Opinion Magazine
Number of visits: 9685150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉર્ડ મેઘનાદ દેસાઈ અને ભારતીય લોકશાહી વિષયક ચિંતન

ડંકેશ ઓઝા|Opinion - Opinion|7 March 2019

લૉર્ડ મેઘનાદ દેસાઈ ગુજરાતના બૌદ્ધિકોમાં અજાણ્યા નથી. મેઘનાદ માર્ક્સવાદના અભ્યાસી છે. તે અંગેના તેમનાં ઘણાં પુસ્તકો પણ છે. દિલીપકુમાર વિશે પણ તેમનું પુસ્તક છે, તો વળી ભગવદ્‌ગીતા કોણે લખી એવું પવિત્ર પુસ્તકનું બિનસાંપ્રદાયિક તપાસ કરતું પણ તેમનું પુસ્તક છે. પાકીઝા વિશે પણ તેમણે લખ્યું છે. તદ્‌ઉપરાંત ઘણાં પુસ્તકો તેમણે સંપાદિત પણ કર્યાં છે. આપણા અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અને અન્ય આર્થિક પત્રોમાં તેઓ આર્થિક વિષય પર કૉલમ લખે છે.

ઑગસ્ટ ૧૯૬૧માં એકવીસ વર્ષની ઉંમરે તેઆ ભારત છોડીને વિદેશ ભણવા ગયા. તે પછી લંડનમાં સ્થાયી થયા છે. માતૃભૂમિ વિશેનો તેમનો રસ અકબંધ રહ્યો છે. થોડા દૂર હોવાને કારણે પોતે દેશના પ્રવાહો પર તટસ્થ નજરથી જોઈ શકે છે, તેવો તેમનો દાવો છે. જો કે ટી.વી. કાર્યક્રમોમાં જ્યારે ભારત વિશે તેઓ ક્યારકે ઘસાતી ટીકા કરે છે, ત્યારે તેમને પણ ‘વિદેશી’ હોવાની ગાળ ખાવી પડે છે! છેક ૧૯૬૭થી તેઓ ભારત વિશે લખતા રહ્યા છે. તેમનું ભારત વિશેનું પુસ્તક છે : ્The Rediscovery of India‌ (૨૦૦૯). તેમાં ૧૪૯૮માં પોર્ટુગીઝોનું ભારતમાં આગમન થયું, ત્યારથી ભારતના પશ્ચિમ સાથે પડેલા પનારાની વાત છે.

The Raisina Model (૨૦૧૭) એમનું નવું પુસ્તક છે, જે સિત્તેર વર્ષની ભારતીય લોકશાહીની સમીક્ષા કરે છે. પુસ્તક માત્ર ૧૯૪ પાનાંનું છે, નાનાં નાનાં સાત પ્રકરણોમાં વિભાજિત છે. ભારતીય લોકશાહી કેવા સંઘર્ષોમાં ટકી ગઈ, કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેનો સમગ્ર આલેખ બહુ ટૂંકમાં છતાં બહુ સ્પષ્ટપણે વાચકને પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશમાં લેખક સફળ રહ્યા છે. ૨૦૦૨ની જે દર્દનાક ઘટના ગુજરાતને, સહેવાની આવી, ત્યારે અંગ્રેજી સામયિક ‘સેમિનાર’માં તેમણે ‘ભસ્મિતા’ શબ્દ વાપરલો જે ગુજરાતની અસ્મિતાના વિરોધી કાકુને સ્પષ્ટ કરતો હતો. આમ છતાં મેઘનાદની એકંદર છાપ (ભલે તે સાચી કે ખોટી હોય) ભા.જ.પ.તરફીની રહી છે, જેનો પૂરતો ગેરલાભ તેમને ગુજરાતમાં મળે છે. પુસ્તકમાં પણ તેઓ વિમુદ્રીકરણના તરફદાર રહ્યા છે.

સૌથી મોટી વાત તો એ છે કે ૧૯૪૭માં આઝાદી વખતે દેશના જે ભાગલા થયા, બે દેશોમાં તેનું વિભાજન થયું. પછી પાકિસ્તાનના બે ભાગલા થયા છે. પણ ભારત ઘણાં બધાં વાવાઝોડાં છતાં એક રહી શક્યું છે. આજે ભારતને મહેચ્છા જાગી છે કે તે પણ વિશ્વની એક મહાસત્તા બને. આ વાતનો ઉલ્લેખ કરતાં મેઘનાદ દેસાઈ પુસ્તકમાં લખે છે કે આ માટે ભારતે પાડોશી દેશ ચીન સાથે યુદ્ધમાં ઊતરવું પડશે. પછી ભારત જો વિજયનેે વરે, તો સ્વપ્ન સાકાર થવાની શક્યતા, વાસ્તવિકતા બનેે! લેખક આખાબોલા છે. ગુજરાત વિવેકબૃહસ્પતિના નામે સુષ્ઠુ સુષ્ઠુ લેખન અને વક્તવ્ય કર્યા કરે છે, ત્યારે પશ્ચિમમાં જઈને અભ્યાસ કરનારા પ્રમાણમાં સ્પષ્ટવક્તા હોય છે. પાકિસ્તાન સાથે લડવાથી એક સરસાઈ સાંપડે પણ મહાસત્તાની મહેચ્છા હોય, તો તો ચીન સાથે જ જુદ્ધે ચઢવું પડે!

આવી તો ઘણી વાતો પુસ્તકમાં છે. એ રીતે આપણી લોકશાહીની તેમણે નિષ્પક્ષ તપાસ આદરી છે, તેથી આ પુસ્તક મહત્ત્વનું છે. આપણી મોટી સમસ્યા લઘુમતીની, દલિત-આદિવાસીની અને સ્ત્રી-સમાનતાની છે. આ આપણા સાચુકલા પ્રશ્નો છે. એનો ઉકેલ આપણે કેવોક કરી શકીએ છીએ, તેના પર ભાવિ અવલંબે છે. આર્થિક વિકાસ સિવાયનો આ માનવવિકાસ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ, બાકીમાં રહ્યો તે મૂડીવાદ ભારતીય સમાજને આડા અને ઊભા વહેરે છે, ત્યારે એકજૂટ કેવી રીતે રહેવું, એ નહીં ઉકલાયેલો કોયડો છે. એકબીજા પર દોષારોપણ થયા કરે છે. પણ ખાસ અંતર કપાતું નથી. અનામતનો સવાલ તો આ મોટા પ્રશ્નમાં નાની રીતે સમાયેલો છે. લેખક ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જે ઉદ્‌ગારો કરેલા તેનો ઊલ્લેખ કરે છે. સમય હતો કિનારે ઉભેલી બિહારની ચૂંટણીનો. ભા.જ.પ.ને તે વખતે ફેરવી તોળવું પડેલું. પણ વાત એ હતી કે જ્ઞાતિઓની ઉચ્ચાવચતા સમાપ્ત થાય, તો જ ભારતનો ઉદ્ધાર થાય, સંઘની છાપ જે કંઈ છે, તેને કારણે વિરોધપક્ષોએ અને બૌદ્ધિકોએ માનેલું કે સંઘ અનામત દૂર કરવાની વાત કરે છે એવું જ લઘુમતી સંદર્ભે પણ છે. આપણે મોટાભાઈપણું ચાલુ રાખીએ, તેથી તો સમસ્યા વકરવાનો સંભવ રહે છે, સમસ્યાનો ઉકેલ નથી આવતો. ગાંધીને આપણે રાષ્ટ્રપિતા કહ્યા, પરંતુ ગાંધીની વાત આપણને જચતી નથી. તેઓ ભારતમાં મુસ્લિમ લઘુમતીના પક્ષે હતા, તો પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીના પક્ષે હતા. આપણા જે ભારતીયો બહોળી સંખ્યામાં ગૌરવપૂર્વક અભ્યાસ અને રોજગાર અર્થે મુસ્લિમ દેશો સહિત વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થતા રહે છે, ત્યારે સ્વાભાવિકપણે જ આપણી લાગણી તો લઘુમતીના પક્ષે જ હોય છે! ઉકેલની વાત તો જવા દો, આપણે લઘુમતીની સમસ્યાને પૂરી રીતે સમજતા નથી અને સમજવાની તૈયારી પણ નથી.

આર્થિક વિકાસ, માનવવિકાસ, ભ્રષ્ટાચાર, કાશ્મીર, નાગાલૅન્ડ, નક્સલબારી આવા બધા જ પ્રશ્નોને લેખક આવરી લે છે. પ્રત્યેકને તપાસે છે. આધારભૂત વિગતો અને આંકડા સાથે તપાસે છે. બધી સમસ્યાઓના ઉકેલ અભ્યાસીઓ પાસે પણ હોતા નથી, એટલે તેઓ વાસ્તવિક પ્રશ્નો પેદા કરે છે. વાચકને યોગ્ય વિચારોનું ભાથું પૂરું પાડે છે. એમની ચિંતા તો એ છે કે આપણી પાસે વિવિધ પ્રકારના ઇતિહાસો હોવા જોઈએ. તે દિશામાં તો ભાગ્યે જ કશું થાય છે. આપણને ગાંધીએ અહિંસક રીતે આઝાદી અપાવી કે અન્ય હિંસક જૂથોનું પણ તેમાં યોગદાન હતું એ બાબતે આપણે કંઈ નહિ તો ઉદારમતવાદી પણ બની શકતા નથી. પછી પૂરું નહિ વાંચનારા ખોટા વિવાદો ઊભા કરે છે.

લેખક પુસ્તકના અંત ભાગમાં આ મુદ્દે કહે છે કે કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવન તરફથી આર.સી. મજુમદારના ઇતિહાસના અને સંસ્કૃતિના જે ૧૧ ગ્રંથો પ્રકાશિત કરાવેલા એ કક્ષાનું મહત્ત્વાકાંક્ષી આયોજન તે પછી કોઈએ કર્યું હોય એવું જાણ્યું નથી. આજની સમસ્યા તો આ છે. આપણી પાસે તટસ્થ અભ્યાસો નથી, તટસ્થ અભ્યાસીઓ નથી. હમણાં ગુજરાત યુનિવર્સિટીએ જેમને ડૉક્ટરેટ પ્રદાન કરવાના નિર્ણય લીધા અથવા તો રાષ્ટ્રભક્ત નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ‘ભારતરત્ન’ માટે જેમની પસંદગી કરી, આ બધી બાબતોના મૂળમાં સવાલ તો ઇતિહાસદૃષ્ટિ અને ઇતિહાસના અભાવનો પડેલો છે.

આ નાનકડું પુસ્તક આપણી તટસ્થ દૃષ્ટિને સંકોરે છે, યોગ્ય દિશામાં વિચારવા મજબૂર કરે છે, આપણી સમસ્યાઓના ઉકેલ આપણે જ કરવાના છે, એ વાત ઘૂંટી આપે છે. ખોટી એકતા ઉપરથી થોપવાની નથી પરંતુ વૈવિધ્યને સમજીને એકતા ઊભી કરવાની છે. આપણને તો હજી આવી વિવિધતાનું ગૌરવ સુધ્ધાં પેદા થયું નથી, જે બતાવે છે કે દિલ્હી કેટલું દૂર છે!

ભારત એટલે શું ? એ અંગેના વિવિધ ખ્યાલો વિશેનું પ્રકરણ અત્યંત રસપ્રદ છે. ઘણા બધા પ્રશ્નો ઉત્તર ભારત અને  મધ્ય ભારતના છે. નીચે દક્ષિણનાં રાજ્યોને કે ઉત્તરપૂર્વનાં રાજ્યોને એ સમસ્યા સાથે સહેજે લાગતુંવળગતું હોતું નથી. આવા એક પ્રશ્નનું  ઉદાહરણ રામમંદિર છે, એવું લેખકે કહ્યું છે. આપણી ગરજે આવાં પુસ્તકોને આપણી દૃષ્ટિની સફાઈ માટે આપણે ખપમાં લેવાં ઘટે.

E-mail : dankesh.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 03 અને 04

Loading

રાજકીય વંશવાદનો લોકશાહી પર પડછાયો

ઈ.પી.ડબ્લ્યુ., ઈ.પી.ડબ્લ્યુ.|Opinion - Opinion|7 March 2019

રાજકારણમાં વંશવાદનો ફેલાવો એ ભારતીય લોકશાહીનો અંતરંગ વિરોધાભાસ છે.

જ્યારે ખાસ કરીને નેહરુ-ગાંધીપરિવારનું ફરજંદ ભારતના રાજકારણમાં ઝંપલાવે છે, ત્યારે રાજકીય વંશવાદની મહત્ત્વાકાંક્ષાને નવો પ્રાણવાયુ મળે છે. પૂર્વ ઉત્તરપ્રદેશના કૉંગ્રેસનાં મહાસચિવ પદે પ્રિયંકા ગાંધી વાડ્રાની નિમણૂક સામે વડા પ્રધાન સહિત ભારતીય જનતા પાર્ટી  (બી.જે.પી.)ના સભ્યો દ્વારા તાજેતરમાં રજૂ કરેલો હાઉ એમાં અપવાદ નથી. વિશેષાધિકૃત કૌટુંબિક પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિનો રાજકારણમાં પ્રવેશ એ આવા વાદવિવાદને જીવંત રાખે છે. ભા.જ.પ.ના પક્ષ પ્રવક્તા લોકશાહીના હાર્દને હણતી રાજકીય વંશવાદની મહત્ત્વાકાંક્ષા સામે રક્ષણની વાત કરે છે, પરંતુ તેના લોકશાહી માટે ખતરારૂપ એવી પોતાની રાજકીય વંશવાદની પ્રથા વિરોધાભાસ રૂપે જાળવી રાખે છે. આમ, વંશવાદી રાજકીય પક્ષ હોવા માટે કૉંગ્રેસ પાર્ટીની ટીકા કરતી વખતે, ભા.જ.પ. આપણને એ નથી જણાવતો કે શા માટે તેમની પોતાની રાજવંશની રાજનીતિની પ્રૅકટિસ પહેલાં કરતાં ગુણાત્મક રીતે ઉત્તમ છે.

ભા.જ.પ.નો આ પ્રતિભાવ પાખંડ હોવાની સાથે ઝટકો આપનારો પણ છે. તે વંશીય મહત્ત્વાકાંક્ષાના રાજકીયકરણ સમાનતા અને ન્યાયના દ્વિ-સિદ્ધાંતો માટે લોકશાહીની સમાનતાવાદી સામગ્રીને ગહન બનાવવાની ભૂમિકા ભજવે છે અને તેનાં નકારાત્મક પરિણામો ગણાવતી નથી.

લોકહિત ધરાવતા કે પ્રબુદ્ધ લોકો કે જે લોકશાહીનો અવકાશ મેળવીને જાતિ, ધર્મ, જાતિ અથવા પરિવાર પર આધાર રાખ્યા વગર લોકહિતનાં અદ્દભુત કાર્યો કરે છે. તેમના થકી લોકશાહી, વ્યક્તિનું રૂઢિચુસ્તમાંથી ઉદારમતવાદી વ્યક્તિમાં રૂપાંતર કરે છે. અને તે પક્ષના કાર્યકર્તાઓ સહિત સંપત્તિ, રાજકીય સંપર્કો અને માનવ – સંસાધનોનું સંચિત પરિણામ છે. આવી સ્વાયત્ત વ્યક્તિઓ માટે, કુટુંબનું રક્ષણ બોજ બની જાય છે, કારણ કે તે તેમને જે વાસ્તવિક લોકશાહી પ્રથા તરીકે માનવામાં આવે છે, તેવી સ્વ-સમજથી નકારે છે. વિરોધીની ટીકા કરવા માટે રાજવંશનો ઉપયોગ કરવાનું ગૂઢ રાજકારણ, અન્યથા સંભવિત રૂપે સક્ષમ વ્યક્તિને-પરિવારને પાછળ છોડી દેવાની અને રાજકારણમાં એક વાસ્તવિક પ્રતિસ્પર્ધક તરીકે બનાવવાની છૂટ આપતું નથી.

સમકાલીન ચૂંટણીની રાજનીતિમાં, તે વિશેષાધિકૃત પરિવારો છે, જે સફળ રાજકારણીઓ તરીકે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા લોકો માટે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયા છે. આવા પરિવાર ચૂંટણી લોકશાહીમાં નિર્ણયો લેવા અને નિર્ણયો લેતી સંસ્થાઓનું નિયમન કરવાનો અધિકાર ભોગવે છે. આવા પરિવારો પદની વહેંચણી ઉપર નિયંત્રણ રાખે છે, ખાસ કરીને ચાલુ સમયગાળામાં અને ચૂંટણી દરમિયાન. આવા પરિવારો પક્ષના ધારાસભ્યો પર વાસ્તવિક સત્તાનો ઉપયોગ કરીને સંપૂર્ણ નિયંત્રણનો આનંદ માણે છે. તેઓ તે ધારાસભ્યોને શિસ્તમાં રાખે છે અને જેઓ તેમનાં સૂચનોને અનુસરતા નથી, તેમના સ્થાને અન્ય ધારાસભ્યોને પક્ષમાં અથવા જાહેર સંસ્થાઓમાં ટોચની સ્થિતિમાં નિયુક્ત કરે છે.

આનુવંશિક રીતે, આવા વિશેષાધિકારનો ઉપયોગ જેમ બિલિયર્ડ ખેલાડીઓ બૉલને ગોઠવવા માટે લાકડીનો ઉપયોગ કરે છે, તેમ થાય છે. પાવર મુક્તપણે ઊભરતો નથી; પણ તે પરિવાર દ્વારા પરિવાર માટે વ્યક્ત વફાદારીના બદલામાં આપવામાં આવેલા વળતર તરીકે વિતરિત કરવામાં આવે છે. તે સામંતવાદનો એક નવો ચહેરો છે, કમનસીબે તેને અનુસરતા એવા લોકો છે જે સમાનતાવાદી લોકશાહીની સાચી ભાવનાનો ભોગ બનેલાને અનુસરે છે. આમ, કેટલાક દલિત અને આદિવાસી પરિવારોએ રાજવંશીય મહત્ત્વકાંક્ષા વિકસાવી છે, અને તેમના પોતાના પરિવારોમાંથી અનુગામીની ભરતી કરી છે.

કેટલાક દલિત અને આદિવાસી પરિવારો પરિવારને દાખલા રૂપે ધ્યાનમાં લઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે રાજકીય શક્તિની વંશીય સંસ્થા લગભગ નિયમિત પૅટર્ન બની રહી છે, અને તે શાસન બનવાની ધમકી આપી રહ્યું છે, રાજશાસન બનવાની. આ શાસનનાં મૂળ પૂર્વ-લોકશાહી સમાજોમાં છે. આવા સમાજોમાં, વારસા દ્વારા ઉત્તરાધિકાર શાસન હતું, શાસકનો પહેલેથી નિર્ણય લેવાઈ જતો હતો અને અનુયાયીઓની વફાદારી દ્વારા નિર્ણય કાયદેસર કરવામાં આવતો હતો. ચૂંટણી લોકશાહીમાં કુટુંબ દ્વારા નિયમન કરાયેલ રાજકીય ઉત્તરાધિકારનું અસ્તિત્વ પહેલાંના શાસકની જેવું જ છે.

ત્યારે ચૂંટણીના સ્થળે લોકશાહીકરણ કરવા માટે કેવી રીતે સ્થાયી પરિવારની પકડ ઓછી થઈ શકે? આ ધ્યેય હાંસલ કરવા માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ૭૩મો અને ૭૪મો બંધારણીય સુધારો સ્થાનિક સ્તરે સ્વશાસનમાં મહિલાઓને સશક્ત બનાવવા માંગે છે અને તે પારિવારિક પકડને દૂર કરવા તરફ એક પગલું છે. પરંતુ, રાજવંશીય પરિવારો રાજકારણ પર તેમની પકડ ફરીથી સ્થાપિત કરવા માટેના માર્ગો શોધી કાઢે છે. લોકશાહીના એરિસ્ટોટેલિયન નૈતિક સિદ્ધાંત – "હું શાસન કરીશ અને બદલામાં શાસન મેળવીશ" – પણ આ મહિલાઓના પરિવારને તરછોડાયેલા લોકોની તરફેણમાં મૂકતું નથી. તેના બદલે, આવા પરિવારોએ વંશના સિદ્ધાંત "અમારો પરિવાર શાસન કરશે અને રાજ ચાલુ રાખશે કે અન્ય કોઈ દ્વારા શાસન કરવાનો ઇન્કાર કરશે.”ને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. આ નિરાશાજનક પરિસ્થિતિમાં સમાનતા અને ન્યાયના દ્વિ-લોકશાહી સિદ્ધાંતોની પુનઃસ્થાપનની ખાતરી કરે અને પોતાના અંતરાત્મા પર શાસન કરે અને રાજવંશના શાસનને મંદ પાડે, તે પ્રકારે સામાન્ય મતદારોએ તેમના ચુકાદની સત્તા મેળવવા અને ઉપયોગ કરવાની જરૂર છે.

સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 04 

Loading

રસ્કિન વિશે

આશિષ મહેતા|Opinion - Opinion|5 March 2019

રેલવે-સ્ટેશનનું એક સામાન્ય દૃશ્ય. એક ભાઈ ગાડીમાં બેઠા છે. ગાડી ઊપડવાની તૈયારી છે. એમના મિત્ર બારીએ હાથ અઢેલીને પ્લૅટફૉર્મ પર ઊભા છે. ગાડીની સીટી વાગે છે. મિત્ર પોતાના થેલામાંથી એક પુસ્તક કાઢીને આવે છે, સફર ગાડીની કે જીવનની – થોડી ઓછી કંટાળાજનક રહે એ માટે.

હવે પછીનાં દૃશ્યો સામાન્ય નથી.

‘આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.’

૮ અને ૨૫ જૂન, ૧૯૦૪ દરમિયાન ગાંધીજીએ બે વખત ડરબનની મુસાફરી કરી. ઉપરની ઘટના એ સમયની છે, તેમ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની ત્રિદીપ સુહ્યદ દ્વારા સમીક્ષિત આવૃત્તિ જણાવે છે. મિત્ર હતા હેન્રી પોલાક. પુસ્તક હતું, અલબત્ત, Unto this Last જેના લેખક જ્હૉન રસ્કિનની ૨૦૦મી જન્મશતાબ્દી આ આઠમી ફેબ્રુઆરીએ ગઈ.

૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.

૨. વકીલ તેમ જ વાળંદ બંનેનાં કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.

૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

[સત્યના પ્રયોગો અથવા આત્મકથા પ્રકરણ : એક પુસ્તની જાદુઈ અસર]

આમ તો ગાંધીજીના જીવનનો સૌથી નાટ્યાત્મક પ્રસંગ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી બહાર ધકેલી મુકાયા તે ગણાય છે. એટનબરોની ફિલ્મે પણ એ માઇથોલૉજી ઘટનામાં ફાળો આપ્યો છે. ફિલ્મ માટે એ ઠીક હશે કારણ કે એ દૃશ્યમાં નાટ્યાત્મકતા છે. ચોપડી વાંચવાના દૃશ્યમાં એવી નાટ્યાત્મકતા નથી. પણ હકીકત એવી છે કે પ્લૅટફૉર્મ પર રાત વિતાવ્યા પછી બીજે દિવસે ગાંધીજીએ મુસાફરી આગળ ધપાવી હતી. અને એમાં પણ રંગભેદના અનુભવો ચાલુ રહ્યા હતા. પણ રસ્કિનનું પુસ્તક વાંચ્યા પછી ગાંધીજી થોડા કલાકોની પણ રાહ જોયા વિના ફિનિક્સ વસાહત સ્થાપીને ‘સાદું મજૂરીનું જીવન’ જીવવાના આયોજનમાં લાગી ગયા હતા. એપિફેનીનો દાવો કોઈ રેલવે-સ્ટેશનનો હોય તો તે પિટર મેરિટ્‌ઝબર્ગનો નહિ, પણ જોહાનિસબર્ગની એલોફ સ્ટ્રીટ પરના ઓલ્ડપાર્ક સ્ટેશનનો હોવો જોઈએ.

પુસ્તકોની જેનરોમાં એક છે સેલ્ફ-હેલ્પ. ગુજરાતીમાં એક સમયે વનરાજ માલવી આવાં પુસ્તકો લખતાં, જેમ કે, ‘તમારી માનસિક કાબેલિયત કેવી રીતે દસ ગણી કરશો.’ અંગ્રેજીમાં સેલ્ફ-હેલ્પનું બજાર નિશાળ રહ્યું છે. બસ, આ ચોપડી વાંચો અને તમારું જીવન કે પ્રારબ્ધ પલટાઈ જશે. પણ આ જેનરમાં નૉર્મન થિન્સેન્ટ પીલ જેવા નીચલી પાયરીએ આવે. તો બીજે છેડે માર્ક્સ ઓરેલિયસ કે શાસ્ત્ર-અધ્યાત્મ પણ આવે. ગાંધીજીને આવાં પુસ્તકો માટે વળગણ તો હતું. છેલ્લા બે-એક દાયકામાં પશ્ચિમમાં જૂના જમાનાના દાર્શનિકો કે લેખકોનું ડહાપણ – વિઝડમ સારી પેઠે પૅકેજ કરીને રજૂ કરવાનો ટ્રેન્ડ ચાલે છે. દાખલા તરીકે, ‘હાઉ પ્રુસ્ત કેન ચેન્જ યૉર લાઇફ’ :  ફ્રૅન્ચ નવલકથાકાર માર્સેલ પ્રુસ્ત કેવી રીતે તમારું જીવન બદલી શકે છે. આમ તો ચોપડા વાંચે જીવન ખાસ બદલાતાં નથી, પણ રસ્કિને એ પ્રુસ્ત અને આપણા મહાત્મા-બંનેનાં જીવન બદલી નાંખ્યાં.

તો ચોપડી વાંચીને તરત શહેર બહાર વસાહત સ્થાપી. આ સમયે ગાંધીજી હજુ ‘આત્મિક કેળવણી’માં નવોદિત જ હતા, માટે વસાહતના સામૂહિક જીવનમાં એ બધા નીતિનિયમો નહોતા, જે પછીના પ્રયોગોમાં આવનારા હતા. નામ પણ ‘ફિનિક્સ સેટલમેન્ટ’ હતું, ‘ફિનિક્સ આશ્રમ’ નહીં. પણ ફિનિક્સ વિના ટૉલ્સ્ટૉય ફાર્મ, સત્યાગ્રહ આશ્રમ કોચરબ / સાબરમતી અને સેવાગ્રામ, વર્ધાનો નકશો કેવી રીતે રચાત ?

રસ્કિનની વાત પર પછી આવીએ, પહેલાં ‘જાદુઈ અસર’ની વાત જારી રાખીએ.

૧૯૦૬માં કોઈ ગોરા લોકોએ ગાંધીજીના અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ સામે છેક લંડનમાં ફરિયાદ કરી. ગાંધીજીએ પોતાની સફાઈમાં પત્ર લખ્યો બ્રિટનના થાણા વહીવટના પ્રધાન લૉર્ડ એલ્જિનને. પોતાનું અખબાર ધંધાવેપાર માટે કે ટંટાફસાદ માટે નથી, એવો દાવો કરીને ગાંધીજીએ ઉમેર્યું કે ‘ઇન્ડિયન ઓપિનિયન’ તો ટૉલ્સ્ટૉય અને રસ્કિનની રાહદોરી પર ચાલે છે.

૧૯૦૮માં ગમતાનો ગુલાલ કરીને ગાંધીજીએ રસ્કિનના પુસ્તકનો સંક્ષેપ ગુજરાતીમાં નવ હપતે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાચકો સમક્ષ રજૂ કર્યો. (આ જ અરસામાં તેમણે સૉક્રેટિસના બચાવનામાનો પણ આવો સંક્ષેપ ગુજરાતીમાં રજૂ કર્યો હતો. એ રીતે ગાંધીજી સોક્રેટિસ અને રસ્કિનના વિચારોને એકસમાન આસન પર મૂકતા લાગે.) રસ્કિનના પુસ્તકનું શીર્ષક બાઇબલની એક વાર્તા પરથી છે, જેનો સીધો તરજુમો કરવાના બદલે ગાંધીજીએ મતલબનો ગુજરાતી શબ્દ ઊભો કર્યો અને એ શીર્ષકમાં ગાંધીજીની પૂરી વિચારધારા સમાઈ જાય એમ છે – सर्वोदय. અનુવાદ, ભાષા-અંતર અને અર્થઘટનના બીજા પણ પ્રશ્નો અહીં જોવા મળે છે. જેમ કે રસ્કિનના પહેલા નિબંધનું શીર્ષક ‘ધ રૂટ્‌સ ઑફ ઑનર’, સમ્માન કે ઇજ્જતનાં મૂળ. ગાંધીજીના તરજુમામાં વંચાય છે. ‘સાચનાં મૂળ’. સત્યને ઈશ્વર ગણવાની દિશામાં આગળ વધી રહેલા અનુવાદક માટે એ વધારે યોગ્ય છે.

એ અસરામાં સત્યાગ્રહના કારણે જેલમાં જવાનું થયું. ત્યાં ‘બીજી ઉપાધિ ન હોવાથી શાંત મને વાંચી શકાય.’ મારો જેલનો બીજો અનુભવ-૫ : જેલમાં શું વાંચ્યું.’ એ મથાળા હેઠળ ૧૯૦૯માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અધિપતિ વાચકને રિપોર્ટ આપે છે : ‘બહુ ઓછો વખત રહેતો છતાં મહાન રસ્કિનનાં બે પ્રખ્યાત પુસ્તકો, મહાન થૉરોના નિબંધો, બાઇબલનો કંઈક ભાગ, ગેરિબાલ્ડીનું જીવન (ગુજરાતીમાં), લૉર્ડ બેકનના નિબંધ (ગુજરાતીમાં) હિન્દુસ્તાનને લગતી બે બીજી અંગ્રેજી ચોપડીઓ, એમ વાંચ્યા … રસ્કિન તથા થૉરોનાં લખાણોમાંથી સત્યાગ્રહ શોધી શકાય છે.’

જેલમાંથી પુત્ર મણિલાલને પત્ર, ૨૫ માર્ચ ૧૯૦૯ : ‘હું હમણાં એમર્સન, રસ્કિન અને મૅઝિનીનાં પુસ્તકો વાંચું છું.’ બે વરસ પહેલાં છગનલાલ ગાંધીને પણ આદેશ કરેલો : મહેરબાની કરીને રસ્કિનનું પુસ્તક વાંચો.

દિનવારીમાં પછી આવે, રહી ન શકાયું, ત્યારે જ લખેલું ‘હિન્દ સ્વરાજ’. सर्वोदय તરજુમાનાં છેલ્લાં પાનાંમાં ગાંધીજીએ સંક્ષેપ પછી ‘સારાંશ’ નામે પાંચમું પ્રકરણ ઉમેર્યું છે, જે રસ્કિનના વિચારો હિન્દુસ્તાનને કેવી રીતે લાગુ પડે તે વિશે છે. ત્યાં ગાંધીજી સ્વરાજ્ય વિશે લખવાનું શરૂ કરે છે અને ‘હિન્દ સ્વરાજ’ એનું અનુસંધાન કે વિસ્તાર લાગે. અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં તેમજ પહેલા પરિશિષ્ટમાં વધુ વાચનની ભલામણોમાં (‘સમ ઑથોરિટીઝ’) રસ્કિનનો અને તેમનાં બે પુસ્તકોનો ઉલ્લેખ છે. (‘અનટુ ધિસ લાસ્ટ’ અને ‘જૉય ફોર એવર’).

આત્મકથામાં રાયચંદભાઈ ઉર્ફે શ્રીમદ્ ‌રાજચંદ્ર વિશેના પ્રકરણના અંતે જે રેન્કિંગ આવે છે, તે અલગઅલગ ઠેકાણે વારંવાર વાંચવા મળે છે.

‘મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના वैकुंठ तारा हृदयमां छे નામના પુસ્તકથી, ને રસ્કિને अनटु धिस लास्ट – सर्वोदय નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’

આવી ટોપટેન જેવી યાદી – ‘લિસ્ટિકલ’ – શ્રીમદ્‌ રાજચંદ્ર પરિચયગ્રંથની પ્રસ્તાવના(૧૯૨૬)માં પણ છે. ‘મૉડર્ન રિવ્યૂ’માં કવિ રાયચંદભાઈને અંજલિ આપતી વખતે પણ બીજા બે મહાપુરુષોને સાથે યાદ કર્યા છે. યરવાડા મંદિરથી પ્રેમાબહેન કંટકને પત્રમાં ગાંધીજી કહે છે કે ‘HERO એટલે પૂજ્ય દેવતા’ અને પોતાના ત્રણ હિરોની સાથે ચોથું નામ પણ ઉમેરે છે અને બીજા વાક્યમાં બાતલ કરી નાખે છે : ‘થૉરોને કદાચ મૂકી દેવો એ વધારે યોગ્ય છે’ (૧૯૩૧). સપ્ટેમ્બર, ૧૯૨૮માં ટૉલ્સ્ટૉય શતાબ્દી નિમિત્તે અમદાવાદ યુવકસભાના આશ્રયે આશ્રમમાં સભા યોજાઈ, તેમાં ગાંધી ફરી તેમના ત્રિદેવને સંભાર્યા વિના રહી શક્યા નહીં. પછી ક્રમ સ્પષ્ટ કરવા ઉમેર્યું, ‘ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિષે વધારે જાણું તો બેમાં કોને પહેલાં મૂકું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું.’

લંડનના પ્રતિષ્ઠિત સામયિક ‘સ્પેક્ટેટર’ના સંપાદક એવલિન રૈન્ચે, પોતાના ઘરે ઑક્ટોબર, ૧૯૩૧માં ગાંધીજીનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

પ્રશ્ન : કોઈ પુસ્તકે કદી આપના જીવનને અત્યંત પ્રભાવિત કર્યું છે. અને આપના જીવનમાં કોઈ અચાનક પરિવર્તન આવ્યું છે?

ઉત્તર : હા, મને સૌથી વધુ પ્રભાવિત કરનાર પુસ્તક રસ્કિનનું अनटु धिस लास्ट હતું … તેણે મારું આખું બાહ્ય જીવન પલટી નાંખ્યું. એને માટે બીજો કોઈ શબ્દ જ નથી. રસ્કિનના શબ્દોએ મારા ઉપર ભૂરકી નાંખી. હું એકી બેઠકે એ પુસ્તક વાંચી ગયો અને આખી રાત જાગતો પડી રહ્યો. અને મેં તે જ ક્ષણે મારા જીવનનો આખો નકશો બદલી નાખવાનો નિર્ણય કર્યો. ટૉલ્સ્ટૉય મેં બહુ પહેલાં વાંચ્યા હતા, તેણે મારા આંતર જીવનને અસર કરી હતી.

એ ભૂરકીની અસરો વિષે થોડી વિગતવાર વાત. યરવડા મંદિરથી સપ્ટેમ્બર ૧૯૩૦માં નારણદાસ ગાંધીને પત્રમાં તેઓ કહે છે :

‘જાત મહેનત મનુષ્યમાત્ર સારુ અનિવાર્ય છે. એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટૉયના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઈ ગયો હતો – રસ્કિનનું अनटु धिस लास्ट વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ ‘બ્રેડ લેબર’નો અનુવાદ છે. ‘બ્રેડ લેબર’નો શબ્દશઃ તરજુમો રોટી (ને સારુ) મજૂરી – રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ એ ઈશ્વરી નિયમ છે.

રસ્કિન વિષે વધુ, મીરાંબહેનને પત્રમાં, ૮ એપ્રિલ ૧૯૩૨ઃ ‘હમણાં હું રસ્કિનનું फोर्स क्लेविजेरा Fors Clavigera] વાંચુ છું. એ ઊંડી માનવતાથી ભરેલી કૃતિ છે. એ વસ્તુની એને હાડોહાડ પ્રતીત થઈ હોય એમ લાગે છે. વાણી તેમ જ વર્તનમાં પોતાના વિચારો પ્રગટ કરવાનો આ પત્રો તેના સર્વોત્તમ પ્રયાસ છે.’

આઝાદી ડેકકે હતી, ત્યારે બૉમ્બે રાજ્યમાં નાણાં અને ગ્રામોદ્યોગ પ્રધાન વૈકુંઠલાલ મહેતાએ પૂનામાં ઉદ્યોગપ્રધાનોની એક પરિષદનું આયોજન કરેલું. તેમાં પંજાબ, ઓરિસ્સા, મધ્યપ્રાંત અને બિહારના પ્રધાનો હાજર રહેલા. ગાંધીજીએ તેમને ભારત આઝાદ થાય, ત્યારે આર્થિક નીતિઓ રસ્કિનની રાહે ચલાવવા શીખ આપી. ૩૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ આ પરિષદમાં તેમણે ફરી એક વાર રેલયાત્રા દરમિયાન રસ્કિનનું પેલું પુસ્તક વાંચ્યાનું સુખદ સ્મરણ કર્યું અને કહ્યું કે તેમાંથી તેમને સ્પષ્ટ જણાયું કે જો માણસ જાતે પ્રગતિ કરવી હોય અને સમાનતાના આદર્શને વાસ્તવમાં ઉતારવો હોય, તો આ પુસ્તકના સિદ્ધાંત અપનાવીને તેના પર કામ કરવું રહ્યું. કોઈની સ્થિતિ ના હોય કે શક્તિ કે બુદ્ધિ ના હોય, તેને પણ સાથે લઈને જ ચાલવાનું છે. જે આઝાદીમાં સૌથી નબળાને સ્થાન ન હોય, એવી આઝાદી તેમને નથી જોઈતી.

*     *     *

જ્હૉન રસ્કિન (૮ ફેબ્રુઆરી ૧૮૧૯ – ૨૦ જાન્યુઆરી, ૧૯૦૦) પહેલી કારકિર્દીમાં કલાવિવેચક અન નિબંધકાર હતા. યુવા ઉંમરથી તેઓએ ચિત્રકલાનાં નવાં વહેણ સામે અગાઉના કલાકારોની તરફેણમાં લખવાનું શરૂ કર્યું. એમની સૌંદર્યદૃષ્ટિ અને બારીક નકશીકામથી ભરેલા ગદ્યમાં ચિત્રકલા પછી સ્થાપત્ય અને લોકહુન્નરોની પણ વાત આવી. વ્યાખ્યાન પણ આપતા અને બ્રિટનના જાહેર સંવાદમાં તેમનું નામ બની રહ્યું હતું. તેમને માબાપ તરફથી વારસામાં ખ્રિસ્તીધર્મ અને બાઇબલ પ્રત્યે વિશેષ આસ્થા મળેલી. મોટી ઉંમરે ધર્મ-સંપ્રદાય છોડ્યા પછી પણ બાઇબલે તેમને છોડ્યા નહીં. કલાવિષયક લખાણોમાં તેમનો દૃષ્ટિકોણ બાઇબલ અને સાદી નીતિમત્તા પર આધારિત હતો.

ઉપર જેનો ઉલ્લેખ આવ્યો. તે ફ્રૅન્ચ લેખક માર્સેલ પ્રુસ્ત રસ્કિનથી એટલા પ્રભાવિત કે અંગ્રેજીનું જ્ઞાન અધૂરું હોવા છતાં તેમનાં બે પુસ્તકોનો અનુવાદ કર્યો. ત્યાંથી તેઓ લેખક બન્યા અને વીસમી સદીની પાંચ મહાનતમ નવલકથાઓમાંની એકની પાછળ આ રીતે રસ્કિનના હસ્તાક્ષર છે. અનુવાદોની પ્રુસ્તે લખેલી પ્રસ્તાવનાઓ પણ માઇનોર માસ્ટરપીસ જેવી છે. ત્યાં રસ્કિન વિશે બડિંગ નૉવેલિસ્ટ કહે છે, ‘હી વિલ ટીચ મી, ફોર ઇઝ નોટ હી, ટુ, ઇન સમ ડિગ્રી ધ ટ્રૂથ ?’

કલામાં કારીગરની ભૂમિકા પર તેમણે ભાર મૂક્યો. તેમના માટે કલા અને હુન્નર (જેમ કે સુથારીકામ) વચ્ચે કોઈ ભેદ નહોતો.

આજકાલ વિદેશમાં અને દેશમાં પણ અમુક વર્ગમાં ઍસેમ્બ્લી લાઈન પર બનેલી, માસ પ્રોડક્શનની ચીજોના બદલે હાથબનાવટની ચીજો માટે આગ્રહ વધી રહ્યો છે. તેમાં ઘણી વિચારધારાઓ ભેગી થાય છે. ઔદ્યોગિક સંસ્કૃતિનો વિરોધ, ઑથેન્ટિસિટી, માર્ક્સ જેને રિઇફિકેશન કહે છે તે, એટલે કે મશીનકલ્ચરમાં બનાવટ અને બનાવનાર વચ્ચેનું તાદાત્મ્ય કે ઓળખ તૂટી જાય છે, તેને ફરી સાંધવી વગેરે. તે તમામ પરિબળોની પાછળ રસ્કિનના વિચારો કામ કરી રહ્યા છે. તેમણે ઓગણીસમી સદીના પાછલા દાયકાઓમાં બ્રિટનમાં આટ્‌ર્સ ઍન્ડ ક્રાફ્ટ્‌સ મૂવમેન્ટ ચાલુ કરેલી તેનાં જ આ પરિણામો છે.

આંગળી અને હાથના કામ પર નયી તાલીમમાં ભાર મૂકવામાં આવે છે, તેનાં મૂળ પણ રસ્કિનમાં જ છે. આજકાલ વિદેશોમાં અને થોડે અંશે દેશમાં એક વાયરો ચાલ્યો છે, જેમાં નોકરીધંધામાં સફળતા પછી પણ ખાલીપો અનુભવતા લોકો હુન્નરકામ તરફ વળે છે અને ત્યાં તેમને જીવનનો સંતોષ અને આનંદ મળે છે. આ વિષય પર સામાન્ય વાચકોને ઉદ્દેશીને લખાયેલાં પુસ્તકોની સંખ્યા વધે જાય છે. તેમાં અગ્રણી છે ફિલોસૉફર રિચાર્ડ સેનેટનું ‘ધ ક્રાફ્‌ટમેન’ (૨૦૦૮), જેના કેન્દ્રમાં છે ફરી રસ્કિન. ‘યંત્ર યુગનો સૌથી વધુ જુસ્સાદાર વિરોધ કોઈએ કર્યો હોય તો તે રસ્કિન હતા, એમ કહીને સેનેટ ઉમેરે છે કે રસ્કિનની દૃષ્ટિનું સમૂળી ક્રાન્તિકારક પાસું એ હતું કે તેમણે આધુનિક સમાજને ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાના જમાના તરફ પાછા વળવા હાકલ કરી. વધુમાં, એમની અપીલ આજના શબ્દોમાં કહીએ તો, ‘ગેટ ઇન ટચ વિશ્વ યૉર બૉડી.’

બુદ્ધનાં પ્રવચનોમાં ‘કુશળ’ શબ્દનાં ઘણાં પાસાં છે. સ્કિલ એટલે કે આવડત તે કુશળતા છે. કર્મમાં કુશળતા એ યોગ છે. હુન્નરમાં કુશળતા જોઈએ. તેમાં શરીર અને આત્માનું કંઈક સંધાન થતું લાગે છે, જેથી કરીને અધ્યાત્મની વાર્તામાં સાથેસાથે હુન્નરની વાર્તા ચાલતી આવી છે. જિસસ સુથાર હતા, કબીર વણકર, ગાંધી પોતાને ખેડૂત કે વણકર ગણાવતા. ચરખો પૂરા ગાંધીજીવન-કર્મ-વિચારનું પ્રતીક આ અર્થમાં બને છે.

અલબત્ત, ૧૯૦૪માં ગાંધીએ રસ્કિનના પુસ્તકમાંથી જે તંતુ પકડ્યો તે અર્થશાસ્ત્રનો હતો. ઓગણીસમી સદીની અધવચ સુધીમાં એક વિદ્યાશાખા વિકસી, જેનું ત્યારે નામ હતું પોલિટિકલ ઇકોનૉમી. એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો અને અંતે મહાન ફિલોસૉફર જ્હૉન સ્ટુઅર્ટ મિલનાં લખાણો, તેનો અભ્યાસક્રમ, આ સૌની સહમતી સાદી ભાષામાં કહીએ તો બજારું અર્થતંત્રને સર્વોપરી માનવાની હતી. કંઈક અંશે ડાર્વિને જીવવિજ્ઞાનમાં કહ્યું તેવું આ લોકો અર્થકારણ માટે માનતા હતા. સૌએ વધારે ને વધારે પૈસાદાર બનવા માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી દેશ-સમાજ સમૃદ્ધ બને. એમાં રાજ્ય / સરકારે વચ્ચે પડવું ના જોઈએ, તેમણે માત્ર એવા સંજોગો ઊભા કરવા જોઈએ, જેથી સૌ પૈસા કમાવાનાં કામ સારી પેઠે કરી શકે. અલબત્ત, આમાં ગરીબગુરબા, અશક્ત, લાચાર કોરાણે મુકાઈ જાય છે, પણ એમાં આપણાથી શું થઈ શકે? જેવું જેનું નસીબ, અર્થકારણ આમ જ ચાલતું આવ્યું છે.

કલાવિવેચન છોડીને રસ્કિન પોલિટિકલ ઇકોનૉમી તરફ વળ્યા અને આ વિચારો સામે નૈતિક વાંધો લીધો. ૧૮૬૦માં તેમણે ચાર નિબંધ તૈયાર કર્યા અને ‘કોર્નહિલ’ નામના માસિકને મોકલ્યા. (એના સંપાદક હતા ‘વેનિટી ફેર’ નવલકથાથી જાણીતા લેખક ડબલ્યુ.એમ. થૅકરે.) રસ્કિનનું માનવું હતું કે અર્થકારણ તો માણસે સર્જેલું છે. અને એના નિયમો ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવા કુદરતી નિયમો નથી. સમાજમાં દીનદુઃખિયાને ટેકો કરવામાં કોઈ બજારના સિદ્ધાંતો ટાંકવાની જરૂર નથી, નીતિ અને માનવતાના ધોરણે સૌથી છેવાડાના જરૂરતમંદને મદદ કરે – એટલે કે અંત્યનો કે સર્વનો ઉદય કરે – એવી આર્થિક વ્યવસ્થા આપણે કેમ ઊભી ન કરી શકીએ ?

આ ચાર નિબંધો તે પુસ્તકાકરે अनटु धिस लास्ट  એ શીર્ષક બાઇબલમાં ‘પૅરેબલ ઑફ ધ વાઇનયાર્ડ’માંથી લીધું છે. સર્વોદયની પૂરી વિચારધારા એ પૅરેબલમાં સુપેરે રજૂ થઈ છે. મેથ્યુ અથવા ‘માથ્થીની લખેલી સુવાર્તા’માંથી એ પ્રસંગ પૂરો વાંચીએ :

“કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, પોતાની દ્રાક્ષાવાડીને સારુ મજૂરો પરોઠવાને મળસકામાં બહાર ગયો. અને તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર પરડીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. અને આશરે પહોર દહાડો ચઢતાં બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા દીઠા. અને તેણે તેઓને કહ્યું કે, તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ. અને તેઓ ગયા. વળી, આશરે બપોરે તથા ત્રીજા પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. … અને સાંજ પડી, ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેમનું વેતન આપ. અને જેઓને તેણે આશરે અગિયારમી હોરાએ રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા, ત્યારે તેઓને એક-એક દીનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે; પણ તેઓને પણ એક દીનાર મળ્યો, ત્યારે તે લઈને તેઓએ ઘરધણી વિરુદ્ધ ઘણી કચકચ કરી, ને કહ્યું કે આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમ આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે. પણ તેણે તેઓમાંના એકને ઉત્તર દીધો કે, મિત્ર, હું તારો કશો અન્યાય નથી કરતો; શું તેં મારી સાથે એક દીનાર પરડ્યો નહોતો? તારું લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે, તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું, માટે તારી આંખ ભૂંડી છે શું? એમ જેઓ છેલ્લા તેઓ પહેલા, અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.”

(આ વાર્તાની અગાઉનો ફકરો વધારે જાણીતો છે, જેમાં આ વાક્ય આવે છે : “દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે.”)

પુસ્તકે એ સમયે ઘણી ચકચાર મચાવી, ભારે વિરોધ થયો, લેખમાળા અધૂરેથી છોડવી પડી. પુસ્તકનો પહેલો પ્રિન્ટરન, એક હજાર નકલ, એક દાયકા પછી પણ પૂરો થયો નહોતો. જો કે હેન્રી પોલાકના હાથમાં આવ્યું, ત્યાં સુધીમાં એ પુસ્તક નવા વાચકોમાં લોકપ્રિય થઈ રહ્યું હતું. પૅન્ગ્વિન એડિશનમાં પ્રસ્તાવનામાં ક્લાઇવ વિલ્મર કહે છે કે ૧૯૦૬માં પહેલી વાર ૨૯ લેબર સાંસદો ચૂંટાયા, તેમને આપેલી એક પ્રશ્નાવલિના આધારે એમ કહી શકાય તે કોઈ એક પુસ્તકે તેમના પર સૌથી અસર કરી હોય તો તે ‘અનટુ ધિસ લાસ્ટ’ હતું.

આજે વિકસિત કે વિકાસશીલ દેશોમાં વેલફેર ઇકોનૉમિક્સનો વિચાર સૌએ સ્વીકાર્યો છે, એટલે કે માત્ર બજાર સાચું એમ નહીં પણ જરૂરતમંદો માટે સહાયની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાય છે, તેને માટે સૌથી વધુ શ્રેય આપવું હોય, તો દ્રાક્ષાવાડીના ઘણીનો દાખલો તાજો કરનારા રસ્કિનને જ આપવું જોઈએ.

ગાંધીએ આર્થિક સમજથી શરૂ કરીને પછી રસ્કિનમાંથી ‘સ્વરાજ્ય’ સત્યાગ્રહ, શિક્ષણવિચાર અને હુન્નરની સમજ વિકસાવી. ગાંધી જેને હિરો નંબર ટુ ગણે છે, તે ટૉલ્સ્ટૉયે લખ્યું છે કે રસ્કિન ‘એવા અપવાદરૂપ માણસોમાંના એક હતા, જેઓ પોતાના હૃદયથી વિચારે છે, તેથી તેમણે જે કાંઈ વિચાર્યું અને કહ્યું તે તેમણે પોતે જોયેલું અને અનુભવેલું હતું. એટલું જ નહિ, પણ તે ભવિષ્યમાં દરેક વ્યક્તિ વિચારશે અને કહેશે.’

મ્યુચ્યુઅલ એડમિરેશન ક્લબના સભ્યો જેવા લાગતા આ ત્રણ મહાપુરુષોમાં ઘણી સામ્યતાઓ હતી. ત્રણેને માટે સ્ત્રીપુરુષના આદિકાળથી ચાલતા આવતા સંબંધો ભારે સમસ્યારૂપ અને સૂગનો વિષમ હતા. ત્રણેને જેનો ઝંડો કોઈના ઉપાડે તેને ઝંડા લઈને કૂદી પડવાની આદત હતી. ત્રણમાંથી બે પાછલાં વર્ષોમાં લગભગ પાગલ જેવા થઈ ગયેલા અને ત્રીજાને સૌ પાગલ બરાબર જ ગણવા લાગેલા. ત્રણેને જાત પર જાતભાતના અખતરા કરવાનો શૉખ હતો. પણ વિશેષ નોંધપાત્ર સામ્ય એ હતું કે રૂઢિગત માન્યતાઓને કોરાણે મૂકીને, માત્ર નીતિમત્તાનું ચલણ સ્વીકારીને, નવેસરથી વિકલ્પો વિચારી જોવાની હિંમત. વધુ છેદ ઉડાડીએ, તો કદાચ બાઈબલનો ઊંડો અભ્યાસ, ધ્યાનપૂર્વકનું વાચન કામ કરી રહ્યું હશે ? ત્રણેએ ઘણું લેખન કર્યું (ત્રણેયના કલેકટૅડ વર્ક્સનાં વૉલ્યુમની સંખ્યા ઊંચી છે). વાચન એનાથી પણ વધારે કર્યું. ત્રણેયે લેખન કે વાચન એટલે કે શબ્દમાત્રથી આંતર અને બાહ્ય જીવનમાં, પિંડે અને બ્રહ્માંડે, પરિવર્તનની શક્યતાઓની ખોજ કરી.

પરિવર્તનના સાધન તરીકે વાચનને કેવી રીતે પ્રયોગમાં લાવવું? ઉપરથી સેલ્ફ-હેલ્પની થીમનો તાણો ખેંચીને અહીં વણીએ તો, હાઉ રસ્કિન કેન ચેન્જ યોર લાઇફ ? આમ તો રસ્કિનનું પુસ્તક હજારો કે લાખો લોકોએ વાચ્યું છે, પણ વાંચ્યા પછી બહાર સામૂહિક અને સાદા જીવનના અખતરા માટે જમીન શોધવા બીજું કોઈ નીકળ્યું નહીં. આપણે પોલાકની જેમ પ્રભાવિત થઈને કોઈ પુસ્તક – ગીતા, હિન્દ સ્વરાજ, બાઇબલ, એલ્કેમિસ્ટ-મિત્રને આગ્રહપૂર્વક પકડાવીએ છીએ, ત્યારે વણકહેવાયેલો ભાગ શું હોય છે ? પુસ્તકને વિવેચક-દાર્શનિક ઉમ્બર્તો ઇકો ‘લેઝી મશીન’ કહે છે, એની અંદરની સામગ્રી એમ ને એમ પડી જ રહેવાની છે. કામ તો વાચકે ફરવાનું છે. ગાંધીની વાચન-પસંદગીઓ અને પદ્ધતિઓ વિશે શું કહી શકીએ ? ઉઝાબેલ હોફમેયરે ગાંધી’ઝ પ્રિન્ટિંગપ્રેસ’ પુસ્તકમાં ‘ગાંધીવાદી વાચનસિદ્ધાંત’ રજૂ કર્યો છે, તેનું સૌથી વિશિષ્ટ પાસું છે રસ્કિનિયન મંદ ગતિ. યંત્રયુગની ઝડપ સામે સ્લૉનેસ, ક્વૉન્ટિટી સામે ક્વૉલિટી.

અંતે ફરી આત્મકથા તરફ પાછા વળીએ :

“કર્મભૂમિમાં પ્રવેશ કર્યા પછી સમય ઘણો થોડો બચે. એટલે આ જ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આ અનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકસાન નથી થયું એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે, તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય.”

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 04 – 07

Loading

...102030...2,8982,8992,9002,901...2,9102,9202,930...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved