીને જાય છે. આવું ઉદાહરણ સ્વરૂપ કાર્ય કરનારાઓ પણ ટીકાને પાત્ર બનતા હોય છે. અશિક્ષિત મહિલાઓને આધુનિક સારવાર આપવાની જટિલ પ્રક્રિયાઓની જવાબદારી સોંપવા વિશેના તેમના નિર્ણય વિષે ટીકા થયેલી. એ અલ્પશિક્ષિત ગણાતા કાર્યકરોએ 15,000 ઇન્જેક્શન આપ્યાં જેનાથી કોઈ વિપરીત અસર થવાનો એક પણ બનાવ નથી બન્યો, એ હકીકત જાણ્યા બાદ ટીકાકારોનો વિરોધ શમ્યો. જ્યાં તમામ પ્રકારની અતિ આધુનિક સગવડો હોય તેવાં શહેરોમાં સારવાર લેવા જવાનું ગ્રામવાસીઓ માટે સંભવ નથી, કેમ કે ત્યાં યાતાયાતનાં સાધનો જૂજ છે જેથી બિમાર વ્યક્તિ લાચારીથી સારવાર મેળવવાથી દૂર રહેતી હોય છે. જે વ્યવસ્થા ઇંગ્લેન્ડ કે અમેરિકામાં લોકોને મેળવવી સુલભ હોય છે, તે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પૂરી પાડવી શક્ય નથી. દરેક સમાજની જરૂરિયાતો જુદી હોય છે તો તેને પૂરી પાડવાની રીતો પણ અલગ હોવાની જ એ વાસ્તવિકતા સમજી અને સ્વીકારીને બંગ દંપતીએ સુવિધાઓને આમ જનતા સુધી લઇ જવાનું કામ કર્યું.

ગાંધીજીના ‘સ્વ-રાજ’ના ખ્યાલોથી ડો. અભય બંગ ઘણા પ્રભાવિત છે. ગાંધીનાં સ્વપ્નના ભારતમાં દરેક નાગરિક કઈ રીતે સ્વ-રાજ ભોગવશે એ વાત તેઓ સુપેરે સમજ્યા હોવાથી આદિવાસી કોમ અને તેમની દરેક વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે સ્વતંત્ર અને સ્વનિર્ભર બનાવવાનો મહાયજ્ઞ તેમણે આદર્યો. આથી જ તો લંડનમાં ‘સેવ ધ ચિલ્ડ્રન’ના નેજા હેઠળ ‘No Child Born to Die’ પરિકલ્પના લોકાર્પણ સમયે ડો. અભય બંગે કહેલું કે “આપણે આપણા સમાજના અભિન્ન અંગ છીએ.” તેમને પોતાને જેમને માટે તેઓ કાર્ય કરે છે તે સમુદાય અને પોતાની વચ્ચે કોઈ ભેદરેખા નથી જણાતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે એ સંશોધનો આદિવાસી પ્રજાની સાથે મળીને થાય છે, તેમના ઉપર નહીં. અહીં એ યાદ અપાવવું ઊચિત થશે કે ગાંધીજી પોતે જેમની સેવા કરવા માગતા હતા તેમની વચ્ચે તેમના જેવા ઘરોમાં રહીને, તેમના જેવાં કપડાં પહેરીને તેમના જેવો જ ખોરાક લઈને જ એ કાર્ય પાર પાડી શકેલા.

આ અજોડ યુગલ ડો. અભય અને રાની બંગને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ મળ્યો છે. સંજય ગાંધી પોસ્ટગ્રેડયુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા બંને પતિ-પત્નીને માનદ્દ ડોક્ટરેટની પદવી મળી ચૂકી છે. એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીએ ડો. રાની બંગને Honoris Causaનું માન એનાયત કર્યું, તો The Lancet (બ્રિટનમાંથી પ્રકાશિત થતું મેડિકલ વિજ્ઞાનનું ગણમાન્ય સામયિક) દ્વારા આ દંપતીને ‘ભારતના ગ્રામ્ય પ્રદેશમાં સ્વાસ્થ્યનો પાયો નાખનાર’ તરીકે બિરદાવવામાં આવ્યાં, એ પણ એક નોંધનીય સિદ્ધિ છે. આ સઘળાં માન અકરામના તેઓ અધિકારી છે.

ડો. અભય બંગ 1950માં ગાંધીજીની હત્યા બાદ જન્મ્યા, આમ છતાં ગાંધીજીને પ્રત્યક્ષ જોયા હોવાની તેમને લાગણી થાય અને ગાંધીજીના વંશમાં પેદા થયા ન હોવા છતાં તેમની રગોમાં ગાંધીનું લોહો દોડતું હોય એવી પ્રતીતિ થાય છે તેની પાછળ ગાંધી વિચારનાં મૂલ્યોનું સિંચન તેમના માતા-પિતા દ્વારા થયું અને વિનોબાજી જેવા આજીવન શિક્ષકની કેળવણીએ તેમને સેવાકીય પ્રવૃત્તિઓ માટે કટિબદ્ધ કર્યા એ બે પરિબળોને કારણભૂત ગણાવી શકાય. વિદેશમાં જઈને આગળ અભ્યાસ કરીને ત્યાં સ્થાયી થવાને બદલે આદિવાસી વિસ્તારમાં ધૂણી ધખાવીને બેસવાની પ્રેરણા પણ ગાંધીજીએ જ તેમને આપી તેવું ડો. અભય બંગને લાગે છે. ડો. અભય અને રાની બંગને પોતાની કારકિર્દી દરમ્યાન જ્યારે જ્યારે નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવાનું આવ્યું ત્યારે તેઓ ગાંધીજી પાસે પહોંચી જાય છે. તેમના સમાજ નવનિર્માણના કાર્યક્રમોની રૂપરેખામાંથી માર્ગદર્શન મેળવીને પોતાની સંભાળ હેઠળ જીવતી પ્રજાનો  હળવે હળવે ઉદ્ધાર કરતાં જાય છે.

ગાંધીજીની ઉક્તિ, “ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી, એ તો એક સિદ્ધાંત છે.” તેને ગાંઠે બાંધીને આ બંગ દંપતી સેવાના માર્ગે આગળ ધપ્યે જાય છે અને માને છે કે ગાંધીજી હજુ ક્યાં ય ગયા જ નથી, આપણે ચાહીએ તો ગમે ત્યારે મળતા જ રહે.

નીચે આપેલ લિંક પરથી વધુ માહિતી મળી શકશે :

https://youtu.be/lzdlHRNG_eQ

[સ્રોત : “શાશ્વત ગાંધી”; પુસ્તક 57, ‘વિકિપીડિયા’ અને “ભૂમિપુત્ર”]

e.mail : 71abuch@gmail.com   

Loading

વાંસદાના મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રસિંહ – વીરલ વ્યક્તિત્વ

બકુલા ઘાસવાલા|Samantar Gujarat - Samantar|31 December 2018

એક સરસ મજાની સવારે ફોનની ઘંટડી રણકી અને સામે છેડે હતા વાંસદાના  મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રસિંહજી. અમારા બન્નેનો રસનો વિષય હતો ધરમપુરનાં રાજકુંવરીબા અને ગોંડલના મહારાણી નંદકુંવરબા લિખિત પુસ્તક ‘ગોમંડલ પરિક્રમ’. આશરે સવાસો  વર્ષ પર લખાયેલી એ પ્રવાસકથા મારી દૃષ્ટિએ માહિતીપ્રચુર, મનોહર, રોચક, અનુભવસભર, માનવસંબંધોનું મૂલ્યાંકન કરનારી અને અદ્‌ભુત નિરીક્ષણનું દર્શન કરાવનાર છે. ધીરુભાઈ મેરાઈએ રસ લઈ ધરમપુર નગરમાં અને યોગેશભાઈ ભટ્ટે કૉલેજમાં એ પુસ્તકના પરિચય અને રસાસ્વાદનો  કાર્યક્રમ યોજેલો. હું વક્તા તરીકે હતી, ત્યાં મહારાજાસાહેબ સ્વયં હાજર રહેલા. એમણે ધરમપુર અને વાંસદાની અનેક વાતો તાજી કરેલી. હવે તો કેટલીક ભુલાઈ પણ ગઈ છે.

ત્યાર પછી એક દિવસ ફરીથી ફોન પર વાત થઈ કે તેઓ વલસાડ કોઈ મીટિંગમાં હાજરી આપવા આવનાર છે, એટલે સમય અનુકૂળ જોઈ એમને બપોરના ભોજનનું આમંત્રણ આપ્યું. મહારાજાસાહેબે  વગર આનાકાનીએ આમંત્રણ સ્વીકારી લીધું અને તેઓ આવ્યા. સહજ, સરળ, મૃદુ વ્યક્તિત્વ. પોતે કોઈ રાજરજવાડાં સાથે સંબંધિત છે, એનો લેશમાત્ર અણસાર આવવા ન દે. પોતાની સાથે એક પુસ્તક ભેટ  લઈ આવેલા, જે એમના રાજ્ય અને પિતાશ્રી મહારાજાસાહેબ ઇન્દ્રસિંહજીની સ્મૃતિમાં નિરંજના સટ્ટાવાલા સંપાદિત ‘સ્મૃતિસૌરભ’ હતું. (વર્ષ : ૧૯૮૯) પરદા માટે નિઃશુલ્ક શિક્ષણ, એ વિશે પણ મેં એક લેખ કરેલો, જેનું શીર્ષક હતું ‘આ રાજવીઓ પણ હતા, ક્યાં ગયા? ‘આજે પણ એ જ વિચાર સતત આવી રહ્યો છે કે ક્યાં ચાલી જાય છે આવા ઉમદા લોકો? આપણે મોટાભાગે રાજાઓની જાહોજલાલી, એમની અંતરંગ ઐયાશી, યુદ્ધવિજય અને શૌર્યની વાતો સાંભળતાં આવ્યા છીએ. એમણે મને પુસ્તક આપેલું ત્યારે પણ મને કોઈ અહોભાવ જાગ્યો ન હતો, કારણ એ જ કે આપણી  પહોંચબહારની વ્યક્તિઓ વિશે શું વાંચવું? પરંતુ બેત્રણ કલાક એમની સાથે વાતો કર્યા પછી ખ્યાલ આવ્યો કે જે રાજવીઓ પ્રજાવત્સલ, ન્યાયપ્રિય હોય છે, એમની વાત જ અનોખી. એ સ્મૃતિ સૌરભમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે વાંસદા વિકસિત રાજ્ય હતું.

દિગ્વિરેન્દ્રજી છેલ્લા જીવંત રાજા હતા, જેમણે વિલીનીકરણ વખતે રાજ્યવાપસી કરેલી. જો કે જે વિકાસની વાત કરીએ છીએ, તેની જોજનો આગળ આ રાજવીઓ વિચારતા હતા. દિગ્વિરેન્દ્રજી તો પર્યાવરણ માટે એટલી હદે સંચિત હતા કે સાચા અર્થમાં એમને ‘પર્યાવરણમિત્ર’ કહેવા જોઈએ. વિલીનીકરણ સાથે એક સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય લાક્ષણિકતાઓ અદૃશ્ય થઈ તે પણ વાસ્તવિકતા છે. જો કે લોકશાહીની ઉપલબ્ધિ નાનીસૂની બાબત નથી, પરંતુ જે વિશિષ્ટતાઓ વાંસદા રાજ્યમાં હતી, તેની આ નાનકડી ઝલક : પ્રજા માટે નિઃશુલ્ક શિક્ષણ, ગરીબ-આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ, પુસ્તકાલય, શાળાઓ, કન્યાકેળવણી, રમતગમત-વ્યાયામની પ્રવૃત્તિ, પ્રૌઢ શિક્ષણ, નિઃશુલ્ક આરોગ્યસેવા, ફરતાં દવાખાનાં, ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં જવાની સગવડ (આજની ૧૦૮ ઍમ્બ્યુલન્સ જેવી), નળ-વીજળી-સડકોની સુંદર વ્યવસ્થા, કુટિરઉદ્યોગ, ટપાલસેવા, સસ્તા અનાજની દુકાનો, ખેતી-જંગલ-જળસંરક્ષણની નિસબત, પ્રદર્શનો, લોક-અદાલત, ખુલ્લા દરબાર જેવી ન્યાયપ્રણાલી, મહારાજા સાથે સીધો સંપર્ક, કો-ઑપરેટિવ સોસાયટી (૧૯૨૪), રાજ્ય હિતવર્ધક સભા (૧૯૪૨), સંસ્કૃત પાઠશાળા, નાટકશાળા, ક્લબ, વ્યસનમુક્તિ, સર્વધર્મસમભાવ જેવી પ્રવૃત્તિઓ સમેત વિકાસ અને કલ્યાણરાજ્યની વિભાવના ચરિતાર્થ કરવાનો એ રાજવીઓનો ૬૦-૭૦ વર્ષનો પુરુષાર્થ હતો. આઝાદી પછી તો લોકપ્રતિનિધિઓ ચૂંટાતા આવ્યા અને રાજાઓ પણ રૈયત-ભારતીય પ્રજાજન બન્યા, છતાં મહારાજાસાહેબ માટે પ્રજાની લાગણી યથાવત્ રહી. મહારાજાની જીવનશૈલી સાદગી, અનુશાસનસભર અને પ્રામાણિકતાભરી હતી, જે શિક્ષણ એમનાં સંતાનોને મળ્યું અને હજી અખંડ છે.

પિતાની જીવનશૈલીની એ પરંપરાને દિગ્વિરેન્દ્રજીએ આગળ ધપાવી. મહારાજાસાહેબ ઇન્દ્રસિંહજીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલી અને પોતાના પુત્રને સત્તા સોંપી, પરંતુ ટૂંકા ગાળામાં જ ‘પ્રજાસત્તાક રાજ્ય’ આવ્યું.

ફરીથી મારા એમની સાથેના સ્વાનુભવને જોડું છું. અમારા ઘરે ભાણીબા પ્રીતિબહેનને લઈને આવેલા. એ દિવસે વિનય, વિવેક, નમ્રતા, સરલતા અને સામી વ્યક્તિઓ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એની જાજ્વલ્યમાન ઝલક માણવા મળી. મહારાજાસાહેબ અમારા માટે ‘આદિવાસી વાનગી પીઠિયું’નો લોટ લઈ આવેલા, પછી મારી પુત્રવધૂ હેતલને કહે કે આ રીતે બનાવો. હેતલે બનાવ્યું અને બધાંએ ચાખ્યું. એ દિવસે એમનાં કાર્યોની ઝલક પણ મળી. જેમ કે મધુ કાબરા( પૃષ્ઠઃ ૧૩૯) પુસ્તકમાં લખે છે કે આપ, આવશો, જશો, પધારો એવી રોજિંદી ભાષા એમની સહજ છે. એમની પારદર્શક, ખુશમિજાજી વાણીથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય જ. મારે ત્યાં આવેલા ત્યારે તેઓશ્રી છ્યાશી વર્ષના હતા. એમના મિત્રવર્તુળમાં જાતિ, ધર્મ, બુદ્ધિ અને પૈસાગત કોઈ ભેદભાવ ન હતો. કલાપારખુ, વૃક્ષમિત્ર, પ્રાણીમિત્ર, માનવમિત્ર દિગ્વિરેન્દ્રજી એમના ભાણેજોના મામાસાહેબ અને પરિવારના મોભી છતાં મિત્ર બની રહ્યા. રાજ્યના વિલીનીકરણ વખતે જંગલોની જે સ્થિતિ હતી અને આજની વાસ્તવિકતાથી તેઓ ખૂબ જ ચિંતિત છે (પૃષ્ઠ-૧૪૨). રાજ્યની જમીનના સાઠ ટકા વનવિસ્તાર હવે દસ ટકા રહ્યો છે. જો કે વાંસદા પાસે સુરક્ષિત એટલું જંગલ તો છે! ૧૯૮૯માં જે ફિકર હતી, તે ૨૦૧૨ અને હવે ૨૦૧૮માં પણ છે જ. મધુ કાબરાજી લખે છે,’ વૃક્ષ કપાયાં તો એ એમના હૃદયને ખૂબ દુઃખ (વ્યથા)  પહોંચાડે છે, આજે પણ તેઓ એમ જ સમજે છે કે ‘આ વિભાગ મારો છે, આ જંગલ મારું છે, એનું જતન કરવાની ફરજ મારી છે. એમાં માલિકીભાવના નહીં, મમતા અને પ્રેમની સુગંધ છે. કાશ! આવી જ ભાવનાઓ આજના રાજકર્તાઓની કે સરકારી અમલદારોની હોત તો?’, પુસ્તકના વિવિધ લેખકોની જે લાગણી છે તેવી જ લાગણી મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રજીને મળ્યા પછી કોઈ પણ વ્યક્તિને થાય. ‘રાજધર્મ’ની વ્યાખ્યા વાંસદા, ધરમપુર, ગોંડલ, વડોદરા, ભાવનગરના રાજવીઓએ જે રીતે પ્રમાણી તે તો હવે સ્વપ્નવત્‌. એમના બન્ને પુત્રો શિક્ષિત અને સંસ્કારી છે. જયવીરેન્દ્રસિંહજી ૧૯૭૭ના બેચના સફળ આઈ.એ.એસ. છે તો બીજા પુત્ર અમરેન્દ્રસિંહજી સારા તસ્વીરકાર છે. રાજવી પુત્રોની ઓળખાણનો અવસર તો ખાસ મળ્યો નથી, પરંતુ મહારાજાસાહેબ સાથે તો મળવાનું બનેલું. એમની વર્ષગાંઠ પહેલી ઑકટૉબર. એક વર્ષગાંઠે રૂબરૂ મળીને એમના પુસ્તક-પરિચયનો મારો લેખ ‘નિરીક્ષક’ સામયિકમાં પ્રકાશિત થયેલો તે આપવાનું બનેલું. તેઓ રાજી થયેલા. અમને મહેલ બતાવવાની ગોઠવણ કરી. હું અને આશા ગયેલાં. તે દિવસે પહેલાં ધરમપુર આર્ચમાં ગયેલાં ત્યારે દિવંગત મિત્ર ડૉ. દક્ષા પટેલે પણ એમની ખૂબ પ્રશંસા કરેલી તે યાદ આવે છે.

રહીરહીને વિચાર આવે છે કે ક્યાં ચાલી જાય છે આવા ઉમદા વ્યક્તિત્વ? પુસ્તકમાંથી જ લીધેલી કચ્છી કવિ દાદા મેકરણની આ પંક્તિઓ સાથે સમાપન :

‘ઉ ભૂંગાં, ઉ ભૈણિયું, ઉ ભિંતે રંગ પેઆ
મેકણ  ચેતો માડુઆ, રંગીધલ વેઆ’ 

(એ જ આવાસો, એ જ રચના અને દીવાલો પરના રંગો રહી ગયા છે, માત્ર તેના રચનારા અને રંગનારા ચાલી ગયા છે.)

e.mail : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 07 તેમ જ 15

Loading

...102030...2,9262,9272,9282,929...2,9402,9502,960...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved