Opinion Magazine
Number of visits: 9736159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આનંદ તેલતુંબડેની જેલડાયરી

સંગીતા પટેલ|Opinion - Opinion|14 February 2026

નરક જેવી ઝૂંપડપટ્ટી હોય કે ઝૂંપડપટ્ટી કરતાં પણ બદતર કેદખાના. પાપ, પુણ્ય અને કર્મનાં ફળની વાત કરો એટલે તેમાં સુધારાને કોઇ અવકાશ ન રહે. કર્મશીલ અને વિદ્વાન લેખક આનંદ તેલતુંબડેની કલમે અવતરેલું પુસ્તક “સેલ એન્ડ સોલ” આપણા દેશની જેલ અને ન્યાયતંત્રનો અરીસો છે. લેખકની 31 માસની આપવીતી એમાં છે. તાજેતરમાં કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ, 2026માં આ પુસ્તક વિષે તેલતુંબડેનો વાર્તાલાપ રદ્દ કરવામાં આવ્યો એ ઘટના આપણા દેશની કહેવાતી લોકશાહીનું પ્રતિબિંબ છે. વિષમતા નિર્મૂલનની દિશામાં તેલતુંબડેના બૌદ્ધિક વિચારો અને નિસબત પ્રગટ કરતાં પુસ્તકો પછી અલગ શૈલીથી લખાયેલા “સેલ એન્ડ સોલ”માં તેમનું વ્યક્તિગત જીવન છે. કદાચ તેમને સ્વજીવનની વાત કરવી પડી છે. 

1લી જાન્યુઆરી, 2018ની ભીમા કોરેગાંવ પરિષદ પછી થયેલા તોફાનો અને રાજકીય ગતિવિધિઓનાં પગલે આનંદ તેલતુંબડે સહિત સોળ વ્યક્તિઓને અર્બન નક્સલ કહી કેદ કરી દેવામાં આવ્યા. ભીમા કોરેગાંવ -16 (BK- 16) પૈકીના જી.એન. સાંઇબાબા અને સ્ટેન સ્વામીને તો મોત ભેટી ગયું. આની પાછળ ઉદ્દેશ વર્ષો સુધી આરોપીને જેલમાં રાખવાનો કે જામીન પર છોડી અદાલલતી આંટીઘૂંટીમાં રાખવાનો હતો જેથી, તે અવાજ ન ઉઠાવે. કટોકટી છાને પગલે પણ આવી શકે. 

તેલતુંબડેએ તેમની લાંબી કારકિર્દીમાં સતત ઇનોવેટિવ ટેકનોલોજિકલ પ્રોજેક્ટ કર્યા છે. બીગ ડેટા એનાલીસીસમાં તેઓ ગળાડૂબ હતા ત્યાં એક અણધાર્યો વણાંક આવ્યો. પોલીસે બારણે ટકોરા દીધા. લેખક લખે છે કે નાનપણમાં પોલીસ નામનો ડર જોયેલો. તેમણે પિતા પાસેથી વીર નાયકોની વાર્તો સાંભળેલી. પોલીસની ગોળીએ ઠાર થતા વીરોની વાર્તા પણ સાંભળેલી. તે જ વખતે પોલીસ અને પ્રજા વચ્ચેની કડી ખોટી હોવાનું પ્રતીત થયેલું. લેખકે નાની વયે ભગતસિંહને વાંચેલા. અને પછી ડો. બાબાસાહેબ આંબેડકરને. ભગતસિંહની વીરતા અને બાબાસાહેબની શિક્ષણની હાકલ બંને તેમણે આત્મસાત કર્યા. બંનેનું સહજીવન તેમનામાં રહ્યું. આ બંનેમાં તેલતુંબડેને કોઇ વિરોધાભાસ દેખોયો નહિ. 

ઉચ્ચ શિક્ષણ પછી કોર્પોરેટ ક્ષેત્રની નોકરી છતાં મૂડીવાદી લાલચમાં તેઓ ડૂબ્યા નથી. તેમની પ્રતિબદ્ધતા સામે લાલચ ઝાંખી પડી. કારકિર્દી અને લેખનથી આગળ જતાં તેમના જીવનમાં ધરપકડ કે જેલનો ક્યાં ય ઓછાયો ન હતો. ખ્યાતનામ IITમાં પ્રાધ્યાપક થયા. આ બધાની વચ્ચે ધરપકડનો વિચાર માત્ર વાહિયાત હતો. જીવનના કપરા મુકામે તેમને આંબેડકરની ચેતવણી યાદ આવી કે, લોકશાહી માની લેવાની બાબત નથી. તે સંવૈધાનિક નૈતિકતા આત્મસાત કરતા લોકો પર નિર્ભર છે. આવા વિચારો વચ્ચે ગિરફતાર થઇ પોલીસ કર્મચારીને તાબે થવાનું હતું. જે રૂક્ષ, બેપરવા, યંત્રવત, લગભગ પાશવી સિસ્ટમનું પ્યાદુ જ છે. ગંદકીથી પીળા પડી ગયેલા દેશી જાજરૂ, સતત લીક થતા નળ, ગંદી રીતે અપાતા ભોજન, સેલ ડોરના સતત અવાજ આવો જેલવાસ ક્યારે ય સપનાનો પણ ભાગ ન હતો. આ સઘળી પરિસ્થિતિમાં સતત અટવાતી પત્નીની શારિરીક અને માનસિક રીતે કથળતી અવસ્થા. બધું જ અસહ્ય હતું. તેથી જ દૃઢ મનોબળથી નક્કર તર્ક કરતી આનંદ તેલતુંબડેની કલમ “સેલ એન્ડ સોલમાં” લાગણીસભર રહી છે

આનંદ તેલતુંબડે

દેશ અને દુનિયામાં આનંદ તેલતુંબડેની ધરપકડનો વિરોધ થયેલો. 168 સ્થળો ખાતે તેમની ધરપકડ સામે એકસાથે દેખાવો યોજાયા હતા. નામાંકિત કર્મશીલો, વિદ્વાનો, સાહિત્યકારોની સહી ઝુંબેશ થઇ. તેનાથી વિપરીત હિન્દુત્વવાદીઓએ લેખકની ધરપકડની તરફેણ કરી. કોરોનાકાળમાં લેખક જેલના શરણે થયા. આ સમયે દેશ પણ એક વિષમ પરિસ્થિતિમાં હતો. દરેક આકસ્મિકતામાં રાજકીય હિત જોવાની ફિરાકમાં રહેતા આપણા દેશના વડા પ્રધાને કોરોનાને પણ બક્ષ્યો ન હતો. ઘરની બાલકનીમાંથી કે ઘરના ઉંબરે ઊભા રહીને થાળી વગાડવાનું એલાન થાય અને આ ઉન્માદ શેરી સ્વરૂપે ફેરવાઇ જાય. તો બીજી બાજુ દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે ધાર્મિક સ્થળે યોજાયેલા તબલીઘી જમાત સંમેલનને કોરોના જેહાદ કે તબલીઘી જમાત વાયરસ જેવા લેબલ લગાડી દેવાતા. તો વળી આવા જ વાતાવરણામાં યોજાતા કુંભમેળા પર સરકારે આંખ આડા કાન કર્યા, એકાએક કરવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનમાં વિસ્થાપિત મજૂરોની અવદશા તો સાવ જુદી જ સ્થિતિ હતી. 

RSSના સામયિક “પંચજન્યમાં” તેલતુંબડેને માયાવી આંબેડકર કહીને અને વીકીમિડિયામાં લેખકના પાના પરના લખાણ સાથે ચેડાં કરીને તેમના વિરુદ્ધ અપપ્રચાર કરવામાં આવ્યો હતો. ધરપકડ પહેલાં લેખકે ખુલ્લા પત્રમાં વિગતે વાત કરી છે. પ્રમાણિકતાથી રળી ખાતા અને લેખનથી નાગરિક હકની શક્ય હિમાયત કરતા લેખકને અનલોફુલ એક્ટિવીટી પ્રિવેન્શન એક્ટ(UAPA)ની આપખુદી જોગવાઇનો ભોગ બનાવવમાં સહાયક હતા પેગેસસ અને ઇઝરાયલ સ્પાયવેર. આવા કાયદાઓથી નિસ્વાર્થ લોકસેવકને દેશદ્રોહી અને દેશના વિધ્વંસકને દેશભક્ત પુરવાર કરવા તેમ જ ઝિન્ગોઇઝમને રાષ્ટ્રવાદમાં ફેરવી લોકોનું ધ્રુવીકરણ કરવું એ સત્તાધીશોની કમાલ છે. 

ખાસા સમયથી જેલના ભણકારા વાગતા હતા પણ વાસ્તવિકતાનો બોજો તો જેલમાં જ વર્તાયો. જેલના સળિયામાંથી મેલેમાઇનના થાળી વાડકામાં ફેકાતા આહાર, ગેંગસ્ટર કંપનીના ગુનેગાર, પોલીસ સુપ્રીટેન્ડેન્ટના ઇશારે પોલીસના ચાબખા ખાઇને લોહીલુહાણ થતા વિલાપ કરતા કેદીઓથી સ્થિતિ ઘણી ભયાવહ થતી. જેલના ન્યાયતંત્રમાં જજ, જ્યુરી અને પ્રોસેક્યુશન પોલીસ સુપ્રીટેન્ડન્ટમાં વીલિન થતાં લેખકે જોયાં અને તેની સામે કોઇની અપીલને સ્થાન નથી. 

70 વર્ષની પાકટ વયે જેલની ચરમસીમા તો હતી કોરોના અસર. પાંચ દિવસ સતત તાવ, ઝાડાઊલટી, ચક્કર, પથારીમાંથી ઊઠી પણ ન શકાય તેવી હાલતની સામે કોઇપણ સારવાર વગર ઝીંક ઝીલવાની હતી. તેમની સાથે જેલવાસ વેઠતા BK 16 પૈકીના 84 વર્ષની જૈફ વયના સ્ટેન સ્વામીનું મૃત્યુ તેમને હચમચાવી ગયું. તેમણે લખેલી એકોક્તિમાં આ સંવેદના ઠલવાઇ છે. ઝારખંડના જંગલોમાં રહીને આદિવાસીઓના હિતની વાત કરતા જેસ્યુટ સ્ટેન પાર્કિસનના દર્દી હતા. તેમને જરૂરી સીપર, સ્ટ્રો, લાંબી બાંયનું સ્વેટર જેવી મામૂલી જરૂરિયાતો માટે તેમણે વલખાં મારવા પડેલા. જેલ બહાર સારવાર મળે તે માટેના તેમના અથાગ પ્રયત્નો તેમના જીવનના છેલ્લા દિવસોમાં માંડ સફળ થયા. લેખક લખે છે કે “જેલના હોસ્પિટલના દરવાજે વિદાય આપતી વખતે ‘અહીં પાછા ન આવતા’ એમ કહ્યું ત્યારે ન હતી ખબર કે આ શબ્દો સાવ અમંગળ પુરવાર થશે.” સ્ટેન તેમના જીવન અને મૃત્યુમાં નીતિબોધ મુકતા ગયા. સ્ટેન સાથે થયેલા તેમના સંવાદના સહારે લેખકે તેમનું સચોટ પાત્રાલેખન કર્યું છે. 

જેલવાસમાં તેલતુંબડેના અસહ્ય માનસિક સંતાપનો દિવસ હતો 14 નવેમ્બર 2021. જેલના ટી.વી. સ્ક્રીન પર ગડચિરૌલી જંગલમાં મોટા પોલીસ એનકાઉન્ટરમાં 26 માઓવાદીઓ માર્યા ગયાના સમાચાર જોતા આનંદ કાંપી ઉઠ્યા. વર્ષોથી માઓવાદીઓના દરેક રિપોર્ટથી તેઓ ધ્રૂજી જતા. અંગ્રેજી એંકરના મોઢે તેમની બોલવામાં અઘરી અટકના ઉચ્ચારથી તેમનો ડર સાચો પુરવાર થયો. અને અશ્રુભીની આંખે ભૂતકાળની ઘટનાઓનો કેલિડોસ્કોપ શરૂ થયો. લેખકે અહીં પારિવારીક જીવનની વિકટ વાતો ઘણી સરળ અને સચોટ ભાષામાં ખુલ્લા દિલે કરી છે. પાત્રાલેખનની શૈલી અહીં ઉઘડતી જાય છે. સ્વભાવે ગંભીર તેમનાથી 15 વર્ષ નાનો, છઠ્ઠા નંબરનો ભાઈ મિલિન્દ તેમના પેંગડામાં પગ નાખવા સક્ષમ છે તેમ જણાતા, પોતાની ઇજનેરી અભ્યાસની તમામ સામગ્રી મિલિન્દ માટે સાચવી રાખી હતી. પણ ભાઈને ભાવિ કોઇ જુદી જ દિશામાં પોકારતું હતું. મોટા થઇને મિલિન્દે ITIમાં ઇલેકટ્રીકનો કોર્સ કરી પેપર મિલ્સમાં એપ્રેન્ટીસની નોકરી લીધી. તે પછી માઇન્સમાં જોડાયો. મિલિન્દે નોકરી સાથે કામદાર સંગઠનનું બીડું ઝડપેલું. ઘણી સફળ કામદાર લડતો પણ કરી. મહારાષ્ટ્ર કામગાર યુનિયન હેઠળ હજારો કામદાર સંગઠિત કરેલા. ખેલરાંજીમાં એક પરિવારના તમામ સભ્યોને રહેંસી નાખવાની ઘટના સામે વિરોધ શરૂ કરાવવામાં મિલિન્દની મુખ્ય ભૂમિકા હતી. શ્રમજીવીના પ્રશ્નો લડતો મિલિન્દ પરિવારથી ધીમેધીમે અલગ થતો ગયો. ત્યાં સુધી કે તે પરિવારના સારા માઠા પ્રસંગે પણ આવવાનું ટાળતો. મિત્રો અને સગાઓનું કહેવું છે કે તેમના પારિવારિક પ્રસંગોમાં પોલીસ સાદા ડ્રેસે તૈનાત રહેતી. માધ્યમોએ તેના નામ પર માઓવાદીની મહોર મારેલી. તેના માટે મોટું ઇનામ પણ જાહેર કરેલું. બંગાળી પ્રતિબદ્ધ નવલકથાકાર મહાશ્વેતાદેવીની નવલકથા “હજાર ચુરાશીર મા”ના શહીદ વ્રતીનો નંબર 1084મો હતો. એ પછી તો મિલિન્દ જેવા શહીદોની ગણતરી જ ભુલાઇ ગઇ. 

ભાઈની સાથે માદરે વતન રાજુર યાદ કરતા આનંદ કહે છે, રાજુર ન હતુ પૂરું ગામ કે પૂરું નગર. તે પરંપરા અને આધુનિકતાનો સંયોગ હતું. જીવનના રંગો સમજવાની સૂઝ લેખકને અહીં મળેલી. દલિત વસતિના સાવ છેડે એક માટીના ઘર સિવાય બીજું કાંઇ ન હતું. પરિવારના દસ સભ્યો, ઘણાબધાં ઉંદરો અને ક્યારેક દેખાડો દઇ જતા સાપ માંડ આ ઘરમાં સમાતા. માતાપિતાના પરિશ્રમે તેમનું ઘડતર થયું. માર્કસના શ્રમ મૂલ્યનો સિદ્ધાંત અને દુનિયા બદલવાની હાકલ સમજવાની પ્રેરણા અહીં  મળેલી. સંજોગોવસાત રાજુરથી દૂર થતા ગયા પણ પ્રારંભિક વર્ષોની સ્પષ્ટ સ્મૃતિઓ હજી તેમને ઘડી રહી છે. અને કદાચ ભાઈ મિલિનન્દને મૃત્યુ પર્યંત. એટલે જ બે સહોદર ભાઈઓની સામાજિક નિસબત દાખવવાની રીત નોખી પણ પ્રતિબદ્ધતા સરખી રહી. 

બીજું એક પાત્રાલેખન તેમની કલમે લખાયું છે કેદી ભોલાનું. લેખક કહે છે, સામાન્ય કેદીના પ્રતિરૂપ હતો ભોલો. નિર્દોષ અને અભણ, અસ્તિત્વનો ભાર રાખ્યા વગર દરેક પળમાં જીવતો માણસ. મૃત્યુ પામ્યો એ દિવસની સવારે આનંદે તેને ટી.વી. પર આવતાં ગીતના તાલે નાચતા જોયેલો. તેના ખુલ્લા શરીર પર કમરેથી સરકતું જતું ખુલતું પેન્ટ સૌના મનોરંજન માટે પૂરતું હતું. ઘોડાનો અવાજ કાઢવાનું કહેતા ઊંચા અને મોટા અવાજે હણહણી લેતો અને તેનું ઉપનામ ઘોડો સાર્થક કરતો. લેખક કહે છે એમણે જોયો છે રાત્રે સળિયા પકડી તેની માતાને યાદ કરી રડતો, પ્રલાપ કરતો, ગમગીન ભોલો. ભોલાને ખબર નહતી કે તેનો ગુનો શું છે? એક સવારે મિત્રો સાથે ઊભો હતો. ત્યાં પોલીસની જીપ આવી અને ભોલાને તેના ફાટેલા ખમીસેથી પકડી અનાજની ગુણ ફેંકતા હોય તેમ જીપમાં નાખી જેલના હવાલે કરી દીધો. કદાચ એક માત્ર સ્વજન તેની માને પણ આ ઘટનાની ખબર નહિ હોય. ભોલાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું. આપણી સામાજિક વ્યવસ્થા અને ન્યાયતંત્રની મિસાલ સમા ભોલા માટે લેખક લખે છે, સર્વહારા નસીબ લઇને જન્મેલા ભોલાને આ નરક આખો ગળી ગયું. લેખકે એનો ઇતિહાસ અશોકના શિલાલેખની જેમ એના શરીર પર વાંચેલો. 

કદાચ ભોલાની આવી દર્દનાક ઘટનાના પગલે તેમણે પરિવર્તનકારી જસ્ટીસ મોડેલ ધરાવતી શિક્ષાત્મક પ્રણાલી આવકારવાની વાત કરી છે. તેઓ કહે છે ઉમર ખાલીદ જેવા લોકોને પકડીને વર્ષો સુધી ગોંધી રાખવામાં આવતા હોય ત્યારે આ દિશામાં વિચારવું જરૂરી લાગે છે. દેશની સુરક્ષા અને વિકાસ તેના લોકોને ગુંગળાવવામાં નથી. લેખકનુ માનવું છે કે, વિરોધ એ ધાકધમકી નથી પણ લોકશાહીનો આવશ્યક ઘટક છે. તેના સ્વીકાર, સર્વસમાવેશ અને સંવાદથી દેશ રચી શકાય. 

પોસ્ટટ્રુથ(મનઘડંત સત્ય)ના સહારે જીતાતી ચૂંટણીઓ વિષે લખતા તેલતુંબડે કહે છે અહીં જુઠાણા સત્ય તરીકે વિહરે છે. ધર્માંધતા સહિષ્ણુતાનું સ્થાન લે છે. આપખુદી લોકશાહી તરીકે વેચવામાં આવે છે અને નકરા રાષ્ટ્ર વિધ્વંસક દેશભક્ત ગણાય છે.

e.mail : sanita2021patel1966@gmail.com                   

Loading

જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 February 2026

ચંદુ મહેરિયા

થોડા સમય પૂર્વે અમદાવાદની અદાલતમાં એક અજીબ પ્રકારનો માનહાનિનો કેસ આવ્યો હતો. અમદાવાદની રેફ્રિજરેટર બનાવતી ખાનગી કંપનીના જુનિયર એન્જિનિયરે તેમના સહકર્મીઓ પર તેમને અટકથી બોલાવીને બદનક્ષી કરતાં હોવાની ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં સરકારી અને ખાનગી કચેરીઓમાં વ્યક્તિને નામને બદલે અટકથી ઓળખવાનો તથા બોલાવવાનો ચાલ છે. પેલા એન્જિનિયરસાહેબની અટક ‘બાયડી’ હતી અને સહકર્મીઓ તેમને ‘બાયડી’ કહીને બોલાવતા હતા. આ પ્રકારની અટક બદલવાને બદલે તેમણે અદાલતમાં બાયડી શબ્દના ઉચારણથી પોતાની સાથે મહિલાઓની પણ બેઈજ્જતી થતી હોવાની દલીલ કરી હતી. અટકને કારણે કેવી સ્થિતિ સર્જાય છે તેનું આ કનિષ્ઠ ઉદાહરણ છે. 

નામને બદલે અટકથી માણસને બોલાવવાની પ્રથા માત્ર કચેરીઓમાં જ નથી, શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓના નામમાં પહેલા અટક લખાય છે. હવે ગુજરાત સરકારે ચાલુ શૈક્ષણિક સત્રથી તેમાં ફેરફાર કર્યો છે. એટલા માટે નહીં કે સરકારને અટકના આટાપાટા ઉકેલવા છે પણ એટલા માટે કે વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એકરૂપતા નહીં હોવાથી સમસ્યાઓ સર્જાઈ છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જનરલ રજિસ્ટર અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં હવે વિદ્યાર્થીના પૂરા નામમાં અટક પહેલાં નહીં પણ છેલ્લે લખવાનો સરકારી આદેશ થયો છે. 

આદિ માનવોની ઓળખ તેમની ટોળી કે શિકારનાં સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબ સંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે. સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીના મતે નામ  એ વ્યક્તિગત ઓળખ છે પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુટુંબસમૂહ, ગામ કે વ્યવસાયનાં સ્વરૂપનું હોઈ શકે છે. એક બીજો મત વસ્તી વૃદ્ધિ અને વ્યવહારની ઘનતાને કારણે અટકની જરૂરિયાત ઊભી થયાનો પણ પ્રવર્તે છે. 

મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય, વતન ગામ, બાપદાદાના નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. વ્યક્તિનાં નામોમાં આધુનિકતા પ્રવેશી છે પરંતુ વ્યક્તિને જેમ જન્મ સાથે જ્ઞાતિ વારસામાં મળે છે તેમ અટક પણ મળે છે. જો કે તેમાં ફરક એટલો છે કે નામ-અટક બદલી શકાય છે. મેડિકલ કોલેજોમાં ભણતા દલિત વિદ્યાર્થીઓને જ્ઞાતિસૂચક અટક પરથી ભેદભાવનો ભોગ બનવું પડે છે. એટલે મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત ડોકટર્સ, કોન્ટ્રાકટર્સ, પ્રાઈવેટ સેકટરમાં કામ કરતા કે અન્ય વ્યવસાયિક દલિતો અટકો બદલે છે. પરંતુ એક અભ્યાસ પ્રમાણે નામ-અટક બદલવાથી જ્ઞાતિ બદલ્યાનો આભાસ ઊભો કરી શકાય છે પણ વાસ્તવમાં તે બદલી શકાતી નથી. 

ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશમાં અટકનો પર્યાય અટક જણાવી તેનો અર્થ ગોત્ર, ધંધો કે વતન ઈત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ (પૃષ્ઠ-૧૩) એવો દર્શાવ્યો છે. લોકબોલીમાં શાખ, નુખ, અંગ્રેજીમાં સરનેમ અને સંસ્કૃતમાં અવટંક જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં નડતર કે અવરોધ પણ આપ્યો છે. જે જ્ઞાતિસૂચક અટકને કારણે યથાર્થ છે. સ્વામી સચ્ચિદાનંદે દલિતોને જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા અપીલ કરી હતી. કથિત ઉચ્ચ જ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ્‌ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ઘૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીને જ્ઞાતિ નિર્મૂલનની દિશાનું પગલું માનવામાં આવે છે.

૨૦૨૫માં ઇન્ડિયન સ્કૂલ સર્ટિફેકેટની પરીક્ષામાં કોલકાત્તાની ૧૭ વરસની સૃજની સો ટકા  માર્કસ મેળવી ટોપર બની હતી. સૃજનીએ તેના પરીક્ષા ફોર્મમાં જ તેની અટક લખી નહોતી. એટલું જ નહીં ધર્મના ખાનામાં માનવતા લખ્યું હતું. નોંધપાત્ર છે કે સૃજની કથિત ઉચ્ચ જ્ઞાતિની છે. છતાં તેણે સમજપૂર્વક જ્ઞાતિસૂચક અટકનો ત્યાગ કર્યો હતો. જાણીતા ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાન પણ ફિલ્મો અને ટી.વી. સિરિયલોમાં કામ કરે છે. તેમણે પણ ખાન અટક્નો ત્યાગ કરવાની ઘોષણા કરી છે. 

પેરિયાર ભૂમિ તમિલનાડુમાં વીસમી સદીના આરંભે જે સ્વાભિમાન આંદોલન થયું હતું તેમાં ઘણાં લોકોએ અટકો છોડી હતી. જે.પી. આંદોલનમાં નામની પાછળ માતાની ઓળખ રાખવાનું બન્યું હતું. સૃજની કે બાબિલના એકલદોકલ પ્રયાસો અટકને લીધે થતા ભેદભાવોની નાબૂદીમાં મહત્ત્વના છે. જો કે જાણીતા રાજનેતાઓ જયપ્રકાશ નારાયણ, ચરણસિંઘ, ચંદ્રશેખર અને જગજીવન રામે અટકોનો ત્યાગ કર્યો હતો. પરંતુ તેમની જ્ઞાતિ નાનું છોકરું પણ જાણે છે. એટલે અટકના ત્યાગથી જ્ઞાતિ નાબૂદ થઈ જ જશે તેમ કહી શકાતું નથી.

અટકો સ્ત્રી-પુરુષ ભેદભાવની બાબતમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં લગ્ન પછી સ્ત્રીએ પોતાનાં નામ પાછળ પતિનું નામ અને અટક ધારણ કરવાં પડે છે. કેટલાક રાજ્યોના સમાજોમાં તો તેનું નામ પણ બદલવામાં આવે છે. મહિલાને એક સ્વતંત્ર માણસ નહીં પણ જાણે કે પિતા કે પતિ પર આધારિત વસ્તુ માનતી પિતૃસત્તાનું આ પરિણામ છે. 

ભારતમાં જ નહીં વિશ્વના સમૃદ્ધ અને વિકસિત દેશ જાપાનમાં પણ આવી સ્થિતિ છે. ઓગણીસમી સદીના અંતિમ વરસોમાં (ઈ.સ.૧૮૯૬) જાપાને કાયદો ઘડીને લગ્ન પછી પતિ-પત્નીએ એક સમાન અટક રાખવાનું નક્કી કર્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા મહિલાઓને સમાન અટકના કાયદાનું પાલન કરવા પતિની અટક ધારણ કરવી પડતી હતી. મહિલા સમાનતા અને સ્ત્રી જાગ્રતિકરણના આ જમાનામાં જાપાની મહિલાઓને સમાન અટકનો કાયદો ખટકતો હતો અને તેને નાબૂદ કરવા માંગણી કરતી હતી. જાપાની મહિલાઓના લાંબા સંઘર્ષ પછી લોકમત મહિલાઓના વિરોધમાં હોવા છતાં જાપાની સરકારે થોડાં વરસો પહેલાં આ કાયદો નાબૂદ કર્યો છે.

જાપાનથી સાવ સામા છેડાનું અટક્પુરાણ દક્ષિણ આફ્રિકાનું છે. દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલતે પતિઓની પત્નીની અટકો અપનાવવાની માંગણી સ્વીકારી છે. મહિલા સમાનતાની દિશામાં આવું પણ જોવા મળે છે પતિઓને પત્નીની અટક અપનાવવાની મંજૂરી આપતો દક્ષિણ આફ્રિકા કંઈ પહેલો દેશ નથી. પૂર્વે અમેરિકાના કેટલાક રાજ્યો અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં પણ આવી મંજૂરી આપવામાં આવી છે.

જ્ઞાતિ અને ધર્મ સૂચક અટકોની નાબૂદીની દિશામાં વિચારતાં જાપાનની તોહોફુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રાદ્યાપકની એક ગણતરી જાણવા જેવી છે. જાપાનમાં સૌથી વધુ લોકોની અટક સેટો છે. તે પછીના ક્રમે સુઝુકી છે. પ્રો. હિરોશી યોદિશાનો અભ્યાસ જાણાવે છે કે પાંચસો વરસો પછી એટલે કે ઈ.સ. ૨૫૩૧ સુધીમાં બધા જાપાનીઓની અટક સેટો હશે. જો અર્થસ્ત્રી હિરોશીની ગણતરી સાચી પડે તો અટક નાબૂદીની દિશામાં તે મહત્ત્વનું હશે. તેનાથી જાપાની પ્રજા અટકને બદલે નામથી ઓળખાતી થશે. પરંતુ શું ભારતમાં આવું ક્યારે ય થઈ શકે ખરું?

29.12.2025                                                             
e.mail : maheriyachandu@gmail.com

Loading

આવ્યા આવ્યા દિવસો હડતાલના …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 February 2026

રવીન્દ્ર પારેખ

એમ લાગતું હતું કે ભારતીય લોકશાહીમાં વિરોધની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે, પણ વિરોધ શક્ય છે એ જોઈને આશ્વસ્ત થવાય એવું છે. 27 જાન્યુઆરીએ જ દેશની બેન્કોના 8 લાખ કર્મચારીઓ ફાઈવ ડે વીકની માંગ સાથે ગુરુવારે હડતાલ પર હતા ને ગુજરાતના 15,000 કર્મીઓ એ હડતાલમાં જોડાયા હતા. દેશભરમાં ત્યારે ચારેક લાખ કરોડના ચેકનું ક્લીયરિંગ અટવાયેલું. 5 દિવસના અઠવાડિયાની 15 વર્ષની માંગ ટલ્લે ચડતી હતી, એટલે 27 જાન્યુઆરીએ હડતાલ પડેલી ને તેને વધારે વખત થાય તે પહેલાં 12 ફેબ્રુઆરીએ ફરી હડતાલ બેન્કોની પડી છે ને આ વખતે LIC, સરકારી વીજ કમ્પનીના કર્મચારીઓ પણ જોડાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો કાલે બંધ રહી હતી ને બેંક કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા.

કોણ જાણે કેમ પણ રોજના નવા અખતરાને પરિણામે સરકારે ખતરા ઉઘરાવ્યા હોય એમ લાગે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાર નવા કાયદાએ હડતાલને નિમંત્રણ આપ્યું છે અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA), બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) ઉપરાંત બીજા સાતેક સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. રાષ્ટ્રવ્યાપી હડતાલને દેશભરમાં અને ગુજરાતમાં પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં હડતાલને પગલે 15,000 કરોડ બેન્કિંગ વ્યવહારોને અસર પહોંચી છે. બેંક કર્મચારીઓએ ‘હિટલરશાહી નહીં ચલેગી’ ‘લેબર કોડ વાપસ લો’ જેવા સૂત્રો પોકાર્યાં હતાં. દેશનાં દશેક કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની માંગ છે કે સરકારે તાજેતરમાં જે ચાર નવા લેબર કોડ દાખલ કર્યા છે તે કર્મચારીઓના હિતમાં નથી તેથી તે પાછા ખેંચાવા જોઈએ. આ કાયદાને કારણે ગમે તેને નોકરીએ રાખવાની કે છૂટા કરવાની (હાયર એન્ડ ફાયર) તકો મળી જશે. સરકારે કોન્ટ્રેક્ટ સિસ્ટમ દાખલ કરીને બેરોજગારીમાં વધારો જ કર્યો છે. બેંક યુનિયનોનું માનવું છે કે કોન્ટ્રેક્ટ સિસ્ટમને બદલે નોકરીઓ કાયમી કરવી જોઈએ.

હડતાલ પડવાનાં કારણોમાં 29 જૂનાં મજૂર કાયદાને બદલે 4 નવા લેબર કોડ આવ્યા તે ગણાવાય છે. ટ્રેડ યુનિયનોનું માનવું છે કે નવા કાયદાઓ કામદારોની વિરુદ્ધ છે ને કામદારોની નોકરીની સુરક્ષા તેથી જોખમાય એમ છે. બીજું, લઘુત્તમ વેતનના નિયમોમાં કર્મચારીઓનું શોષણ જ વધશે. મજૂર સંગઠનો એથી જ જૂનાં કાયદાઓ પાછા લાવવાની માંગ કરી રહ્યા છે.

હવે નોકરીઓમાં કાયમી ભરતી લગભગ થતી નથી, તે એટલે કે નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા ના પડે. કોઈ કોર્પોરેટર ટર્મ પૂરી કરે ને ધારાસભ્ય થાય, તે જ ધારાસભ્ય ટર્મ પૂરી કરે ને તે સાંસદ થાય ને ટર્મ પૂરી કરે, તો તેને ત્રણ ત્રણ પેન્શન ટર્મ પૂરી થતાં મળે છે ને એક સાધારણ કર્મચારી 30-35 વર્ષની નોકરી પછી નિવૃત્ત થાય તો તેને પેન્શન કેમ નહીં તે સમજાતું નથી. કોન્ટ્રકટ સિસ્ટમ દાખલ જ એટલે કરવામાં આવી કે કોન્ટ્રકટ પૂરો થતા નોકરીમાંથી છૂટા કરી શકાય ને બીજી સગવડ એ કે પૂરો પગાર ના આપવાનો અને પેન્શનનું તો નાહી જ નાખવાનું.

સુરતમાં પણ ગુરુવારની એક દિવસીય હડતાલ સફળ રહી. સવારથી જ બેંક યુનિયનો અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ તથા કામદારો કલેકટર કચેરી, સુરત ખાતે એકઠા થયા હતા અને સૂત્રો પોકારીને વિરોધ પ્રગટ કર્યો હતો. આ હડતાલમાં બેંક કર્મચારીઓ ઉપરાંત LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસ.ટી., આંગણવાડી અને આશાવર્કરો પણ જોડાયાં હતાં, એટલું જ નહીં, સુરતના કાપડ અને હીરાઉધોગ સાથે સંકળાયેલાં કેટલાંક યુનિયનોએ હડતાલને ટેકો જાહેર કર્યો હતો. એ સાથે જ ટ્રેડ યુનિયનોએ સરકારને ચીમકી પણ આપી છે કે જો સરકાર ઘટતું નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. રાજકોટમાં પણ LIC અને અન્ય બેંક કર્મચારીઓ દ્વારા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો ને શ્રમિક કાયદાઓમાં કરવામાં આવેલા ફેરફારોનો પણ સખત વિરોધ કરવામાં આવ્યો.

લેબર કોડ કોઈ રીતે પણ પરત ખેંચાવા જોઈએ, કારણ કે એ મહિલાઓની સલામતીના પ્રશ્નો વધારે છે. નવા ચાર લેબર કોડ આવવાને લીધે મહિલાઓને નાઈટ શિફ્ટ કરવાની આવશે. એમ થશે તો સ્ત્રીઓનાં પારિવારિક જીવન પર અસર પડશે. લેબર કોડમાં સુધારો ન થાય તો મહિલાઓએ પહેલાંની જેમ ઘરકામથી જ સંતોષ માનવાનો રહેશે. એક તબક્કે 100ની સંખ્યા હોય તો યુનિયન બનતાં હતાં હવે 300ની સંખ્યા હોય તો જ યુનિયન બનાવી શકાય છે. સંખ્યા વધવાને લીધે ઓછા લોકોનાં યુનિયનો બનશે નહિ. યુનિયન ન બની શકવાને લીધે તેમની માંગણીઓ કે અન્ય તકલીફોની રજૂઆતના જ પ્રશ્નો હશે. એ અત્યંત દુખદ છે કે કાયદાઓ શોષણને અટકાવવા માટે હોય, પણ નવા કાયદાઓમાં 8 ક્લાક્ને બદલે 12 કલાક ફરજિયાત કામ કરવાનો નિયમ દાખલ કરવામાં જ શોષણ છે. એમ થશે તો પારિવારિક જીવન પર કાપ પડશે. બાર કલાકની ડ્યૂટી બાળકોનાં શિક્ષણ પર અસર પાડશે ને પરિવાર તરફ ધ્યાન જ ઓછું અપાશે.

આ હડતાલમાં LIC પણ જોડાઈ છે, તે એટલે કે સરકાર LICના શેર વેચીને તેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. આમેય સરકાર પોતાની જવાબદારીઓ ઓવારી દઈને ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે. ખબર નથી પડતી કે સરકાર દરેક બાબતમાં દખલ કરીને કે બધું સખળડખળ કરીને કરવા શું માંગે છે? અગાઉ કશું હતું જ નહીં કે હતું તે ઠેકાણાં વગરનું જ હતું, એમ માનીને સરકાર બધું જ ઉપરતળે કરવા માંગે છે ને એમ કરવા જતાં જે સામે આવે છે તે અગાઉને ટપી જાય એવું ભાગ્યે જ હોય છે. નવા લેબર કોડે અનેક સંગઠનોને વિરોધ કરવાની સામટી તકો પૂરી પાડી. લેબર કોડ બદલાતા એ સ્થિતિ આવી કે મહિલાઓને પક્ષે રહેલી સરકાર એકાએક જ સામે પક્ષે બેઠી હોય એમ થયું છે. રોજ જ છેડતી, બળાત્કારનાં ઢગલો કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે મહિલાઓને રાતપાળીમાં નોકરી કરાવવાનું ડાહપણ ભરેલું કેટલું? મહિલાઓને બાળઉછેરની, ગૃહિણી તરીકેની અન્ય ફરજો પણ હોય, એવામાં 8 કે 12 કલાકની નોકરી હોય કે રાતપાળી કરવાની આવે, તો તે કેટલી હદે ને ક્યાં સુધી સહ્ય હોય એ વિચારવાનું રહે. નોકરીમાં કે બહાર મહિલાનું શોષણ થાય તો તેનાં રક્ષણની સુવિધા અંગે સરકારે કંઇ વિચાર્યું હોય એમ લાગતું નથી. પુરુષોને પણ 12 કલાકની નોકરી હોય તો તે ઘરમાં ધ્યાન આપે એવું સરકારને અપેક્ષિત છે કે કેમ? જે વ્યવહારુ જ નથી એવું કાયદા તરીકે ઠઠાડી દેવામાં સરકારની માનસિક સ્થિતિ અંગે પ્રશ્નો થાય એમ બને. એવો વહેમ પડે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી કે રાષ્ટ્ર વિરોધી છે. સરકારની નીતિ કોર્પોરેટ તરફી અને ખાનગીકરણને સ્વીકૃતિ આપનારી છે ને એમાં માણસ તરફી ભાગ્યે જ કંઇ હશે.

ભારત બંધના એલાનથી 600 જિલ્લાઓને તથા બેંક, બસ, રેલ સેવાઓને અસર થઈ છે. સરકાર રોજ જ ફેરફારો કરવામાં પાવરધી છે તે ખરું, પણ તેથી પડતી હડતાલો અનેક લોકોને પ્રભાવિત કરતી હોય છે એ ભૂલવા જેવું નથી. આ ઉપરાંત ઊર્જા ક્ષેત્રમાં વ્યાપક રીતે વિભાજન સહિત ખાનગીકરણનો વિરોધ કરવા સરકારી વીજ કંપનીઓના 45,000 કર્મચારીઓ પણ હડતાલ પર રહ્યા, એની અસરો સામાન્ય માણસો સુધી પહોંચી. હડતાળથી સરકારને તો બહુ ફેર પડતો નથી, પણ તેની અસર અનેક લોકોને પહોંચતી હોય છે. એક દિવસની હડતાલ જે રોજિંદા વ્યવહારો પર અસર પાડે છે તે વ્યક્તિઓને તો ઠીક, બીજી અનેક રીતે પ્રભાવિત કરે છે.

હડતાલ, તાલ ખોરવે જ છે, વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ફેબ્રુઆરી 2026

Loading

...1020...28293031...405060...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved