Opinion Magazine
Number of visits: 9685447
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસની જરૂરિયાત ઘટી રહી છે, જોબ નથી … ! કેમ જીવશો જિંદગી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2019

અમેરિકામાં જે ઘટના બની છે એ આવનારા દિવસોનો સંકેત આપે છે અને એ ભારત માટે કપરા હશે. અમેરિકામાં વિલયમ સિંગર નામના માણસે અમેરિકાની નવ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાનું અને પાસ કરાવવાનું કૌભાંડ કર્યું છે. મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની માફક નકલી આઇડેન્ટિટી કાર્ડ બનાવીને એકની જગ્યાએ બીજો પરીક્ષા આપવા જાય એવું કેટલાક કેસમાં બન્યું હતું. વિદ્યાર્થી ભણવામાં ધીમો છે એવું ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવીને પરીક્ષા આપવામાં પંદર મિનિટ વધારે અપાવવી અને રમતગમતના માર્કમાં વધારો કરાવવો એવી કેટલીક તેની તરકીબ હતી. અમેરિકાનું યુનિવર્સિટી પ્રવેશ કૌભાંડ એક અબજ ડોલર કરતાં મોટું છે. કહેવાની જરૂર નથી કે સિંગરના ગ્રાહકો ધનપતિઓ અને સિનેતારકોનાં સંતાનો હતાં.

અમેરિકામાં વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર ભારત જેવું નમાલું નથી એટલે કૌભાંડ બહાર આવતાંની સાથે જે પગલાં લેવાવાનું શરૂ થયું હતું. સિંગર જેલમાં છે, આપવામાં આવેલા પ્રવેશો રદ્દ કે સ્થગિત કરવામાં આવ્યા છે અને અદાલતમાં ખટલો માંડવામાં આવ્યો છે. આવનારા એક કે વધુમાં વધુ અપીલ સાથે બે વરસમાં આરોપી સિંગર તકસીરવાર ઠરશે તો જેલમાં જશે. આટલી જે રાહત છે એ કાયદાના રાજની છે, હજુ સુધી આપણે ત્યાં જોવા મળે છે એમ ટ્રમ્પસાહેબ કાયદાના રાજની ઐસીતૈસી કરી શક્યા નથી, પણ સવાલ એ છે કે આવું બન્યું કેમ? ખાસ કરીને એવા દેશમાં જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે. કૌભાંડ કરનારાને અને તેનો ફાયદો લેનારાઓને જાણ હતી કે કૌભાંડ ઊઘાડું પડી શકી છે અને જો ઉઘાડું પડ્યું તો જેલમાં જવું પડશે અને લેવામાં આવેલા લાભ ગેરલાભમાં ફેરવાઈ શકે છે.

કૌભાંડનાં પરિણામ અંગેની પૂરી જાણકારી હોવા છતાં શા માટે આવું બન્યું?

કારણ બહુ સ્પષ્ટ છે; માર્કેટમાં જોબ નથી. યુવાન થયા પછી કરવું શું એ સમસ્યા છે. દરેક માણસને રોજી રળવી પડે છે. કામને અને કામનાં સ્વરૂપને સમાજે સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડી દીધું છે. ખેડૂતની પ્રતિષ્ઠા નથી પણ કારકુનની છે. દરેક વ્યક્તિ ઓછીવત્તી ઉત્પાદકતા અને સર્જકતા ધરાવતી હોય છે એટલે દોમદોમ સાહેબી હોય તો પણ અને કમાવાની જરૂર ન હોય તો પણ કામ તો જોઈએ જ. અંગ્રેજીમાં કહીએ તો દરેક માણસને એન્ગેજ રાખવો પડતો હોય છે અને નવયુવાનને એન્ગેજ રાખવા માટે કોઈ કામ નથી. આમ કામ એ શારીરિક, માનસિક અને આત્મિક એમ ત્રણેય પ્રકારની જરૂરિયાત હોય છે અને એ નજરે પડતું નથી.

આ જે નવી સ્થિતિ પેદા થઈ છે તેને અંગ્રેજીમાં આઈ.આર.-૪.૦ કહેવામાં આવે છે એટલે કે ફોર્થ ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન અર્થાત્ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ. પહેલી ક્રાંતિ જળ અને વરાળની ઉર્જાને કારણે થઈ હતી. બીજી ક્રાંતિ વીજળી અને યંત્રો દ્વારા વ્યાપક ઉત્પાદન(માસ એસેમ્બલી લાઈન પ્રોડક્શન)ને કારણે થઈ હતી. ત્રીજી ક્રાંતિ કમ્પ્યૂટરોને કારણે થઈ હતી અને ચોથી ક્રાંતિ સાયબર ફીઝિકલ સિસ્ટમ અથવા આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ અથવા રોબોટાઈઝેશનના કારણે થઈ રહી છે. ૨૦૧૧માં હૅનૉવર બીઝનેસ ફૅરમાં આકાર લઈ રહેલી આ નવી સ્થિતિને આઈ.આર. ૪.૦ એવું નામ આપવામાં આવ્યું હતું.

બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં માનવહાથની જગ્યા મશીને લેવા માંડી હતી. આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં માનવચિત્તની જગ્યા સાયબર ફિઝીકલ સ્પેસ લેશે. હવે તમારે ટેક્સી ગોતવા ગલીને નાકે નથી જવું પડતું. ઓલા કે ઉબર દ્વારા ટેક્સી તમારે ઘરે પહોંચી જશે અને એ કામ ઓલા કે ઉબરના કન્ટ્રોલ ટાવરમાં પ્રોગ્રામ્ડ ઇલેક્ટ્રોનિક ગેજેટો કરે છે. પાંચ હજાર જેટલી ટેક્સીની ફ્લીટ મેનેજ કરવા માટે પચાસ માણસનો સ્ટાફ નથી હોતો. ધારો કે તમારે  કોઈક જગ્યાએ જવું છે અને તમે ટેક્સી સર્ચ કરો છો. કંપની તમને તમારા ગંતવ્ય સ્થળનું અંદાજીત ભાડું ૧૫૦ રૂપિયા બતાવે છે. તમે ટેક્સી બૂક નહીં કરી અને એપમાંથી એક્ઝીટ લીધી. થોડી વાર પછી પાછા જશો તો એ જ સ્થળ માટેનું ભાડું ૧૭૫ બતાવશે, પણ એ જ ક્ષણે તમારો પુત્ર જો બીજા મોબાઈલમાંથી એ જ રૂટ માટે ટેક્સી શોધતો હશે તો તેને ૧૫૦ કે કદાચ તેના કરતાં પણ ઓછા બતાવશે. પ્રયોગ કરી જોજો. ગેજેટને ખબર પડી ગઈ છે કે કાં તો પ્રતિસ્પર્ધી કંપની વધુ ભાડું માગે છે અથવા તમારા વિસ્તારમાં નજીકમાં કોઈ ટેક્સી નથી. ત્રીજી વાર જશો તો હજુ વધુ ભાડું બતાવશે. કન્ટ્રોલ રૂમમાં કોઈ માણસ નથી, પ્રોગ્રામ્ડ કરેલું ગેજેટ છે જે આપણી ગરજ ઓળખી લે છે.

ભારતે પાકિસ્તાનમાં બાલાકોટ ખાતે ત્રાસવાદી છાવણી પર હુમલો કર્યો અને ત્રણસોથી પાંચસો ત્રાસવાદી માર્યા ગયા હોવાનો દાવો ભારતીય મીડિયામાં કરવામાં આવતો હતો ત્યારે એમ લાગતું હતું કે વિશ્વભરના પત્રકારો બાલાકોટ પહોંચી જશે. જો ભારતીય મીડિયા કહે છે એમ મોટી સંખ્યામાં ત્રાસવાદી માર્યા ગયા હશે, તો પાકિસ્તાન સરકાર વિદેશી પત્રકારોને બાલાકોટ જવા જ નહીં દે અને એમાં જ જે સમજવાનું છે એ સમજાઈ જશે. શું બન્યું ખબર છે? એક પણ પત્રકારે બાલાકોટ જવાની જહેમત લીધી નહીં. રૉયટરે સીધા ગૂગલ મેપ પાસેથી બે સેટેલાઈટ તસ્વીરો ખરીદી લીધી. એક ઘટના પહેલાની અને બીજી પછીની. એ તસ્વીરો દુનિયાભરમાં રિલીઝ થઈ, એ પછી ભારતના વાયુ દળના વડાએ કહ્યું હતું કે અમારું કામ હુમલો કરવાનું છે, જમીન પર કેટલું નુકસાન થયું તેની ગણતરી માંડવાનું નથી. ટૂંકમાં ઉત્પાદન હોય, સેવા હોય કે સુરક્ષા; માણસની જરૂરિયાત ઘટી રહી છે. જીવતો પણ ઉત્પાદન પ્રક્રિયામાં ખપ વિનાનો યુવાન એ આજના જગતની વાસ્તવિકતા છે.

જીવતો જાગતો, તંદુરસ્ત પણ ઉત્પાદન પ્રક્રિયામાં ખપ વિનાનો યુવાન એ બહુ ડરામણું દૃશ્ય છે. કલ્પના કરી જુઓ; લખલખું પસાર થઈ જશે. લોકોનો બુઢાપામાં નિવૃત્તિ પછી સમય કપાતો નથી, તો અહીં તો જનમ સાથે નિવૃત્તિ. જીવનનિર્વાહને લાગેવળગે છે ત્યાં સુધી દરેક નાગરિકને યુનિવર્સલ બેઝીક ઇન્કમ (યુ.બી.આઈ.) આપવામાં આવશે. આ ઉત્પાદન પ્રક્રિયામાં આડે નહીં આવવાનું ભથ્થું છે. કુબેરપતિઓને સરકાર દ્વારા અપાનારા યુ.બી.આઈ.માં હિસ્સો આપવો પરવડશે, માણસ નથી પરવડતો. માણસની અનુમાન કરવાનો અને નિર્ણય લેવાનો ગુણ ગેજેટે મેળવી લીધો છે. બીજી બાજુ માણસના ત્રાસ પામવાના અને આપવાના દુર્ગુણથી ગેજેટ મુક્ત છે. આનાથી વધારે બેસ્ટ ડીલ બીજું કયું હોઈ શકે અને આઈ.આર.-૪.૦ નવમૂડીવાદ માટે બેસ્ટ ડીલ છે. 

માણસનો ભોગ લેવાઈ રહ્યો છે. લવરમૂછિયા યુવાનનો ભોગ લેવાઈ રહ્યો છે અને સમાજ લાચાર છે. અસંતોષ વિસ્ફોટમાં ન પરિણમે એ માટે યુ.બી.આઈ. આપવામાં આવે છે કે આપવામાં આવશે. તેને પાણીના ભાવે કે મફત ડેટા આપવામાં આવે છે કે જેથી તે મૂકેશ અંબાણીની દીકરીનાં લગ્નની કલીપ જોઇને ઘેર બેઠા જાનૈયો થઈને માણે અથવા કન્યાવિદાય જોઈને ગળગળો થઈ જાય. વળી લવરમૂછિયા યુવાનનો સમય પસાર કરાવનારાઓ પાછા એમાં પણ કમાય છે. બાવાઓ અને બાપુઓ પોઝિટીવ થીંકીંગ શીખવાડે છે એટલે તમે તમારો વર્તમાન જોઇને હતાશ ન થાઓ. પોઝિટીવ બનો. જિંદગીના પ્રશ્નોની બાબતમાં પોઝિટીવ બનો. ઘણીવાર મનમાં સવાલ થાય કે ન્યુટને, આઇન્સ્ટાઇને, ગાંધીજીએ, ગેલેલિયો જેવા બાપુઓના મંડપમાં આળોટતા રહ્યા હોત અને પોઝિટીવ થીંકીંગ કરતા રહ્યા હોત, તો જગત આજે ક્યાં હોત? વળી પરમ પૂજ્યો જીવનની બાબતમાં પોઝિટીવ હોતા નથી. હજારો કરોડના સામ્રાજ્યોના માલિક છે અને હજુ વધુ ભેગું કરે છે.

બીજા રાજકારણીઓ છે જે આજની હતાશાની સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. અમને વોટ આપો અમે તમારી સમસ્યા ચૂટકી વગાડતા ઉકેલી આપીશું. દરેક બીમારીનો ઈલાજ હું છું. આજે જગત આખામાં પ્રતિક્રિયાવાદી, તાનાશાહી મનોવૃત્તિ ધરાવતા નેતાઓ લોકપ્રિય થઈ રહ્યા છે. આપણે આપણી સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યો ફગાવી દેવા તૈયાર થઈ ગયા છીએ, જે આપણા પૂર્વજોએ ઝઘડીને, શહીદી વહોરીને મેળવ્યા હતા. હતાશામાં તારણહાર જોઈએ છે એટલે ખોટા માણસની આંગળી પકડતા પણ અચકાતા નથી. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ એ ઘેનમાં રાખવાની ગોળી છે. ત્રીજા ઠગ છે જે આજની સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. વાસ્તુ, દોરાધાગા, ગ્રહદશા બદલી આપવાનો દાવો કરનારા, દોરાધાગા અને વિઘ્નો હટાવવા હવન કરનારાઓ, મંત્રેલી વીંટી ફેરવનારાઓ વગેરે છે.

ચોથા છે; કોચિંગ કલાસીસ ચલાવનારાઓ, વગર વિઝાએ ગેરકાયદે વિદેશમાં ઘુસાડી દેવાની કબૂતરબાજી કરનારાઓ અને સિંગર જેવા દલાલો. અમે તમને ડેસ્ટીનેશન પર પહોંચાડી દઈશું, પછી તમારું નસીબ.

પણ જોબ જ નથી ત્યાં નસીબ શું કરે?

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2019

Loading

ચૂંટણી પ્રચારઃ લાઉડ સ્પીકરનો ઘોંઘાટ નહીં લાઇક્સ અને શેરનાં વરવાં ગિમિક્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 March 2019

નવાં માધ્યમોને પગલે ચૂંટણી પ્રચાર વધુ સભ્ય થવાને બદલે યોજનાબદ્ધ હોવા છતાં બેફામ બની ચૂક્યો છે.

તમે ચોકીદાર થયાં કે હજી બાકી છે? કે પછી તમે ચોકીદાર નથી થવાનાં? મોટા ભાગનાં લોકો જે લોકો ભક્તિને વર્યાં છે તે બધાં જ ચોકીદાર બની ચૂક્યાં છે. સોશ્યલ મીડિયાનાં ડિસપ્લે પિક્ચર્સ હોય કે પછી ચેટ એપ્પ્સનાં, બધાંનાં મજાનાં ફોટોગ્રાફની આસપાસ ‘મેં ભી ચોકીદાર’વાળું છોગું ચોંટી ગયું છે. સ્વભાવિક છે કે ભા.જ.પા.નાં સોશ્યલ મીડિયા સેલમાંથી જ આ આખા ખેલનો પહેલો દાવ રમાયો, અને પછી મોટાભાગનાંઓએ (કેટલાંકને તો આ ચોકીદારવાળી ચર્ચાનું મૂળ સુદ્ધાં સંપૂર્ણ રીતે ખબર નહીં હોય) ‘હું પણ’ વાળા વાદનું પૂંછડું પકડીને જાતને ચોકીદાર જાહેર કરી દીધી. દેશની સિક્યોરિટી એજન્સીમાં રાતોરાત ભરતી થઇ ગઇ અને ચોકીદારના જોક્સથી માંડીને મીમ્સ ફરવા માંડ્યા. વિરોધીઓ અને ટેકેદારો બંન્ને તરફથી ‘ચોકીદાર’ ડ્રામાને લઇને અનિવાર્ય અને ક્યારેક બિનજરૂરી દંડા પછાડ થવા માંડી છે.  આપણે ‘ચોકીદાર’ગીરીની ચર્ચા તો નથી કરવી, પણ આખી પરિસ્થિતિથી જરા અંતર કરીને જોઇએ તો બાળકને પણ સમજાઇ જાય એવી આ બાબત બીજું કંઇ નહીં પણ નર્યો ચૂંટણી પ્રચાર છે.

ચૂંટણી પ્રચારનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને ધરમૂળથી બદલાઇ ગયાં છે. એક સમય હતો જ્યારે સાયકલ પર કે રિક્સામાં માઇક સાથે ભૂંગળા જેવું લાઉડ સ્પીકર લઇને બેસૂરા અવાજમાં બૂમો પડાતી, ‘ખેડૂત ખેડૂત ખેડૂત – તમારો મત ખેડૂતને આપો’ (મારા નાનપણમાં થતા ચૂંટણી પ્રચારમાંથી કોણ જાણે આ કયા પક્ષની પ્રચારપદ્ધતિ મને યાદ રહી ગઇ છે) અને આવું જ બીજા બધા પક્ષોનું પણ હતું. દિવાલો પર પક્ષનાં ચિહ્નો ચિતરાઇ જાય, ક્યાંક નારાબાજી અને નાનાં-મોટાં સરઘસ થાય, સભાઓ થાય, પોસ્ટર્સ અને હોર્ડિંગ લાગી જાય અને ફરફરિયાં લોકોનાં ઘરે ઘરે પહોંચવા માંડે અને એવું કેટલું ય ચૂંટણી પ્રચાર તરીકે થતું. મતદાન પહેલાંનો હોબાળો રંગીન, ઘોંઘાટિયો અને અસ્તવ્યસ્ત રહેતો. એક સમયે ચૂંટણી પંચે પેમ્પ્ફ્લેટિયા પ્રચાર પર બંધી કરી અને પછી જે પક્ષો પાસે આર્થિક ટેકો હતો તેમણે નવાં માધ્યમોની આંગળી ઝાલી. પી.વી. નરસિંહા રાવના શાસનકાળનો અંત નજીક હતો ત્યારે કૉન્ગ્રેસ પક્ષમાં નેતૃત્વના પ્રશ્નો હતા, ભ્રષ્ટાચારના વિવાદ હતા અને ત્યારે ડિરેક્ટોરેટ ઑફ એડવર્ટાઇઝિંગ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી (ડી.એ.વી.પી.) દ્વારા સરકારની સિદ્ધિઓ દર્શાવતા વીડિયો રિલીઝ કરાયા, એમાંનાં કેટલાક વીડિયોમાં તો નરસિંહ રાવ પોતે પણ દેખાયા. વિરોધ પક્ષોને આ કંઇ પસંદ ન પડ્યું. દૂરદર્શન અને ખાનગી ચેનલો પર આ વીડિયો બતાડવા પર પ્રતિબંધ મુકાયો પણ ત્યારે કેબલ નેટવર્ક્સનું જાળું પથરાઇ ચુક્યું હતું એટલે ત્યાં જાહેરાતો આવી. જો કે કંઇ ફેર પડ્યો નહીં અને વાજપાઈ તેર દિવસ માટે વડાપ્રધાન બન્યા અને પછી બે વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચાલી. આ સરકારને પોતાના પ્રચાર માટે આકાશવાણી કે દૂરદર્શનનો ઉપયોગ કરવાની આવડત નહોતી. સત્તા ભૂખ અને આર્થિક સક્ષમતાને પગલે પક્ષોએ પ્રચાર માટે ‘પ્રોફેશનલ’ એજન્સીઝને કામ લગાડવાની શરૂઆત કરી. આમ તો ૨૦૧૪ની ચૂંટણીમાં બધી જ મોટી એજન્સીઓના સૌથી મોટા ‘ક્લાયન્ટ’ તરીકે ભા.જ.પા.નું નામ મોખરે હતું, પણ ખરેખર તો ૧૯૮૪ની સાલમાં રાજીવ ગાંધીએ સૌથી પહેલાં એડ એજન્સી રિડીફ્યુઝનને પોતાનું ઇલેક્શન કેમ્પેઇન સંભાળવાની જવાબદારી આપી હતી. ત્યારે કૉન્ગ્રેસ અને ઇંદિરા ગાંધીનાં પ્રશસ્તી ગીતો સાંભળાવતી કેસેટ્સ ઠેર ઠેર વાગતી હતી. ભા.જ.પા.ને આ કઠ્યું ખરું, પણ ૧૯૯૬નાં પ્રચારમાં તેમણે ‘સૂટકેસ કે પીછે ક્યા હૈ’ જેવા કૉન્ગ્રેસની ઠેકડી ઉડાડતાં ફિલ્મી ઢાળનાં ગીતોનો ઉપયોગ કર્યો , પરિણામે તેઓ ૧૬૧ બેઠકો જીત્યા.

સેલ-ફોન્સ અને કમ્પ્યુટરને પગલે આ બધી પદ્ધતિઓ અપરિપક્વ લાગવા માંડી. ૨૦૦૪ની ચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન લોકોને વાજપાઈના અવાજમાં રેકોર્ડેડ મેસેજ પહોંચવા માંડ્યા અને સ્વાભાવિક છે કે સામાન્ય માણસ માટે આ ‘પર્સનલાઇઝ્ડ ટચ’ જાદુઇ સાબિત થયો. આ વિચાર મૂળ તો પ્રમોદ મહાજનનો હતો. ૨૦૧૪ પછી જે રીતે ચૂંટણી પ્રચારનું ક્લેવર બદલાયું છે, એમાં તો જાણે પક્ષોએ માઝા મૂકી છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ્પ હવે ચૂંટણી પ્રચારના કુરુક્ષેત્ર બન્યા છે. પક્ષોની વાતોમાં નવા નારાને બદલે આર અને પાયથન જેવાં સોફ્ટવેરની ચર્ચા થવા માંડી છે. સોશ્યલ મીડિયા દ્વારા મળતા ડેટાને આધારે રાજકીય પક્ષો નિસ્યંદન કરીને વ્યક્તિગત વિચારધારા, જૂથોના અભિપ્રાય જાણી શકે છે. આજકાલ મતદાર સાથે તાલમેલ મેળવવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો બહુ જ મોટાપાયે ઉપયોગ થાય છે.  મોટીમસ રેલીઓ, ભાષણબાજી, બેઠકો સાથે વર્ચુઅલી થયેલી ‘ચાય પે ચર્ચા’,  રોડ શોમાં વપરાયેલી થ્રી ડી હૉલોગ્રામ ઇમેજીઝથી માંડીને ફેસબુક પર પ્રોફાઇલ પિક્ચર માટેની સ્પેશ્યલાઇઝ્ડ ફ્રેમ, ટ્વિટર હેન્ડલ પર બદલાતાં નામો અને વૉટ્સએપ્પ પર આવતાં મેસેજીઝનાં મારા આ બધું જ ચૂંટણી પ્રચારને વધારેને વધારે અસરકારક બનાવવામાં કામ લાગે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે ડેટા એનાલિસીસનું વેચાણ એક બિઝનેસ મોડલ છે, અને રાજકીય પક્ષો તેનો બેફામ અને બિંધાસ્ત ઉપયોગ કરે છે. પોસ્ટર્સ અને દિવાલો પર લખાપટ્ટી કે પેમ્પ્ફલેટ્સ પર પ્રતિબંધ મુકાયો છે પણ ઇલેક્ટ્રોનિક મીડિયા પર કોઇ પ્રતિબંધ નથી. ઉમેદવારો પર પ્રતિબંધો હોઇ શકે પણ રાજકીય પક્ષો પૈસા ખર્ચવામાં પાછળ વળીને જોતા નથી, અને એ પરિસ્થિતિ લોકશાહી પર તોળાતી તલવાર જેવી છે. ટેક્નોલોજીને આધારે ચાલતાં ચૂંટણી પ્રચારમાં પૈસા સૌથી અગત્યનું પાસું છે. ભા.જ.પા.એ તેની વૃત્તિ મુજબ ફાયદો કરાવે એનો કસ કાઢવો જ એમ કરીને ટેક્નોલોજી અને સોશ્યલ મિડીયાનો ઉપયોગ પક્ષમાં સભ્યો વધારવા માટે પણ કર્યો છે. આચાર સંહિતા લાગુ પડશે તો પણ ‘મૈં ભી ચોકીદાર’વાળાં ડિસપ્લે પિક્ચર્સ, મિમ્સ અને જોક્સ ફર્યા કરશે જેને રોકવાનું કોઇના ય હાથમાં નથી. ટેક્નોલોજી હોય તો પ્રચાર પ્રસાર ‘સોફેસ્ટિકેટેડ’ થવો જોઇએ તેને બદલે બધું જ હદની બહાર, આડેધડ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. એસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૧૮માં ભા.જ.પા.ને ૨,૯૭૭ ડોનેશન્સ મળ્યાં છે જેનો આંકડો ૪૩૭.૦૪ કરોડે પહોંચ્યો છે જ્યારે કૉન્ગ્રેસને ૭૭૭ ડોનેશન્સમાંથી ૨૬.૬૫૮ કરોડ મળ્યા છે.

પારંપરિક પ્રચારની પદ્ધતિઓમાંથી ડિજીટલ પ્લેટફોર્મનાં ઉપયોગની શરૂઆત રાજકીય પક્ષો માટે પણ અજાણ્યાં પાણી જેવી હતી. વળી આ નવી પદ્ધતિઓને કારણે ગ્રામીણ મતદાતાઓ સુધી પહોંચવામાં આવનારી મુશ્કેલીઓનો પણ તેમને ખ્યાલ હતો, પણ ૨૦૦૮માં અમેરિકાની ચૂંટણીમાં ઓબામાએ જે રીતે ડેટા એનાલિસીસનો ઉપયોગ કર્યો એ પછી ૨૦૧૪ની ભારતીય ચૂંટણીનું ક્લેવર બદલાઇ ગયું. ભા.જ.પા. પાસે ૫૪૩ બેઠકોનો ડેટા હતો, તેમને મોબાઇલ ધારકો અને ઇન્ટરનેટ યુઝર્સનાં આંકડા ખબર હતા, જેને આધારે વ્યૂહરચનાઓ ઘડવામાં આવી. દરેક પોલિંગ બુથમાં કોણ ટેકેદાર હતું, કોણ વિરોધી હતું અને કોણ અનિશ્ચિત હતું તેનો ડેટા પણ પક્ષ પાસે હતો. સેલ-ફોન્સમાં જાહેરાતો, સોશ્યલ મીડિયા પર પ્રતિભાવોથી માંડીને વોઇસ બ્રોડકાસ્ટિંગ વગેરેનો પણ ખૂબ ઉપયોગ થયો.

ચોકીદાર એ ૨૦૧૯ની ચૂંટણીનો ‘બઝ વર્ડ’ બની ચૂક્યો છે. ભા.જ.પા. અને કૉન્ગ્રેસ બન્ને પોત-પોતાની રીતે ચોકીદાર શબ્દનો ખેલ ખેલી રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણી પછીનાં વર્ષોમાં ભારત સ્માર્ટ ફોનનું સૌથી ઝડપથી વિકસેલું માર્કેટ બની ચૂક્યું છે અને ચીન પછી સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ ભારતમાં છે. ૪૫૦ મિલિયન ભારતીય પાસે સ્માર્ટ ફોન છે, ૩૦૦ મિલિયન ભારતીયો ફેસબુક પર છે અને, ૨૦૦ મિલિયન વૉટ્સએપ પર સંદેશાની આપ-લે કરનારાં છે. આવનારી ચૂંટણીમાં સોશ્યલ મીડિયાનું પ્રમાણ કેટલું વિસ્તર્યું અને વકર્યું છે એ ચોકીદારોની વધેલી સંખ્યાથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ જંગનાં શસ્ત્રો ફેસબુક, વોટ્સએપ, યુટ્યૂબ અને ટ્વિટર છે અને માટે ચૂંટણી પંચે પણ દરેક માધ્યમનાં વડાઓ સાથે બેઠક કરીને ચૂંટણી સંબંધિત ખોટા સમાચારો અને માહિતીઓના પ્રવાહને રોકવાની તજવીજ કરી છે.

બાય ધી વેઃ

દેશમાં જે રીતે વગર પગારના ચોકીદારોની સંખ્યા વધી છે, એ જોતાં સમજાય છે કે સોશ્યલ મીડિયા પર પોતાની હાજરીની નોંધ લેવાય એ માટે લોકો કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. લાઇક્સ અને શેર્સને પગલે જેમને પા-શેર લોહી ચઢે છે, એવા લોકોને કારણે એક રીતે તો રાજકીય પક્ષોને જ લાભ થાય છે. જે રાજકીય પક્ષો આ ચર્ચાનો ભાગ નથી હોતા એ પ્રેક્ષક તરીકે મૂંઝવણ અનુભવવા માંડે છે કે હવે આપણે શું કરી શકીએ? પણ પછી ‘કૉલ મી રાહુલ’ પ્રકારના વાઇરલ વીડિયો તેમને પણ થોડોઘણો લાભ કરાવી જાય છે. નવી પેઢીને રાજકારણમાં રસ લેતી કરવા માટે સોશ્યલ મીડિયા અનિવાર્ય તો છે, પરંતુ રાજકીય પક્ષોએ સમજવું રહ્યું કે નવી પેઢી ચોકીદારવાળો પ્રોફાઇલ પિક્ચર નહીં જ મૂકે. ભક્તિવાદ તો જૂના અને જાણીતા જોગીઓને જ ધુણાવે છે. મૂળ તો ફરફરિયાં, પોસ્ટર્સ અથવા નારા બદલે ફ્લેટ સ્ક્રિન પર ચાલતા ચૂંટણી પ્રચારમાં છેતરામણી વાતો, આક્ષેપબાજી, દલીલબાજી, શો-ઑફ હદની બહાર થાય છે અને તે પણ અનિયંત્રિત. આપણે જાગૃત નાગરિક તરીકે ક્યાં અટકવું એ સમજી લેવું પડશે નહીંતર પેલા બહુ ચાલેલા વૉટ્સ એપ્પ જોકની જેમ પહેલા મૂરખા બન્યા અને હવે ગુરખા બનીશું! બીજું બાય ધી વે એમ કે  ચોકીદાર શબ્દની આટલી બધી ચર્ચા તો ક્યારે ય થઇ જ નથી, એટલે જે બિચારા ટાઢ-તડકો-વરસાદ અને ઉજાગરા વેઠીને ચોકીદારી કરનારા અચાનક જ મળેલું આટલું બધું અટેન્શન મળવાથી બઘવાઇ ગયા છે. એમને તો બસ ચોકીદારી કરવી છે, એમને પ્રધાનપદું સંભાળવામાં કોઇ રસ નથી. પણ યાર, સાહેબ ખરા છે, એક નોકરી પકડી રાખતા હોય તો, પહેલાં ચાવાળા, પછી પ્રધાન મંત્રી અને હવે પાછા ચોકીદાર!

સૌજન્ય : લેખિકાની ‘બહુશ્રૃત’ નામક કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2019

Loading

વીજાણુ ‘વિશ્વમાનવ’

કેતન રૂપેરા|Opinion - Opinion|22 March 2019

આલ્બેર કામૂ, પેરામ્બેલો, યુલિસિસ, સેઇન્ટ જોહ્‌ન પર્સ, (ફેડ્રિકો ગાર્સિયા) લોર્કા, (રેઇનર માર્કા) રિલ્કે, ઓક્ટેવિયો પાઝ, (ફ્રાન્ઝ) કાફકા, (બોરિસ) પાસ્તરનાક, દોસ્તોવયેસ્કી, ચેખોવ, રેમ્બ્રાન્ટ, જુલિયન ગ્રીન, બોદલેર … (હજુ ઓછા પડતાં હોય તો ઉમેરી શકાય). – વિશ્વ સાહિત્યનાં ખેરખાં કહી શકાય એવા એકસામટા આટલાં બધાં નામ, કોઈ એક જ નિમિત્તે અને એક જ પાનાં પર, ગુજરાતી ભાષાના કોઈ સામયિકમાં અંકિત થાય એવી કદાચ આ પહેલી ઘટના હોઈ શકે. કારણ? ગુજરાતી ભાષામાં એ ૩૬ વર્ષ ચાલેલી ઘટના જ એનો જવાબ છે –  એ છે ‘વિશ્વમાનવ’.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં સ્વનામધન્ય જ કહી શકાય એવા આ સામયિકનો એકવીસમી સદીમાં ડિજિટલ સ્વરૂપે પુર્નજન્મ થયો એમ કહીએ તો ચાલે. પોતાના નામને સાર્થક કરતાં, સાહિત્ય, કળા, સમાજકારણ, રાજકારણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને એવાં કંઈકેટલાં ય ક્ષેત્રોને આવરી લઈ માનવને વિશ્વમાનવ બનવા પ્રેરતા આ સામયિકની ડી.વી.ડી. લોન્ચ કરાઈ. નિરીક્ષક ફાઉન્ડેશન, ગુજરાતી લેક્સિકન અને ઓપિનિયન મૅગેઝિન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિચારપત્ર ‘નિરીક્ષક’ની પચાસ વર્ષની ઊજવણીનું નિમિત્ત પણ ભળ્યું ને આ ઉજવણીના પહેલા મણકારૂપે, ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં, ૨૩ ફેબ્રુઆરીના રોજ એક સરસ કાર્યક્રમ યોજાયો.

આ સામયિકનું ડિજિટલ વર્ઝન બહાર પાડવાનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ જો કોઈ હોય તો એ ‘વિશ્વમાનવ’ કોઈ રીતે કાયમી રૂપે સચવાઈ જાય એવી ત્યારની પેઢીની ઇચ્છા-અભિલાષા અને એ ઉપરાંત, અમે જે કંઈ આ સામયિક વાટે મેળવ્યું છે, જેણે વૈચારિક રીતે, અમારા વ્યાવસાયિક અને અંગત જીવનના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે તે ફાલ હાલની, નવી પેઢીને પણ મળે એવી ધખના. એ પણ હશે જ ને. ઘરની કોઈ વડીલ વ્યક્તિ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ભાવિ પેઢી માટે શું વિચારે? પોતાના કુટુંબનો ભવ્ય વારસો આવનારી પેઢીને -પૌત્રપૌત્રાદીને – આપીને જવો. બસ, લગભગ એવી જ આ કલ્યાણભાવના.

… અને આ વારસાને સાચવવાની, એનું ગૌરવ અનુભવવાની જે લાગણી વ્યક્ત થઈ એ કાર્યક્રમના અંતે, ગુજરાતી લેક્સિકન સાથે સંકળાયેલા મૈત્રી શાહની અભિવ્યક્તિમાં. તેમણે કહ્યું કે અમારી પેઢીને આવા કોઈ સામયિકની ખબર જ નહતી, અને જે વર્ષમાં એ બંધ થયું એ જોતાં એ સ્વાભાવિક પણ છે, પરંતુ એના પર કામ કરતાં કરતાં લેખો પર જે નજર ફરી કે એનાં લેખકોનાં નામ વાંચવાનું થયું, ત્યારે થયું કે આટલું સરસ સામયિક, જે વિશ્વકક્ષાનું કહી શકાય એવું આપણી ગુજરાતી ભાષામાં એક વખતે પ્રકાશિત થતું હતું!

૧૯૫૮થી ૧૯૯૩નાં વર્ષોને ત્રણ ડી.વી.ડી.માં વહેંચી તેનું નિદર્શન પણ રજૂ કરનાર બહેન મૈત્રીની ને એમની આસપાસની આ એ પેઢી છે, જે અત્યારે ત્રીસથી ચાલીસ વચ્ચે રમી રહી છે. ‘નિરીક્ષક’ના આગલા અંકમાં (૧-૩-૧૯) જ ચેતન પગીએ કહ્યું તેમ “એંસી-પંચાસી પહેલાં જન્મેલા લોકો ખરા અર્થમાં નસીબદાર છે …. આ એ પેઢી છે, જેમને પોસ્ટકાર્ડ લખવાનો અનુભવ પણ મળ્યો અને હવે ફેસબુક લાઇવ પણ કર્યું છે …. જે એક વસ્તુ સતત અનુભવાતી તે એ હતી કે ઉદારીકરણ પહેલાંના પરિવર્તનની ઝડપ ભલે ધીમી હતી, પણ ત્યારની ‘નિરાંત’ એનું જમાપાસું હતી, ૯૧-૯૨ પછી અચાનક જાણે બધું ફાસ્ટ ફૉરવર્ડ થઈ રહ્યું હોય, એવું લાગવા માંડ્યું.” તો અહીં મુખ્ય તફાવત છે ‘નિરાંત’ અને બધુ ‘ફાસ્ટ’ હોવા વચ્ચેનો. એ ખરેખર જ નિરાંતનાં વર્ષો હતાં, જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણો વખત આપણી જાણ બહાર ચોરી જતા ન હતા. અને એ તથા એ પહેલાંનાં અરસામાં જ અનેક લેખકોએ ઘણા અભ્યાસ અને એકાગ્રતા સાથે સંશોધિત અને મૌલિક લેખોથી માંડીને વિશ્વભરની કવિતા અને લેખોના અનુવાદ આપ્યા, અને વાચકોએ દિલ ભરીને વાંચ્યા પણ ખરા. આજે આ બધા વિશ્વસાહિત્યકારોનાં અનેક સર્જનો ગુગલિંગ કરીને જોઈ-મેળવી-વાંચી શકાય છે, પણ એને ગુજરાતીમાં ઊતારવાની નિરાંત કેટલા પાસે છે, અને અપવાદરૂપ કેટલાક લેખકો પાસે એ નિરાંત છે તો પોતે આ કામ હાથમાં લે એવી આબોહવા ક્યાં છે?! અને એટલે જ જે જૂનું છે, એ સોનું છે એને કાયમીરૂપે સાચવી લેવાનો આ સુયોગ્ય સમય હતો, એ ‘એક સરસ કામ થયું.’

મૂળરૂપે, પહેલાં ગાંધીવિચાર અને પછી માર્ક્સથી લઈને પુનરપિ ગાંધી તરફ પાછા વળેલા ને ત્યાં જ ઠરેલા ભોગીભાઈ ગાંધીએ “જ્યાંય ક્યાંયથી ‘ઓઝોન’ મળે ત્યાંથી ખોબેખોબા ફેફસાંમાં” ભરી લેવાના તલસાટ સાથે ૧૯૫૮માં શરૂ કરેલા આ સામયિકમાં ઘણા નવયુવાનોને જોડેલાં. એમાંનાં કેટલાક ‘વિશ્વમાનવ’ અને ભોગીભાઈ સાથેનાં સંભારણા વાગોળવા મંચસ્થ હતા. ગુલામમોહમ્મદ શેખ, સુમન શાહ અને યોગેશ જોષીએ ભોગીભાઈ-સુભદ્રાબહેન અને ‘વિશ્વમાનવ’ સાથેનો પોતાનો પ્રારંભિક પરિચય, પછી નજદિકી, પછી સોબત અને પછી આજીવન હિસ્સો બની રહેનારા ને સ્મૃતિપટમાંથી ક્યારે ય ન ભૂંસાનારા પ્રસંગો, ઘટનાઓ, અનુભવો અને લાગણીસભર ક્ષણોનું તાદ્દશ વર્ણન કર્યું. જાણે ભોગીભાઈ, પ્રબોધ ચોકસી, સુરેશ જોષી વગેરેને ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં થોડી ક્ષણ માટે જીવંત કરી દીધા!

'વિશ્વમાનવ'ની ડી.વી.ડી.નું જાહેર લોકાર્પણ : શનિવાર, 23 ફેબ્રુઆરી 2019. ચિત્રમાં, ડાબેથી, વિપુલ કલ્યાણી, અમીતભાઈ ગાંધી (ભોગીલાલ ગાંધીના પુત્ર), નંદિનીબહેન ગાંધી (પુત્રવધૂ), પ્રકાશભાઈ ન. શાહ, ગુલામમોહમ્મદભાઈ શેખ, સુમનભાઈ શાહ તેમ જ યોગેશભાઈ જોશી.

સહજ અભિવ્યક્તિની આ પરાકાષ્ઠા કદાચ આ સૌમાં કદાચ એટલે આવી હશે કે આ ‘વિશ્વમાનવ’ વાંચીને કોઈકે પોતાનો એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો હતો, તો કોઈ એના થકી વિશ્વસાહિત્યમાં ઝબકતા તારલાઓના સંપર્કમાં આવ્યું હતું, કોઈ એમાં લખતાં લખતાં જ ને લખવાના કારણે જે અભ્યાસ થયો એના કારણે ભણતા ભણતા ભણાવવા લાગ્યું હતું તો કોઈકે એમાંથી સંસ્કાર પામવાને પોતાનું ને કોઈ પણ સાહિત્યકાર કે કળાકારના જીવનનું મોટું સદ્‌ભાગ્ય ગણાવ્યું હતું.

જો કે, વ્યાવસાયિક જીવનમાં સાહિત્ય અને કળાની દૃષ્ટિ ખિલવવાની અને વ્યક્તિગતજીવનમાં સંસ્કારઘડતરની ભૂમિકા ભજવવાના ‘વિશ્વમાનવ’ના ધર્મ વચ્ચે કેટલાક શ્રોતાઓને એક ખોટ પણ વર્તાઈ હોઈ શકે – એ ‘વિશ્વમાનવ’ની નાગરિકઘડતરની ભૂમિકા. સત્તા કે સ્થાપિતોના દુરાચરણ સામે ‘અક્ષરઆંદોલન’થી સતત સક્રિય રહેવાની ભૂમિકા. રઘુવીર(ચૌધરી)ભાઈ અને દિનેશ(શુક્લ)ભાઈ ઉંમર સહજ માંદગીને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. એમની હાજરીએ આ ખોટ પૂરી હોત? … અલબત્ત, પ્રકાશભાઈના હાથમાં સંચાલનનો દોર હતો, એટલે એ મર્યાદામાં રહીને એમણે જ્યાં જ્યાં આ વિષયે હાજરી પુરાવાય ત્યાં ત્યાં પુરાવી, પણ એની અનિવાર્યતા શેખસાહેબના જ વક્તવ્યના આ અંશોમાં છતી થયા વગર રહેતી નથી. ત્યારના રાજકીય-સામાજિક માહોલમાં પ્રગટતી ભોગીભાઈની ‘હમ બૈચેન હૈ’ જેવી કોઈ કોલમ આજના માહોલમાં કોઈકે શરૂ કરવા જેવી ખરી, એમ શેખસાહેબે દિલના ખૂબ ઊંડાણથી કહ્યું હોય એવું લાગ્યું. સાથે એમણે નિખાલસ એકરાર કરતાં ઉમેર્યું પણ ખરું કે “ભોગીભાઈ, પ્રબોધભાઈ અને સુરેશભાઈ વચ્ચે ઝરતી સાહિત્યની ચર્ચાઓમાં જ્યારે રાજકારણનો પ્રવેશ થતો, ત્યારે એ સંવાદ-વિસંવાદમાં માત્ર શ્રોતા તરીકે સામેલ ‘અમે એમાંથી બાકાત રહેતા કારણ કે અમારી એ કાળની સાહિત્ય દૃષ્ટિને એ ખપનું નહોતું’. એમણે એમ પણ કહ્યું કે “હજુ હમણાં સુધી અમને એ ખપનું નહોતું ને હજુ ઘણા વખત સુધી સાહિત્યકારોને એ ખપનું રહ્યું નથી … પણ સાંભળ્યું તે કોઈક પછીતે પડ્યું રહ્યું ને દાયકાઓ બાદ સાહિત્યકારણ અને રાજકારણની એરણ પર મૂલવવાનું નિમિત્ત થયું સંવાદ-વિવાદની એ ઉન્મત્ત પળોને ખોવાનો ખેદ થયો.” 

દેશ-દુનિયાના આજના માહોલમાં વિશેષપણે જીવનમાં ઉતારવાલાયક તે એ કે ત્યારે “મોભીઓ વચ્ચે વિવાદને કારણે મનદુ:ખ થયાનું જાણ નથી. અમે માનતા કે વિચારભેદ છતાં એમનો પરસ્પર આદર અકબંધ રહ્યો. આવું પણ અત્યારે જોવા મળતું નથી.”

આ ‘વિશ્વમાનવ’ હતું, અને આવા એના મોભીઓ હતા.

હવે તો ચિરંજીવ કહી શકાય એવો એનો આ ડિજિટલ જન્મ જ્યાં પણ ખાલી જગ્યા પડશે ત્યાં ભરશે અથવા ક્યાંક ક્યાંક પોતાની જગ્યા ઊભી પણ કરશે. કૉપીરાઇટના મામલાને ડિજિટલ પ્રકાશનકર્તા પાસેથી જાણી લેવો રહે, પણ નાગરિક ઘડતરના નિસબતની તેની પૃષ્ઠભૂ જોતાં ગુજરાતી ભાષાના અન્ય સામયિકો પણ ‘વિશ્વમાનવ’માંથી પ્રસંગોપાત અને સાંપ્રતમાં આકાર લેતી ઘટનાઓ-દુર્ઘટનાઓને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવા-સમજાવવા લેખોનું ચયન કરીને સૌજન્ય-નોંધ સાથે જો મૂકતા રહે એમાં નકાર તો ન ભણે. આપણા સૌ સામયિકો – જેનો જે ઉદ્દેશ છે – એની પૂર્તિ કરવામાં ‘વિશ્વમાનવ’ ઊણું નહીં ઊતરે, એટલી ખાતરી ચોક્કસ છે.

સાથે સાથે …

આ સંપૂર્ણ કાર્યક્રમ આ લિંક પરે ક્લિક કરીને માણી શકાશે :

https://www.facebook.com/pg/gujaratilexicon/videos/?ref=page_internal

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – વિપુલ કલ્યાણી

https://www.youtube.com/watch?v=MG_TZuEsa4M

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – પ્રકાશ ન. શાહ

https://www.youtube.com/watch?v=ocmFdIcqbjk&list=PLIjHkh9O5_8enNzjSzBKNvP7_8DbUggvp&index=4

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – ગુલામમોહમ્મદ શેખ

https://www.youtube.com/watch?v=5mqpkziYdYY

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – સુમન શાહ

https://www.youtube.com/watch?v=YL3SKOEWI-Y

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : યોગેશ જોષી

https://www.youtube.com/watch?v=HhVEQEYerlo

E-mail : ketan.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 10-11

Loading

...102030...2,8772,8782,8792,880...2,8902,9002,910...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved