Opinion Magazine
Number of visits: 9552646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ – આરુષિ અને મેઘાની વાર્તા

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|13 November 2025

આરુષિ સંયુક્ત કુટુંબમાં રહેતી યુવાનીના ઉંબરે ડગ માંડતી કન્યા છે, જેણે હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. આરુષિની ઇચ્છા આગળ ઉચ્ચ અભ્યાસ કરી પાઈલટ બનવાની છે, પણ તેના દાદીને લાગે છે કે આરુષિ હવે પરણવા લાયક થઈ ગઈ છે તેથી સારો મુરતિયો જોઈ તેની સાથે લગ્ન કરી દેવા જોઈએ, જેથી તેમના દીકરાને જવાબદારીમાંથી છુટકારો મળે. 

આરુષિની ગાઢ સખી મેઘા ખુલ્લા અને સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલ સુશિક્ષિત પરિવારની એકની એક દીકરી છે જે આરુષિના મનોભાવોને બહુ સારી રીતે સમજે છે, અને દરેક મૂંઝવણમાં આરુષિને મદદ કરે છે. 

દૃશ્ય: ૧

[ઘરના એક રૂમની અંદર આરુષિ અને તેના દાદીમા વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે]

આરુષિ : “દાદી, મારે આગળ વધુ અભ્યાસ કરીને પાઈલોટ બનવું છે, અને એ માટે ગમે તેટલી મહેનત કરવી પડશે તો પણ હું પાછી નહિ પડું.”

દાદી: “પણ, દીકરી એ માટે તો તારે હજી ઘણાં વર્ષો સુધી ભણવું પડશે, અને તારે વળી કમાઈને ક્યાં ઘર ચલાવવાનું છે કે તું પાઈલોટ બનવાની વાત કરે છે! તારા લગ્ન થઈ જાય પછી ઘર ચલાવવાની જવાબદારી તો તારા થનાર ઘરવાળાની રહેશે, તું શા માટે એ બધો ભાર તારા માથે લે છે?”

આરુષિ: “પણ દાદી…..!!!” 

દાદી: “પણ અને બણ, એક વાર કહ્યું ને કે તારે હવે આગળ નથી ભણવાનું એટલે નથી ભણવાનું! વડીલ કંઈ કહેતા હોય તો તમારા ભલા માટે કહેતા હોય એટલી સમજ તો તને હવે પડવી જોઈએ.”

[આ ચર્ચા ચાલતી હોય છે એ દરમિયાન આરુષિની સખી મેઘા અંદર પ્રવેશે છે]

મેઘા: “બા, તમને કોઈ વાંધો ના હોય તો હું આમાં કંઈક કહું?” 

દાદી: “હા, મને ખબર છે, તું તો આરુષિનો જ પક્ષ લઈશ, ના જોઈ હોય તો મોટી સલાહ આપવાવાળી, બોલ શું કહેવું છે તારે?” 

મેઘા: “બા, જુઓ .., સમય હવે બદલાઈ ગયો છે, ઘર ચલાવવા માટે હવે પુરુષની સાથે સાથે સ્ત્રીએ કમાવું પણ એટલું જ જરૂરી છે.” 

દાદી: “સ્ત્રી કમાવા જશે તો પછી ઘરનાં કામ કોણ કરશે?, પુરુષ થોડો કંઈ ઘરના કામ કરશે!” 

મેઘા: “કેમ નહિ કરે, બા! જો સ્ત્રી બહારના બધાં કામો કરી શકતી હોય તો પુરુષ ઘરનાં કામ કેમ ના કરી શકે?? ઘર ચલાવવાની જવાબદારી એકલી સ્ત્રીની ઓછી છે, જો ઘર વસાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર પડતી હોય તો ઘર ચલાવવા અને ઘરનાં કામો કરવા માટે પણ બંને એકસરખાં જવાબદાર ગણાય.” 

દાદી: “આરુષિના દાદાએ પણ મને ક્યારે ય ઘરની બહાર જવા દીધી નથી. મારે તો બસ એયને ઘરનાં નાનાં-મોટાં કામો કરવાના ને મોજમજા કરવાની.”

મેઘા: “બા, સાચું કહેજો, શું તમને પણ અંદરથી ક્યારે ય એવું થયું નહોતું કે હું પણ ઘરની બહાર નીકળું અને કંઈ કામકાજ કરી ઘરમાં આર્થિક ટેકો કરું?” 

દાદી: “મેઘા, બેટા એવો વિચાર તો આવ્યો હતો, પણ પછી થયું કે જો હું કમાવા જઈશ તો ઘરનાં કામો કોણ કરશે, મારું ઘર રઝળી પડશે, એમ વિચારી મેં મારું મન વાળી લીધું. પણ મેઘા, તે મારા મનની વાત તે કેવી રીતે જાણી લીધી?” 

મેઘા: “બા, આ વાત તમારાં એકલાની નથી, આ વાત દરેક સ્ત્રીની છે. ચાર દીવાલોની વચ્ચે કેદ દરેક સ્ત્રીને આ વાત લાગુ પડે છે. વાસ્તવમાં, આપણી સમાજ વ્યવસ્થા જ કંઈક એવી છે જેમાં સ્ત્રીને ખૂલીને પોતાના મનની વાત રજૂ કરવાની મોકળાશ નથી. ઘર હોય કે કુટુંબ, સમાજ હોય કે ગામ, સ્ત્રીના મનની અંદર શું ચાલી રહ્યું છે એ સાંભળવાની કોઈ કહેતા કોઈને દરકાર જ નથી. બા, શું તમે પણ એવું ઇચ્છો છો કે તમારા ઘરમાં એક દીકરીનાં અરમાનો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓરૂપી પાંખોને ઉડવા માટે આકાશ મળે એ પહેલા જ તેની એ પાંખોને સંકુચિત વિચારશૈલીના દોરથી બાંધી ઘરની ચાર દીવાલોની અંદર તેને કેદ કરી દેવામાં આવે!”

દાદી: “ના બેટા, જરા ય નહીં. તારી વાત પરથી મને એમ લાગે છે કે મારી આરુષિ પણ હવે પોતાની ઇચ્છા મુજબ જેટલું ભણવું હશે એટલું ભણશે અને પોતાની મરજી મુજબ નોકરી કે વ્યવસાય કરશે. મારી જેમ એની ઇચ્છા, આકાંક્ષાઓ અને અરમાનોને હું હવે નહિ ગુંગળાવા કે મરવા નહિ દઉં. જરૂર પડશે તો હું એની પડખે ઊભી રહીશ.”

દાદી: “મને લાગે છે કે સ્ત્રીની અંદરની લાગણીઓને એક સ્ત્રી સિવાય બીજું કોઈ ના સમજી શકે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીને મદદ કરશે તો પણ સ્ત્રીઓને થતા ઘણા અન્યાયો અને સ્ત્રી પ્રત્યેના અવિચારી પૂર્વાગ્રહો ઓછા કરી શકાશે. સ્ત્રીને પુરુષના સહકારની જેટલી જરૂર છે એથી વધુ જરૂર સ્ત્રીને સ્ત્રી તરફથી મળતા સહકારની પણ છે.”

[દાદીના મુખેથી આવા ચમત્કારિક શબ્દો સાંભળી એક આછા સ્મિત સાથે આરુષિની આંખના ખૂણા ભીના થયા].

મેઘા: “બા, મને લાગે છે કે આરૂષિનાં સપનાં હવે ઊંચી ઉડાન ભરશે.”

[ચહેરા પર આછેરા સ્મિતની રેખાઓ સાથે આરુષિ, મેઘા અને દાદી ત્રણેયની નજરો આકાશ તરફ લંબાય છે].

Email: h79.hitesh@gmail.com 

Loading

દલિત સાહિત્ય અંગે પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|13 November 2025

ભારતીય સાહિત્યમાં દલિત સાહિત્ય જેટલા પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન ઘણાં ઓછા જોવા મળે છે. દલિત સાહિત્યની વિશેષતા એ છે કે તે જાતિગત દમનનો ભોગ બનેલા લોકોના અનુભવોમાંથી ઉદ્ભવે છે, જે તેને ઊંડાણપૂર્વકનું તેમ જ વધુ મૌલિક બનાવે છે. દલિત સાહિત્ય મુખ્ય પ્રવાહના ભારતીય સાહિત્યની પરંપરાઓને પડકારે છે તેમ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના જીવન અને સંઘર્ષને કેન્દ્રિત કરે છે. 

આ લેખકોને એવા પ્રકાશન જગતનો સામનો કરવો પડે છે જે દલિત વાર્તાઓને ફક્ત “એક તક” માને છે અને તેઓને મુખ્ય પ્રવાહના સાહિત્યના ભાગ તરીકે સ્વીકારવામાં પણ અચકાય છે. આજે પણ બજાર, દલિત લેખનને ફક્ત એક દેખાડા પૂરતી જગ્યા પૂરી પાડે છે, અને તેના યોગ્ય પ્રચાર તેમ જ અનુવાદમાં ઓછી રુચિ દાખવે છે. જ્યારે મરાઠી દલિત સાહિત્ય હવે અનુવાદ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થોડી ઓળખ મેળવી રહ્યું છે, ત્યારે હિન્દી દલિત લેખકો સમાજની આંતરિક અને બાહ્ય સાંસ્કૃતિક વ્યવસ્થા સાથે મર્યાદિત સીમાઓમાં પોતાની લડત જાતે લડી રહ્યા છે. 

છેલ્લા દાયકામાં દલિત વિમર્શ અંગે ઘણી મહત્ત્વપૂર્ણ કૃતિઓ જોવા મળી છે, જેમ કે અજય નાવરિયાની Unclaimed Terrain (2013), યશિકા દત્તની Coming Out as Dalit (2019), શાહુ પટોલેની Dalit Kitchens of Marathwada (2024), યોગેશ મૈત્રેયની Water in A Broken Pot: A Memoir (2023) અને સુજાતા ગિડલાની Ants Among Elephants (2017)નો સમાવેશ થાય છે. આ પુસ્તકો દલિત સાહિત્યમાં જાતિગત હિંસાથી પર છે, જેમાં શહેરી એકલતા, પોતાની ઓળખની શોધ અને આધુનિક વૈશ્વિક સંદર્ભો સુધીનો વિસ્તાર જોવા મળે છે. વિહાગ વૈભવ, પરાગ પવન અને સુનિતા મંજુ જેવાં નવાં લેખકો હવે લેખનમાં ફક્ત દમનનું વર્ણન કરી રહ્યા નથી, પરંતુ સાંસ્કૃતિક સત્તા, મૂડીવાદી વિકૃતિ અને સાહિત્યિક ઓળખના રાજકારણ પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. જેમ જેમ દલિત સાહિત્યનો વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ આજના લેખકો નવા પડકારોનો સામનો કરી રહ્યા છે, તેઓ દલિત સાહિત્યમાં આત્મકથાત્મક (Autobiographical) લેખનથી આગળ વધી રહ્યા છે. તેઓ આ સાહિત્યિક પરંપરાના બદલાતા જુસ્સા, સંઘર્ષ અને ભવિષ્ય પર વિવિધ દૃષ્ટિકોણ રજૂ કરે છે. વિહાગ વૈભવ જણાવે છે કે લાંબા સમયથી આત્મકથા દલિત સાહિત્યનો મુખ્ય પ્રકાર રહ્યો છે, જે જીવનની કઠોરતા અને તીવ્રતાને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. આજનો સૌથી મોટો પડકાર આત્મકથાત્મક લેખનથી આગળ વધીને અન્ય સાહિત્યિક શૈલીઓને સ્વીકારવાનો છે. પરંતુ આ પરિવર્તન ફક્ત ત્યારે જ શક્ય છે, જો આપણે ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરીએ અને આપણા દૃષ્ટિકોણ પર પુન:વિચાર કરીએ. તેઓ સાહિત્યમાં ઊંડાણ અને કલાત્મક વિવિધતા માટેની હિમાયત કરે છે. તેઓ કહે છે કે મૂડીવાદે આ ક્ષેત્રને પણ બદલી નાખ્યું છે. 

લેખિકા અનિતા ભારતી માને છે કે આજે દલિત સાહિત્ય ઘણી મજબૂત સ્થિતિમાં છે. તેઓના મત મુજબ દલિત સાહિત્યનું સર્જન ફક્ત હિન્દીમાં જ નહીં પરંતુ ઘણી અન્ય ભાષાઓમાં પણ ઝડપથી થઈ રહ્યું છે. ફક્ત કવિતાઓ અને વાર્તાઓ જ નહીં, પરંતુ ડૉ. બાબા સાહેબ આંબેડકરનાં લખાણો, દલિત ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય વિષયો પર પણ મોટી સંખ્યામાં લેખન કાર્ય થઈ રહ્યું છે. અન્ય એક યુવા લેખકનું માનવું છે કે આજે પણ સાહિત્ય જગતમાં પ્રભાવશાળી વ્યક્તિઓનું વર્ચસ્વ છે અને દલિત સહિત હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયનો અવાજ આજે પણ પોતાની ઓળખ અને સ્વીકૃતિ માટે લાંબો સંઘર્ષ કરી રહ્યો છે. દલિત લેખિકા સુનિતા મંજુ જણાવે છે કે, “શરૂઆતમાં દલિત સાહિત્યને માન્યતા માટેનો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે તે પારંપરિક સાહિત્યિક માપદંડો પર ખરું ઉતરતું નહોતું. પરંતુ, સમય જતાં હવે તેને સ્થાન અને સ્વીકૃતિ મળી છે.” જ્યારે બીજી બાજુ કોલકાતાની લેખિકા જણાવે છે કે “અમે તેઓની સાહિત્યિક પરંપરામાં સામેલ થવા માટે લખી રહ્યા નથી. અમે અમારી પોતાની પરંપરા બનાવવા માટે લખી રહ્યા છીએ.” 

દલિત સાહિત્યના પ્રકાશન બાબતે રાજકમલ પ્રકાશન તરફથી એવો દાવો કરવામાં આવે છે કે “રાજકમલ પ્રકાશન સમૂહે દયા પવાર, દલપત ચૌહાણ, પી.ઈ. સોનકાંબલે, રામ નાગરકર, નરેન્દ્ર જાધવ જેવા લેખકોના હિન્દી પુસ્તકો સૌપ્રથમ પ્રકાશિત કર્યા હતા. છેલ્લા એક દાયકામાં અમારા પ્રકાશનના 23 સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાંથી 6 દલિત-આંબેડકરવાદી સાહિત્ય પરના પુસ્તકો છે.” પરંતુ, આ બાબતે લેખિકા અનિતા ભારતી કહે છે કે, “પ્રકાશકો સામાન્ય રીતે ‘રોમાંચક’ અથવા ‘સનસનાટી’વાળી રચના પસંદ કરે છે, અને તેઓ જટિલ અથવા પ્રયોગાત્મક દલિત સાહિત્યમાં રોકાણ કરવા નથી ઇચ્છતા.” એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે કે જેમાં ફક્ત અગાઉથી સ્થાપિત અને જાણીતા નામને જ તક મળે છે. જેથી નવા અથવા ઉભરતા દલિત લેખકો માટે મુખ્ય પ્રકાશકો સાથે જોડાવવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. જેના પરિણામે ઘણાં દલિત લેખકોને તેમનાં પુસ્તકો જાતે જ પ્રકાશિત કરવાની અથવા નાના અને સ્વતંત્ર પ્રકાશકો પર આધાર રાખવાની ફરજ પડે છે કે જેમની પાસે મર્યાદિત સંસાધનો અને વિતરણ નેટવર્ક હોય છે. જેથી લેખનની પહોંચ પણ ઘણી મર્યાદિત થઈ જાય છે. દલિત દસ્તક અને દાસ પબ્લિકેશન્સના સ્થાપક સંપાદક કહે છે કે, “દલિત સાહિત્યને મર્યાદિત વિષય તરીકે જોવામાં આવે છે. દલિત સાહિત્યની નબળી વિતરણ વ્યવસ્થા અને જાણીતાં પુસ્તકોની દુકાનોમાં સ્થાન મેળવવામાં મુશ્કેલી જેવા પડકારોનો સામનો કરવો પડે છે. યોગ્ય મીડિયા કવરેજનો અભાવ હોય જેમાં વ્યાવસાયિક અને સામાજિક કારણો પણ જવાબદાર છે. આ તમામ કારણોસર બજારમાં દલિત સાહિત્ય મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે.” જો આપણે સામાજિક ન્યાયના વિચારમાં વિશ્વાસ રાખીએ છીએ અને દલિત લેખનને માત્ર વાંચવા નહીં પરંતુ, તેને સમજવા તેમ જ અનુભવવા માગીએ છીએ તો આ પ્રકારની ગંભીરતાથી આગામી સમયમાં દલિત સાહિત્ય ઘણું વિસ્તૃત થશે.

(સ્રોત – બી.બી.સી હિન્દી. http://bbc.com/hindi/articles/cq534ydx9l8o)
e.mail : nbhavsarsafri@gmail.com

Loading

ટ્રમ્પ, ગુલામીનો ઇતિહાસ, ભેરપ્પા અને ‘આવરણ’ 

સોનલ પરીખ|Opinion - Opinion|13 November 2025

ઇતિહાસના અભ્યાસનું ધ્યેય એક જ છે, સત્યની શોધ. જ્યારે જ્યારે ઇતિહાસને સ્વીકારી, એમાંથી શીખીને આગળ વધવાની પ્રામાણિક કોશિશને બદલે ઇતિહાસને ‘અનુકૂળ’ બનાવવાના પ્રયત્નો થાય છે ત્યારે સમસ્યાઓ સમય સાથે હલ થવાને બદલે નવા નવા રૂપે દેખા દે છે. ઇતિહાસને સ્વીકારવાની નૈતિક હિમ્મત અને એ પછી ઇતિહાસને ઓળંગી આગળ વધવાની વિવેકપૂર્ણ પરિપક્વતા આ બન્ને હોય તો જ સાચા અર્થમાં સૌહાર્દ સ્થપાય અને પ્રગતિ થાય

એસ.એલ. ભૈરપ્પા

અમેરિકાના ઇતિહાસમાંથી ગુલામીનું પ્રકરણ ભૂંસવાની કોશિશ કરી ટ્રમ્પે તેના ઉપાડાઓ પર નવું છોગું ચડાવ્યું છે. દરમિયાન કન્નડ ભાષાના મહાન લેખક ડૉ. એસ.એલ. ભૈરપ્પાના અવસાનના સમાચાર આવ્યા છે. આ બંને ઘટનાઓ સાથે ઇતિહાસની તોડમરોડ કરવાની વૃત્તિ જુદી જુદી રીતે સંકળાયેલી છે. 

અમેરિકામાં ગુલામી પ્રથાની શરૂઆત 1619માં ‘ધ વ્હાઇટ લાયન’ નામનું જહાજ વીસ આફ્રિકનોને ગુલામ તરીકે લઇ આવ્યું ત્યારથી થઈ ગણાય છે. એ વખતનું અમેરિકા એટલે યુરોપના દેશોની વસાહતોનું ઝૂમખું. સત્તરમી સાદી પૂરી થઈ ત્યાં સુધીમાં તમામ યુરોપિયનો ગુલામો રાખતા થઈ ગયા હતા. ઓગણીસમી સદીમાં આફ્રિકાથી 60થી 70 લાખ ગુલામો લવાયા હતા. બે સદી સુધી એમની સાથે આચરાતી રહેલી અમાનુષી ક્રૂરતાના પુરાવાઓ ટ્રમ્પ સરકાર ભૂંસી નાખવા માગે છે? 

ત્રણેક વર્ષ પહેલા આપણે ત્યાં જ્ઞાનવાપી મસ્જિદની ચર્ચા ચાલી હતી. જેને તોડીને એ મસ્જિદ બની એ કાશી વિશ્વનાથના મંદિરનો ધ્વંસ એક ઐતિહાસિક ઘટના તરીકે કન્નડ નવલકથા ‘આવરણ’માં ખાસ્સાં પંદરેક પાનામાં નોંધાયેલો છે. પદ્મભૂષણ અને સરસ્વતી સન્માન પ્રાપ્ત ભૈરપ્પાની 2007માં લખાયેલી ‘આવરણ’ની પાંચ જ વર્ષમાં 28 આવૃત્તિ થઈ અને અંગ્રેજી સહિત ભારતની નવ ભાષામાં તેના અનુવાદ થયા. 2013માં ભારતીય વિચાર મંચે તેનો ગુજરાતી અનુવાદ આપ્યો. હવે અરુણોદય પ્રકાશન દ્વારા થયેલો તેનો વિસ્તૃત અનુવાદ પણ ઉપલબ્ધ છે.

સર્જક પ્રસ્તાવનામાં ‘આવરણ’નો અર્થ નોંધે છે – ‘વિસ્મરણથી સત્યને ઢાંકી દેનારી માયાને આવરણ કહે છે.’ કયું સત્ય, શાનું વિસ્મરણ, કયું આવરણ તેમને અભિપ્રેત છે? જાણીતા ઇતિહાસકાર એન.એસ. રાજારામ કહે છે, ‘“આવરણ” વાંચતી વખતે ડેન બ્રાઉનની “દા વિંચી કૉડ” યાદ આવી ગઈ. સ્વાર્થી અને પ્રભાવી શક્તિઓ દ્વારા સાચા ઇતિહાસને દબાવી દઈ ખોટા ઇતિહાસનો પ્રચાર એ આ બન્નેનું સમાન સૂત્ર છે. એ નવલકથામાં કેથલિક ચર્ચ અને તેના કુટિલ કારસ્તાનોમાં સહભાગી ઓપસ ડે જેવી સંસ્થાઓ ખલનાયક છે, અહીં રાજકીય સ્વાર્થ અને વ્યક્તિગત હિતના કારણે ઉપલબ્ધ રેકૉર્ડ્સ દબાવી રાખનારા કહેવાતા ઇતિહાસકારો અને બુદ્ધિજીવીઓ ખલનાયક છે.’ 

શરૂઆત, ડૉક્યુમેન્ટરી ફિલ્મમસર્જક આમિર અને એની સંશોધક-પટકથાકાર પત્ની રઝિયા(પૂર્વાશ્રમની લક્ષ્મી)ના હમ્પીના હોટેલરૂમમાં થાય છે. વધુ સમય વેડફ્યા વિના લેખક ભૈરપ્પા, આમિરને ‘મૌલાના શૈલીની નહીં પણ માર્ક્સિસ્ટ અને બુદ્ધિજીવીઓને શોભે એવી દાઢીવાળો’ અને રઝિયાને સ્ત્રીપુરુષ સમાનતા પર દલીલ કરતી વર્ણવીને બન્નેને પ્રોગ્રેસિવ જાહેર કરી દે છે. પુરાતત્ત્વકેન્દ્રો વિશે દસ્તાવેજી ફિલ્મો બનાવવાના પ્રોજેક્ટમાં હમ્પી પ્રોજેક્ટ આમિરને સોંપાયો છે. સરકારનો અઘોષિત આદેશ છે કે બાબરી મસ્જિદ ઘટનાથી અલ્પસંખ્યકોના મનમાં જાગેલા અસંતોષને ધ્યાનમાં રાખવાનો છે – હમ્પીને આ દૃષ્ટિથી જોઈ, ચારપાંચ ગ્રંથો ઊથલાવી રઝિયા સ્ક્રીપ્ટ લખશે. ફિલ્મ બનાવવાના લાખો રૂપિયા મળવાના છે. પણ હમ્પીનાં તૂટેલાં મંદિરો જોઈ રઝિયા ક્ષુબ્ધ છે. આ કોણે કર્યું અને કેમ કર્યું તે કહેવું પડશે. આમિર કહે છે, ‘જરૂર કહેજે. વિજયનગરની સંપત્તિ જેમના શોષણ પર ઊભી થઈ હતી એ શ્રમિકોએ અને શૈવ-વૈષ્ણવના સંઘર્ષે જ તોડ્યાં છે આ મંદિરો.’ રઝિયા આ માનવા તૈયાર નથી.

રઝિયા એટલે ફાયરબ્રાન્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ લક્ષ્મી. પૂના ઇન્સ્ટિટ્યૂટમાં સાથે ભણતા આમિરને પરણીને ‘તેણે ઈસ્લામ ધર્મ અને રઝિયા નામ અપનાવ્યાં તેને વર્ષો થઈ ગયાં છે. ચુસ્ત બ્રાહ્મણ પિતાના ‘તમારા બન્નેથી જન્મનાર કોઈને કોઈ પેઢીએ આપણાં મંદિરના ધ્વંસ કરશે. એમના ધર્મમાં મંદિરો અને મૂર્તિઓ તોડવાનું ફરમાન છે.’ આવા શબ્દોને અવગણી તેણે ગામ છોડ્યું છે. કલા અને બુદ્ધિજીવીઓની દુનિયામાં બન્ને આગળપડતાં છે. ધર્મ તો અફીણ છે કહી બંનેએ ધર્મની માન્યતાઓ અને ક્રિયાકાંડોને પડતાં મૂક્યાં છે ને બહાદુરીપૂર્વક હિંદુ ધર્મને વખોડી ઈસ્લામની પ્રશંસા કરી છે. 

પિતાનું મૃત્યુ થતાં રઝિયા ઉર્ફ લક્ષ્મી અઠ્ઠાવીસ વર્ષે ગામ જાય છે, પિતાએ ઇતિહાસના અભ્યાસ માટે વસાવેલાં ગ્રંથો-પુસ્તકો જુએ છે, પિતાએ કરેલી નોંધો વાંચે છે, રસ પડતાં પોતે પણ સંશોધન કરે છે અને હમ્પી પર ખોટાં અર્થઘટનોવાળી સ્ક્રીપ્ટ લખવાની અને ધર્માંધ, ક્રૂર ટીપુ સુલતાનને રાષ્ટ્રવીર અને ધર્મસહિષ્ણુ બતાવતું નાટક લખવાની ના પાડે છે.

દરમિયાન અભ્યાસમાં ડૂબી ગયેલી ને પુરાવા સાથે ઐતિહાસિક તથ્યો બતાવી નિરુત્તર કરી દેતી પત્નીથી વિમુખ બની આમિરે નાની ઉંમરની ને ઓછું ભણેલી ઝુબેદા સાથે નિકાહ કર્યા છે. આ બાજુ અમેરિકામાં ભણેલો દીકરો ચુસ્ત મુસ્લિમ બની સાઉદી અરેબિયા ચાલ્યો ગયો છે. 

રઝિયાને લાગે છે કે પિતાનો ગંભીર પુસ્તક લખવાનો આશય તો પોતે પૂરો નહીં કરી શકે. પોતે કલાકાર છે, કલ્પનાશીલ છે; ઇતિહાસનાં તથ્યોને એક નવલકથા રૂપે સામે લાવશે. નવલકથાનું પાત્ર નવલકથા લખે એ કલ્પન અનોખું છે. આમ ‘આવરણ’નો ત્રીજો ભાગ પૂરો થયા પછી એક નવલકથા શરૂ થાય છે. એનો નાયક છે રાજસ્થાનનો એક રજપૂત રાજકુમાર. ઔરંગઝેબના સૈન્યે એક આક્રમણ વખતે 17 વર્ષના આ રાજકુમારને કેદ કરી મુસ્લિમ બનાવી દીધો છે. ખૂંખાર મોગલ સરદારોના ભરપૂર શારીરિક શોષણનો ભોગ બનતા, એકથી બીજા સરદારોને વેચાતા કે ભેટમાં અપાતા રાજકુમાર(ખ્વાજા જહાન)ને અંતે હીજડો બનાવાઈ જનાનખાનામાં ગુલામી કરવા રખાય છે. કાશી વિશ્વનાથ મંદિરના ધ્વંસનું નીકળતું ફરમાન, લશ્કરે કાશી જાય છે મંદિરનો કરેલો ધ્વંસ, મથુરા અને અન્ય મંદિરોમાં થતું તેનું પુનરાવર્તન, શાહજહાંનું મૃત્યુ, ઔરંગઝેબે કરેલી ભાઈઓની કતલ અને ચુસ્ત મુસ્લિમ તરીકે મેળવેલું માન, હિંદુ પ્રજાની હાલાકી, મંદિરોનો ધ્વંસ, શિવાજીનું પકડાવું અને ભાગી જવું, પૂજારીઓ-પંડિતોનું રખડતા થઈ જવું આ બધું એ નવલકથામાં આવે છે. લેખકે મૂળ નવલકથા અને આ નવલકથા સમાંતરે ચલાવી છે.

રઝિયા અને આમીર ઉપરાંત એક મહત્ત્વનું પાત્ર તે પ્રો. શાસ્ત્રી. પ્રો. શાસ્ત્રી અલ્પસંખ્યકોને ઊજળા ચીતરતો ઇતિહાસ બનાવવા માગતા સરકારી એજન્ડાને વફાદાર છે. આડંબરપૂર્વક બૌદ્ધિક દલીલો ને ચર્ચાઓ કરી, ઇતિહાસના સત્યને નેવે મૂકી મુસ્લિમ શાસકોને ધર્મસહિષ્ણુ અને હિંદુઓને સંકુચિત-પૂર્વગ્રહપીડિત ઠરાવતી બુદ્ધિજીવી જમાતના તેઓ અગ્રણી છે. પ્રો. શાસ્ત્રી રઝિયાના ગામના છે. માબાપે એમને ત્યાગી દીધા છે, કેથલિક પત્ની સાથે કદી સારા સંબંધ થયા નથી. દીકરો પંજાબી સ્ત્રીને પરણી દૂર ચાલ્યો ગયો છે, દીકરીને લગ્નવય વીતી જતાં રઝિયાના દીકરા નઝીર સાથે, ધર્માંતર અને નામપરિવર્તન કરી પરણાવવી પડી છે. માનું મૃત્યુ થાય છે ત્યારે કર્તવ્યપરાયણ પુત્ર બની શ્રાદ્ધ કરવું કે પોતાની માર્કસિસ્ટ છબિ જાળવવી એની દ્વિધા એમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકે છે. આ ‘કન્ફ્યુઝ્ડ લિબરલ’ પાત્ર ઘડી ભૈરપ્પાએ સર્જકપ્રતિભાનું શિખર સર કર્યું છે. 

આ પ્રોફેસર શાસ્ત્રી કહે છે, ‘હિંદુમુસ્લિમ એકતા જરૂરી નથી શું?’ ત્યારે રઝિયા કહે છે, ‘ખૂબ જરૂરી છે અને એ માટે કામ કરવું જ જોઈએ, પણ જે બની ચૂક્યું છે એનો ઈનકાર કેવી રીતે થાય? એના સ્વીકાર પર જ આગળ વધવું પડશે. જાપાનીઓએ પૂર્વજોએ આચરેલી ક્રૂરતાનો અને જર્મન પ્રજાએ હિટલરના નાઝીવાદનો કરેલો સ્વીકાર અને અફસોસ આપણી સમક્ષ છે જ. દુનિયા પણ એમના એ કૃત્યોને પકડીને બેઠી નથી.’ રઝિયા પછીથી કોઇપણ દબાણ કે પરિસ્થિતિને વશ ન થતાં ઇતિહાસ પરનાં આવરણો દૂર કરવા નવલકથા પર પ્રતિબંધ, પુસ્તકોની જપ્તી, બહિષ્કાર અને ધરપકડ વ્હોરી લેવા સુધીનો સંઘર્ષ કરે છે. ‘આવરણ’ને પ્રોવોકેટિવ, આત્મકેન્દ્રી, વિભાજનવાદી, ટૂંકી દૃષ્ટિની અને ઉશ્કેરણીજનક ગણનારા સમીક્ષકો ઓછા નથી. નવલકથાના અંતે લેખકે 127 સંદર્ભપુસ્તકોની યાદી આપી છે અને તેમનો દાવો છે કે ‘આવરણ’ના દરેક વિધાન પછળ નક્કર ઐતિહાસિક સાબિતીઓ છે. 

સમજવાનું એ કે જ્યારે ઇતિહાસને સ્વીકારી, એમાંથી શીખીને આગળ વધવાની પ્રામાણિક કોશિશ કરવાને બદલે ઇતિહાસને ‘અનુકૂળ’ બનાવવાના પ્રયત્નો થાય છે ત્યારે સમસ્યાઓ સમય સાથે હલ થવાને બદલે નવા નવા રૂપે દેખા દે છે. ઇતિહાસના અભ્યાસનું ધ્યેય એક જ છે, સત્યની શોધ. ઇતિહાસ સાથે છેડછાડ કરવી એ અપરાધ છે. ઇતિહાસને સ્વીકારવાની નૈતિક હિમ્મત અને એ પછી ઇતિહાસને ઓળંગી આગળ વધવાની વિવેકપૂર્ણ પરિપક્વતા આ બન્ને હોય તો જ સાચા અર્થમાં સૌહાર્દ સ્થપાય અને પ્રગતિ થાય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 29 સપ્ટેમ્બર  2025

Loading

...1020...28293031...405060...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved