Opinion Magazine
Number of visits: 9577804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સબાર પોરે માનુષ

ભાણદેવ|Opinion - Opinion|31 December 2018

હદ્‌ગત

ક્યારેક વર્તમાનપત્રોમાં સમાચાર આવે છે – ગિરના જંગલમાં સિંહ કે સિંહો મૃત્યુ પામ્યા છે. તે સમાચાર સાંભળીને હોબાળો મચી જાય છે. ગોહત્યાના સાચા કે ખોટા સમાચાર જાણીને તોફાનો ફાટી નીકળે છે અને તેમાં માનવોને ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે.

સિંહ અને ગાયનાં જીવનનું મૂલ્ય છે. તેમની સંભાળ લેવાય તે ઉચિત જ છે, પરંતુ પ્રશ્ન એ છે કે માનવીનાં જીવનનું કોઈ મૂલ્ય જ નથી? પ્રતિદિન અનેક માનવોની અનેક રીતે હત્યાઓ થઈ રહી છે અને ત્યારે તો, એ તો જાણે સદી ગયું છે, કોઠે પડી ગયું છે?

મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને અને યુધિષ્ઠિરને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને કહે છે –

गुह्यं ब्रह्मं तदिदं ब्रवीमि राजन्‌।
नहि मानुषात्‌ श्रेष्ठतरं हि किज्चित्‌।।

‘હે રાજન ! હું તમને એક ગુહ્ય રહસ્ય કહું છું – અહીં (આ સૃષ્ટિમાં) માનવીથી શ્રેષ્ઠ (અધિક) કાંઈ જ નથી.’

આ જ સત્યનો અનુવાદ કરતાં હોય તેમ ગુરુદેવ ટાગોર પણ કહે છે –

સબાર પોરે માનુષ
માનુષાત્‌ પોરે કિછુ નાહિ

“માનવી સૌથી શ્રેષ્ઠ છે. અહીં માનવીથી અધિક કાંઈ જ નથી.”

માનવી ! હા, માનવી શ્રેષ્ઠ છે. માનવી કેન્દ્રમાં છે. બાકીનું બધું કેન્દ્રમાં આવી જાય અને માનવી બાજુમાં હડસેલાઈ જાય, તો આપણે ખોટે રસ્તે ચડી જઈએ છીએ.

આનો અર્થ એવો નથી કે આ પૃથ્વી પર માનવીનો એકાધિકાર છે. આ પૃથ્વી પર વસતાં સૌ પ્રાણીઓ – પશુઓ, પંખીઓ, જીવજંતુઓ અને વનસ્પતિસૃષ્ટિ – સૌનો આ પૃથ્વી પર રહેવાનો અને જીવવાનો અધિકાર છે. આ અસ્તિત્વનું સત્ય છે અને આપણે તેની અવગણના ન કરી શકીએ.

આ બધું છતાં આ પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં માનવીનું એક વિશેષ સ્થાન પણ છે, તે આપણે ન ભૂલી શકીએ. ‘સબાર પોરે માનુષ’નો આ જ અર્થ છે.

વર્તમાનકાળમાં એવું બનતું જોવા મળે છે કે કોઈક બીજું જ, કેન્દ્રમાં આવી જાય છે અને માનવી પરિઘ પર ધકેલાઈ જાય છે.

પરિવાર, સંસ્થા, ગામ, શહેર, રાજ્ય, રાષ્ટ્ર આ બધું કોના માટે છે? માનવી માટે જ ને! માનવી માટે આ બધું છે કે માનવી આ બધાં માટે છે? વ્યક્તિ સંસ્થા માટે કે સંસ્થા વ્યક્તિ માટે ? બની ગયું છે એવું કે સંસ્થા કેન્દ્રમાં આવી જાય છે અને વ્યક્તિ, હા માનવવ્યક્તિ પરિઘ પર ધકેલાઈ જાય છે. કોઈ પણ રાષ્ટ્ર, રાજ્ય, શહેર, ગામ, સંસ્થા કે પરિવાર માનવી વિના, વ્યક્તિ વિના ન બની શકે. આ બધું માનવ થકી છે અને માનવ માટે છે. માનવની અવગણના ન થાય, તેવી કાળજી આપણે હજુ શીખવાની છે.

એક દૃષ્ટાંત દ્વારા આ સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષણસંસ્થાના કેન્દ્રમાં કોણ ? સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ? શિક્ષણસંસ્થાનું કેન્દ્ર વિદ્યાર્થી છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણસંસ્થા છે; શિક્ષણસંસ્થા માટે વિદ્યાર્થીઓ નથી. પણ જાણ્યે કે અજાણ્યે વિદ્યાર્થીઓ બાજુમાં ધકેલાઈ જાય છે અને બીજું જ કોઈક કેન્દ્રમાં આવી જાય છે.

કેન્દ્ર-પરિઘનો વિવેક આપણે રાખવો પડશે. માનવી કેન્દ્રમાં છે – આ સત્ય આપણે સતત નજર સમક્ષ રાખવું જોઈએ.

વધુ એક દૃષ્ટાંત લઈએ.

વર્તમાનપત્રોમાં અનેક વાર આ પ્રકારના સમાચાર આવે છે :

… બસ ખીણમાં પડી ગઈ. ૪૦ મુસાફરો મૃત્યુ પામ્યા.

આવા સમાચાર જાણીને આપણા મનમાં શું થાય છે ? લગભગ કાંઈ જ નહીં? પરંતુ માનવીને સ્થાને ૪૦ ગાયો કે ૪૦ સિંહો મૃત્યુ પામ્યા હોત તો? તો તો ચારે ય બાજુ હોહા મચી જાત! માનવીનું આટલું જ મૂલ્ય છે ? ગાય કરતાં પણ માનવીનું મૂલ્ય ઓછું છે? સિંહ કરતાં પણ માનવીનું મૂલ્ય ઓછું છે? હા, લાગે છે તો એવું જ!

વારંવાર સમાચાર આવે છે.

“સરહદ પર .. સૈનિકો શહીદ થયા” આપણે આ જાણીને હરખાઈએ છીએ. આપણી જમીનની રક્ષા માટે તેઓએ બલિદાન આપ્યું છે! જમીન મૂલ્યવાન કે માનવી?

બીજા વિશ્વયુદ્ધમાં હિટલર અને ચર્ચિલના આદેશ પ્રમાણે કરોડો માનવો મરણને શરણ થયા છે અને પછી તેમની સ્મૃતિમાં પથ્થરોનાં સ્મારકો રચીએ છીએ, પરંતુ જેઓ મૃત્યુ પામ્યા તેમનું શું ? રાજનેતાઓ પોતાની વાતાનુકૂલિત ઑફિસમાં બેસીને આદેશ આપે છે અને તદ્‌નુસાર લાખો સૈનિકો મરણને શરણ થાય છે. માનવીનું આટલું જ મૂલ્ય છે ? ક્યાં   સુધી?

“સબાર પોરે માનુષ”.

આ મકાનને શણગારવા માટેનું સૂત્ર નથી. આ માત્ર લખવા-વાંચવા માટે જ નથી. આ જીવવા માટેનું, અમલમાં મૂકવા માટેનું સૂત્ર છે અને ત્યારે જ સાર્થક થશે. ‘સબાર પોરે માનુષ’.                    

જોધપર, વાયા મોરબી

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 16

Loading

આજની લોકશાહી

મનસુખ સલ્લા|Opinion - Opinion|31 December 2018

લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. એથી લોકમિજાજનો સત્તાધારીઓ અને વિપક્ષોને પરિચય મળે છે.  સૌથી ઉત્તમ તો એ હોય કે ચૂંટણી લોકકેળવણીનું પર્વ બને. લોકોની પીડા, આકાંક્ષા અને પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવાય. આવું-તો જ શક્ય છે, જો રાજકર્તાઓ અને વિપક્ષો પોતાનાં નીતિ અને આયોજન-અમલ અંગે પ્રામાણિક હોય. તો ચૂંટણીમાં પ્રચારની થોડીક ધૂળ ઊડે, પણ ધોરણો છોડીને કોઈ ન વર્તે. આ લોકશાહીની, જવાબદાર નાગરિકત્વની અને લોકાભિમુખ વહીવટની લક્ષ્મણરેખાઓ છે.

આજે આનાથી ઊલટું ચિત્ર જોવા મળે છે. મોટાં સૂત્રો બોલવાનાં, પણ પાળવાનાં નહીં, ધાર્મિક, જ્ઞાતિગત લાગણીઓને ઉશ્કેરી – બહેકાવી પરિણામના આંકડામાં ફેર પાડી દેવાનો. એકાદ મુદ્દો પકડાય તો એને પતંગની જેમ ચગાવવાનો, જેનો દોર પહેલેથી નબળો હોય, કપાઈ શકે. એવાં વચનો આપવાનાં જેમાં એકાંગી લાભ હોય, પણ મૂળ સમસ્યાનો ઉકેલ ન હોય. અને અમે જ રાષ્ટ્રનું ભલું કરવાવાળા છીએ, સામાવાળા તો દેશને નુકસાન કરનારા છે, એવું પ્રજાને ઘૂંટીઘૂંટીને પાવાનું; દારૂ, ભેટસોગાદો, પૈસા, ચોખા, વસ્તુઓ આપીને પ્રજાને તત્કાલ મૂર્છિત કરી દેવાની. પછી પાંચ વર્ષ યથેચ્છ વિહરવાનું – આ અને આવા મુદ્દાઓને સોશ્યલ મીડિયામાં વહેતા મૂકી દેવાના – પણ પછી ભૂતકાળને ભૂલી જવાનો. ભૂતકાળમાં જેમણે દેશ માટે ઉત્તમ પ્રદાન કર્યું, એમને ભૂલી જવાના, કેવળ પોતાને જ ઉપસાવવાના. આ સઘળું ટૂંકનજરિયા રાજકારણની વિકૃતિઓ છે. લોહીની વિકૃતિ શરીર ઉપર ફોલ્લારૂપે દેખાય તેમ આતંકવાદ, ધાર્મિક ઝનૂન, અત્યંત વિષય આર્થિક અસમાનતા રાષ્ટ્ર-શરીર ઉપર દેખાય, ત્યારે આ બધામાં થાગડથીગડ ઉપાયો કરવાના અને બકરાને કૂતરું સાબિત કરતા રહેવાનું. આ આજની ભારતીય રાજકારણની તાસીર છે. ચૂંટાઈ જવું, બહુમતી મેળવી લેવી, સરકાર બનાવી લેવી એમાં જ જાણે ઇતિશ્રી ગણી લેવાની. પછી પ્રજાની કોઈ તમા ન રાખવાની. વચ્ચે પ્રજા કાંઈક બોલે, જાગી છે, એમ દેખાય, ત્યારે લોલીપોપની જેમ એકાદ ગળચટ્ટી યોજના જાહેર કરી દેવાની, પરંતુ એનો અમલ કરવાનું જરૂરી નહીં. આ સઘળું ટૂંકી દૃષ્ટિની પેદાશ છે. સફળતા જ લક્ષ્ય છે. પ્રજાઘડતર, પ્રજાશક્તિનો વિકાસ, પ્રજાકીય પ્રૌઢતા એ જાણે વિચારણાનો મુદ્દો જ નથી. દેશના મુખ્ય પક્ષો કે પ્રાદેશિક પક્ષો આ ધૂન ઉપર નાચી રહ્યા છે.

ગમે તેટલો વૈભવ, ગમે તેટલી સત્તા, ગમે તેટલી નિર્ણાયક તાકાત મળે, પરંતુ એનો ઉપયોગ પ્રજાકીય ઉત્થાનમાં ન યોજાય, તો એ નિરર્થક જાય છે, એ દુનિયાનો ઇતિહાસ કહે છે. વળી, રાજકીય પક્ષો તો આવે-જાય છે, પરંતુ રાષ્ટ્ર તો છે જ, રહેવાનું છે. તો રાષ્ટ્ર શરીર ઉપર ઉજરડા ન પડે એ જોવાનું કર્તવ્ય તમામ પક્ષો અને રાજકર્તાઓનું ગણાય. આ ભૂલીને, આજે તો ધોરણો ભૂલીને અનૈતિકતાને ગૌરવ અપાઈ રહ્યું છે. ગમે તેટલું ખોટું કરો, પણ જીતો – એ સૂત્ર તત્કાળ લાભકર્તા લાગે, લાંબે ગાળે રાષ્ટ્રને ઘસારો પહોંચાડે છે. તમામ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર ગ્રીસ અને રોમની સંસ્કૃતિ કેવળ થોડા પથ્થરોના બાંધકામ રૂપે જ આજે હયાત છે, એ યાદ રાખવા જેવું છે.

શ્રેષ્ઠ રાજકર્તા એ છે જે તત્કાલીન પ્રશ્નોને ઉકેલે છે, સાથે પ્રજાની તાકાત, સમજ અને ઇષ્ટ માટેના આગ્રહને વિકસાવે છે. તો પ્રજા તત્કાલીનતાનાં મોજાં ઉપર ઊઠતી-પછડાતી ન રહે.

આજના કેટલાક મુદ્દાઓને આ નજરે તપાસીએ તે જરૂરી છે :

૧. એનું ખૂબ ગૌરવગાન થાય છે કે ભારત પાસે સૌથી વધુ મોટું યુવાધન છે. જો આટલું મોટું (લગભગ ૪૦ કરોડ) યુવાધન હોય, તો એને કામ કેમ આપવું એ અંગેના આયોજન માટેની વિચારણા દેખાતી નથી. ટેવો અને વલણો એવાં વિકસ્યાં છે કે તમામને બેઠાડુ એવી સરકારી નોકરી જ જોઈએ છે. કોઈ પણ દેશમાં આઠ ટકાથી વધુ સરકારી નોકરી નથી હોતી. પરિશ્રમનાં કામો હજારો હોય છે, પરંતુ ઘર, શાળા, સમાજરચના, વિચારસંક્રમણ ક્યાં ય પરિશ્રમનું ગૌરવ ઊભું કરવામાં આવતું નથી. ઊલટું, શ્રમિક જાણે હલકો, મૂર્ખ, નાસમજ ગણાય છે. એને વળતર ઓછું મળે છે. જો શ્રમિકને વળતર વધુ મળતું હોય, તો સરકારી નોકરી કે બેઠાડુ કામો માટેની આંધળી દોટ નહીં રહે. એથી બાળકના ઘડતરકાળમાં જ પરિશ્રમના ગૌરવ માટેનાં વલણો અને ટેવો વિકસવાં જોઈએ, એ માટેનાં કાર્યક્રમો અભ્યાસક્રમમાં જ હોવા જોઈએ. ‘આટલા લાખ કે કરોડને અમે કામ આપશું’ એમ બોલવું સહેલું છે, પરંતુ એમ ગોઠવવાનું આયોજન શું હશે, તે કોઈ પક્ષ જાહેર કરતો નથી. એવી મનોવૃત્તિ ઊભી કરવા કેવું શિક્ષણ હશે તેની વાત કોઈ કરતું નથી. વચનોની લહાણીથી રાષ્ટ્રનું નિર્માણ નથી થતું.

૨. રાજકીય પક્ષોને લાગે છે કે ધાર્મિક લાગણીઓને વળ ચડાવીને અમે અમારું કામ કાઢી લઈશું. ધાર્મિક હોવાની સાબિતીઓ આપવી, મંદિરો માટે એકદમ શ્રદ્ધા પ્રગટ કરવી, અન્યધર્મીઓ જોખમી છે અને અમે જ સાચા ભારતીયો છીએ, એમ બાળાગોળીની જેમ પ્રજાને સતત પાતા રહેવું એ આજની મુખ્ય રીતો છે. એ ભૂલી જવાય છે કે આ દેશ ઘણો વિશાળ છે, આખાં રાજ્યો વિવિધ ધર્મના લોકોથી વસેલાં છે, ત્યારે સર્વધર્મસમભાવની ગાંધીજીની વાત જ આ રાષ્ટ્રને અખંડ રાખી શકશે. ખરેખર તો ધર્મ વ્યક્તિગત બાબત છે – જેને જે રુચે તે ધર્મ પાળે. લોકશાહી માટે તો નાગરિકધર્મ જ મુખ્ય અને મહત્ત્વનો છે. ધર્મના અમુક બાહ્ય દેખાવો અને વ્યવહારો ધારણ કરીને વ્યક્તિ સામાજિક નિયમોને નિર્લજ્જપણે અવગણે, તોડે કે મરોડે, તો એવી વ્યક્તિને ધાર્મિક નહીં ગણી શકાય. પછી એ ગમે તે ધર્મ પાળતો હોય. આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજકીય પક્ષો પોતાની ફરજ સમજતા નથી. એમને ધાર્મિક તત્ત્વો નહીં, સાંપ્રદાયિક સંકુચિતતા જ વધુ ફાવે છે. સ્વરાજની લડતમાં, સ્વરાજ પછી અને છેલ્લા બે દાયકામાં આ મુદ્દે મુખ્ય-ગૌણનો વિવેક ચુકાઈ ગયો છે. સામાજિક ઉત્તરદાયિત્વ એ જ આજનો રાષ્ટ્રધર્મ હોઈ શકે. તો આપણે સામાજિક સમરસતા, આર્થિક સમાનતા અને સહિષ્ણુતાનો ભાવ કેળવી શકીશું.

૩. પંડિત નેહરુના વખતથી દેશના આર્થિક આયોજન અંગે દ્વિધા રહી છે. ગાંધી-વિનોબાનાં માર્ગ-વિચાર-દર્શન એમને પચ્યાં નથી. ઔદ્યોગિકીકરણનો મહિમા તો ખૂબ થયો, પરંતુ યુરોપ-અમેરિકાની તુલનાએ આ દેશની ૧૩૦ કરોડની વસ્તીને સ્થાનિક-સ્વમાનપૂર્ણ રોજી મળે, એવું આયોજન આપણા રાજકર્તાઓનાં દિલ-દિમાગમાં બેઠું નથી. એને ગંભીરતાથી લેવાતું નથી. એની સમતુલા કેમ સ્થપાય એ અંગે પ્રામાણિકપણે વિચારાતું નથી. સરકારી આંકડા જ બોલે છે કે દેશમાં ૪૦ ટકા વસ્તી (એટલે લગભગ ૫૦ કરોડ લોકો) ગરીબીની રેખા નીચે જીવે છે. એનું જીવનસ્તર ઊંચું લાવવાનું આયોજન શું છે, એ અંગે નામ પાડીને ન કહેવું એમાં રાજકીય કુનેહ ગણાય છે.

જેમ કે ખેડૂતોનાં દેવાં માફ કરવાની હમણાં હોડ ચાલે છે, પરંતુ ખેડૂત દેવાદાર ન થાય એ માટે તેમને જરૂરી ખાતર-બિયારણ-પાણી મળી રહે, એ માટે દેવું ન કરવું પડે, ઉત્પાદનનો વાજબી ભાવ મળે, પાકના રોગનો કુદરતી ઉપચાર થાય, પાક માટેની યોગ્ય સલાહ મળે, ઉત્પાદનનું ગ્રામકક્ષાએ પાકામાલ રૂપે રૂપાંતર, પાકને બજાર મળે, (ઉત્તમ કૃષિવૈજ્ઞાનિક સ્વામિનાથન સમિતિએ આ અંગેની ભલામણો દાયકા પહેલાં કરી છે, પણ એને લોકસભામાં મૂકવાનું પણ જરૂરી ગણાયું નથી.) આ બધું અઘરું, ખૂબ ધ્યાન માગી લે તેવું અને પાયાનું કામ છે.

બૅંકનું લેણું લેવું અને ભરપાઈ ન કરવું એ મોટા ઉદ્યોગપતિથી લઈને નાના ખેડૂત કે કારીગરને ટેવ પાડવામાં આપણે કયો નાગરિકધર્મ કે રાષ્ટ્રધર્મ શિખવાડી રહ્યા છીએ એ પ્રશ્ન છે. ખેડૂતો આત્મહત્યા ન કરે, દેવાં નીચે ન દબાય, એ વધુ ને વધુ સ્વનિર્ભર બને, એ માટેનાં વિગતવાર પગલાં અને આયોજન દરેક રાજકીય પક્ષે જાહેર કરવાં જોઈએ. જેને લોકો બહુમતી આપે તેમણે પાંચ વર્ષમાં એનું ઓછામાં ઓછું ૫૦ ટકા પરિણામ આપવું જોઈએ અને નવી ચૂંટણીમાં એ ચહેરો લઈને પ્રજા સામે જવું જોઈએ.

આજની ટુકડા ફેંકીને તત્કાલ રાજી રાખવાની નીતિ લાંબા ગાળે અજંપો, અસંતોષ અને રોષને જન્મ આપનારી છે.

એટલે પક્ષ આ હોય કે તે, ટૂંકું નહીં, લાંબું જુએ. પ્રજા પણ ટૂંકું નહીં, લાંબું જુએ. ટૂંકા સ્વાર્થો કે સંકુચિત વફાદારીને બદલે રાષ્ટ્રહિતને કેન્દ્રમાં મૂકવામાં આવશે, તો આપણે વિશ્વગુરુ બનવાનું રંગીન સ્વપ્ન જોઈએ છીએ, તેમાં અનુભવને આધારે, ગૌરવભેર નમૂના રૂપે બે-ચાર વાત જગતના ચોકમાં કહી શકીશું. આપણું સૂત્ર આવું હોય : ‘સમગ્રતાથી વિચારીએ, સૌનો વિચાર કરીએ, પાયાના ઉપાયો લઈએ, આપણું લક્ષ્ય સર્વોદયનું હોય,’ તો ગાંધીને ૧૫૦મે વર્ષે યાદ કરવાનું લેખે લાગશે.

E-mail : mansukhsalla@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 08 – 09

Loading

વાંસદાના મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રસિંહ – વીરલ વ્યક્તિત્વ

બકુલા ઘાસવાલા|Samantar Gujarat - Samantar|31 December 2018

એક સરસ મજાની સવારે ફોનની ઘંટડી રણકી અને સામે છેડે હતા વાંસદાના  મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રસિંહજી. અમારા બન્નેનો રસનો વિષય હતો ધરમપુરનાં રાજકુંવરીબા અને ગોંડલના મહારાણી નંદકુંવરબા લિખિત પુસ્તક ‘ગોમંડલ પરિક્રમ’. આશરે સવાસો  વર્ષ પર લખાયેલી એ પ્રવાસકથા મારી દૃષ્ટિએ માહિતીપ્રચુર, મનોહર, રોચક, અનુભવસભર, માનવસંબંધોનું મૂલ્યાંકન કરનારી અને અદ્‌ભુત નિરીક્ષણનું દર્શન કરાવનાર છે. ધીરુભાઈ મેરાઈએ રસ લઈ ધરમપુર નગરમાં અને યોગેશભાઈ ભટ્ટે કૉલેજમાં એ પુસ્તકના પરિચય અને રસાસ્વાદનો  કાર્યક્રમ યોજેલો. હું વક્તા તરીકે હતી, ત્યાં મહારાજાસાહેબ સ્વયં હાજર રહેલા. એમણે ધરમપુર અને વાંસદાની અનેક વાતો તાજી કરેલી. હવે તો કેટલીક ભુલાઈ પણ ગઈ છે.

ત્યાર પછી એક દિવસ ફરીથી ફોન પર વાત થઈ કે તેઓ વલસાડ કોઈ મીટિંગમાં હાજરી આપવા આવનાર છે, એટલે સમય અનુકૂળ જોઈ એમને બપોરના ભોજનનું આમંત્રણ આપ્યું. મહારાજાસાહેબે  વગર આનાકાનીએ આમંત્રણ સ્વીકારી લીધું અને તેઓ આવ્યા. સહજ, સરળ, મૃદુ વ્યક્તિત્વ. પોતે કોઈ રાજરજવાડાં સાથે સંબંધિત છે, એનો લેશમાત્ર અણસાર આવવા ન દે. પોતાની સાથે એક પુસ્તક ભેટ  લઈ આવેલા, જે એમના રાજ્ય અને પિતાશ્રી મહારાજાસાહેબ ઇન્દ્રસિંહજીની સ્મૃતિમાં નિરંજના સટ્ટાવાલા સંપાદિત ‘સ્મૃતિસૌરભ’ હતું. (વર્ષ : ૧૯૮૯) પરદા માટે નિઃશુલ્ક શિક્ષણ, એ વિશે પણ મેં એક લેખ કરેલો, જેનું શીર્ષક હતું ‘આ રાજવીઓ પણ હતા, ક્યાં ગયા? ‘આજે પણ એ જ વિચાર સતત આવી રહ્યો છે કે ક્યાં ચાલી જાય છે આવા ઉમદા લોકો? આપણે મોટાભાગે રાજાઓની જાહોજલાલી, એમની અંતરંગ ઐયાશી, યુદ્ધવિજય અને શૌર્યની વાતો સાંભળતાં આવ્યા છીએ. એમણે મને પુસ્તક આપેલું ત્યારે પણ મને કોઈ અહોભાવ જાગ્યો ન હતો, કારણ એ જ કે આપણી  પહોંચબહારની વ્યક્તિઓ વિશે શું વાંચવું? પરંતુ બેત્રણ કલાક એમની સાથે વાતો કર્યા પછી ખ્યાલ આવ્યો કે જે રાજવીઓ પ્રજાવત્સલ, ન્યાયપ્રિય હોય છે, એમની વાત જ અનોખી. એ સ્મૃતિ સૌરભમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે વાંસદા વિકસિત રાજ્ય હતું.

દિગ્વિરેન્દ્રજી છેલ્લા જીવંત રાજા હતા, જેમણે વિલીનીકરણ વખતે રાજ્યવાપસી કરેલી. જો કે જે વિકાસની વાત કરીએ છીએ, તેની જોજનો આગળ આ રાજવીઓ વિચારતા હતા. દિગ્વિરેન્દ્રજી તો પર્યાવરણ માટે એટલી હદે સંચિત હતા કે સાચા અર્થમાં એમને ‘પર્યાવરણમિત્ર’ કહેવા જોઈએ. વિલીનીકરણ સાથે એક સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય લાક્ષણિકતાઓ અદૃશ્ય થઈ તે પણ વાસ્તવિકતા છે. જો કે લોકશાહીની ઉપલબ્ધિ નાનીસૂની બાબત નથી, પરંતુ જે વિશિષ્ટતાઓ વાંસદા રાજ્યમાં હતી, તેની આ નાનકડી ઝલક : પ્રજા માટે નિઃશુલ્ક શિક્ષણ, ગરીબ-આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ, પુસ્તકાલય, શાળાઓ, કન્યાકેળવણી, રમતગમત-વ્યાયામની પ્રવૃત્તિ, પ્રૌઢ શિક્ષણ, નિઃશુલ્ક આરોગ્યસેવા, ફરતાં દવાખાનાં, ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં જવાની સગવડ (આજની ૧૦૮ ઍમ્બ્યુલન્સ જેવી), નળ-વીજળી-સડકોની સુંદર વ્યવસ્થા, કુટિરઉદ્યોગ, ટપાલસેવા, સસ્તા અનાજની દુકાનો, ખેતી-જંગલ-જળસંરક્ષણની નિસબત, પ્રદર્શનો, લોક-અદાલત, ખુલ્લા દરબાર જેવી ન્યાયપ્રણાલી, મહારાજા સાથે સીધો સંપર્ક, કો-ઑપરેટિવ સોસાયટી (૧૯૨૪), રાજ્ય હિતવર્ધક સભા (૧૯૪૨), સંસ્કૃત પાઠશાળા, નાટકશાળા, ક્લબ, વ્યસનમુક્તિ, સર્વધર્મસમભાવ જેવી પ્રવૃત્તિઓ સમેત વિકાસ અને કલ્યાણરાજ્યની વિભાવના ચરિતાર્થ કરવાનો એ રાજવીઓનો ૬૦-૭૦ વર્ષનો પુરુષાર્થ હતો. આઝાદી પછી તો લોકપ્રતિનિધિઓ ચૂંટાતા આવ્યા અને રાજાઓ પણ રૈયત-ભારતીય પ્રજાજન બન્યા, છતાં મહારાજાસાહેબ માટે પ્રજાની લાગણી યથાવત્ રહી. મહારાજાની જીવનશૈલી સાદગી, અનુશાસનસભર અને પ્રામાણિકતાભરી હતી, જે શિક્ષણ એમનાં સંતાનોને મળ્યું અને હજી અખંડ છે.

પિતાની જીવનશૈલીની એ પરંપરાને દિગ્વિરેન્દ્રજીએ આગળ ધપાવી. મહારાજાસાહેબ ઇન્દ્રસિંહજીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલી અને પોતાના પુત્રને સત્તા સોંપી, પરંતુ ટૂંકા ગાળામાં જ ‘પ્રજાસત્તાક રાજ્ય’ આવ્યું.

ફરીથી મારા એમની સાથેના સ્વાનુભવને જોડું છું. અમારા ઘરે ભાણીબા પ્રીતિબહેનને લઈને આવેલા. એ દિવસે વિનય, વિવેક, નમ્રતા, સરલતા અને સામી વ્યક્તિઓ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એની જાજ્વલ્યમાન ઝલક માણવા મળી. મહારાજાસાહેબ અમારા માટે ‘આદિવાસી વાનગી પીઠિયું’નો લોટ લઈ આવેલા, પછી મારી પુત્રવધૂ હેતલને કહે કે આ રીતે બનાવો. હેતલે બનાવ્યું અને બધાંએ ચાખ્યું. એ દિવસે એમનાં કાર્યોની ઝલક પણ મળી. જેમ કે મધુ કાબરા( પૃષ્ઠઃ ૧૩૯) પુસ્તકમાં લખે છે કે આપ, આવશો, જશો, પધારો એવી રોજિંદી ભાષા એમની સહજ છે. એમની પારદર્શક, ખુશમિજાજી વાણીથી સામી વ્યક્તિ પ્રભાવિત થાય જ. મારે ત્યાં આવેલા ત્યારે તેઓશ્રી છ્યાશી વર્ષના હતા. એમના મિત્રવર્તુળમાં જાતિ, ધર્મ, બુદ્ધિ અને પૈસાગત કોઈ ભેદભાવ ન હતો. કલાપારખુ, વૃક્ષમિત્ર, પ્રાણીમિત્ર, માનવમિત્ર દિગ્વિરેન્દ્રજી એમના ભાણેજોના મામાસાહેબ અને પરિવારના મોભી છતાં મિત્ર બની રહ્યા. રાજ્યના વિલીનીકરણ વખતે જંગલોની જે સ્થિતિ હતી અને આજની વાસ્તવિકતાથી તેઓ ખૂબ જ ચિંતિત છે (પૃષ્ઠ-૧૪૨). રાજ્યની જમીનના સાઠ ટકા વનવિસ્તાર હવે દસ ટકા રહ્યો છે. જો કે વાંસદા પાસે સુરક્ષિત એટલું જંગલ તો છે! ૧૯૮૯માં જે ફિકર હતી, તે ૨૦૧૨ અને હવે ૨૦૧૮માં પણ છે જ. મધુ કાબરાજી લખે છે,’ વૃક્ષ કપાયાં તો એ એમના હૃદયને ખૂબ દુઃખ (વ્યથા)  પહોંચાડે છે, આજે પણ તેઓ એમ જ સમજે છે કે ‘આ વિભાગ મારો છે, આ જંગલ મારું છે, એનું જતન કરવાની ફરજ મારી છે. એમાં માલિકીભાવના નહીં, મમતા અને પ્રેમની સુગંધ છે. કાશ! આવી જ ભાવનાઓ આજના રાજકર્તાઓની કે સરકારી અમલદારોની હોત તો?’, પુસ્તકના વિવિધ લેખકોની જે લાગણી છે તેવી જ લાગણી મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રજીને મળ્યા પછી કોઈ પણ વ્યક્તિને થાય. ‘રાજધર્મ’ની વ્યાખ્યા વાંસદા, ધરમપુર, ગોંડલ, વડોદરા, ભાવનગરના રાજવીઓએ જે રીતે પ્રમાણી તે તો હવે સ્વપ્નવત્‌. એમના બન્ને પુત્રો શિક્ષિત અને સંસ્કારી છે. જયવીરેન્દ્રસિંહજી ૧૯૭૭ના બેચના સફળ આઈ.એ.એસ. છે તો બીજા પુત્ર અમરેન્દ્રસિંહજી સારા તસ્વીરકાર છે. રાજવી પુત્રોની ઓળખાણનો અવસર તો ખાસ મળ્યો નથી, પરંતુ મહારાજાસાહેબ સાથે તો મળવાનું બનેલું. એમની વર્ષગાંઠ પહેલી ઑકટૉબર. એક વર્ષગાંઠે રૂબરૂ મળીને એમના પુસ્તક-પરિચયનો મારો લેખ ‘નિરીક્ષક’ સામયિકમાં પ્રકાશિત થયેલો તે આપવાનું બનેલું. તેઓ રાજી થયેલા. અમને મહેલ બતાવવાની ગોઠવણ કરી. હું અને આશા ગયેલાં. તે દિવસે પહેલાં ધરમપુર આર્ચમાં ગયેલાં ત્યારે દિવંગત મિત્ર ડૉ. દક્ષા પટેલે પણ એમની ખૂબ પ્રશંસા કરેલી તે યાદ આવે છે.

રહીરહીને વિચાર આવે છે કે ક્યાં ચાલી જાય છે આવા ઉમદા વ્યક્તિત્વ? પુસ્તકમાંથી જ લીધેલી કચ્છી કવિ દાદા મેકરણની આ પંક્તિઓ સાથે સમાપન :

‘ઉ ભૂંગાં, ઉ ભૈણિયું, ઉ ભિંતે રંગ પેઆ
મેકણ  ચેતો માડુઆ, રંગીધલ વેઆ’ 

(એ જ આવાસો, એ જ રચના અને દીવાલો પરના રંગો રહી ગયા છે, માત્ર તેના રચનારા અને રંગનારા ચાલી ગયા છે.)

e.mail : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 07 તેમ જ 15

Loading

...102030...2,8882,8892,8902,891...2,9002,9102,920...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved