Opinion Magazine
Number of visits: 9578160
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસ્તિત્વ

નવ્યાદર્શ|Poetry|14 December 2018

1.
તારા શબ્દો
અને મારી સંવેદના
ત્યારે બને છે એક કવિતા.
પણ જ્યારે હું મૌન
ત્યારે તારી કલમ પણ મૌન
તો તારી સંવેદનાનું શું?

2.
મેં કહ્યું
ને તું સાંભળતો જ રહ્યો
અપનાવ્યો તે રસ્તો મારો
અને બનતો ગયો તું મારો
હું જરા તારા રસ્તા પરથી દૂર થઈ
અને થઈ ગઈ મૌન
ત્યારે
તારી ન કહેવાયેલી વાતોનું શું?

3.
બહુ જીદ્દી છું
અને નાદાન પણ
ક્યારેક ગુસ્સો કરી લઉં છું
તો ક્યારેક હદથી વધારે પ્રેમ
જ્યારે આવી છું તારી પાસે
તું મને ત્યાં જ મળ્યો છે
ક્ષિતિજની પેલે પાર સંધ્યાના રંગો વચ્ચે
હંમેશાં હસતો, આવકારતો
ત્યારે
તારી જિદ્દ તારી સમજદારીનું શું?

4.
હું ઉદયમાન ઉષા
તું ઢળતી સંધ્યા
ભૂલો કરતી,
અનુભવ લેતી
અને શીખતી
ક્યારેક કોમળ
તો ક્યારેક તપતી
તું અંધકારની જેમ હૂંફ આપતો જ રહ્યો
ત્યારે
ચંદ્રની શીતળતામાં દાઝતી તારી વેદનાનું શું?

5.
મારું તારા જીવનમાંથી જવું
સાવ સાધારણ ઘટના
તો પણ
તારા સ્વપ્નાંઓનું ડૂબી જવું
વિચારોનું તૂટી જવું
કલમનું રોકાઈ જવું
રસ્તાઓનું ભૂલાઈ જવું
જીવનનું દિશાવિહીન, ઉદ્દેશ્યવિહીન બની જવું
ત્યારે
તારા અસ્તિત્વનું છું?

Email : nayvadarsh67@gmail.com

Loading

વિજ્યારાજે સિંધિયાની ‘પ્રિન્સેસ’ નામક આત્મકથા

રંજના હરીશ|Gandhiana|14 December 2018

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-4ઉપરોક્ત લેખશ્રેણીના ચોથા મણકારૂપે આજે આપણે 1921થી 1991 દરમિયાન ભારતીય સ્ત્રીઓએ મૂળ અંગ્રેજીમાં લખેલ કુલ 23 આત્મકથાઓમાંથી રાજકુમારી લેખા દિવ્યેશ્વરી ઉર્ફે ગ્વાલિયરનાં મહારાણી વિજ્યારાજે સિંધિયાની, વર્ષ 1985માં, પ્રકાશિત આત્મકથા 'પ્રિન્સેસઃ ધ ઓટોબાયોગ્રાફી' વિશે વાત કરીશું. કુલ 23 ભારતીય સ્ત્રીઓની અંગ્રેજીમાં લખાયેલ આત્મકથાઓમાંથી ચાર આત્મકથાઓ મહારાણીઓની કલમે લખાઈ છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે ભારતીય સ્ત્રી દ્વારા અંગ્રેજીમાં લખાનાર પ્રથમ આત્મકથા કુચબિહારનાં રાજમાતા તથા જયપુરનાં મહારાણી ગાયત્રીદેવીનાં દાદી એવાં સુનીતિદેવીએ 1921માં લંડનથી પ્રકાશિત કરેલી. આ ચાર મહારાણીઓની આત્મકથાઓમાંની ત્રણમાં સ્વતંત્રતા આંદોલન કે ગાંધીજીની કોઈ જ વાત ચર્ચાઈ નથી. અલબત્ત, સ્વતંત્રતા બાદ થયેલ રજવાડાઓનું વિલીનીકરણ અને તેના લીધે રાજ ઘરાણાઓએ અનુભવેલી અસુરક્ષાની વાત આ બધી જ આત્મકથાઓમાં લંબાણપૂર્વક ચર્ચાઈ છે. આત્મકથા લખનાર આ ચાર રાજવી સ્ત્રીઓમાંની એક જ પોતાની આત્મકથામાં સ્વતંત્રતા આંદોલન, અસહકાર ચળવળ તથા ગાંધીજીની વાત કરે છે. તે એક મહારાણી એટલે મૂળ નેપાલના રાણા પરિવારની સાગર નગરમાં જન્મેલી દોહિત્રી લેખા દિવ્યેશ્વરી.

નેપાળ રાજઘરાણાંના ચારમાંના એક વારસદાર એવાં ખડગ શમશેરજંગ બહાદુર રાણા નેપાળ રાજવી પરિવારના રક્તરંજિત ઇતિહાસનું એક પૃષ્ઠ હતા. આ એક એવો ઇતિહાસ હતો જેમાં દર પેઢીમાં ગાદી પર આસીત થનારા અન્ય વારસદારોને મારીને ગાદી મેળવી હતી. ખડગ શમશેરજંગ બહાદુર રાણા લોહીના તરસ્યા પોતાના ભાઈઓની સિંહાસન લોલુપતાથી બચીને પોતાના પરિવાર સાથે વતન છોડીને રાતોરાત ભારતના સાગર નામક નગરમાં આવીને વસ્યા હતા. રાણા કુટુંબના ભારતમાં સ્થાયી થયા બાદ તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જેને પરિવારે આધુનિક રીતે જીવવાની છૂટ આપી હતી. રાજવી રીતભાત ત્યજીને આ દીકરી અંગ્રેજી મીડિયમ સ્કૂલમમાં ભણેલી અને મેટ્રિક બાદ લખનઉની ઇઝાબેલા થબર્ન વિમેન્સ કોલેજમાં ભણવા ગયેલી. કોલેજના એ વર્ષો દરમિયાન મહેન્દ્રસિંહ નામના યુવા ડેપ્યુટી કલેક્ટર સાથે તેને પ્રેમ થઈ ગયેલો. રાજવી પરિવારના અણગમા છતાં તેમણે પોતાની દીકરીને બ્રિટિશરોની નોકરી કરતા યુવક મહેન્દ્રસિંહ સાથે પરણાવી આપેલી. એ લગ્નનું એકમાત્ર સંતાન એટલે કુંવરી લેખા દિવ્યેશ્વરી. જેના જન્મ દરમિયાન જ તેની માતા મૃત્યુ પામી હતી. જેને કારણે કુંવરી લેખાનો ઉછેર તેના સાગર ખાતેના મોસાળમાં થયેલો.

માતાની જેમ લેખા દિવ્યેશ્વરી પણ શિક્ષણમાં ઊંડો રસ ધરાવતી હતી. મેટ્રિક સુધી સાગરમાં શિક્ષણ મેળવ્યા બાદ તેણે આગળ અભ્યાસ માટે બહારગામ મોકલવી પડે તેમ હતી, પરંતુ મોસાળનું રાણા પરિવાર કુંવરીને શહેર જવા દેવા તૈયાર નહોતું. તેમને દહેશત હતી કે શહેરમાં ભણવા ગયેલી લેખા પોતાની માનાં પગલે ચાલી શકે, જે લેખા માટે હિતાવહ ન હતું. તેવામાં મોસાળની સદંતર નારાજગી વચ્ચે લેખાના પિતા મહેન્દ્રસિંહ સાગર આવીને લેખાને મુરતિયો બતાવવાના બહાને પોતાના ઘરે ઝાંસી લઈ ગયા. પરંતુ ઝાંસી જવું તો એક બહાનું હતું. તેઓએ લેખાને બનારસ લઈ જઈને ત્યાંની બેસન્ટ વિમેન્સ કોલેજ તથા હોસ્ટેલમાં પ્રવેશ અપાવી દીધો ! અને ત્યારબાદ લેખાના મોસાળિયાઓને સાચી વાતની જાણ કરી. આમ યુવતી લેખા દિવ્યેશ્વરીને નેપાળના રાજ ઘરાણાંના પરંપરાવાદી માહોલમાંથી બનારસના સ્વતંત્ર માહોલમાં આવીને વસવાનો મોકો મળ્યો.

કોલેજના એ વર્ષો દરમિયાન સ્વતંત્રતા આંદોલન પૂરજોશમાં હતું. અસહકાર ચળવળ તથા સ્વદેશીના જુવાળમાં તે વખતના જુવાનિયાઓ ઉત્સાહપૂર્વક કૂદી પડ્યા હતા. લેખા દિવ્યેશ્વરી પણ આ આંદોલનમાં જોડાયાં. રાજ ઘરાણાંને શોભે તેવાં રેશમી વસ્ત્રો અને આભૂષણોને બદલે ગાંધીજીના સ્વદેશી આંદોલનના પ્રભાવમાં તેમણે આજીવન ખાદી પહેરવાનું તથા શાકાહારી ભોજન જમવાનું પ્રણ લીધું. સાગરના ઘરમાં રંગબેરંગી રેશમી કપડાંમાં શોભતી કુંવરી લેખા દિવ્યેશ્વરી પોતાના કોલેજકાળમાં ફક્ત ખાદીની સફેદ સાડી પહેરતી થઈ ગઈ ! ઘરેણાં ત્યજી દીધા !

વર્ષ 1941માં કુંવરી લેખા દિવ્યેશ્વરીના લગ્ન ગ્વાલિયરના મહારાજા જીયાજીરાવ સિંધિયા સાથે ખૂબ ઠાઠમાઠપૂર્વક થયા. અને લગ્ન સાથે તેમનું નવું જીવન પ્રારંભાયું. કુંવરી લેખા દિવ્યેશ્વરી મટીને તેઓ મહારાણી વિજ્યારાજે સિંધિયા બન્યાં. લગ્ન પૂર્વે ભાવિ પતિને તેમણે પોતે આજીવન ખાદી પહેરવાના તથા શાકાહારી રહેવાના વ્રતની વાત કરી દીધી હતી. અને સામા પક્ષે તેમની તે વાતને સહર્ષ સ્વીકારી લીધી હતી. લગ્ન પછી મહારાજા જીયાજીરાવ સિંધિયા તેમને લઈને ગ્વાલિયર ઘરાણાંના મુંબઈ ખાતેના આવાસે ગયેલા. ત્યાં તેમણે પોતાની ભાવિ પત્ની માટે વિવિધ સ્થળોએથી મંગાવેલી સુંદરમાં સુંદર સાડીઓનું કલેક્શન તેમને બતાવેલું. ખાદીધારી પત્ની એ બધું નિર્વિકારભાવે જોઈ રહેલી. રાજાજી બબડેલા, 'આ બધી રેશમી અને જોર્જટની સુંદર મજાની સાડીઓ હવે શા કામની ? તમારે તો ખાદીનો ભેખ જ ખપે છે !' એક દિવસ બપોરના આરામ બાદ રાજાસાહેબે પત્નીને રાજવીભવનના દિવાનખાનામાં આવવા આગ્રહ કર્યો. કેમ કે ત્યાં મુંબઈના જાણીતા વેપારીઓ પોતપોતાને ત્યાંથી ખાદીની સાડીઓ લઈને હાજર કરાયા હતા. મહારાણી વિજ્યારાજે સિંધિયાએ જ્યારે દિવાનખાનામાં પગ મૂક્યો ત્યારે તેઓ દંગ રહી ગયા. કેટકેટલી ખાદીની સાડીઓ ત્યાં પ્રદર્શનરૂપે લટકાવવામાં આવી હતી ! પણ એ બધી જ સાડીઓ ધોળી અને બરછટ હતી. ક્યાં રાજાસાહેબે શયનખંડમાં બતાવેલ વિવિધ, સુંદર, મુલાયમ સાડીઓનું કલેક્શન અને ક્યાં આ બધી એકસરખી ભાસતી ખાદીની જાડી, ધોળી સાડીઓ ! નવોઢા પોતાના પતિએ ભાવિ પત્ની માટે ભેગી કરેલ સાડીઓના સુંદર કલેક્શન પર વારી ગઈ. તે પતિની ઇચ્છા પામી ગઈ. તે સમજી ગઈ કે રાજાસાહેબ પોતાની પત્નીની ઇચ્છાને ઉપરવટ જઈ તેને રેશમ પહેરવા મજબૂર કરવા માગતા નહોતા. પરંતુ અંદરખાને પોતાની પત્ની મહારાણીને શોભે તેવા સુંદર વસ્ત્રો તથા આભૂષણો પહેરે તેવી ઇચ્છા ધરાવતા હતા. પતિની ઇચ્છાને માન આપીને નવોઢાએ દિવાનખાનામાં બેઠેલા વેપારીઓને એક પણ સાડી ખરીદ્યા વગર નમ્રતાપૂર્વક વિદાય કર્યા. અને ત્યારબાદ શયનખંડમાં જઈને સારામાં સારી સુંદર રેશમી સાડી પહેરી તે પોતાના પતિ સામે આવી ઊભાં. પોતાના જીવનનો આ પ્રસંગ વિજ્યારાજે સિંધિયા રસપ્રદ રીતે આલેખે છે.

શાકાહારી ભોજનના પણ ખાદીની સાડીઓ જેવા જ હાલ થયા. રાજવી માહોલમાં સોનાની મોટી થાળી અને અગણિત વાડકીમાં પીરસાયેલ માંસાહારી ભોજન જમતાં રાજ પરિવાર વચ્ચે નવોઢા ક્યાં સુધી સીધું સાદું શાકાહારી ભોજન જમી શકત ! તેણે માંસાહાર અપનાવી લીધો. અને આમ ગાંધી વિચારના રંગે રંગાયેલ એક કોલેજિયન યુવતીએ રાજ પરિવારમાં પરણીને ગાંધી વિચારને તિલાંજલિ આપી દીધી. સુગ્રથિત સ્વતંત્ર ભારતની કલ્પના સાથે નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલ રજવાડાઓની હસ્તીનો કોઈ તાલમેલ ન હતો. એ વાત મહારાણી વિજ્યારાજે રજવાડાના વિલીનીકરણ પહેલાં જ બરાબર સમજી ગયાં હતાં. આવનાર સમયમાં પોતાની યુવાવસ્થામાં જોયેલ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર થતાંની સાથે રજવાડાનો હ્રાસ નક્કી હતો. અને શાહી ઠાઠમાઠ તથા શાસનના ભોગે ગાંધીવાદ તેમને ખપે તેમ ન હતો. યુવાનીની એ આદર્શવાદી સ્વપ્નશીલ કોલેજિયન છોકરીએ ભલે ખાદી અને શાકાહારી ભોજનના પ્રણ લીધા હોય પરંતુ તે પ્રણ ત્યજીને હવે મહારાણી સિંધિયા મનોમન રજવાડા ટકી રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં હતાં. કે જેથી તેમના પતિની હકુમત યથાવત રહે. તેમણે તેમના બંને વ્રત ત્યજ્યાં હતાં. જેનું એક પ્રતિકાત્મક આકલન કરી શકાય. આ ફક્ત બે નાનાશા વ્રતો ત્યજવાની વાત ન હતી, આ વાત હતી સમૂળગી જીવનપદ્ધતિ, સમૂળગા ગાંધીવિચારને પોતાના જીવનમાંથી તિલાંજલિ આપવાની.

સ્વતંત્રતા બાદ રજવાડાના વિલીનીકરણની પીડાનો દસ્તાવેજ એટલે રાજમાતા વિજ્યારાજે સિંધિયા તથા મહારાણી ગાયત્રીદેવીની આત્મકથાઓ. આ બંને મહારાણીઓ સ્વતંત્ર ભારતમાં ચૂંટણી લડી અને ખૂબ મોટી બહુમતીથી જીતી પણ ખરી. પણ એ બધું સત્તા ગુમાવ્યાનાં દુઃખને સરભર કરવાના પ્રયત્નોસમું હતું. રાજમાતા સિંધિયાએ ઉત્તરાવસ્થામાં પુનઃ ખાદીના પરિધાનને અપનાવ્યું. પરંતુ આ વખતના તેમના ખાદીના સ્વીકારમાં તથા લગ્ન પૂર્વે એક મુક્ત આદર્શવાદી યુવતી લેખા દિવ્યેશ્વરીની ખાદીની પસંદગીમાં જમીન-આસમાનનો ફરક હતો. હવે રાજમાતાના ખાદીના પરિધાનમાં ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા અને ઉમળકો ન હતો. ખાદી હવે રાજમાતા માટે માત્ર પાવર ડ્રેસીંગનું પ્રતીક હતી. ખાદીના તાણાવાણામાં ધબકતો ગાંધી વિચાર તેમણે અપનાવેલ ખાદીમાંથી ગાયબ હતો.

તા.ક. રાજમાતા વિજ્યારાજે સિંધિયાની યુવાનીના વર્ષોની ગાંધિયન રહેણીકરણી તથા આચારવિચાર તેમને અન્ય બધી મહારાણીઓથી નોખા સાબિત કરે છે. બાપુ પ્રત્યેના લેખા દિવ્યેશ્વરીના આદરનું પલ્લું મહારાણી વિજ્યારાજેની પતિ પ્રત્યેની કર્તવ્યપરાયણતાથી નીચું ક્યાંથી હોય ? સમજી શકાય તેવી વાત છે. આનું નામ તે સ્ત્રી જીવન.

E-mail : ranjanaharish@gmail.com

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 05 ડિસેમ્બર 2018]

Loading

પરોઢના અંધારામાંથી પૉં ફાટવા ભણી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 December 2018

અગિયારમી ડિસેમ્બરની સમાચારડમરી આછરી ગઈ છે. પૂર્વે વિશ્વનાથ પ્રતાપસિંહના ઉદય વેળાએ પરોઢના અંધારમાંથી પૉ ફાટવાનો જે ક્ષણજીવી સુખાનુભવ થયો હતો તે જાણે કે અનુભવાઈ રહ્યો છે. હિંદી પટ્ટામાં લાંબે ગાળે ત્રણ-ત્રણ સરકાર રચવાની પ્રક્રિયામાંથી કૉંગ્રેસ પસાર થઈ રહી છે. જગન અને જશન જો કે એટલાં સહેલાં નથી તે આ કલાકોની નેતૃત્વ-તાણથી સમજાઈ રહે છે. ગમે તેમ પણ. વિજય-પરાજ્યમાં સ્વલ્પ સરસાઈ છતાં કૉંગ્રેસમુક્ત ભારતનું મોદી-ભા.જ.પ.નું અમિત શાહે દીધેલ સૂત્ર આ કલાકોમાં વળતું દાંતિયું કરતું સંભળાય છે, અને સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાં કૉંગ્રેસમુક્તિના નારા વિશે વ્યક્ત કરેલ નારાજગીનું લૉજિક કદાચ અણચિંતવી રીતે સામે આવી રહ્યું છે.

મમતા બેનર્જીએ ઠીક જ કહ્યું છે કે અંતે તો લોકશાહી માત્રમાં આવે વખતે મેન ઑફ ધ મૅચ લેખે સર્વસાધારણ નાગરિક જ ઊભરી રહે છે. તેમ છતાં, જો પ્રતીકાત્મક નામ પાડવું જ હોય, તો સત્તાપક્ષે જેને પપ્પુ તરીકે પ્રતિષ્ઠિત કરવાની પ્રતિજ્ઞાબદ્ધ કવાયત કરી હતી, એ રાહુલ ગાંધીને જ આ બિરુદ આપવું રહે છે. ભા.જ.પ.નું શીર્ષ નેતૃત્વ અને સંવિત પાત્રા લગભગ એકકંઠ થઈ જતા હોય એમ ચાલતા આવેલા પપ્પુ મહિમામંડનને રૂખસદ આપવી પડે એવાં ચિહ્નો ગુજરાતનાં પરિણામોમાં વડાપ્રધાનની ચૂંટણીહાંફ સાથે સાફ દેખાઈ આવ્યાં હતાં. તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢનાં પરિણામો પછી અધોરેખિતપણે અંકિત થઈને રહે છે. અલબત્ત, સરેરાશ કૉંગ્રેસમેન પોતાનો મેદ અને કાટ છાંડ્યા વગર માત્ર રાહુલ અહોગાનમાં જ નિજનું મોચન લહવાનો હશે, તો તે તેની ભૂલ અને મતદારોની કમનસીબી લેખાશે. દરમ્યાન, નાતજાતનાં સમીકરણગત કે એવાં બીજાં જોખાંલેખાંના રાબેતા વચ્ચે છતીસગઢમાં ભા.જ.પ.ને ધાર્યા કરતાં વધુ ફટકો પડ્યો એ એમાં જેમ જોગી-માયાવતીએ એને પહોંચાડેલી હાણનું પરિબળ છે તેમ સુધા ભારદ્વાજ આદિ સાથેના સત્તા-પ્રતિષ્ઠાનના દુર્વ્યવહાર સામેની નવજાગૃતિનો હિસ્સો પણ કાબિલે ગૌર છે.

કૉંગ્રેસના આંતરિક પ્રશ્નો વર્ષોથી સૌ જાણે છે. સ્વરાજની વડી પાર્ટી તરીકે કૉંગી અવતારમાં તે કઈ હદે ઓછી અને પાછી પડી તે સૌને ખબર છે. એની એને પોતાને પણ પૂરી ને પાધરી ખબર હોવી જોઈશે. તત્કાળ ભેદવાનો વહેવારુ કોઠો કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા અગર તો અશોક ગેહલોત અને સચીન પાયલોટ એમ જૂના નવા નેતાઓ વચ્ચેનાં કાર્યસંધાન અને સત્તા-સમીકરણનો છે. કમલનાથની કદાચ દુર્નિવાર પસંદગી શીખ વિરોધી કતલકાંડની કૉંગ્રેસ જવાબદેહી વિશેના પ્રશ્નને ફેર ધાર કાઢી આપે છે એ પણ ભૂલવા જેવું નથી. ગયે વરસે જે દિવસે કૉંગ્રેસનો વિધિવત્‌કાર્યભાર રાહુલ ગાંધીએ સંભાળ્યો હતો, બરાબર એ જ દિવસે ત્રણ રાજ્યો કૉંગ્રેસની ઝોળીમાં આવ્યાં એ જોગાનુજોગને તાપણે તાપતી વેળાએ કૉંગ્રેસશ્રેષ્ઠીઓને યાદ રહેવું જોઈશે કે રાહુલ ગાંધી – જ્યોતિરાદિત્ય સિંધિયા-સચીન પાયલોટ અને એવા મુકાબલે યુવાનેતાઓ ચિત્રમાં આવ્યા છે. આવાં બીજાં નામો પણ આપી શકાય, પણ એટલું ચોક્કસ કે નવી પેઢીની દૃષ્ટિએ ભા.જ.પ.ને મુકાબલે વચલા દસકાઓ પછી કૉંગ્રેસ સરસાઈમાં આવતી માલૂમ પડે છે. સોશિયલ મીડિયામાં ભક્ત અને ભાડૂતી જમાવટના એકચક્રી ભા.જ.પી. દોરને હમણાના વરસેકમાં કૉંગ્રેસ ઊભા કરેલા અસરકારક પડકાર અને યુવજનોમાંથીયે કેટલાક પ્રમાણમાં ઊભરી રહેલ સ્વતંત્ર ટીકાટિપ્પણનો એક નવો દોર શરૂ થાઉં-થાઉં છે, એનીયે આ સંદર્ભમાં નોંધ લેવી જોઈએ.

રાહુલ ગાંધીએ વિજયની ક્ષણોમાં પ્રથમ પત્રકારપરિષદમાં જે નરવીગરવી ભૂમિકા પ્રગટ કરી, એને અંગે પ્રગટ કરાતા રાજીપાએ અલબત્ત હવેના દિવસોમાં કસોટીપૂર્વક વારે-વારે પુનઃ વજૂદ પ્રાપ્ત કરતા રહેવાનું છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ની જ્વલંત ફતેહ વખતે રાહુલ ગાંધીએ સરસ પ્રતિક્રિયા આપી હતી કે અમારે એમાંથી ઘણું શીખવાનું છે. ૨૦૧૮ ઊતરતે જોવાનું એ છે કે અણ્ણા આંદોલનમાં તેમ નિર્ભયા ઉદ્યુક્તિથી અને અન્યથા સર્વાધિક લાભનાર બે નેતાઓ અને પક્ષો (મોદી ભા.જ.પ. અને અરવિંદ ‘આપ’) વચ્ચે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ પોતાના અસલના સ્થાનની (હજુ લાંબી મજલ છતાં) શક્યતા ઊભી કરી છે. પરિણામો પછીની પ્રથમ પત્રકાર-પરિષદમાં રાહુલ ગાંધીએ ૨૦૧૯ના ચૂંટણી-પડકારમાં સર્વ વિપક્ષોના સાથની રીતે આગળ ચાલવાની ભાવના પ્રગટ કરી છે એમાં ઔચિત્ય છે અને કેવળ પોતાને જ આગળ કરવાની રણનીતિમાં કળણમાં જો તે નહીં ખૂંપે, તો તે આ ઔચિત્યને પુખ્તતાનો એક પુટ આપનારી બની રહેશે. માયાવતી અને અખિલેશે તત્કાળ ટેકો જાહેર કરવાનું જે દાક્ષિણ્ય દાખવ્યું એને બેઉ છેડેથી પારસ્પર્યને ધોરણે ખીલવવું રહેશે.

કૉંગ્રેસ અને ભા.જ.પ. બંને તેલંગણ અને મિઝોરમમાં ચિત્રમાં લગભગ નથી. પ્રાદેશિક પક્ષો, તેલુગુ દેશમ્‌નાં ચંદ્રાબાબુ નાયડુની રાષ્ટ્રીય આકાંક્ષાઓને લાગેલ બ્રેક અને તેલંગણના કે.સી.આર.ને ફૂટેલી રાષ્ટ્રીય પાંખો, આ બધું તૃણમૂલ કૉંગ્રેસ અને ડી.એમ.કે.-એ.આઈ.ડી.એમ.કે. આદિની વાસ્તવિકતા જોતાં સ્વતંત્ર વિચારણા માગી લે છે. ત્રણેક દાયકા પૂર્વે વિશ્વનાથ પ્રતાપ સિંહે ફેડરલ ફ્રન્ટ અને નેશનલ ફ્રન્ટ એમ બે ધાગે કામ લીધું હતું. તે આ સંદર્ભમાં સહેજે સાંભરે. કૉંગ્રેસના વલણમાં (ભા.જ.પ.ના એકલઠ્ઠ અભિગમથી વિપરીત) કંઈક લચીલાપણું રહેલ છે. વચ્ચે-વચ્ચે ડેલહાઉસીની ખાલસાનીતિએ ઢેકો નથી કાઢ્યો એમ નથી. પણ ભા.જ.પ.ના હિંદુ રાષ્ટ્રવાદમાં ગળથૂથીગત રીતે નથી તેવી અવકાશ-મોકળાશ કૉંગ્રેસમાં કિંચિત હોઈ શકે છે. એણે પોતાની સર્વસમાવેશી છબી સુરેખ ઊભી કરવી રહેશે.

પ્રચારમાં કમરપટા તળેના ઘાનો બાધ નહીં એ રીતે પેશ આવેલા વડાપ્રધાને હવે સેમિફાઇનલનાં પરિણામો સાથે ધોરણસર વાત કીધી છે કે ‘જયપરાજય એ જીવનનું સહજ અંગ છે.’ ક્ષણજીવી પણ હોઈ શકતી આ મુદ્રા જરી ટકે અને કિલર ઇન્સ્ટિંક્ટની જે રાજનીતિ અને વેરઝેરનો જે વિચારવ્યૂહ કથિત વૈકલ્પિક વિમર્શમાં આ પક્ષે લોકમોઝાર માંજ્યાં છે એનાથી વિવેકસર હટી શકે; બલકે, ધોરણસરના જમણેરી પક્ષ તરીકે પોતાને નવયોજી શકે – તો તે એના સહિત સૌના હિતમાં હશે. એકત્રીસ ટકે જો દિલ્હીદરબાર હસ્તગત થઈ શકતો હોય, તો લગરીક ખમી લઈ પોતાને નવયોજી એટલા જ મતે ત્યાં કેમ ન પહોંચી શકાય. ભલા’દમી, વેરઝેરના ખમૈયા કરવાનું ૧૯૪૭માંથી ન શીખ્યા પણ ૧૯૮૪, ૧૯૯૨ અને ૨૦૦૨માંથી તો સૌ, રિપીટ, સૌ શીખીએ.

કથિત વૈકલ્પિક વિમર્શમાં જો સાંકડો ને ઝનૂની રાષ્ટ્રવાદ એક મોટી મર્યાદા છે, તો બીજી એવી જ મર્યાદા વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની તેમ ધરાર ખાનગીકરણની અર્થનીતિની છે. આ નીતિએ કૃષિ અને કૃષકની કેવીક અનવસ્થા સરજી છે, તે જેમ મુંબઈ-દિલ્હીનાં વિરાટ નિદર્શનોએ તેમ ગ્રામબહુલ હિંદી પટ્ટાનાં તાજેતરનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે. કૉંગ્રેસ એથી લાભી જરૂર છે, પણ એની ફતેહથી કૃષિ અને કૃષકે લાભવાનું હજી બાકી છે.

વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો અને વિજયાદશમી વ્યાખ્યાન એમ બે કેટલીક રીતે છત્રીસનો સંબંધ ધરાવતી ભાગવત-માંડણીમાંથી ભા.જ.પ. શ્રેષ્ઠીઓનો હવેનો વ્યૂહ કેવીક દિશા પકડશે તે જોવું રહેશે. વિકાસ વત્તા હિંદુત્વ અગર એ બંનેનું સમીકરણ હવે નવસંસ્કરણ બલકે નવું નેરેટિવ માગે છે. ચાર મહિનાના ટૂકા ગાળામાં તે થઈ શકશે કે પછી વૃદ્ધવાનરની  ગુલાંટ ગતિ પ્રગટ થશે ? જોઈએ.

નાગરિકે કથિત વૈકલ્પિક વિમર્શને તળેઉપર તપાસતા રહી એની ગળથૂથીગત મર્યાદાઓને નિરસ્ત કરવાની અને સ્વાતંત્ર્યસંગ્રામ તેમ જ બંધારણનાં મૂલ્યોના સંગોપન-સંવર્ધન-શોધનની પોતાની સ્થાયી નોકરીમાંથી અલબત્ત નિવૃત્ત થવાપણું ન જ હોય. હાલની કૉંગ્રેસને પોતાની શોધન પ્રક્રિયા ચાલુ રાખવા બાબતે ઠમઠોરવા સાથે છતીસગઢે શંકર ગુહા નિયોગીથી માંડી વિનાયક સેનની પરંપરાને શોભીતી રીતે બતાવેલ જાગૃતિ રાજ્યે રાજ્યે આ નકરી હોંશનોકરી જોગ પ્રવાહ પ્રાપ્ત અગ્રતા છે.

ડિસેમ્બર ૧૩, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 01-03

Loading

...102030...2,9102,9112,9122,913...2,9202,9302,940...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved